


સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં છેલ્લાં કેટલાક દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે તો ક્યાંક ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઊડી રહી છે તો ક્યાં કાળઝાળ ગરમીથી લોકો તોબાહ પોકારી ઊઠયા છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. વધુમાં ઉત્તર પશ્ર્ચિમ ભાગમાં લો-પ્રેશર થવાના કારણે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, સૌરાષ્ટ્ર-કચ્છ અને રાજકોટમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પશ્ર્ચિમ ઇરાનમાં સર્જાયેલું અપરએર સાઈક્લોનિક સર્ક્યુલેશન આવતી કાલથી દક્ષિણ પાકિસ્તાન વિસ્તારોમાં પહોંચશે જેની અસરોથી તાપમાન સામાન્ય કે સામાન્યથી નીચું રહેશે.
ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ક્યાંક વરસાદી છાંટા પડવાની આગાહી પણ હવામાન ખાતાએ કરી હતી.
ગુજરાત બોર્ડનું ધો.12 સાયન્સનું છેલ્લા આઠ વર્ષના સૌથી નીચા અને નબળા પરીણામ બાદ સમગ્ર રાજ્યમાંથી ભારે ઉહાપોહ મચી ઉઠ્યો છે. વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ખાસ કરીને કેમેસ્ટ્રી વિષયનું પેપર અને તેના પરીણામ અંગે ભારે આક્રોશ છે. વાલીઓ અને વિદ્યાર્થીઓનો રોષ ઠંડો પાડવા માટે આખરે સરકારની સૂચના બાદ ગુજરાત બોર્ડે આજે જાહેરાત કરી છે કે ધો.12 સાયન્સમાં એક નહીં પરંતુ, બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ આગામી જુલાઇ 2019માં લેવામાં આવનારી પૂરક પરીક્ષા (સપ્લીમેન્ટરી એકઝામ) આપીને જો તેમાં સફળ થશે તો તેમની કારકિર્દીનું એક અમૂલ્ય વર્ષ બચાવી શકશે.
ધો.12 સાયન્સના ગઇ તા.9મી મે ના રોજ જાહેર થયેલા પરીણામમાં કુલ 34800 વિદ્યાર્થીઓને નાપાસ જાહેર કરવામાં આવ્યા છે. નાપાસ વિદ્યાર્થીઓ પૈકી બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા બહું મોટી થવા જાય છે. આમ, બે વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓ માટે સરકારે તેમનું એક વર્ષ બચી જાય તેવી તક આપી છે.
આજે તા.14મી મે 2019ના રોજ ગુજરાત બોર્ડ દ્વારા જે ગાઇડલાઇન્સ જાહેર કરવામાં આવી હતી એ આ મુજબ છે.


મેટ્રો ટ્રેન બાઈકથી પણ ઓછી સ્પીડે દોડી રહી છે. એલિવેટેડ કોરિડોરમાં મેટ્રોને ક્યાંય ટ્રાફિક કે અવરોધ નડતો નથી છતાં મેટ્રો ખૂબ જ ધીમી એટલે કે ૨૨થી ૨૫ કિલોમીટરની સ્પીડે દોડે છે. એટલે કે, મેટ્રો ટ્રેન વસ્ત્રાલ ગામથી એપરલ પાર્ક સુધી ૨૦ મિનિટમાં પહોંચે છે.

ગુજરાતમાં મેટ્રો ટેન પ્રોજેક્ટ ૨૦૧૪માં શરૂ કર્યો હતો અને માર્ચ ૨૦૧૯માં તેનું ઉદ્ઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વસ્ત્રાલ ગામથી એપેરલ પાર્ક સુધી કરાયું હતું. દેશમાં સૌથી પહેલા દિલ્હીમાં મેટ્રો શરૂ કરાઈ હતી ત્યારે ત્યાં પણ મેટ્રોની મહત્તમ ઓપરેટિંગ સ્પીડ ૮૦ કિલોમીટર અને એવરેજ સ્પીડ ૩૨ કિલોમીટર નક્કી કરાઈ હતી.
જ્યારે અમદાવાદ મેટ્રોની મહત્તમ ઓપરેટિંગ સ્પીડ ૮૦ કિલોમીટર પ્રતિ કલાકની જ્યારે સરેરાશ સ્પીડ ૩૪ કિલોમીટર નક્કી કરવામાં આવી હતી છતાં ફર્સ્ટ ફેઝમાં વસ્ત્રાલ ગામથી એપેરલ પાર્ક સુધી મેટ્રો હાલ ૨૨થી ૨૫ કિલોમીટરની સ્પીડે દોડી રહી છે. જોકે, ગત તા.૬ઠી માર્ચે મેટ્રો લોકો માટે ખુલ્લી મુકવામાં આવી ત્યારથી આજ સુધી કુલ ૧.૫૮ લાખ લોકોએ મુસાફરી કરી હતી. જ્યારે શરૂઆતમાં તા.૬ઠી માર્ચથી તા.૧૪મી માર્ચ સુધી ફ્રી મુસાફરી દરમિયાન ૭૫૯૧૭ લોકોએ મુસાફરી કરી હતી. જ્યારે શહેરમાં તહેવારોમાં અને શનિ-રવિમાં મેટ્રોમાં મુસાફરની સંખ્યા વધુ હોય છે.

