CIA ALERT

ગુજરાત Archives - Page 145 of 158 - CIA Live

November 24, 2018
gst.jpg
1min7380

દેશભરમાં જીએસટી લાગુ થયાના સવા વર્ષ બાદ ગુજરાત શિક્ષણ વિભાગે તેને અભ્યાસક્રમમાં પણ સ્થાન આપવાનો નિર્ણય છે.

ગુજરાતના શિક્ષણ વિભાગે જીએસટી વિષયને ઉચ્ચતર માધ્યમિક વાણિજ્ય વિભાગના અભ્યાસક્રમમાં દાખલ કરવાની જાહેરાત કરી છે. જીએસટીને અભ્યાસક્રમમાં દાખલ કરવા માટે કુલ 9 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને નાણાં વિભાગના અધિકારીઓનો પણ અભિપ્રાય લેવામાં આવ્યો હતો. આમ હવે વર્ષ 2019થી ધોરણ 11 અને 12 કોમર્સના વિદ્યાર્થીઓને અભ્યાસક્રમમાં જીએસટી અંગે પણ ભણાવવામાં આવશે.

જીએસટીના જટીલ અભ્યાસક્રમનો થિયરી તરીકે ધોરણ 11 અને 12 કોમર્સના અર્થશાસ્ત્ર વિષયમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

જ્યારે પ્રેક્ટિકલ તરીકે એકાઉન્ટ વિષયમાં પણ ભણવું પડશે. જીએસટી વિષયને લઇ એક વર્ષથી શિક્ષણ વિભાગ અને પાઠ્યપુસ્તક મંડળ મહેનત કરી રહ્યું હતું. તેમજ નાણાં વિભાગમાં જીએસટીનો હવાલો સંભાળતાં અધિકારીઓનું પણ માર્ગદર્શન લેવામાં આવ્યું છે. માત્ર એટલું જ નહીં, આગામી સમયમાં કોલેજોના અભ્યાસક્રમમાં પણ જીએસટીને અલગ વિષય તરીકે લાવવાની વિચારણા ચાલી રહી છે.

November 22, 2018
hardik.jpg
1min22520

મહારાષ્ટ્રમાં ચાલુ સપ્તાહે મહારાષ્ટ્ર ઓબીસી પંચ દ્વારા મરાઠાઓને રિઝર્વેશન આપવાની કરેલી જાહેરાત બાદ ગુજરાતમાં પાટીદાર આંદોલનના સમીકરણો અને દિશા બદલાય છે. પાટીદાર અનામત માટે લડી રહેલા હાર્દિક એન્ડ કંપની એટલે કે હાર્દિક અને પાસના 25 જેટલા સાથીદાર કન્વીનરોએ આજે તા.22મી નવેમ્બર 2018ના રોજ બપોરે ગાંધીનગર ખાતેના ગુજરાતના ઓબીસી પંચની કચેરી જઇને પાટીદારોને ઓબીસીમાં સમાવવા માટેની રજૂઆતો કરી હતી.

હાર્દિક પટેલ અને તેમના સાથીદારોએ ગુજરાતમાં અધર બેકવર્ડ ક્લાસ પંચ સમક્ષ રજૂઆતો કરાય એ પહેલા મિડીયાને જણાવ્યું હતું કે પાસ દ્વારા જુદા જુદા રાજ્યોમાં કેવી રીતે જુદી જુદી જાતિઓને ઓબીસીમાં સમાવવામાં આવી તે પ્રક્રિયાનો નિર્દેશ કરતી 17 પાનાની લેખિત રજૂઆતો કરી હતી. ઓબીસી પંચના અધિકારીઓ સમક્ષ હાર્દિક પટેલ એન્ડ કંપનીએ એવી રજૂઆતો કરી હતી કે મહારાષ્ટ્રમાં જેમ ઓબીસી પંચે સરવે કર્યો હતો તેવી જ રીતે ગુજરાતમાં પણ પાટીદારોને અનામત મળે તે માટે સરવે કરવા માટે સૂચન કર્યું હતું.

હાર્દિક પટેલ એન્ડ કંપની એવી રજૂઆતો કરી રહી છે કે જે રીતે મહારાષ્ટ્રમાં ઓબીસી પંચ દ્વારા પહેલા સરવે કરવામાં આવ્યો અને સરવેના તારણોના આધારે મહારાષ્ટ્ર સરકારને ભલામણો કરવામાં આવી હતી. એ ભલામણોને મહારાષ્ટ્ર સરકારે સ્વીકારી લીધી છે. મહારાષ્ટ્રમાં આ પ્રકારે મરાઠાઓને તાજેતરમાં જ રિઝર્વેશન આપવામાં આવ્યું છે, એ જ તર્જ પર ગુજરાતમાં પાટીદારોને અનામત આપવામાં આવે એવી રજૂઆત સાથે હાર્દિક અને તેના 25 જેટલા સાથીઓ તા.22મી નવેમ્બર 2018ની બપોરે અઢી વાગ્યાના અરસામાં ગાંધીનગર ઓબીસી કમિશનની કચેરી પર પહોંચ્યા બાદ સીધા જ ઓબીસી કમિશનની કચેરીમાં અધિકારીઓને રજૂઆતો કરવા ગયા હતા.

