CIA ALERT

ગુજરાત Archives - Page 127 of 158 - CIA Live

May 2, 2019
saurashtra.png
1min5290
સૌરાષ્ટ્રભરમાં ઉનાળાના પ્રારંભે જ પાણીનો પોકાર ઉઠી રહ્યો છે. આ સાથે ઓછા વરસાદના કારણે પશુપાલકોની સમસ્યા પણ વકરી રહી હોવાના પ્રશ્ને ભાજપ સરકાર સામે લોકોમાં આક્રોશ ફેલાઈ રહ્યો છે. ગુજરાતનાં પાણીવાળા કહેવાતાં ઝાલાવાડમાં પણ આ વર્ષે લોકો પીવાનાં પાણી માટે વલખાં મારી રહ્યાં છે. તો ફરેણી ગામે મહિલાઓ રણચંડી બની હતી અને બેડા સરઘસ કાઢયું હતું.
નર્મદા યોજનાનો સૌથી વધુ લાભ સુરેન્દ્રનગર જિલ્લાને મળ્યો છે. અહીંના ડેમમાંથી જ સૌરાષ્ટ્ર – કચ્છ અને ભાવનગરને પાણી પૂરું પાડવામાં આવતું હોવથી પાણીયારું કહેવાય છે પરંતુ ઓણસાલ સુરેન્દ્રનગર જિલ્લાના અનેક ભાગોમાં ત્રીજા દિવસે પાણી મળી રહ્યું હોવાથી ઝાલાવાડ પંથકના લોકો પીવાનાં પાણી માટે વલખાં મારી રહ્યાં છે. આ સિવાય ચોટીલાના ડોસલી ધૂના, લોમા કોટડી, મેવાસા, બામણબોર, જીવાપર, ગુંદાળા, ગારીડા સહિતનાં 26 ગામના લોકોની હાલત તો એટલી કફોડી બની છે કે ત્યાં ટેન્કરથી અને તે પણ અનિયમિત પાણી વિતરણ કરવામાં આવતું હોવાની ફરિયાદો ઉઠી રહી છે.
સૌરાષ્ટ્રમાં પાંચાળ પંથકથી ઓળખાતા બાબરા તાલુકાનાં પાણી અને ઘાસચારાના પ્રશ્ને તાલુકા કોંગ્રેસ સમિતિની આગેવાનીમાં ખેડૂતો અને આમ જનતા દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવશે અને મામલતદારને આવેદન પાઠવવામાં આવશે. આ વિરોધ પ્રદર્શનમાં બાબરા-લાઠીના ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમર ઉપસ્થિત રહેશે તેમ જિલ્લા કોંગ્રેસ મોવડી પ્રભાતભાઇ કોઠીવાળાએ જણાવ્યું હતું.
ધોરાજીમાં પાંચ-છ દિવસે પાણી વિતરણ થતા લોકોમાં રોષ વ્યાપી રહ્યો છે ત્યારે આજે ફરેણી રોડ પર મહિલાઓએ રણચંડી બનીને બેડા સરઘસ કાઢયું હતું. આ સાથે પાણી આપોના નારા સાથે ફરેણી રોડ પર ચક્કાજામ કર્યું હતું અને નગરપાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.
જૂનાગઢ જિલ્લાને પાણી પૂરું પાડતા આણંદપર ડેમના તળિયા દેખાવા લાગ્યા છે. જેથી નર્મદા અથવા ઓઝત-2 ડેમમાંથી આણંદપર ડેમમાં પાણી ઠાલવવા ધારાસભ્ય ભીખાભાઇ જોષીએ કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી હતી.

લીંબડીમાં કચ્છના હિજરતી પશુપાલકો બેહાલ

કચ્છથી અંદાજે સાત માસ પહેલા સહપરિવાર સેંકડો પશુપાલકોએ 400 જેટલા માલઢોર સાથે હિજરત કરીને લીંબડીના જનશાળી અને મિઠાપુર ગામે આશરો લીધો છે. ગ્રામજનોએ પશુઓ માટે અવેડા બનાવી દીધા છે અને ઘાસચારાની પણ વ્યવસ્થા કરી દેવામાં આવી હતી પરંતુ હાલ ઝાલાવાડ પંથકમાં પાણી વિતરણની અવ્યવસ્થાનાં કારણે સ્થાનિકો સાથે હિજરતી પશુપાલકો પણ બેહાલ બન્યા છે.

