CIA ALERT

ગુજરાત Archives - Page 145 of 158 - CIA Live

November 21, 2018
govt.jpeg
1min8430
  • 122 કેન્દ્રો ઉપર 5,352 ખેડૂતોની મગફળી સરકારે લીધી
  • કુલ 5,352 ખેડૂતો પાસેથી રૂ. 5,377 લાખની કિંમતની મગફળી ખરીદવામાં આવી
  • રાજ્યસરકાર દ્વારા ખરીફ સીઝન 2018-19 માટે રૂ 1000ના ભાવથી તા. 15ના રોજથી ખરીદી
  • 122 એપીએમસી સેન્ટર ખાતે ખરીદીનું કામકાજ
  • કુલ 1,07,539.75 ક્વિન્ટલ મગફળી ખરીદવામાં આવી
ગુજરાતમાં પાંચ દિવસમાં ખેડૂતોની આશરે 1.07 લાખ ટન મગફળી ખરીદ કરવામાં આવી છે. કુલ 5,352 ખેડૂતો પાસેથી રૂ. 5,377 લાખની કિંમતની મગફળી ખરીદવામાં આવી છે.
રાજ્યના નાગરિક પુરવઠા નિગમ લિમિટેડના જણાવ્યા પ્રમાણે રાજ્યસરકાર દ્વારા ખરીફ સીઝન 2018-19 માટે રૂ 1000ના ભાવથી તા. 15ના રોજથી ખરીદી આરંભાઇ છે. 122 એપીએમસી સેન્ટર ખાતે ખરીદીનું કામકાજ ચાલુ છે. પાંચ દિવસમાં  રાજ્યભરના 5,352 ખેડૂતો પાસેથી કુલ રૂ.5,377 લાખની કુલ 1,07,539.75 ક્વિન્ટલ મગફળી ખરીદવામાં આવી છે. હવે સરકાર ખરીદીની પ્રક્રિયા તેજ બનાવવાની છે.
  • જામનગર જિલ્લામાં 386 ખેડૂતો પાસેથી 5787 ટન મગફળી ખરીદાઇ
  • કુલ 19,432 ખેડૂતોની નોંધણી
  • ભાવનગરમાં ચિત્રા ખાતે ત્રણ દિવસમાં કુલ 175 ખેડૂતો પાસેથી 4,457 ક્વીન્ટલ મગફળી ખરીદાઇ
  • ધોરાજી માર્કેટ યાર્ડમાં 6377 ગુણી મગફળી ખરીદવામાં આવી
  • બોટાદમાં હડદડ યાર્ડ ખાતે ચાર દિવસમાં 130 ખેડૂતો પાસેથી 160 ટન મગફળી ખરીદવામાં આવી
  • ગીર સોમનાથ જિલ્લામાં 326 ખેડૂતોની 3.5 કરોડની મગફળીની ખરીદી
  • પોરબંદરમાં ટેકાના ભાવથી 3475 ક્વીન્ટલ મગફળીની ખરીદી
જામનગર જિલ્લામાં 386 ખેડૂતો પાસેથી 5787 ટન મગફળી ખરીદાઇ હોવાનું જિલ્લા કલેક્ટર રવિશંકરે જણાવ્યું હતુ. કુલ 19,432 ખેડૂતોની નોંધણી થઇ છે. કેન્દ્રો ઉપર ખરીદી ચાલુ છે. 14 ટકા સેમ્પલો અત્યાર સુધી રિજેક્ટ થયા છે. વિડીયોગ્રાફી સાથે ટીડીઓ અને મામલતદાર પણ ખરીદી વખતે હાજર રહે છે. પોલીસનો જાપ્તો પણ છે.
ભાવનગરમાં ચિત્રા ખાતે  150 લોકોના સ્ટાફ સાથે ખરીદી ચાલુ છે. પ્રથમ ત્રણ દિવસમાં કુલ 175 ખેડૂતો પાસેથી 4,457 ક્વીન્ટલ મગફળી ખરીદાઇ છે. બારદાન, વજનકાંટા, પ્રિન્ટેડ ફ્લેક્સ ટેગ, સિલાઇ મશીન, મજૂરો, ટ્રાન્સપોર્ટેશન, સેમ્પલ બેગ વગેરેની વ્યવસ્થા પૂરતા પ્રમાણમાં છે. બોટાદમાં હડદડ યાર્ડ ખાતે ખરીદી ચાલુ છે. પ્રથમ ચાર દિવસમાં 130 ખેડૂતો પાસેથી 160 ટન મગફળી ખરીદવામાં આવી છે. 1035 ખેડૂતોએ અત્યાર સુધી નોંધણી કરાવી છે.
ધોરાજી માર્કેટ યાર્ડમાં 6377 ગુણી મગફળી ખરીદવામાં આવી છે. માટી-કચરો ન હોય તેવી ગુણવત્તાના માપદંડ અનુસાર ખરીદી થાય છે. એ માટે કલેક્ટરના માર્ગદર્શન હેઠળ કામકાજ થાય છે.
ગીર સોમનાથ જિલ્લામાં 326 ખેડૂતોની 3.5 કરોડની મગફળીની ખરીદી કરવામાં આવી છે. મગફળીનો જથ્થો આશરે 35,600 મણ મળ્યો છે. વેરાવળ, ઉના, સુત્રાપાડા, કોડીનાર અને તાલાલામાં કેન્દ્ર ચાલુ છે. પોરબંદરમાં ટેકાના ભાવથી 3475 ક્વીન્ટલ મગફળીની ખરીદી કરવામાં આવી છે. કલેક્ટર દ્વારા ખરીદ કેન્દ્રોની મુલાકાત લઇને વ્યવસ્થાનું નિરિક્ષણ કરવામાં આવ્યું હતુ.કુલ 495 ખેડૂતોની ખરીદી કરવામાં આવી હતી.
November 20, 2018
alpesh-kathiriya-1280x720.jpg
1min8720
  • રાજદ્રોહના કેસમાં અલ્પેશ કથિરીયાને હાઇકોર્ટે જામીન આપ્યા
  • જામીનના એક દિવસ પૂર્વે જ સુરત પોલીસે અલ્પેશ કથિરીયાને અેરેસ્ટ કર્યા હતા
  • રાજદ્રોહના કેસમાં અલ્પેશ કથિરીયાને જામીન મળ્યા હોવા છતાં હજુ તેઓ સુરત પોલીસની કસ્ટડીમાં રહેશે

