ફક્ત બીપીએલ કાર્ડ ધારકોને મળશે, એપીએલ કાર્ડ ધારકોને કેરોસીન વિતરણ બંધ કરાતા અનેક પરિવારો મુશ્કેલીમાં

ગરીબ પરિવારોને વર્ષોથી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા વિભાગ દ્વારા અપાતા પ્રાથમિક ઇંધણ કેરોસીન પર શનિવાર, તા.2 સપ્ટેમ્બર 2018થી રાજ્ય સરકારે પ્રતિબંધ મુકયો છે. કેરોસીન બંધ થઇ જતા લાખો ગરીબ પરિવારોને ભારે મુશ્કેલી સર્જાશે. ચોમાસાની સિઝનમાં કેરોસીન પર આશરો રાખી પ્રાયમસ પર રસોઇ બનાવી રાંધેલું અનાજ ખાતા ગરીબ પરિવારો મુશ્કેલીગ્રસ્ત બની ચૂક્યા છે.
ગુજરાત સરકારે પુરવઠા ખાતેની ચેનલ મારફતે કેરોસીન વિતરણ પર પાછલા ઘણાં વર્ષોથી સતત કાપ મુકવાનું શરૂ કર્યું હતું અને આખરે બંધ કરી દેવાનો નિર્ણય લેવાયો છે.
ગુજરાતમાં જ્યારે પુરવઠા ચેનલ મારફતે રેશનિંગથી કેરોસીન વિતરણ શરૂ કરાયું હતું ત્યારે પ્રતિ લિટરના રૂ. 0.15 પૈસા દરથી શરૂ થયેલું કેરોસીન છેલ્લે 27 રૂપિયાને 10 પૈસા ભાવે મળતું હતુ. જે પણ હવે બંધ કરી દેવાયું છે. ઉલ્લેખનીય છે કે, અત્યારે એપીએલ કાર્ડ ધારકોનું કેરોસીન બંધ કરાયું છે. બીપીએલ અને અંત્યોદર ધારકોને કેરોસીન મળશે જે પણ થોડા સમય પછી બંધ કરી દેવામાં આવે એમ જણાય છે.
શરૂઆતમાં કાર્ડ વિના અમર્યાદીત પ્રમાણમાં લોકોને કેરોસીન આપવામાં આવતું હતુ. બાદમાં કાર્ડની શરૂઆત થતા કાર્ડ દીઠ 18 લિટર કેરોસીન આપવામાં આવતું હતું સમયાંતરે બીપીએલ અને અંત્યોદર કાર્ડ આવતા કેરોસીનમાં કાપ મુકવાની શરૂઆત કરી દેવાઇ હતી.
જેમાં છેલ્લે બીપીએલ અને અંત્યોદર ધારકોને વ્યકિત દીઠ 2 લિટર અને કાર્ડ દિઠ 8 લિટર કેરોસીન અપાતુ હતું. જયારે એપીએલ કાર્ડ ધારકોને વ્યકિત દીઠ 2 લિટર અને કાર્ડ દીઠ 4 લિટર કેરોસીન મળતું હતું. જોકે 1લી સપ્ટેમ્બરથી એપીએલ ધારકોને કેરોસીન આપવાનુ બંધ કરવામાં આવ્યું છે. એકલા અમદાવાદમા જ 2 લાખથી વધુ એપીએલ કાર્ડધારકો છે. ત્યારે આખા રાજ્યમાં લાખો કુંટુબોને મળવાપાત્ર કેરોસીન હવેથી બંધ થઇ જશે.













