સુરત અને સુરતવાસીઓના પાણીનો મુખ્ય સ્ત્રોત સમા ઉકાઇ ડેમમાં પાણીની સપાટી અંગે સુરતનો બચ્ચેબચ્ચો સજાગ હોય અને ચર્ચા કરતો હોય છે. ગયા વર્ષે ઉકાઇ ડેમમાં પાણીની સપાટી ઓછી હતી અને ચાલુ વર્ષે પાણીની પ્રવર્તેલી તંગીને જોતા આ ચોમાસામાં ઉકાઇ ડેમની સ્થિતિની ચર્ચા સુરતમાં ચૌરેને ચૌટે થઇ રહી છે.
સુરતવાસીઓ માટે સારા સમાચાર એ છે કે ઉકાઇ ડેમના કેચમેન્ટ એરીયામાં પડી રહેલા સતત વરસાદના પાણીનો આવરો થતાં આજરોજ તા.2જી ઓગસ્ટ 2019ની સાંજે 5 કલાકે ઉકાઇ ડેમની સ્થિતિ 304.12 ફૂટને આંબી ગઇ હતી.
ચોમાસાનો વિધિવત જ્યારે આરંભ થયો ત્યારથી લઇને 24મી જુલાઇ સુધી ઉકાઇ ડેમની સપાટીમાં કોઇ વધારો નહીં નોંધાતા સરકાર સમેત સમગ્ર સુરતીવાસીઓમાં ચિંતા પેસી ગઇ હતી. પરંતુ, હવે ઉકાઇ ડેમની સપાટી સડસડાટ વધી રહી છે.
સિંચાઇ વિભાગના અધિકારીઓએ આપેલી માહિતી મુજબ આજે તા.2જી ઓગસ્ટે સાંજે 5 કલાકે ઉકાઇ ડેમમાં પાણીનો આવરો 1.68 લાખ ક્યુસેક્સ નોંધાયો હતો. અને ડેમની સપાટી કૂદકેને ભૂસકે વધી રહી છે.
ટ્રાફિક નિયમો ભંગમાં હવે 10 ગણો દંડ : લોકસભા બાદ રાજ્યસભામાં મોટર વ્હીકલ (સંશોધન) બિલ પસાર
મોટર વ્હીકલ (સંશોધન) બિલ 2019 લોકસભા બાદ બુધવારે રાજ્યસભામાં પણ પસાર થયો હતો. ખરડામાં ટ્રાફિકના નિયમો તોડનારા લોકો માટે આકરા પગલા લેવાની જોગવાઈ છે. તેમજ દંડની રકમ પણ 10 ગણી કરી દેવામાં આવી છે. એટલે કે હવે બેદરકારીમાં ટ્રાફિક નિયમનો ભંગ કર્યો તો મોટી રકમ ચૂકવવી પડશે. બિલ રજૂ કરી કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નિતિન ગડકરીએ કહ્યું હતું કે, સરકાર કોઈપણ ભોગે માર્ગ અકસ્માત ઉપર લગામ કસવા માગે છે. આંકડા બતાવે છે કે દેશમાં દર વર્ષે 1.50 લાખ લોકો માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવે છે. ટ્રાફિક નિયમોનું લોકો પાલન કરતા નથી. રાજ્યસભામાં ધ્વનીમતથી પસાર થયેલા ખરડામાં હેલ્મેટ માટે 1000, યોગ્ય વિના ઓવરસાઈઝ વાહન ચલાવવા 5000 રૂપિયા અને લાયસન્સ વિના વાહન ચલાવવા બાદ 5000 રૂપિયા સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે.
