ઇન્ડીયા Archives - Page 12 of 217 - CIA Live

October 18, 2025
ind-vs-aus.jpg
1min172

ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રવિવારે (ભારતીય સમય મુજબ સવારે 9.00 વાગ્યાથી) વન-ડે સિરીઝની પ્રથમ મૅચ શરૂ થશે અને એ સાથે રોહિત શર્મા તથા વિરાટ કોહલી જેવા બે મહારથીઓના પર્ફોર્મન્સ પર સૌની નજર રહેશે જ, નવા સુકાની શુભમન ગિલ ટેસ્ટ પછી હવે વન-ડેમાં સુકાન કેવી રીતે સંભાળે છે અને બૅટિંગમાં પોતે કેવું પર્ફોર્મ કરે છે એ જોવામાં પણ સૌને રસ રહેશે.

ઉલ્લેખનીય છે કે ભારતીયો છેલ્લે ડિસેમ્બર, 2020માં ઑસ્ટ્રેલિયા (Australia)માં વન-ડે શ્રેણી રમ્યા હતા જેમાં આરૉન ફિન્ચના સુકાનમાં વિરાટ કોહલી ઍન્ડ કંપનીનો 1-2થી પરાજય થયો હતો.

જોકે એ શ્રેણીની છેલ્લી વન-ડે એટલે કે બીજી ડિસેમ્બર, 2020ના રોજ રમાઈ હતી જેમાં ભારતે (India) 13 રનથી વિજય મેળવીને પોતાનો વાઇટવૉશ ટાળ્યો હતો. ખુદ વિરાટે એમાં 63 રન કર્યા હતા. જોકે એ મૅચના બીજા મૅચ-વિનર્સ આ વખતની સિરીઝમાં નથી.

પાંચ વર્ષ પહેલાંની એ મૅચમાં હાર્દિક પંડ્યાએ અણનમ 92 રન અને રવીન્દ્ર જાડેજાએ અણનમ 66 રન કરીને ભારતને 302/5નો તોતિંગ સ્કોર અપાવ્યો હતો. શાર્દુલ ઠાકુરની ત્રણ તેમ જ જસપ્રીત બુમરાહ અને નટરાજનની બે-બે વિકેટ અને જાડેજા-કુલદીપની એક-એક વિકેટને કારણે ઑસ્ટ્રેલિયાની ટીમ 289 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ જતાં ભારતનો રોમાંચક વિજય થયો હતો.

ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે 1980થી 2025 સુધીમાં કુલ 152 વન-ડે રમાઈ છે જેમાંથી 84 ઑસ્ટ્રેલિયાએ અને 58 ભારતે જીતી છે. 10 વન-ડે અનિર્ણીત રહી છે. ઑસ્ટ્રેલિયાની ધરતી પર ભારતીયો એની સામે 54 વન-ડે રમ્યા છે જેમાંથી માત્ર 14 જીત્યા છે અને 38 હાર્યા છે. બે મૅચ અનિર્ણીત રહી છે.

October 18, 2025
gold-dubai.png
1min183

દિવાળીના તહેવારોનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને આજે (18મી ઓક્ટોબર) ધનતેરસની શુભ શરૂઆત છે, જેને સોનાની ખરીદી માટે અતિ શુભ માનવામાં આવે છે. જો કે, આ ધનતેરસ પર સોનાના ભાવમાં થયેલો તોતિંગ વધારો રોકાણકારોને ચોંકાવી રહ્યો છે. ગયા વર્ષની ધનતેરસની સરખામણીમાં આ વર્ષે સોનાની કિંમતમાં 60 ટકાથી વધુનો જંગી વધારો થયો છે, જેણે ગોલ્ડને રોકાણનો સૌથી સફળ વિકલ્પ સાબિત કર્યો છે.

વર્ષ 2024 ધનતેરસના દિવસે 24 કેરેટ સોનાની કિંમત પ્રતિ 10 ગ્રામ 80,510 રૂપિયા હતી. તેની સરખામણીએ આ વખતે સોનાની કિંમત 1,34,000 રૂપિયા આસપાસ પહોંચી ગઈ છે. આ દર્શાવે છે કે માત્ર એક વર્ષમાં સોનાના ભાવમાં 60 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે.

છેલ્લા પાંચ વર્ષમાં સોનાએ રોકાણકારોને સતત સકારાત્મક વળતર આપ્યું છે, જેમાં માત્ર 2020-21 નાણાકીય વર્ષમાં 5 ટકા નકારાત્મક વળતર નોંધાયું હતું. 2022-23 સોનાનું વળતર 20 ટકા, 2023-24માં સોનાનું વળતર 30 ટકાને વટાવી ગયું. વર્તમાન વર્ષ 2024-25માં સોનાનું વળતર 55 ટકા પર પહોંચી ગયું છે. જો કોઈ રોકાણકારે ગયા વર્ષે ધનતેરસ પર 1 લાખ રૂપિયાનું સોનું ખરીદ્યું હશે, તો આ ધનતેરસ સુધીમાં તેને 55,000 રૂપિયાથી વધુનો નફો થયો છે.

સોનાની કિંમતોમાં આટલો મોટો ઉછાળો હોવા છતાં, મૂલ્યની દ્રષ્ટિએ સોનાની માંગ જળવાઈ રહી છે. વર્ષ 2025માં જથ્થાની દ્રષ્ટિએ ગત વર્ષની સરખામણીએ 20 ટકા ઓછું વેચાણ થયું હોવા છતાં, તેના કુલ મૂલ્યમાં 15થી 20 ટકાનો ઉછાળો દેખાઈ રહ્યો છે, જે દર્શાવે છે કે સોનું આજે પણ સૌથી પસંદીદા રોકાણ વિકલ્પ છે.

જ્યાં એક તરફ સોનાનું રિટર્ન 55 ટકાથી વધુ રહ્યું છે, ત્યાં નિફ્ટી 50 જેવા બેન્ચમાર્કનું રિટર્ન માત્ર 3.5 ટકા જેટલું જ રહ્યું છે. ભલે શેરબજારમાં રોકાણકારોની સંખ્યા સતત વધી રહી હોય, પરંતુ ગોલ્ડનું રિટર્ન હાલમાં અનેક ગણું વધારે સાબિત થયું છે. વૈશ્વિક બજારમાં પ્રવર્તતી અનિશ્ચિતતા અને કેન્દ્રીય બેન્કો દ્વારા સતત સોનાની ખરીદી (રિઝર્વ બેન્કે ગત વર્ષે 1,180 ટન સોનાની ખરીદી કરી હતી અને આ વર્ષે પણ 1,000 ટનનો અંદાજ છે)ને કારણે સોનાની કિંમતોમાં સતત ઉછાળો આવી રહ્યો છે.

