‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ કાર્યક્રમમાં ભાગ લેનારાઓને મુસાફરી પાછળના ખર્ચમાં રાહત આપવાના હેતુથી રેલવે તંત્ર તેમને મુસાફરીના મૂળ ભાડાંમાં ૫૦ ટકા કન્શેસન આપશે. સેકન્ડ/સ્લીપર ક્લાસ સંબંધિત આ કન્શેસન એવા યુવા વર્ગને આપવામાં આવશે જેમની માસિક કમાણી અથવા પગાર ૫,૦૦૦ રૂપિયાથી વધુ ન હોય.
રેલવે મંત્રાલયના નિવેદનમાં એવું પણ જણાવાયું હતું કે આ કન્શેસન માત્ર સામાન્ય ટ્રેન સેવા માટે ખાસ સવલત તરીકે આપવામાં આવી રહ્યું છે. આ સુવિધા સ્પેશિયલ ટ્રેન કે સ્પેશિયલ કોચને લાગુ નહીં પડે.
‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ ઉત્સવના સ્થળ સુધીના ૩૦૦ કિલોમીટરથી વધુ અંતરનો પ્રવાસ કરનારા યુવા વર્ગને રિટર્ન પ્રવાસ માટે પણ આ ક્ધસેશન આપવામાં આવશે. નિવેદનમાં જણાવાયું હતું કે ‘આ ક્ધસેશન વિવિધ રાજ્યોના માનવ સંશાધન વિકાસ ખાતાના સચિવ દ્વારા બહાર પાડવામાં આવતું રેલવે ફૉર્મેટવાળું સર્ટિફિકેટ રજૂ કરનારને આ ક્ધસેશન અપાશે.
કન્શેસન માટે અરજી કરનારે રેલવેના સત્તાધારી અધિકારીઓ જેમ કે ચીફ કમર્શિયલ મૅનેજર, ડિવિઝનલ કમર્શિયલ મૅનેજર વગેરેને સર્ટિફિકેટ સુપરત કરવાનું રહેશે અને એ તપાસીને આ અધિકારી કનસેશન ઑર્ડર બહાર પાડશે જે રજૂ કરવાથી અરજી કરનારને સ્ટેશન માસ્તર કન્શેસન આપશે.’
જે અરજી કરનારનો ખર્ચ કેન્દ્ર કે રાજ્ય સરકાર કે સ્થાનિક સરકારી સંસ્થા કે નગરપાલિકા કે સરકારી એકમ કે યુનિવર્સિટી ઉપાડતી હોય તેમને આ સર્ટિફિકેટ નહીં મળે.
એલઓસી પર ગમે ત્યારે સ્થિતિ વણસવાની શક્યતા સેનાધ્યક્ષ બીપીન રાવતે દર્શાવતા જણાવ્યું હતું કે દેશે ગમે તે પરિસ્થિતિ માટે તૈયાર રહેવું પડશે અને ભારતીય સેના ગમે તેવી વણસેલી પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે.
પાંચમી ઑગસ્ટ બાદ જમ્મુ અને કાશ્મીરની સરહદે પાકિસ્તાન તરફથી વધેલા ગોળીબાર અને તોપમારાને ધ્યાનમાં લઇને એમણે આ વાત કહી હતી.
રાજ્યકક્ષાના કેન્દ્રીય ગૃહ પ્રધાન જી. કિશન રેડ્ડીએ લોકસભાને ગયા મહિને જણાવ્યું હતું કે ઑગસ્ટથી ઑક્ટોબર ૨૦૧૯ વચ્ચે પાકિસ્તાને ૯૫૦ વખત યુદ્ધવિરામનો ભંગ કર્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર એલઓસી પર પાકિસ્તાનની બેટની ટુકડી વારંવાર ભારતીય સેનાને નિશાન બનાવીન હુમલા કરતી રહે છે. બેટમાં પાકિસ્તાની કમાન્ડો તથા ત્રાસવાદીઓનો સમાવેશ થાય છે.
