CIA ALERT

ગુજરાત Archives - Page 156 of 158 - CIA Live

May 26, 2018
G.k._general_hospital-1280x960.jpg
1min13120

વડા પ્રધાન રાહત ભંડાળમાંથી રૂ.150 કરોડના ખર્ચે બનેલી અદાણી જી. કે. હૉસ્પિટલ હંમેશાં ચર્ચામાં રહી છે. જયારથી અદાણીને સંચાલન સોંપાયુ ત્યાર પછી બેદરકારીના કિસ્સાઓ પ્રકાશમાં આવતા રહ્યા છે ત્યારે હવે હૉસ્પિટલમાં ઉપરાઉપરી થઇ રહેલા બાળકોના મોતને લઇને હૉસ્પિટલ સામે ગંભીર આરોપો થઇ રહ્યા છે. 22 તારીખે એક બાળકના મોત બાદ આ મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો છે.

23 મી તારીખે આ મુદ્દે વાલીઓ સાથે બાળકોના મોત મામલે વિરોધ પ્રદર્શિત કરી આક્ષેપ કરાયો હતો કે 20 દિવસમાં 26 બાળકોના મોત થયા છે. આ અંગે અદાણીના સંચાલકો સામે વિરોધ નોંધાવી તપાસની માગ સાથે જાગૃતોએ મામલો ગંભીર હોવાનુ જણાવ્યુ હતુ. જો કે, હૉસ્પિટલ સત્તાધીશોએ આક્ષેપો ફગાવવા સાથે બાળકોનો મૃત્યુદર ઘટ્યો હોવાનો ખુલાસો કર્યો હતો, પરંતુ આ મામલાએ વિવાદ પકડતાં હવે જિલ્લા કલેકટર રેમ્યા મોહને તપાસ અહેવાલ મંગાવવા સાથે સંપૂર્ણ ઘટનાની માહિતી સંચાલકો પાસેથી મેળવવાના આદેશ કર્યા છે. તેની સંપૂર્ણ ચકાસણી બાદ કલેકટર આ મુદ્દે કોઇ કાર્યવાહી કરી શકે છે. આ આક્ષેપોને પગલે ગાંધીનગરથી આરોગ્ય વિભાગની એક ટીમ કચ્છ મોકલવાનું નક્કી કર્યું છે. એક તરફ કચ્છમાં પ્રાથમિક આરોગ્ય સુવિધાનો અભાવ છે. તેવામાં સ્વાભાવિક છે. કે લોકોને અપેક્ષા હોય કે જિલ્લાની મુખ્ય સરકારી હૉસ્પિટલ તેમના માટે આશીર્વાદરૂપ સાબિત થાય, પરંતુ સરકારે જે ઉદ્દેશ સાથે અદાણી ગ્રુપને સંચાલન સોંપ્યુ હતુ તેમાં અદાણી ગ્રુપ ઊણું ઉતર્યું હોવાના પણ આક્ષેપો કૉંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યા છે. દરમિયાન છેલ્લા પાંચ મહિનામાં અદાણી જી. કે. હૉસ્પિટલમાં 111 બાળકોના મોત થયા હોવાનું પણ પ્રકાશમાં આવ્યું છે.

May 26, 2018
dabhoi-1.jpg
1min13140

ગુજરાતના કેવડીયા ખાતે આકાર લઇ રહેલી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સરદાર વલ્ લભભાઇ પટેલના સ્ટેચ્યુ ઓફ યુનિટિ સુધી હવે વડોદરાથી રાજપીપળા સુધી ઝડપી ટ્રેન દોડાવવા માટેની કવાયત શરૂ થઇ ગઇ છે. જેના ભાગરૂપે વડોદરા જિલ્લાના ડભોઇ નગરને એશિયાખંડના પ્રથમ નંબરના નેરોગેજ જંક્શનનું બિરુદની ભેટ આપનાર નેરોગેજ હવે તારીખ 25મી મેથી એક ભૂતકાળ બની ગઇ છે.

હાલ ડભોઇ-કરજણ-ચાંદોદ અને ડભોઇ-ચાંદોદ વચ્ચે દોડતી બાપુ ગાડી રેલવે તંત્ર દ્વારા ગેજ પરિવર્તન કરવાની કામગીરી હાથ ધરવામાં આવનારી હોય યાત્રાધામ ચાંદોદની ટ્રેનનો રૂટ બંધ કરી દેવામાં આવ્યો છે. આમ રજવાડી શાશનથી આ રૂટ પર દોડતી આ બાપુગાડીની 139 વર્ષની આપેલી સેવા બાદ 25-5- 2018 થી ડભોઇમાંથી ગાયબ થઇ જવા પામ્યો છે.