October 16, 2025
image-14.png
1min180

અમદાવાદને વર્ષ ૨૦૩૦ના શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળશે તે લગભગ નક્કી થઈ ગયું છે. કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટીવ બોર્ડે  જ ગેમ્સની જનરલ એસેમ્બલીને ૨૦૩૦ની કોમનવેલ્થ ગેમ્સના યજમાન તરીકે અમદાવાદના નામની ભલામણ કરી છે. હાલના તબક્કે અમદાવાદ એકમાત્ર એવું શહેર છે કે, જેની ભલામણ કરવામાં આવી છે. હવે જનરલ એસેમ્બલીની મિટિંગમાં ૨૬મી નવેમ્બરે અમદાવાદના નામ પર મંજૂરની મહોર મારવાની ઔપચારિકતા જ બાકી રહી ગઈ છે. 

ભારતની સાથે ૨૦૩૦ની કોમનવેલ્થ ગેમ્સની યજમાની મેળવવાની રેસમાં નાઈજીરિયાની રાજધાની અબુજા પણ હતુ. જોકે, કોમનવેલ્થ સ્પોર્ટ્સે  આફ્રિકન દેશને ૨૦૩૪ સહિતની ભાવિ ગેમ્સનું આયોજન સોંપવા માટેના દાવેદાર તરીકે સમર્થન અને વેગ આપવાની સાથે વિકસાવવાનો વ્યુહ અપનાવ્યો હતો. આ કારણે હાલની સ્થિતિમાં ગેમ્સના આયોજન માટેનું દાવેદાર એકમાત્ર અમદાવાદ જ છે. નોંધપાત્ર છે કે, કોમનવેલ્થ ગેમ્સ ૧૯૩૦માં શરુ થયો હતો અને તેની શતાબ્દી ૨૦૩૦માં પુરી થઈ રહી છે. 

કોમનવેલ્થ સ્પોર્ટ્સે એક યાદીમાં જણાવ્યું છે કે, ૨૦૩૦ની શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સના પ્રસ્તાવિત યજમાન શહેર તરીકે અમારું એક્ઝિક્યુટીવ બોર્ડ અમદાવાદના નામની ભલામણ કરવાનું નક્કી કર્યું છે. હવે અમદાવાદનું નામ હવે પૂર્ણ કોમનવેલ્થ સ્પોર્ટ્સ મેમ્બરશીપ માટે આગળ ધપાવવામાં આવશે. જ્યારે આ અંગેનો અંતિમ નિર્ણય તારીખ ૨૬મી નવેમ્બરે ગ્લાસગોમાં યોજાનારી કોમનવેલ્થ સ્પોર્ટ્સ જનરલ એસેમ્બલીમાં લેવામાં આવશે. નોંધપાત્ર છે કે, ભારતમાં ૨૦૧૦માં પણ કોમનવેલ્થ ગેમ્સનુ આયોજન થઈ ચૂક્યું છે. ત્યારે આ ગેમ્સ નવી દિલ્હીમાં આયોજીત થઈ હતી.

October 14, 2025
image-13.png
2min663

દિવાળીના પાંચ દિવસના તહેવારનું સૂંપૂર્ણ કેલેન્ડર, ધનતેરસથી લઇને ભાઇ બીજ ક્યારે છે, જાણો તારીખ અને શુભ મુહૂર્ત

દિવાળી પાંચ દિવસનો ભવ્ય તહેવાર છે. દરેક દિવસનું પોતાનું ધાર્મિક મહત્વ અને અલગ પૂજા વિધિઓ છે. આ તહેવાર ધનતેરસથી શરૂ થાય છે અને ભાઈબીજ સાથે સમાપ્ત થાય છે. ચાલો આ વર્ષે ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી (મહાલક્ષ્મી પૂજા), બેસતું વર્ષ (ગોવર્ધન પૂજા) અને ભાઈબીજ કઇ તારીખે આવે છે તે જાણીએ

દિવાળી હિન્દુ ધર્મના સૌથી મહત્વપૂર્ણ તહેવારોમાંથી એક છે. લોકો આખું વર્ષ આ તહેવારની આતુરતાથી રાહ જુએ છે. આ તહેવારને હવે થોડા દિવસો જ બાકી છે. દિવાળી ફક્ત રોશની અને ફટાકડાનો તહેવાર નથી, પરંતુ તે અંધકાર પર પ્રકાશ, બુરાઇ પર અચ્છાઇ અને અસત્ય પર સત્યના વિજયનું પ્રતીક છે.

ધનતેરસ – 18 ઓક્ટોબર

દિવાળી મહાપર્વની શરૂઆત આ દિવસ થાય છે. દેવી લક્ષ્મી અને ભગવાન કુબેરની પૂજા કરવામાં આવે છે. લોકો નવા વાસણો, સોનું, ચાંદી અને ઘરેણાં ખરીદે છે. આ વર્ષે ધનતેરસ 18 ઓક્ટોબરને શનિવારના રોજ આવે છે.

તેરસ તિથિનો પ્રારંભ : 18 ઓક્ટોબર બપોરે 12:18 વાગ્યે
તેરસ તિથિ સમાપ્ત : 19 ઓક્ટોબર બપોરે 1:51 વાગ્યે
ધનતેરસ પૂજા મુહૂર્ત: સાંજે 7:16 થી 8:20 વાગ્યા સુધી (સમયગાળો: 1 કલાક 4 મિનિટ)
પ્રદોષ કાલ: સાંજે 5:48-રાત્રે 8:20
વૃષભ કાલ: સાંજે 7:16 -રાત્રે 9:11

કાળી ચૌદસ (નરક ચતુર્દશી) – 19 ઓક્ટોબર

નરકાસુર પર ભગવાન કૃષ્ણની જીતનું પ્રતીક છે. સ્નાન અને પૂજા કરીને બુરાઇ પર અચ્છાઇની જીતની ઉજવણી કરવામાં આવે છે. તેને કાળી ચૌદસ, નરક ચતુર્દશી અને નાની દિવાળી પણ કહેવામાં આવે છે. 2025માં કાળી ચૌદસ રવિવારને 19 ઓક્ટોબરના રોજ આવશે.

