અગાઉ ગુજરાત હાઇકોર્ટે ગુજરાતના માજી ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યા કેસમાં જેમને નિર્દોષ જાહેર કર્યા હતા એ તમામ આરોપીઓને આજે દેશની સર્વોચ્ચ અદાલતે દોષિત જાહેર કર્યા છે.

અગાઉ ગુજરાત હાઇકોર્ટે ગુજરાતના માજી ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યા કેસમાં જેમને નિર્દોષ જાહેર કર્યા હતા એ તમામ આરોપીઓને આજે દેશની સર્વોચ્ચ અદાલતે દોષિત જાહેર કર્યા છે.

રાજ્યસભા ગુજરાતની બે બેઠકો માટે આજે શુક્રવારે સવારે 10ના ટકોરે પેટા ચૂંટણી અંતર્ગત મતદાન શરૂ થયું હતું. મતદાન સાંજે 4 વાગ્યા સુધી હાથ ધરવામાં આવશે.

કેન્દ્રીય ચૂંટણી પંચે અલગ અલગ મતદાનથી પેટા ચૂંટણીના અગાઉના નિર્ણય મુજબ કાર્યક્રમ જાહેર કર્યો હોવાથી ભાજપના જ બન્ને ઉમેદવારો વિજયી બનશે એ નિશ્ચિત છે.
ભાજપે કેન્દ્રીય વિદેશમંત્રી એસ.જયશંકર તેમજ એક બેઠક પર મહેસાણાના ઓબીસી આગેવાન જુગલ ઠાકોરને ઉમેદવાર બનાવ્યા છે.
પાંચ વાગ્યા બાદ મતગણતરી થશે અને તુરત જ પરિણામ જાહેર કરી દેવાશે.
ગુજરાતની આ બન્ને બેઠકો પર અગાઉ હાલના કેન્દ્રીય ગૃહ મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ તેમજ કેન્દ્રીય કાપડમંત્રી સ્મૃતિ ઇરાની રાજ્યસભાના સભ્ય બન્યા હતા, બન્નેના લોકસભામાં વિજય પછી ગુજરાતની રાજ્યસભાની આ બેઠકો ખાલી પડી હતી.
ગુજરાત સરકાર દ્વારા અષાઢી બીજના પવિત્ર દિવસથી ગુજરાતમાં સિંચાઇની જરૂરિયાતવાળા વિસ્તારો માટે નર્મદા ડેમમાંથી પાણી પહોંચાડવાની કરાયેલી જાહેરાતના પગલે આજે તા.4 થી જુલાઇ, 2019ને ગુરુવારના રોજ સવારે 8 કલાકે નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે ભુમલીયા નજીક ડેમની મુખ્ય નહેરમાંથી 5307 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.

