CIA ALERT

ગુજરાત Archives - Page 156 of 158 - CIA Live

June 1, 2018
gas.jpg
1min14300

વાગરાના રહીયાદ ગામે આવેલાં જીએનએફસીના ટીડીઆઇ પ્લાન્ટમાં ચાર વર્ષમાં ફોસ્જીન ગેસ લીકેજની ત્રીજી ઘટના સામે આવી છે. ગયા સોમવારે મોડી રાત્રે ફરી એક વખત ગેસ લીકેજ થતાં રહીયાદ ગામમાં રહેતાં 1,200થી વધારે લોકોએ જીવ બચાવવા ગામ છોડી દેવાની ફરજ પડી હતી. દરમિયાન ગેસની અસરને કારણે 45થી વધારે લોકોને બળતરા તેમ જ ઉલટીઓ થતાં તેમને ભરૂચ ખાતે આવેલી કંપનીની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

ગુજરાત નર્મદાવેલી ફર્ટિલાઇઝર્સ કંપનીનો ટીડીઆઇનો પ્લાન્ટ વાગરાના રહીયાદ ગામે આવેલો છે. આ પ્લાન્ટમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઝેરી ગણાતો ફોસ્જીન ગેસ લીકેજ થતાં તેની અસર નજીકમાં આવેલા રહીયાદ ગામમાં જોવા મળી હતી. રાત્રીના 12 વાગ્યા બાદ ગેસની અસર વધી જતાં લોકોએ આંખોમાં બળતરા, શ્ર્વાસોશ્ર્વાસમાં તકલીફનો અનુભવ કર્યો હતો. ગેસ લીકેજ થયો હોવાની વાત વાયુવેગે ફેલાતા ગામમાં રહેતાં 1,200થી વધારે લોકો તેમનો જીવ બચાવવા નજીકમાં આવેલા સૂવા ગામમાં પહોંચી ગયાં હતાં.

રોષે ભરાયેલા લોકોએ કંપનીના ગેટ પર ભારે હોબાળો મચાવતા વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો. દરમિયાન ગેસની અસરનો ભોગ બનેલા લોકોની તબિયત લથડતા તેમને સારવાર માટે ભરૂચ જીએનએફસી ટાઉનશીપમાં આવેલી કંપનીની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. હૉસ્પિટલમાં 45થી વધારે લોકોને સારવાર આપવામાં આવી હતી. ફેકટરી ઇન્સપેકટર તથા જીપીસીબીની ટીમે સ્થળ પર પહોંચી પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. બનાવની જાણ થતાં અધિકારીઓની ટીમ રહીયાદ ગામે દોડી આવી હતી.

June 1, 2018
gir.jpg
1min21630

એશિયાઈ સિંહોના આ ધરતી ઉપરના એક માત્ર અને અંતિમનિવાસ સ્થાન ગીર જંગલના દ્વાર આગામી તા 15 જૂનથી 4 માસ માટે સહેલાણીઓ માટે બંધ રહેશે. આગામી ચોમાસાની ઋતુને લક્ષમાં લઈને, રાજ્યના વનવિભાગ દ્વારા આ નિર્ણય લેવાયો છે.

વન વિભાગના સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે ચોમાસાની ઋતુ દરમ્યાન જંગલના કાચા રસ્તાઓ ઉપર વાહન ચાલી શકતા નથી. વળી સિંહ જેવા હિંસક પ્રાણી માટે આ સમયગાળો એ તેમનો મેટિંગ પિરિયડ ગણાય છે. જેમાં તેને ખલેલ ન પહોંચે તે માટે પણ જંગલ બંધ કરાય છે. આમ ગીરના વનરાજોનું વેકેશન 4 માસનું તા.15 જૂનથી શરૂ થઈ રહ્યું છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે કેટલાક સહેલાણીઓ ગેરકાયદેસર જંગલમાં પ્રવેશીને વન્ય જીવોના રહેનસહેન પર અટકચાળો કરતા હોય છે આ બાબત પર હવેથી કડકાઇપૂર્વક પગલાં ભરવામાં આવશે.

June 1, 2018
Mansukh-Mandaviya.jpg
1min14850

ગુજરાતના રાજકારણમાં એટલી પ્રવાહી સ્થિતિ પ્રવર્તી રહી છે કે દિલ્હી સ્થિત હાઇકમાન્ડ ગમે તે ઘડીએ મોટા ફેરફાર કરી શકે એવા મળી રહેલા સંકેતોને પગલે ભાજપાના સંગઠન તેમજ સરકાર બન્નેમાં મોટા અને ધરખમ ફેરફારો થશે તેવી અટકળો ભાજપના પ્રાદેશિક નેતાઓથી નારાજ લોકોએ આગની જેમ ફેલાવાની શરૂ કરી દીધી છે. પાછલા દિવસોમાં કોઇક  દિવસ સંગઠનમાં ફેરફાર તો કોઇક દિવસ સરકારના શિખર નેતૃત્વમાં ફેરફાર આવી રહ્યાના ન્યુઝ વાઇરલ થઇ રહ્યા છે. આવું થવાને કારણો પર મળી રહ્યા છે.