અભ્યંગ સ્નાન મુહૂર્ત – સવારે 5:13 થી 6:25
સમયગાળો – 1 કલાક 12 મિનિટ

દિવાળી – 20 ઓક્ટોબર

દિવાળી મુખ્ય તહેવાર છે. ભગવાન રામ, માતા સીતા અને લક્ષ્મણના અયોધ્યા પાછા ફરવા બદલ ઉજવણી કરાય છે. ઘરોને દીવા અને રંગોળીથી શણગારવામાં આવે છે. સાંજે માતા લક્ષ્મી અને ભગવાન ગણેશ પૂજા કરવામાં આવે છે. 2025માં મહાલક્ષ્મી પૂજા 20 ઓક્ટોબરને સોમવારે થશે.

અમાસ તિથિ શરૂ: 20 ઓક્ટોબર બપોરે 3:44 વાગ્યે
અમાસ તિથિ સમાપ્ત : 21 ઓક્ટોબર સાંજે 5:54 વાગ્યે
લક્ષ્મી પૂજા મુહૂર્ત: સાંજે 7:08 થી 8:18 સુધી (સમયગાળો 1 કલાક 11 મિનિટ)
પ્રદોષ કાલ: સાંજે 5:46 – રાત્રે 8:18
વૃષભ કાલ: સાંજે 7:08 – રાત્રે 9:03
આ પણ વાંચો – ઘરમાં ગરીબી અને આર્થિક તંગીથી મુક્તિ અપાવશે કેરીના પાનની આ યુક્તિ, ભાગ્યના દરવાજા ખુલશે

પડતર દિવસ કે ધોકો – 21 ઓક્ટોબર

આ વખતે બે અમાસ હોવાના કારણે વચ્ચે પડતર દિવસ એટલે કે ધોકો આવ્યો છે. 20 ઓક્ટોબરે દિવાળી છે અને 21 ઓક્ટોબરે ધોકો છે. 22 ઓક્ટોબરે બેસતુ વર્ષ મનાવવામાં આવશે.

બેસતુ વર્ષ અને ગોવર્ધન પૂજા – 22 ઓક્ટોબર

ગુજરાતમાં નવા વર્ષની શરૂઆત થાય છે. તેને બેસતુ વર્ષ કે ગુજરાતી નવું વર્ષ કહેવામાં આવે છે. તે દિવસે બધા એકબીજાને નવા વર્ષની શુભકામના પાઠવે છે. આ દિવસે ઉત્તર ભારતમાં ગોવર્ધન પૂજા કરાય છે. 2025માં ગોવર્ધન પૂજા 22 ઓક્ટોબરને બુધવારે થશે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન કૃષ્ણએ ગ્રામજનોની રક્ષા માટે ગોવર્ધન પર્વત ઉપાડ્યો હતો. આ દિવસે અન્નકુટ તૈયાર કરવામાં આવે છે અને ગોવર્ધનની પૂજા કરવામાં આવે છે.

એકમ તિથિ શરૂ : 21 ઓક્ટોબર સાંજે 5:54 વાગ્યે
એકમ તિથિ સમાપ્ત : 22 ઓક્ટોબર રાત્રે 8:16 વાગ્યે
ગોવર્ધન પૂજા સવારનું મુહૂર્ત: સવારે 6:26 થી 8:42 (2 કલાક 16 મિનિટ)
સાંજે મુહૂર્ત: બપોરે 3:29 થી 5:44 (2 કલાક 16 મિનિટ)

ભાઈબીજ – 23 ઓક્ટોબર

દિવાળીના પાંચ દિવસના તહેવારનો છેલ્લો દિવસ ભાઇ બીજ છે. ભાઈ-બહેનના સંબંધને મજબૂત બનાવવાનો દિવસ છે. બહેનો તેમના ભાઈઓના લાંબા આયુષ્ય અને ખુશી માટે પ્રાર્થના કરે છે અને ભાઈઓ તેમને ભેટો આપે છે. 2025માં ભાઈબીજ ગુરુવારને 23 ઓક્ટોબરના રોજ છે.

બીજ તિથિ શરૂ : 22મી ઓક્ટોબરે રાત્રે 8:16 વાગ્યે
બીજ તિથિ સમાપ્ત : 23 ઓક્ટોબરે રાત્રે 10:46 વાગ્યે
ભાઈ દૂજ તિલક (બપોરે) સમય: બપોરે 1:13 થી 3:28 સુધી (2 કલાક 15 મિનિટ)

October 14, 2025
gold-silver.jpeg
1min169

દુનિયાના અનેક દેશો પર અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના જંગી ટેરિફના કારણે દરેક દેશોના અર્થતંત્ર ડામાડોળ થઈ ગયા છે. વધુમાં ટ્રમ્પે ગયા સપ્તાહે ચીન પર વધારે ૧૦૦ ટકા ટેરિફ નાંખવાની જાહેરાત કરી છે, જેના પગલે સમગ્ર વિશ્વમાં ગભરાટ ફેલાયેલો છે. આ સિવાય અમેરિકામાં ચાલુ રહેલા શટ ડાઉન, ફ્રાન્સમાં રાજકીય કટોકટી તથા ડોલરમાં નબળાઈને કારણે વૈશ્વિક સોના અને ચાંદીના ભાવમાં

સપ્તાહના પ્રારંભમાં જ સોમવારે જંગી ઉછાળો જોવા મળ્યો હતો. દિલ્હી બુલિયન બજારમાં સોમવારે ચાંદી રૂ. ૧,૭૯,૦૦૦ની ટોચે પહોંચી હતી. જ્યારે અમદાવાદ સોના- ચાંદી બજારમાં ચાંદી રૂ. ૧,૭૫,૦૦૦ પહોંચી હતી મુંબઈ બુલિયન માર્કેટમાં ચાંદી રૂ. ૧,૭૫,૩૨૫ રહી હતી. જે ૩ ટકા જીએસટી સાથે રૂ. ૧,૮૦,૫૮૪ની સપાટીએ પહોંચી હતી. વિશ્વબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે સોનામાં પ્રતિ ઔંસ ૬૫ ડોલર વધુ ઉછળીને ૪૦૮૦ ડોલર બોલાતુ હતું. આ અહેવાલોના પગલે ઘરઆંગણે પણ ધનતેરસ પહેલા જ બન્ને કિંમતી ધાતુના ભાવ નવી ઊંચી સપાટીએ પહોંચી ગયા છે. બીજીબાજુ, ચાંદી ઔંસ દીઠ ૫૧.૬૭ ડોલર મુકાતી હતી. અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમમાં ૪૫ ડોલર વધી ૧૬૪૨ ડોલર જ્યારે પેલેડિયમ ૪૨ ડોલર વધી ઔંસ દીઠ ૧૪૪૮ ડોલર મુકાતુ હતું. દિવાળી પૂર્વે વિશ્વ બજારમાં ભાવ ઊંચા ટકી રહ્યાનું સ્થાનિક બજારના સુત્રોએ જણાવ્યું હતું. વિશ્વ બજાર પાછળ સ્થાનિકમાં ભાવને ટેકો મળી રહે છે.