 

November 22, 2018
gopal_italia.jpg
1min15080

પાટીદાર અનામત આંદોલનના એક્ટિવિસ્ટ અને ફાયર બ્રાન્ડ યુવા નેતા ગોપાલ ઇટાલિયાનો એક એવો વિડીયો છેલ્લા 24 કલાક દરમિયાન વાઇરલ થયો છ જેમાં ગોપાલ ઇટાલિયા દેશી બોંબની વાત કરી રહ્યા છે. પીવીસી પાઇપ અને કેટલાક ટુલ્સની મદદથી તૈયાર થયેલા આ દેશી બોંબથી ચારેક ધડાકા કરીને ભાજપને પડકાર આપતો આ વિડીયો સમગ્ર ગુજરાતમાં ભારે વાઇરલ થયો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સોશ્યલ મિડીયા પર, વ્હોટ્સ એપ અને ફેસબુક ગ્રુપ્સમાં તા.21મી નવેમ્બર 2018ની રાતથી આ વિડીયો ભારે વાઇરલ થયો છે.

ફેસબુક પર લવજી લેપટોપના આઇ.ડી. પરથી પોસ્ટ થયેલો આ વિડીયો હાલમાં લોકલ સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ પર હોટકેક બન્યો છે અને ચોરેને ચૌટે જોવાય રહ્યો છે.

 

#ભાજપ_ના_ભક્તો ને ભગાવાનું સાધન બહાર પડ્યું ????????

Posted by લવજી લેપટોપ on Wednesday, 21 November 2018

જાણકારો કહે છે કે ગોપાલ ઇટાલિયા જે ઔજારનો દેશી બોંબ તરીકે ઉલ્લેખ કરી રહ્યા છે એનો ઉપયોગ ગુજરાતના ખેડૂતો પોતાના ખેતરોમાં ભેલાણ કરતા ડુક્કર કે અન્ય પ્રાણીઓને ભગાડવા માટે કરતા હોય છે. સાવ જ સામાન્ય ઉપયોગની વસ્તુઓમાંથી મોટો ધડાકો થાય તેવી આ સ્થાનિક બનાવટના દેશી પિસ્તોલ હોવા છતાં શહેરી વિસ્તારોમાં રહેતા લોકો માટે આ વિડીયો અને તેમાં દર્શાવવામાં આવતો દેશી બોંબ કુતુહલ સર્જી રહ્યો હોઇ, સોશ્યલ મિડીયા નેટવર્ક પર આ વિડીયોએ ખાસ્સી ચર્ચા જગાડી છે.

November 22, 2018
rajkot-municipal-corporatio.jpg
1min6790
  • ખેડૂતોને રૂ.13 પ્રતિ હજાર લિટરના ભાવે ટ્રીટેડ વેસ્ટ વોટર વેંચવાનો મનપા દ્વારા પ્રારંભ
  • આણંદપરના ખેડૂતોને 50 લાખ લીટરથી વધુ શુદ્ધ કરાયેલા પાણીનો જથ્થો અપાયો
  • મહાનગરપાલિકાને પ્રતિ હેક્ટરદીઠ રૂ.6,211ની આવક

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન રાજકોટ શહેરમાં ફેલાયેલા અન્ડર ગ્રાઉન્ડ ડ્રેનેજ નેટવર્કમાંથી વહેતા ગંદા પાણીને ટ્રીટમેન્ટ થકી ફરીથી ઉપયોગમાં લેવાય તેવું કર્યા પછી એ પાણીનો રીયુઝ સિંચાઈ માટે શરૂ કર્યો છે. રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનના ગવરીદડ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતેથી આણંદપરના ખેડૂતોને 50 લાખ લીટરથી વધુ પાણીનો જથ્થો આપવામાં આવ્યો છે. ખેડૂતોને સિંચાઈ માટે પ્રતિ એક હજાર લીટરદીઠ રૂા.13ના ભાવથી પાણી આપવામાં આવી રહ્યું છે. જેથી મહાનગરપાલિકાને પ્રતિ હેક્ટરદીઠ રૂ.6,211ની આવક થશે.

રાજકોટ મનપા દ્વારા રૈયાધાર પ્લાન્ટ ખાતેથી હાલમાં ફોરેસ્ટ વિભાગને વૃક્ષારોપણ માટે દરરોજ અંદાજે 15 હજાર લીટર પાણી આપવામાં આવે છે. માધાપર પ્લાન્ટ ખાતેથી ઈશ્વરીયા મહાદેવ પિયત સહકારી મંડળી લિમિટેડ માધાપરને દરરોજ અંદાજે 17-64 હેક્ટર વિસ્તારમાં પાણી આપવામાં આવી રહ્યું છે. રોણકીની જય દ્વારકાધીશ મંડળી તેમજ આણંદપર (બાઘી) ગામના ખેડૂતો પાસેથી પણ ટ્રીટેડ વેસ્ટ વોટરની માગણીની દરખાસ્તો મળી રહી છે.