સુરતના યુવા આગેવાન અને પાસના નેતા અલ્પેશ કથિરીયાને આખરે રાજદ્રોહના કેસમાં આજરોજ તા.20મી નવેમ્બર 2018ના રોજ ગુજરાત હાઇકોર્ટે જામીન આપ્યા હોવાની વિગતો જાણવા મળી છે. જોકે, તા.19મી નવેમ્બર 2018ના રોજ અમદાવાદ જેલમાંથી સુરત પોલીસે અલ્પેશ કથિરીયાને બીજા કેસમાં એરેસ્ટ કર્યા હતા, એટલે હાઇકોર્ટમાંથી જામીન મળ્યા હોવા છતાં સુરતના કેસમાં અલ્પેશ કથિરીયાએ હજુ કસ્ટડીમાં રહેવું પડે તેવી સ્થિતિ સર્જાવા પામી છે.

ગુજરાત હાઇકોર્ટે રાજદ્રોહના કેસમાં પાસના મોટા નેતા સુરતના અલ્પેશ કથિરીયાને જામીન આપ્યા હોવાની વિગતો આજે બપોરે સાડા ત્રણ વાગ્યાના અરસામાં ભારે વાઇરલ થઇ હતી. પાસના વ્હોટ્સ એપ ગ્રુપમાં અલ્પેશ કથિરીયાના ચાહકોએ અલ્પેશ ગબ્બરની મુક્તિના સમાચારોને વાઇરલ કરી મૂક્યા હતા. પાસના નેતાઓએ અલ્પેશ કથિરીયાને અન્ય કેસોમાં પણ જામીન મળી જશે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

અલ્પેશ કથિરીયા 19મી ઓગસ્ટ 2018ના રોજ પોલીસે રાજદ્રોહના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્રણ મહિનાનો સમય અલ્પેશ કથિરીયા અમદાવાદની સાબરમતી જેલમાં બંધ રહ્યા હતા.

November 20, 2018
girnar.jpg
1min6430

અવિધિસર રીતે તા. 17 નવેમ્બર 2018 ની મધરાતથી શરૂ થયેલી ગિરનારની લીલી પરિક્રમામાં સોમવાર તા.19મી નવેમ્બર 2018ની સાંજ સુધીમાં 12 લાખ ઉપરાંત યાત્રિકો ઊમટી પડ્યા હતા.

આ વિક્રમજનક સંખ્યા હોવા છતાં અને વિધિવત્ પરિક્રમાનું ઉદ્ઘાટન સોમવારે મધરાતે જ થયું હતું, આ લખાય રહ્યું હતું ત્યારે મંગળવાર તા.20મી નવેમ્બર 2018ની બપોરે પણ માનવપ્રવાહ ઘૂઘવતા સાગર ની જેમ પરિક્રમના પંથે સંચરી રહ્યો હતો. દરમિયાન હાલની પરિસ્થિતિનો અભ્યાસ કરતા એવું જણાય છે કે, હજુ સંખ્યામાં વધારો થશે. વનખાતાના કન્ટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર 6 લાખ લોકો, પરિક્રમા પૂરી કરીને ઘરે જવા રવાના થઈ ગયા છે. એક દાયકાની આ રેકર્ડબ્રેક સંખ્યા 12 લાખથી વધુ યાત્રિકોની નોંધાઈ છે. હજુ આ સંખ્યા વધવાની સંભાવના વનખાતાએ કરી હતી.