1819માં એપ્રિલ મહિનાથી ગાયકવાડી સાશનમાં ડભોઇ-ચાંદોદનો આ નેરાગેજ ટ્રેક ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આજે આ ટ્રેકને પૂરા 139 વર્ષ થઇ ગયાં છે, ત્યારે વિકાસની દોડ દોડતા આ ગુજરાતમાં નર્મદા ડેમ ખાતે આકાર લઇ રહેલાં સ્ટેચ્યુ ઓફ યુનિટિ ને લઇ ને ડભોઇ પંથકમાં દોડતી બાપુગાડીઓમાં પણ પરિવર્તનનો પવન ફુંકાવવા માંડયો છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા આ રૂટને નેરોગેજમાંથી બ્રોડગેજમાં રૂપાંતરિત કરી રાજપીપળા સુધી લંબાવવાની પણ કામગીરી હાથ ધરવાના શ્રી ગણેશ થઇ ગયાં છે. આવા સંજોગોમાં રેલવે દ્વારા લેવામાં આવેલાં નિર્ણય મુજબ ટ્રેન નંબર 52019/52020 મિયાગામ કરજણ-ચાંદોદ પેસેન્જરને ડભોઇ ચાંદોદ વચ્ચે આંશિકરૂપે રદ કરવામાં આવશે. જે મિયાગામ કરજણ ડભોઇ વચ્ચે જ હાલ ચાલશે. જ્યારે ટ્રેન નંબર 52025/52026 ડભોઇ-ચાંદોદ પેસેન્જર સંપૂર્ણપણે 25મીમેના રોજથી રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે થઇ ગયા બાદ ગણતરીની મિનિટોમાં ડભોઇથી ચાંદોદનું અંતર તો કપાઇ જશે સાથોસાથ જો રાજપીપળા સુધીની પણ કામગીરી હાથ ધરવામાં આવનાર હોય રેલવે ટ્રેકના કિલોમીટર મુજબ રાજપીપળા ડભોઇ વચ્ચેનું પણ અંતર ઘટશે.

વર્તમાન સુધીમાં ચાર પ્રકારથી ગાડીઓ દોડતી રહી જેમાં 1863 માં એન્જિનની જગ્યાએ બળદો દ્વારા ગાડીઓ ખેંચાતી હતી ત્યાર બાદ સ્ટીમ એન્જિન આવ્યા જે કોલસા અને પાણીથી દોડતાં હતાં કોલસાની તંગીને પહોંચી વળવા મીની ડીઝલ એન્જિનો આવ્યા અને હવે બ્રોડગેજ થતાં મોટા ડીઝલ અને વીજળીના એન્જિનોનાં સથવારે ટ્રેનો દોડતી રહેશે. ભૂતકાળથી વર્તમાન સુધીમાં ચાર પ્રકારથી ગાડીઓ પરિવર્તનનાં પવન સાથે દોડતી રહી.

 

May 25, 2018
astral.jpg
1min12120

અમદાવાદ સ્થિત એસ્ટ્રલ પોલિ ટેક્‌નિકનો શેર ગુરુવારે તેની સર્વોચ્ચ સપાટી પર બંધ રહ્યો હતો. ચાલુ મહિને તેણે ત્રીજી વાર આ સ્તર આસપાસ બંધ આપ્યો છે. આ સાથે કંપની રાજ્યની ટોચના માર્કેટ-કેપ ધરાવતી કંપનીઓમાં સ્થાન પામી છે. ગુરુવારે બીએસઇ ખાતે ₹961.15ના બંધ ભાવે કંપનીનું માર્કેટ-કેપ ₹11,516 કરોડ થાય છે.

અમદાવાદ સ્થિત કંપનીઓમાં માર્કેટ-કેપની રીતે તે 8મા ક્રમે આવી ગઈ છે. તેણે સિમ્ફની, ટોરેન્ટ પાવર અને અરવિંદ લિમિટેડ જેવી કંપનીઓને પણ માર્કેટ-કેપમાં પાછળ રાખી દીધી છે.

બિલ્ડિંગ મટિરિયલ્સ બનાવતા એસ્ટ્રલ પોલિ ટેક્‌નિકનો શેર સારાં પરિણામોની જાહેરાત પાછળ ગુરુવારે બીએસઇ ખાતે 6.05 ટકા જેટલો સુધર્યો હતો. આ સાથે કંપનીનું માર્કેટ-કેપ ₹11,000 કરોડને વટાવી ગયું હતું. કંપનીમાં સૌથી મોટી શેરધારક તરીકે પ્રમોટર એવા સંદીપ એન્જિનિયર(31.6 ટકા હિસ્સો)નું માર્કેટ-કેપ ₹3,672 કરોડ પર પહોંચ્યું હતું.

ચાલુ કેલેન્ડરમાં કંપનીના શેરનો દેખાવ જોઈએ તો તેણે 13.58 ટકાનું રિટર્ન દર્શાવ્યું છે, જે અમદાવાદમાં હેડક્વાર્ટર ધરાવતી કંપનીઓમાં કદાચ ઘણું સારુ છે. ચાલુ કેલેન્ડરમાં મોટા ભાગના મિડ-કેપ શેરોમાં વેલ્યૂનું ધોવાણ થયું છે અને તેથી જૂજ કંપનીઓ જ પોઝિટિવ રિટર્ન દર્શાવી રહી છે, જેમાં એસ્ટ્રલ એક છે. તાજેતરમાં અમદાવાદ સ્થિત સિમ્ફની લિનું પરિણામ અપેક્ષાથી વિપરીત આવ્યું હતું, જેની પાછળ શેરના ભાવમાં 10 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો.

એસ્ટ્રલ પોલિ ટેક્‌નિકના શેરે છેલ્લા સવા વર્ષમાં 145 ટકાનું નોંધપાત્ર વળતર દર્શાવ્યું છે. એટલે કે ડિસેમ્બર 2016ના અંતે ₹392ની સપાટી પર બંધ રહેલો કંપનીનો શેર ₹960ના સ્તરે જોવા મળ્યો છે. આમ રોકાણકારોને ઊંચું વળતર આપનારી ગુજરાતી કંપનીઓમાં તે અગ્રણી રહ્યો છે. ગુરુવારે કાઉન્ટરમાં ઊંચાં કામકાજ નોંધાયાં હતાં.