અમદાવાદ સોનુ ૯૯.૯૦ પ્રતિ દસ ગ્રામ રૂપિયા ૧૦૦૦ વધી ૧,૨૯,૦૦૦ જ્યારે ૯૯.૫૦ના દસ ગ્રામના ભાવ રૂપિયા ૧,૨૮,૭૦૦ બોલાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના ભાવ રૂપિયા ૫૦૦૦ વધી ૧,૭૫,૦૦૦ મુકાતા હતા. કામકાજના છેલ્લા ત્રણ દિવસમાં ચાદીમાં રૂ. ૧૫,૦૦૦નો ઉછાળો નોંધાયો છે.

મુંબઈ ઝવેરી બજારમાં કિંમતી ધાતુ વધી રહી છે. ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના જીએસટી વગરના સત્તાવાર ભાવ જે શુક્રવારે રૂપિયા ૧,૨૧,૫૨૫ રહ્યા હતા તે સપ્તાહના પ્રથમ દિવસે રૂપિયા ૨૬૩૦ વધી રૂપિયા ૧,૨૪,૧૫૫ મુકાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા એટલે કે રૂપિયા ૧,૨૭,૮૭૮ બોલાતા હતા. ૯૯.૫૦ સોનાના દસ ગ્રામના જીએસટી વગરના ભાવ રૂપિયા ૧,૨૩,૬૫૮ મુકાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. મુંબઈ ચાંદી જે શુક્રવારે જીએસટી વગર .૯૯૯ના પ્રતિ કિલો રૂપિયા ૧,૬૪,૫૦૦ હતા તે સોમવારે સપ્તાહના પ્રથમ દિવસે રૂપિયા ૧૦૮૨૫ વધી રૂપિયા ૧,૭૫,૩૨૫ મુકાતા હતા. સોમવારે જીએસટી સાથે ત્રણ ટકા ઊંચા એટલે કે રૂપિયા ૧,૮૦,૫૮૪ કવોટ થતા હતા.

દિલ્હી સોના-ચાંદી બજાર ખાતે આજે ચાંદી રૂ. ૭૫૦૦ ઉછળીને રૂ. ૧,૭૯,૦૦૦ મુકાતી હતી. જ્યારે સોનું રૂ. ૧૯૫૦ વધીને રૂ. ૧,૨૭,૩૫૦ મૂકાતું હતું.

હમાસ-ઈઝરાયલ યુદ્ધવિરામમાં આગળ વધતા ક્રુડ તેલમાં સ્થિરતા જોવા મળી હતી. નાયમેકસ ડબ્લ્યુટીઆઈ ક્રુડ તેલ પ્રતિ બેરલ ૫૯.૫૧ ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ ૬૪ડોલરની અંદર ઊતરી પ્રતિ બેરલ ૬૩.૩૩ડોલર મુકાતું હતું. ગાઝા- ઈઝરાયલ યુદ્ધ વિરામથી મધ્ય પૂર્વના વિસ્તારો ખાતેથી ક્રુડ તેલનો પૂરવઠો વધશે તેવી ધારણાંએ ભાવમાં સ્થિરતા જળવાઈ રહી હતી.

અમેરીકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર લાદેલા ટેરિફ મુદ્દે હળવું વલણ અપનાવતા અમેરિકન શેરબજારમાં આજે કામકાજના પ્રારંભે તેજી જોવા મળી હતી. ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પોસ્ટમાં લખ્યું હતું કે ચીન વિશે ચિંતા કરશો નહીં, બધું સારું થઈ જશે. યુએસએ ચીનને મદદ કરવા માંગે છે, તેને નુકસાન પહોંચાડવા નહીં. આ અહેવાલો પાછળ આજે અમેરિકન શેરબજારમાં કામકાજના પ્રારંભે ડાઉ જોન્સ ૫૯૨ પોઈન્ટ ઉછળીને ૪૬,૦૭૨ પહોંચ્યો હતો. જયારે નાસ્ડેક કમ્પોઝિટ ૪૭૩ પોઈન્ટ ઉછળીને ૨૨,૬૭૮ કાર્યરત હતો.

October 14, 2025
epfo.jpg
1min163

એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO)ના નિયમોમાં મોટા ફેરબદલ કરવામાં આવ્યા છે. EPFO બોર્ડે તેના 7 કરોડથી વધુ શેરધારકો માટે ઉદાર આંશિક ઉપાડ યોજનાને મંજૂરી આપી છે, જેનાથી હવે PF ધારકો પોતાના ખાતામાંથી 100 ટકા સુધીની રકમ ઉપાડી શકશે.

EPFOએ તેના કર્મચારીને લઈને મોટો નિર્ણય લીધો છે. જેમાં PF નિકાસ, વ્યાજ અને ડિજિટલ સેવાઓમાં ઘણા સુધારા જોવા મળશે. શ્રમ મંત્રાલયે આજે સોમવારે (13 ઓક્ટોબર) જણાવ્યું હતું કે, ‘શ્રમ મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં EPFOના નિર્ણય લેનારી સંસ્થા સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT)એ બેઠકમાં દરમિયાન મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધા છે.’

CBTએ EPFના સદસ્યોના જીવન આસાન કરવા માટે 13 જટિલ જોગવાઈઓ એકજ નિયમમાં વિલીનીકરણ કરવાનો નિર્ણય લીધો છે. આ અંતર્ગત, EPF યોજનાની આંશિક ઉપાડની જોગવાઈઓને સરળ બનાવવામાં આવી છે. ઉપાડ માટેના ખર્ચને ત્રણ શ્રેણીઓમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે, જેમાં આવશ્યક (માંદગી, શિક્ષણ, લગ્ન), રહેઠાણની જરૂરિયાતો અને ખાસ પરિસ્થિતિઓનો સમાવેશ થાય છે.

