ગુજરાત Archives - Page 47 of 157 - CIA Live

February 15, 2021
vijay_rupani_pti-sixteen_nine.jpg
1min658

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવતા રાજ્યમાં આ સમાચાર ભારે વાઇરલ થયા છે. તા.14મી ફેબ્રુઆરીએ વડોદરામાં બનેલી ઘટના બાદ તેમને સારવાર માટે અમદાવાદમાં યુએન મહેતા હાર્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બધા રિપોર્ટ નોર્મલ આવ્યા હતા પરંતુ, તેમનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મુખ્યમંત્રી વિજય રુપાણીને કોરોના વાયરસના લક્ષણો પણ હળવા હોવાનું ડોક્ટરો દ્વારા જણાવવામાં આવ્યું છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આ મહિને યોજાઈ રહી છે જેને લઈને વિવિધ પક્ષો પૂરજોશમાં પ્રચાર અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે. આ પ્રચાર અભિયાન દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણી વડોદરામાં પ્રચાર માટે પહોંચ્યા જ્યાં તેઓ સ્ટેજ પર જ ચક્કર આવતા ફસડાઈ પડ્યા હતા. આ પછી તાત્કાલિક તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને તેમના વિવિધ જરુરી રિપોર્ટ્સ પણ કરવામાં આવ્યા હતા જે સામાન્ય આવ્યા છે.

યુએન મહેતા હોસ્પિટલ દ્વારા જારી કરાયેલા હેલ્થ બુલેટિનમાં જણાવવામાં આવ્યું છે કે, મુખ્યમંત્રી રુપાણીની તબિયત સ્થિર છે. બુલેટિનમાં જણાવવવામાં આવ્યું છે કે રુપાણીના ECG, 2D Echo, બ્લડ ટેસ્ટ વગેરે નોર્મલ આવ્યા છે જોકે, તેમનો RT-PCR કોરોના ટેસ્ટ લેવામાં આવ્યો હતો જેનો રિપોર્ટ આજે સવારે આવ્યો છે અને તે પોઝિટિવ છે. જેથી તેમને વધુ સારવાર માટે યુએન મહેતા હોસ્પિટલમાં જ દાખલ કરવામાં આવ્યા છે. જોકે, લક્ષણો હળવા હોવાનું જણાવવામાં આવ્યું છે.

February 5, 2021
election_coverage-1280x1047.jpg
1min403

Gujarat રાજ્યની 6 મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદ, રાજકોટ, જામનગર, ભાવનગર, વડોદરા, સુરત અને જૂનાગઢ મહાનગરની બે બેઠક (પેટા ચૂંટણી)ની ૨૧ ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણીમાં કુલ ૧,૧૪,૯૯,૬૦૭ મતદાર મતદાન કરીને નક્કી કરશે કે રાજ્યના મહાનગરો પર ભાજપ રાજ કરશે, કોંગ્રેસનું શાસન આવશે કે પછી આપ મેદાન મારી જશે.

આમ તો ગુજરાતના શહેરી વિસ્તારો ભાજપાના મજબૂત ગઢ મનાય છે. ભાજપના ગઢ ગણાતા મહાનગરોમાં કોંગ્રેસ માટે ગાબડું કેવી રીતે પાડવું તે સૌથી મોટો પડકાર છે ત્યારે આ વખતે મહાનગરોની ચૂંટણીમાં કુલ ૫૪,૩૦૫ જેટલા નવયુવાનો જેઓ ૧૮ વર્ષના છે, તે પણ મહત્ત્વનો ભાગ ભજવશે. 