બીએસઇ ખાતે સરેરાશ બે સપ્તાહના 1,844 શેર્સની સરખામણીમાં 4,608 શેર્સનું કામકાજ નોંધાયું હતું. એસ્ટ્રલથી ઊંચું માર્કેટ-કેપ ધરાવતી ગુજરાતી કંપનીઓમાં અદાણી પોર્ટ, કેડીલા હેલ્થકેર, ગૃહ ફાઇનાન્સ, ટોરેન્ટ ફાર્મા, એઆઇએ એન્જિનિયરિંગ, અદાણી ટ્રાન્સમિશન અને અદાણી એન્ટરપ્રાઇઝનો સમાવેશ થાય છે.

May 25, 2018
agri.jpg
1min18290

૭૭ વર્ષના વયોવૃદ્ધ ખેડૂત આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને અન્યોને પ્રેરણા પુરી પાડી રહ્યા છેઃ

સમગ્ર ગ્રીન હાઉસ પ્રોજેક્ટ સોલાર પેનલની પુનઃપ્રાપ્ય ઉર્જા દ્વારા ચાલે છેઃ

૪૦ ગુંઠાના ગ્રીન હાઉસમાં કાકડી અને ટામેટાનું વાવેતર કર્યું છેઃ

દક્ષિણ ગુજરાતના ખેડૂતો ‘ગ્રીન હાઉસ’ના કન્સેપ્ટથી પાકને વૈજ્ઞાનિક પદ્ધતિથી અનુકૂળ વાતાવરણ સર્જીને મબલખ પ્રમાણમાં ઈચ્છિત પાક મેળવી રહ્યા છે.

હાલ સુધી ખેતીનો સંપૂર્ણ આધાર આબોહવા અને કુદરત પર રહેતો હતો. પણ નવા યુગ સાથે નવી ટેકનોલોજીનો ઉપયોગ વધતાં કૃષિક્ષેત્ર પણ જમાના સાથે તાલ મિલાવી રહ્યું છે. હવે કુદરત પર આધાર રાખ્યા વિના ‘ગ્રીન હાઉસ’ના કન્સેપ્ટથી ખેડૂતો પાકને વૈજ્ઞાનિક પદ્ધતિથી અનુકૂળ વાતાવરણ સર્જીને મબલખ પ્રમાણમાં ઈચ્છિત પાક મેળવી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા પણ જગતનો તાત સમૃદ્ધ થાય તથા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને જંગી ઉત્પાદન મેળવી આર્થિક રીતે પગભર બને એવા અવિરત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાજય સરકારે કૃષિ મહોત્સવની શરૂઆત કરી ત્યારથી જ કૃષિ અર્થતંત્રમાં બદલાવ આવ્યો છે. હજારો ખેડૂતોએ આધુનિક ટેકનોલોજી અપનાવીને પોતાની આવક બમણી કરી છે.
સુરત જિલ્લામાં ગ્રીનહાઉસથી ખેતી કરતા ખેડૂતોની સંખ્યા દિન-પ્રતિદિન વધી રહી છે. તેનું કારણ છે ગ્રીનહાઉસ-નેટહાઉસ ખેતીથી નિંદામણના અને રોગ-જીવાતોના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો તેમજ ઉત્પાદનમાં વધારો. સાથે સાથે પાણીના વપરાશમાં બચત અને મજૂરી ખર્ચમાં પણ લાભ મળે છે. સાદી ભાષામાં કહીએ તો ગ્રીનહાઉસ ટેક્નોલોજી એટલે બંધ કવરમાં વાતાવરણ, તાપમાન અને ભેજ નિયંત્રણની સચોટ વ્યવસ્થા હેઠળ કરાતી નવા જમાનાની ખેતી.

એમ.એસ.યુનિવર્સિટીમાંથી ઈલેકટ્રીક એન્જિનિયરીંગ કરીને ઈલેકટ્રીક એન્જિનિયર તરીકેની નોકરી છોડી નવતર ખેતી કરતા સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કદરામા ગામના ૭૭ વર્ષના વયોવૃધ્ધ ખેડૂત લલિતભાઈ નાથુભાઈ પટેલે ખેતીમાં ગ્રીન હાઉસ ટેકનોલોજીથી કાકડીનું માતબર ઉત્પાદન મેળવીને અન્યોને પણ પ્રેરણા પુરી પાડી છે.
સુરત માહિતી ખાતાની ટીમ સાથેની એક મુલાકાતમાં વાત કરતા લલિતભાઈ કહે છે કે, શરૂઆતમાં અમો શેરડી, ડાંગર જેવા પરંપરાગત પાકોની ખેતી કરતા હતા. પરંતુ બદલાતા સમય સાથે આજના આધુનિક અને ઝડપી યુગમાં ટેકનોલોજીનો ઉપયોગ કર્યા વિના ચાલે તેમ નથી.
લલિતભાઈ પુત્ર જતીનભાઈ પટેલ સાથે ત્રણેક વર્ષ પહેલા જિલ્લામાં યોજાયેલા કૃષિ મહોત્સવમાં ગયા હતા. જયાં વૈજ્ઞાનિકોએ આધુનિક ટેકનોલોજી અંતર્ગત ગ્રીન હાઉસ/નેટ હાઉસ વિશેની માહિતી આપી. ત્યાર બાદ પિતા-પુત્રએ બાગાયત ખાતાના અધિકારીઓનો સંપર્ક કર્યો, જ્યાં ગ્રીન હાઉસ-નેટ હાઉસની વિગતો મેળવી. બાગાયતના અધિકારીએ આણંદ જિલ્લામાં યોજાયેલા પ્રેરણા પ્રવાસમાં આવવા જણાવ્યું. જેથી જતીનભાઈએ ૧૫ દિવસ દરમિયાન આણંદ ખાતે પ્રેરણા પ્રવાસ, ટ્રેનિંગ દરમિયાન ત્યાંના પ્રગતિશીલ ખેડૂતોના ખેતરોની મુલાકાત લઈને અનુભવોનું આદાન-પ્રદાન કર્યું હતું. ઉપરાંત ગ્રીન હાઉસ અને નેટ હાઉસમાં આપવામાં આવતી સબસીડી તથા કેવા વાતાવરણમાં કયું ઉત્પાદન લઈ શકાય તેની પ્રત્યક્ષ મુલાકાત લીધી. પુત્ર જતિનભાઈ સાથે લલિતભાઈએ ચર્ચા કરીને કહ્યું કે, ‘હવે આધુનિક ટેકનોલોજી વિના ચાલે તેમ નથી. સ્વભાવે સાહસિક અને પ્રયોગશીલ એવા પિતા-પુત્રએ તમામ વિગતો મેળવીને પ્રથમ ૨૦ ગુંઠામાં નેટહાઉસ બનાવ્યું. તેમા પ્રથમ પ્રયાસે ૧૩ ટન ખીરા કાકડીનું ઉત્પાદન લીધા બાદ આ જ નેટહાઉસમાં કેપ્સિકમ મરચાનું ઉત્પાદન લીધું, જેમાં સવા લાખના ખર્ચ બાદ કરતા ચોખ્ખો ચાર લાખનો નફો થયો હતો.