EPFOના નિયોમાં ફેરફાર કર્યા બાદ હવે PF ધારકો 100 ટકા રકમ ઉપાડી શકશે. જેમાં લોકોને શિક્ષણ માટે 10 વખત અને લગ્ન માટે 5 વખત રૂપિયા ઉપાડવાની પરવાનગી આપી છે. તમામ આંશિક ઉપાડ માટે લઘુતમ સેવા આવશ્યકતા પણ ઘટાડીને માત્ર 12 મહિના કરવામાં આવી છે. EPFO​​એ એમ પણ જણાવ્યું હતું કે, પેન્શન સંસ્થાએ પેન્ડિંગ કેસ અને ભારે દંડ ઘટાડવા માટે “વિશ્વાસ યોજના” શરૂ કરી છે. હાલમાં પેન્ડિંગ દંડની રકમ રૂ.2,406 કરોડ અને 6,000થી વધુ કેસ છે. જ્યારે હવે PF ડિપોઝિટ માટે મોડું થતાં દંડની રકમ ઘટાડીને દર મહિને 1% કરવામાં આવી છે.

EPFOમાં થયેલા 10 મોટા ફેરફારો

  • ગ્રાહકોને હવે તેમનું સંપૂર્ણ બેલેન્સ ઉપાડવાની છૂટ
  • 13 નિયમોની જગ્યાએ ઉપાડ માટે ફક્ત ત્રણ કેટેગરી
  • શિક્ષણ અને લગ્ન માટે વારંવાર ઉપાડની સગવડ
  • સેવાનો સમયગાળો ઘટાડીને 12 મહિના કરાયો
  • કોઈ કારણ જણાવ્યા વગર ઉપાડની સુવિધા
  • મિનિમમ બેલેન્સ માટે 25 ટકા રકમ રાખવી આવશ્યક
  • ઓટોમેટિક ક્લેમ સેટલમેન્ટ અને લાંબી મુદત. જેમાં કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનમાંથી આંશિક ઉપાડની પ્રક્રિયા હવે સંપૂર્ણપણે સ્વચાલિત થશે. ફાઈનલ સેટલમેન્ટ ટર્મ 2થી 12 મહિના સુધી લંબાવવામાં આવી છે. જ્યારે પેન્શન ઉપાડનો સમયગાળો 2થી 36 મહિના સુધી કરાયો છે.
  • ‘વિશ્વાસ યોજના’ હેઠળ દંડમાં રાહત. જેમાં PF ડિપોઝિટ કરવામાં મોડું થતાં દર મહિને 1% દંડ લેવાશે. જ્યારે 2 મહિનાનું મોડું થતાં 0.25% અને 4 મહિનાનું મોડું થતાં 0.50% દંડ થશે. આ યોજના 6 મહિના માટે ચાલશે અને જરૂર જણાય તો 6 મહિના વધારી શકાશે.
  • પેન્શનરો માટે ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ સુવિધા. જેમાં EPFOએ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB) સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. EPS-95 પેન્શનરો હવે તેમના ઘરેથી ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ (DLC) સબમિટ કરી શકશે. આ સેવા પેન્શનરોને મફતમાં પૂરી પાડવામાં આવશે.
  • EPFO 3.0 ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને ફંડ મેનેજમેન્ટમાં સુધારો કરશે. જેમાં EPFOએ ક્લાઉડ-આધારિત ડિજિટલ ફ્રેમવર્ક “EPFO 3.0″ને મંજૂરી આપી છે. જે ઝડપી, પારદર્શક અને સ્વચાલિત સેવાઓ પ્રદાન કરશે. EPFમાં રોકાણ પોર્ટફોલિયોને વૈવિધ્યીકરણ અને સુરક્ષિત કરવા પાંચ વર્ષ માટે ચાર ફંડ મેનેજરોની નિમણૂક કરાઈ છે.
October 13, 2025
image-12-1280x816.png
1min193

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) લાગુ કર્યાના નવ વર્ષ બાદ સરકાર દ્વારા GST સ્લેબમાં સુધારો કરવામાં આવ્યો છે. આ સુધારાના કારણે લોકોની બચત થશે અને દિવાળી સુધરશે એવો સરકારે દાવો કર્યો હતો, પરંતુ જીએસટી સ્લેબમાં થયેલા સુધારાથી ફટાકડા વેચનારા લોકોની દિવાળી સુધરે એવું લાગતું નથી. દિવાળીને અઠવાડિયું બાકી હોવા છતાં પણ ફટાકડાના ઉદ્યોગોમાં હજુ લોકોમાં ઉત્સાહ જોવા મળતો નથી. જાણીએ શું છે માર્કેટનો હાલ.

22 સપ્ટેમ્બર 2025 પહેલા GSTના ચાર સ્લેબ અમલમાં હતા, જેમાં 5 ટકા, 12 ટકા, 18 ટકા અને 28 ટકાનો સમાવેશ થતો હતો. પરંતુ 22 સપ્ટેમ્બર 2025થી માત્ર 5 ટકા અને 18 ટકા સ્લેબને અમલમાં રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, GST સ્લેબમાં ફેરફારથી દિવાળીના ટાણે પણ ફટાકટા ઉદ્યોગમાં કોઈ બરકત થઈ નથી, એવું ફટાકડા ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓએ જણાવ્યું હતું.

GST રિફોર્મમાં મોટાભાગના ઉત્પાદનોને 28 ટકા સ્લેબમાંથી 18 ટકા સુધી ખસેડવામાં આવ્યા છે. આ સુધારાથી ફટાકડા ઉદ્યોગમાં પણ 18 ટકાથી 5 ટકા સુધીનો ઘટાડો થાયની એવી વેપારીઓ આશા રાખી રહ્યા હતા, પરંતુ તેમની આ આશા પર પાણી ફરી વળ્યું છે. ફટાકડા હજી પણ 18 ટકાના ઊંચા ટેક્સ સ્લેબમાં છે, જેથી અમદાવાદ અને સમગ્ર ગુજરાતમાં આ દિવાળીએ ફટાકડાના ભાવોમાં 30 ટકાથી 50 ટકા જેટલો વધારો જોવા મળશે.