નર્મદા ડેમની મુખ્ય નહેર સાઇટ ખાતે કેવડીયા સબ-ડિવિઝનનાં મદદનીશ ઇજનેર શ્રી વિકાસભાઇ ખોડાએ આ અંગેની વિગતો આપતાં જણાવ્યું હતું કે, આજે નર્મદાની મુખ્ય નહેરમાંથી સિંચાઇ માટે છોડાયેલું પાણી સૌરાષ્ટ્રના ધ્રાગંધ્રા, હળવદ, મોરબી, વઢવાણ ઉપરાંત વિરમગામ, પાટડી, માંડલ, સમી, હારીજ, રાધનપુર, સાંતલપુર, ભાભર, વાવ-થરાદ, રાપર અને ભચાઉના વિસ્તારોમાં પૂરું પડાશે. બુધવાર સુધી સુધી માત્ર પીવાના પાણી માટે 2800 ક્યુસેક પાણીનો જથ્થો છોડવામાં આવતો હતો. નર્મદા ડેમના ઉપરવાસ-કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદને લીધે આજે તા. 4થી જુલાઇના રોજ સવારે 8 કલાકે નર્મદા ડેમમાં 16 હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઇ છે. ડેમમાં પાણીની ઉક્ત આવકને લીધે બુધવાર કરતાં આજે ડેમની સપાટીમાં 17 સે.મી. વધારો નોંધાયો છે.
સર્વોચ્ચ અદાલતે ગુરુવારે આપેલા ચુકાદામાં જણાવ્યું હતું કે પબ્લિક સર્વિસ કમિશનની પસંદગી પ્રક્રિયામાં ઉંમર (વયમર્યાદા)ને લગતી બાંધછોડનો લાભ મેળવનારો અનામત વર્ગનો ઉમેદવાર બાદમાં સામાન્ય વર્ગની જગ્યા (હોદ્દા)માં પોતાના સમાવેશની માગણી કરી ન શકે.
ન્યાયાધીશ એસ. અબ્દુલ નાઝીર અને ન્યાયાધીશ ઇંદિરા બેનરજીની બનેલી બૅન્ચે આ સંબંધમાં ગુજરાત વડી અદાલતે આપેલા ચુકાદાને બહાલી આપી હતી.
ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની પસંદગી પ્રક્રિયાને યોગ્ય ઠેરવતા ગુજરાતની વડી અદાલતના હુકમને નીરવકુમાર દિલીપભાઇ મકવાણા નામના એક ઉમેદવારે સર્વોચ્ચ અદાલતમાં પડકાર્યો હતો.
સર્વોચ્ચ અદાલતની બૅન્ચે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે પણ સ્પષ્ટતા કરી હતી કે લેખિત પરીક્ષા અને હોદ્દા માટેની પસંદગીના અન્ય કિસ્સામાં વયમર્યાદા, અનુભવ, (શૈક્ષણિક) લાયકાત જેવી બાબતમાં રાહત કે છૂટછાટનો લાભ મેળવનારા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તેમ જ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના સભ્ય તરીકે અરજી કરનારા ઉમેદવારો બાદમાં સામાન્ય વર્ગ માટેના હોદ્દા માટે દાવો કરી ન શકે.
બૅન્ચે ગુજરાત સરકારના 2000ની 21મી જાન્યુઆરી અને 2004ની 23મી જુલાઇના ગુજરાત સરકારના પરિપત્રોનો ઉલ્લેખ કર્યો હતો કે જેમાં જણાવાયું હતું કે અમે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત જાતિને અનામતનો લાભ આપવા યોગ્ય નીતિ ઘડી છે.