November 19, 2018
mahiti2.jpg
1min6780
  • ગુજરાત પ્રેસ અકાદમી, ગાંધીનગર અને પ્રાદેશિક માહિતી કચેરી, સુરતના સંયુકત ઉપક્રમે ‘‘ડીજીટલ યુગમાં પત્રકારત્વના સિધ્ધાંતો અને પડકારો’’ વિષય પર સેમિનાર યોજાયોઃ
  • મીડિયા સમાજના સંદેશાવાહક, ચોકીદાર અને શિક્ષકની ત્રિવિધ ભૂમિકા ભજવી રહ્યું છે: સામાજિક અગ્રણી કાનજીભાઈ ભાલાળા
  • ડીજીટલ મીડિયાના યુગમાં આજે પણ અખબારોની વિશ્વસનીયતા ટકી રહી છેઃ નિવૃત્ત સંયુકત માહિતી નિયામક
  • અનેક પડકારો વચ્ચે સમાજના વૈચારિક વિકાસ માટે ઝઝુમતા પત્રકારો સમાજને દિશા દર્શન કરવાની સરાહનીય ફરજ બજાવે છેઃ ભાવસિંહ રાઠવા
ગુજરાત પ્રેસ અકાદમી, ગાંધીનગર અને પ્રાદેશિક માહિતી કચેરી, સુરતના સંયુકત ઉપક્રમે પ્રેસ-ડેની ઉજવણીના ભાગરૂપે ‘‘ડીજીટલ યુગમાં પત્રકારત્વના સિધ્ધાંતો અને પડકારો’’ વિષય પર પ્રિન્ટ/ઈલેકટ્રોનિકસ અને ડીજીટલ મીડિયાના તંત્રીશ્રી/પ્રતિનિધિશ્રીઓની ઉપસ્થિતિમાં ચેમ્બર કોમર્સના સમૃધ્ધિ હોલ ખાતે સેમિનાર યોજાયો હતો.
              આ પ્રસંગે સામાજિક અગ્રણી અને વરાછા બેન્કના ચેરમેનશ્રી કાનજીભાઈ ભાલાળાએ મીડિયા સામેના પડકારો વિષે વિસ્તૃત અને રસપ્રદ જાણકારી આપતાં જણાવ્યું હતું કે, માનવ જીવન પડકારો અને સંઘર્ષોનો સરવાળો છે. લોકશાહીનો ચોથો સ્થંભ ગણાતા મીડિયા જગતમાં પડકારોની ભરમાર છે.  સમયની સાથે લોકમાનસ, લોકાભિગમ અને મીડિયાની કાર્યશૈલીમાં નિરંતર પરિવર્તન આવતું રહ્યું છે. ૧૫મી ઓગસ્ટ આઝાદી અને ૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક દિન તરીકે રાષ્ટ્રીય ચેતનાનું પર્વ છે, એ જ રીતે નેશનલ પ્રેસ ડે મીડિયા ક્ષેત્રનું ઉત્તરદાયિત્વ નિભાવવાનું અને આવનારા પડકારો સામે સુસજ્જ બનવાની પ્રેરણા આપતું પર્વ હોવાનું શ્રી ભાલાળાએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, સમાજજીવનને ધબકતું રાખવા, લોકસમસ્યાઓનો પડઘો પાડવા મીડિયાના પ્રહરીઓ પારિવારિક અને સામાજિક જીવનની કુરબાની આપે છે. ડીજીટલ વેબ અને સોશ્યલ મીડિયાના જમાનામાં આજે પણ એક વર્ગ એવો છે જેમની સવાર અખબાર વાંચ્યા પછી જ પડતી હોય છે. જ્યાં સુધી માનવીનું અસ્તિત્વ છે, ત્યાં સુધી  અખબારોને કોઈ ઊની આંચ નહિ આવે એમ તેમણે દ્રઢતાથી જણાવ્યું હતું.
સમાજના અભિન્ન અંગ એવા અખબારોનો વિકલ્પ મળવો મુશ્કેલ છે એમ જણાવી તેમણે પત્રકાર એ સમાજનો સંદેશવાહક, ચોકીદાર હોવા સાથે જ એક શિક્ષકની ભૂમિકા પણ ભજવી રહ્યો છે, ત્યારે પત્રકારે લોકમાનસનું ઘડતર કરવાની જવાબદારી નિભાવવી પડશે. પોતાની શ્રેષ્ઠ શક્તિઓના ઉપયોગ વડે હાથ પર લીધેલા કાર્યને દીપાવવું જોઈએ. કર્તવ્યનું પાલન કરવું એ જ સાચો ધર્મ છે એ સૂત્રને આત્મસાત કરી પત્રકારે જનહિતને સર્વોપરી ગણી અખબારી ધર્મ નિભાવવો જોઈએ એમ ઉમેર્યું હતું.
         શ્રી ભાલાળાએ વાંચન ખુબ જરૂરી હોવાનું જણાવી કહ્યું કે, પત્રકાર એક ઉત્તમ વાંચક હોવો જોઈએ, અને બહોળું વાંચન જ તેના લખાણમાં ઊંડાણ જન્માવે છે. સમાજના વિવિધ વર્ગોના વિચારો, અભિપ્રાયોને, વર્તમાન સામાજિક-રાજનૈતિક પ્રણાલીને નિષ્પક્ષતાથી રજૂ કરતા મીડિયા માટે ધાર્મિક સંસ્થાઓ અથવા રાજકીય શક્તિઓ તરફથી ભય ઊભો થઇ રહ્યો છે, જે ચિંતાનો વિષય છે. માહિતી વિસ્ફોટના આ યુગમાં સાચા અને અર્થપૂર્ણ સમાચારોથી લોકોને વાકેફ કરી લોકમાનસનું ઘડતર કરવાની દિશામાં પત્રકારોએ આગળ પડતી ભૂમિકા ભજવવી પડશે. મીડિયા પાસે અભિવ્યક્તિની તાકાત છે, પરંતુ દરેક અધિકાર અને પાવર સાથે વિશેષ જવાબદારીઓ પણ જોડાયેલી હોય છે. અભિવ્યક્તિની સ્વતંત્રતા હોવી જરૂરી છે, તે સાથે સ્વતંત્રતાનો મર્યાદાપૂર્વકનો ઉપયોગ પણ જરૂરી છે એમ તેમણે જણાવી ઉપસ્થિત સૌ મીડિયાકર્મીઓને પ્રેસ દિનની શુભકામનાઓ પાઠવી હતી.
