સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા અને પૂર્વ સાંસદ શ્રી વિઠ્ઠલ રાદડીયાનું આજરોજ તા.29મી જુલાઇ 2019ના રોજ નિધન થયું હોવાની માહિતી તેમના પુત્ર અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી જયેશ રાદડીયાએ આપી હતી.
જયેશ રાદડીયાએ તેમના ફેસબુક વોલ પર આ મુજબનો સંદેશો લખ્યો છે.
મારા પિતાશ્રી વિઠ્ઠલભાઈ રાદડીયાનુ આજરોજ દુ:ખદ અવસાન થયેલ છે,
ઠાકોરજી એમના આત્માને શાંતિ અર્પે એવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના,
અંતિમ દર્શન : તા.૩૦/૭/૧૯ મંગળવાર સવારના ૭ થી બપોરના ૧૨ કલાકે કન્યા છાત્રાલય-જામકંડોરણા,
ઢંગધડા વગરનું હાયર એજ્યુકેશન આપવા માટે બદનામ સુરતની ભગવાન મહાવીર કોલેજો કે જેની કાર્યપ્રણાલીને વાલીઓ વિદ્યાર્થીઓ પણ ઓળખી ચૂક્યા છે એ સુરતની ભગવાન મહાવીર કોલેજો ચલાવતી સંસ્થાને ગુજરાત સરકાર લાગવગશાહીના જોરે પ્રાઇવેટ યુનિવર્સિટીનો દરજ્જો આપી દીધો છે. તાજેતરમાં ગુજરાત વિધાનસભામાં એક સાથે 9 પ્રાઇવેટ યુનિવર્સિટીઓ બનાવવાની દરખાસ્ત મંજૂર કરી દેવામાં આવી છે. જેમાં સુરતના ભગવાન મહાવીર ગ્રુપને પણ પ્રાઇવેટ યુનિવર્સિટી માટેની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે.
સુરતમાં ભગવાન
મહાવીર ગ્રુપની કોલેજો એટલા માટ બદનામ છે કેમકે અભ્યાસ માટે જરૂરી
ઇન્ફ્રાસ્ટ્રક્ચર, લેબોરેટરી કે અન્ય સુવિધાઓ તો ઠીક પણ પૂરતી સંખ્યામાં પ્રોફેસરો
પણ નહીં રાખતી ભગવાન મહાવીર કોલેજના સંચાલકો સામે અધ્યાપકોનું શોષણ કરવાની પણ
સંગીન ફરીયાદો થઇ ચૂકી છે. આ ભગવાન મહાવીર ગ્રુપના ધંધાદારી સંચાલકો હવે
યુનિવર્સિટીના નામે રીતસર શિક્ષણનો વેપલો કરવાનું લાઇસન્સ લઇ બેઠા છે.
ત્રણ ત્રણ ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજોનું લાઇસન્સ લઇને રોકડી કરી લેવાના અનિલ જૈન એન્ડ કંપનીના મનસુબા પાર પડ્યા નથી. આ વખતે ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશાર્થીઓએ આ સુરતના ભગવાન મહાવીર ગ્રુપની ત્રણેય કોલેજોને જાકારો આપ્યો છે. માંડ દસેક ટકા બેઠકો ભરાવા પામી છે. આમ જ્યાં પ્રવેશ લેવા માટે કોઇ તૈયાર નથી અને ના છૂટકે પ્રવેશ લેતા હોય છે એવી સંસ્થાને હવે યુનિવર્સિટી તરીકેનું નામ વટાવી ખાવાનું લાઇસન્સ મળ્યું છે.