દરમિયાન, ઉત્તરી કમાનના જનરલ ઑફિસર કમાન્ડિંગ ઇન ચીફ લે. જનરલ રણબીરસિંહે બુધવારે કેન્દ્રશાસિત પ્રદેશ લડાખના સિયાચિન ગ્લેશિયરની મુલાકાત લઇને યુદ્ધની તૈયારીની સમિક્ષા કરી હતી.
આ પ્રસંગે અગ્રિમ ચોકીઓ પર તહેનાત જવાનો સાથે એમણે વાતચીત કરી હતી અને એમની કાર્યકુશળતાના વખાણ કર્યા હતા. એમણે જવાનોને કાયમ સતર્ક અને યુદ્ધ માટે તૈયાર રહેવાની સલાહ આપી હતી.
કારાકોલમ પર્વતમાળામાં સમુદ્રની સપાટીથી ૨૦,૦૦૦ ફૂટની ઊંચાઇએ આવેલા સિયાચિન ગ્લેશિયરમાં વિશ્ર્વના સૌથી ઊંચી લશ્કરી છાવણી સ્થિત છે.
અહીં દેશની સરહદની રક્ષા કરતા ભારતીય જવાનોને દુશ્મનો સિવાય બરફના તોફાનો, ભૂસ્ખલન અને ભારે ઠંડીનો સામનો પણ કરવો પડે છે. અહીંનું તાપમાન ક્યારેક માઇનસ ૬૦ ઔંસ સુધી નીચું જતું હોય છે.
નિર્ભયા બળાત્કાર કેસના ચાર આરોપીઓ પૈકીના એક આરોપી અક્ષય ઠાકુરે ફાંસની સજા સામે સુપ્રીમ કોર્ટમાં કરેલી પુર્નવિચાર અરજી પર આજે સુનાવણી સંપન્ન થયા બાદ સુપ્રીમ કોર્ટે પુનર્વિચાર અરજી ફગાવી દીધી છે. આ સાથે જ હરામખોર રેપિસ્ટોને ફાંસીની સજા મળે એ વચ્ચેનો વધુ એક અંતરાય દૂર થવા પામ્યો છે. સુપ્રીમ કોર્ટે ક્લીયર કટ સૂચના આપી હતી કે દિલ્હી હાઇકોર્ટ તેમજ એપેક્ષ કોર્ટે આપેલા ચૂકાદામાં એક નાની અમથી પણ ક્ષતિ નથી. આ ગુનેગારની અરજી પર ફરીથી દલીલો શક્ય નથી. અત્રે એ ઉલ્લેખનીય છે કે અગાઉ ત્રણય આરોપીઓ આ અંગેની અરજી કરી ચૂક્યા છે તેમને પણ ફગાવી દેવામાં આવી હતી.
જસ્ટિસ ભાનુમતિની અધ્યક્ષતાવાળી બેન્ચ આ અરજી પર ચુકાદો આપશે. દોષીત પક્ષના વકીલે કોર્ટમાં એકપછી એક તર્ક રજૂ કર્યા હતા. તેમણે દિલ્હીમાં પ્રદૂષણ અને ખરાબ હવાનું કારણ આપતા ફાંસીની સજા નહીં આપવા અપીલ કરી હતી. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણઆવ્યું કે કોઈપણ કાળે આ ગુનાને માફ કરી શકાય નહીં.
જસ્ટિસ ભાનુમતિ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એએસ બોપન્નાની ખંડપીઠે બન્ને પક્ષની દલીલો સાંભળ્યા બાદ બપોરે એક વાગ્યો ઓર્ડર આપવાનું જણાવ્યું હતું. કોર્ટરૂમમાં ચર્ચા દરમિયાન દોષી અક્ષયના વકીલ એપી સિંહે પોતાના અસીલને ફાંસીની સજા નહીં કરવા માંગ કરી હતી.