લોકસભાની ચૂંટણીને એક વર્ષનો સમય બાકી છે ત્યારે ભાજપે ચૂંટણી કમિટીની રચના કરીને તૈયારીઓ શરૂ કરી દીધી છે. બીજી બાજુ પાટીદાર સમાજને રિજવવા માટેના પ્રયાસો પણ શરૂ કરી દેવાતા એવી અટકળો ઊભી થઈ છે કે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને બદલીને પાટીદાર સમાજને મુખ્ય પ્રધાન પદ અપાશે.

આ અટકળો વચ્ચે વડોદરા ખાતે પહોંચેલા કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ પત્રકારો સમક્ષ એવી સ્પષ્ટતા કરી હતી કે હું મુખ્ય પ્રધાન પદની રેસમાં નથી. મુખ્ય પ્રધાન પદે વિજય રૂપાણી જ રહેશે.

સુજલામ્ સુફલામ્ જળસંચય અભિયાનની પૂર્ણાહુતિ પ્રસંગે વડોદરાના સિંધુસાગર તળાવ ખાતે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં કેન્દ્રના રોડ, ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ, શિપિંગ, કેમિકલ-ફર્ટિલાઈઝર્સ વિભાગના રાજ્યકક્ષાના પ્રધાન મનસુખ માંડવિયાના ઉપસ્થિત રહ્યા હતા ત્યારે પત્રકારોએ એવો પ્રશ્ન પૂછ્યો હતો કે શું તમે ગુજરાતના મુખ્ય પ્રધાન બનવાની રેસમાં છો

તેના જવાબમાં મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, હું મુખ્ય પ્રધાનની રેસમાં નથી. ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી જ રહેશે. મુખ્ય પ્રધાન બદલવા અંગે જે અફવાઓ ચાલી રહી છે તે ખોટી છે. આ સિવાય વધુ કોઇ વાત તેમણે કરી ન હતી.

મુદ્દો બદલતા શ્રી માંડવીયાએ વધુમાં જણાવ્યું હતું કે, ટેક્નિકલ ભૂલને કારણે પેટ્રોલ ડીઝલના ભાવમાં એક પૈસાનો ઘટાડો થયો હતો. તેનો ખુલાસો થઈ ગયો છે. પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ અંગે સરકાર ચિંતિત છે. પેટ્રોલ-ડીઝલના ભાવ આંતરરાષ્ટ્રીય બજાર પર નક્કી થતાં હોય છે. આવનાર દિવસોમાં તેના પર નિયંત્રણ આવી જશે. સુઝલામ્ સુફલામ્ જળસંચય યોજના બાબતે જણાવ્યું હતું કે, આ યોજનામાં અપેક્ષા કરતા વધારે સારી કામગીરી થઈ છે. અત્યાર સુધી રાજ્યભરમાં 9 હજાર કરતા વધારે તળાવોને ઊંડા કરવાની કરવાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.

May 31, 2018
gseb.png
1min16580

ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજરોજ તા.31 મે 2018ના દિવસે સવારે ધો.12 સામાન્ય પ્રવાહોની ગત માર્ચ 2018માં લેવાયેલી રાજ્યવ્યાપી પરીક્ષાઓના પરીણામોની ઘોષણા કરવામાં આવી હતી. આ પરીણામોને જોતા ધો.12 કોમર્સનું સમગ્ર રાજ્યનું ઓવરઓલ પરીણામ ફક્ત 55.55 ટકા જેટલું એવરેજ આવ્યું હતું. આટલું નીચું પરીણામ બોર્ડના ખાનગી વિદ્યાર્થીઓ એટલે કે એક્સ સ્ટુડન્ટ, ઘરે બેસીને પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધુ પડતા વિદ્યાર્થીઓ નાપાસ થતાં પરીણામ નીચું આવ્યું હતું. પરીણામની માહિતી બોર્ડની આ બુકલેટ આધારે મળી શકે છે.

ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ 2,31,876 વિદ્યર્થીઓ પાસ થયા છે. ધોરણ 12નાં સામાન્ય પ્રવાહમાં ચાર લાખ વિદ્યાર્થીઓએ નોંધાયા હતા. જેમનાં ભવિષ્યનો નિર્ણય આજે થવાનો છે. સૌથી વધુ 100% પરિણામ ધરાવતું કેન્દ્ર સુરતનું નાનપુર બ્લાઈન્ડ અને મહિસાગરનું લુણાવાડા કેન્દ્ર 11.74% સાથે સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર છે. આ સાથે આહવા ડાંગ જિલ્લો 77.32% સાથે સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો છે. તો છોટાઉદેપુર 31.54% સાથે સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો જાહેર થયો છે.

આ વર્ષે કુલ 206 શાળાઓનું 100 ટકા પરિણામ જાહેર થયું છે. તો 76 શાળાઓનું 10% કરતાં ઓછું પરિણામ નોંધાયું છે. પરિણામ મુજબ 451 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ, 8245 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ, 30306 વિદ્યાર્થીઓએ B1 ગ્રેડ અને 63241 વિદ્યાર્થીઓએ B2 ગ્રેડ મેળવ્યો છે. આ સાથે અંગ્રેજી માધ્યમની ટકાવારી 73.77% અને ગુજરાતી માધ્યમની ટકાવારી 54.03% જાહેર થઇ છે.