               નિવૃત સંયુકત માહિતી નિયામકશ્રી સેસિલ ક્રિસ્ટીએ જણાવ્યું હતું કે, ડીજીટલ યુગમાં પ્રિન્ટ અને ઈલેકટ્રોનિકસ મીડિયા સામે અનેક પડકારો રહેલા છે. ડીજીટલ મીડિયામાં સમાચારની સત્યતાનો અભાવ વર્તાય છે તેની સામે અખબાર વાંચવાથી જ સમાચારની વિશ્વનિયતતા નક્કી થાય છે. આમ અખબારોએ પોતાની વિશ્વસનીયતા ટકાવી રાખવી પડશે. ડીજીટલ યુગમાં પોલિટીકલ પાર્ટીઓ રોજે રોજ એક બીજાની તરફેણ- વિરૂધ્ધમાં સમાચારોનું પ્રસારણ કરતા હોય છે. લોકોને સનસનાટી ભર્યા સમાચારો ગમે છે જેને સોશ્યલ અને ડીજીટલ મીડિયા પોષે છે પરંતુ કોઈપણ ન્યુઝની સત્યતાની ચકાસણી કરીને ત્યાર બાદ જ રજુ કરવામાં આવે તે જરૂરી છે.
આ વેળાએ પ્રશ્નોત્તરી કરતા શ્રી કાનજીભાઈ ભાલાળા અને શ્રી સેસિલ ક્રિસ્ટીએ ઉપસ્થિત તંત્રીશ્રી- પત્રકારોએ ફેક ન્યુઝ, અખબારી મૂલ્યો, પત્રકારની સજ્જતા, સોશ્યલ મીડિયાના પ્રભાવ પર પૂછેલા પ્રશ્નોના માહિતીપ્રદ ઉત્તરો આપ્યા હતા.
           આ પ્રસંગે સંયુક્ત માહિતી નિયામકશ્રી ભાવસિંહ રાઠવાએ પ્રેસ કાઉન્સિલની ભૂમિકા આપી હતી. શ્રી રાઠવાએ ઉપસ્થિત તંત્રી/પ્રતિનિધિશ્રીઓને આવકારતાં કહ્યું કે, પ્રેસ કાઉન્સિલ સમાજને ઉપયોગી અને સાચી હકીકત ઉજાગર કરતા પત્રકારોને પ્રેરણા આપવાનું કાર્ય સુપેરે નિભાવી સમાજના જાગૃત પ્રહરી, નીડર મીડિયાના હિતોનું રક્ષણ કરવાની ભૂમિકા અદા કરે છે. અનેક પડકારો વચ્ચે સમાજના વૈચારિક વિકાસ માટે ઝઝૂમતાં પત્રકારો પોતાની ફરજ અહર્નિશ બજાવી સમાજનું દિશાદર્શન કરવાની સરાહનીય ફરજ બજાવી રહ્યા હોવાનું શ્રી રાઠવાએ જણાવ્યું હતું.
       સ્વાગત પ્રવચન નાયબ માહિતી નિયામકશ્રી એમ.એસ.વળવી તથા આભારવિધિ સહાયક માહિતી નિયામકશ્રી આર.આર.તડવીએ આટોપી હતી.
સેમિનારનું રસાળ શૈલીમાં સંચાલન કરતા ચિત્રલેખાના યુવા પત્રકારશ્રી ફૈસલ બકીલીએ જણાવ્યું કે, ડીજીટલ યુગના પ્લેટફોર્મના ઉપયોગ સાથે મીડીયા જગતમાં હરીફાઇ વધવાની સાથે તેની સામે પડકાર પર એટલા જ ઊભા થયા છે, જેથી સમાચારની સત્યતા જાળવવી એટલી જ કપરી બની રહી છે. જેથી ડીજીટલ યુગમાં કોઈ પણ અખબાર કે ન્યુઝ ચેનલ માટે વિશ્વનીયતા સૌથી અગત્યની છે. અને વિવેકભાન સાથે સમાજને આયનો બતાવવાનું કાર્ય થાય તે જરૂરી છે હોવાનું જણાવ્યું હતું. સમગ્ર સેમિનારનું સફળ આયોજન માટે સહાયક માહિતી નિયામકશ્રી સહાયક માહિતી નિયામકશ્રી ઉમેશ બાવીશા, માહિતી મદદનીશશ્રી મહેન્દ્ર વેકરીયા, સહાયક અધિક્ષકશ્રી અક્ષય દેસાઈ, શ્રી પરેશ ટાપણીયાએ જહેમત ઉઠાવી હતી.
               ઉલ્લેખનીય છે કે, અખબારી જગત સાથે સંકળાયેલી સંસ્થા “પ્રેસ કાઉન્સીલ ઓફ ઇન્ડિયા” ની ૧૬મી નવેમ્બર,૧૯૫૬ ના દિવસે સ્થાપના થઇ હતી. પ્રેસ કાઉન્સીલના જન્મ દિવસને પ્રત્યેક વર્ષ સંભારણારૂપે ઉજવવા અને મીડિયાની સમાજમાં સંનિષ્ઠ લોકપ્રહરીની ભૂમિકાથી સમાજને અવગત કરાવવા માટે વર્ષ ૧૯૯૭માં ૧૬મી નવેમ્બરને નેશનલ પ્રેસ ડે રૂપે ઉજવવાનો નિર્ણય લેવાયો અને ત્યારથી સમગ્ર ભારતમાં આ દિવસની પ્રેસ ડે તરીકે ઉજવણી કરવામાં આવે છે.
November 19, 2018
paas.jpg
1min7890

