અત્યાર સુધી બોજ બનેલી ઉભરાટની જમીનોના ભાવ રાતોરાત ઉંચકાયા
ઉભરાટ ખાતે આવેલી સરકારની 1000 હેક્ટર સરકારી જમીન પણ સોનાની લગડી જેવી
એક બાજુ નદી એકબાજુ દરીયાને લીધે સ્થગિત થયેલો સુરતનો પોશ વિસ્તાર આભવા રોડ પર વિકાસ પામશે
સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે પ્રપોઝલ મૂકાઈ ચૂકી છે
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
સુરતના આભવાથી ઉભરાટ વચ્ચે બ્રીજ બનાવવા અંગે રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજય રુપાણીએ તા.12 ડિસેમ્બર 2020ના રોજ સુરતમાં કરેલી જાહેરાત અનેક લોકોની કિસ્મત પલ્ટી નાંખશે. અત્યાર સુધી આભવા-ઉભરાટ બ્રિજ બનવાનો છે એવી પાયાવગરની વાતોને પગલે જ આભવાથી લઇને ઉભરાટ વચ્ચે જમીનોના અબજો રૂપિયાના સોદાઓ થઇ ચૂક્યા છે, એટલે સુધી કે હવે બ્રિજ નહીં આવે એમ માનીને લોકોએ ઉભરાટ ખાતે લીધેલી જમીનો ખોટ ખાઇને પણ વેચવા માંડી હતી, પરંતુ, આજે 12મી ડિસેમ્બર 2020ના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉભરાટ બ્રિજને અનુલક્ષીને કરેલી સ્પેશયલ જાહેરાત બાદ ઉભરાટમાં જમીન, પ્લોટ લેનારાઓની કિસ્મતના બંધ દરવાજા ખૂલી જવા પામ્યા છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તા.12 ડિસેમ્બર 2020ના રોજ સુરતમાં કરેલી જાહેરાત
આ કારણોથી ઉભરાટ બ્રિજ સુરત માટે માસ્ટર સ્ટ્રોક સમાન
- સુરતના બીગબાઝારથી સીધા ડુમસ સુધીનું અંતર 13 કિ.મી. છે, ઉભરાટ બ્રિજ બન્યા પછી બીગબાઝારથી ડાબી બાજુનો રોડ પકડીએ તો 13 કિ.મી.એ ઉભરાટ આવી જશે.
- – સુરતના પોશ વિસ્તાર (અઠવા, પીપલોદ, ડુમસ)ની એક બાજુએ નદી અને એક બાજુએ સમુદ્રને લઇને પોશ વિસ્તારનો વિસ્તાર થતો અટકી ગયો છે, હવે આભવા-ઉભરાટ વચ્ચે બ્રિજને કારણે પોશ એરિયાનું ડેવલપમેન્ટ થશે.
- – સુરત મહાનગરપાલિકાએ 2015-16ના વર્ષમાં કરેલી પ્રપોઝલ કે જેના અંદાજો પણ મંજૂર થઇ ચૂક્યા છે એ ઉભરાટ-આભવા બ્રિજ અનુસાર કુલ 1.8 મીટરની લંબાઇ ધરાવતો બ્રિજ આભવા અને ઉભરાટ વચ્ચે બનશે જે સુરતનું ડિસ્ટન્સ ઘટાડી દેશે.
- – હીરાબુર્સની સાથે આભવા ઉભરાટનો બ્રિજ સમગ્ર એરિયાનું ઇકોનોમિક ઇમ્પોર્ટન્સ અને ઇકોનોમિક ગ્રોથ બન્નેને ગીયરઅપ કરશે.
- – સુરતવાસીઓને હરવા ફરવા માટે નવું ડેસ્ટિનેશન ઉભરાટ મળશે, આમેય ડુમસના દરીયા કિનારે પાણી નહીં હોવાનો પ્રશ્ન છે અને હજીરા, સુંવાલી કરતા ઉભરાટ જવાનું લોકો વધારે મુનાસિબ સમજશે.
- – આભરા-ઉભરાટ બ્રિજને કારણે વચ્ચે સૌથી મોટો ફાયદો ગુજરાત સરકારને થશે, ગુજરાત સરકારની કમસેકમ 1000 હેક્ટર જગ્યા ઉભરાટ ખાતે આવેલી છે. આ સરકારી જમીનની કિંમત સોનાની લગડી કરતા પણ વધી જશે.
- – ભૂતકાળમાં સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉભરાટ ખાતે આવેલી સરકારી 1000 હેક્ટર જગ્યા પર બનાવવાની પ્રપોઝલ મૂવ થઇ ચૂકી છે, જો આ પ્રપોઝલ ફરીથી જીવંત બનાવવામાં આવે તો હયાત સુરતનું એરપોર્ટ ડોમેસ્ટિક ફલાઇટ્સ માટે અને ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉભરાટ ખાતે નિર્માણ થઇ શકે. આ બાબતનો દારોમદાર સરકારના નિર્ણય પર નિર્ભર રહેશે.
અત્યારે આભવાથી ઉભરાટ વચ્ચે 42 કિ.મી.નું અંતર 4 કિ.મી. થઇ જશે

ઉભરાટમાં બોજ બનેલી જમીન સસ્તા વેચવા ફરતા લોકોની રાતોરાત કિસ્મત ચમકી ગઇ
આભવા-ઉભરાટ વચ્ચે બ્રિજ આવવાનો છે એવી વાતોથી પ્રેરાઇને ઉભરાટ ખાતે 2006થી જમીનો લેનારા લોકો અત્યાર સુધીમાં એટલા નાસીપાસ થઇ ગયા હતા કે ઉભરાટ ખાતેની જમીન પડતર કરતા પણ ઓછી કિંમતે વેચી દેવા ફરી રહ્યા હતા. આ રીતે જમીન લેનારાઓ હવે સસ્તા ભાવે જમીન વેચવાનો નિર્ણય ફેરવી તોળશે.
સ્થાનિક જમીન દલાલો સાથે થયેલી વાતચીત મુજબ મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉભરાટ બ્રિજની જાહેરાત બાદ પરિસ્થિતિ એટલી બદલાઇ ગઇ છે કે એવું લાગે છે કે હાલ કોવિડ-19ની સ્થિતિમાં રિયલ એસ્ટેટ માર્કેટમાં ફરજિયાત રીતે આરજો-મારજોના સોદા કરવા પડતા હતા પરંતુ, હવે ઉભરાટ, આભવાના કિસ્સામાં આરજો-મારજોના સોદા અટકી જશે.
ઉભરાટ બ્રિજ રિયલ એસ્ટેટને વેગ આપશે અનુભાઇ તેજાણી
સુરતના રિયલ એસ્ટેટ ક્ષેત્રના આગેવાન શ્રી અનુભાઇ તેજાણીએ જણાવ્યું કે ઉભરાટ આભવા વચ્ચે રૂ.200 કરોડના ખર્ચે બ્રિજ બનાવવા અંગે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ કરેલી જાહેરાત આવકાર્ય છે, આ બ્રિજને લીધે સુરત-ઉભરાટમાં ડેવલપમેન્ટ પ્રોજેક્ટસ ઝડપભેર થશે, ઉભરાટમાં સરકારની પણ મોટી જમીનો આવેલી છે, સરકારના પ્રોજેક્ટ પણ આવશે, સમગ્ર વિસ્તારને આ બ્રિજથી ફાયદો થશે.