May 29, 2018
Hridaya_Kunj.jpg
1min13230

મુલાકાતીઓ સખણા રહેતા નથી એટલે ગાંધી બાપૂના રૂમને તાળુ મારી દેવાયું

સંચાલકનું કહેવું છે કે મુલાકાતીઓ બાપુનાં ગાદી-તકિયા પર બેસી જાય છે અને ચરખા સાથે પણ અડપલાં કરે છે એટલે તેમની કોઈ વસ્તુને નુકસાન ન થાય એ માટે અમે રૂમ બંધ કરી છે

 

આશ્રમમાં હૃદયકુંજમાં ગાંધીજી ૧૯૧૮થી ૧૯૩૦ સુધી રહ્યા હતા. અહીં અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નેતાઓ ગાંધીજીને મળવા આવતા હતા. આ ગાળામાં મોહનદાસ ગાંધીને લોકોએ મહાત્મા ગાંધી તરીકે ઓળખ્યા હતા. ગાંધીજી દાંડીકૂચ વખતે પ્રતિજ્ઞા લઈને નીકળ્યા હતા કે સ્વરાજ મેળવ્યા વિના આ આશ્રમમાં પાછો નહીં આવું. હૃદયકુંજમાં ઐતિહાસિક નિર્ણયો પણ લેવાતા હતા. આ હ્રદયકુંજ નામના ગાંધી બાપૂના રૂમને આખરે તાળુ મારી દેવાયું છે. મુલાકાતીઓની અવળચંડાઇને કારણે આવું કરવું પડ્યું છે. ગાંધીબાપુના આ ખંડમાં બાપુની ગાદી, ચરખો, નાનું ટેબલ તેમ જ ડેસ્ક સાચવી રાખ્યાં છે. આ રૂમમાં કેટલાક સહેલાણીઓ બાપુની ગાદી, ચરખો, ડેસ્કને દૂરથી જોવાને બદલે ગાદીમાં બેસી જતા હોવાની અને ચરખો ફેરવતા હોવાની જાણ સત્તાવાળાઓને થતાં બાપુની વસ્તુઓને નુકસાન ન થાય એ માટે સુરક્ષાનાં કારણોસર રૂમની બહાર લૉક મારવુ પડ્યું છે.

આશ્રમ અમદાવાદ સ્થિત સાબરમતી આશ્રમમાં ગાંધીબાપુની રૂમની અંદરની ચીજોને મુલાકાતીઓ નુકસાન ન પહોંડાજે એ આશયથી રૂમને તાળું મારી દેવામાં આવ્યું છે.

હૃદયકુંજમાં અલગથી ગાંધીખંડ તરીકે ઓળખાતી રૂમને આશ્રમના સત્તાવાળાઓએ તાળું મારતાં આશ્રમની મુલાકાતે આવતા સહેલાણીઓએ બહારથી જ ગાંધીખંડને જોઈને આગળ જવું પડે છે. પહેલાં આ રૂમ ખુલ્લી રાખવામાં આવતી હતી.

સાબરમતી આશ્રમ પ્રિઝર્વેશન ઍન્ડ મેમોરિયલ ટ્રસ્ટના ડિરેક્ટર અતુલ પંડ્યાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કોઈ છૂટછાટ ન લે, અનઍડ્વાન્ટેજ ન ઉઠાવે અને નુકસાન ન થાય તેથી આમ કરવું પડ્યું છે. લોકો ગાંધીખંડમાં આવેલી લાકડાની રેલિંગ કૂદી અંદર જઈને ગાદીમાં બેસી જાય છે. આશ્રમ બને એટલો ખુલ્લો રાખ્યો છે અને ‘ડૂ નૉટ ટચ’ જેવું રાખ્યું નથી, કેમ કે અહીં આવતી વ્યક્તિને બાપુની ફીલિંગ આવવી જોઈએ; પણ કોઈ ખોટી છૂટછાટ લે અને નુકસાન થાય એવું ન ચલાવી લેવાય.’

May 26, 2018
G.k._general_hospital-1280x960.jpg
1min13190

વડા પ્રધાન રાહત ભંડાળમાંથી રૂ.150 કરોડના ખર્ચે બનેલી અદાણી જી. કે. હૉસ્પિટલ હંમેશાં ચર્ચામાં રહી છે. જયારથી અદાણીને સંચાલન સોંપાયુ ત્યાર પછી બેદરકારીના કિસ્સાઓ પ્રકાશમાં આવતા રહ્યા છે ત્યારે હવે હૉસ્પિટલમાં ઉપરાઉપરી થઇ રહેલા બાળકોના મોતને લઇને હૉસ્પિટલ સામે ગંભીર આરોપો થઇ રહ્યા છે. 22 તારીખે એક બાળકના મોત બાદ આ મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો છે.