કોંગ્રેસે ૨૦૧૫ની ચૂંટણીમાં ભાજપ શાસિત અનેક જિલ્લા પંચાયતો ઉપર કબજો જમાવ્યો હતો, પરંતુ શહેરી વિસ્તારોમાં ભાજપની મજબૂત પક્કડ છે તેમાં કેવી રીતે કોંગ્રેસ સફળતા મેળવે છે તેની ઉપર આ વખતે તમામની નજર છે. રાજ્યના સૌથી મોટા મહાનગર એવા અમદાવાદમાં ૨૪.૧૪ લાખ પુરુષ અને ૨૨ લાખ મહિલા મતદારો સાથે કુલ ૪૬.૨૪ લાખ મતદારો છે. આટલા વિશાળ સમુદાય સુધી પહોંચીને કેવી રીતે જે ભાજપ સમર્થિત મતદારો છે તેમને કોંગ્રેસ તરફી કરવા તેની કોંગ્રેસના નેતાઓ માટે આકરી કસોટી થશે. ૧૮ વર્ષ ઉપરના પ્રથમ વખત મતદાન કરનારા મતદારોથી લઇને સંખ્યાબંધ મતદારો જેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કારણે ભાજપના કોઇપણ ઉમેદવાર હોય તેને આંખો બંધ કરીને મત આપે છે. તેમને કોંગ્રેસ માટે મતદાન કરવા સમજાવવા તે કોંગ્રેસની થીન્ક ટેન્ક માટે સૌથી કપરી કામગીરી છે. તો ૮૦ વર્ષથી વધુ વયના મતદારો પણ મહાનગરોમાં મોટી સંખ્યામાં છે. 

February 5, 2021
bjp_logo.png
1min420

ગઇ તા.3 ફેબ્રુઆરી સુધી એવી અપેક્ષાઓ સેવાઇ રહી હતી કે આ વખતે ગુજરાત ભાજપ મહાનગરોના ઉમેદવારોને સિલેકશનમાં નોંધપાત્ર સંખ્યામાં મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી શકે છે, જોકે અપેક્ષાથી બિલકુલ વિપરીત ગુજરાત ભાજપાએ તા.4 ફેબ્રુઆરીએ જાહેર કરેલી સુરત મહાનગરપાલિકા અને અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીના પોતાના ઉમેદવારોના લિસ્ટમાં લઘુમતી સમુદાયના એકપણ ઉમેદવારને ટિકિટ આપી નથી.

સુરતમાં રાંદેર, નવસારીબજાર, ગોપીતળાવ, મુગલીસરા, લિંબાયત, ઉન, ઉધના, ઝાંપાબજાર, ચોકબજાર વગેરે વિસ્તારોમાં બહુલ મુસ્લિમ વસતિ છે, એવી જ રીતે અમદાવાદમાં મુસ્લિમનું પ્રભુત્વ ધરાવતા જમાલપુર, દરીયાપુર, સરખેજ, મક્તમપુરા, બહેરામપુરા, દાણીલીમડા, સરસપુર અને રખિયાલનો સમાવેશ થાય છે. આમ છતાં ભાજપે એકપણ મુસ્લિમ ઉમેદવારોને ટિકીટ આપી નથી.

અગાઉ વર્ષ 2015માં પણ ભાજપે અમદાવાદની મનપાની ચૂંટણીમાં પહેલીવાર સરખેજ, બહેરામપુરા, અને જમાલપુરમાં ચાર મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી હતી. આટલું જ નહીં પાર્ટીએ પોતાના સરખેજના ઉમેદવાર નિવૃત્ત IPS અધિકારીને મેયરના ઉમેદવાર માટે વાત કરી હતી. જોકે તમામ ઉમેદવારો પોતાના વોર્ડમાં હારી ગયા હતા.