બેટ દ્વારકામાં સવા મહિનાથી પાણીની વિકટ સમસ્યા

યાત્રાધામ બેટ દ્વારકામાં સવા મહિનાથી નગરપાલિકા દ્વારા પાણી વિતરણ કરવામાં આવ્યું નથી. દ્વારકામાં સ્થાનિક કોઈ પાણીનો સ્રોત ન હોવાથી લોકોની સાથે યાત્રાળુઓ પણ હાલાકીનો સામનો કરી રહ્યા છે. બેટ દ્વારકામાં રાજાશાહી વખતના નવ જેટલાં તળાવ આવેલાં છે. જેમાંથી રતન તળાવ, પાર તળાવ અને રણ તળાવ પર જમીન માફિયાઓ દ્વારા દબાણ કરી લેવામાં આવતા આ પાણી પણ સ્થાનિકોને મળવાનું બંધ થઈ ગયું છે. પાણીની સમસ્યા અંગે નગરપાલિકાના ચિફ ઓફિસરને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, દૈનિક ત્રણ લાખ લીટર પાણીની જરૂરિયાત સામે પાણી પુરવઠા દ્વારા અનિયમિત પચ્ચાસ હજાર લીટર જ પાણી આપવામાં આવે છે. આ અંગે પાણી પૂરવઠા ડે. ઇજનેરે જણાવ્યું હતું કે, ઉપરથી જ નર્મદાનાં નીર પૂરતાં પ્રમાણમાં આવશે ત્યારે બેટ દ્વારકામાં નિયમિત અને પૂરતું પાણી આપીશું.
April 30, 2019
CIA_Live_Logo_New2.jpg
1min5410

ભાવનગરમાં હત્યાનો વધુ એક બનાવ: છ દિવસમાં પાંચમી હત્યા

ભાવનગરમાં હત્યાનો વધુ એક બનાવ બન્યો હતો. છ દિવસમાં ખૂનના પાંચ બનાવમાં જયંતીભાઇ સોમાભાઇ કડવા નામના આધેડનું ધોકાના ઘા મારીને તેના ભાણેજ અરવિંદ મંગાભાઇએ ખૂન કર્યુ હતું.
પ્રભુદાસ તળાવ  પાસે ટીટી ચોક વિસ્તારમાં ભારત મીલ નજીક જયંતીભાઇ સોમાભાઇ કડવા નામના આધેડ પર ધોકાથી હુમલો થયો હતો. માથાના ભાગે ધોકાના ઘા ઝીંકાવાના કારણે ગંભીર રીતે ઘવાયેલા આ આધેડને સારવાર માટે  હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં તેમનું મૃત્યુ નિપજતા બનાવ ખૂનમાં પરિણમ્યો હતો. આ બનાવની જાણ થતાં ડીવાયએસપી મનિષ ઠાકર સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળ અને હોસ્પિટલે પહોંચી ગયો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક જયંતીભાઇ ઉપર તેના ભાણેજ અરવિંદ મંગાભાઇએ હુમલો કરીને હત્યા કર્યાનું ખુલ્યું હતું. આ ખૂનના બનાવ પાછળનું કારણ શું છે? તેની તપાસ ચાલી રહી છે. લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ હત્યા કરવાની હોડ લાગી હોય તેમ છેલ્લા છ દિવસમાં ખૂનનો પાંચમો બનાવ બન્યો હતો.
April 29, 2019
patidar.jpg
1min6680

૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ૨૬ માંથી ૧૦ લોકસભા બેઠકો પર પાટીદાર મતો નિર્ણાયક ભૂમિકામાં

ગુજરાતમાં પાટીદારોની વોટ બેંક દરેક રાજકીય પાર્ટી માટે માત્ર મહત્ત્વની જ નહીં, પરંતુ નિર્ણાયક સાબિત થતી હોય છે. તેથી જ ભાજપ અને કૉંગ્રેસ બંને માટે લોકસભાની ૨૦૧૯ની ચૂંટણીમાં પાટીદાર ફેક્ટર બહુ જ મહત્ત્વનું હતું. તા.23મી એપ્રિલ 2019ના રોજ પાટીદારોએ કઇ પાર્ટી કે કયા ઉમેદવાર તરફી મતદાન કર્યું એ વલણ હજુ સુધી અકળ રહ્યું છે. ભાજપા કે કોંગ્રેસ કોઇ કળી શક્યું નથી કે પાટીદારોએ કોને મત આપ્યા હશે, આ સસ્પેન્સ ભાજપા માટે રહસ્યમયી બન્યું છે. કોંગ્રેસને એવી આશા છે કે હાર્દિક પટેલ પાટીદારોના મત ખેંચી લાવશે પરંતુ, એ બાબતે ખુદ કોંગ્રેસી નેતાઓ અવઢવભરી વાતો કરી રહ્યા છે.

ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન બાદ યોજાયેલી વિધાનસભા અને જિલ્લા -તાલુકા પંચાયતોની ચૂંટણીઓમાં ભાજપને પાટીદારોનો રોષનો સામનો કરવા પડ્યો હતો. હવે ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં એક સંપ થઇને નરેન્દ્ર મોદીને પડખે ઊભો રહેલો પાટીદાર સમાજ આ વખતે એટલે કે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં શું કર્યું હશે તેની સમીક્ષા અને એનાલિસિસનો દૌર શરૂ થયો છે.