23 મી તારીખે આ મુદ્દે વાલીઓ સાથે બાળકોના મોત મામલે વિરોધ પ્રદર્શિત કરી આક્ષેપ કરાયો હતો કે 20 દિવસમાં 26 બાળકોના મોત થયા છે. આ અંગે અદાણીના સંચાલકો સામે વિરોધ નોંધાવી તપાસની માગ સાથે જાગૃતોએ મામલો ગંભીર હોવાનુ જણાવ્યુ હતુ. જો કે, હૉસ્પિટલ સત્તાધીશોએ આક્ષેપો ફગાવવા સાથે બાળકોનો મૃત્યુદર ઘટ્યો હોવાનો ખુલાસો કર્યો હતો, પરંતુ આ મામલાએ વિવાદ પકડતાં હવે જિલ્લા કલેકટર રેમ્યા મોહને તપાસ અહેવાલ મંગાવવા સાથે સંપૂર્ણ ઘટનાની માહિતી સંચાલકો પાસેથી મેળવવાના આદેશ કર્યા છે. તેની સંપૂર્ણ ચકાસણી બાદ કલેકટર આ મુદ્દે કોઇ કાર્યવાહી કરી શકે છે. આ આક્ષેપોને પગલે ગાંધીનગરથી આરોગ્ય વિભાગની એક ટીમ કચ્છ મોકલવાનું નક્કી કર્યું છે. એક તરફ કચ્છમાં પ્રાથમિક આરોગ્ય સુવિધાનો અભાવ છે. તેવામાં સ્વાભાવિક છે. કે લોકોને અપેક્ષા હોય કે જિલ્લાની મુખ્ય સરકારી હૉસ્પિટલ તેમના માટે આશીર્વાદરૂપ સાબિત થાય, પરંતુ સરકારે જે ઉદ્દેશ સાથે અદાણી ગ્રુપને સંચાલન સોંપ્યુ હતુ તેમાં અદાણી ગ્રુપ ઊણું ઉતર્યું હોવાના પણ આક્ષેપો કૉંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યા છે. દરમિયાન છેલ્લા પાંચ મહિનામાં અદાણી જી. કે. હૉસ્પિટલમાં 111 બાળકોના મોત થયા હોવાનું પણ પ્રકાશમાં આવ્યું છે.

May 26, 2018
dabhoi-1.jpg
1min13270

ગુજરાતના કેવડીયા ખાતે આકાર લઇ રહેલી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સરદાર વલ્ લભભાઇ પટેલના સ્ટેચ્યુ ઓફ યુનિટિ સુધી હવે વડોદરાથી રાજપીપળા સુધી ઝડપી ટ્રેન દોડાવવા માટેની કવાયત શરૂ થઇ ગઇ છે. જેના ભાગરૂપે વડોદરા જિલ્લાના ડભોઇ નગરને એશિયાખંડના પ્રથમ નંબરના નેરોગેજ જંક્શનનું બિરુદની ભેટ આપનાર નેરોગેજ હવે તારીખ 25મી મેથી એક ભૂતકાળ બની ગઇ છે.

હાલ ડભોઇ-કરજણ-ચાંદોદ અને ડભોઇ-ચાંદોદ વચ્ચે દોડતી બાપુ ગાડી રેલવે તંત્ર દ્વારા ગેજ પરિવર્તન કરવાની કામગીરી હાથ ધરવામાં આવનારી હોય યાત્રાધામ ચાંદોદની ટ્રેનનો રૂટ બંધ કરી દેવામાં આવ્યો છે. આમ રજવાડી શાશનથી આ રૂટ પર દોડતી આ બાપુગાડીની 139 વર્ષની આપેલી સેવા બાદ 25-5- 2018 થી ડભોઇમાંથી ગાયબ થઇ જવા પામ્યો છે.

1819માં એપ્રિલ મહિનાથી ગાયકવાડી સાશનમાં ડભોઇ-ચાંદોદનો આ નેરાગેજ ટ્રેક ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આજે આ ટ્રેકને પૂરા 139 વર્ષ થઇ ગયાં છે, ત્યારે વિકાસની દોડ દોડતા આ ગુજરાતમાં નર્મદા ડેમ ખાતે આકાર લઇ રહેલાં સ્ટેચ્યુ ઓફ યુનિટિ ને લઇ ને ડભોઇ પંથકમાં દોડતી બાપુગાડીઓમાં પણ પરિવર્તનનો પવન ફુંકાવવા માંડયો છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા આ રૂટને નેરોગેજમાંથી બ્રોડગેજમાં રૂપાંતરિત કરી રાજપીપળા સુધી લંબાવવાની પણ કામગીરી હાથ ધરવાના શ્રી ગણેશ થઇ ગયાં છે. આવા સંજોગોમાં રેલવે દ્વારા લેવામાં આવેલાં નિર્ણય મુજબ ટ્રેન નંબર 52019/52020 મિયાગામ કરજણ-ચાંદોદ પેસેન્જરને ડભોઇ ચાંદોદ વચ્ચે આંશિકરૂપે રદ કરવામાં આવશે. જે મિયાગામ કરજણ ડભોઇ વચ્ચે જ હાલ ચાલશે. જ્યારે ટ્રેન નંબર 52025/52026 ડભોઇ-ચાંદોદ પેસેન્જર સંપૂર્ણપણે 25મીમેના રોજથી રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે થઇ ગયા બાદ ગણતરીની મિનિટોમાં ડભોઇથી ચાંદોદનું અંતર તો કપાઇ જશે સાથોસાથ જો રાજપીપળા સુધીની પણ કામગીરી હાથ ધરવામાં આવનાર હોય રેલવે ટ્રેકના કિલોમીટર મુજબ રાજપીપળા ડભોઇ વચ્ચેનું પણ અંતર ઘટશે.

વર્તમાન સુધીમાં ચાર પ્રકારથી ગાડીઓ દોડતી રહી જેમાં 1863 માં એન્જિનની જગ્યાએ બળદો દ્વારા ગાડીઓ ખેંચાતી હતી ત્યાર બાદ સ્ટીમ એન્જિન આવ્યા જે કોલસા અને પાણીથી દોડતાં હતાં કોલસાની તંગીને પહોંચી વળવા મીની ડીઝલ એન્જિનો આવ્યા અને હવે બ્રોડગેજ થતાં મોટા ડીઝલ અને વીજળીના એન્જિનોનાં સથવારે ટ્રેનો દોડતી રહેશે. ભૂતકાળથી વર્તમાન સુધીમાં ચાર પ્રકારથી ગાડીઓ પરિવર્તનનાં પવન સાથે દોડતી રહી.