આજરોજ તા.19મી નવેમ્બર 2018ના રોજ અમદાવાદ ખાતેની પલાસિયો હોટેલમાં બપોરે 3 વાગ્યાના અરસામાં પાસની એક મિટીંગ યોજવામાં આવી હતી. જોકે, આ હોટેલમાં પાસના નેતાઓ જેવા કે દિનેશ બાંભણીયા, નિખિલ સવાણી, દિલીપ સાબવા વગેરે ઉપસ્થિત હતા અને મિટીંગ શરૂ થાય એ પહેલા જ હોટેલ સંચાલકોએ ઇલેક્ટ્રીસિટી બંધ કરી દેતા મિટીંગ વિખેરી નાંખવાની ફરજ પડી હતી. હોટેલ માલિકો સાથે પાસના કાર્યકર્તાઓએ જીભાજોડી કરીને ઘર્ષણ કરવાનો પ્રયાસ કરતા હોટેલ માલિકોએ પોલીસ બોલાવવી પડી હતી. હોટેલ માલિકોએ પત્રકારોને જણાવ્યું હતું કે પાસના નેતાઓએ સ્નેહ મિલનના નામે જુઠ્ઠું બોલીને હોલ બુક કરાવ્યો હતો.

આ મિટીંગમાં લગભગ 150થી વધુ પાસ કન્વીનરો, આગેવાનો સમગ્ર ગુજરાતભરમાંથી આવ્યા હોવાની માહિતી પાસ આગેવાનોએ આપી હતી.

(પ્રતિકાત્મક તસ્વીર)

હોટેલમાં રૂપિયા ભરીને સ્થળ ફાઇનલ કર્યું હોવા છતાં પાસ, એસપીજી સમેતના આંદોલનકારી સંસ્થાઓના આગેવાનોની મિટીંગ ફિક્સ થઇ હતી પરંતુ, રાજ્ય સરકારના દબાણ હેઠળ હોટેલ સંચાલકોએ વીજળી ગુલ કરી દીધી હોવાનો આક્ષેપ દિનેશ બાંભણીયા તેમજ અન્યોએ કર્યો હતો. ગણતરીની મિનિટોમાં જ પાસના નેતાઓ, કાર્યકર્તાઓ, અગ્રણીઓ, કન્વીનરોએ મિટીંગ અને મિટીંગ પછી યોજાનારી પ્રેસ કોન્ફરન્સ પણ રદ કરી દેવાની ફરજ પડી હતી.

પાસ અગ્રણી નરેન્દ્રભાઇએ પત્રકારોને જણાવ્યું હતું કે પાટીદાર સમાજ માટે લડત ચલાવી રહેલી તમામ સંસ્થાઓના આગેવાનો જ્યારે સંગઠિત થવાના એજન્ડા પર મળવાના હતા, તેમાં સરકારે હવનમાં હાડકા નાંખ્યા છે. પણ આ મિટીંગ ટૂંક સમયમાં કોઇ ખેતરમાં કે ખુલ્લી જગ્યાએ રાખીશું. સરકાર કોઇ કાળે મિટીંગ વિખેરી શકશે નહીં.

હોટેલના માલિકે જણાવ્યું કે ફક્ત 20-25 વ્યક્તિઓના ગેટ ટુ ગેધર ના નામે હોટેલ બુક કરાવવામાં આવી હતી. અમે તેમને રાજકારણ કે વિવાદિત મુદ્દા પર મિટીંગ નહીં કરવા જણાવ્યું હતું જોકે, પાછળથી ખબર પડી કે પાસના રાજકારણ માટે હોટેલ બુક કરાવવામાં આવી હોવાથી અમારે ના પાડવી પડી હતી. પાસના કાર્યકર્તાઓએ હોબાળો મચાવતા અમારે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.

November 18, 2018
girnar.jpg
1min6560

ગિરનારની લીલી પરિક્રમા આદી અનાદી કાળથી થાય છે. વર્ષો પહેલા ગિરનારની પરિક્રમા યાત્રાળુઓ 4 દિવસે પૂર્ણ કરતા અને પરિક્રમા દરમિયાન જંગલમાં ચાર રાત્રિ ગાળતા, અને બાદ પરિક્રમા પૂર્ણ કરી દામોદર કુંડમાં સ્નાન કરતા. પરંતુ હાલ પરિક્રમા ઝડપથી પૂર્ણ થઈ જાય છે. 

સોમવાર, તા 19 નવેમ્બર 2018 થી શરૂ થઇ રહેલી સૌરાષ્ટ્રમાં પવિત્ર મનાતી ગિરનારની પરિક્રમા આ વખતે ગિરનારની તળેટીથી લઇને પર્વત માર્ગ પર પ્લાસ્ટીક ફ્રી રહે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. યાત્રાળુઓ તેમની સાથે પ્લાસ્ટીકની બેગની જગ્યાએ કાગળની થેલીઓ લઇ જાય તેની વ્યવસ્થા કરવામાં આવી છે. લોકોને પ્લાસ્ટિક મુક્ત વિસ્તાર રાખવા માટે ખાસ અપીલ કરવામાં આવશે. દર વર્ષ કરતા આ વર્ષે ગિરનારની પરિક્રમા કરનારાઓની સંખ્યા વધે તેવી પૂરેપૂરી શક્યતા જોવાય રહી છે.

આવનારાઓની સુવિધા માટે રેલવે તંત્ર દ્વારા તા 18 થી 24 દરમ્યાન વધારાની ટ્રેનો તેમ જ હાલ દોડતી અને જૂનાગઢથી ઉપડતી તેમ જ આવતી ટ્રેનોમાં વધારાના કોચ લગાડાયા છે. જ્યારે એસ.ટી.તંત્રે 40 ઉપરાંત વધુ બસો દોડાવી છે. દરમિયાન ગિરનારની લીલી પરિક્રમા દરમ્યાન જંગલ પ્લાસ્ટિક મુક્ત રહે તે માટે વિવિધ સંસ્થાઓ પરિક્રમા રૂટ ઉપર યાત્રિકોને કાગળની થેલીઓનું વિતરણ કરનાર છે. જેમાં પ્રકૃતિ મિત્ર મંડળ, બોલબાલા ટ્રસ્ટ, સિનિયર સિટીઝન મંડળ, નેચર નિસર્ગ કલબ અને બાબા મિત્ર મંડળનો સમાવેશ થાય છે. આ સંસ્થાઓના સભ્યો, જંગલમાં કોઈપણ પ્રકારનું પ્લાસ્ટિક ન જાય તેની ખાસ તકેદારી રાખશે.