ફટાકડા ઉદ્યોગની હાલની પરિસ્થિતિને લઈને અમદાવાદમાં ફટાકડાની દુકાન ચલાવતા એક વેપારીના જણાવ્યાનુસાર, ભારે વરસાદ અને ઓછા પુરવઠાને કારણે ગત વર્ષની સરખામણીમાં આ દિવાળીએ ફટાકડા 50 ટકા મોંઘા થઈ ગયા છે. દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પૂરતું વેચાણ થશે કે નહીં, એને લઈને અમે ચિંતિત છીએ. જ્યારે ફટાકડાના અન્ય એક વેપારીના જણાવ્યાનુસાર આ વર્ષે ફટાકડાના ભાવમાં 30 ટકાનો વધારો થયો છે. જોકે, હાલ ફટાકડાનો પૂરવઠો અને વેચાણ ખૂબ ઓછું છે. આગામી અઠવાડિયાથી ખરીદી વધે તેવી આશા છે.

ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ ચેમ્બર્સ (FAIVM)ના પ્રમુખ જયેન્દ્ર તન્નાએ જણાવ્યું કે ટેક્સ સ્લેબ એકમાત્ર પડકાર નથી, પરંતુ ફટાકડા ઉદ્યોગ મોટે ભાગે અસંગઠિત રહે છે અને MRP પર કોઈ નિયંત્રણ નથી. પેકેટ પર છાપેલી કિંમત કરતાં ઉત્પાદનો ઘણા સસ્તા ભાવે વેચાય છે. MRP માત્ર એક નજીવી રકમ છે. ગ્રાહકો ભાવતાલ કરીને જ ફટાકડા ખરીદે છે.

ફટાકડા ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓના મતાનુસાર મોટા ભાગના પરિવારો ફટાકડા માટે રૂ. 1,000થી રૂ. 3,000નું બજેટ ધરાવે છે. મલ્ટિકલર સ્કાયશોટ યુવાનોમાં વધુ લોકપ્રિય છે અને તે મોંઘા હોય છે. જોકે, સ્કાયશોટની કિંમતો 60 શોટ માટે રૂ. 1,150થી લઈને 1,000 શોટ માટે રૂ. 18,000 સુધીની હોય છે. અન્ય ફટાકડાની કિંમત રૂ. 50થી રૂ. 22,000 સુધીની હોય છે, જે તેના પ્રકાર અને બ્રાન્ડ પર આધાર રાખે છે. આ સિવાય સ્પાર્કલર્સ, પેન્સિલ ક્રેકર્સ અને ચકરી જેવા નાના ફટાકડા બાળકોમાં લોકપ્રિય છે.

October 13, 2025
image-11.png
1min257

બિહારમાં વિધાનસભા ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે. બધા જ પક્ષો ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે ત્યારે લાંબી ખેંચતાણ પછી અંતે રવિવારે ભાજપ નેતૃત્વના એનડીએમાં બેઠકોની વહેંચણીનો મુદ્દો ઉકલી ગયો છે. બિહારમાં ભાજપ અને નીતિશ કુમારના જદયુ ૧૦૧-૧૦૧ બેઠકો પર જ્યારે ચિરાગ પાસવાનના લોજપ સહિતના સાથી પક્ષો બાકીની ૪૧ બેઠકો પર ચૂંટણી લડશે.

બિહારમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ ગયા પછી એનડીએમાં બેઠકોની વહેંચણી માટે ચિરાગ પાસવાન, જીતન રામ માંઝી સહિતના પક્ષોને મનાવવા ભાજપ માટે મુશ્કેલ બન્યું હતું. જોકે, ભાજપ નેતા ધર્મેન્દ્ર પ્રધાન અને જદયુ નેતા સંજય ઝાએ રવિવારે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને બેઠકોની વહેંચણીની કામગીરી સંતોષજનક રીતે પૂરી થઈ હોવાની જાહેરાત કરી હતી.

એનડીએના પક્ષોમાં બેઠકોની વહેંચણી અંગેની સમજૂતી મુજબ ભાજપ અને નીતિશ કુમારના જદયુ ૧૦૧-૧૦૧ બેઠકો પર ચૂંટણી લડશે જ્યારે ચિરાગ પાસવાનના પક્ષ લોકજનશક્તિ પક્ષ (લોજપ)ને ૨૯ બેઠકો આપવામાં આવી છે. આ સિવાય જિતનરામ માંઝીના પક્ષ ‘હમ’ અને ઉપેન્દ્ર કુશવાહાન અને ઉપેન્દ્ર કુશવાહાના પક્ષ રાષ્ટ્રીય લોક મોરચાને ૬-૬ બેઠકો ફાળવવામાં આવી છે.

સૂત્રોએ જણાવ્યું કે, પાછલી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખવામાં આવે તો બેઠકોની વહેંચણીમાં સૌથી વધુ ૧૪ બેઠકો જદયુએ છોડવી પડી છે જ્યારે ભાજપે નવ અને હમે એક બેઠક ગુમાવી છે. બેઠક વહેંચણીની ચર્ચામાં જદયુએ અગાઉની ચૂંટણીમાં તેઓ જે બેઠકો પર લડયા હતા તેમાંથી કોઈ બેઠક ચિરાગ પાસવાનના લોજપ માટે નહીં છોડવાની જીદ ચાલી નહીં.

જદયુ નેતા સંજય ઝાએ લખ્યું અમે એનડીએના સાથીઓએ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં બેઠકોનું વિતરણ કર્યું છે. એનડીએના બધા જ નેતા અને કાર્યકરો આ બેઠક વહેંચણીનું સ્વાગત કરે છે અને મુખ્યમંત્રી નીતિશ કુમારને પ્રચંડ બહુમતીથી ફરીથી મુખ્યમંત્રી બનાવવા માટે સંકલ્પ કરે છે. બિહાર ફરીથી એનડીએ સરકાર બનાવવા તૈયાર છે.

એનડીએની બેઠક વહેંચણીથી એ બાબત સ્પષ્ટ થઈ ગઈ છે કે આ વખતે મોટા ભાઈ- નાના ભાઈની ભૂમિકા ખતમ થઈ ગઈ છે, કારણ કે ભાજપ અને જદયુ બંને એક સમાન ૧૦૧-૧૦૧ બેઠકો પર ચૂંટણી લડશે. જોકે, આ બાબતના સંકેત બિહાર ભાજપના પ્રદેશ પ્રમુખ દિલીપ જયસ્વાલે પહેલાથી જ આપી દીધા હતા. તેમણે કહ્યું હતું કે, આ વખતે ચૂંટણીમાં કોઈ મોટા ભાઈ-નાના ભાઈની ભૂમિકામાં નહીં રહે.