મ્યુ.કમિશનરે આ અંગે કહ્યું હતુ કે, ટ્રીટેડ વેસ્ટ વોટરના વપરાશથી ખેતીવાડીમાં નર્મદાના પાણીનો વપરાશ ઘટશે. તેનાથી ખેડૂતો અને તંત્ર બન્નેને ફાયદો થશે. નર્મદાનું પાણી લોકોને પીવા માટે મળતું રહેશે અને ખેતીમાં સિંચાઈ માટે ટ્રીટેડ વેસ્ટ વોટરનો ઉપયોગ કરવામાં આવશે. આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર યુનિવસિર્ટી, ફોરેસ્ટ વિભાગ, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન તથા ગાર્ડન શાખા પણ તમામ બગીચાઓમાં પાણી પાવા માટે ટ્રીટેડ વેસ્ટ વોટરનો ઉપયોગ કરશે તેમજ શહેરમાં જુદી જુદી જગ્યાએ ચાલતાં બાંધકામો માટે કોન્ટ્રાક્ટર્સ અને બિલ્ડર્સને પણ ટ્રીટેડ વેસ્ટ વોટર વેચવા માટેના પ્રયાસો તંત્ર દ્વારા કરવામાં આવશે.

November 21, 2018
roro.jpg
1min21020

ભરૂચના દહેજથી લઇને સામે પાર ઘોઘા સુધી દરીયામાં ફેરી બોર્ટ સર્વિસનો ઇજારો જેને આપવામાં આવ્યો છે એ ઇન્ડીગો સી વેયઝનું તોતિંગ જહાજ આજે બપોરે ભરૂચના દહેજથી નીકળીને દરીયામાં ઘોઘા તરફ જઇ રહ્યુ ંહતું ત્યારે ઘોઘાથી 75 નોટિકલ માઇલ દૂર દરિયામાં ખોટકાય જતા 400 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. લગભગ એક કલાક સુધી દરિયામાં ઇન્ડીગો સી વેયઝનું જહાજ ફસાયેલું રહ્યું હતું, રો રો ફેરી સર્વિસની આ બોટમાં 100થી વધુ વાહનો પણ હતા, છેવટે ભાવનગરના અલંગ ખાતેથી ઇન્ડીગો સી વેયઝના તોતિંગ જહાજને ખેંચી લાવી શકે તેવા ટગ બોટની મદદથી જહાજને ખેંચીને ઘોઘા ખાતે લઇ જવાયું ત્યારે મુસાફરોના જીવ હેઠાં બેઠા હતા.

દહેજથી ઘોઘા ફેરી સર્વિસનો કોન્ટ્રાક્ટ લઇને ફક્ત નાણાં ઉસેટવાનું કામ કરી રહેલી ઇન્ડીગો સી વેયઝ કંપનીના સંચાલકોના પાપે આજે આ કંપનીનું જહાજ મધદરીયે ખોટકાય ગયું હતું. દરિયા વચ્ચે બંધ પડી ગયેલા ઇન્ડીગો સી વેયઝના જહાજમાં 400 જેટલા મુસાફરો હતા. જહાજ બંધ થવા અંગે મુસાફરોને ફક્ત ટેકનિકલ ફોલ્ટની માહિતી આપવામાં આવી હતી. જોકે, જહાજના વહીવટી તંત્રએ જહાજની આ ટેકનિકલ ખામી અંગે કેટલાય દિવસોથી ઇન્ડીગો સી વેયઝના ઉપરી અધિકારીઓને જાણ કરી હતી કે મુસાફરોના જીવ જોખમમાં મૂકાય તેવી શક્યતા છે, આમ છતાં આ ફોલ્ટ પરત્વે નજરઅંદાજ રહેલા ઇન્ડીગો સી વેયઝના સંચાલકોના પાપે આજે મુસાફરો મધદરિયે એક કલાક સુધી યાતનાનો ભોગ બન્યા હતા.

મળતી માહિતી મુજબ ઇન્ડીગો સી વેયઝ દ્વારા દહેજથી ઘોઘા ફેરી સર્વિસ માટે જે જહાજ તૈનાત કરવામાં આવ્યું છે, એમાં અગાઉથી જ ટેકનિકલ ક્ષતિ છે આમ છતાં સંચાલકો તેને ચલાવીને મુસાફરોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે. હવે આ જ કંપનીને હજીરાથી ઘોઘાનો પણ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે અને એ ડિસેમ્બર 2018થી શરૂ કરવાની ફિરાકમાં છે ત્યારે કંપની સામે રાજ્ય સરકારે પગલાં ભરવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે.