ગુજરાતમાં હાલમાં સર્વત્ર મેઘમહેર વરસી રહી છે. રાજ્યમાં મોસમનો સરેરાશ ૪૦ ટકાથી વધુ વરસાદ વરસતા ૩૩ જળાશયો ૫૦ ટકા સુધી ભરાઇ ચૂક્યા છે. જેથી હવે રાજ્યની પાણીની સમસ્યાનો અંત આવી ગયો છે. ખાસ કરીને સોરઠમાં મેઘરાજાની મહેરને લીધે મોટા ભાગના ડેમ અને જળાશયોમાં ૫૦ ટકાથી વધારે પાણીની આવક થઇ છે. જ્યારે ગીર જંગલમાં આવેલા ચેકડેમ પણ છલકાઇ ગયાં છે. છેલ્લા ૪૮ કલાકમાં રાજ્યનાં ૨૧૬ તાલુકાઓમાં સારા વરસાદના કારણે ર કુલ ૨૦૪ જળાશયોમાંથી ૩૩ જળાશયો ૨૫થી ૫૦ ટકા વચ્ચે ભરાયા હતા જ્યારે બે જળાશયો સંપૂર્ણ, સાત જળાશયો ૭૦થી ૧૦૦ ટકા તેમજ આઠ જળાશયો ૫૦થી ૭૦ ટકા વચ્ચે ભરાયા હતા. જ્યારે નર્મદા નદી પરના સરદાર સરોવર જળાશય ૫૫.૮૯ ટકા ભરાયું હતું. હાલ ૧,૦૦૦ ક્યુસેક તથા તેથી વધુ પાણીની આવક ધરાવતા જળાશયોમાં સરદાર સરોવરમાં ૩૦,૫૮૩, ઉકાઇમાં ૨,૦૩,૯૪૬ દમણ ગંગામાં ૫૯,૯૬૫, આજી-૩માં ૯,૮૩૦, કરજણ અને ઉન્ડર-૨માં ૫,૩૭૦, મીટ્ટીમાં ૪,૧૮૭, ઉન્ડ-૧માં ૨,૯૪૦, સાનન્દ્રોમાં ૨,૨૫૮, કડાણામાં ૨,૦૫૦, ડેમી-૧માં ૧,૮૦૮, કંકાવટીમાં ૧,૬૭૯, આજી-૪માં ૧,૬૩૦, વણાકબોરીમાં ૧,૫૦૦, આજી-૨માં ૧,૪૨૨, ગોધાતડમાં ૧,૨૮૫, જાંગડીયામાં ૧,૧૮૯ તેમજ ન્યારી-૨માં ૧,૦૬૦ ક્યુસેક પાણીની આવક થઈ હતી. જ્યારે ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૧૨.૦૧ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૪૨.૮૬ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૨૪.૬૩ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૧૮.૦૩ ટકા અને સૌરાષ્ટ્રના ૧૩૯ જળાશયોમાં ૧૪.૧૦ ટકા મળીને રાજ્યના કુલ ૨૦૪ ડેમોમાં ૨૩.૯૭ ટકા એટલે કે ૧,૩૩,૪૬૫.૯૭ મીટર ઘન ફૂટ પાણીનો જથ્થો સંગ્રહાયેલો હતો.
જ્યારથી ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યું એ પહેલાથી ગુજરાતમાં સરકાર દ્વારા રાહત દરનું કેરોસીન વિતરણ કરવામાં આવતું હતું. ગુજરાત સરકારની આ કેરોસીન વિતરણની પ્રથાથી લાખો નહીં કરોડો પરિવારોનું બે ટંકનું ભોજન રંધાતું હતું. ટૂંકમાં કહીએ તો રાંધણનો મુખ્ય પરિબળ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતું કેરોસીન હતું, હવે એ આખો યુગ આથમી જશે. તા.1લી ઓગસ્ટથી ગુજરાતમાં રેશનિંગ કાર્ડ થકી કેરોસીન વિતરણ બિલકુલ નહીંવત બની જશે. કેરોસીન યુગના અંતની સાથે જ કેરોસીનના કાળાબજારીયાઓના ધંધા પણ બંધ થઇ જશે. લાખો લોકોને જ્યારે કેરોસીન વિતરણ રાહત દરે કરવામાં આવતું હતું ત્યારે સ્વાભાવિક છે કે તેમાં પણ કટકીબાજોનું દૂષણ ફેલાય અને કરોડોનો ભ્રષ્ટાચારનું પ્રતિક ગુજરાતનું રાહત દરનું કેરોસીન બની ગયું હતું. આ બધું જ તા.1લી ઓગસ્ટથી સમાપ્ત થઇ જશે. ગુજરાતમાં અગાઉ શહેરોમાં રેશનિંગનું રાહત દરનું કેરોસીન બંધ કરાયું હતું, હવે આવતીકાલ તા.1લી ઓગસ્ટ 2019થી ગામડાઓ સમેત તમામ સ્થળો કે જ્યાં એપીએલ કાર્ડ ધારકોને રાહતદરનું કેરોસીન આપવામાં આવતું હતું એ બંધ કરવામાં આવશે.