ભાજપા અને કોંગ્રેસની વિચાર વિમર્શ બેઠકોમાં ગુજરાતની ૨૬ બેઠકોના મતદાનમાં સવા કરોડથી વધુની વસતી ધરાવતા પાટીદારો કંઇ બાજુ ઢળ્યાં હશે ? એવા સવાલોના અકળાવનારા જવાબો પાર્ટી કાર્યકરો આપી રહ્યા છે, ભાજપા કે કોંગ્રેસ કોઇ છાતી ઠોકીને કહી શકતુ નથી કે પાટીદારોના મત ક્યાં પડ્યા હશે

પાટીદારોના પ્રભુત્ત્વવાળી બેઠકો પર કેટલેક ઠેકાણે વધારે તો કેટલીક બેઠકો પર ઓછું મતદાન થયું હોવાનું કહેવાઇ રહ્યું છે. પાટીદારોનાં કેટલાંક સંગઠનો દ્વારા આ વખતે પણ વિધાનસભાની ચૂંટણીમાં થયેલા વિરોધનું પુનરાવર્તન કરવા માટે વીડિયો વાયરલ કરવામાં આવ્યા હતા તેમજ ગ્રુપ મિટિંગો યોજીને ભાજપને સબક શિખવવા માટેની અપીલો કરવામાં આવી હતી, પરંતુ તેમની આ અપીલો અને પ્રયાસો કેટલા સફળ થયા છે તેનું રહસ્ય ૨૩મી મેના રોજ મતગણતરી સાથે ખૂલશે.

પાટીદાર આંદોલન બાદ વિધાનસભા ચૂંટણીમાં ચિત્ર બદલાયું હતું, જેની સીધી અસર લોકસભા ચૂંટણી પર પડી છે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ૨૬ માંથી ૧૦ લોકસભા બેઠકો પર પાટીદારો મતો નિર્ણાયક ભૂમિકામાં છે.

પાટીદારોની નેગેટિવ કે પોઝિટિવ અસર કરી શકે તેવી સુરત, ગાંધીનગર, અમદાવાદ પૂર્વ, મહેસાણા, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, જામનગર, આણંદ, સુરેન્દ્રનગર, પાટણ સાબરકાંઠા સહિતની કેટલીક બેઠકો

ગુજરાતમાં શહેરી બેઠકો પર પાટીદાર હોય કે અન્ય સમાજ હોય તે ભાજપ તરફી જ રહ્યા છે. તો અમરેલી-જૂનાગઢ જેવી વિધાનસભામાં પાટીદાર આંદોલન ઉપરાંત ખેડૂતોની સમસ્યાઓ પણ પાટીદાર સમાજ ભાજપના વિરોધમાં હોવાનું જણાયું છે ત્યારે પાટીદારોની નેગેટિવ કે પોઝિટિવ અસર કરી શકે તેવી ગાંધીનગર, અમદાવાદ પૂર્વ, મહેસાણા, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, જામનગર, આણંદ, સુરેન્દ્રનગર, પાટણ સાબરકાંઠા સહિતની કેટલીક બેઠકોનો સમાવેશ થાય છે.

૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં થયેલા મતદાન પર નજર નાખીએ તો, ૨૦૧૪ ૨૦૧૯ મહેસાણા બેઠક પર ૨૦૧૪માં ૬૭.૦૩ ટકા જ્યારે ૨૦૧૯માં ૬૪.૯૧, ગાંધીનગર બેઠક પર ૨૦૧૪માં ૬૫.૫૭ અને ૨૦૧૯માં ૬૪.૯૫, બનાસકાંઠા બેઠ પર ૨૦૧૪માં ૫૮.૫૪ ટકા અને ૨૦૧૯માં ૬૪.૭૧, અમરેલીમાં ૨૦૧૪માં ૫૪.૪૭ ટકા અને આ વખતે ૫૫.૭૩ ટકા, અમદાવાદ પૂર્વ બેઠક પર ૨૦૧૪માં ૬૧.૫૯ અને ૨૦૧૯માં ૬૦.૭૭, રાજકોટ બેઠક પર ૨૦૧૪માં ૬૩.૮૯ અને ૨૦૧૯માં ૬૩.૧૨ અને આણંદ બેઠક પર ૨૦૧૪માં ૬૪.૮૯ ટકા અને ૨૦૧૯માં ૬૬.૦૩ ટકા જેટલું સરેરાશ મતદાન થયું છે.

