CIA ALERT

ગુજરાત Archives - Page 127 of 158 - CIA Live

May 4, 2019
eway_bill.jpg
1min6120
એક વર્ષથી અસ્તિત્વમાં આવેલી ઇ વે બિલની સિસ્ટમમાં સૌથી વધારે સંખ્યામાં ઇન્ટરસ્ટેટ બિલ જનરેટ કરવાનું શ્રેય ગુજરાતને મળ્યું છે. 2018-19માં  4.3 કરોડ ઇ વે બિલ બનાવવામાં આવ્યા હતા. ભારતના બધા જ રાજ્યો કરતા ગુજરાત આગળ છે.
ઇ વે બિલ સિસ્ટમ એપ્રિલ 2018માં અસ્તિત્વમાં આવી હતી. કોઇપણ પ્રકારનો માલ કે જેની કિંમત રૂ. 50 હજાર કરતા વધારે હોય અને એકમાંથી બીજા રાજ્યોમાં મોકલવાનો હોય તો ઇ વે બિલ બનાવવું પડે છે. એ પછી આંતરરાજ્ય હેરફેરમાં ય બનાવવાનું આવ્યું હતુ.
ગુજરાત ઉત્પાદન ક્ષેત્રનું હબ છે. એ જોતા મોટાંપાયે વિવિધ ચીજો બની રહી છે એ કારણે વધારે ઇ વે બિલ જનરેટ થયા છે.
ગુજરાતમાંથી કાચો અને તૈયાર માલ વધુ પ્રમાણમાં જાય છે. હવે જીએસટી પછી તમામ રાજ્યોમાં કરના દર સમાન થઇ જતા ગુજરાતના વેપારમાં વધારો થયો છે એમ પણ કહી શકાય.
વેટને લીધે વિવિધ રાજ્યો સાથે ગુજરાતનો વેપાર વધી ગયો છે. નવી બજારો પણ મળી છે. ગુજરાતમાં અનેક ચીજો બને છે તેની માગ પણ ભારતના અન્ય રાજ્યોમાંથી નીકળી છે. ગુજરાતમાંથી કૃષિ જણસીઓ, કેમિકલ્સ, એન્જિનીયરીંગ આઇટેમો, ફાર્મા પ્રોડક્ટસ, ટેક્સટાઇલ, સિરામિક, બ્રાસ પાર્ટસ તથા ફોર્જીંગી ચીજો બહાર જઇ રહી છે. અલબત્ત ગુજરાતમાં હેરફેર કરતી વખતે પણ ઇ વે બિલ બનાવવા પડે છે.  સ્થાનિક હેરફેર માટે 2.47 કરોડ ઇ વે બિલ બન્યા હતા. ઇ વે બિલ બનાવ્યા વિના બહાર જતો કે ફરતો માલ ગેરકાયદે ગણાય છે. એ માટે 82.15 કરોડની પેનલ્ટી પણ 5,152 વ્હીકલ્સ પાસેથી લેવામાં આવી છે.
May 4, 2019
Gadhda-Swaminarayan-Temple.jpg
1min5800

ગઢડાના ગોપીનાથજી સ્વામિનારાયણ દેવ મંદિરના ત્રણ સાધુની ભૂતકાળના ગુના સંદર્ભમાં પોલીસે અટકાયત કરી હતી. રવિવારે મંદિર ટ્રસ્ટ બોર્ડની યોજાનાર ચૂંટણીના સંદર્ભમાં પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દઇને અટકાયતી પગલાં લીધા હતાં.