સરકાર પક્ષના વકીલ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું કે ટ્રાયલ કોર્ટે તમામ દલીલો અને પુરાવાને ચકાસીને ફાંસીની સજા ફટકારી છે, જે સુપ્રીમ કોર્ટે પણ યોગ્ય ઠેરવી છે. આ ગુનો એટલો ગંભીર છે કે ભગવાન પણ માફ કરી શકે તેમ નથી. આવા ગંભીર ગુના બદલ ફાંસી જ થવી જોઈએ.
રાજ્ય સરકારે ગુજરાત વીજ નિયમન આયોગ સમક્ષ વીજ ભાવવધારો નહીં માંગવાનો નિર્ણય કર્યો હોવાની સરકારે આજે જાહેરાત કરી હતી. જોકે રાબેતા મુજબ વીજ દરમાં પ્રતિ યુનિટે ૧૦ પૈસા જેટલોવધારો થતો હતો. આ અંગે ઉર્જા પ્રધાન સૌરભ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના વીજ વપરાશ ગ્રાહકો પર વીજ ભારણનો બોજો ભાવવધારાના સ્વરૂપે ન પડે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
વીજ વિતરણ વ્યવસ્થાનું આધુનિકરણ કરવામાં આવશે, જેને કારણે વીજ વિતરણ દરમિયાન થતાં નુકસાનમાં ઘટાડો થશે. વીજખરીદી તથા વીજ વિતરણ કંપનીઓની કાર્યશક્તિમાં વધારો થશે અને રૂ. ૮૮૨ કરોડનું વીજ ભારણ સરભર કરી શકાશે. ઊર્જા પ્રધાને એવું પણ કહ્યું હતું કે, વર્ષ ૨૦૨૦-૨૧ માટે કુલ વસુલાત પાત્ર રાજસ્વની ૨કમ રૂા.૫૨,૩૯૮ કરોડ થાય છે, જેની સામે હયાત વીજ દર અને મંજૂર કરેલ વીજ વેચાણ (૮૭,૮૨૪ મિલિયન યુનિટ્સ) મુજબ વીજ ગ્રાહક પાસેથી થનાર અંદાજીત આવક રૂા. ૫૧,૫૦૭ કરોડ થાય છે.
આમ વર્ષ ૨૦૨૦-૨૧ માટે હયાત વીજ દર મુજબ ખાધની કુલ રકમ રૂા.૮૮૨ કરોડ થાય છે. એમવાયટી રેગ્યુલેશન મુજબ આ ખાધની ૨કમ ગ્રાહકના વીજદ૨માં વધારા રૂપે વસુલ કરવાની થાય છે. આ રૂા. ૮૮૨ કરોડની ખાધનું ભારણ જો તમામ કક્ષાના વીજ ગ્રાહકના દરમાં સમાન રીતે વધારો સૂચવવામાં આવે તો આશરે રૂા. ૦.૧૦ પ્રતિ યુનિટ થાય છે. જ્યારે આ ભારણ જો ખેત વિષયક ગ્રાહકો સિવાયના અન્ય તમામ ગ્રાહકો પર લાદવામાં આવે તો આશરે રૂા. ૦.૧૩ પ્રતિ યુનિટ થાય છે.
રાજ્યમાં કમોસમી વરસાદમાંથી મળેલી રાહત બાદ હવે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ઉત્તર ભારતના રાજ્યોમાં થઇ રહેલી હિમવર્ષાની અસર ગુજરાતમાં વર્તાઇ રહી છે. અનેક જગ્યાએ પારો હવે 12થી પણ નીચે પહોંચી ગયો છે. ગુજરાતમાં ઠંડીનો પારો ગગડતા લોકો ઠુઠવાઇ રહ્યા છે. આગામી બે મહિના સુધી ગુજરાતના તમામ શહેરોમાં ઠંડીનો પારો નીચે રહેવાની સંભાવના છે.
રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયા ખાતે 9 ડિગ્રી નોંધાયું છે. સૂરત, વડોદરા, રાજકોટ, અમદાવાદ સહિત અનેક શહેરોમાં ઠંડા પવનો ફૂંકાવાના કારણે ઠંડીનો ચમકારો વધ્યો છે. સૌરાષ્ટ્રમાં સૌથી નીચું તાપમાન રાજકોટમાં 11.8 ડિગ્રી નોંધાયું છે. દરમિયાન હવામાન વિભાગ દ્વારા ઠંડીમાં વધારો થવાનું કહેવામાં આવી રહ્યું છે.
સૌરાષ્ટ્રમાં કાતીલ ઠંડીનો માહોલ
સૌરાષ્ટ્રમાં આજે સૌથી નિચુ તાપમાન રાજકોટમાં 11.8 ડિગ્રી નોંધાયું હતુ. જ્યારે ગીરનાર પર્વત પર તાપમાન 13.5 ડિગ્રી નોંધાયું હતુ. આ સિવાય સુરેન્દ્રનગરમાં 12.2, અમરેલીમાં 12.4, જામનગરમાં 14, ભાવનગરમાં 16.5 અને જૂનાગઢમાં 18.5 ડિગ્રી’ લઘુત્તમ તાપમાન નોંધાયું હતુ. રાજ્યમાં અમદાવાદમાં આજે દિવસ દરમિયાન ઠંડા પવનો ફૂંકાયા હતા અને લોકોએ ઠંડીનો અનુભવ કર્યો હતો. તીવ્ર ઠંડીના લીધે જનજીવન ઉપર પણ અસર થઈ છે. આજે નલિયામાં લઘુત્તમ તાપમાન ઘટીને 9.6 ડિગ્રી થઇ ગયું હતું. જ્યારે ડિસામાં પારો 10.6 રહ્યો હતો. ગાંધીનગરમાં 11.8 અને વીવીનગરમાં લઘુત્તમ તાપમાન 10.6 ડિગ્રી રહ્યું હતું.
ઠંડીમાં એકાએક વધારો થતાં ગરમ વસ્ત્રોના બજારમાં જોરદાર તેજી જામી છે. હાલમાં તબીબો પાસે જુદા જુદા પ્રકારના બેવડી સિઝનના ઈન્ફેકશન અને ફૂડ પોઈઝનીંગના કેસો સાથે લોકો વધુ આવી રહ્યા છે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ૧૭ નવેમ્બરે ૨૦૧૯ના રોજ લેવાયેલી બિનસચિવાલય ક્લાર્કની ભરતી પરીક્ષામાં ગેરરીતિઓ થઇ હોવાનો આખરે સરકારે સ્વીકાર કરીને હવે આ પરીક્ષા નવેસરથી લેવાનો નિર્ણય કર્યો છે.
કૉંગ્રેસે આ પરીક્ષામાં થયેલી ચોરીના સીસીટીવી કૂટેજ જાહેર કરીને આખી પરીક્ષા રદ કરવાની માગણી કર્યા બાદ યુવાનોએ ગાંધીનગર સહિતના સ્થળોએ દેખાવો અને ધરણાં કરીને આંદોલન શરૂ કર્યા બાદ સરકારે ગેરરીતિ સહિતના મુદ્દા માટે સીટની રચના કરીને તપાસ કરવાનું કામ સોપ્યું હતું.
16 ડિસેમ્બર 2019ને સોમવારે સીટના અહેવાલમાં પરીક્ષામાં ગેરરીતિ થઇ હોવાની બાબત બહાર આવી હતી. બિનસચિવાલય ક્લાર્કની ભરતી પરીક્ષામાં ગુજરાતના ત્રણ હજારથી વધુ કેન્દ્રો પર સાત લાખ જેટલાં ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. ત્રીજી ડિસેમ્બરે આ પરીક્ષામાં ચોરી થઇ હોવાના પુરાવા સામે આવતાં ઉમેદવારોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને પરીક્ષા રદ કરવાની માગ થઇ હતી.
ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ એ અંગેની વિગત આપતા જણાવ્યું હતું કે, વિદ્યાર્થી આગેવાનોએ પુરાવારૂપે ૧૦ જેટલા મોબાઈલ, સીસીટીવી આપ્યા હતા, જેની લેબોરેટરી દ્વારા ચકાસણી કરવામાં આવી છે. સીસીટીવીમાં પરીક્ષાર્થીઓ એકબીજાને પૂછીને જવાબો લખતા જોવા મળ્યા હતા.
સીટના રિપોર્ટ આવ્યા બાદ એસઆઈટીએ મુખ્યમંત્રીને રિપોર્ટ સોંપ્યો હતો. ત્યાર બાદ આ પરીક્ષા રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ મામલે કુલ ચાર ફરિયાદ નોંધાઈ છે. દોષિતો સામે ફરિયાદ નોંધવામાં આવશે અને આરોપી ઉમેદવારો પર સરકારી પરીક્ષા આપવા પર ત્રણ વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવશે. તેમણે ઉમેદવારોએ આપેલી તમામ સીસીટીવી ફૂટેજ ક્લિપ ચકાસી હતી અને તેને સાચી પુરવાર કરવા માટે એફએસએલને પણ મોકલી હતી. આ તપાસ દરમિયાન વીડિયો ફૂટેજની ક્લિપ સાચી હોવાનું માલૂમ પડ્યું છે. તે સિવાય અમુક પરીક્ષા કેન્દ્રો પરથી કેટલાંક ઉમેદવારોએ વૉટ્સએપ મારફતે પ્રશ્ર્નપત્રનો ફોટો પાડીને અન્ય વ્યક્તિને મોકલ્યા હતા અને તે તસવીરો થોડી જ મિનિટોમાં વાઇરલ થઇ ગઇ હતી. એસઆઇટીએ આ બાબતની સચ્ચાઇ તપાસતા તે વાત પણ સાચી પડી હતી.
સરકારે ધોરીમાર્ગના ટૉલ પ્લાઝાના ફાસ્ટૅગ લૅનના પચીસ ટકાનું એક મહિના માટે હાઇબ્રિડ લૅનમાં રૂપાંતર કરવાની શનિવારે જાહેરાત કરતા નાગરિકોને કામચલાઉ થોડી રાહત મળી છે. હાઇબ્રિડ લૅનમાં ફાસ્ટૅગ અને ટૉલ ચુકવણીના અન્ય માધ્યમને સ્વીકારાશે.
અગાઉ, સરકારે ફાસ્ટૅગનો ફરજિયાત અમલ પહેલી ડિસેમ્બરથી કરવાની જાહેરાત કરી હતી. બાદમાં આ મર્યાદા ૧૫મી ડિસેમ્બરની કરી હતી.
માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે જણાવ્યું હતું કે નેશનલ હાઇવે ઑથૉરિટી ઑફ ઇન્ડિયાની વિનંતિને પગલે અને નાગરિકો મુશ્કેલીમાં ન મુકાય તે માટે પચીસ ટકા ફાસ્ટૅગ લૅનનું રૂપાંતર એક મહિના માટે હાઇબ્રિડ લૅનમાં કરાશે અને આવા લૅન પરથી દરેક રીતે ટૉલની ચુકવણી કરી શકાશે. આમ છતાં, ટૉલ પ્લાઝાના અંદાજે ૭૫ ટકા લૅન ફાસ્ટૅગ લૅન રહેશે.
મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે ટૉલ પ્લાઝા ખાતેની આ સુવિધા માત્ર ૩૦ દિવસ માટે જ લંબાવાઇ છે.