જે રીતે સરકાર શિક્ષણ ખાસ કરીને હાયર એજ્યુકેશનમાં પ્રાઇવેટાઇઝેશન કરી રહી છે એ જોતા એવું જણાય આવે છે કે ક્વોલિટી એજ્યુકેશન કરતા ક્વોન્ટીટી એજ્યુકેશનની નીતિનું અમલીકરણ થઇ રહ્યું છે. સુરતમાં ભગવાન મહાવીર એજ્યુકેશન ફાઉન્ડેશન કે જેની એન્જિનિયરિંગ કોલેજોમાં સાવ હલકી કક્ષાના શિક્ષણને લીધે 2019માં 85 ટકા બેઠકો ખાલી પડી રહી છે, આ કોલેજમાં કોઇ પ્રવેશ માટે લેવાલ નથી, એક સમયે મેનેજમેન્ટ ક્વોટામાં લાખો રૂપિયા ઉસેટીને જૈન બંધુઓએ શિક્ષણની હાટડી માંડી દીધી હતી ત્યાં એન્જિનિયરિંગ હોય કે મેનેજમેન્ટ કે પછી અન્ય અભ્યાસક્રમો કોઇ વિદ્યાર્થી પ્રવેશ લેવા તૈયાર નથી. એવા સુરતના ભગવાન મહાવીર ગ્રુપને પ્રાઇવેટ યુનિવર્સિટીનો દરજ્જો આપવાની દરખાસ્ત પર ગુજરાત સરકારે તો મંજૂરીની મહોર મારી દીધી છે.
ગુજરાત વિધાનસભાના છેલ્લા દિવસનું સત્ર ૧૭ કલાક અને ૪૦ મિનિટ ચાલતાં સૌથી લાંબા સમય માટે ચાલવાનો રેકોર્ડ બનાવ્યો હતો. આ સત્રના છેલ્લા દિવસે કુલ ૯ બિલો પર ચર્ચાવિચારણા કરવામાં આવી હતી.
વિધાનસભાના છેલ્લા દિવસે ખાનગી યુનિવર્સિટી સુધારા બિલ ૨૦૧૯ ગૃહમાં પસાર થયા હતા. આ સુધારા સાથે વહીવટી પ્રક્રિયા સાથે ભાઈકાકા યુનિવર્સિટી, સિલ્વર ઓક યુનિવર્સિટી, ભગવાન મહાવીર યુનિવર્સિટી, એલ.જે.કે. યુનિવર્સિટી, શ્રેયાર્થ યુનિવર્સિટી, જે.જી યુનિવર્સિટી, કેલોરેક્સ ટીચર્સ યુનિવર્સિટી, આઈટીએમ બરોડા યુનિવર્સિટી, ચારૂતર વિદ્યામંડળ યુનિવર્સિટી મળીને કુલ ૯ નવી ખાનગી યુનિવર્સિટીઓ ગુજરાતમાં કાર્યરત થવાની મહત્ત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી. સરકારનો હેતુ રાજ્યમાં ઉચ્ચ શિક્ષણને પ્રોત્સાહન મળે તેવા હેતુ સાથે રાજ્યનાં જરૂરિયાતવાળા વિસ્તારોમાં ખાનગી યુનિવર્સિટીઓની સ્થાપના થાય અને ઉચ્ચ શિક્ષણ મળે તેવો છે.
9 નવી યુનિવર્સિટી માટેની દરખાસ્તોમાં સુરતમાં ઢંગધડા વગરનું હાયર એજ્યુકેશન આપવા માટે બદનામ બી.એમ.ઇ.એફ. (ભગવાન મહાવીર એજ્યુકેશ ફાઉન્ડેશન)ની પણ દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે.
ગુજરાતના વિવિધ વિભાગોમાં બેસતા સરકારી બાબુઓએ વર્ષ ૨૦૧૭-૧૮ના વર્ષમાં ૧૪ કરોડ રૂપિયાની ઉચાપતો કરી હોવાનું કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલના અહેવાલમાં બહાર આવ્યું હતું. સરકારે આ ઉચાપત બદલ કોઈ કડક પગલાં નહીં લીધાં હોવાની ટિપ્પણી પણ કેગ દ્વારા કરાઈ છે.
સૌથી વધુ ઉચાપત શિક્ષણ વિભાગમાં ૩.૮૫ કરોડ
વિધાનસભા સત્રના છેલ્લા દિવસે રજૂ થયેલા અહેવાલમાં કેગ દ્વારા જણાવાયું હતું કે, સરકારી બાબુઓએ કરેલી ઉચાપતના ૯૯ કેસ સામે આવ્યા હતા. જેમાં કુલ ૧૨.૮૧ કરોડની ઉચાપતો પકડાઈ હતી. સૌથી વધુ ઉચાપત શિક્ષણ વિભાગમાં ૩.૮૫ કરોડની કરાઈ હતી તેવું જણાવ્યું હતું. જ્યારે એકમાત્ર શ્રમ અને રોજગાર વિભાગ સિવાયના તમામ સરકારી વિભાગોના બાબુઓએ ઉચાપત કરી હોવાનું જણાયું હતું. તો ૭૩ લાખ રૂપિયાનો સરકારી માલસામાન ચોરી અથવા સગેવગે થઇ ગયો હોવાનું પણ નોંધાયું હતું. રાજ્યના જાહેર ક્ષેત્રના ઉપક્રમને કુલ રૂ. ૨૨,૪૩૧ કરોડનું નુકસાન થયું હતું.