 

November 21, 2018
govt.jpeg
1min8540
  • 122 કેન્દ્રો ઉપર 5,352 ખેડૂતોની મગફળી સરકારે લીધી
  • કુલ 5,352 ખેડૂતો પાસેથી રૂ. 5,377 લાખની કિંમતની મગફળી ખરીદવામાં આવી
  • રાજ્યસરકાર દ્વારા ખરીફ સીઝન 2018-19 માટે રૂ 1000ના ભાવથી તા. 15ના રોજથી ખરીદી
  • 122 એપીએમસી સેન્ટર ખાતે ખરીદીનું કામકાજ
  • કુલ 1,07,539.75 ક્વિન્ટલ મગફળી ખરીદવામાં આવી
ગુજરાતમાં પાંચ દિવસમાં ખેડૂતોની આશરે 1.07 લાખ ટન મગફળી ખરીદ કરવામાં આવી છે. કુલ 5,352 ખેડૂતો પાસેથી રૂ. 5,377 લાખની કિંમતની મગફળી ખરીદવામાં આવી છે.
રાજ્યના નાગરિક પુરવઠા નિગમ લિમિટેડના જણાવ્યા પ્રમાણે રાજ્યસરકાર દ્વારા ખરીફ સીઝન 2018-19 માટે રૂ 1000ના ભાવથી તા. 15ના રોજથી ખરીદી આરંભાઇ છે. 122 એપીએમસી સેન્ટર ખાતે ખરીદીનું કામકાજ ચાલુ છે. પાંચ દિવસમાં  રાજ્યભરના 5,352 ખેડૂતો પાસેથી કુલ રૂ.5,377 લાખની કુલ 1,07,539.75 ક્વિન્ટલ મગફળી ખરીદવામાં આવી છે. હવે સરકાર ખરીદીની પ્રક્રિયા તેજ બનાવવાની છે.
  • જામનગર જિલ્લામાં 386 ખેડૂતો પાસેથી 5787 ટન મગફળી ખરીદાઇ
  • કુલ 19,432 ખેડૂતોની નોંધણી
  • ભાવનગરમાં ચિત્રા ખાતે ત્રણ દિવસમાં કુલ 175 ખેડૂતો પાસેથી 4,457 ક્વીન્ટલ મગફળી ખરીદાઇ
  • ધોરાજી માર્કેટ યાર્ડમાં 6377 ગુણી મગફળી ખરીદવામાં આવી
  • બોટાદમાં હડદડ યાર્ડ ખાતે ચાર દિવસમાં 130 ખેડૂતો પાસેથી 160 ટન મગફળી ખરીદવામાં આવી
  • ગીર સોમનાથ જિલ્લામાં 326 ખેડૂતોની 3.5 કરોડની મગફળીની ખરીદી
  • પોરબંદરમાં ટેકાના ભાવથી 3475 ક્વીન્ટલ મગફળીની ખરીદી
જામનગર જિલ્લામાં 386 ખેડૂતો પાસેથી 5787 ટન મગફળી ખરીદાઇ હોવાનું જિલ્લા કલેક્ટર રવિશંકરે જણાવ્યું હતુ. કુલ 19,432 ખેડૂતોની નોંધણી થઇ છે. કેન્દ્રો ઉપર ખરીદી ચાલુ છે. 14 ટકા સેમ્પલો અત્યાર સુધી રિજેક્ટ થયા છે. વિડીયોગ્રાફી સાથે ટીડીઓ અને મામલતદાર પણ ખરીદી વખતે હાજર રહે છે. પોલીસનો જાપ્તો પણ છે.
ભાવનગરમાં ચિત્રા ખાતે  150 લોકોના સ્ટાફ સાથે ખરીદી ચાલુ છે. પ્રથમ ત્રણ દિવસમાં કુલ 175 ખેડૂતો પાસેથી 4,457 ક્વીન્ટલ મગફળી ખરીદાઇ છે. બારદાન, વજનકાંટા, પ્રિન્ટેડ ફ્લેક્સ ટેગ, સિલાઇ મશીન, મજૂરો, ટ્રાન્સપોર્ટેશન, સેમ્પલ બેગ વગેરેની વ્યવસ્થા પૂરતા પ્રમાણમાં છે. બોટાદમાં હડદડ યાર્ડ ખાતે ખરીદી ચાલુ છે. પ્રથમ ચાર દિવસમાં 130 ખેડૂતો પાસેથી 160 ટન મગફળી ખરીદવામાં આવી છે. 1035 ખેડૂતોએ અત્યાર સુધી નોંધણી કરાવી છે.
ધોરાજી માર્કેટ યાર્ડમાં 6377 ગુણી મગફળી ખરીદવામાં આવી છે. માટી-કચરો ન હોય તેવી ગુણવત્તાના માપદંડ અનુસાર ખરીદી થાય છે. એ માટે કલેક્ટરના માર્ગદર્શન હેઠળ કામકાજ થાય છે.
ગીર સોમનાથ જિલ્લામાં 326 ખેડૂતોની 3.5 કરોડની મગફળીની ખરીદી કરવામાં આવી છે. મગફળીનો જથ્થો આશરે 35,600 મણ મળ્યો છે. વેરાવળ, ઉના, સુત્રાપાડા, કોડીનાર અને તાલાલામાં કેન્દ્ર ચાલુ છે. પોરબંદરમાં ટેકાના ભાવથી 3475 ક્વીન્ટલ મગફળીની ખરીદી કરવામાં આવી છે. કલેક્ટર દ્વારા ખરીદ કેન્દ્રોની મુલાકાત લઇને વ્યવસ્થાનું નિરિક્ષણ કરવામાં આવ્યું હતુ.કુલ 495 ખેડૂતોની ખરીદી કરવામાં આવી હતી.
November 20, 2018
alpesh-kathiriya-1280x720.jpg
1min8810
  • રાજદ્રોહના કેસમાં અલ્પેશ કથિરીયાને હાઇકોર્ટે જામીન આપ્યા
  • જામીનના એક દિવસ પૂર્વે જ સુરત પોલીસે અલ્પેશ કથિરીયાને અેરેસ્ટ કર્યા હતા
  • રાજદ્રોહના કેસમાં અલ્પેશ કથિરીયાને જામીન મળ્યા હોવા છતાં હજુ તેઓ સુરત પોલીસની કસ્ટડીમાં રહેશે