શહેરોમાં રેશનિંગનું કેરોસીન બંધ કર્યા બાદ હવે ગામડાઓમાં પણ કેરોસીન વિતરણ બંધ કરાશે
એ.પી.એલ. એટલે કે એબોવ પોવર્ટી લાઇન રેશન કાર્ડ ધરાવતા ગુજરાતના પરિવારોને તા.૧ ઓગસ્ટ 2019 થી રેશનિંગની દુકાનો પરથી વિતરી કરવામાં આવતું રાહત દરનું કેરોસિન આપવાનું બંધ કરવાના નિર્ણયનો અમલ શરૂ થઇ જશે. કેરોસીનના વિકલ્પ રૂપે સરકારે એલ.પી.જી. ગેસ બોટલ મેળવી લેવા માટે અગાઉ તમામ કાર્ડ ધારકોને સૂચના આપી દીધી હતી.
ગુજરાત સરકારના અન્ન,નાગરિક પુરવઠા વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જેમાં જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં તા.1લી ઓગસ્ટ 2019થી તમામ એ.પી.એલ.કેરોસિન કાર્ડધારકોને જાહેર વિતરણ વ્યવસ્થાના કેરોસિનનું વિતરણ કરવામાં આવશે નહીં.જે બી.પી.એલ.અને એ.એ.વાય. કેરોસીન કાર્ડધારકોને ગેસ જોડાણ નથી મળ્યા તેમને જાહેર વિતરણ વ્યવસ્થાના કેરોસિનનું વિતરણ ચાલુ રહેશે.
ગુજરાતના નાગરીકોને કેરોસિનના બદલે સ્વચ્છ ઇંધણ મળે તે હેતુથી પી.એન.જી. – એલ.પી.જી. ગેસ કનેકશન ના ધરાવતાં હોય તેવા એ.પી.એલ.કેરોસિન કાર્ડધારકો સ્વૈચ્છિક રીતે અને સ્વખર્ચે પી.એન.જી. – એલ.પી.જી. ગેસ કનેકશન મેળવી લે તે માટે ૧૦-૫-૨૦૧૮માં પરિપત્ર કરી નિર્ણય કરી તબક્કાવાર મ્યુનિસિપલ કોર્પોરેશન્સ અને ત્યારબાદ જીલ્લા મથકોમાં એ.પી.એલ.કેરોસિન કાર્ડધારકોને કેરોસિન આપવાનું બંધ કરવા નિર્ણય કર્યો હતો.
રાજ્યમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ લો પ્રેશર એરિયામાં પરિવર્તિત થઇ રહ્યુ ંછે જેના કારણે સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ થઇ રહ્યો છે હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર યાથવત રહેશે જ્યારે’ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ થવાની સંભાવના છે.’ આ ઉપરાંત કચ્છ અને દીવ દમણ, દાદરાનગર હવેલીમાં પણ મધ્યમ વરસાદ રહેશે. દરમિયાન રાજ્યના 231 તાલુકાઓમાં ક્યાંક ઝરમર તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગા થયા હતા. સૌથી વધુ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં 288 મી.મી. એટલે કે 11.5 ઇંચ, વઘઇમાં સાડા આઠ, કપરાડામાં પોણા આઠ, માંગરોળમાં સાડા સાત તથા પારડીમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો છે તો ભારે વરસાદના પગલે નદીઓમાં પૂરની સ્થિતિથી અનેક કોઝ વે પાણીમાં ગરકાવ થઇ જતા અને ગામ સંપર્ક વિહોણો થયા હતાં.’ ડાંગના 17 કોઝવે ઉપર પાણી ફરી વળતા 30 થી વધુ ગામો સંપર્ક વિહોણા બન્યા હતાં.