ભૂતકાળમાં નોંધાયેલા ગુનાના સંદર્ભમાં ગોપીનાથજી દેવ મંદિર ટ્રસ્ટના સ્વામી સત્યપ્રકાશદાસજી, કોઠારી સ્વામી ઘનશ્યામશાત્રીજી અને પાર્ષદ મૌલિક ભગતની પોલીસે અટકાયત કરી હતી અને ત્રણેયને મેજીસ્ટ્રેટ સમક્ષ રજુ કરીને જામીન લેવડાવ્યા હતાં.
ગઢડાના ગોપીનાથજી સ્વામિનારાયણ દેવ મંદિર ટ્રસ્ટ બોર્ડની તા.5મીએ રવિવારે ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણી પ્રક્રિયા તટસ્થ અને ન્યાયીક રીતે પૂર્ણ થાય તે માટે હાઇકોર્ટના નિવૃત્ત જજ એસ.એમ.સોનીની અધ્યક્ષતામાં કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટીએ ચૂંટણી માટે પોલીસ બંદોબસ્ત ફાળવવાની માગણી કરી હતી. જેના સંદર્ભમાં બોટાદના પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાના માર્ગદર્શન હેઠળ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. આવતીકાલ તા. 4થી તા. 6 સુધી ડીવાયએસપી, પીઆઇ, પીએસઆઇ સહિત 35 થી વધુ અધિકારી, એસઆરપી, હોમગાર્ડ, જીઆરડી સહિત 700નો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.ચૂંટણી બુથો અને આસપાસ ઘોડેશ્વર પોલીસ અને પોલીસનું સતત પેટ્રોલીંગ રાખવામાં આવ્યું છે.
ચૂંટણીના સંદર્ભમાં અગાઉ નોંધાયેલા ગુનાના અનુસંધાને ટ્રસ્ટના સ્વામી સત્યપ્રકાશદાસજી, કોઠારી સ્વામી ઘનશ્યામશાત્રીજી અને પાર્ષદ મૌલિક ભગતની સીઆરપીસી 151 હેઠળ અટકાયત કરવામાં આવી હતી. આ ત્રણેયના એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ પાસે જામીન લેવડાવાયા હતાં. દેવ મંદિર ટ્રસ્ટ બોર્ડની ચૂંટણીના પગલે ગઢડા પંથકમાં ભારે ઉત્તેજના ફેલાઇ છે. ચૂંટણીના મતદારોની યાદી ગુમ થઇ ગયાની અને કેટલાય મતદાર અદૃશ્ય થઇ ગયાની ફરિયાદો ઉઠી છે.
May 4, 2019
nalin_kotadia.jpg
1min6340

બીટકોઈન કૌભાંડમાં જેલમાં પુરાયેલા પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને ગુજરાત હાઈ કોર્ટે શરતી જામીન આપ્યા છે. હાઈ કોર્ટે જામીન આપવાની સાથે જ કેટલીક શરતો પણ મૂકી છે, જે મુજબ નલિન કોટડિયા તેમના ગૃહનગર અમરેલીમાં પ્રવેશ કરી શકશે નહીં. આ ઉપરાંત તેઓ બીટકોઈન ઉપર કોઈ પણ પ્રકારનો દાવો રજૂ કરી શકશે નહીં.

ગુજરાતમાં ચકચાર મચાવનારાં બીટકોઈન કૌભાંડની યોજના નલિન કોટડિયાએ જ બનાવી હતી. કિરીટ પાલડિયા પાસેથી કોટડિયાને માહિતી મળી હતી કે, સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટ પાસે બીટકોઈન છે અને છેલ્લા ઘણા વર્ષોમાં તેણે મોટી કમાણી કરી છે. જો શૈલેષને ઉપાડીને ધમકાવવામાં આવે તો તે બીકને કારણે પૈસા આપી શકે એમ છે. આથી, નલીન કોટડિયાએ સુરતના વકીલ કેતન પટેલ ઉર્ફે ભંડેરીનો સંપર્ક કર્યો હતો. ભંડેરી અને જગદીશ પટેલ સંપર્કમાં હતા, કારણ કે જગદીશ પટેલ સુરતમાં ડીએસપી તરીકે નોકરી કરી ચુકયા હતા. કિરીટ પહેલા સીબીઆઈના નામે શૈલેષને ડરાવી પાંચ કરોડ જેવી માતબર રકમ પડાવી લીધી હતી. ત્યાર પછી શૈલેષ ભટ્ટને ઉપાડતા પહેલા ઈન્સપેકટર અનંત પટેલ, કેતન ભંડેરી અને કિરીટ પાલડિયાની ગાંધીનગર હાઈવે પાસે કોબા સર્કલ ખાતે એક મિટિંગ થઈ હતી. કિરીટ પાલડિયાએ ત્યાર બાદ શૈલેષને લોકેશન મોકલી નિધિ પેટ્રોલ પંપ આવી જવાનું કહ્યું હતું. ત્યારે શૈલેષ આવી પહોંચતા અનંત પટેલે ત્યાં પહોંચી તેનું અપહરણ કરી બીટકોઈન પડાવી લીધા હતા. આ કેસમાં આખરે લાંબી દડ મજલને અંતે પોલીસે કોટડિયાની ધરપકડ કરી હતી.