સુરતના યુવા આગેવાન અને પાસના નેતા અલ્પેશ કથિરીયાને આખરે રાજદ્રોહના કેસમાં આજરોજ તા.20મી નવેમ્બર 2018ના રોજ ગુજરાત હાઇકોર્ટે જામીન આપ્યા હોવાની વિગતો જાણવા મળી છે. જોકે, તા.19મી નવેમ્બર 2018ના રોજ અમદાવાદ જેલમાંથી સુરત પોલીસે અલ્પેશ કથિરીયાને બીજા કેસમાં એરેસ્ટ કર્યા હતા, એટલે હાઇકોર્ટમાંથી જામીન મળ્યા હોવા છતાં સુરતના કેસમાં અલ્પેશ કથિરીયાએ હજુ કસ્ટડીમાં રહેવું પડે તેવી સ્થિતિ સર્જાવા પામી છે.

ગુજરાત હાઇકોર્ટે રાજદ્રોહના કેસમાં પાસના મોટા નેતા સુરતના અલ્પેશ કથિરીયાને જામીન આપ્યા હોવાની વિગતો આજે બપોરે સાડા ત્રણ વાગ્યાના અરસામાં ભારે વાઇરલ થઇ હતી. પાસના વ્હોટ્સ એપ ગ્રુપમાં અલ્પેશ કથિરીયાના ચાહકોએ અલ્પેશ ગબ્બરની મુક્તિના સમાચારોને વાઇરલ કરી મૂક્યા હતા. પાસના નેતાઓએ અલ્પેશ કથિરીયાને અન્ય કેસોમાં પણ જામીન મળી જશે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

અલ્પેશ કથિરીયા 19મી ઓગસ્ટ 2018ના રોજ પોલીસે રાજદ્રોહના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્રણ મહિનાનો સમય અલ્પેશ કથિરીયા અમદાવાદની સાબરમતી જેલમાં બંધ રહ્યા હતા.

November 20, 2018
girnar.jpg
1min6520

અવિધિસર રીતે તા. 17 નવેમ્બર 2018 ની મધરાતથી શરૂ થયેલી ગિરનારની લીલી પરિક્રમામાં સોમવાર તા.19મી નવેમ્બર 2018ની સાંજ સુધીમાં 12 લાખ ઉપરાંત યાત્રિકો ઊમટી પડ્યા હતા.

આ વિક્રમજનક સંખ્યા હોવા છતાં અને વિધિવત્ પરિક્રમાનું ઉદ્ઘાટન સોમવારે મધરાતે જ થયું હતું, આ લખાય રહ્યું હતું ત્યારે મંગળવાર તા.20મી નવેમ્બર 2018ની બપોરે પણ માનવપ્રવાહ ઘૂઘવતા સાગર ની જેમ પરિક્રમના પંથે સંચરી રહ્યો હતો. દરમિયાન હાલની પરિસ્થિતિનો અભ્યાસ કરતા એવું જણાય છે કે, હજુ સંખ્યામાં વધારો થશે. વનખાતાના કન્ટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર 6 લાખ લોકો, પરિક્રમા પૂરી કરીને ઘરે જવા રવાના થઈ ગયા છે. એક દાયકાની આ રેકર્ડબ્રેક સંખ્યા 12 લાખથી વધુ યાત્રિકોની નોંધાઈ છે. હજુ આ સંખ્યા વધવાની સંભાવના વનખાતાએ કરી હતી.

