ગુજરાતમાં કોરોનાના યુકેના નવા સ્ટ્રેનની આખરે એન્ટ્રી થઈ ગઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદમાં લંડનથી આવેલા અને સરદાર વલ્લભભાઈ પટેલ (એસવીપી) હોસ્પિટલમાં દાખલ ચાર લોકોમાં કોરોનાના યુકેવાળા નવા સ્ટ્રેનના લક્ષણો મળ્યા હોવાનો પુણેની લેબે એકરાર કર્યો છે. જ્યારે રાજકોટમાં પણ એક યુવકનો સંદિગ્ધ પોઝિટિવ કેસ મળતા રાજ્યના આરોગ્ય તંત્રમાં ફફડાટ ફેલાયો છે.
ગુજરાતના કેટલાક જિલ્લાઓ સહિત દેશભરમાં આજથી કોરોના રસીકરણના ડ્રાય રનનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે જ કોરોનાના નવા યુકેના સ્ટ્રેનના કેસો મળતા તંત્રમાં હડકંપ મચી ગયો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં નવા સ્ટ્રેનના પાંચ દર્દીઓ નોંધાયા છે. અમદાવાદમાં લંડનથી આવેલા અને એસવીપી હોસ્પિટલમાં દાખલ ચાર લોકોમાં કોરોનાના નવા લક્ષણો મળ્યા હોવાનું પુણેની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીએ રિપોર્ટમાં જણાવ્યું છે. અમદાવાદથી 10 સેમ્પલ પુણેની લેબમાં મોકલાયા હતા, હજૂ 6 પેસેન્જરોના રિપોર્ટ આવવાના બાકી. ગઇકાલે પુણેની લેબમાં 4 કેસના પોઝિટિવ રિપોર્ટ આવ્યા હતા. અમદાવાદમાં ગત 23મીએ 175 યાત્રિકો લંડનથી આવ્યા હતા અને તેમના કોરોના ટેસ્ટ કરાયા હતા જે પૈકી ચાર લોકોમાં યુકેના નવો સ્ટ્રેન મળ્યો હોવાની પુષ્ટિ થઈ છે.
બીજીતરફ રાજકોટમાં પણ યુકેથી પરત ફરેલા એક શખ્સમાં કોરોનાનાના નવા સંભવિત લક્ષણો મળ્યા છે અને સંદિગ્ધ કેસ હોવાનું જણાય છે. આ શખ્સનો રિપોર્ટ પૂણેની લેબમાંથી આવવાનો બાકી છે. પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટના યુવકમાં કોરોનાના નવા લક્ષણો હોવાની સંભાવનાને પગલે તેને અલગ કરી આઈસોલેટ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તેના પરિવારના લોકોને પણ ક્વોરન્ટાઈન કરી તેમના એન્ટીજેન રિપોર્ટ કરવામાં આવ્યા છે. સૂત્રો પાસેથી મળતી વિગોત મુજબ રાજકોટના યુવકના પરિવારના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા હોવાથી હવે તેના પરિવારના લોકોમાં કોરોનાના નવા સ્ટ્રેનનના લક્ષણો છે કે કેમ તે જાણવા તેમના રિપોર્ટ પૂણે મોકલવામાં આવ્યા છે.