પાટીદાર આંદોલનની પોઝિટિવ કે નેગેટિવ અસર મતદાન પર પડી હોય તેવું લાગતું નથી. મતદાનનો આંકડો તો ઓલમોસ્ટ સરખો જ છે. પણ પાટીદાર મતદારોનો ઝુકાવ આ વખતે કોના તરફ વળ્યો છે તે તો ૨૩મી મેના રોજ પરિણામ આવતા વાસ્તવિકતા જોવા મળશે.

ગુજરાતમાં ફક્ત બનાસકાંઠામાં ગત લોકસભા ચૂંટણી કરતા મતદાન ૬ ટકા જેટલુ વધ્યું છે. પાટીદારોની સૌથી વધુ પ્રભુત્વવાળી બેઠકોમાં મહેસાણા, અમરેલી અને બનાસકાંઠાનો સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી પહેલા ભાજપે નારાજ પાટીદારોને મનાવવા કવાયત હાથ ધરી હતી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પાટીદાર બહુલ બેઠકો પર ભાજપને નુકસાન ન થાય તે માટે ભાજપે કમર કસી હતી, અને પાટીદાર આગેવાનો સાથે મિટિંગ કરી હતી. અમિત શાહે વિશ્ર્વ ઉમિયા ફાઉન્ડેશન, ઉમિયાધામ અને ખોડલધામના આગેવાનો સાથે મિટિંગ કરી હતી.

વર્ષ ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપે ૨૬માંથી અમરેલી, પોરબંદર, રાજકોટ, મહેસાણા, આણંદ એમ ૫ બેઠકો ઉપર પાટીદારોને ટિકિટ આપી હતી. તે પહેલા જૂના સીમાંકનોમાં જૂનાગઢ લોકસભા ક્ષેત્ર સાથે પણ ભાજપ મહદઅંશે આ પાંચ બેઠકો ઉપર પાટીદાર આગેવાનોને ઉમેદવાર તરીકે ઉતારતું રહ્યું છે. વર્ષ ૨૦૧૯માં દોઢ- બે દાયકામાં પહેલીવાર ભાજપે વધુ એક પાટીદારને અમદાવાદ પૂર્વ લોકસભા મતક્ષેત્રમાંથી ચૂંટણીના મેદાને ઉતાર્યા છે. તો બીજી તરફ કૉંગ્રેસે રાજકોટ, પોરબંદર, વડોદરા, અમદાવાદ પૂર્વ, અમરેલી, મહેસાણા, સુરત અને ભાવનગર બેઠકો પર પાટીદાર નેતાઓને ટિકિટ ફાળવેલી છે. જે જોતા ટિકિટ ફાળવણીમાં ભાજપ કરતા કૉંગ્રેસનો આંકડો વધુ દેખાય છે. આ ઉપરાંત ભાજપ માટે મુશ્કેલ મનાતી બનાસકાંઠા ૬૪.૭૧ પાટણ ૬૧.૨૩ મહેસાણા ૬૪.૯૧ સાંબરકાંઠા ૬૭.૦૩ સુરેન્દ્રનગર ૫૭.૭૯ જુનાગઢ ૬૦.૭ અને અમરેલી બેઠક પર ૫૫.૭૩ ટકા મતદાન થયું છે.

April 29, 2019
water_cut.jpg
1min11060

ઉનાળાના દિવસોમાં પીવાના પાણીની સ્થિતિ વિકટ બની રહી છે.તેને ધ્યાનમાં રાખીને જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વધુ એક દિવસનો પાણી કાપ લંબાવાયો છે. જેથી હવે દર ચાર દિવસે નગરજનોને પીવાનું પાણી મળશે. આ અંગેની મનપાની યાદીમાં જણાવાયું છે કે,આનંદપુર ડેમમાં હવે દસ દિવસ ચાલે તેટલું જ પાણી છે.નર્મદા યોજનાનું પાણી હજી મળી શકે તેવી સંભાવના નથી. શહેરમાં પ્રાઇવેટ બોર ડુકી ગયા છે. પીવાના પાણીની તીવ્ર તંગી ઉદ્ભવી છે. આવી પરિસ્થિતિમાં પાણી કાપ લંબાવવો જરૂરી બન્યો છે.

April 28, 2019
heatwave.jpg
1min6630

ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેવો ઘાટ સર્જાયો છે. શુક્રવારે 43 ડિગ્રીની આસપાસ રહેલો તાપમાનનો પારો શનિવારે સીધો જ 45થી 48 ડિગ્રી સુધી પહોંચી જતા સમગ્ર રાજ્ય અગનભઠ્ઠીમાં શેકાયું હતું. મોડાસામાં તાપમાનનો પારો 48 ડિગ્રી રહ્યો હતો, જ્યારે અમદાવાદમાં પણ 45 ડિગ્રીની ગરમી વરસતા શહેરના જાહેર માર્ગો પર કરફ્યૂ જેવો માહોલ સર્જાયો હતો.