November 19, 2018
mahiti2.jpg
1min6850
  • ગુજરાત પ્રેસ અકાદમી, ગાંધીનગર અને પ્રાદેશિક માહિતી કચેરી, સુરતના સંયુકત ઉપક્રમે ‘‘ડીજીટલ યુગમાં પત્રકારત્વના સિધ્ધાંતો અને પડકારો’’ વિષય પર સેમિનાર યોજાયોઃ
  • મીડિયા સમાજના સંદેશાવાહક, ચોકીદાર અને શિક્ષકની ત્રિવિધ ભૂમિકા ભજવી રહ્યું છે: સામાજિક અગ્રણી કાનજીભાઈ ભાલાળા
  • ડીજીટલ મીડિયાના યુગમાં આજે પણ અખબારોની વિશ્વસનીયતા ટકી રહી છેઃ નિવૃત્ત સંયુકત માહિતી નિયામક
  • અનેક પડકારો વચ્ચે સમાજના વૈચારિક વિકાસ માટે ઝઝુમતા પત્રકારો સમાજને દિશા દર્શન કરવાની સરાહનીય ફરજ બજાવે છેઃ ભાવસિંહ રાઠવા
ગુજરાત પ્રેસ અકાદમી, ગાંધીનગર અને પ્રાદેશિક માહિતી કચેરી, સુરતના સંયુકત ઉપક્રમે પ્રેસ-ડેની ઉજવણીના ભાગરૂપે ‘‘ડીજીટલ યુગમાં પત્રકારત્વના સિધ્ધાંતો અને પડકારો’’ વિષય પર પ્રિન્ટ/ઈલેકટ્રોનિકસ અને ડીજીટલ મીડિયાના તંત્રીશ્રી/પ્રતિનિધિશ્રીઓની ઉપસ્થિતિમાં ચેમ્બર કોમર્સના સમૃધ્ધિ હોલ ખાતે સેમિનાર યોજાયો હતો.
              આ પ્રસંગે સામાજિક અગ્રણી અને વરાછા બેન્કના ચેરમેનશ્રી કાનજીભાઈ ભાલાળાએ મીડિયા સામેના પડકારો વિષે વિસ્તૃત અને રસપ્રદ જાણકારી આપતાં જણાવ્યું હતું કે, માનવ જીવન પડકારો અને સંઘર્ષોનો સરવાળો છે. લોકશાહીનો ચોથો સ્થંભ ગણાતા મીડિયા જગતમાં પડકારોની ભરમાર છે.  સમયની સાથે લોકમાનસ, લોકાભિગમ અને મીડિયાની કાર્યશૈલીમાં નિરંતર પરિવર્તન આવતું રહ્યું છે. ૧૫મી ઓગસ્ટ આઝાદી અને ૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક દિન તરીકે રાષ્ટ્રીય ચેતનાનું પર્વ છે, એ જ રીતે નેશનલ પ્રેસ ડે મીડિયા ક્ષેત્રનું ઉત્તરદાયિત્વ નિભાવવાનું અને આવનારા પડકારો સામે સુસજ્જ બનવાની પ્રેરણા આપતું પર્વ હોવાનું શ્રી ભાલાળાએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, સમાજજીવનને ધબકતું રાખવા, લોકસમસ્યાઓનો પડઘો પાડવા મીડિયાના પ્રહરીઓ પારિવારિક અને સામાજિક જીવનની કુરબાની આપે છે. ડીજીટલ વેબ અને સોશ્યલ મીડિયાના જમાનામાં આજે પણ એક વર્ગ એવો છે જેમની સવાર અખબાર વાંચ્યા પછી જ પડતી હોય છે. જ્યાં સુધી માનવીનું અસ્તિત્વ છે, ત્યાં સુધી  અખબારોને કોઈ ઊની આંચ નહિ આવે એમ તેમણે દ્રઢતાથી જણાવ્યું હતું.
સમાજના અભિન્ન અંગ એવા અખબારોનો વિકલ્પ મળવો મુશ્કેલ છે એમ જણાવી તેમણે પત્રકાર એ સમાજનો સંદેશવાહક, ચોકીદાર હોવા સાથે જ એક શિક્ષકની ભૂમિકા પણ ભજવી રહ્યો છે, ત્યારે પત્રકારે લોકમાનસનું ઘડતર કરવાની જવાબદારી નિભાવવી પડશે. પોતાની શ્રેષ્ઠ શક્તિઓના ઉપયોગ વડે હાથ પર લીધેલા કાર્યને દીપાવવું જોઈએ. કર્તવ્યનું પાલન કરવું એ જ સાચો ધર્મ છે એ સૂત્રને આત્મસાત કરી પત્રકારે જનહિતને સર્વોપરી ગણી અખબારી ધર્મ નિભાવવો જોઈએ એમ ઉમેર્યું હતું.
         શ્રી ભાલાળાએ વાંચન ખુબ જરૂરી હોવાનું જણાવી કહ્યું કે, પત્રકાર એક ઉત્તમ વાંચક હોવો જોઈએ, અને બહોળું વાંચન જ તેના લખાણમાં ઊંડાણ જન્માવે છે. સમાજના વિવિધ વર્ગોના વિચારો, અભિપ્રાયોને, વર્તમાન સામાજિક-રાજનૈતિક પ્રણાલીને નિષ્પક્ષતાથી રજૂ કરતા મીડિયા માટે ધાર્મિક સંસ્થાઓ અથવા રાજકીય શક્તિઓ તરફથી ભય ઊભો થઇ રહ્યો છે, જે ચિંતાનો વિષય છે. માહિતી વિસ્ફોટના આ યુગમાં સાચા અને અર્થપૂર્ણ સમાચારોથી લોકોને વાકેફ કરી લોકમાનસનું ઘડતર કરવાની દિશામાં પત્રકારોએ આગળ પડતી ભૂમિકા ભજવવી પડશે. મીડિયા પાસે અભિવ્યક્તિની તાકાત છે, પરંતુ દરેક અધિકાર અને પાવર સાથે વિશેષ જવાબદારીઓ પણ જોડાયેલી હોય છે. અભિવ્યક્તિની સ્વતંત્રતા હોવી જરૂરી છે, તે સાથે સ્વતંત્રતાનો મર્યાદાપૂર્વકનો ઉપયોગ પણ જરૂરી છે એમ તેમણે જણાવી ઉપસ્થિત સૌ મીડિયાકર્મીઓને પ્રેસ દિનની શુભકામનાઓ પાઠવી હતી.