વલસાડની કોલક નદીના પાણીની સપાટી વધી જતા પુલ પર પાણી ફરી વળ્યા હતા. નવસારીના વાંસદાનો જૂજ ડેમ ઓવરફ્લો થવાની’ તૈયારીમાં છે. મહુવા, ડાંગ-આહવામાં વરસાદી માહોલ જામ્યો છે. અંબિકા અને પૂર્ણા નદીના પાણીની આવકમાં સતત વધારો થઇ રહ્યો છે. બન્ને નદી ભયજનક સ્તરે વહી રહી છે. ડાંગમાં ગીરા ધોધનો અદ્દભૂત નજારો સર્જાયો છે. આ ધોધની સુંદરતા જોવા હજારો પ્રવાસીઓ ઉમટી પડયા છે. સુરતમાં સારા વરસાદના કારણે ઉકાઇ ડેમની જળસપાટીમાં પણ વધારો થયો છે. ઉકાઇ ડેમમાં કુલ 89,864 ક્યુસેક પાણીની આવક થતા ઉકાઇ ડેમની સપાટી 285.32 ફૂટ પર પહોંચી છે.’ ચોવીસ કલાકના ગાળામાં જ ઉકાઇ ડેમની સપાટીમાં 3 ફૂટનો વધારો થયો છે.
વાવમાં 9 ઇંચ વરસાદ પડતા અને માળખા ગામનું તળાવ ફાટતા પાણી ગામમાં ઘૂસી ગયા હતા જેમાં કોઇ ઘટાડો થયો નથી અને સ્થિતિ ઠેરની ઠેર છે.
સૌરાષ્ટ્રમાં આજે મેઘરાજાએ રૂસણા જાણે છોડયા હતાં. સર્વત્ર એકથી આઠ ઇંચ જેટલો ધમાકેદાર વરસાદ થતાં અપાર આનંદ છવાઇ ગયો છે. સોમવાર સાંજથી મેઘરાજાએ ઠેકઠેકાણે ધોધમાર સ્વરૂપે વરસવાનું શરૂ કર્યું હતું. રાત્રી દરમિયાન અને આજે મંગળવારે દિવસભર હેત અવિરત રહ્યું હતું. સિઝનનો સર્વત્ર વરસાદનો આ પ્રથમ રાઉન્ડ છે.
ધ્રોળની બાવની નદીમાં ઘોડાપુર : મચ્છુ-2 ડેમમાં બે ફૂટની આવક
ભારે વરસાદના કારણે ચેકડેમ તો છલકાયા હતાં. નવા નીરની આવક શરૂ થઇ હતી. મોટા ડેમોમાં પણ પાણી ઠલવવા શરૂ થઇ ગયા હતાં. આ વખતનો વરસાદ જરૂરિયાત સમયે જ વરસી જતાં કિસાનો કાચું સોનું વરસ્યાનો આનંદ વ્યક્ત કરે છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.
મેઘરાજાની વિશેષ કૃપા જામનગર, જૂનાગઢ અને રાજકોટ જિલ્લામાં હતી. જામનગરના ધ્રોળ તાલુકામાં સર્વત્ર આઠ ઇંચ જેવા વરસાદથી બાવની નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. ગીરનાર ઉપરના પગથિયા ઉપરથી જાણે ધોધ વહેતા હોય તેવા દ્રશ્યો હતાં. જંગલમાં તમામ ઝરણાં વહેતા થઇ ગયા છે. વનરાજી ખીલી ઉઠી છે.