May 3, 2019
water.png
1min6850

ગુજરાત સરકારે પાણીની હાલમાં ઉદભવી રહેલી વિકટ સમસ્યાનો સામનો કરી રહેલા અંતરીયાળ ગામડાઓના વિસ્તારના લોકો માટે ખાસ ટેલિફોનિક હેલ્પલાઇન નંબર જારી કર્યો છે. પાણીને લગતી સમસ્યાઓ માટે ગુજરાત સરકારના હેલ્પલાઈન નંબર 1916 પર સંપર્ક કરીને કોઇપણ પ્રકારની સમસ્યા અથવા ફરીયાદ રજિસ્ટર્ડ કરાવી શકાશે.

ગુજરાતમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને પશ્ચિમ ગુજરાતમાં આ વખતનો ઉનાળો શરૂ થતાં જ અભૂતપૂર્વ જળસંકટ ઉદભવ્યું છે. ગુજરાતને આકરો પડી રહ્યો છે. રાજ્યના મોટાભાગના છેવાડાના ગામો અને શહેરો પાણીની તંગીથી પરેશાન છે. અધિકારીઓના પ્રમાણે માર્ચ-એપ્રિલમાં સરકારમાં થતી ફરિયાદોમાં પાણીને લગતી ફરિયાદોના પ્રમાણમાં વધારો થયો છે. સરકાર પાણીને લગતી સમસ્યાઓ માટે ખાસ હેલ્પલાઈન 1916 જાહેર કરી છે. જેમાં એપ્રિલમાં 860 ફરિયાદો મળી છે.

મે મહિનાના પહેલા જ દિવસે ફરિયાદોનો આંકડો આશ્ચર્યજનક રીતે વધીને 257 પર પહોંચી ગયો છે. બીજી મેના દિવસે સાંજે 6 વાગ્યા સુધીમાં પણ 159 ફરિયાદો આવી હતી.

May 3, 2019
ipl-2019-min-1024x585.jpg
1min5830

રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલ કમલેશ જવેલર્સની પાછળ રાજકમલ એપાર્ટમેન્ટમાં આઇપીએલના સટ્ટાનું નેટવર્ક ચાલતું હોવાની ચોકકસ બાતમીના આધારે સ્ટેટ વિજિલન્સના પીએસઆઈ સતિષ રામાણી સહિતના સ્ટાફે તા.1 મે 2019ના રોજ રેડ પાડતા દિલ્હી ચેન્નાઈની મેચ પર વલણની આપલે કરી રહેલા સટ્ટાબાજ બુકીઓમાં નાસભાગ મચી જવા પામી હતી.

રાજકોટ પોલીસે આઈપીએલ સટ્ટો ચલાવતા નામચીન બૂકી સચિન નરેન્દ્રભાઈ ઠકકર તેમજ અલ્પેશ નવીન સુવા, પ્રકાશ ભરત મોરજરિયા, શ્યામ જમનાદાસ, અંકુર, ધર્મેશ, શિવરાજ ભરતસિંહ સિસોદિયા સહિત 9 શખસોને ઝડપી લઈ તેની પાસેથી રૂા.2.89 લાખની મત્તા કબજે કરી વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. શહેરના પોશ વિસ્તારમાં આઈપીએલ સટ્ટાના દરોડામાં 15 કલાકથી વધુ ચાલતા સ્ટેટ વિજિલન્સની તપાસમાં 50થી વધુ શખસોના નામ ખુલતાં તેમજ આ સટ્ટો સ્થાનિક પોલીસની મંજૂરીથી ચાલતો હતો કે કેમ તેની તપાસ હાથ ધરી છે.