સારૂ એવું ઉત્પાદન મળતા હવે ગ્રીન હાઉસમાં કાકડીનું વાવેતર કરવાનો નિર્ધાર કર્યો. ગ્રીન હાઉસ એટલે, પ્લાસ્ટિક અથવા પારદર્શક આવરણવાળું ગૃહ. જેમાં વધુ ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવા માટે જરૂરી વાતાવરણનું નિયંત્રણ કરી શકાય છે. લલિતભાઈએ ૪૦ ગુઠા જમીનમાં હાઈટેક ગ્રીન હાઉસ તૈયાર કર્યું. જેમાં કુલ ૩૭ લાખના ગ્રીન હાઉસમાં સરકારની ૬૫ ટકા એટલે ૨૪ લાખ જેટલી રકમની સબસીડી પ્રાપ્ત થઈ છે. આ પ્રોજેકટમાં ૨૦ ગુંઠામાં કાકડી અને ૨૦ ગુંઠામાં ટામેટાનું વાવેતર કર્યું છે.
લલિતભાઈ કહે છે કે, કાકડી એ ચાર મહિનાનો પાક છે. અમોએ, જાન્યુઆરી-૨૦૧૮માં એક બીજ ૭ રૂા.ના ભાવે લાવીને કાકડીના ૬ હજાર રોપાઓ તૈયાર કરીને વાવેતર કર્યું. ૪૦ દિવસમાં ઉત્પાદન ચાલુ થયું. સમયાંતરે ૨૫૦ થી ૫૦૦ કિલો કાકડીનું ઉત્પાદન મળે છે. ૩૦૦ થી ૪૦૦ મણદીઠ બજાર ભાવ મળ્યો છે. ચાર મહિના દરમિયાન ૧૪ થી ૧૫ ટન કાકડીનું ઉત્પાદન મળ્યું છે. આમ, રૂ. ૧,૮૦,૦૦૦માં ૪૦ હજારનો ખર્ચ બાદ કરતા ૧.૪૦ લાખનો નફો થયો છે. જ્યારે ટામેટાનું ઉત્પાદન ટુંક સમયમાં શરૂ થઈ જશે. વેચાણની વિશે વાત કરતા તેઓ કહે છે કે, સામાન્ય રીતે કાકડીનો ઉપયોગ કચુંબર-સલાડ બનાવવા હોટેલોમાં વધુ થતો હોઈ તેની ભારે માંગ રહે છે. ગ્રીન હાઉસમાં ઉત્પાદિત કાકડીની ઉચ્ચ ગુણવત્તા હોવાના કારણે માંગ સારી રહે છે.
ગ્રીન હાઉસની વિશેષતા વિશે વાત કરતા લલિતભાઈ કહે છે કે, કાકડીના પાક માટે ૨૫ થી ૨૭ ડિગ્રી તાપમાન અનુકૂળ રહે છે. જેથી અમોએ ગ્રીન હાઉસની ઉપર આઉટર સ્પ્રિંકલર ગોઠવ્યા છે, જે ચાલુ કરતા પાણીનો છંટકાવ થાય છે. જેના કારણે અંદરનું તાપમાન જાળવી શકાય. અંદર પણ ફોગીંગ દ્વારા વાતાવરણને નિયંત્રિત રાખી શકાય છે.
નવાઈની વાત તો એ છે કે, આ સમગ્ર પ્રોજેકટમાં ડ્રીપ ઈરિગેશન પધ્ધતિથી પિયત કરવામાં આવે છે. જેમાં સોલાર પાવર પેનલ મૂકવામાં આવી છે. ૫ એચ.પી.ની મોટર સોલાર પેનલથી ચાલે છે. નાબાર્ડ મારફતે મળતી સોલાર પેનલની યોજનામાં ૫ લાખમાં ૫૦ ટકા સબસીડી મેળવી ઉપરાંત જી.જી.આર.સી. યોજનામાં ૫ લાખના પ્રોજેકટમાં ૭૫ હજાર ભર્યા, જયારે બાકી ૪.૫૦ લાખની સબસીડી પ્રાપ્ત થઈ હોવાનું લલિતભાઈએ કહ્યું હતું. આ પુનઃપ્રાપ્ય ઉર્જા હોવાને કારણે લાઈટ બિલમાંથી તો જાણે કાયમી મુકિત મળી છે. તેઓ ગર્વભેર કહે છે કે, જો હુ આ ઉમરે આટલી મહેનતથી ખેતીમાં સફળતા મેળવી શકું છું, તો યુવા ખેડૂતો ચોક્કસથી ખેતીમાં નવા અભિગમ સાથે પ્રયોગાત્મક પગલા લે તો લાખો રૂપિયાની કમાણી કરી શકે છે. મહાત્મા ગાંધી કહેતા કે, ચીલાચાલુપણું અને નકલ એ ગર્દભનું લક્ષણ છે. આધુનિક ટેકનોલોજી અપનાવીને ચાલીશું તો ઝડપભેર આગળ વધી શકાય છે. ખેતીમાં નાના પાયે કરેલી શરૂઆતનો અંત પણ સુખદ હશે.