આ વરસાદથી અત્યારે પાક, પાણી અને ઘાસચારાનું ચિત્ર બદલાઇ જશે તેવી સંપૂર્ણ આશા છે. સૌરાષ્ટ્રમાં સર્વત્ર આનંદદાયક વરસાદ હતો. સ્વરૂપ શાંત હતું અને તંત્ર પણ સજ્જ હતું એટલે જામનગર અને ધ્રોળ જેવા વિસ્તારમાં મુશળધાર વરસાદ છતાં કોઇ નુકસાની કે જાનહાની થઇ ન હતી.’
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની આબરૂના ધજાગરા ઉડાડતી ઘટના મોડે મોડે પ્રકાશમાં આવી છે. ગુજરાત બોર્ડે એન.સી.ઇ.આર.ટી.ના વિદ્યાર્થીઓને તાજેતરમાં લીધેલી પૂરક પરીક્ષામાં હાથથી લખેલા પ્રશ્નપત્રો આપતા મોટો વિવાદ થયો છે.
બુદ્ધિજીવીઓ અને આચાર્યો એ તો બોર્ડની આ હરકતને તેની વિશ્વસનીયતા જોખમમાં મૂકવાનું પગલું ગણાવ્યું છે. મળતી માહિતી મુજબ એન.સી.ઇ.આર.ટી.નો સિલેબસ ભણાવવાની બાબત ગુજરાત બોર્ડના પાઇલોટ પ્રોજેક્ટમાં સમાવિષ્ટ છે અને તેના મર્યાદિત વિદ્યાર્થીઓ માટે તાજેતરમાં પૂરક પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં બોર્ડ દ્વારા હાથથી લખેલા પ્રશ્નપત્રો આપવામાં આવ્યા હતા.
પ્રશ્નપત્રોની ઇમેજ અમને આ મુજબ મળી હતી
આ પ્રકારના હાથી લખેલા પ્રશ્નપત્રો આપવામાં આવતા વિદ્યાર્થીઓ ડઘાઇ જવા પામ્યા હતા. બોર્ડના કેટલાક અધિકારીઓએ એવો વાહિયાત ખુલાસો કર્યો હતો કે પરીક્ષાર્થીઓની સંખ્યા સાવ ઓછી હોવાથી પ્રશ્નપત્રો ટાઇપ કરાયેલા ન હતા.
જાણકારો અને આચાર્યો કહે છે કે ભલે એક પરીક્ષાર્થી કેમ ન હોય બોર્ડે પ્રશ્નપત્ર તો ઠીકઠાક આપવું જોઇએ. એન.સી.ઇ.આર.ટી.ની પરીક્ષામાં જે હાથથી લખેલા પ્રશ્નપત્ર આપવામાં આવ્યા હતા તેમાં ભૂલો પણ અનેક હતી. એવું જણાય આવ્યું હતું કે આ પરીક્ષા લેવામાં બોર્ડના અધિકારીઓએ નકરી વેઠ જ ઉતારી હતી.
આ પ્રકારના હાથથી લખેલા પ્રશ્નપત્રો અને ભૂલભરેલા પ્રશ્નપત્રો મળવાના કારણે ખુદ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ પણ ડઘાઇ જવા પામ્યા છે. હવે તો સ્કુલો પણ પોતાની પરીક્ષા પ્રિન્ટેડ અને સુવાચ્ય અક્ષરોવાળા પ્રશ્નપત્રોથી લેતી હોય છે ત્યારે બોર્ડએ અધોગતિ કરી હોય તેવું આ ઘટના પરથી જણાય આવે છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ગત માર્ચ 2019માં લેવામાં આવેલી એસ.એસ.સી. ધો.10ની પરીક્ષામાં એક-બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓનું આખું વર્ષ ન બગડે એ હેતુથી તેમની પૂરક પરીક્ષા જુલાઇ માસમાં લેવાની પરંપરા છે.
ચાલુ મહિનામાં લેવામાં આવેલી આ પૂરક પરીક્ષાનું ધો.10 એસ.એસ.સી.નું પરીણામ ફક્ત 9.4 ટકા આવ્યું છે. આમાં પણ ગુજરાતી માધ્યમની સ્કુલોનું પરીણામ ફક્ત 8 ટકા છે.