ટૉલ પ્લાઝા પર વાહનોએ લાંબી લાઇન લગાડવી ન પડે તે હેતુસર નેશનલ ઇલેક્ટ્રૉનિક ટૉલ કલૅક્શન પ્રૉગ્રામનો અમલ દેશભરમાં કરવાનો નિર્ણય લેવાયો હતો, પરંતુ ફાસ્ટૅગ મળવામાં પડતી મુશ્કેલીને ધ્યાનમાં રાખીને તેને ફરજિયાત બનાવવાનું એક મહિના માટે લંબાવાયું છે.
ફાસ્ટૅગને લગતી સહાય માટે ૧૦૩૩ હૅલ્પલાઇન પર ફૉન કરી શકાય છે. બૅન્કો દ્વારા પણ ફાસ્ટૅગનું વિતરણ કરાય છે.
ગુજરાતમાં ગૌણ સેવાની ભરતી પરીક્ષાનો હોબાળો હજુ શમ્યો નથી ત્યારે વધુ એક ભરતી પરીક્ષા રદ કરવામાં આવી હતી. સરકારી વીજ કંપની પીજીવીસીએલ, ડીજીવીસીએલ, એમજીવીસીએલ માટે ૧૫૦ એન્જિનિયરો અને ૭૦૦થી વધુ કલાર્કની પરીક્ષા રદ કરવામાં આવી હતી. આ પરીક્ષા રદ કરવા માટેનું કારણ આપ્યા વગર જ ભરતી રદ કરવામાં આવી હોવાનો માત્ર એક મેસેજ આપતા ઉમેદવારોમાં રોષ ફેલાઈ ગયો છે.
પશ્ચિમ ગુજરાત વીજ કંપની, દક્ષિણ ગુજરાત વીજ કંપની અને મધ્યગુજરાત વીજ કંપનીઓમાં કારકૂનોની ભરતી માટે ગત વર્ષ ૨૦૧૮ના જુલાઈ મહિનામાં રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યા હતા, જે માટે દરેક ઉમેદવારો પાસેથી ૫૦૦ રૂપિયા લીધા હતા. ભરતી રદ્ના મેસેજમાં તેવું પણ જણાવવામાં આવ્યું હતું કે, પરીક્ષા ફોર્મ સમયે ભરવામાં આવેલી ફીનું રિફન્ડ મળશે. આ અંગેની વધુ માહિતી માટે તમારે વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે. થોડા જ સમયમાં આ અંગેની બીજી જાહેરાત પણ બહાર પાડવામાં આવશે.
રાજ્ય સરકાર દ્વારા આ ભરતી માટેની લાયકાત નક્કી કરવામાં આવી હતી, તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેના કારણે આ ભરતી પરીક્ષા રદ કરવામાં આવી છે. આ પરીક્ષા રદ કરવા પાછળ સરકારે આ કારણ આપ્યું છે. સરકારે ઈડબ્લ્યુએસના ક્વોટાના નિયમનું અમલીકરણ કરવાને કારણે પરીક્ષા રદ કરવામાં આવી હતી.
સૂરત જેવા ટાયર ટૂ અને ટાયર થ્રી સિટીઝમાં ઓનલાઇન શોપિંગના વધેલા આંકડાઓએ શોપિંગ સાઇટ્સના સંચાલકોને ઉત્સાહમાં લાવી દીધા છે. ભારતના બીજી અને ત્રીજી શ્રેણીનાં શહેરોમાં લક્ઝરી ચીજવસ્તુઓના ફેક્ટરી સ્ટોર અને હાઇએન્ડ લક્ઝરી મોલ્સ ન હોવાથી આવી વસ્તુઓ ખરીદવા માટે ઓનલાઇન ઓર્ડર્સ આપવાનું પ્રમાણ વધ્યું છે. નાનાં શહેરોના ગ્રાહકોએ તેમની લક્ઝરી મહત્ત્વાકાંક્ષા સંતોષવા માટે ઓનલાઇન વિકલ્પ પસંદ કર્યો હોવાથી Darveys.com, Luxepolis, Elitify અને ટાટા ગ્રૂપની TataCliq જેવી કેટલીક વેબસાઇટને લક્ઝરી આઇટમ માટે પ્રથમ શ્રેણીનાં શહેરો કરતાં નાનાં શહેરોમાંથી મળતા ઓર્ડર્સમાં જોરદાર વૃદ્ધિ થઈ રહ્યાના રિપોર્ટસ પ્રકાશમાં આવ્યા છે.