બેઠકોની વહેંચણી માટે ચિરાગ પાસવાનને મનાવવા અનેક પ્રયત્નો થયા હતા. જોકે, આ ફોર્મ્યુલા નિશ્ચિત થયા પછી પાસવાને કહ્યું, એનડીએ પરિવારે સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં વિધાનસભા ચૂંટણી માટે બેઠકોની વહેંચણી પૂરી કરી લીધી છે. જિતનરામ માંઝીએ પણ કહ્યું કે, અમને લોકસભામાં એક જ બેઠક મળી હતી ત્યારે પણ નારાજ નહોતા અને હવે છ બેઠક મળી છે તો પણ નારાજ નથી. અમે અંતિમ શ્વાસ સુધી વડાપ્રધાન મોદી સાથે રહીશું.

October 12, 2025
image-10.png
1min293

નવી દિલ્હીઃ ભારત દરેક ક્ષેત્રમાં પોતાની આગવી છાપ છોડી રહ્યું છે. પુરૂષ હોય કે મહિલા દરેક ભારતની પ્રતિભા વધારવા માટે મહેનત કરી રહ્યું છે. તેમાં શેરી સિંહે બ્યૂટી પેજન્ટમાં પોતાની સુંદરતા અને બુદ્ધિમત્તાથી વૈશ્વિક સ્તરે ભારતનો ડંકો વગાડ્યો છે. શેરી સિંહ ‘મિસિસ યુનિવર્સ’નો ખિતાબ મેળવનારી પહેલી ભારતીય મહિલા બની છે. ફિલિપિઇન્સના ઓકાડા મનિલામાં ‘મિસિસ યુનિવર્સ’ની 48મી આવૃત્તિ યોજાઈ હતી. આમાં આખા વિશ્વમાંથી કુલ 120 જેટલા સ્પર્ધકો આવ્યાં હતાં, જે દરેકને પાછળ છોડીને શેરી સિંહે મોખરે રહીને ઇતિહાસમાં પોતાનું નામ નોંધાવી દીધું છે.

‘મિસિસ યુનિવર્સ’ની 48મી આવૃત્તિમાં શેરી સિંહે વિજેતા બની

વધારે વિગતે વાત કરવામાં આવે તો, ‘મિસિસ ઇન્ડિયા 2025’ જેનું યુએમબી Pageants દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું તેમાં જીત મેળવ્યાં બાદ શેરી સિંહે વિશ્વ કક્ષાએ ભારતનું નેતૃત્વ કર્યું હતું. આ દરમિયાન મહિલા સશક્તિકરણ અને માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ જેવા મુદ્દાઓ પર શેરી સિંહે ભાર મૂક્યો હતો. આ મુદ્દાઓના કારણે જજની પેનલ અને પ્રેક્ષકોને પ્રભાવિત થઈ ગયાં અને શેરી સિંહ ‘મિસિસ યુનિવર્સ’નો તાજ જીતનારી પહેલી ભારતીય મહિલા બની છે.

‘મિસિસ યુનિવર્સ’ શેરી સિંહે મહિલાઓ માટે શું કહ્યું?

‘મિસિસ યુનિવર્સ’નો તાજ જીત્યા બાદ શેરી સિંહે કહ્યું કે, ‘આ તાજ દરેક એવી મહિલાનો છે, જેણે ક્યારેય સીમાઓથી પરે જઈને સપનાં જોવાની હિંમત કરી છે. હું દુનિયાને જણાવવા માગતી હતી કે શક્તિ, દયા અને દૃઢતા જ સુંદરતાની સાચી વ્યાખ્યા છે’. ભારતીય મહિલાઓ દુનિયાના દરેક ખૂણામાં પોતાની પ્રતિભાના આધારે ભારતને ગૌરવ અપાવી શકે છે. આ વાતને ‘મિસિસ યુનિવર્સ’નો તાજ જીતીને શેરી સિંહે સાબિત કરી દીધી છે.

આ દેશના સ્પર્ધકોએ પણ ભાગ લીધો હતો

‘મિસિસ યુનિવર્સ’ પેજન્ટમાં ‘મિસિસ સેન્ટ પીટર્સબર્ગ’ ફર્સ્ટ રનર-અપ, ‘મિસિસ ફિલિપિઇન્સ’ સેકન્ડ રનર-અપ, ‘મિસિસ એશિયા’ થર્ડ રનર-અપ અને ‘મિસિસ રશિયા’ ફોર્થ રનર-અપ રહી હતી. આ સાથે માર્ગારીટા આઇલેન્ડ, યુએસએ, દક્ષિણ પશ્ચિમ એશિયા, બલ્ગેરિયા, મ્યાનમાર, પેસિફિક, આફ્રિકા, યુએઈ, જાપાન અને યુક્રેનના સ્પર્ધકોએ ફાઇનલમાં તેમના દેશ અને પ્રદેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું. પરંતુ અંતે જીત ભારતની થઈ હતી.

કોણ છે મિસિસ યુનિવર્સ શેરી સિંહ?

‘મિસિસ યુનિવર્સ’નો તાજ જીતનારી શેરી સિંહની વાત કરવામાં આવે તો, તે ઉત્તર ભારતના એક સામાજિક કાર્યકર અને મોડેલ છે. લાંબા સમયથી મહિલા સશક્તિકરણ અને માનસિક સ્વાસ્થ્ય જાગૃતિના ક્ષેત્રમાં કામ પણ કર્યું છે. શેરી સિંહનો 24 મે, 1990 ના રોજ દિલ્હીના નોઈડાના એક નાના ગામ મકોડામાં ગુર્જર સમુદાયમાં જન્મ થયો હતો. મૂળ તે દિલ્હીની રહેવાસી છે અને ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યોમાં ઊંડા મૂળ ધરાવે છે. શેરીએ નવ વર્ષ પહેલાં સિકંદર સિંહ સાથે લગ્ન કર્યા હતા અને એક 7 વર્ષનો દીકરો છે. શેરી સિંહે 2024માં ‘મિસિસ ભારત યુનિવર્સ’નું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમજ 2025માં તેણે ‘મિસિસ ઇન્ડિયા યુનિવર્સ’નો ખિતાબ જીત્યો હતો.