               નિવૃત સંયુકત માહિતી નિયામકશ્રી સેસિલ ક્રિસ્ટીએ જણાવ્યું હતું કે, ડીજીટલ યુગમાં પ્રિન્ટ અને ઈલેકટ્રોનિકસ મીડિયા સામે અનેક પડકારો રહેલા છે. ડીજીટલ મીડિયામાં સમાચારની સત્યતાનો અભાવ વર્તાય છે તેની સામે અખબાર વાંચવાથી જ સમાચારની વિશ્વનિયતતા નક્કી થાય છે. આમ અખબારોએ પોતાની વિશ્વસનીયતા ટકાવી રાખવી પડશે. ડીજીટલ યુગમાં પોલિટીકલ પાર્ટીઓ રોજે રોજ એક બીજાની તરફેણ- વિરૂધ્ધમાં સમાચારોનું પ્રસારણ કરતા હોય છે. લોકોને સનસનાટી ભર્યા સમાચારો ગમે છે જેને સોશ્યલ અને ડીજીટલ મીડિયા પોષે છે પરંતુ કોઈપણ ન્યુઝની સત્યતાની ચકાસણી કરીને ત્યાર બાદ જ રજુ કરવામાં આવે તે જરૂરી છે.
આ વેળાએ પ્રશ્નોત્તરી કરતા શ્રી કાનજીભાઈ ભાલાળા અને શ્રી સેસિલ ક્રિસ્ટીએ ઉપસ્થિત તંત્રીશ્રી- પત્રકારોએ ફેક ન્યુઝ, અખબારી મૂલ્યો, પત્રકારની સજ્જતા, સોશ્યલ મીડિયાના પ્રભાવ પર પૂછેલા પ્રશ્નોના માહિતીપ્રદ ઉત્તરો આપ્યા હતા.
           આ પ્રસંગે સંયુક્ત માહિતી નિયામકશ્રી ભાવસિંહ રાઠવાએ પ્રેસ કાઉન્સિલની ભૂમિકા આપી હતી. શ્રી રાઠવાએ ઉપસ્થિત તંત્રી/પ્રતિનિધિશ્રીઓને આવકારતાં કહ્યું કે, પ્રેસ કાઉન્સિલ સમાજને ઉપયોગી અને સાચી હકીકત ઉજાગર કરતા પત્રકારોને પ્રેરણા આપવાનું કાર્ય સુપેરે નિભાવી સમાજના જાગૃત પ્રહરી, નીડર મીડિયાના હિતોનું રક્ષણ કરવાની ભૂમિકા અદા કરે છે. અનેક પડકારો વચ્ચે સમાજના વૈચારિક વિકાસ માટે ઝઝૂમતાં પત્રકારો પોતાની ફરજ અહર્નિશ બજાવી સમાજનું દિશાદર્શન કરવાની સરાહનીય ફરજ બજાવી રહ્યા હોવાનું શ્રી રાઠવાએ જણાવ્યું હતું.
       સ્વાગત પ્રવચન નાયબ માહિતી નિયામકશ્રી એમ.એસ.વળવી તથા આભારવિધિ સહાયક માહિતી નિયામકશ્રી આર.આર.તડવીએ આટોપી હતી.
સેમિનારનું રસાળ શૈલીમાં સંચાલન કરતા ચિત્રલેખાના યુવા પત્રકારશ્રી ફૈસલ બકીલીએ જણાવ્યું કે, ડીજીટલ યુગના પ્લેટફોર્મના ઉપયોગ સાથે મીડીયા જગતમાં હરીફાઇ વધવાની સાથે તેની સામે પડકાર પર એટલા જ ઊભા થયા છે, જેથી સમાચારની સત્યતા જાળવવી એટલી જ કપરી બની રહી છે. જેથી ડીજીટલ યુગમાં કોઈ પણ અખબાર કે ન્યુઝ ચેનલ માટે વિશ્વનીયતા સૌથી અગત્યની છે. અને વિવેકભાન સાથે સમાજને આયનો બતાવવાનું કાર્ય થાય તે જરૂરી છે હોવાનું જણાવ્યું હતું. સમગ્ર સેમિનારનું સફળ આયોજન માટે સહાયક માહિતી નિયામકશ્રી સહાયક માહિતી નિયામકશ્રી ઉમેશ બાવીશા, માહિતી મદદનીશશ્રી મહેન્દ્ર વેકરીયા, સહાયક અધિક્ષકશ્રી અક્ષય દેસાઈ, શ્રી પરેશ ટાપણીયાએ જહેમત ઉઠાવી હતી.
               ઉલ્લેખનીય છે કે, અખબારી જગત સાથે સંકળાયેલી સંસ્થા “પ્રેસ કાઉન્સીલ ઓફ ઇન્ડિયા” ની ૧૬મી નવેમ્બર,૧૯૫૬ ના દિવસે સ્થાપના થઇ હતી. પ્રેસ કાઉન્સીલના જન્મ દિવસને પ્રત્યેક વર્ષ સંભારણારૂપે ઉજવવા અને મીડિયાની સમાજમાં સંનિષ્ઠ લોકપ્રહરીની ભૂમિકાથી સમાજને અવગત કરાવવા માટે વર્ષ ૧૯૯૭માં ૧૬મી નવેમ્બરને નેશનલ પ્રેસ ડે રૂપે ઉજવવાનો નિર્ણય લેવાયો અને ત્યારથી સમગ્ર ભારતમાં આ દિવસની પ્રેસ ડે તરીકે ઉજવણી કરવામાં આવે છે.
November 19, 2018
paas.jpg
1min7950

