ગુજરાતમાં છેલ્લા ચાર વર્ષથી ચાલી રહેલા પાટીદાર અનામત આંદોલનથી વ્યાપક નુકસાન વેઠનારી ભાજપની સરકારે ગત વિધાનસભાની ચૂંટણી પહેલા બિનઅનામત વર્ગ કે સવર્ણો માટે અલગ આયોગની રચના સહિતની સમાધાનકારી યોજનાઓ અમલમાં મૂક્યા બાદ હવે જ્યારે પાસના નેતા હાર્દિક પટેલે આગામી 26મી ઓગસ્ટથી આમરણાંત ઉપવાસનું એલાન આપ્યું છે ત્યારે ભાજપ સરકારે આજે શુક્રવારે બિનઅનામત વર્ગની 50થી વધુ જ્ઞાતિઓ માટે જુદી જુદી પાંચ યોજનાઓની જાહેરાત કરી છે.

નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે આ અંગેની જાહેરાત કરતા કહ્યું હતું કે, બિન અનામત વર્ગ માટે સરકારે કેટલીક યોજના બનાવી છે. આ યોજનાનો લાભ વિદ્યાર્થીઓ અને સમાજના એવા વર્ગને થશે જેઓને અનામતનો લાભ નથી મળતો. આ યોજનાથી અનામત મેળવતા વર્ગને કોઇ નુકસાન થશે નહીં. રાજ્યમાં ચાલતા મેડિકલ, ડેન્ટલના સ્વનિર્ભર સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો, વ્યવાસિયક અભ્યાસક્રમો, ઇજનેરી, ટેકનોલોજી, ફાર્મસી, આર્કિટેક્ચર, આયુવેર્દિક, હોમિયોપેથી, ફિઝિયોથેરાપીસ વેટરનરી વગેરે અભ્યાસક્રમો માટે (હાયર એજ્યુકેશન જેવા કે બીબીએ, બીકોમ, બીએસસી, બીએ વગેરે સિવાય) સમગ્ર અભ્યાસક્રમની કુલ ટ્યૂશન ફી અથવા 10 લાખ રૂપિયા તે બે પૈકી તે ઓછું હોય તે પ્રમાણેની લોન 4 ટકાના સાદા વ્યાજે નિગમ તરફથી આપવામાં આવશે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, વિદ્યાર્થીએ ધોરણ 10માં 60 ટકા કે તેથી વધુ મેળવેલા હોવા જોઇએ, વ્યાજનો દર વાર્ષિક 4 ટકા લેખે સાદું વ્યાજ, તો કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂપિયા 3 લાખ કે તેથી ઓછી હોવી જોઇએ. અરજદાર બિન અનામત વર્ગના હોવા જોઇએ. આ યોજનાનો લાભ મેળવવા ઇચ્છતા અરજદારે ધોરણ 12 પછી એમબીબીએસ માટે , ડિપ્લોમા પછી ડીગ્રી માટે, સ્નાતક પછી અનુસ્નાતક માટે અને રિસર્ચ જેવા ટેક્નિકલ પેસમેડિકલ, પ્રોફેશનલ વગેરે જેવા કોઇપણ પ્રકારના વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે કુલ રૂપિયા 15 લાખની વિદેશ અભ્યાસ લોન નિગમ તરફથી આપવામાં આવશે. અરજદારે ધોરણ 12માં 60 ટકા કે તેથી વધુ મેળવેલા હોવા જોઇએ. આ લોન વાર્ષિક 4 ટકાના લેખે સાદું વ્યાજ આપવામાં આવશે. કુટુંબની વાર્ષિક આવકમર્યાદા 4.50 લાખ કે તેથી ઓછી હોવા જોઇએ.