જ્યારે બજેટ ૨૦૧૭-૧૮ દરમિયાન વિવિધ વિભાગોએ કુલ બજેટ સામે ૨૧,૯૦૮ કરોડ રૂપિયા ઓછાં ખર્ચ્યાં. શિક્ષણ વિભાગે તો બજેટના વધેલાં રૂપિયા ૩૪૫ કરોડ નાણાં વિભાગમાં પાછાં જમા પણ ન કરાવ્યાં.
પાણી ચોરીને અપરાધની શ્રેણીમાં રાખવા
સાથે જ ચોરી કરતા પકડાવા પર બે વર્ષની જેલની સજાની જોગવાઈ કરતા ખરડાને શુક્રવારે
તા.26મી જુલાઇ 2019ના રોજ ગુજરાત વિધાનસભામાં પસાર કરવામાં આવ્યો છે.
ગુજરાત ઈરિગેશન અને ડ્રેનેજ સંશોધન બિલ 2019 અને ગુજરાત ડોમેસ્ટિક વોટર સપ્લાય(પ્રોટેક્શન) બિલ 2019ને બહુમત સાથે વિધાનસભામાં પસાર કરવામાં આવ્યો. જ્યારે બિલના
વિરોધમાં કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભામાંથી વોકઆઉટ કર્યું હતું.
આ ખરડા પસાર થતા હવે જો કોઈ વ્યક્તિ પાણી
ચોરી કરતો પકડાશે અને ગુનો સાબિત થશે તો તેને જેલ અને 2 લાખ રુપિયા સુધીનો દંડ બંને થઈ શકે છે. આ જ આધારે બેંગલુરુ વોટર
સપ્લાય અને સીવેજ સહિતના કેટલાક અન્ય કાયદા(સંશોધન) 2009 છે. જેના અતંર્ગત પાણી ચોરી કરવા પર વધુમાં વધુ 3 વર્ષની જેલની સજાની જોગવાઈ છે.
રાજ્ય વિદ્યુત મંત્રી સૌરભ પટેલ, જેમણે ઈરિગેશન અને ડ્રેનેજ સંશોધન બિલ સદનમાં રજૂ કર્યું તેમણે
કહ્યું કે, ‘આ પગલા પાછળનો મુખ્ય હેતું મોટી સંખ્યામાં થતી પાણી ચોરીને
અટકાવવાનો છે.