રાજ્યમાં આગ ઓકતી ગરમી પડી રહી છે ત્યારે શનિવારે ગુજરાતમાં ગરમીએ રેકોર્ડ તોડી નાખ્યો હતો. ગરમીનો 17 વર્ષનો રેકોર્ડ તૂટ્યો હોવાનું હવામાન ખાતાએ જણાવ્યું હતું. ગુજરાતમાં મોડાસામાં સૌથી વધારે તાપમાન 48 ડિગ્રી નોંધાયું છે. ત્યારે અમદાવાદમાં 45, સુરેન્દ્રનગરમાં 46 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ગરમીના બીજા મળતાં આંકડા પ્રમાણે પાંચ શહેરોનું તાપમાન 42-43 ડિગ્રી વચ્ચે હોવાથી ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગામી 48 કલાક ગુજરાતમાં હીટવેવની આગાહી કરી છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, ભાવનગર, વેરાવળ, પોરબંદર, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, કચ્છ અને દીવનો સમાવેશ થાય છે.

વાવ 47 ડિગ્રી સાથે બીજા ક્રમે છે. જ્યારે સુરેન્દ્રનગરમાં તાપમાન 46 ડિગ્રીને પાર થઈ ગયું છે અને અમદાવાદ-ભૂજ-રાજકોટમાં 45 ડિગ્રી ગરમી નોંધાઈ છે. રાજ્યના બીજા 5 શહેરમાં તાપમાન 42-43 ડિગ્રી વચ્ચે હોવાથી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ગરમીનો પારો 43-44 ડિગ્રી સુધી પહોંચી જતાં પેટમાં દુખાવા તેમજ ડિહાઈડ્રેશનના કેસોમાં વધારો નોંધાયો છે. ગરમીના કારણે ઇમરજન્સી સેવા 108માં આવતા કોલની સંખ્યામાં 20 ટકા જેટલો વધારો થયો છે. અમદાવાદમાં આગામી ચાર દિવસ ગરમીનો પારો 44થી 45 ડિગ્રી રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

April 27, 2019
accident.jpg
1min12310
બે કાર વચ્ચેના અકસ્માતમાં નખત્રાણા પંથકના પટેલ પરિવારના ચાર સભ્ય, ગાંધીનગરના બે સગા ભાઇના મૃત્યુ
માણીયામિયાણા નજીકના હળવદ હાઇ-વે પરના રાપર ગામના પાટિયા પાસે બે કાર વચ્ચે સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં બે મહિલા છ વ્યકિતના મૃત્યુ નિપજ્યા હતાં. મૃતકમાં કચ્છના નખત્રાણાના નારણપર, ખેડબ્રહ્માના પટેલ પરિવારના ચાર સભ્ય અને ગાંધીનગરના બે ભાઇનો સમાવેશ થાય છે.
ગમખ્વાર અકસ્માતમાં’ હરીભાઇ દેવજીભાઇ પટેલ, નરશીભાઇ હંસરાજભાઇ પટેલ, નર્મદાબહેન નરશીભાઇ પટેલ, દેવકીબહેન નારણભાઇ રામાણી, ગાંધીનગરના સર્વિનભાઇ કિરીટભાઇ શાહ અને ચિરાગભાઇ કિરીટભાઇ શાહના કરૂણ મૃત્યુ નિપજ્યા હતાં.
આજે બપોરે માળિયામિંયાણા-હળવદ સ્ટેટ હાઇ-વે પરના રાપર ગામના પાટિયા પાસે પુરઝડપે જઇ રહેલી એક કાર રોડ ડિવાઇડર’ ઠેકીને સામેથી આવી રહેલી અન્ય કાર સાથે ધડાકાભેર અથડાઇ હતી. આ અકસ્માતના પગલે વાતાવરણ મરણચીસોથી ગાજી ઉઠયુ હતું. બન્ને કારનો બુકડો બોલી ગયો હતો’ અને એક મહિલા અને ચાર પુરૂષના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મૃત્યુ નિપજ્યા હતાં. જયારે બે વ્યકિતને ગંભીર ઇજા થઇ હતી. એ બન્નેને વધુ સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જયાં વધુ એક વ્યકિતનું મૃત્યુ નિપજ્યું હતું અને અકસ્માતનો મૃત્યુઆંક છ થયો હતો.
બનાવના પગલે ટ્રાફિક જામ થઇ ગયો હતો. ગોઝારા અકસ્માતની જાણ થતા મોરબીના એસપી ડૉ. કરણરાજ વાઘેલા સહિતનો પોલીસ કાફલો બનાવ સ્થળે પહોંચી ગયો હતો. પોલીસની તપાસમાં કચ્છના નખત્રાણા અને ખેડબ્રહ્માના પટેલ પરિવારના હરીભાઇ દેવજીભાઇ, નરશીભાઇ હંસરાજભાઇ, નર્મદાબહેન નરશીભાઇ, દેવકીબહેન રામાણી અને ગાંધીનગરના સર્વિન શાહ, ચિરાગ શાહના મૃત્યુ થયાનું અને વિમળાબહેન હરીભાઇ પટેલને ગંભીર ઇજા થયાનું ખુલ્યું હતું. અકસ્માતમાં એક દંપતીનું મૃત્યુ થયાનું અને એક દંપતી ખંડિત થયાનું જણાવાય છે.
April 27, 2019
heatwave.jpg
1min4930