કારતક સુદ અગિયારસથી ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમાનો પ્રારંભ થઈ રહ્યો છે. પરિક્રમા કરવા માટે ભાવિકો જીવના જોખમે ટ્રેનના ડબ્બા પર બેસી જૂનાગઢ આવી રહ્યા છે. ટ્રેનના ડબ્બા પરથી સેલ્ફી લેવા જતા એક યુવાન નીચે પટકાયો હતો અને તેને માથાના ભાગે ઇજા પહોંચી હતી.

ગિરનારની લીલી પરિક્રમા માટે લોકોના ટોળેટાળાં જૂનાગઢ આવી રહ્યા છે. એસટી બસો અને ટ્રેનોમાં ચિક્કાર ટ્રાફિક જોવા મળી રહ્યો છે. ટ્રેનના ડબ્બા પર ચડી લોકો જૂનાગઢ આવી રહ્યા છે ત્યારે પોલીસ દ્વારા લોકોને નીચે ઉતારવા મહેનત કરી પરંતુ લોકો માન્યા નહિ. જોખમી સવારીમાં ઊનાના હરમડિયા પાસે ડબ્બા પર એક યુવાન સેલ્ફીના ચક્કરમાં નીચે પટકાયો હતો. આથી તેને માથાના ભાગે ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલે ખસેડ્યો હતો.

  • ગિરનારની લીલી પરિક્રમા માટે લોકોના ટોળેટાળાં જૂનાગઢમાં ઠલવાયા
  • ધારી રેલવે સ્ટેશન પર ટ્રેન હાઉસફૂલ, લોકો ડબ્બા પર ચડી ગયા, સેંકડો લોકો જીવના જોખમે મુસાફરી
  • ભવનાથ અને પરિક્રમા રૂટ પર 100 જેટલા અન્નક્ષેત્રો શરૂ કરવામાં આવ્યા
  • 32 જેટલી ધર્મશાળા, 2200 પોલીસ, 45 રાવટી, 26 સીસીટીવી, 390 એસટી બસ સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવી

એસ.ટી. વિભાગે પણ બસોની સંખ્યા વધારી છતાં ટ્રાફિકજામ જોવા મળી રહ્યો છે. ભવનાથ અને પરિક્રમા રૂટ પર 100 જેટલા અન્નક્ષેત્રો શરૂ કરવામાં આવ્યા છે. જેમાં ભાવિકો પ્રસાદનો લાભ લઈ લીલી પરિક્રમા પૂર્ણ કરશે. તેમજ 32 જેટલી ધર્મશાળા, 2200 પોલીસ, 45 રાવટી, 26 સીસીટીવી, 390 એસટી બસ સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. આજે લીલી પરિક્રમા કરવા માટે 2 લાખ ભાવિકો જૂનાગઢ પહોંચી ગયા હતા અને ઘણા બધા પદયાત્રીઓએ લીલી પરિક્રમાનો પ્રારંભ પણ કરી દીધો છે.

જૂનાગઢની લીલી પરિક્રમાને લઈને ભાવિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. જૂનાગઢ જતી ટ્રેનમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. લોકો ટ્રેનના એન્જિન ઉપર તેમજ ડબ્બા ઉપર ચડીને જોખમી રીતે મુસાફરી કરી રહ્યા છે. ધારી રેલવે સ્ટેશન પર ટ્રેન આવતા જ હાઉસફૂલ હોવાથી લોકો ડબ્બા પર ચડી ગયા હતા. સેંકડો લોકો જીવના જોખમે મુસાફરી કરી રહ્યા છે છતાં તંત્રના આંખ આડા કાન હોય તેવું લાગી રહ્યું છે.

ગિરનારની લીલી પરિક્રમા આદી અનાદી કાળથી થાય છે. વર્ષો પહેલા ગિરનારની પરિક્રમા યાત્રાળુઓ 4 દિવસે પૂર્ણ કરતા અને પરિક્રમા દરમિયાન જંગલમાં ચાર રાત્રિ ગાળતા, અને બાદ પરિક્રમા પૂર્ણ કરી દામોદર કુંડમાં સ્નાન કરતા. પરંતુ હાલ પરિક્રમા ઝડપથી પૂર્ણ થઈ જાય છે.

પરિક્રમા કરવા આવતા લોકો એક દિવસમાં જ જંગલની બહાર નીકળી જાય છે. રાત્રિ રોકાણ તો ભાગ્યે જ કરે છે. તેમજ પહેલા પરિક્રમા દરમિયાન ભોજન પણ જંગલમાં બનાવતા હવે ગણ્યા ગાંઠ્યા લોકો જ રસોઈ બનાવે છે.

November 18, 2018
government_gujarat.jpg
1min4850
  • 45 તાલુકા માટે 1300 કરોડનું વિશેષ પેકેજ
  • તાલુકા દીઠ 28થી 30 કરોડની સહાય
  • વિશેષ પેકેજથી 10 લાખ ખેડૂતોને લાભ થશે
  • 250થી 300 મી.મી. વરસાદવાળા 14 તાલુકાના ખેડૂતોને હેક્ટરદીઠ 6300 રૂપિયા સહાય
  • 350થી 400 મી.મી. વરસાદવાળા 19 તાલુકાના ખેડૂતોને હેક્ટરદીઠ 5400 રૂપિયા સહાય
  • આર્થિક મદદ સીધી ખેડૂતોના બૅંક ખાતામાં જમા થશે

 

રાજ્ય સરકારે 51 તાલુકાને અછતગ્રસ્ત જાહેર કર્યા બાદ અન્ય તાલુકાના ખેડૂતોએ પણ સરકાર પાસે મદદ માગી હતી ત્યારે રાજ્ય સરકારે 51 તાલુકા ઉપરાંત અન્ય બીજા 45 તાલુકા માટે વિશેષ પેકેજની જાહેરાત કરી છે. રાજ્ય સરકાર વધુ 45 તાલુકાને આર્થિક મદદ કરશે.