May 25, 2018
cmaprentice.jpg
2min11600

રાજ્ય સરકારની એક અભિનવ પહેલ: યુવાઓને પગભર બનાવવા માટે
‘મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના’

એપ્રેન્ટીસ પાસેથી કોઇ પણ પ્રકારની તાલીમી ફી લેવામાં આવતી નથી.
તા.૧૯ અને ૨૮મીના રોજ મજુરાગેટ આઈ.ટી.આઈ. ખાતે એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાશેઃ

ગુજરાતનો આજનો યુવાન ગુજરાતનું ભવિષ્ય છે. ગુજરાત એ તકોની ધરતી- લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી છે. રાજ્યના યુવાનો-યુવતીઓને રોજગારીની પૂરતી તકો મળે એ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે.
રાજ્ય સરકારે યુવાઓને પગભર બનાવવા માટે ‘મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના’ અન્વયે એક અભિનવ પહેલ કરી છે. જે યુવાનો અને યુવતીઓ એપ્રેન્ટીસ કાયદા હેઠળ આવરી લીધેલ કારખાના, હોટલો, હોસ્પિટલો, ટ્રાન્સપોર્ટ, બેન્કો, ખાણ ઉદ્યોગ, આઈ.ટી. ઉદ્યોગ, ફાઈનાન્સિયલ સર્વિસીસ વગેરે જેવા વ્યાપક રોજગારી આપતા એકમોમાં એપ્રેન્ટીસ તરીકે જોડાશે. તેમને જે તે કંપનીના વળતર ઉપરાંત ગુજરાત સરકાર તરફથી મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના અંતર્ગત એક વર્ષ સુધી પ્રોત્સાહક રકમની સહાય આપવામાં આવશે. આ યોજના હેઠળ, સ્નાતક યુવાઓને માસિક રૂ. ૩૦૦૦, ડિપ્લોમાં ધારકને માસિક રૂ. ૨૦૦૦ અને અન્યોને માસિક રૂ. ૧૫૦૦ આપવામાં આવશે. જેના માટે બજેટમાં રૂ.૨૭૨ કરોડની માતબર જોગવાઈ કરવામાં આવી છે.
ગુજરાત સરકારની આ સહાય ઉપરાંત જે એકમોને એપ્રેન્ટીસ એકટ અન્વયે ભારત સરકાર તરફથી માસિક રૂ. ૧૫૦૦ની સહાય આપવામાં આવે છે તે પણ મળવાપાત્ર થશે.
સુરત જિલ્લામાં આગામી તા.૧૯/૫/૨૦૧૮ અને તા.૨૮/૫/૨૦૧૮ના રોજ આઈ.ટી.આઈ. કેમ્પસ, મજુરાગેટ ખાતે સવારે ૧૦.૩૦ થી સાંજે ૫.૩૦ વાગ્યા દરમિયાન એપ્રેન્ટીસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ધો.૭,૮,૯ પાસ અને ૧૦,૧૧,૧૨ પાસ/નાપાસ, આઈ.ટી.આઈ. તમામ ટ્રેડ, બી.એ., બી.કોમ. વગેરેના ઉમેદવારો પોતાના પ્રમાણપત્રો સાથે ભાગ લઈ શકશે. ભરતી મેળામાં નામાંકિત કંપનીઓ ભાગ લેનાર છે.
એપ્રેન્ટીસશીપ તાલીમમાં જોડાવા માટે www.apprenticeship.gov.in પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત માટે ઈ-મેઈલ એકાઉન્ટ જરૂરી છે. આ સિવાય રાજ્યની વિવિધ આઇ.ટી.આઇ. ખાતે ઓફ-લાઇન રજિસ્ટ્રેશન કરવાની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે એપ્રેન્ટીસ પાસેથી કોઇ પણ પ્રકારની તાલીમી ફી લેવામાં આવતી નથી..
તાલીમનો નિયત સમયગાળો પૂર્ણ થયા બાદ વ્યાવસાયિક તાલીમ માટેની રાષ્ટ્રીય કાઉન્સીલ તરફથી વર્ષમાં બે વાર એપ્રિલ અને ઓકટોબરમાં અખિલ ભારતીય વ્યવસાય કસોટી યોજવામાં આવે છે. સફળ થયેલા એપ્રેન્ટીસોને જે તે વ્યવસાયનું રાષ્ટ્રીય પ્રમાણપત્ર આપવામાં આવે છે. આ પ્રમાણપત્ર ભારત સરકારના સાહસો જેવા કે રેલ્વે, ઓ.એન.જી.સી. વગેરેમાં કાયમી સેવા માટે પણ માન્ય છે. કોઈ પણ ઉમેદવારો કે જે એપ્રેન્ટીસ તરીકે જોડાવા ઇચ્છતા હોય, તેઓએ નજીકની આઇ.ટી.આઇ. અથવા જિલ્લા રોજગાર કચેરીનો સંપર્ક કરી જરૂરી માર્ગદર્શન મેળવી શકે છે.
વધુ માહિતી માટે કોલ સેન્ટરનો ટોલ ફ્રી નં. ૧૮૦૦-૨૫૮-૫૫૮૮ પર પણ સંપર્ક કરી શકાય છે. તેમજ www.employment.gujarat.gov.in અને www.apprenticeship.gov.in આ બંને વેબસાઇટ પર ઓનલાઈન જાણકારી મેળવી શકાય છે.