ગુજરાત સરકારના નાણાકિય વહિવટની કમ્પ્રોટર એન્ડ ઓડિટર જનરલ અર્થાત કેગના અહેવાલમાં આકરી ટીકા કરવામાં આવી છે. સરકાર વિવિધ વિભાગો પાસેની બચતની રકમને આવક દર્શાવી રહી છે અને વિકાસ યોજનાઓ પાછળ કરોડોનું દેવું કરી રહી હોવાના મુદ્દે કેગના અહેવાલમાં ગંભીર નોંધ લેવામાં આવી છે.કેગે સરકારના 73 બોર્ડ અને નિગમોમાં થયેલી બારેખમ ખોટ અને સામાન્ય નફા અંગેનો પણ ઉલ્લેખ કર્યો હતો. સરકારના વિવિધ વિભાગોના વાર્ષિક બજેટમાં કરાયેલી જોગવાઇ મુજબની રકમ’ ન ખર્યાય તો તેને વર્ષના અંતે પરત કરવાની જોગવાઇ છે.’ છતાં રાજ્યસરકારના સંખ્યાબંધ વિભાગોએ આવી વણવપરાયેલી બચતની રકમ સરકારમાં જમા કરાવવાને બદલે પોતાના વિભાગની મહેસૂલી આવક દર્શાવવાની ભૂલ કરી છે.’ કેગ દ્વારા આ બાબતની ગંભીર નોંધ લઇ સરકારની ભારેભાર ટીકા કરતી નોંધ કરી છે. ‘2014-15થી 2016-17 મહેસૂલી ખર્ચની રૂા.160.81 કરોડની વણવપરાયેલી સિલકો શરૂઆતમાં જી.એસ.એફ.એસ.માં મુકવામાં આવી હતી અને ત્યારબાદ સરકારના હિસાબમાં મહેસૂલી આવક તરીકે જમા કરવામાં આવી હતી.’ 12 માં નાણાંપંચ દ્વારા મહેસૂલની આવકની સામે વ્યાજની ચુકવણીનો ગુણોત્તર 15 ટકા સુધી નીચો હોવો જોઇએ એવી તાકીદ કરાઇ હોવા છતાં ગુજરાતમાં આ ગ્રોથ જળવાતો નથી. કેગના કહેવા પ્રમાણે શિસ્તબદ્ધ નાણાંકીય વ્યવસ્થાપનમાં સર્વશ્રેષ્ઠ હોવાનો દાવો કરતી રાજ્યસરકાર દ્વારા તેને મહેસૂલ તરીકે પ્રાપ્ત દરેક 100 રૂપિયા માટે 15.37 રૂપિયા વ્જાય પેટે ચુકવવામાં આવે છે. સરકારને માથે 5.44 ટકાના દરે જવાબદારીઓમાં વધારો થયો છે.કેગે એવું પણ નોંધ્યું છે કે, સરકાર જે રકમ વ્યાજે લેશે તેનો સરેરાશ દર 7.59 ટકા જેટલો છે જ્યારે સરકાર જે વ્યાજની ચુકવણી કરે છે તે દર 15.37 ટકા છે. સરકાર હસ્તકના કુલ 73 જેટલા બોર્ડ નિગમમાંથી 19 જેટલા બોર્ડ-નિગમોએ રૂા.3813 કરોડની ખોટ કરી છે’ જ્યારે 50 જેટલા બોર્ડ નિગમોએ રૂા.5113 કરોડનો નફો કર્યો હતો. બાકીના 4 બોર્ડ નિમગોમાં નફો કે નુકશાન કાંઇ થયું નથી. નફો કરતા બોર્ડ-નિગમો તરફથી સરકારને સાવ સામાન્ય વળતર મળ્યું હતું એવો ઉલ્લેખ પણ કેગ દ્વારા કરાયો છે. કેગ દ્વારા જાહેર કરાયેલા રાજ્યની નાણાંકીય પરિસ્થિતિ અંગેના ઓડિટ અહેવાલમાં નોંધાયું છે કે, ગુજરાત સરકારના 19 જેટલા અબજો રૂપિયાની ખોટ કરતા બોર્ડ નિગમોમાં મુખ્યત્વે ગુજરાત રાજ્ય પેટ્રોલિયમ કોર્પોરેશન (જીએસપીસી)એ રૂા.1564 કરોડની ખોટ કરી છે.’ જ્યારે સરદાર સરોવર નર્મદા નિગમે રૂા.1075 કરોડની ખોટ કરી છે. તો ભાવનગર એનર્જી કંપનીએ રૂા.617 કરોડ, ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમે રૂા.264 કરોડ અને ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે રૂા.137 કરોડની ખોટ કરી છે. નોંધનીય બાબત એ છે કે, ગુજરાત સરકારના જે 50 નિગમોએ નફો કર્યો હતો તેણે ગુજરાત સરકારને માત્ર રૂા.97 કરોડ ડિવિડન્ડ પેટે ચુકવ્યા હતા. જે આ બોર્ડ નિગમોમાં સરકાર દ્વારા રોકાયેલા અબજો રૂપિયાના મુડીરોકાણ સામે માત્ર 1.91 ટકા જેટલું હતું.
રેલવેના રાજ્ય કક્ષાના પ્રધાન સુરેશ અંગડીએ રાજ્યસભામાં શુક્રવારે જણાવ્યું હતું કે મુંબઈ અને અમદાવાદ વચ્ચેના ૫૦૮ કિલોમીટરના બુલેટ ટ્રેન નેટવર્કને ૨૦૨૩માં પૂરું કરવાનો લક્ષ્ય છે.