October 8, 2025
image-7.png
2min240

નવી મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર ડિસેમ્બરથી ડોમેસ્ટિક અને ઇન્ટરનૅશનલ ફ્લાઇટ્સ શરૂ થઈ જશે.

આજે ઉદ્ઘાટન થયા બાદ નવી મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ ડિસેમ્બર મહિનાથી ડોમેસ્ટિક અને ઇન્ટરનૅશનલ ફ્લાઇટ્સના સંચાલન માટે સજ્જ થઈ જશે. શરૂઆતથી જ નવી મુંબઈ ઍરપોર્ટ પર એક કલાકમાં ૧૦ ફ્લાઇટનું સંચાલન થશે. ટૂંક સમયમાં જ ઍરલાઇન્સના ઑનલાઇન પોર્ટલ પર ટિકિટ-બુકિંગ માટે મુસાફરો નવી મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટની ફ્લાઇટ માટે ‘NMI’ વિકલ્પ પસંદ કરી શકશે.

ઇમિગ્રેશન અને કસ્ટમ પ્રક્રિયાની બાબતે નવી મુંબઈ ઍરપૉર્ટની વ્યવસ્થા મુંબઈ ઍરપોર્ટ કરતાં જુદી રહેશે, નવી મુંબઈ ઍરપોર્ટના ટર્મિનલ ૧ પર સિક્યૉરિટી ચેક-ઇન પહેલાં ઇમિગ્રેશન અને કસ્ટમની પ્રક્રિયા પૂરી થઈ જશે. સાથે જ બે ઇન્ટરનૅશનલ કનેક્ટિંગ ફ્લાઇટ માટે ટ્રાન્ઝિટ પૅસેન્જરોને કસ્ટમ અને ઇમિગ્રેશનમાંથી ફરી પસાર થવું ન પડે એ માટે રૅમ્પ ટ્રાન્સફરનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો છે.

કેવી હશે નવી મુંબઈ ઍરપોર્ટની સુવિધા?

૨,૩૪,૦૦૦ ચોરસ મીટર વિસ્તારમાં ઊભું કરવામાં આવ્યું છે ટર્મિનલ ૧, જેમાં વાર્ષિક ૨ કરોડ મુસાફરોનું સંચાલન કરવાની ક્ષમતા છે.

૨૦૨૯માં નવી મુંબઈનું ટર્મિનલ ૨ કાર્યરત થશે, જે ૪,૦૦,૦૦૦ ચોરસ મીટર વિસ્તારમાં ઊભું થશે અને વાર્ષિક ૩ કરોડ મુસાફરોનું સંચાલન કરી શકશે. તબક્કાબાર ટર્મિનલ ૩ અને ૪ કાર્યરત થયા પછી નવી મુંબઈ ઍરપોર્ટ પર દર વર્ષે ૯ કરોડ મુસાફરોનું સંચાલન સરળતાથી થઈ શકશે.

ઍરલાઇન્સ માટે ૪૨ પાર્કિંગ સ્ટૅન્ડ્સ, ચાર્ટર્ડ અને પ્રાઇવેટ ઍરક્રાફ્ટ માટે ૨૩ પાર્કિંગ સ્ટૅન્ડ અને કાર્ગો માટે ૭ પાર્કિંગની વ્યવસ્થા છે.

એન્ટ્રી પૉઇન્ટ માટે પ્રત્યેક ૪ વેસ્ટિબ્યુલસમાં  ૬ પૅસેન્જર પ્રોસેસિંગ ઈ-ગેટ હશે.

ચેક-ઇન માટે ૩ આઇલૅન્ડ, કુલ ૮૮ કાઉન્ટર ને ૨૨ સેલ્ફ-બૅગેજ ડ્રૉપ કાઉન્ટર્સ હશે.

સેલ્ફ-સર્વિસ ચેક-ઇન માટે ટર્મિનલની બહાર ૨૫ અને ટર્મિનલની અંદર ૫૦ કાઉન્ટર હશે.

ડોમેસ્ટિક માટે ૧૨ ઑટોમૅટિક ટ્રે રિટ્રાઇવલ સિસ્ટમ (ATRS) લેન અને ઇન્ટરનૅશનલ માટે ૫ લેન હશે.

બોર્ડિંગ માટે ૨૯ ઍરો બ્રિજ, ૧૦ બોર્ડિંગ ગેટ હશે.

ભારતના રાષ્ટ્રીય ફૂલ કમળ પરથી પ્રેરિત આર્કિટેક્ચર, ૧૨ કૉલમ પર પાંખડીઓના આકારમાં બનેલા ઍન્કર અને આખા કમળનું વજન ઊંચકતી ૧૭ કૉલમ.

બધા જ ગેટ ડીજી યાત્રા સાથે કનેક્ટેડ હોવાથી ઝીરો મૅન્યુઅલ ચેકની સુવિધા.

ઑટોમેટેડ કમ્યુનિકેશન સાથે સ્માર્ટ ટ્રાફિક મૅનેજમેન્ટ.

ઑટોમેટેડ બૅગેજ હૅન્ડલિંગ સિસ્ટમ.

૨ લાઉન્જ, બ્રુઅરી અને બાર સાથે ફૂડ હૉલ.

નવી મુંબઈમાં આજે 8/10/25 સવારે ૬થી રાતે ૧૦ વાગ્યા સુધી ટ્રાફિક ડાઇવર્ઝન

નવી મુંબઈ ઍરપોર્ટના ઉદ્ઘાટન માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત અનેક VVIPઓ આજે નવી મુંબઈ પહોંચશે. તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટ્રાફિક-પોલીસે અમુક સૂચનાઓ આપી છે. સવારે ૬ વાગ્યાથી રાતે ૧૦ વાગ્યા સુધી ભારે વાહનોને નવી મુંબઈમાં પ્રવેશવા કે પાર્ક કરવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ભારે વાહનો વાશી અને ઐરોલી ટોલપ્લાઝા પર અટકાવી દેવામાં આવશે. અટલ સેતુ પરથી નવી મુંબઈમાં પ્રવેશતાં વાહનોને પણ ડાઇવર્ઝન આપવામાં આવ્યું છે. પ્રાઇવેટ બસ કે વાહનોમાં નવી મુંબઈ ઍરપોર્ટની મુલાકાતે આવનારાએ ટ્રાફિક-પોલીસે આપેલા નિર્દેશોનું પાલન કરવાનું રહેશે. નવી મુંબઈ ઍરપોર્ટ સુધીના રસ્તાઓ પર ભારે પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.