ધો.10ની પૂરક પરીક્ષાના પરીણામ અંગે ગુજરાત બોર્ડે આ મુજબ વિગતો જાહેર કરી હતી.
58 હજારથી વધુ નાપાસ યુવાઓ ભણશે કે ઉઠી જશે?
સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે કુલ 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા. જેમાંથી 75,362 વિદ્યાર્થીઓએ જુલાઇ 2019ની પરીક્ષા આપવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જ્યારે પરીક્ષા શરૂ થઇ ત્યારે ફક્ત 64,814 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને આજે જ્યારે પરીણામ આવ્યું ત્યારે ફક્ત 6063 વિદ્યાર્થીઓ જ પાસ થઇ શક્યા છે. હવે સવાલ એ ઉપસ્થિત થાય છે કે 58 હજારથી વધુ નાપાસ વિદ્યાર્થીઓ ભણશે કે નહીં ભણે
સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા અને પૂર્વ સાંસદ શ્રી વિઠ્ઠલ રાદડીયાનું આજરોજ તા.29મી જુલાઇ 2019ના રોજ નિધન થયું હોવાની માહિતી તેમના પુત્ર અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી જયેશ રાદડીયાએ આપી હતી.
જયેશ રાદડીયાએ તેમના ફેસબુક વોલ પર આ મુજબનો સંદેશો લખ્યો છે.
મારા પિતાશ્રી વિઠ્ઠલભાઈ રાદડીયાનુ આજરોજ દુ:ખદ અવસાન થયેલ છે,
ઠાકોરજી એમના આત્માને શાંતિ અર્પે એવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના,
અંતિમ દર્શન : તા.૩૦/૭/૧૯ મંગળવાર સવારના ૭ થી બપોરના ૧૨ કલાકે કન્યા છાત્રાલય-જામકંડોરણા,
ઢંગધડા વગરનું હાયર એજ્યુકેશન આપવા માટે બદનામ સુરતની ભગવાન મહાવીર કોલેજો કે જેની કાર્યપ્રણાલીને વાલીઓ વિદ્યાર્થીઓ પણ ઓળખી ચૂક્યા છે એ સુરતની ભગવાન મહાવીર કોલેજો ચલાવતી સંસ્થાને ગુજરાત સરકાર લાગવગશાહીના જોરે પ્રાઇવેટ યુનિવર્સિટીનો દરજ્જો આપી દીધો છે. તાજેતરમાં ગુજરાત વિધાનસભામાં એક સાથે 9 પ્રાઇવેટ યુનિવર્સિટીઓ બનાવવાની દરખાસ્ત મંજૂર કરી દેવામાં આવી છે. જેમાં સુરતના ભગવાન મહાવીર ગ્રુપને પણ પ્રાઇવેટ યુનિવર્સિટી માટેની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે.
સુરતમાં ભગવાન
મહાવીર ગ્રુપની કોલેજો એટલા માટ બદનામ છે કેમકે અભ્યાસ માટે જરૂરી
ઇન્ફ્રાસ્ટ્રક્ચર, લેબોરેટરી કે અન્ય સુવિધાઓ તો ઠીક પણ પૂરતી સંખ્યામાં પ્રોફેસરો
પણ નહીં રાખતી ભગવાન મહાવીર કોલેજના સંચાલકો સામે અધ્યાપકોનું શોષણ કરવાની પણ
સંગીન ફરીયાદો થઇ ચૂકી છે. આ ભગવાન મહાવીર ગ્રુપના ધંધાદારી સંચાલકો હવે
યુનિવર્સિટીના નામે રીતસર શિક્ષણનો વેપલો કરવાનું લાઇસન્સ લઇ બેઠા છે.
ત્રણ ત્રણ ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજોનું લાઇસન્સ લઇને રોકડી કરી લેવાના અનિલ જૈન એન્ડ કંપનીના મનસુબા પાર પડ્યા નથી. આ વખતે ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશાર્થીઓએ આ સુરતના ભગવાન મહાવીર ગ્રુપની ત્રણેય કોલેજોને જાકારો આપ્યો છે. માંડ દસેક ટકા બેઠકો ભરાવા પામી છે. આમ જ્યાં પ્રવેશ લેવા માટે કોઇ તૈયાર નથી અને ના છૂટકે પ્રવેશ લેતા હોય છે એવી સંસ્થાને હવે યુનિવર્સિટી તરીકેનું નામ વટાવી ખાવાનું લાઇસન્સ મળ્યું છે.