Darveys.com, Luxepolis, Elitify અને ટાટા ગ્રૂપની TataCliq જેવી શોપિંગ સાઇટ્સ પરથી લોકો વધુ ખરીદી કરી રહ્યા છે
બીજી અને ત્રીજી શ્રેણીનાં શહેરોના અનેક ગ્રાહકો ઓછી કિંમતની લક્ઝરી ચીજવસ્તુઓ ખરીદવાનું પસંદ કરતા હોવાથી Darveys, Luxepolis અને Elitify જેવી વેબસાઇટ માટે નવા માર્કેટ્સ ખૂલ્યાં છે.
ઓફલાઇન લક્ઝરી મલ્ટિ-બ્રાન્ડ રિટેલર ધી કલેક્ટિવનું 45-50 ટકા વેચાણ બીજી અને ત્રીજી શ્રેણીનાં શહેરોમાં થાય છે. ધી કલેક્ટિવની કુલ આવકમાંથી 9 ટકા આવક ઓનલાઇન લક્ઝરી વેચાણની હોય છે. હૈદરાબાદ, કાનપુર, ઔરંગાબાદ અને હરિયાણાના નર્વાના જેવાં શહેરોમાંથી ઓર્ડર્સ મળી રહ્યા છે.
Elitifyના સત્તાવાર સૂત્રો કહે છે કે ઇન્દોર, લુધિયાણા, જલંધર જેવા બીજી શ્રેણીનાં શહેરોમાંથી ઘણા ઓર્ડર્સ મળી રહ્યા છે. માર્કેટનું આ સેક્શન સૌથી ઝડપે વૃદ્ધિ કરી રહ્યું છે.
મોટા ભાગના ગ્રાહકો બાર્ગેન હંટિંગ માટે ઓનલાઇન તરફ વળ્યા છે. જેમ કે, 2019માં લક્ઝરી મોલના મેનેજર્સે ઓછું વેચાણ નોંધ્યું હતું જેની સામે લક્ઝરી ગૂડ્ઝ વેચતી વેબસાઇટ પર 20-50 ટકા ઓછી કિંમતે વસ્તુઓ મળતી હોવાથી તેમને મળતા ઓર્ડર્સની સંખ્યા વધી હતી.
Darveys.comને નાનાં શહેરોમાંથી મળતા ઓર્ડર્સમાં 50 ટકાનો વધારો થયો છે જ્યારે દિલ્હી અને મુંબઈ જેવાં મોટાં શહેરોમાંથી મળતા ઓર્ડર્સમાં માત્ર 25 ટકા વૃદ્ધિ થઈ છે. Darveysના સ્થાપક ગ્રુપના જણાવ્યા અનુસાર ચોખ્ખા આંકડા જોવામાં આવે તો નાનાં શહેરોમાંથી વધારે ઓર્ડર્સ મળી રહ્યા છે.
લક્ઝરી ચીજવસ્તુઓ વેચતી કંપની Luxepolis સૂત્રો જણાવે છે કે લગભગ 45 ટકા વેચાણ નાનાં શહેરોમાં થાય છે. છેલ્લાં ત્રણ વર્ષમાં બીજી અને ત્રીજી શ્રેણીનાં શહેરોમાંથી મળતું વેચાણ 25 ટકા વધી ગયું હતું અને 2021 સુધીમાં તે 50 ટકા વધવાની ધારણા છે.