આજરોજ તા.19મી નવેમ્બર 2018ના રોજ અમદાવાદ ખાતેની પલાસિયો હોટેલમાં બપોરે 3 વાગ્યાના અરસામાં પાસની એક મિટીંગ યોજવામાં આવી હતી. જોકે, આ હોટેલમાં પાસના નેતાઓ જેવા કે દિનેશ બાંભણીયા, નિખિલ સવાણી, દિલીપ સાબવા વગેરે ઉપસ્થિત હતા અને મિટીંગ શરૂ થાય એ પહેલા જ હોટેલ સંચાલકોએ ઇલેક્ટ્રીસિટી બંધ કરી દેતા મિટીંગ વિખેરી નાંખવાની ફરજ પડી હતી. હોટેલ માલિકો સાથે પાસના કાર્યકર્તાઓએ જીભાજોડી કરીને ઘર્ષણ કરવાનો પ્રયાસ કરતા હોટેલ માલિકોએ પોલીસ બોલાવવી પડી હતી. હોટેલ માલિકોએ પત્રકારોને જણાવ્યું હતું કે પાસના નેતાઓએ સ્નેહ મિલનના નામે જુઠ્ઠું બોલીને હોલ બુક કરાવ્યો હતો.

આ મિટીંગમાં લગભગ 150થી વધુ પાસ કન્વીનરો, આગેવાનો સમગ્ર ગુજરાતભરમાંથી આવ્યા હોવાની માહિતી પાસ આગેવાનોએ આપી હતી.

(પ્રતિકાત્મક તસ્વીર)

હોટેલમાં રૂપિયા ભરીને સ્થળ ફાઇનલ કર્યું હોવા છતાં પાસ, એસપીજી સમેતના આંદોલનકારી સંસ્થાઓના આગેવાનોની મિટીંગ ફિક્સ થઇ હતી પરંતુ, રાજ્ય સરકારના દબાણ હેઠળ હોટેલ સંચાલકોએ વીજળી ગુલ કરી દીધી હોવાનો આક્ષેપ દિનેશ બાંભણીયા તેમજ અન્યોએ કર્યો હતો. ગણતરીની મિનિટોમાં જ પાસના નેતાઓ, કાર્યકર્તાઓ, અગ્રણીઓ, કન્વીનરોએ મિટીંગ અને મિટીંગ પછી યોજાનારી પ્રેસ કોન્ફરન્સ પણ રદ કરી દેવાની ફરજ પડી હતી.

પાસ અગ્રણી નરેન્દ્રભાઇએ પત્રકારોને જણાવ્યું હતું કે પાટીદાર સમાજ માટે લડત ચલાવી રહેલી તમામ સંસ્થાઓના આગેવાનો જ્યારે સંગઠિત થવાના એજન્ડા પર મળવાના હતા, તેમાં સરકારે હવનમાં હાડકા નાંખ્યા છે. પણ આ મિટીંગ ટૂંક સમયમાં કોઇ ખેતરમાં કે ખુલ્લી જગ્યાએ રાખીશું. સરકાર કોઇ કાળે મિટીંગ વિખેરી શકશે નહીં.

હોટેલના માલિકે જણાવ્યું કે ફક્ત 20-25 વ્યક્તિઓના ગેટ ટુ ગેધર ના નામે હોટેલ બુક કરાવવામાં આવી હતી. અમે તેમને રાજકારણ કે વિવાદિત મુદ્દા પર મિટીંગ નહીં કરવા જણાવ્યું હતું જોકે, પાછળથી ખબર પડી કે પાસના રાજકારણ માટે હોટેલ બુક કરાવવામાં આવી હોવાથી અમારે ના પાડવી પડી હતી. પાસના કાર્યકર્તાઓએ હોબાળો મચાવતા અમારે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.