400 મિલીમિટરથી ઓછા વરસાદવાળા વધુ 45 તાલુકાને મદદ કરાશે. 250થી 300 મી.મી. વરસાદવાળા 14 તાલુકાના ખેડૂતોને હેક્ટરદીઠ 6300 રૂપિયા સહાય કરાશે. જ્યારે 350થી 400 મી.મી. વરસાદવાળા 19 તાલુકાના ખેડૂતોને હેક્ટરદીઠ 5400 રૂપિયા સહાય કરવામા આવશે. નવા ખાસ પેકેજ અંતર્ગત વધુમાં વધુ બે હેક્ટર સુધી લાભ મળશે. બે હેક્ટરથી વધુ જમીન ધારકોને લાભ મળશે નહીં. સરકારે આ 45 તાલુકા માટે 1300 કરોડનું વિશેષ પેકેજ જાહેર કર્યું છે. તાલુકા દીઠ 28થી 30 કરોડની સહાય કરવામાં આવશે. આ વિશેષ પેકેજ આજથી જ લાગુ પડશે. ખેડૂતો આજથી જ નોંધણી કરાવી શકશે. જેમાં એક વખત જ લાભ મળી શકશે જ્યારે અછતગ્રસ્ત 51 તાલુકાઓને 1લી ડિસેમ્બરથી જુન માસ સુધી લાભ મળશે. આમ રાજ્યમાં કુલ મધ્યમ અને ઓછા વરસાદવાળા 96 તાલુકાને સહાય કરાશે. આર્થિક મદદ સીધી ખેડૂતોના બૅંક ખાતામાં જમા થશે.

મુખ્ય પ્રધાને તમામ કામને મંજૂરી આપી દીધી છે. વધુ 45 તાલુકામાં ધોરાજી, બેચરાજી, ઉપલેટા, ધારી, ચુડા, વઢવાણ, લાઠી, મહેસાણા, કડી, પાદરા,જસદણ, સાણંદ, વડનગર, દાંતીવાડા, ગાંધીનગર, અમીરગઢ, ટંકારા, સિદ્ધપુર, બાબરા, ધોરાજી, લાલપુર, ઉમરાળા, ગોંડલ, આમોદ, કલોલ સહિતના તાલુકાનો સમાવેશ થાય છે. આ વિશેષ પેકેજથી 10 લાખ ખેડૂતોને લાભ થશે.

November 17, 2018
vib.jpg
1min4960

રાજ્યમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં રોકાણ આકર્ષવા માટેના ફોરેન રોડ-શો બાદ હવે ડોમેસ્ટિક રોડ-શો શરૂ કરવામાં આવ્યા છે, જેના ભાગરૂપે તા.16મી નવેમ્બર 2018ના રોજ મુખ્યપ્રધાન વિજય રૂપાણીની આગેવાનીમાં નવી દિલ્હીમાં રોડ-શો યોજીને અભિયાનનો આરંભ કરવામાં આવ્યો હતો. દિલ્હીમાં રોડ શો યોજ્યા બાદ ઉદ્યોગકારો સાથે બેઠક પણ યોજશે.

નવી દિલ્હી ઉપરાંત મુંબઈમાં રોડ-શો યોજાશે જેમાં રાજ્યના નાયબ વડાપ્રધાન નીતિન પટેલ હાજરી આપશે. ત્યાર બાદ અન્ય શહેરો જેવા કે બેંગલુરુ, કોલકતા, હૈદરાબાદ અને પૂણે જેવાં શહેરોમાં યોજાનારા રોડ-શોમાં ઉદ્યોગપતિઓ સમક્ષ ગુજરાતમાં વિવિધ સેક્ટરમાં રોકાણની તકો અંગે વિગતે રજૂઆત કરાશે. રાજ્યના ઊર્જાપ્રધાન સૌરભ પટેલ અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ રોડ-શોની આગેવાની કરીને રોકાણને આકર્ષશે.

રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રી વિજય રૂપાણી દિલ્હીમાં વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટ-2019ની વિશેષતાઓ અંગે રોડ-શો અને વેપાર-ઉદ્યોગ અગ્રણીઓ સાથે વન-ટુ-વન બેઠકો યોજશે. તેઓ વિવિધ રાષ્ટ્રોના રાજદૂતો સાથે પણ બેઠકો પણ યોજશે. વાઇબ્રન્ટ ગુજરાત-2019નો આ કર્ટન રેઝર કાર્યક્રમ હશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવી દિલ્હીની હોટેલ તાજ પેલેસમાં તા.16મી નવેમ્બર 2018ની સવારે 9થી 1 દરમ્યાન ઉદ્યોગ-વેપારજગતના વરિષ્ઠ સંચાલકો અને અગ્રણીઓ સાથે વાઇબ્રન્ટ સમિટ-2019 સંદર્ભે બેઠકો યોજી હતી. તેઓ વાઇબ્રન્ટ સમિટની વિશેષતાઓ સાથોસાથ વૈશ્વિક ફલક પર બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન તરીકે ગુજરાતની ઊભરી રહેલી પ્રતિભા સંદર્ભમાં આ ઉદ્યોગ-વેપાર અગ્રણીઓ સમક્ષ વિશદ વિચાર-વિમર્શ, રોડ-શો અને વન-ટુ-વન બેઠક યોજી હતી. મુખ્યમંત્રી વિવિધ રાષ્ટ્રોના નવી દિલ્હી સ્થિત રાજદૂતો-ડિપ્લોમેટ્સને વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટ અંગે માહિતગાર કર્યા હતા.