સુરેન્દ્રનગરમાં 44.4 ડિગ્રી તાપમાન નોંધાઇ ચૂક્યું છે, 44.2, કંડલા 44.1 અને અમરેલીમાં 44 ડિગ્રી, રાજકોટ 43.6 ડિગ્રીએ ધખધખ્યું

રાજ્યભરમાં અંગ દઝાડતી કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે આજે રાજ્યમાં સૌથી ગરમ સુરેન્દ્રનગર શહેર રહ્યું છે. સુરેન્દ્રનગર આજે 44.4 ડિગ્રી તાપમાનમાં શેકાયું હતું.’ રાજ્યના અન્ય શહેરોના લોકો પણ ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા હતા.
અમદાવાદમાં 43.3 ડિગ્રી, ગાંધીનગરમાં 43.5 ડિગ્રી, રાજકોટમાં 43.6 ડિગ્રી, અમરેલીમાં 44 ડિગ્રી, જામનગરમાં 42.7 ડિગ્રી, વડોદરામાં 42.2 ડિગ્રી અને સુરતમાં 42.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ તાપમાન આગામી બે દિવસમાં વધારો થવાની હવામાન ખાતાએ આગાહી કરી છે.
શનિ-રવિવારે ગરમીનો પારો 46 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતાને લઇને’ હવામાન ખાતાએ રેડ એલર્ટ જાહેર કર્યુ છે. મહત્વનું છે કે, એપ્રિલ મહિનામાં આ અગાઉ 2002માં ગરમીનો પારો 45 ડિગ્રીએ આંબી ગયો હતો એટલે કે આ વખતે એપ્રિલની ગરમી 17 વર્ષનો રેકોર્ડ તોડી શકે છે.
હવામાન ખાતાના ડાયરેકટર ડો.જયંત સરકારે જણાવ્યું હતુ ંકે, તા.27 અને 28 એપ્રિલના રોજ’ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં હિટવેવની’ રહેશે. આ બે’ દિવસ ગુજરાતમાં અગન વર્ષા થવાની શક્યતાઓ છે. અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, વડોદરા, કચ્છ, રાજકોટ મહાનગરો સહિત સુરેન્દ્રનગર અને અમરેલીમાં ગરમ પવન ફૂંકાશે. લોકોને બપોરના સમયે કામ વગર ઘરમાંથી બહાર ન નીકળવાની સલાહ પણ તેમણે આપી છે. વધતી જતી ગરમીને લઇ 108 ઇમરજન્સી પણ સજ્જ કરી દેવામાં આવી છે.
સુરેન્દ્રનાગર સમગ્ર જિલ્લામાં શનિવારે સીઝનની મહત્તમ ગરમી નોંધાઇ હતી. શનિવારે મહત્તમ તાપમાન 44.5 ડિગ્રી રહ્યું હતું. આટલી ઉંચી ગરમીને કારણે સવારથી જ રસ્તાઓ પર સ્વયંભુ કરર્યું જેવી સ્થિતિ જોવા મળી રહી છે.
સોરઠમાં એકાએક ગરમીમાં આવેલાં ઉછાળામાં વિક્રમી 43 ડિગ્રી મહત્તમ’ તાપમાન શનિવારે પણ નોંધાયું હતું.
અરવલ્લી જિલ્લામાં આજે મહત્તમ તાપમાન 42 ડિગ્રી પહોંચી જતાં મોડાસા સહિતના શહેરોમાં કુદરતી કરફયુ જોવા મળ્યો હતો. જિલ્લામાં હીટસ્ટ્રોકના કેસમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.
જિલ્લામાં આજે મહત્તમ તાપમાન 41.7 ડિગ્રી પહોંચી જતાં આ સીઝનની વિક્રમી ગરમી નોંધાઇ હતી.
શહેરમાં 41 ડિગ્રી ગરમીએ તોબા પોકારાવી હતી ઉપરથી વીજ કાપ લાદવામાં આવ્યો હોય લોકો ત્રાહિમામ પોકારી ઉઠયાં હતાં.
કચ્છ કાળઝાળ ગરમીથી લાલચોળ બની ગયું છે. પારો વર્ષોનો વિક્રમ વટાવવા આગળ વધી રહ્યો હોય તેમ આજે 44.2 ડિગ્રી તાપમાને ભુજ જાણે ભડકે બળ્યું હતું. કચ્છના અન્ય શહેરો પણ કાળઝાળ ગરમીમાં શેકાયા હતાં.
April 27, 2019
narayan.jpg
1min12090