May 24, 2018
vedik.jpg
1min12440
ગુજરાતમાં આ ઉનાળામાં પાણીની તંગીનો સામનો કરવો પડ્યો છે. ઉનાળાની શરુઆતમાં જ ગુજરાતના 204 ડેમ્સમાં માત્ર 29 ટકા જ પાણી છે. પાછલા વર્ષે આ સમય દરમિયાન 40 ટકા પાણી ઉપલબ્ધ હતું. 2019માં લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે રુપાણી સરકારને ચિંતા છે તે, જો ચોમાસામાં વરસાદ ઓછો પડશે અને પાણીની તંગીની સ્થિતિ વકરશે તો ચૂંટણીમાં તેની અસર જોવા મળશે.
વિજય રૂપાણીની આગેવાની વાળી ગુજરાતની ભાજપ સરકાર ૩૧ મેના રોજ ભગવાન ઈન્દ્ર અને વરૂણદેવને સારા વરસાદ માટે રીઝવવા માટે ૩૧ જિલ્લાઓ અને આઠ મુખ્ય શહેરોમાં પરજન્ય યજ્ઞ કરાવશે. ઉલ્લેખનીય છે કે પાછલા એક મહિનાથી ચાલતા ગુજરાત સરકારના સુજલામ સુફલામ જળ અભિયાનના અંતિમ દિવસે એટલે કે ૩૧મી મેના રોજ પરજન્ય યજ્ઞો કરાવવામાં આવશે. આ અભિયાન હેઠળ નદી, તળાવો, કેનાલ્સ તેમજ પાણીનો સંગ્રહ કરતા અન્ય સંસાધનોને ઉંડા કરવામાં આવ્યા હતા જેથી ચોમાસામાં સિંચાઈ માટેનું પાણી વધુ માત્રામાં સંગ્રહ કરી શકાય.
બુધવારે થયેલી રાજ્યની કેબિનેટ મીટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, રાજ્યમાં સારો વરસાદ પડે તેની પ્રાર્થના કરવા માટે ૩૧મી મેના રોજ પરજન્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતભરમાં ૪૧ સ્થળોએ આ યજ્ઞો થશે અને પ્રસાદ વહેંચવામાં આવશે. હું, મુખ્યમંત્રી વિજય રુપાણી, રાજ્યના મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ આ યજ્ઞોમાં ભાગ લેશે.
આ ઉપરાંત કલેક્ટર્સને તેમના જિલ્લામાં યજ્ઞનું આયોજન કરવાનો આદેશ અપાયો છે અને સીનિયર IAS ઓફિસર એ.એમ.તિવારીને ઈવેન્ટના ઈન-ચાર્જ રાખવામાં આવ્યા છે. એક સૂત્રના જણાવ્યા અનુસાર, ઉત્તરપ્રદેશના મુરાદાબાદથી ખાસ કળશ મંગાવવામાં આવશે અને મોટા પ્રમાણમાં તેને વહેંચવામાં આવશે. આ સિવાય ગ્રામીણો અને શહેરીજનોને યજ્ઞમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.
May 24, 2018
D-1.jpg
1min14410
65મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં મનીષ સૈનીની ‘ઢ’ સર્વશ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ બની છે. જેમાં એનઆઈડીના ભૂતપૂર્વ વિદ્યાર્થી મનીષ સૈનીનું દિગ્દર્શન છે. મૂળ હરિયાણા અને હાલ અમદાવાદના પાલડીમાં રહેતા મનીષ સૈની એનઆઈડીના સ્ટુડન્ટ રહી ચૂક્યા છે. આ ફિલ્મનું બજેટ બે કરોડ જેટલું હતું. અભ્યાસ દરમિયાન જ તેમણે આ ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું હતું. આ ફિલ્મ માટે જ્યારે નસીરુદ્દીન સાથે વાત કરવામાં આવી ત્યારે તેમણે ફિલ્મ માટે સારી સ્ટોરી હોવાનું કહ્યું હતું, ત્યાર બાદ તેમણે ફિલ્મમાં કામ કરવા સંમતિ આપી હતી. રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં પ્રાદેશિક ફિલ્મોની શ્રેણીમાં ગુજરાતી ફિલ્મ ‘ઢ’ને એવોર્ડ આપવામાં આવ્યો હતો.
ફિલ્મમાં સ્કૂલના ત્રણ વિદ્યાર્થીઓ પર આધારિત છે. જોકે ફિલ્મ હજી થિયેટરમાં રિલીઝ થવાની બાકી છે. આ ફિલ્મ ભવન્સ કોલેજમાં ઊભા કરાયેલા સેટ પર ત્રણ સતત 12 – 12 કલાક કામ કરીને તૈયાર કરવામાં આવી હતી,  આ ફિલ્મમાં નસિરુદ્દીન શાહ એક જાદુગરની ભૂમિકામાં છે. આ પહેલાં 2017માં ‘રોંગ સાઇડ રાજુ’ને પણ બેસ્ટ ગુજરાતી ફિલ્મનો નેશનલ એવોર્ડ મળ્યો હતો.
આ સિવાય હિન્દી ફિલ્મ ‘ન્યૂટન’માં ઉમદા અભિનય બદલ પંકજ ત્રિપાઠીને સ્પેશિયલ એવોર્ડ આપવામાં આવ્યો છે. જ્યારે ‘ન્યૂટન’ને સર્વશ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. ઉપરાંત દિવંગત અભિનેત્રી શ્રીદેવીને ‘મોમ’ માટે સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ આપવામાં આવ્યો છે. તો ‘બાહુબલી’ ફિલ્મને સર્વશ્રેષ્ઠ મનોરંજક ફિલ્મ, બેસ્ટ એક્શન ડિરેક્શન અને બેસ્ટ સ્પેશિયલ ઇફેક્ટ્સ મૂવીનો એવોર્ડ મળ્યો છે.
બેસ્ટ કોરિયોગ્રાફીનો એવોર્ડ ‘ટોઇલેટ – એક પ્રેમ કથા’ને આપવામાં આવ્યો છે. આ ફિલ્મમાં ગણેશ આચાર્યે કોરિયોગ્રાફી કરી છે. ‘ગાઝી’ને બેસ્ટ તેલુગુ ફિલ્મ જાહેર કરવામાં આવી છે.
May 24, 2018
gujcmdcm.jpg
1min17380