February 3, 2021
CIA_Live_Logo_New2.jpg
2min747

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

એક જાગૃત નાગરિક હક-અધિકારની લડાઇ લડે તો એ ભલભલા સિંહાસનોને ડોલાવી શકે, ઇતિહાસ ગવાહ છે એવું નથી કહેતો પણ આવો જાગૃત નાગરિક હાજરાહજૂર છે. એક સુરતી (કાઢીયાવાડી) એ ટોરન્ટ પાવર સામે એકલા હાથે લડીને વીજ બિલમાં 14 પૈસાનો ઘટાડો કરાવ્યો છે. આ લડતનો હકદાર કોઇ સંસ્થા, ટ્રસ્ટ કે રાજકીય પાર્ટી નથી પણ એકલો વ્યક્તિ છે અને એ સુરતીનું નામ છે મન્સુખભાઇ નાનજીભાઇ ખતરી (ખોરાસીયા). મૂળ અમરેલીના બગસરાના વતની અને હાલ સુરતના અલથાણ ટેનામેન્ટમાં રહેતા મનસુખભાઇએ ટોરન્ટ કંપની સામે ગુજરાત ઇલેક્ટ્રીક રેગ્યુલેટરી કમિશનમાં અરજી કરી હતી અને જીઇઆરસીએ તેમની અરજી ગ્રાહ્ય રાખીને ગુજરાતના ટોરન્ટ પાવર કંપનીના લાખો ગ્રાહકોના વીજ બિલમાં 14 પૈસાની રાહત આપવી પડી છે.

લડાઇ લડવા ટોળાની જરૂર જ નથી, એક વ્યક્તિ કાફી છે એ પુરવાર કરી આપ્યું છે મનસુખભાઇ ખોરાસીયાએ

મનસુખભાઇ નાનજીભાઇ ખતરીએ ટોરન્ટ પાવરના લાખો કસ્ટમર્સને વીજબીલમાં 14 પૈસાનો ફાયદો કરાવ્યો

સમગ્ર હકીકત અંગે મનુસખભાઇ નાનજીભાઇ ખતરીએ સી.આઇ.એ. લાઇવને આપેલી માહિતી મુજબ આંતર રાષ્ટ્રીય સ્તરે સી.એન.જી. (ગેસ)ના દરોમાં ઘટાડો થતા ગુજરાત સરકારે પણ ગેસના દરોમાં ઘટાડો કર્યો હતો. સુરતના મનસુખભાઇએ આ બાબતને આધારસ્તંભ બનાવીને ટોરન્ટ પાવર કંપનીને અરજી કરી હતી કે આંતર રાષ્ટ્રીય સ્તરે ગેસના ભાવો ઘટ્યા છે અને ટોરન્ટ કંપનીના બધા જ પાવર જનરેશન પ્લાન્ટ ગેસ બેઝ છે, આવી સ્થિતિમાં ગેસના ઘટેલા ભાવોનો લાભ ટોરન્ટ પાવર કંપનીના દરેક ગ્રાહકોને આપવો જોઇએ.

મનસુખભાઇએ ટેકનિકલ મુદ્દો ઉઠાવતા Fuel Power Purchase Price Adjustment. The FPPPA charge માં કુલ 21 પૈસાનો ઘટાડો કરીને તેનો સીધો લાભ સુરત, અમદાવાદ, ગાંધીનગર ખાતેના ટોરન્ટ કંપનીના લાખો કસ્ટમર્સને આપવો જોઇએ. આ અંગે આધારભૂત પુરાવાઓ સાથે ટોરન્ટ કંપનીને રજૂઆત કરી હતી.

પરંતુ, મનસુખભાઇના કહેવા મુજબ ટોરન્ટ કંપનીએ તેમની રજૂઆતોનો એકાદ મહિના સુધી કોઇ જ રિસ્પોન્સ કે રિપ્લાય નહીં આપતા મનસુખભાઇ ખતરીએ ગુજરાત ઇલેક્ટ્રીસિટી રેગ્યુલેટરી કમિશન સમક્ષ મામલો દર્જ કરાવીને ત્યાં પણ ઉગ્ર રજૂઆતો કરી હતી.

આંતર રાષ્ટ્રીય સ્તરે જ્યારે ગેસના ભાવો ઘટ્યો છે, ગુજરાત સરકારે પણ ગેસના ઘટેલા ભાવોને પગલે Fuel Power Purchase Price Adjustment. The FPPPA charge ઘટાડ્યા હોય તો ટોરન્ટ પાવરે ગેસ ઘટાડાનો લાભ કસ્ટમર્સને કેમ નહીં આપવો જોઇએ આ પ્રશ્ને જીઈઆરસીના અધિકારીઓએ પણ મનસુખભાઇની અરજી ગ્રાહ્ય રાખીને ટોરન્ટ કંપનીને Fuel Power Purchase Price Adjustment. The FPPPA chargeમાં મનસુખભાઇની 21 પૈસાના ઘટાડાની માગણી નહીં પણ 14 પૈસા ઘટાડાની માગણીને ગ્રાહ્ય રાખવો સૂચના આપી છે.