બુલેટ ટ્રેનથી ગુજરાતના ૨૯૭ ગામને અસર થવાની છે અને તેના ૯૭ ટકાથી વધુ ખેડૂતે પોતાની જમીન આપવા સંમતિ આપી છે.
તેમણે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં બુલેટ ટ્રેન માટે જમીન આપવા અમુક વિસ્તારના ખેડૂત ના પાડી રહ્યા છે, પરંતુ તેઓ પણ જલદી સંમતિ આપે એવી આશા છે.
સુરેશ અંગડીએ રાજ્યસભામાં જણાવ્યું હતું કે બુલેટ ટ્રેનને લીધે મુંબઈમાં ચેર (મેન્ગ્રોવ્સ)ને ઓછામાં ઓછી અસર થાય તેનું ધ્યાન રખાશે અને પાંચ ગણા મેન્ગ્રોવ્સ ઉગાડવામાં આવશે.
તેમણે જણાવ્યું હતું કે બુલેટ ટ્રેન માટે દરિયામાં સાત કિલોમીટરના બોગદા સહિત કુલ ૨૧ કિલોમીટરના બોગદા બનાવાશે.
રેલવેના રાજ્ય કક્ષાના પ્રધાને જણાવ્યું હતું કે મુંબઈ – અમદાવાદ બુલેટ ટ્રેનનો પ્રકલ્પ સફળ થાય તે પછી દિલ્હી – કોલકાતા, દિલ્હી મુંબઈ અને અન્ય
શહેરો વચ્ચે બુલેટ ટ્રેન શરૂ કરવા પ્રયાસ કરાશે.
રેલવેના રાજ્ય કક્ષાના પ્રધાને રાજ્યસભામાં શુક્રવારે જણાવ્યું હતું કે બુલેટ ટ્રેનમાં સરેરાશ ૩૬,૦૦૦ લોકો પ્રવાસ કરે એવી આશા છે અને તેનું લઘુતમ ભાડું રૂપિયા ૩,૦૦૦ રહેવાની શક્યતા છે.
તેમણે જણાવ્યું હતું કે ચીને ૧૯૬૪માં અતિ ઝડપી ટ્રેન શરૂ કરી હતી અને હાલમાં ચીનમાં અતિ ઝડપી ટ્રેનનું ૨૦,૦૦૦ કિલોમીટરથી લાંબું નેટવર્ક છે.
ગુજરાતમાં દારૂબંધીનો અમલ ગેરવ્યાજબી
હોવા અંગે તેમજ દારુ પીવો એ બંધારણિય અધિકાર છે અને રાજ્ય સરકાર જબરદસ્તીથી આ
અધિકાર છીનવી રહી છે એવા મતલબની ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી પીટીશનના
અનુસંધાને ગુજરાત સરકારે પોતાનો જવાબ સોગંદનામા સ્વરૂપે રજૂ કર્યો હતો. રાજ્ય
સરકારે જણાવ્યું કે ખાનગી જગ્યાઓ પર પણ ગુજરાતમાં દારૂ પીવાની છૂટ આપી શકાય નહીં.
દારુબંધીના નિયમો હળવા કરવાની વાત રાજ્ય સરકારે સાફ શબ્દોમાં ફગાવતા એફિડેવિટમાં
કહ્યું છે કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે દારુબંધી
જરુરી છે.
દારુ પીવાની બાબતને વાણી સ્વાતંત્ર્યના
બંધારણીય હક્ક સાથે સરખાવી શકાય નહીં એવો પણ અભિપ્રાય સરકારે રજૂ કર્યો છે.
દારુ બંધી ગરીબોના હિતમાં છે એવું જણાવતા
સરકારે પોતાના જવાબમાં લખ્યું છે કે ગરીબો જ દારુના દુષણનો સૌથી મોટો ભોગ બને છે દારુના વ્યસનને કારણે જ તેઓ ગુનાખોરી તેમજ ઘરેલુ હિંસા જેવા દૂષણ
તરફ વળે છે.