આ બેઠકોમાં ભારત સરકારના વિદેશ, ઉદ્યોગ તથા અન્ય મંત્રાલયોના વરિષ્ઠ સચિવો મુખ્ય સચિવ ડો. જેએન સિંહ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, અગ્ર સચિવ એમકે દાસ, સચિવ અશ્વિનીકુમાર, ઉદ્યોગ કમિશનર મમતા વર્મા અને ગુજરાત સરકારના સંબંધિત ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા.

November 16, 2018
nuts_burn.jpg
1min7260

ગુજરાત સરકાર દ્વારા મગફળીના ટેકાના ભાવ જાહેર કરીને તા.14મી નવેમ્બર 2018થી ખરીદીનો આરંભ કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકારના નીતિ-નિયમોને લીધે પહેલા જ દિવસે સૌરાષ્ટ્રના મગફળી પકવતા ખેડૂતોનો પિત્તો ગયો હતો અને તેઓ એવા રોષે ભરાયા કે રાજ્ય સરકારને મગફળી વેચવાને બદલે રસ્તા પર મગફળી બાળવાનું શરૂ કરી દીધું હતું, જોત જોતામાં મગફળી બાળવાનો ટ્રેન્ડ એવો વાઇરલ થયો કે સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી ગામેગામ મગફળી બાળવામાં આવી રહી છે એટલું જ નહીં હાઇવે પરથી પસાર થતાં વાહનોને રોકી-રોકીને એમાં બેઠેલા પૅસેન્જરોને પણ ભરપેટ મગફળી ખવડાવીને ખેડૂતોએ સરકારની નીતિનો અનોખો વિરોધ કર્યો છે.

અળવીતરો નિયમ સરકારનો

ગુજરાત સરકારએ આ વખતે મગફળી ખરીદીમાં કેટલાક અળવીતરા નિયમો બનાવ્યા છે. જેમકે 35 કિલોના પૅકિંગમાં મગફળી પૅક કરવાની છે અને એમાં પણ અડધા ફુટની જગ્યા ખાલી રાખવાની છે. ખાલી રાખવાની જગ્યાનો નિયમ પાળવામાં આવે તો બોરીમાં ત્રીસ કિલોથી વધારે મગફળી આવે એમ નથી.

મગફળી વેચવા માટે ખેડૂતો તા.14મી નવેમ્બર 2018ના રોજ માર્કેટિંગ યાર્ડો પર પહોંચ્યા ત્યારે એંસી ટકા માલ પૅકિંગને પ્રશ્ને રિજેક્ટ કરવામાં આવતાં ખેડૂતો રોષે ભરાયા હતા અને તેમણે હાઇવે પર જ પૅકિંગ ખોલી નાખ્યાં હતાં. માર્કેટમાં બરાબર ભાવ ન મળે ત્યારે ખેડૂતો સરકારને મગફળી આપે. એક તો પોષણક્ષમ ભાવ ન મળતા હોય એવામાં આ મગફળી ફરીથી પાછી લઈ જવી અને એ માટેની બોરી બનાવવી એ કોઈ ખેડૂતને પોસાય એમ નથી એટલે પાછા લઈ જવાના ખર્ચને બદલે બધાએ મગફળી બાળી નાખી તો અમુકે લોકોની વચ્ચે લહાણી કરી નાખી.

છેલ્લા બે દિવસમાં સૌરાષ્ટ્રમાં ગામેગામ મગફળી બાળી નાંખવાનો કે લોકોમાં વહેંચી દેવાનો ટ્રેન્ડ ભારે વાઇરલ થયો છે.

તા.14મી અને 15મી નવેમ્બરના રોજ સૌરાષ્ટ્ર-કચ્છમાં ઓછામાં ઓછી બે હજાર કિલો મગફળીનો જથ્થો અગર તો બાળવામાં કે મફત ખવડાવવામાં આવ્યો હતો.

November 11, 2018
MARKET.jpg
1min5720

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના માર્કેટીંગ યાર્ડ ભાવાંતર યોજનાના મુદ્દે દિવાળી પહેલાથી સજ્જડ હડતાલ પર હતા. સામાન્ય રીતે દિવાળીની રજાઓ પછી લાભપાંચમથી યાર્ડો પૂન: શરૂ થઈ જતા હોય છે. આ વખતે હડતાલને કારણે લાભપાંચમના શુકન સચવાશે કે કેમ તેના પર પ્રશ્નાર્થ સર્જાયો હતો.

દરમિયાન આજે તા.11મી નવેમ્બર 2018ના રોજ ગુજરાતના કેબિનેટ મંત્રી જયેશ રાદડીયા સાથે મિટીંગ યોજાઈ હતી. જેમાં તેમણે ભાવાંતર યોજના મુદ્દે સરકારમાં વાત કરવા બાંયધરી આપી હતી. તેમજ રાજકોટ યાર્ડના ચેરમેન ડી કે સખીયાએ સરકાર સાથે 8 દિવસમાં મિટીંગ કરાવવા ખાતરી આપતા સૌરાષ્ટ્રના દરેક માર્કેટ યાર્ડ લાભપાંચમથી રાબેતા મુજબ ચાલુ થઈ જશે અને આવતીકાલ તા.12 નવેમ્બર 2018ને લાભપાંચમના પર્વથી દરેક યાર્ડમાં નવી આવક ચાલુ કરવામાં આવશે તેમ સૌરાષ્ટ્ર એપીએમસી વેપારી એસોસિએશનના પ્રમુખ અતુલ કમાણીએ જણાવ્યું હતું.