ગુજરાત સરકાર વિકાસના મોટા મોટા દાવા કરવામાં આવે છે ત્યારે આઝાદીના ૭૦ વર્ષ બાદ પણ વિકાસના દાવા છોટાઉદેપુર જીલ્લાના તુરખેડા ગામમાં પોકળ પુરવાર થયા છે. ગામમાં પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ છે. છોટાઉદેપુરના તુરખેડા ગામમાં લોકોએ પાણી સહિતની જીવનજરૂરી વસ્તુઓ માટે ડુંગરને તોડીને રસ્તા બનાવ્યો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત સરકાર દ્વારા વિકાસના મોટા દાવા કરવામાં આવે છે અને છેવાડાના માનવી સુધી તમામ સુવિધાઓ પહોંચાડવામાં આવી છે. ગામમાં સરકારની એક પણ વિકાસ યોજનાઓ આજદીન સુધી પહોંચી નથી, પરંતુ સરકારના આ દાવા છોટાઉદેપુર જીલ્લાનું તુરખેડા ગામમાં પોકળ પુરવાર થયું છે. તુરખેડા ગામ ગુજરાત, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યની ત્રીભેટે ડુંગરની વચ્ચે બે હજાર કરતા વધુ લોકોની વસ્તી ધરાવતું ગામ છે. સરકાર દ્વારા કોઈ સુવિધા હજુ સુધી પહોંચાડવામાં આવી નથી. ૧૦ કિલોમીટરમાં ડુંગરાળ વિસ્તારની અંદર ફેલાયેલા ગામમાં ૭ જેટલા ફળિયા આવેલા છે, જેમાંથી બે ફળિયા ડુંગરની ઉપર વસેલા છે, જ્યાં તુરખેડા ગામ ડુંગરાની વચ્ચે છે. ગામમાં રસ્તો નથી. ચોમાસા દરમિયાન ગામવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ગામમાં કોઈ બીમાર પડે તો તેને ઝોળી બનાવીને ઊંચકીને ત્રણ કિલોમીટર દૂર ડુંગરો ચઢી ઉતરીને નજીકના ગામ લઈ જવું પડતું હતું. ત્યાં જઈને ફોન કરો ત્યારે ૧૦૮ ની સુવિધા મળતી હતી. જેને કારણે ગ્રામજનો ગામમાં પ્રવેશવા માટેનો માર્ગ નહીં હોવાથી ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાથી કંટાળીને ગ્રામજનોએ પોતાની જાતે ફંડફાળો અને શ્રમદાન કરીને ગામમાં પ્રવેશવા માટેનો ડુંગરને ચીરીને એક મહિનાથી રસ્તો બનાવવાનું ચાલુ કર્યો હતો.