દારુબંધીના નિયમો હળવા કરવા માટે
હાઇકોર્ટમાં રીટ કરનાર અરજદારોની દલીલ હતી કે સરકારે ખાનગીમાં દારુ પીવાની છૂટ
આપવી જોઈએ. જેમ બંધારણે સમાનતાનો, પ્રાઈવસીનો અને વાણી સ્વાતંત્ર્યનો હક્ક
આપ્યો છે, તે જ રીતે વ્યક્તિએ શું ખાવું કે પીવું તેનો પણ તેને હક્ક હોવો
જોઈએ.
ખાનગીમાં દારુ પીવા દેવાની માગ સામે પણ
વિરોધ કરતા સરકારે જણાવ્યું હતું કે, જો ખાનગી સ્થળો પર દારુ પીવાની છૂટ અપાશે
તો તે માત્ર સમાજના ભદ્ર વર્ગ સુધી મર્યાદિત નહીં રહે. જો આ રીતે દારુ પી શકાશે તો
સમાજનો નબળો વર્ગ પણ તેનું સેવન કરશે, અને તેનાથી સામાજીક દૂષણો ઉભા થશે.
ગુજરાતમાં બીજા રાજ્યોમાંથી આવતા
મુલાકાતીઓને દારુ પીવા દેવાય છે, પણ ગુજરાતીઓને તેનાથી દૂર રહેવાની ફરજ
પડાય છે તેવી દલીલનો પણ સરકારે એફિડેવિટમાં જવાબ આપ્યો છે. સરકારે જણાવ્યું છે કે, રાજ્યમાં થોડા સમય માટે રોકાવવા માટે આવતા લોકોને તેમની
લાઈફસ્ટાઈલમાં પરિવર્તન કરવાની સરકાર ફરજ ન પાડી શકે.
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી બાદ નવસારી અને ડાંગ જિલ્લામાં પડેલા વરસાદને પગલે નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. નવસારીની કાવેરી, અંબિકા, ખરેરા અને ઔરંગા નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. ત્યારે ખેરગામથી પસાર થતી ઔરંગા નદીનો પુલ પાણીમાં ગરકાવ થઇ ગયો છે. તો બજી તરફ ચીખલી કાવેરી નદીમાં આવેલ તરકેશ્ર્વર મહાદેવનું મંદિર પણ પાણીમાં ગરકાવ થઇ ગયું છે. નવસારી જિલ્લામાં ગત રાત્રીથી અવિરત વરસાદ માહોલ જોવા મળી રહ્યો છે. જિલ્લામાં વરસાદને પગલે લોકો ગરમીથી રાહત અનુભવી રહ્યાં છે તો બીજી તરફ નદીઓમાં ઘોડાપૂર આવતા અને ગામો ભારે હાલાંકીનો સામનો કરી રહ્યાં છે. નવસારી અને ડાંગ જિલ્લામાં પડેલા વરસાદને પગલે નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે.
જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જોકે જિલ્લાના ઉપરવાસના ધરમપુર અને કપરાડા તાલુકામાં ભારે વરસાદને કારણે જિલ્લાની જીવાદોરી સમાન મધુબન ડેમમાં પાણીની પુષ્કળ આવક થતા ડેમમાં પાણીની સપાટીમાં સતત વધારો થતા ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ મધુબન ડેમમાં ૮૨,૪૮૩ ક્યુસેક પાણીની આવકના કારણે ડેમનું લેવલ ૭૩.૬૫ મીટર સુધી પહોંચી ગયું હતું આથી ડેમનું રૂટ લેવલ મેઇનટેઈન કરવા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું. મધુબન ડેમના આઠ દરવાજા બે મીટર સુધી ખોલી તેમાંથી ૬૮,૦૭૦ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. જેને કારણે દમણ ગંગા નદી કિનારાના લોકોને સાવચેત રહેવાનું સૂચન કરવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લાના ઉપરવાસ એવા કપરાડા અને ધરમપુરમાં ભારે વરસાદ વરસ્યો હતો.
કપરાડામાં ધોધમાર વરસાદથી સીલધા હાટસરી ફળિયા નજીક કોલક નદીના પાણી ફરી વળ્યા હતા. તો પટેલપાડા પાસે આવેલ કોઝવે પર ચવેચા ઓહળ નદીના પાણી ફરી વળ્યા હતા. આમ ગામના બે કોઝવે પર પાણી ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.