ટોરન્ટના બિલમાં આ રીતે અસર જોવા મળશે

સુરત, અમદાવાદ, ગાંધીનગર ખાતે ટોરન્ટ પાવર કંપનીના કસ્ટમર્સને ફેબ્રુઆરી 2021 માસના બિલમાં Fuel Power Purchase Price Adjustment. The FPPPA charge રૂ.1.97 પૈસા લખાઇને આવશે. જે ગત મહિના બિલ સુધી રૂ.2.11 પૈસા હતો. આમ, મનસુખભાઇની લડતને કારણે ટોરન્ટ કંપનીના હજારો કસ્ટમર્સને તેમના ઇલેક્ટ્રીક બિલમાં 14 પૈસીનો ઘટાડાનો લાભ મળશે.

Advertisement

February 2, 2021
bjp_logo.png
1min430

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી માટે રાજ્ય ભાજપા પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકોનો દૌર તા.1 ફેબ્રુઆરી 2020થી શરૂ થયો હતો. પહેલી બેઠકમાં દાવેદારોને ટિકિટ આપવા બાબતે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે જાહેર કર્યું હતું કે,’ બેઠકમાં નક્કી કર્યા પ્રમાણે, ભાજપ દ્વારા 60 વર્ષ કે, તેથી વધારે ઉંમરના નેતાઓને ટિકિટ આપવામાં આવશે નહીં. સાથે જ પરિવારવાદને લઇને સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, ભાજપના હોદ્દેદાર કે નેતાના પરિવારના સભ્યોને ટિકિટ આપવામાં આવશે નહીં. આ ઉપરાંત ત્રણ ટર્મથી જે પણ કોર્પોરેટરો ચૂંટાયા છે. તેમને પણ ટિકિટ આપવામાં આવશે નહીં. આમ, સીઆર પાટીલની આ જાહેરાત ચૂંટણી લડવા માગતા અનેક નેતાઓના સપનાં પર પાણી ફેરવી દીધું છે.

ભાજપા અધ્યક્ષ સીઆર પાટીલે કરેલી જાહેરાત બાદ ગુજરાત ભાજપમાં સિનિયર નેતાઓ નારાજ થયા છે જ્યારે બહુમતિ કાર્યકરોમાં ખુશી પ્રવર્તી ઉઠી છે, ભાજપાના નિર્ણયને પગલે અનેક નવયુવાનોને સ્થાન મળે તેવી શક્યતા જોવાય રહી છે.

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને’ આજે પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકની શરૂઆત થઇ હતી. તેમાં પહેલા મહાનગરના અને ત્યારબાદ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારોની પસંદગી માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.

મુખ્યપ્રધાન, નાયબ મુખ્યપ્રધાનની ઉપસ્થિતિમાં સૌ આગેવાનોને સાંભળ્યા બાદ પાર્ટીમાં સંકલન સમિતિ અને પાર્લામેન્ટ્રી બોર્ડમાં નિર્ણય કરવામાં આવ્યો હતો કે, 60 વર્ષથી વધારે ઉંમરવાળા કાર્યકર્તાને ટિકિટ નહીં આપવી, જેની 3 ટર્મ પૂર્ણ થઈ હોય તેને ટિકિટ નહીં આપવી, કોઈ આગેવાનોના સગાને ટિકિટ નહીં આપવી. આ પ્રકારનો નિર્ણય થયો છે. ખૂબ સારા રિસ્પોન્સ સાથે ચયન પ્રક્રિયા ખૂબ સરળતાથી ચાલી રહી છે.

પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે 55 વર્ષ ઉપરનાને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટીકીટ નહીં અપાય તેવી જાહેરાત કરી હતી. પરંતુ ભાજપમાં મોટાપાયે ઉંમરની મર્યાદાને લઇને અસંતોષ જોવા મળ્યો હતો. જેને ખાળવા માટે આજે મળેલી સંકલનની બેઠકમાં 55 વર્ષની જગ્યાએ હવે 60 વર્ષની વયમર્યાદા નક્કી કરવામાં આવી છે.

બીજી બાજુ વોર્ડ મહામંત્રીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટીકીટ નહીં ફાળવવા કરાયેલા નિર્ણય સામે પણ કચવાટ ઉભો થવા પામ્યો છે.

  • અમદાવાદ શહેરના ભાજપના 142 કોર્પોરેટરોમાંથી 20 કોર્પોરેટરો 3 ટર્મ કરતા વધુ સમયથી હોવાથી તેમને તક નહીં મળે. અમદાવાદમાં 3 કોર્પોરેટરો 5 ટર્મથી છે, 7 કોર્પોરેટરો 4 ટર્મથી ચૂંટાયેલા છે. જ્યારે 10 કોર્પોરેટરો 3 ટર્મથી ચૂંટાયેલા છે. આમ આ તમામ 20 કોર્પોરેટરોને ટીકિટ નહીં મળે.
  • વડોદરામાં 8 કોર્પોરેટરો 3 ટર્મથી વધુ સમયથી ચૂંટાતા આવ્યા છે તેઓને પણ ટીકીટ નહી મળે.
  • સુરત મહાનગરપાલિકામાં 13 કોર્પોરેટરો સતત 3 ટર્મથી ચૂંટાતા આવ્યા છે જ્યારે 14 કોર્પોરેટરો 60 વર્ષથી ઉપરના છે આમ, સુરતમાં 27 કોર્પોરેટરોની દાવેદારી ઉપર પૂર્ણવિરામ મુકાઇ ગયું છે.

January 27, 2021
backtoschool.png
1min570

ગુજરાતમાં ધોરણ 10 અને 12ની જેમ હવે ધોરણ 9-11ની શાળાઓ શરૂ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરાત કરી કે, 1 ફેબ્રુઆરીથી ધોરણ 9 અને 11નાં વર્ગો શરૂ કરવામાં આવશે. આ સાથે જ ધોરણ 9થી 12 સુધી ટયુશન કલાસ પણ શરૂ કરાશે. શાળા અને ટ્યૂશન ક્લાસીમાં તમામ SOPનું પાલન કરવાનું રહેશે.

ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરાત કરી છે કે રાજ્યમાં ધોરણ 9 અને 11ની શાળાઓ પહેલી ફેબ્રુઆરીથી શરુ કરાશે. તે ઉપરાંત કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે ધોરણ 9-12 ટ્યુશન ક્લાસીસ શરુ કરવાની મંજુરી પણ આપવામાં આવી છે. ધોરણ 9 અને 11ના વર્ગો શરૂ કરવા માટે 8 જાન્યુઆરીએ શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી SOPનું પાલન કરવાનું રહેશે.

જિલ્લા શિક્ષણ અધિકારીના પરિપત્રમા જણાવવામાં આવ્યું છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની કચેરીને મળેલી રજુઆતોને ધ્યાને લેતાં કોરોનાની પરિસ્થિતિમાં શૈક્ષણિક વર્ષ 2020-21માં ધોરણ 9થી 12માં પ્રવેશથી વંચિત રહી ગયેલા વિદ્યાર્થીઓને 31 જાન્યુઆરી સુધી સ્કૂલમાં પ્રવેશ આપી શકાશે. વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ મેળવવા માટેની આ છેલ્લી તક આપવામાં આવે છે.