રાજકોટ : આઇપીએલ પર સટ્ટો રમતા નામચીન બુકીઓ સહીત 9 લોકો ઝડપાયા

ગુજરાતમાં ક્રિકેટની સૌથી મોટી ઇવેન્ટ આઇપીએલ પર મોટા પાયે આંતર રાજ્ય સ્તરનો સટ્ટો રમાઇ રહ્યાની ફરીયાદો વચ્ચે બુધવારે રાજકોટ પોલીસને મોટી સફળતા મળી હતી. ફરિયાદોના આધારે સ્ટેટ વિજિલન્સ ટીમે આઇપીએલ મેચ પર સટ્ટાના નેટવર્કને ઝડપી પાડ્યું છે. પોલીસે નામચીન બૂકી સહિત 9 શખસોને ઝડપી લઈ પોણા ત્રણ લાખની મત્તા કબજે કરતા 50થી વધુ શખસોના નામ ખુલતાં વિશેષ કાર્યવાહી હાથ ધરી છે.

 

May 3, 2019
farmers_pepso.jpg
1min8730

ગુજરાતના ચાટ બટાકાના ખેડૂતો સામે કરેલા કેસ તે પાછા ખેંચી લેશે તેવું પેપ્સીકો ઈન્ડિયા કંપનીએ ગુરુવારે કહ્યું હતું. પોટેટો ચિપ્સની લોકપ્રિય બ્રાન્ડ માટેની ‘પોટેટો વેરાઈટી’ રોપવા બદલ કંપનીએ કેટલાક ખેડૂતો સામે કેસ કર્યો હતો. પેપ્સીકો કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે સરકાર સાથે ચર્ચા કર્યા પછી કેસ પાછા ખેંચવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે “સીડ પ્રોટેકશન સાથે સંકળાયેલા બધા મુદ્દાઓના સંતોષકારક નિરાકરણ માટે અને લાંબા ગાળાના ઉકેલ માટે અમે સરકાર સાથે થયેલી ચર્ચા પર ભરોસો રાખીએ છીએ. કંપનીએ ગુજરાતમાં 11 ખેડૂતો સામે ઈન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ્સ (આઈપીઆર)ના ઉલ્લંઘન બદલ કેસ કર્યો હતો. ભારતીય કિસાન સંઘના ગુજરાત એકમના પ્રમુખ વિઠ્ઠલ દુધા6ાએ કહ્યું હતું કે, “અમે આ નિર્ણયનું સ્વાગત કરીએ છીએ. આ ખેડૂતોની જીત છે.

May 2, 2019
24-7_purple.png
1min6560

રાજ્યમાં હવે 24 કલાક દુકાનો ખુલ્લી રાખી શકાશે. રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આ મહત્વની જાહેરાત કરી છે. નીતિન પટેલની જાહેરાત પ્રમાણે 1 મેથી રાજ્યમાં 24 કલાક દુકાનો અને રેસ્ટોરન્ટ ખુલ્લી રાખી શકાશે. નીતિન પટેલે જાહેરાત કરતા કહ્યું કે 24 કલાક દુકાનો ખુલ્લી રાખવાથી મુશ્કેલીઓમાં ઘટાડો થશે અને 24 કલાક તમામ સામાન મળી રહેશે. આ નિર્ણયથી રાજ્યમાં રોજગારી પણ વધવાની વાત નીતિન પટેલે કરી છે. આ સાથે જ દુકાનદારોને દર વર્ષે રજિસ્ટ્રેશન કરવામાંથી પણ મુક્તિ આપવામાં આવી છે.

પહેલી મેના દિવસે નાણાંમંત્રી નીતિન પટેલે ઔપચારિક રીતે 24 કલાક દુકાનો ખુલ્લી રાખવાની જાહેરાત કરી હતી. જેનો આજથી અમલ શરૂ થઈ જશે. રાજ્યભરની દુકાનો, મૉલ્સ, પાથરણાં બજારો, દુકાનો, પેટ્રોલ પંપ પણ ખુલ્લા રહેશે.

રાજ્યમાં મતદાન પુરું થયા બાદ ચૂંટણીપંચે મંગળવારે મંજૂરી આપી હતી. જે બાદ આ જાહેરાત કરવામાં આવી હતી. સરકારનો દાવો છે કે નવા કાયદાથી રોજગારીની તકોમાં વધારો થશે.