 

May 25, 2018
astral.jpg
1min12190

અમદાવાદ સ્થિત એસ્ટ્રલ પોલિ ટેક્‌નિકનો શેર ગુરુવારે તેની સર્વોચ્ચ સપાટી પર બંધ રહ્યો હતો. ચાલુ મહિને તેણે ત્રીજી વાર આ સ્તર આસપાસ બંધ આપ્યો છે. આ સાથે કંપની રાજ્યની ટોચના માર્કેટ-કેપ ધરાવતી કંપનીઓમાં સ્થાન પામી છે. ગુરુવારે બીએસઇ ખાતે ₹961.15ના બંધ ભાવે કંપનીનું માર્કેટ-કેપ ₹11,516 કરોડ થાય છે.

અમદાવાદ સ્થિત કંપનીઓમાં માર્કેટ-કેપની રીતે તે 8મા ક્રમે આવી ગઈ છે. તેણે સિમ્ફની, ટોરેન્ટ પાવર અને અરવિંદ લિમિટેડ જેવી કંપનીઓને પણ માર્કેટ-કેપમાં પાછળ રાખી દીધી છે.

બિલ્ડિંગ મટિરિયલ્સ બનાવતા એસ્ટ્રલ પોલિ ટેક્‌નિકનો શેર સારાં પરિણામોની જાહેરાત પાછળ ગુરુવારે બીએસઇ ખાતે 6.05 ટકા જેટલો સુધર્યો હતો. આ સાથે કંપનીનું માર્કેટ-કેપ ₹11,000 કરોડને વટાવી ગયું હતું. કંપનીમાં સૌથી મોટી શેરધારક તરીકે પ્રમોટર એવા સંદીપ એન્જિનિયર(31.6 ટકા હિસ્સો)નું માર્કેટ-કેપ ₹3,672 કરોડ પર પહોંચ્યું હતું.

ચાલુ કેલેન્ડરમાં કંપનીના શેરનો દેખાવ જોઈએ તો તેણે 13.58 ટકાનું રિટર્ન દર્શાવ્યું છે, જે અમદાવાદમાં હેડક્વાર્ટર ધરાવતી કંપનીઓમાં કદાચ ઘણું સારુ છે. ચાલુ કેલેન્ડરમાં મોટા ભાગના મિડ-કેપ શેરોમાં વેલ્યૂનું ધોવાણ થયું છે અને તેથી જૂજ કંપનીઓ જ પોઝિટિવ રિટર્ન દર્શાવી રહી છે, જેમાં એસ્ટ્રલ એક છે. તાજેતરમાં અમદાવાદ સ્થિત સિમ્ફની લિનું પરિણામ અપેક્ષાથી વિપરીત આવ્યું હતું, જેની પાછળ શેરના ભાવમાં 10 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો.

એસ્ટ્રલ પોલિ ટેક્‌નિકના શેરે છેલ્લા સવા વર્ષમાં 145 ટકાનું નોંધપાત્ર વળતર દર્શાવ્યું છે. એટલે કે ડિસેમ્બર 2016ના અંતે ₹392ની સપાટી પર બંધ રહેલો કંપનીનો શેર ₹960ના સ્તરે જોવા મળ્યો છે. આમ રોકાણકારોને ઊંચું વળતર આપનારી ગુજરાતી કંપનીઓમાં તે અગ્રણી રહ્યો છે. ગુરુવારે કાઉન્ટરમાં ઊંચાં કામકાજ નોંધાયાં હતાં.

બીએસઇ ખાતે સરેરાશ બે સપ્તાહના 1,844 શેર્સની સરખામણીમાં 4,608 શેર્સનું કામકાજ નોંધાયું હતું. એસ્ટ્રલથી ઊંચું માર્કેટ-કેપ ધરાવતી ગુજરાતી કંપનીઓમાં અદાણી પોર્ટ, કેડીલા હેલ્થકેર, ગૃહ ફાઇનાન્સ, ટોરેન્ટ ફાર્મા, એઆઇએ એન્જિનિયરિંગ, અદાણી ટ્રાન્સમિશન અને અદાણી એન્ટરપ્રાઇઝનો સમાવેશ થાય છે.

May 25, 2018
agri.jpg
1min18400

૭૭ વર્ષના વયોવૃદ્ધ ખેડૂત આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને અન્યોને પ્રેરણા પુરી પાડી રહ્યા છેઃ

સમગ્ર ગ્રીન હાઉસ પ્રોજેક્ટ સોલાર પેનલની પુનઃપ્રાપ્ય ઉર્જા દ્વારા ચાલે છેઃ

૪૦ ગુંઠાના ગ્રીન હાઉસમાં કાકડી અને ટામેટાનું વાવેતર કર્યું છેઃ

દક્ષિણ ગુજરાતના ખેડૂતો ‘ગ્રીન હાઉસ’ના કન્સેપ્ટથી પાકને વૈજ્ઞાનિક પદ્ધતિથી અનુકૂળ વાતાવરણ સર્જીને મબલખ પ્રમાણમાં ઈચ્છિત પાક મેળવી રહ્યા છે.