રાજ્ય સરકાર દ્વારા સરકારી પડતર જમીન વિવિધ હેતુ માટે આપવામાં આવે છે તેની જે કિંમત છે તેની ફોર્મ્યુલામાં ફેરફાર કરવા માટે વિચારણા ચાલી રહી છે. હાલ પડતર જમીનની જે બજાર કિંમત હોય તેના કરતા પડતર જમીનની કિંમત વધુ આવતી હોય તેવું અનેક કિસ્સામાં જોવામાં આવ્યું છે જેથી જાહેર હેતુ માટે જે જમીન આપવામાં આવે છે તેની કિંમત વધી જતી હોય છે. તેને લઇને કિંમત ઘટાડવા રાજ્ય સરકારના મહેસૂલી વિભાગથી લઇને નિર્ણયકર્તાઓમાં વિચારમંથન શરૂ થયું હોવાની વિગતો જાણવા મળી છે. રાજ્ય સરકારની માલિકીની મનાતી પડતર જમીનની જે કિંમત નક્કી કરતી હાલની ફોર્મ્યુલામાં શું ફેરફાર કરી શકાય તે માટે સરકારમાં ઉચ્ચ સ્તરે વિચારણા ચાલી રહી છે. આ માટે બેઠકોના દોર ચાલી રહ્યા છે. ટૂંક સમયમાં આ માટે લીલી ઝંડી મળ્યા બાદ સરકારી પડતર જમીન માટે નવી કિંમત નક્કી કરવામાં આવી શકે છે.

સરકાર દ્વારા પડતર જમીન હોય તે વિવિધ હેતુ માટે આપવામાં આવતી હોય છે. જેમાં શૈક્ષણિક હેતુથી કેટલાક ટ્રસ્ટ દ્વારા જમીનની માગણી થતી હોય છે. ધાર્મિક અને સામાજિક પ્રવૃતિ માટે પણ સરકાર પાસે પડતર જમીનની માગણીઓ આવતી રહેતી હોય છે. તે ઉપરાંત સરકારના પોતાના બોર્ડ-નિગમોના કામકાજ માટે પણ આવી જમીન આપવામાં આવતી હોય છે. જો કે આવી જમીનની કિંમત નક્કી કરતી વખતે એ ધ્યાન પર આવ્યું છે કે સરકારી ફોર્મ્યુલા મુજબ જંત્રી પ્રમાણે જે રકમ નક્કી કરવામાં આવેલી છે તે જે તે સ્થળે આવેલી જમીનની બજાર કિંમત કરવા વધુ હોય છે. તેના કારણે સરકારને જમીનની કિંમત વધુ થતી હોવાની રજૂઆતો પણ કેટલીક સંસ્થાઓ દ્વારા મળતી હોય છે.