શિક્ષણના વિકાસ પાછળ ૩૦,૦૪૫ કરોડપાણી પુરવઠો પાછળ રૂ. ૪૩૦૦ કરોડ વપરાશે

ગુજરાત વિધાનસભા સત્રના પહેલા દિવસે નાણાં પ્રધાન નીતિન પટેલે રાજ્ય સરકારનું ૨,૦૪,૮૧૫ કરોડનું ૨૦૧૯-૨૦ માટે પૂર્ણ કદનું બજેટ રજૂ કર્યુ હતું. રાજ્ય સરકારે ખેડૂતો માટે લોન, સિંચાઈથી લઈને ખેતર માટે નવા વીજ જોડાણને લઈ નવી જોગવાઈઓ કરી છે.
આ ઉપરાંત યુવાઓને રોજગારીની નવી તકો ઊભા કરવાની માટેની જોગવાઈ બજેટમાં રાખી છે. રાજ્યની માળખાકિય અને સુખાકારીની સગવડો વધે તે માટે પણ સરકારે પોતાના બજેટમાં નવી યોજનાઓનો સમાવેશ કર્યો છે. જોકે સમાધાન યોજના હેઠળ બાકી વેરા અને દંડમાં રાહત આપવાની પણ દરખાસ્ત કરવામાં આવી છે જ્યારે નવા વર્ષથી હવે સોગંદનામા માટે ખેડૂતો અને લોકો દ્વારા કરવામાં આવતા નોટરાઇઝ સ્ટેમ્પ માટેની ડ્યુટીના દરમાં વધારો કરવામાં આવ્યો છે.
રૂ. ૩૦થી રૂ. ૨૦૦ સુધીનો વધારો થશે. આમ સરકારે એકદંરે રૂ. ૨૮૭ કરોડ જેટલો સીધો જ કરવેરા વધારો લોકો ઉપર ઝીંક્યો છે. નાણાં પ્રધાને ગુજરાત વિધાનસભામાં રજૂ કરેલા બેજટમાં બેઝિક જરૂરિયાતો માટે ૬૫ ટકા જેટલી ફાળવણી કરવામાં આવી છે. કૃષિ, સિંચાઈ અને ગ્રામ વિકાસ માટે કુલ બજેટના ૨૦.૬૩ ટકા, જ્યારે પાણી, પુરવઠો, સ્વચ્છતા, આવાસન અને શહેરી વિકાસ માટે ૧૫.૭૬ ટકા તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે ૮.૪૩ ટકા તથા શિક્ષણ, રમત-ગમત, કલા અને સંસ્કૃતિ માટે ૨૦.૭૯ ટકા મળીને લગભગ ૬૫ ટકા જેટલી ફાળવણી કરી છે.
આ ઉપરાંત આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે ૧૦,૮૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. આયુષ્માન ભારત જન આરોગ્ય યોજનાના ૪.૯૦ લાખ નાગરિકોને ૮૧૮ કરોડ ચૂકવવામાં આવ્યા છે. આ યોજના માટે આ વર્ષે ૪૫૦ કરોડની જોગવાઈ કરી છે.
રાજ્યના હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધીમાં દ.ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. અરબ સાગરમાં સક્રિય થયેલી મોન્સુન સિસ્ટમના પગલે વરસાદી માહોલ રચાયા બાદ આગામી તા. 3જી જુલાઈથી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ રહી છે, જેના કારણે આગામી 24 કલાકમાં ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદ પડશે.
આ સિસ્ટમ બે દિવસમાં નબળી પડી જશે જેથી ત્યાર બાદ એટલે કે, ત્રીજી જુલાઈ સુધી રાજ્યમાં સામાન્યથી મધ્ય વરસાદ પડશે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરાઈ હતી જેમાં ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને દમણનો સમાવેશ થાય છે.
આ સિવાય ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ સહિતના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ થશે. જ્યારે આગામી તા.3જી અને તા. 4થી જુલાઈએ સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ શરૂ થવાની શક્યતાઓ વ્યક્ત કરી હતી, જ્યારે અન્ય ભાગોમાં છૂટોછવાયો વરસાદ થશે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, દાહોદ, પંચમહાલ, અરવલ્લી વગેરે વિસ્તારમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી હતી.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો હતો જ્યારે રાજ્યના 23 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે. તેમાં વલસાડના વાપીમાં સૌથી વધુ 14 ઈંચ વરસાદ પડ્યો હતો.