હાલ સુધી ખેતીનો સંપૂર્ણ આધાર આબોહવા અને કુદરત પર રહેતો હતો. પણ નવા યુગ સાથે નવી ટેકનોલોજીનો ઉપયોગ વધતાં કૃષિક્ષેત્ર પણ જમાના સાથે તાલ મિલાવી રહ્યું છે. હવે કુદરત પર આધાર રાખ્યા વિના ‘ગ્રીન હાઉસ’ના કન્સેપ્ટથી ખેડૂતો પાકને વૈજ્ઞાનિક પદ્ધતિથી અનુકૂળ વાતાવરણ સર્જીને મબલખ પ્રમાણમાં ઈચ્છિત પાક મેળવી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા પણ જગતનો તાત સમૃદ્ધ થાય તથા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને જંગી ઉત્પાદન મેળવી આર્થિક રીતે પગભર બને એવા અવિરત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાજય સરકારે કૃષિ મહોત્સવની શરૂઆત કરી ત્યારથી જ કૃષિ અર્થતંત્રમાં બદલાવ આવ્યો છે. હજારો ખેડૂતોએ આધુનિક ટેકનોલોજી અપનાવીને પોતાની આવક બમણી કરી છે.
સુરત જિલ્લામાં ગ્રીનહાઉસથી ખેતી કરતા ખેડૂતોની સંખ્યા દિન-પ્રતિદિન વધી રહી છે. તેનું કારણ છે ગ્રીનહાઉસ-નેટહાઉસ ખેતીથી નિંદામણના અને રોગ-જીવાતોના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો તેમજ ઉત્પાદનમાં વધારો. સાથે સાથે પાણીના વપરાશમાં બચત અને મજૂરી ખર્ચમાં પણ લાભ મળે છે. સાદી ભાષામાં કહીએ તો ગ્રીનહાઉસ ટેક્નોલોજી એટલે બંધ કવરમાં વાતાવરણ, તાપમાન અને ભેજ નિયંત્રણની સચોટ વ્યવસ્થા હેઠળ કરાતી નવા જમાનાની ખેતી.

એમ.એસ.યુનિવર્સિટીમાંથી ઈલેકટ્રીક એન્જિનિયરીંગ કરીને ઈલેકટ્રીક એન્જિનિયર તરીકેની નોકરી છોડી નવતર ખેતી કરતા સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કદરામા ગામના ૭૭ વર્ષના વયોવૃધ્ધ ખેડૂત લલિતભાઈ નાથુભાઈ પટેલે ખેતીમાં ગ્રીન હાઉસ ટેકનોલોજીથી કાકડીનું માતબર ઉત્પાદન મેળવીને અન્યોને પણ પ્રેરણા પુરી પાડી છે.
સુરત માહિતી ખાતાની ટીમ સાથેની એક મુલાકાતમાં વાત કરતા લલિતભાઈ કહે છે કે, શરૂઆતમાં અમો શેરડી, ડાંગર જેવા પરંપરાગત પાકોની ખેતી કરતા હતા. પરંતુ બદલાતા સમય સાથે આજના આધુનિક અને ઝડપી યુગમાં ટેકનોલોજીનો ઉપયોગ કર્યા વિના ચાલે તેમ નથી.
લલિતભાઈ પુત્ર જતીનભાઈ પટેલ સાથે ત્રણેક વર્ષ પહેલા જિલ્લામાં યોજાયેલા કૃષિ મહોત્સવમાં ગયા હતા. જયાં વૈજ્ઞાનિકોએ આધુનિક ટેકનોલોજી અંતર્ગત ગ્રીન હાઉસ/નેટ હાઉસ વિશેની માહિતી આપી. ત્યાર બાદ પિતા-પુત્રએ બાગાયત ખાતાના અધિકારીઓનો સંપર્ક કર્યો, જ્યાં ગ્રીન હાઉસ-નેટ હાઉસની વિગતો મેળવી. બાગાયતના અધિકારીએ આણંદ જિલ્લામાં યોજાયેલા પ્રેરણા પ્રવાસમાં આવવા જણાવ્યું. જેથી જતીનભાઈએ ૧૫ દિવસ દરમિયાન આણંદ ખાતે પ્રેરણા પ્રવાસ, ટ્રેનિંગ દરમિયાન ત્યાંના પ્રગતિશીલ ખેડૂતોના ખેતરોની મુલાકાત લઈને અનુભવોનું આદાન-પ્રદાન કર્યું હતું. ઉપરાંત ગ્રીન હાઉસ અને નેટ હાઉસમાં આપવામાં આવતી સબસીડી તથા કેવા વાતાવરણમાં કયું ઉત્પાદન લઈ શકાય તેની પ્રત્યક્ષ મુલાકાત લીધી. પુત્ર જતિનભાઈ સાથે લલિતભાઈએ ચર્ચા કરીને કહ્યું કે, ‘હવે આધુનિક ટેકનોલોજી વિના ચાલે તેમ નથી. સ્વભાવે સાહસિક અને પ્રયોગશીલ એવા પિતા-પુત્રએ તમામ વિગતો મેળવીને પ્રથમ ૨૦ ગુંઠામાં નેટહાઉસ બનાવ્યું. તેમા પ્રથમ પ્રયાસે ૧૩ ટન ખીરા કાકડીનું ઉત્પાદન લીધા બાદ આ જ નેટહાઉસમાં કેપ્સિકમ મરચાનું ઉત્પાદન લીધું, જેમાં સવા લાખના ખર્ચ બાદ કરતા ચોખ્ખો ચાર લાખનો નફો થયો હતો.