જયેશ બ્રહ્મભટ્ટ
ધો.12 સાયન્સ બી ગ્રુપના સીબીએસઇ, આઇસીએસઇ તેમજ ગુજરાત બોર્ડના પરીણામો જાહેર થઇ ચૂક્યા છે, પણ મેડીકલ, ડેન્ટલ, હોમિયોપેથી અને આયુર્વેદિકમાં પ્રવેશ માટે ફરજિયાત નીટ પરીક્ષાના પરીણામને હજુ કમસે કમ 25 દિવસ જેટલો સમય બાકી છે.
નેશનલ ટેસ્ટીંગ ઓથોરિટીના સૂત્રોના જણાવ્યા અનુસાર તેમજ એન.ટી.એ.ના નોટિફિકેશનની માહિતી અનુસાર નીટ 2019નું પરીણામ તા.5મી જુન 2019ની આસપાસ જાહેર થશે.
મેડીકલ, ડેન્ટલ, હોમિયોપેથી અને આયુર્વેદિકમાં પ્રવેશ ઇચ્છુક વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે આ 25 દિવસનો સમયગાળો ભારે ઉચાટ વાળો રહેશે. જે વિદ્યાર્થીઓના નીટમાં 350થી નીચે સ્કોર આવે તેવું ગણિત છે એવા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે આ સમયગાળો ભારે કપરો બની રહેશે. એક તરફ એવી મૂંઝવણ હશે કે મેડીકલમાં પ્રવેશ મળશે કે નહીં અને બીજી તરફ પ્રાઇવેટ મેડીકલ કોલેજો તેમજ ફોરેનની મેડિકલ કોલેજોમાં પ્રવેશ અપાવતા ધંધાદારી એજન્ટોના રોજેરોજ ફોનકોલ્સ અને મેસેજિસ આવશે.
ગુજરાતમાં મેડિકલ, પેરામેડિકલ કોલેજોમાં પ્રવેશ માટે રચવામાં આવેલી કમિટી પણ નીટના પરીણામ સુધી નિષ્ક્રીય બેસી રહે છે. અત્યાર સુધી એવું જ અનુભવાયું છે કે પરીણામ આવ્યા પછીના દોઢથી બે મહિના પછી પ્રવેશ કમિટી રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરે છે. નીટના પરીણામને હજુ 25 દિવસની વાર છે ત્યાં સુધી મેડીકલ પ્રવેશ સમિતિ, એન્જિનિયરિંગની વ્યવસ્થાની જેમ રજિસ્ટ્રેશન પ્રોસેસ પૂરી કરી દે તો બાદમાં પ્રવેશ કાર્યવાહી ઝડપથી હાથ ધરી શકાશે. પરંતુ, હજુ સુધી પ્રવેશ સમિતિ વહેલી જાગે તેવા કોઇ અણસાર જણાતા નથી.
નીટના પરીણામ સુધી પ્રાઇવેટ મેડીકલ કોલેજોમાં પ્રવેશ અપાવતા એજન્ટો તેમજ ફોરેનમાં મેડીકલ એડમિશન અપાવતા એજન્ટો પોતાની માયાજાળ બિછાવીને વાલીઓને અને વિદ્યાર્થીઓને એવા ડરાવશે કે ઘણાં વાલીઓ અને વિદ્યાર્થીઓ તેમની વાતોમાં આવી જઇને રશીયા, ચાઇના, ફિલિપાઇન્સ, યુક્રેન વગેરે જેવી મેડીકલ કોલેજોમાં પ્રવેશ માટેની ટોકન એમાઉન્ટ પણ આપી દેશે.
ફોરેન મેડીકલ ભણવા જવામાં કશું ખોટું નથી પરંતુ, એજન્ટોને બિનજરૂરી દોઢથી અઢી લાખ રૂપિયા ચૂકવવા કરતા વાલીઓ અને વિદ્યાર્થીઓએ જાતે જ ફોરેનની કોલેજોની વેબસાઇટ પરથી કોલેજનો સંપર્ક કરીને એડમિશન મેળવવું જોઇએ. આ પ્રક્રિયાથી એજન્ટોને આપવાની થતી દોઢથી અઢીલાખ જેવી માતબર રકમ બચાવી શકાય છે.
મેડીકલ કટઓફ 2018-19

ડેન્ટલ કટઓફ 2018-19

આયુર્વેદિક કટઓફ 2018-19

હોમિયોપેથી કટઓફ 2018-19

ગુજરાતના વાતાવરણમાં અસામાન્ય ફેરફારો જોવા મળી રહ્યા છે. આ ઉનાળામાં એક વખત માવઠું બેસી ચૂક્યું છે અને હવે ફરીથી આગામી ત્રણેક દિવસમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી માવઠાની અસર વર્તાય તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં ગરમીમાં ઘટાડો નોંધાશે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પણ પડી શકે છે એવી માહિતી સ્થાનિક કલેક્ટરેટ સુધી પહોંચાડી દેવામાં આવી છે.
દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું છે. પરિણામે હવામાન વિભાગે 10, 11 અને 12 મેનાં રોજ થન્ડર સ્ટોર્મ, ભારે પવન અને વીજળીનાં કડાકાની આગાહી છે. આ દિવસો દરમિયાન પવનની ગતિ પણ 30થી 40 કલાક પ્રતિ કિલોમીટરની રહી શકે છે. પરિણામે હળવી ઠંડક અનુભવાશે.
બનાસકાંઠા, રાજકોટ અને કચ્છમાં વાતાવરણમાં પલટો થવાની આગાહી છે. 11મી તારીખે બનાસકાંઠા, પાટણ, રાજકોટ અને અમરેલી માટે આગાહી આપવામાં આવી છે. 12મી મેના રોજ રાજ્યમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, અમરેલી, સુરેન્દ્રનગર માટે વોર્નિંગ આપવામાં આવી છે.