May 23, 2018
vinodbhatt.jpg
1min14180
ગુજરાતી ભાષાના શીરમોર હાસ્યલેખક વિનોદ ભટ્ટનું લાંબી માંદગી બાદ સારવાર દરમિયાન આજે નિધન થયું છે. વિનોદ ભટ્ટની તબિયત છેલ્લાં ત્રણ-ચાર મહિનાથી નાદુરસ્ત હતી. કિડનીની બીમારી સામે સતત હસતા હસતા ઝઝૂમતા વિનોદભાઈને થોડા સમય અગાઉ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
જોકે છેલ્લા કેટલાક દિવસોથી તેમની ઘરે જ સારવાર કરવામાં આવી રહી હતી. આ દરમિયાન અનેક સાહિત્યકારોએ એમની મુલાકાત લીધી હતી. મંગળવારે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમાએ પણ વિનોદ ભટ્ટ સાથે અડધો કલાક જેટલો સમય ગાળ્યો હતો. આ દરમિયાન વિનોદ ભટ્ટ બોલી શકતા ન હતા. આ ઉપરાંત અંગતમિત્રો એવા હાસ્યકાર રતિલાલ બોરીસાગર અને કવિ ભાગ્યેશ ઝાએ પણ વિનોદ ભટ્ટ સાથે સમય ગાળ્યો હતો. વિનોદ ભટ્ટના પાર્થિવ દેહને તેમના સ્વજનો અને પરિવારજનો માટે અંતિમ દર્શન માટે તેમના નિવાસસ્થાન ધર્મયુદ્ધ કોલોની, ગીતામંદિર મણિનગર રોડ ખાતે મૂકવામાં આવશે. ત્યારબાદ તેમના દેહ દાનની કાર્યવાહી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતી ભાષામાં હાસ્ય લેખન માટે જ્યોતિન્દ્ર દવે બાદ જો કોઈનું નામ લોકોના મુખે ચઢતું હોય તે વિનોદ ભટ્ટ છે. તેમના સાહિત્ય ક્ષેત્રે યોગદાનને ગુજરાત ક્યારેય ભૂલી નહીં શકે. તેમની રચનાઓમાં પહેલું સુખ તે મૂંગી નાર, આજની લાત, વિનોદવિમર્શ, ભૂલચૂક લેવી-દેવી જેવી કૃતિઓનો સમાવેશ છે. વિનોદ ભટ્ટને ૧૯૭૬માં કુમાર ચંદ્રક, ૧૯૮૯માં રણજિતરામ સુવર્ણચંદ્રક, ૨૦૧૬માં રમણભાઇ નીલકંઠ પુરસ્કાર અને જ્યોતિન્દ્ર દવે હાસ્ય પારિતોષિકથી નવાજવામાં આવ્યા હતા.
May 23, 2018
1min14200

રાજપોરના શાપર નજીકની એક ફેક્ટરીના કમ્પાઉન્ડ નજીક પાંચ વ્યક્તિએ એક દલિત પુરુષની મારપીટ કરીને કરેલી હત્યાની ઘટનાને મામલે નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશન-એનએચઆરસીએ ગુજરાત સરકારને નૉટિસ પાઠવી હતી.

કચરો વીણવાનું કામ કરતા ૩૫ વર્ષના મૂકેશ વાણિયા અને તેની પત્ની જયાબેન વાણિયા સાથે ૨૦મી મેએ નિર્દય રીતે મારપીટ કરવામાં આવી હોવાનું અધિકારીઓએ કહ્યું હતું.

મૂકેશ અને તેની પત્ની જયાબેન ભંગારની ચોરી કરવા આવ્યા હોવાની શંકાને પગલે ફેક્ટરીના માલિક સહિત પાંચ વ્યક્તિએ મૂકેશને ઢોેરમાર મારીને તેની હત્યા કરી હતી.

એનએચઆરસી દ્વારા મંગળવારે બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવ્યાનુસાર સમાચારપત્રના અહેવાલમાં આપવામાં આવેલી વિગતો સાચી હોય તો આ ઘટના અસરગ્રસ્તના માનવઅધિકારના ભંગનો ગંભીર મુદ્દો બને છે અને એ આધારે જ ગુજરાત સરકારના મુખ્ય સચિવને નૉટિસ પાઠવી ચાર અઠવાડિયાની અંદર ઘટના અંગે અહેવાલ રજૂ કરવા તેમ જ અસરગ્રસ્ત પરિવારને રાહત પહોંચાડવા લેવામાં આવેલાં પગલાંની જાણકારી આપતો અહેવાલ રજૂ કરવા જણાવ્યું હતું.

વાયરલ થયેલા વીડિયોમાં ઘટનાનો ભોગ બનેલા મૂકેશ વાણિયાને બે વ્યક્તિ લાકડીથી વારાફરતી ફટકારતી જોવા મળતી હતી તો એક વ્યક્તિએ મૂકેશની કમરમાં બાંધેલા દોરડા વડે તેને પકડી રાખી હોવાનું જોઈ શકાતું હતું.

એસસી/એસટી પ્રિવેન્શન ઑફ એટ્રોસિટી (પીઓએ) ઍક્ટ તેમ જ હત્યા, મહિલા પર હુમલો અને બળજબરીપૂર્વક ગોંધી રાખવા સંબંધિત આઈપીસીની કલમ અંતર્ગત રાદડિયા ઈન્ડસ્ટ્રીઝના માલિક સહિત પાંચે આરોપીની ધરપકડ કરવામાં આવી હોવાનું રાજ્યના ગૃહ ખાતાના પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું.

ગુનેગારો વિરુદ્ધ સરકાર કડક પગલાં લઈ રહી છે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે જીઆઈડીસી વિસ્તારમાં આવેલી રાદડિયા ઈન્ડસ્ટ્રીઝ નજીકથી અસરગ્રસ્ત દંપતી કચરો વીણી રહ્યું હતું ત્યારે તેને પકડી લઈ આરોપીઓ દ્વારા ઢોરમાર મારવામાં આવ્યો હતો.

મૂકેશને સારવારાર્થે રાજકોટની સરકારી હૉસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે તેનું મૃત્યુ નીપજ્યું હતું, એમ શાપર-વેરાવળ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીએ કહ્યું હતું. ઘટનાને મામલે પોલીસ તપાસ આરંભવામાં આવી હોવાનું તેમણે કહ્યું હતું.