સારૂ એવું ઉત્પાદન મળતા હવે ગ્રીન હાઉસમાં કાકડીનું વાવેતર કરવાનો નિર્ધાર કર્યો. ગ્રીન હાઉસ એટલે, પ્લાસ્ટિક અથવા પારદર્શક આવરણવાળું ગૃહ. જેમાં વધુ ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવા માટે જરૂરી વાતાવરણનું નિયંત્રણ કરી શકાય છે. લલિતભાઈએ ૪૦ ગુઠા જમીનમાં હાઈટેક ગ્રીન હાઉસ તૈયાર કર્યું. જેમાં કુલ ૩૭ લાખના ગ્રીન હાઉસમાં સરકારની ૬૫ ટકા એટલે ૨૪ લાખ જેટલી રકમની સબસીડી પ્રાપ્ત થઈ છે. આ પ્રોજેકટમાં ૨૦ ગુંઠામાં કાકડી અને ૨૦ ગુંઠામાં ટામેટાનું વાવેતર કર્યું છે.
લલિતભાઈ કહે છે કે, કાકડી એ ચાર મહિનાનો પાક છે. અમોએ, જાન્યુઆરી-૨૦૧૮માં એક બીજ ૭ રૂા.ના ભાવે લાવીને કાકડીના ૬ હજાર રોપાઓ તૈયાર કરીને વાવેતર કર્યું. ૪૦ દિવસમાં ઉત્પાદન ચાલુ થયું. સમયાંતરે ૨૫૦ થી ૫૦૦ કિલો કાકડીનું ઉત્પાદન મળે છે. ૩૦૦ થી ૪૦૦ મણદીઠ બજાર ભાવ મળ્યો છે. ચાર મહિના દરમિયાન ૧૪ થી ૧૫ ટન કાકડીનું ઉત્પાદન મળ્યું છે. આમ, રૂ. ૧,૮૦,૦૦૦માં ૪૦ હજારનો ખર્ચ બાદ કરતા ૧.૪૦ લાખનો નફો થયો છે. જ્યારે ટામેટાનું ઉત્પાદન ટુંક સમયમાં શરૂ થઈ જશે. વેચાણની વિશે વાત કરતા તેઓ કહે છે કે, સામાન્ય રીતે કાકડીનો ઉપયોગ કચુંબર-સલાડ બનાવવા હોટેલોમાં વધુ થતો હોઈ તેની ભારે માંગ રહે છે. ગ્રીન હાઉસમાં ઉત્પાદિત કાકડીની ઉચ્ચ ગુણવત્તા હોવાના કારણે માંગ સારી રહે છે.
ગ્રીન હાઉસની વિશેષતા વિશે વાત કરતા લલિતભાઈ કહે છે કે, કાકડીના પાક માટે ૨૫ થી ૨૭ ડિગ્રી તાપમાન અનુકૂળ રહે છે. જેથી અમોએ ગ્રીન હાઉસની ઉપર આઉટર સ્પ્રિંકલર ગોઠવ્યા છે, જે ચાલુ કરતા પાણીનો છંટકાવ થાય છે. જેના કારણે અંદરનું તાપમાન જાળવી શકાય. અંદર પણ ફોગીંગ દ્વારા વાતાવરણને નિયંત્રિત રાખી શકાય છે.
નવાઈની વાત તો એ છે કે, આ સમગ્ર પ્રોજેકટમાં ડ્રીપ ઈરિગેશન પધ્ધતિથી પિયત કરવામાં આવે છે. જેમાં સોલાર પાવર પેનલ મૂકવામાં આવી છે. ૫ એચ.પી.ની મોટર સોલાર પેનલથી ચાલે છે. નાબાર્ડ મારફતે મળતી સોલાર પેનલની યોજનામાં ૫ લાખમાં ૫૦ ટકા સબસીડી મેળવી ઉપરાંત જી.જી.આર.સી. યોજનામાં ૫ લાખના પ્રોજેકટમાં ૭૫ હજાર ભર્યા, જયારે બાકી ૪.૫૦ લાખની સબસીડી પ્રાપ્ત થઈ હોવાનું લલિતભાઈએ કહ્યું હતું. આ પુનઃપ્રાપ્ય ઉર્જા હોવાને કારણે લાઈટ બિલમાંથી તો જાણે કાયમી મુકિત મળી છે. તેઓ ગર્વભેર કહે છે કે, જો હુ આ ઉમરે આટલી મહેનતથી ખેતીમાં સફળતા મેળવી શકું છું, તો યુવા ખેડૂતો ચોક્કસથી ખેતીમાં નવા અભિગમ સાથે પ્રયોગાત્મક પગલા લે તો લાખો રૂપિયાની કમાણી કરી શકે છે. મહાત્મા ગાંધી કહેતા કે, ચીલાચાલુપણું અને નકલ એ ગર્દભનું લક્ષણ છે. આધુનિક ટેકનોલોજી અપનાવીને ચાલીશું તો ઝડપભેર આગળ વધી શકાય છે. ખેતીમાં નાના પાયે કરેલી શરૂઆતનો અંત પણ સુખદ હશે.