દક્ષિણ ગુજરાતના છ તાલુકામાં 500 મિ.મી કરતાં વધુ વરસાદ નોંધાતા સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે પાણીનું સ્તર 119.85 મીટરે પહોંચી ગયું હતું જેને પગલે ખેડૂતોમાં આનંદ ફેલાયો હતો. ગુજરાતમાં હાલમાં દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદ ચાલુ રહેતા ઉપરવાસમાં વરસાદના કારણે 13278 ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી. જેની સામે મુખ્ય કેનાલમાં 2863 પાણી છોડવામાં આવી રહ્યું છે.
ગોડબોલે વિયરમાં 510 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમમાં પાણીનું લાઈવ 1196.58 મિલીયન ક્યુબીક મીટર થયું છે. જોકે, નર્મદા ડેમની કુલ ક્ષમતા કરતાંની સામે હાલ 51.76 ટકા ભરેલો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 23 જિલ્લામાં વરસાદ પડ્યો હતો.
વલસાડ જિલ્લામાં સિઝનનો 9.20 વરસાદ પડી ગયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન વલસાડ જિલ્લામાં સરેરાશ 10.28 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. સારા વરસાદથી દક્ષિણ ગુજરાતના ખેડૂતો અને સામાન્ય લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો. આ ઉપરાંત ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં પણ પાણીની નવી આવક નોંધાઈ હતી અને ડેમની જળ સપાટીમાં વધારો નોંધાયો હતો.
રાજ્યમાં આગામી બે વર્ષમાં 300થી વધુ સીએનજી સ્ટેશન ‘સીએનજી સહભાગી યોજના’ હેઠળ રાજ્ય સરકાર હસ્તકની ગુજરાત ગેસ લિમિટેડ અને સાબરમતી ગેસ લિમિટેડ દ્વારા સ્થાપવાનું આયોજન છે. રાજ્યમાં છેલ્લાં 23 વર્ષમાં 542 સીએનજી સ્ટેશન ઊભાં કરાયાં છે, તેની સામે આગામી બે વર્ષમાં જ વધુ નવાં 300 CNG સ્ટેશન સ્થપાશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. રાજ્યના CNG વાહન ધારકો-ચાલકોને સરળતાથી સીએનજી ગેસ ઉપલબ્ધ થાય અને લાંબી લાઇનોમાં ઊભા રહેવું ન પડે તે માટે ગુજરાતમાં મોટી સંખ્યામાં નવા સીએનજી પંપ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ બેઠકમાં એવું પણ નક્કી કરવામાં આવ્યું કે રાજ્યમાં હાલ જ્યાં પેટ્રોલ પંપ કાર્યરત હોય તેવા પેટ્રોલ પંપ ધારકો પણ સરળતાએ સીએનજી પંપ શરૂ કરી શકશે. આ માટે તેમણે સરકાર પાસેથી કોઈ વધારાની પરવાનગી નહીં લેવી પડે.
‘સીએનજી સહભાગી યોજના’ અન્વયે શહેરી-નગરપાલિકા વિસ્તાર તથા હાઈવે પર સહભાગીદારી મોડલ પદ્ધતિ અંતર્ગત સીએનજી ફ્રેન્ચાઇઝી (સ્વસંચાલિત ડીલર) મોડલ અને પીએસયુ – ઓએમસી ડીલર એમ બે પ્રકારના સીએનજી સ્ટેશનોનો સમાવેશ થાય છે. પીએસયુ-ઓએમસી ડીલર અંતર્ગત ઓનલાઇન સીએનજી સ્ટેશન (પાઇપલાઇન દ્વારા) અથવા ડોટર બુસ્ટર સીએનજી સ્ટેશન (પાઇપલાઇન વિના)નો સમાવેશ થાય છે.
નવા સીએનજી સ્ટેશનનો પ્રારંભ કરવા માટે મુખ્ય સાધનો કંપની દ્વારા પૂરા પાડવામાં આવશે તેમજ અન્ય કાર્ય માટે સહયોગ પણ પૂરો પાડવામાં આવશે. એનઓસી અને સિવિલ કામ અરજીકર્તાએ કરવાનું રહેશે.
અરજીકર્તા જે સ્થળે સીએનજી સ્ટેશન સ્થાપવા ઇચ્છતા હોય તે જગ્યાની માલિકી અરજીકર્તાની હોવી આવશ્યક છે, તેમ પણ બેઠકમાં નિર્ધારિત કરવામાં આવ્યું હતું. રાજ્યમાં પાછલાં 23 વર્ષમાં 542 સીએનજી સ્ટેશન ઊભાં કરાયાં છે, તેની સામે આગામી બે વર્ષમાં જ નવા 300 સીએનજી સ્ટેશન ઊભાં કરીને ગુજરાત નેચરલ ગેસ – સુરક્ષિત ઈંધણના ઉપયોગમાં અગ્રેસર રહેશે અને સીએનજી ક્ષેત્રે ગુજરાત દેશને નવી દિશા આપશે.
ગુજરાતમાં વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યભરમાં ક્યાંક ધીમીધારે તો કયાંક મુશળધાર વરસાદ પડી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના તમામ તાલુકાઓમાં વરસાદ મનમુકીને વરસી રહ્યો છે. ભરૂચના અંકલેશ્વર તાલુકામાં 7 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. રાજ્યના 24 જિલ્લાના 97 તાલુકાોમાં વરસાદ યથાવત્ છે. જ્યારે 29 જેટલા તાલુકાઓમાં 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં સ્ટેટ ઈમરજન્સી સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ ગુજરાતભરમાં વરસાદની મહેર જોવા મળી છે.
દક્ષિણ ગુજરાતમાં આ વર્ષે વરસાદ ધમાકેદાર વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં સૌથી વધુ અંકલેશ્વરમાં 172 મિ.મી, ભરૂચમાં 118 મિ.મી વરસાદ વરસ્યો હતો જ્યારે સુરતના કામરેજ અને માંગરોળમાં અનુક્રમે 110 મિ.મી અને 105 મિ.મી વરસાદ પડ્યો હતો. સુરતના પલસાણામાં 66 મિ.મી., ભરૂચના વાલીયામાં 64 મિ.મી., નવસારીના ગણદેવીમાં 63 મિ.મી., છોટાઉદેપુરના ક્વાંટમાં 59 મિ.મી. વરસાદ વરસ્યો છે.