લાંબા સમયથી દુષ્કર્મ સહિતના કેસમાં જેલવાસ ભોગવી રહેલા આસારામના પુત્ર નારાયણ સાંઇ સામે પણ વર્ષ 2013માં નારાયણ સાંઈ સામે સુરતની સાધિકાએ નોંધાવેલી દુષ્કર્મની ફરિયાદના કેસની છ વર્ષ સુધી ટ્રાયલ ચાલ્યા બાદ સુરતની સ્થાનિક અદાલતે નારાયણ સાંઈ સહિત 10 આરોપીઓને દોષિત જાહેર કર્યા છે. તમામ આરોપીઓને સજાનું એલાન 30 એપ્રિલના રોજ કરવામાં આવશે.

નારાયણ સાંઈ વિરુદ્ધ જહાંગીરપુર પોલીસ સ્ટેશનમાં પોતાની સાધક પર દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાઈ હતી. નારાયણ સાંઈની સાધક મહિલાનો આરોપ હતો કે, નારાયણ સાંઈએ તેની સાથે વર્ષ 2002થી વર્ષ 2005 સુધી દુષ્કર્મ આચર્યુ હતું. આ ઘટના બાદ નારાયણ સાંઈ ભૂગર્ભમાં ઊતરી ગયો હતો. પોલીસે નારાયણ સાંઈની ધરપકડ કર્યા બાદ કેસની પ્રક્રિયા શરૂ હતી તે દરમિયાન રૂપિયા 13 કરોડની લાંચ આપવાના ગુના સહિત સાક્ષીઓ પર હુમલો કરાવવાના ગુના પણ નારાયણ સાંઈ વિરુદ્ધ નોંધાયા હતા. આ કેસની સુનાવણી પૂર્ણ થઈ ચુકી છે અને કોર્ટે ચુકાદો સુરક્ષિત રાખ્યો છે. દોષિત જાહેર થયા બાદ નારાયણ સાંઈને સુરતની લાજપોર જેલમાં ખસેડવામાં આવ્યો હતો. દોષિત જાહેર થયા બાદ કોર્ટ બહાર પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો હતો. નારાયણ સાંઈને ખૂબ જ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કોર્ટમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. બહાર નીકળતી વખતે નારાયણ સાંઈએ હાજર લોકોને બે હાથ જોડ્યા હતા. આ દરમિયાન તેના ચહેરા પર કંઈ ખોટું કર્યાંનો બિલકુલ રંજ દેખાયો ન હતો.

April 27, 2019
jalsankat.jpg
1min5750

ગુજરાતમાં નર્મદા યોજના આધારિત નર્મદા પાણી પુરવઠા યોજના તેમ જ ડેમ ઊંડા કરવાની કવાયતો બાદ પણ દર વર્ષે ઉનાળાની શરૂઆતમાં અપૂરતા પાણી પુરવઠાની સમસ્યા યથાવત્ રહી છે. અનેક ગામડાઓમાં અત્યારે પણ ટેન્કરથી લોકોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે એટલું જ નહીં ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છના મોટાભાગના વિસ્તારોમાં પીવાની પાણીનો કાપ લગભગ કાયમી બની
ગયો છે.

(સાંકેતિક ફોટો, ગુજરાતના જળાશયોની આવી તળિયા ઝાટક સ્થિતિ જોવા મળી રહી છે. આ સિમ્બોલિક ફોટો છે, ગુજરાતનો નથી)

જળાશયોની સ્થિતિ ચિંતાનું કારણ બની રહી છે. રાજ્યના 204 જળાશયોમાં એકંદરે 34.41 ટકા જળસ્તર છે. જો કે રાજ્યના બે જળાશયો જ એવો છે જેમાં જળસ્તર 70થી 90 ટકા વચ્ચે છે.