May 25, 2018
cmaprentice.jpg
2min11680

રાજ્ય સરકારની એક અભિનવ પહેલ: યુવાઓને પગભર બનાવવા માટે
‘મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના’

એપ્રેન્ટીસ પાસેથી કોઇ પણ પ્રકારની તાલીમી ફી લેવામાં આવતી નથી.
તા.૧૯ અને ૨૮મીના રોજ મજુરાગેટ આઈ.ટી.આઈ. ખાતે એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાશેઃ

ગુજરાતનો આજનો યુવાન ગુજરાતનું ભવિષ્ય છે. ગુજરાત એ તકોની ધરતી- લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી છે. રાજ્યના યુવાનો-યુવતીઓને રોજગારીની પૂરતી તકો મળે એ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે.
રાજ્ય સરકારે યુવાઓને પગભર બનાવવા માટે ‘મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના’ અન્વયે એક અભિનવ પહેલ કરી છે. જે યુવાનો અને યુવતીઓ એપ્રેન્ટીસ કાયદા હેઠળ આવરી લીધેલ કારખાના, હોટલો, હોસ્પિટલો, ટ્રાન્સપોર્ટ, બેન્કો, ખાણ ઉદ્યોગ, આઈ.ટી. ઉદ્યોગ, ફાઈનાન્સિયલ સર્વિસીસ વગેરે જેવા વ્યાપક રોજગારી આપતા એકમોમાં એપ્રેન્ટીસ તરીકે જોડાશે. તેમને જે તે કંપનીના વળતર ઉપરાંત ગુજરાત સરકાર તરફથી મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના અંતર્ગત એક વર્ષ સુધી પ્રોત્સાહક રકમની સહાય આપવામાં આવશે. આ યોજના હેઠળ, સ્નાતક યુવાઓને માસિક રૂ. ૩૦૦૦, ડિપ્લોમાં ધારકને માસિક રૂ. ૨૦૦૦ અને અન્યોને માસિક રૂ. ૧૫૦૦ આપવામાં આવશે. જેના માટે બજેટમાં રૂ.૨૭૨ કરોડની માતબર જોગવાઈ કરવામાં આવી છે.
ગુજરાત સરકારની આ સહાય ઉપરાંત જે એકમોને એપ્રેન્ટીસ એકટ અન્વયે ભારત સરકાર તરફથી માસિક રૂ. ૧૫૦૦ની સહાય આપવામાં આવે છે તે પણ મળવાપાત્ર થશે.
સુરત જિલ્લામાં આગામી તા.૧૯/૫/૨૦૧૮ અને તા.૨૮/૫/૨૦૧૮ના રોજ આઈ.ટી.આઈ. કેમ્પસ, મજુરાગેટ ખાતે સવારે ૧૦.૩૦ થી સાંજે ૫.૩૦ વાગ્યા દરમિયાન એપ્રેન્ટીસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ધો.૭,૮,૯ પાસ અને ૧૦,૧૧,૧૨ પાસ/નાપાસ, આઈ.ટી.આઈ. તમામ ટ્રેડ, બી.એ., બી.કોમ. વગેરેના ઉમેદવારો પોતાના પ્રમાણપત્રો સાથે ભાગ લઈ શકશે. ભરતી મેળામાં નામાંકિત કંપનીઓ ભાગ લેનાર છે.
એપ્રેન્ટીસશીપ તાલીમમાં જોડાવા માટે www.apprenticeship.gov.in પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત માટે ઈ-મેઈલ એકાઉન્ટ જરૂરી છે. આ સિવાય રાજ્યની વિવિધ આઇ.ટી.આઇ. ખાતે ઓફ-લાઇન રજિસ્ટ્રેશન કરવાની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે એપ્રેન્ટીસ પાસેથી કોઇ પણ પ્રકારની તાલીમી ફી લેવામાં આવતી નથી..
તાલીમનો નિયત સમયગાળો પૂર્ણ થયા બાદ વ્યાવસાયિક તાલીમ માટેની રાષ્ટ્રીય કાઉન્સીલ તરફથી વર્ષમાં બે વાર એપ્રિલ અને ઓકટોબરમાં અખિલ ભારતીય વ્યવસાય કસોટી યોજવામાં આવે છે. સફળ થયેલા એપ્રેન્ટીસોને જે તે વ્યવસાયનું રાષ્ટ્રીય પ્રમાણપત્ર આપવામાં આવે છે. આ પ્રમાણપત્ર ભારત સરકારના સાહસો જેવા કે રેલ્વે, ઓ.એન.જી.સી. વગેરેમાં કાયમી સેવા માટે પણ માન્ય છે. કોઈ પણ ઉમેદવારો કે જે એપ્રેન્ટીસ તરીકે જોડાવા ઇચ્છતા હોય, તેઓએ નજીકની આઇ.ટી.આઇ. અથવા જિલ્લા રોજગાર કચેરીનો સંપર્ક કરી જરૂરી માર્ગદર્શન મેળવી શકે છે.
વધુ માહિતી માટે કોલ સેન્ટરનો ટોલ ફ્રી નં. ૧૮૦૦-૨૫૮-૫૫૮૮ પર પણ સંપર્ક કરી શકાય છે. તેમજ www.employment.gujarat.gov.in અને www.apprenticeship.gov.in આ બંને વેબસાઇટ પર ઓનલાઈન જાણકારી મેળવી શકાય છે.