જે રીતે સરકાર શિક્ષણ ખાસ કરીને હાયર એજ્યુકેશનમાં પ્રાઇવેટાઇઝેશન કરી રહી છે એ જોતા એવું જણાય આવે છે કે ક્વોલિટી એજ્યુકેશન કરતા ક્વોન્ટીટી એજ્યુકેશનની નીતિનું અમલીકરણ થઇ રહ્યું છે. સુરતમાં ભગવાન મહાવીર એજ્યુકેશન ફાઉન્ડેશન કે જેની એન્જિનિયરિંગ કોલેજોમાં સાવ હલકી કક્ષાના શિક્ષણને લીધે 2019માં 85 ટકા બેઠકો ખાલી પડી રહી છે, આ કોલેજમાં કોઇ પ્રવેશ માટે લેવાલ નથી, એક સમયે મેનેજમેન્ટ ક્વોટામાં લાખો રૂપિયા ઉસેટીને જૈન બંધુઓએ શિક્ષણની હાટડી માંડી દીધી હતી ત્યાં એન્જિનિયરિંગ હોય કે મેનેજમેન્ટ કે પછી અન્ય અભ્યાસક્રમો કોઇ વિદ્યાર્થી પ્રવેશ લેવા તૈયાર નથી. એવા સુરતના ભગવાન મહાવીર ગ્રુપને પ્રાઇવેટ યુનિવર્સિટીનો દરજ્જો આપવાની દરખાસ્ત પર ગુજરાત સરકારે તો મંજૂરીની મહોર મારી દીધી છે.
ગુજરાત વિધાનસભાના છેલ્લા દિવસનું સત્ર ૧૭ કલાક અને ૪૦ મિનિટ ચાલતાં સૌથી લાંબા સમય માટે ચાલવાનો રેકોર્ડ બનાવ્યો હતો. આ સત્રના છેલ્લા દિવસે કુલ ૯ બિલો પર ચર્ચાવિચારણા કરવામાં આવી હતી.
વિધાનસભાના છેલ્લા દિવસે ખાનગી યુનિવર્સિટી સુધારા બિલ ૨૦૧૯ ગૃહમાં પસાર થયા હતા. આ સુધારા સાથે વહીવટી પ્રક્રિયા સાથે ભાઈકાકા યુનિવર્સિટી, સિલ્વર ઓક યુનિવર્સિટી, ભગવાન મહાવીર યુનિવર્સિટી, એલ.જે.કે. યુનિવર્સિટી, શ્રેયાર્થ યુનિવર્સિટી, જે.જી યુનિવર્સિટી, કેલોરેક્સ ટીચર્સ યુનિવર્સિટી, આઈટીએમ બરોડા યુનિવર્સિટી, ચારૂતર વિદ્યામંડળ યુનિવર્સિટી મળીને કુલ ૯ નવી ખાનગી યુનિવર્સિટીઓ ગુજરાતમાં કાર્યરત થવાની મહત્ત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી. સરકારનો હેતુ રાજ્યમાં ઉચ્ચ શિક્ષણને પ્રોત્સાહન મળે તેવા હેતુ સાથે રાજ્યનાં જરૂરિયાતવાળા વિસ્તારોમાં ખાનગી યુનિવર્સિટીઓની સ્થાપના થાય અને ઉચ્ચ શિક્ષણ મળે તેવો છે.
9 નવી યુનિવર્સિટી માટેની દરખાસ્તોમાં સુરતમાં ઢંગધડા વગરનું હાયર એજ્યુકેશન આપવા માટે બદનામ બી.એમ.ઇ.એફ. (ભગવાન મહાવીર એજ્યુકેશ ફાઉન્ડેશન)ની પણ દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.