May 2, 2019
saurashtra.png
1min5440
સૌરાષ્ટ્રભરમાં ઉનાળાના પ્રારંભે જ પાણીનો પોકાર ઉઠી રહ્યો છે. આ સાથે ઓછા વરસાદના કારણે પશુપાલકોની સમસ્યા પણ વકરી રહી હોવાના પ્રશ્ને ભાજપ સરકાર સામે લોકોમાં આક્રોશ ફેલાઈ રહ્યો છે. ગુજરાતનાં પાણીવાળા કહેવાતાં ઝાલાવાડમાં પણ આ વર્ષે લોકો પીવાનાં પાણી માટે વલખાં મારી રહ્યાં છે. તો ફરેણી ગામે મહિલાઓ રણચંડી બની હતી અને બેડા સરઘસ કાઢયું હતું.
નર્મદા યોજનાનો સૌથી વધુ લાભ સુરેન્દ્રનગર જિલ્લાને મળ્યો છે. અહીંના ડેમમાંથી જ સૌરાષ્ટ્ર – કચ્છ અને ભાવનગરને પાણી પૂરું પાડવામાં આવતું હોવથી પાણીયારું કહેવાય છે પરંતુ ઓણસાલ સુરેન્દ્રનગર જિલ્લાના અનેક ભાગોમાં ત્રીજા દિવસે પાણી મળી રહ્યું હોવાથી ઝાલાવાડ પંથકના લોકો પીવાનાં પાણી માટે વલખાં મારી રહ્યાં છે. આ સિવાય ચોટીલાના ડોસલી ધૂના, લોમા કોટડી, મેવાસા, બામણબોર, જીવાપર, ગુંદાળા, ગારીડા સહિતનાં 26 ગામના લોકોની હાલત તો એટલી કફોડી બની છે કે ત્યાં ટેન્કરથી અને તે પણ અનિયમિત પાણી વિતરણ કરવામાં આવતું હોવાની ફરિયાદો ઉઠી રહી છે.
સૌરાષ્ટ્રમાં પાંચાળ પંથકથી ઓળખાતા બાબરા તાલુકાનાં પાણી અને ઘાસચારાના પ્રશ્ને તાલુકા કોંગ્રેસ સમિતિની આગેવાનીમાં ખેડૂતો અને આમ જનતા દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવશે અને મામલતદારને આવેદન પાઠવવામાં આવશે. આ વિરોધ પ્રદર્શનમાં બાબરા-લાઠીના ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમર ઉપસ્થિત રહેશે તેમ જિલ્લા કોંગ્રેસ મોવડી પ્રભાતભાઇ કોઠીવાળાએ જણાવ્યું હતું.
ધોરાજીમાં પાંચ-છ દિવસે પાણી વિતરણ થતા લોકોમાં રોષ વ્યાપી રહ્યો છે ત્યારે આજે ફરેણી રોડ પર મહિલાઓએ રણચંડી બનીને બેડા સરઘસ કાઢયું હતું. આ સાથે પાણી આપોના નારા સાથે ફરેણી રોડ પર ચક્કાજામ કર્યું હતું અને નગરપાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.
જૂનાગઢ જિલ્લાને પાણી પૂરું પાડતા આણંદપર ડેમના તળિયા દેખાવા લાગ્યા છે. જેથી નર્મદા અથવા ઓઝત-2 ડેમમાંથી આણંદપર ડેમમાં પાણી ઠાલવવા ધારાસભ્ય ભીખાભાઇ જોષીએ કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી હતી.

લીંબડીમાં કચ્છના હિજરતી પશુપાલકો બેહાલ

કચ્છથી અંદાજે સાત માસ પહેલા સહપરિવાર સેંકડો પશુપાલકોએ 400 જેટલા માલઢોર સાથે હિજરત કરીને લીંબડીના જનશાળી અને મિઠાપુર ગામે આશરો લીધો છે. ગ્રામજનોએ પશુઓ માટે અવેડા બનાવી દીધા છે અને ઘાસચારાની પણ વ્યવસ્થા કરી દેવામાં આવી હતી પરંતુ હાલ ઝાલાવાડ પંથકમાં પાણી વિતરણની અવ્યવસ્થાનાં કારણે સ્થાનિકો સાથે હિજરતી પશુપાલકો પણ બેહાલ બન્યા છે.