ધો.12 સાયન્સનું પરીણામ જાહેર થયાના ત્રણ મહિના બાદ જેમાં પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે એ ગુજરાતની આર્કિટેક્ચર કોલેજોના નિયમોમાં ખાસ કરીને સીટ એલોટમેન્ટમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે.
ગુજરાત બોર્ડમાંથી પાસ થયેલા વિદ્યાર્થીઓ માટે 84 ટકા સીટ, ગુજરાત રાજ્યની સેન્ટ્રલ બોર્ડ, આઇસીએસઇ બોર્ડ, આઇ.બી.બોર્ડ કે એન.આઇ.ઓ.એસ.માંથી પાસ થયેલા વિદ્યાર્થીઓ માટે ફક્ત 6 ટકા સીટ અને ગુજરાત રાજ્ય બહારની સ્કુલના વિદ્યાર્થીઓ માટે 10 ટકા સીટનો ક્વોટા નક્કી કરવામાં આવ્યો છે.
બી.આર્ક. અભ્યાસક્રમમાં સીટ ડિસ્ટ્રીબ્યુશન
આ વખતની સીટ ડિસ્ટ્રીબ્યુશનને જોતા એવું જણાય આવે છે કે ગુજરાત રાજ્યમાં આવેલી સેન્ટ્રલ બોર્ડ, આઇ.સી.એસ.ઇ. બોર્ડ, આઇ.બી. બોર્ડ કે એન.આઇ.ઓ.એસ. બોર્ડની સ્કુલમાંથી ધો.12 સાયન્સ પીસીએમ પાસ કરનારા વિદ્યાર્થીઓને ઓછી સીટ મળશે. આ વિદ્યાર્થીઓને ઉંચા ટકાએ પણ પ્રવેશ નહીં મળી શકે જ્યારે ગુજરાત બહારના વિદ્યાર્થીઓ માટે પહેલી વખત 10 ટકા સીટ ફાળવવામાં આવી છે.
આમ, ગુજરાત રાજ્યમાં આવેલી સીબીએસઇ કે અધર બોર્ડની સ્કુલોના વિદ્યાર્થીઓનો ક્વોટા ઓછો રાખવાનું કોઇ તાર્કિક કારણ જણાતું નથી. એક્સપર્ટસ એવું કહી રહ્યા છે કે સીબીએસઇ કે આઇસીએસઇ બોર્ડના વિદ્યાર્થીઓમાં જ બી.આર્ક. કોર્સ પ્રત્યે વધુ લગાવ જોવા મળે છે અને તેમના માટે જ સીટ ઓછી કરી દેવામાં આવી છે. અહીં એ કહેવાત ફીટ બેસે છે કે બી.આર્ક.માં આ વખતે ઘરના છોકરા (ગુજરાતના સીબીએસઇ કે અધર બોર્ડ) ઘંટી ચાટશે અને ઉપાધ્યાય (ગુજરાત બહારના)ને આટો.
નિષ્ણાંતો કહે છે કે ગુજરાત બહારના વિદ્યાર્થીઓ માટે 10 ટકા સીટનો ક્વોટા વધુ પડતો છે. ફક્ત બી.આર્ક. કોર્સમાં જ ગુજરાત બહારના વિદ્યાર્થીઓ માટે 10 ટકા સીટનો ક્વોટા રાખવામાં આવ્યો છે. આ સિવાય એન્જિનિયરિંગ, મેડીકલ, પેરામેડિકલ કે લોકલ યુનિવર્સિટીઓના કોઇ અભ્યાસક્રમમાં ગુજરાત બહારના વિદ્યાર્થીઓ માટે 10 ટકાનો ક્વોટા રાખવામાં આવતો નથી.
આમેય ગુજરાત બહારથી ગુજરાતમાં આવનારા વિદ્યાર્થીઓ મોટા ભાગે એન્જિનિયરિંગ કે મેડિકલમાં જ અભ્યાસ કરવા આવતા હોય છે. આર્કિટેક્ચરમાં બહારના રાજ્યોના વિદ્યાર્થીઓની ગુજરાતમાં કોઇ ડિમાન્ડ હજુ સુધી વર્તાઇ નથી.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.