રાજ્યમાં ધોરણ 9 અને 11ની સ્કૂલો પહેલી ફેબ્રુઆરીથી શરૂ થશે, ટ્યૂશન ક્લાસીસને પણ મળી મંજૂરી, તમામ SOPનું ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે

January 23, 2021
gujrat-012.jpg
1min482

નગરપાલિકા અને પંચાયતો માટે 28 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે

ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કામાં મહાનગરપાલિકા અને બીજા તબક્કામાં નગરપાલિકા અને પંચાયતોની ચૂંટણી યોજાશે.

છ મહાનગરપાલિકાઓ માટે 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને 23મી ફેબ્રુઆરીએ મતગણતરી કરવામાં આવશે.

31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતો તથા 81 નગરપાલિકાઓ માટે 28 ફેબ્રુઆરીએ મતદાન થશે જેની મતગણતરી બીજી માર્ચે કરવામાં આવશે.

ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ દ્વારા તમામ જિલ્લા કલેક્ટરો સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા એક સમીક્ષા બેઠક યોજાઈ હતી જેમાં કોરોનાકાળ વચ્ચે ચૂંટણી યોજાવાની હોવાથી મતદાન મથકોએ ચૂંટણી સ્ટાફ તથા પોલીસને ફેસશિલ્ડ, સેનિટાઈજર તથા માસ્ક પૂરા પાડવામાં આવશે.

મતદાન મથકોએ પણ મતદારો માટે સેનિટાઈઝરની વ્યવસ્થા કરવામાં આવશે. કોરોનાનો ચેપ ન ફેલાય તેની તકેદારીના ભાગ રૂપે માસ્ક અને સેનિટાઈઝર જેવી વ્યવસ્થા પર વધારે ભાર મૂકવામાં આવ્યો હતો.

January 20, 2021
republic.jpg
1min762

પ્રજાસત્તાક દિન ૨૬મી જાન્યુઆરી-૨૦૨૧ની રાજ્યકક્ષાની ઉજવણીનું આયોજન દાહોદ જિલ્લાના વડામથક ખાતે કરાયું છે. અહીં મુખ્યમંત્રી વિજય રૂપાણી ધ્વજવંદન કરાવશે. વિધાનસભાના અધ્યક્ષ ખેડા જિલ્લામાં ધ્વજવંદન કરશે અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ વડોદરા ખાતે ધ્વજવંદન કરશે.

  • દાહોદ ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી
  • વડોદરા ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ
  • આર સી ફળદુ સુરેન્દ્રનગરમાં,
  • ભુપેન્દ્રસિંહ ચુડાસમા રાજકોટમાં,
  • સૌરભ પટેલ અમદાવાદમાં,
  • કૌશિક પટેલ ગાંધીનગરમાં,
  • ગણપત વસાવા સુરતમાં,
  • જયેશ રાદડીયા કચ્છમાં,
  • ઈશ્ર્વર પરમાર નવસારીમાં,
  • કુંવરજી બાવળીયા ભાવનગરમાં અને
  • જવાહર ચાવડા ગીરસોમનાથ ખાતે ધ્વજવંદન કરશે.

જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી રૂપાણી મંત્રીમંડળના રાજ્યકક્ષાના મંત્રીઓ વિવિધ જિલ્લામાં કરશે. જેમાં

  • પ્રદીપસિંહ જાડેજા પંચમહાલ,
  • બચુ ખાબડ છોટાઉદેપુર,
  • જયદ્રથસિંહ પરમાર આણંદ,
  • ઈશ્ર્વરસિંહ પટેલ વલસાડ,
  • વાસણ આહીર પાટણ,
  • વિભાવરીબેન દવે મહેસાણા,
  • રમણ પાટકર અરવલ્લી,
  • કિશોર કાનાણી ભરૂચ,
  • યોગેશ પટેલ તાપી અને
  • ધર્મેન્દ્રસિંહ જાડેજા અમરેલી ખાતે ધ્વજવંદન કરશે.

રાજ્યના ૧૦ જિલ્લામાં કલેક્ટરના હસ્તે ધ્વજવંદન થશે.