બેટ દ્વારકામાં સવા મહિનાથી પાણીની વિકટ સમસ્યા

યાત્રાધામ બેટ દ્વારકામાં સવા મહિનાથી નગરપાલિકા દ્વારા પાણી વિતરણ કરવામાં આવ્યું નથી. દ્વારકામાં સ્થાનિક કોઈ પાણીનો સ્રોત ન હોવાથી લોકોની સાથે યાત્રાળુઓ પણ હાલાકીનો સામનો કરી રહ્યા છે. બેટ દ્વારકામાં રાજાશાહી વખતના નવ જેટલાં તળાવ આવેલાં છે. જેમાંથી રતન તળાવ, પાર તળાવ અને રણ તળાવ પર જમીન માફિયાઓ દ્વારા દબાણ કરી લેવામાં આવતા આ પાણી પણ સ્થાનિકોને મળવાનું બંધ થઈ ગયું છે. પાણીની સમસ્યા અંગે નગરપાલિકાના ચિફ ઓફિસરને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, દૈનિક ત્રણ લાખ લીટર પાણીની જરૂરિયાત સામે પાણી પુરવઠા દ્વારા અનિયમિત પચ્ચાસ હજાર લીટર જ પાણી આપવામાં આવે છે. આ અંગે પાણી પૂરવઠા ડે. ઇજનેરે જણાવ્યું હતું કે, ઉપરથી જ નર્મદાનાં નીર પૂરતાં પ્રમાણમાં આવશે ત્યારે બેટ દ્વારકામાં નિયમિત અને પૂરતું પાણી આપીશું.
April 30, 2019
CIA_Live_Logo_New2.jpg
1min5530

ભાવનગરમાં હત્યાનો વધુ એક બનાવ: છ દિવસમાં પાંચમી હત્યા

ભાવનગરમાં હત્યાનો વધુ એક બનાવ બન્યો હતો. છ દિવસમાં ખૂનના પાંચ બનાવમાં જયંતીભાઇ સોમાભાઇ કડવા નામના આધેડનું ધોકાના ઘા મારીને તેના ભાણેજ અરવિંદ મંગાભાઇએ ખૂન કર્યુ હતું.
પ્રભુદાસ તળાવ  પાસે ટીટી ચોક વિસ્તારમાં ભારત મીલ નજીક જયંતીભાઇ સોમાભાઇ કડવા નામના આધેડ પર ધોકાથી હુમલો થયો હતો. માથાના ભાગે ધોકાના ઘા ઝીંકાવાના કારણે ગંભીર રીતે ઘવાયેલા આ આધેડને સારવાર માટે  હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં તેમનું મૃત્યુ નિપજતા બનાવ ખૂનમાં પરિણમ્યો હતો. આ બનાવની જાણ થતાં ડીવાયએસપી મનિષ ઠાકર સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળ અને હોસ્પિટલે પહોંચી ગયો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક જયંતીભાઇ ઉપર તેના ભાણેજ અરવિંદ મંગાભાઇએ હુમલો કરીને હત્યા કર્યાનું ખુલ્યું હતું. આ ખૂનના બનાવ પાછળનું કારણ શું છે? તેની તપાસ ચાલી રહી છે. લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ હત્યા કરવાની હોડ લાગી હોય તેમ છેલ્લા છ દિવસમાં ખૂનનો પાંચમો બનાવ બન્યો હતો.
April 29, 2019
patidar.jpg
1min6860

૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ૨૬ માંથી ૧૦ લોકસભા બેઠકો પર પાટીદાર મતો નિર્ણાયક ભૂમિકામાં

ગુજરાતમાં પાટીદારોની વોટ બેંક દરેક રાજકીય પાર્ટી માટે માત્ર મહત્ત્વની જ નહીં, પરંતુ નિર્ણાયક સાબિત થતી હોય છે. તેથી જ ભાજપ અને કૉંગ્રેસ બંને માટે લોકસભાની ૨૦૧૯ની ચૂંટણીમાં પાટીદાર ફેક્ટર બહુ જ મહત્ત્વનું હતું. તા.23મી એપ્રિલ 2019ના રોજ પાટીદારોએ કઇ પાર્ટી કે કયા ઉમેદવાર તરફી મતદાન કર્યું એ વલણ હજુ સુધી અકળ રહ્યું છે. ભાજપા કે કોંગ્રેસ કોઇ કળી શક્યું નથી કે પાટીદારોએ કોને મત આપ્યા હશે, આ સસ્પેન્સ ભાજપા માટે રહસ્યમયી બન્યું છે. કોંગ્રેસને એવી આશા છે કે હાર્દિક પટેલ પાટીદારોના મત ખેંચી લાવશે પરંતુ, એ બાબતે ખુદ કોંગ્રેસી નેતાઓ અવઢવભરી વાતો કરી રહ્યા છે.

ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન બાદ યોજાયેલી વિધાનસભા અને જિલ્લા -તાલુકા પંચાયતોની ચૂંટણીઓમાં ભાજપને પાટીદારોનો રોષનો સામનો કરવા પડ્યો હતો. હવે ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં એક સંપ થઇને નરેન્દ્ર મોદીને પડખે ઊભો રહેલો પાટીદાર સમાજ આ વખતે એટલે કે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં શું કર્યું હશે તેની સમીક્ષા અને એનાલિસિસનો દૌર શરૂ થયો છે.

ભાજપા અને કોંગ્રેસની વિચાર વિમર્શ બેઠકોમાં ગુજરાતની ૨૬ બેઠકોના મતદાનમાં સવા કરોડથી વધુની વસતી ધરાવતા પાટીદારો કંઇ બાજુ ઢળ્યાં હશે ? એવા સવાલોના અકળાવનારા જવાબો પાર્ટી કાર્યકરો આપી રહ્યા છે, ભાજપા કે કોંગ્રેસ કોઇ છાતી ઠોકીને કહી શકતુ નથી કે પાટીદારોના મત ક્યાં પડ્યા હશે

પાટીદારોના પ્રભુત્ત્વવાળી બેઠકો પર કેટલેક ઠેકાણે વધારે તો કેટલીક બેઠકો પર ઓછું મતદાન થયું હોવાનું કહેવાઇ રહ્યું છે. પાટીદારોનાં કેટલાંક સંગઠનો દ્વારા આ વખતે પણ વિધાનસભાની ચૂંટણીમાં થયેલા વિરોધનું પુનરાવર્તન કરવા માટે વીડિયો વાયરલ કરવામાં આવ્યા હતા તેમજ ગ્રુપ મિટિંગો યોજીને ભાજપને સબક શિખવવા માટેની અપીલો કરવામાં આવી હતી, પરંતુ તેમની આ અપીલો અને પ્રયાસો કેટલા સફળ થયા છે તેનું રહસ્ય ૨૩મી મેના રોજ મતગણતરી સાથે ખૂલશે.

પાટીદાર આંદોલન બાદ વિધાનસભા ચૂંટણીમાં ચિત્ર બદલાયું હતું, જેની સીધી અસર લોકસભા ચૂંટણી પર પડી છે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ૨૬ માંથી ૧૦ લોકસભા બેઠકો પર પાટીદારો મતો નિર્ણાયક ભૂમિકામાં છે.

પાટીદારોની નેગેટિવ કે પોઝિટિવ અસર કરી શકે તેવી સુરત, ગાંધીનગર, અમદાવાદ પૂર્વ, મહેસાણા, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, જામનગર, આણંદ, સુરેન્દ્રનગર, પાટણ સાબરકાંઠા સહિતની કેટલીક બેઠકો

ગુજરાતમાં શહેરી બેઠકો પર પાટીદાર હોય કે અન્ય સમાજ હોય તે ભાજપ તરફી જ રહ્યા છે. તો અમરેલી-જૂનાગઢ જેવી વિધાનસભામાં પાટીદાર આંદોલન ઉપરાંત ખેડૂતોની સમસ્યાઓ પણ પાટીદાર સમાજ ભાજપના વિરોધમાં હોવાનું જણાયું છે ત્યારે પાટીદારોની નેગેટિવ કે પોઝિટિવ અસર કરી શકે તેવી ગાંધીનગર, અમદાવાદ પૂર્વ, મહેસાણા, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, જામનગર, આણંદ, સુરેન્દ્રનગર, પાટણ સાબરકાંઠા સહિતની કેટલીક બેઠકોનો સમાવેશ થાય છે.

૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં થયેલા મતદાન પર નજર નાખીએ તો, ૨૦૧૪ ૨૦૧૯ મહેસાણા બેઠક પર ૨૦૧૪માં ૬૭.૦૩ ટકા જ્યારે ૨૦૧૯માં ૬૪.૯૧, ગાંધીનગર બેઠક પર ૨૦૧૪માં ૬૫.૫૭ અને ૨૦૧૯માં ૬૪.૯૫, બનાસકાંઠા બેઠ પર ૨૦૧૪માં ૫૮.૫૪ ટકા અને ૨૦૧૯માં ૬૪.૭૧, અમરેલીમાં ૨૦૧૪માં ૫૪.૪૭ ટકા અને આ વખતે ૫૫.૭૩ ટકા, અમદાવાદ પૂર્વ બેઠક પર ૨૦૧૪માં ૬૧.૫૯ અને ૨૦૧૯માં ૬૦.૭૭, રાજકોટ બેઠક પર ૨૦૧૪માં ૬૩.૮૯ અને ૨૦૧૯માં ૬૩.૧૨ અને આણંદ બેઠક પર ૨૦૧૪માં ૬૪.૮૯ ટકા અને ૨૦૧૯માં ૬૬.૦૩ ટકા જેટલું સરેરાશ મતદાન થયું છે.

પાટીદાર આંદોલનની પોઝિટિવ કે નેગેટિવ અસર મતદાન પર પડી હોય તેવું લાગતું નથી. મતદાનનો આંકડો તો ઓલમોસ્ટ સરખો જ છે. પણ પાટીદાર મતદારોનો ઝુકાવ આ વખતે કોના તરફ વળ્યો છે તે તો ૨૩મી મેના રોજ પરિણામ આવતા વાસ્તવિકતા જોવા મળશે.

ગુજરાતમાં ફક્ત બનાસકાંઠામાં ગત લોકસભા ચૂંટણી કરતા મતદાન ૬ ટકા જેટલુ વધ્યું છે. પાટીદારોની સૌથી વધુ પ્રભુત્વવાળી બેઠકોમાં મહેસાણા, અમરેલી અને બનાસકાંઠાનો સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી પહેલા ભાજપે નારાજ પાટીદારોને મનાવવા કવાયત હાથ ધરી હતી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પાટીદાર બહુલ બેઠકો પર ભાજપને નુકસાન ન થાય તે માટે ભાજપે કમર કસી હતી, અને પાટીદાર આગેવાનો સાથે મિટિંગ કરી હતી. અમિત શાહે વિશ્ર્વ ઉમિયા ફાઉન્ડેશન, ઉમિયાધામ અને ખોડલધામના આગેવાનો સાથે મિટિંગ કરી હતી.

વર્ષ ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપે ૨૬માંથી અમરેલી, પોરબંદર, રાજકોટ, મહેસાણા, આણંદ એમ ૫ બેઠકો ઉપર પાટીદારોને ટિકિટ આપી હતી. તે પહેલા જૂના સીમાંકનોમાં જૂનાગઢ લોકસભા ક્ષેત્ર સાથે પણ ભાજપ મહદઅંશે આ પાંચ બેઠકો ઉપર પાટીદાર આગેવાનોને ઉમેદવાર તરીકે ઉતારતું રહ્યું છે. વર્ષ ૨૦૧૯માં દોઢ- બે દાયકામાં પહેલીવાર ભાજપે વધુ એક પાટીદારને અમદાવાદ પૂર્વ લોકસભા મતક્ષેત્રમાંથી ચૂંટણીના મેદાને ઉતાર્યા છે. તો બીજી તરફ કૉંગ્રેસે રાજકોટ, પોરબંદર, વડોદરા, અમદાવાદ પૂર્વ, અમરેલી, મહેસાણા, સુરત અને ભાવનગર બેઠકો પર પાટીદાર નેતાઓને ટિકિટ ફાળવેલી છે. જે જોતા ટિકિટ ફાળવણીમાં ભાજપ કરતા કૉંગ્રેસનો આંકડો વધુ દેખાય છે. આ ઉપરાંત ભાજપ માટે મુશ્કેલ મનાતી બનાસકાંઠા ૬૪.૭૧ પાટણ ૬૧.૨૩ મહેસાણા ૬૪.૯૧ સાંબરકાંઠા ૬૭.૦૩ સુરેન્દ્રનગર ૫૭.૭૯ જુનાગઢ ૬૦.૭ અને અમરેલી બેઠક પર ૫૫.૭૩ ટકા મતદાન થયું છે.