Darveysને મળતા કુલ ઓર્ડર્સમાં બીજી, ત્રીજી અને ચોથી શ્રેણીનાં શહેરોમાંથી મળતા ઓર્ડર્સનો હિસ્સો 2015માં માત્ર 20 ટકા હતો, જે વધીને 50 ટકા થયો છે. 8 નવેમ્બર 2016ના રોજ નોટબંધીની જાહેરાત થઈ ત્યારથી પ્રથમ શ્રેણીનાં શહેરોમાંથી વેબસાઇટને મળતા ગ્રાહક દીઠ ઓર્ડર્સનું સરેરાશ કદ ₹36,000થી ઘટીને ₹26,000 થયું છે જેની સામે બીજી અને ત્રીજી શ્રેણીનાં શહેરોમાંથી થતો ગ્રાહક દીઠ સરેરાશ ખર્ચ ₹14,000થી વધીને ₹18,000 થયો છે.
Luxepolisના વિજયે ઉમેર્યું હતું કે, “ઉદ્યોગો અને ખેતી સાથે સંકળાયેલા સંપત્તિવાન લોકો લક્ઝરી વસ્તુઓ ખરીદતા હોવાનું અત્યાર સુધીના વેચાણ પરથી જાણવા મળ્યું છે, પરંતુ છેલ્લા ઘણા મહિનાઓથી IT, BPO, KPO, ઇ-કોમર્સ જેવી સર્વિસ ઇન્ડસ્ટ્રીઝના યુવા કર્મચારીઓ તરફથી પણ સારો ટ્રાફિક મળ્યો છે કારણ કે, આ સેક્ટરની કંપનીઓએ તેમની ઓફિસો બીજી અને ત્રીજી શ્રેણીનાં શહેરોમાં શરૂ કરી છે.
નાગરિકતા સંશોધન બિલને લઈને આસામમાં પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણના અહેવાલો પણ આવી રહ્યા છે. આ દરમિયાન પોલીસે પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના સેલ છોડ્યા હતા. પ્રદર્શન વધતા દિબ્રુગઢમાં સેના પણ બોલાવવામાં આવી છે અને ઘણી ટ્રેનોને રદ્દ કરી દેવામાં આવી છે અને કેટલાકના રૂટ બદલી દેવામાં આવ્યા છે. ઘણી ટ્રેનોના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.
નાગરિકતા સંશોધન બિલને લઈને આસામમાં વિરોધ પ્રદર્શન વધારે ઉગ્ર બની રહ્યું છે. બુધવારે પ્રદર્શનકારીઓએ રાજધાની દિસપુરમાં જનતા ભવન નજીક બસોમાં આગ ચાંપી દીધી હતી. અહેવાલ પ્રમાણે વિરોધ પ્રદર્શન હિંસક બનતા સરકાર પણ સતર્ક થઈ ગઈ છે અને પ્રદેશના 10 જિલ્લામાં બુધવારે સાંજે સાત વાગ્યાથી ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે.
ઈન્ટરનેટ સેવાઓ 12 ડિસેમ્બર સાંજે સાત વાગ્યા સુધી લખીમપુર, તિનસુકિયા, ઢેમાજી, દિબ્રુગઢ, ચરાયદેવ, શિવસાગર, જોરહાટ, ગોલઘાટ, કામરૂપ મેટ્રો અને કામરૂપ જિલ્લામાં બંધ કરવામાં આવી છે.
રાજધાનીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી
પ્રદર્શનકારીઓને સચિવાલય તરફ આગળ વધતા જોયા બાદ પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો
હતો. આ દરમિયાન પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. વિદ્યાર્થીઓએ
જીએસ રોડ પર રાખવામાં આવેલા બેરિકેડ્સ તોડી દીધા હતા અને તે જોતા પોલીસે લાઠીચાર્જ
પણ કર્યો હતો. વિદ્યાર્થીઓ પર ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.