રાજ્યના 78 જળાશયો તળિયાઝાટક થઈ ગયા છે, સૌરાષ્ટ્રમાં સ્થિતિ ગંભીર એવી સ્થિતિમાં રાજ્યમાં ચોમાસું આવશે ત્યાં સુધી ગંભીર જળ સંકટનો સામનો કરવો પડી શકે તેવી સ્થિતિ વર્તાઈ રહી છે. સૌરાષ્ટ્રના 138 જળાશયોમાં હાલ માત્ર 11.32 ટકા જળસ્તર છે. જે ગયા વર્ષે આ સમયગાળામાં સૌરાષ્ટ્રભરના જળાશયોમાં 517 મિલિયન ક્યુબિક મીટર જળસ્તર હતું જે આ વર્ષે 287 મિલિયન ક્યુબિક મીટર છે. કચ્છમાં પણ સૌરાષ્ટ્ર જેવી જ સ્થિતિ છે. કચ્છના 20 જળાશયોમાં 13.73 ટકા જળસ્તર છે. ગયા વર્ષે આ સમયગાળામાં 51.97 મિલિયન ક્યુબિક મીટર હતું તે આ વર્ષે 45.63 મિલિયન ક્યુબિક મીટર છે. જેમાં ક્રમશ: ઘટાડો નોધાય છે. જ્યારે ઉત્તર ગુજરાતના 4 જિલ્લાના 15 જળાશયોમાં 319 મિલિયન ક્યુબિક મીટર જળસ્તર છે. જે ગયા વર્ષે 592.52 મિલિયન ક્યુબિક મીટર હતું. હાલ ઉત્તર ગુજરાતમાં માત્ર 16.60 ટકા જળસ્તર છે.

મધ્ય ગુજરાતના જળાશયોમાં 11132 મિલિયન ક્યુબિક મીટર જળસ્તર છે. જે ગયા વર્ષે આ જ સમયે 1213 મિલિયન ક્યુબિક મીટર હતું. રાજ્યમાં સારી સ્થિતિ કહી શકાય તેવી મધ્યમાં જોવા મળે છે. અહીં 17 જળાશયોમાં હજુ 48.22 ટકા જળસ્તર છે. પાણી મામલે દક્ષિણ ગુજરાતમાં પણ સ્થિતિ સારી નથી. 13 જળાશયોમાં 24.19 ટકા જળ છે.

April 26, 2019
GUJCET-2019-1280x720.jpg
1min5900

સમગ્ર ગુજરાતની એન્જિનિયરિંગ, ફાર્મસી, એગ્રિકલ્ચર વગેરેના પહેલા વર્ષમાં પ્રવેશ માટે ગુજરાત બોર્ડ દ્વારા લેવાતી ગુજરાત કોમન એન્ટ્રસ ટેસ્ટની પરીક્ષા આજે રાજ્યભરમાં પુષ્કળ ગરમી વચ્ચે 1.36 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. સવારે 10 વાગ્યાથી પરીક્ષા શરૂ થઇ છે.

ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી ડિપ્લોમા, ફાર્મસી અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટેના આશરે 1.36 લાખ જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા હતા જેમાંથી સાત હજાર જેટલા વિદ્યાર્થીઓએ હજુ સુધી હોલ ટિકિટ લીધી ન હોવાનું જાણવા મળ્યું હતું.

અમદાવાદમાં 45 સેન્ટર પર ગુજકેટ પરીક્ષાનું આયોજન કરાવામાં આવ્યુ છે. જ્યારે સીબીએસીઈ બોર્ડ પરીક્ષા અને ગુજરાત લોકસભા મતદાનના કારણે ગુજકેટ પરીક્ષાની ત્રીજી વાર તારીખ ફારફેર કરવામાં આવી હતી. રાજ્ય શિક્ષણ બોર્ડે પરીક્ષાના કાર્યક્રમની સાથે ગુજકેટની પરીક્ષાની તારીખ ગત તા.30મી માર્ચ જાહેર કરી હતી. ત્યારબાદ સીબીએસઇએ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરતા ગુજકેટની તારીખ અને પરીક્ષા પેપરની તારીખ એક જ હોવાથી બોર્ડે તારીખ બદલીને તા.4થી એપ્રિલ જાહેર કરી. ત્યારબાદ ફરી સીબીએસઈના સમયપત્રકમાં ફેરફાર થતા નવી તા. 23મી એપ્રિલ જાહેર થઇ. ત્યારે તા.23મી મેએ લોકસભા મતદાન હોવાથી ગુજકેટ પરીક્ષાની તારીખ ત્રીજી વાર બદલાઈ હતી અને જે હવે આજે શુક્રવારે તા.26મી એપ્રિલે ગુજકેટની પરીક્ષા લેવામાં આવી રહી છે.

રાજ્યના હવામાન ખાતાએ શહેરમાં 44 ડિગ્રી તાપમાન હોવાથી ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું. અને સોમવાર સુધી તાપમાન 45 ડિગ્રી પાર કરશે તેવી પણ હવામાન ખાતે આગાહી કરી હતી. આવતીકાલે શુક્રવારે શહેરમાં ગરમીનો પારો 45 ડિગ્રી રહેશે તેવી આગાહી કરવામાં પણ આવી છે.