જેમાં મોરબી, મહીસાગર, જૂનાગઢ, બનાસકાંઠા, દેવભૂમિદ્વારકા, પોરબંદર, નર્મદા, સાબરકાંઠા, બોટાદ અને ડાંગ જિલ્લામાં ત્યાંના કલેક્ટર ધ્વજવંદન કરશે.

January 16, 2021
Gujarat-map.jpg
1min484

આજથી ગુજરાત રાજ્યના કુલ 161 સ્થળોથી રસીકરણનો પ્રારંભ સવારે સાડા દસ વાગ્યાના ટકોરે કરવામાં આવ્યો છે. આજથી પ્રથમ તબક્કામાં ફક્ત આરોગ્યકર્મીને વેક્સિન આપવામાં આવી રહી છે. જુદા જુદા વેક્સિન કેન્દ્રો પર રાજ્યના પ્રધાનો અને આગેવાનોની ઉપસ્થિતિમાં આરોગ્ય કર્મચારીઓને વેક્સિન આપવામાં આવી રહી છે.

અમદાવાદમાં 16, સૂરતમાં 14 અને વડોદરામાં 10 સેન્ટર પરથી વેક્સિન આપવામાં આવી રહી છે.

એ પૂર્વે કોરોના વાયરસ સામેની આ લડત માટે પુણેની સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડિયાએ બનાવેલી કોવિશીલ્ડ કોરોના વેક્સિન ગુજરાત આવી ગઈ છે. હાલ તંત્ર દ્વારા 16મી જાન્યુઆરીએ થનારા રસીકરણની તૈયારીઓ કરી લેવામાં આવી છે, જેમાં ડિસ્ટ્રિબ્યુશનથી લઈ સ્ટોરેજ સહિતની તમામ રીતે તંત્ર સજ્જ થઈ ગયું છે.

January 6, 2021
bhupendrasinh-chudasama-1280x720.jpg
1min449

રાજ્ય સરકાર દ્વારા શાળા અને કોલેજો શરૂ કરવા અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે. આગામી 11 જાન્યુઆરીથી શાળા અને કોલેજો શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ અંગે જાહેરાત કરી છે. 

આજે મળેલી કેબિનેટની બેઠકમાં શાળા અને કોલેજો શરૂ કરવા અંગે નિર્ણય લેવાયો છે. કેન્દ્ર સરકારની કોરોનાની ગાઈડલાઈન મુજબ શાળાઓ શરૂ કરવા માટે રાજ્ય સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ધોરણ 10 અને 12, પીજી, યુજીના છેલ્લા વર્ષનું શિક્ષણ કાર્ય શરૂ થશે.

રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કેબિનેટની બેઠક બાદ જાહેરાત કરી છે કે, રાજ્ય સરકારે ધોરણ 10 અને ધોરણ 12ના વર્ગ 11 જાન્યુઆરીથી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. સાથે જ ઓનલાઇન શિક્ષણ પણ ચાલુ રહેશે. આગામી અન્ય ઘોરણોના ક્લાસ શરૂ કરવા અંગે તબક્કાવાર નિર્ણય લેવામાં આવશે અને સરકાર દ્વારા તેની જાહેરાત કરવામાં આવશે. 

શિક્ષણ મંત્રીએ કહ્યું કે, શાળામાં વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત નથી. નિયમોના પાલનની જવાબદારી અધિકારી, આચાર્યની રહેશે. અન્ય ધોરણો અંગે પણ તબક્કાવાર નિર્ણય લેવામાં આવશે. સાથે જ વાલીઓએ સંમત્તિપત્ર આપવો પડશે. ધોરણ-9-10-11-12ના વર્ગો ઓડ ઇવન સિસ્ટમથી શરૂ થશે. વિદ્યાર્થીઓના વાલીઓએ કે માતા-પિતાની સંમત્તિ લેવી ફરજિયાત છે. જો કોઇ વાલી પોતાના વિદ્યાર્થીને સ્કૂલમાં મોકલવામાં ના માંગતો હોય તો તેના માટે ઓનલાઇન શિક્ષણ વર્ગ પણ ચાલુ રહેશે.