CIA ALERT

ડેવલપમેન્ટ Archives - Page 98 of 144 - CIA Live

December 20, 2019
kejriwal.jpg
1min4950

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ગુરુવારે દિલ્હીમાં ફ્રી વાઈફાઈ યોજના શરૂ કરી હતી અને કહ્યું હતું કે સુધારવામાં આવેલા સિટીઝનશિપ ઍક્ટના વિરોધમાં પ્રદશ૪ન ચાલી રહ્યું હોવાને કારણે વહીવટકર્તાઓ દ્વારા આજના દિવસે જ દિલ્હીમાં ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી તે ખરેખર વિરોધાભાસી છે.

કેજરીવાલે કહ્યું હતું કે દેશના ૭૦ ટકા લોકો ભયભીત છે કેમ કે તેમની પાસે તેમની ભારતીય નાગરિકતા પુરવાર કરતા દસ્તાવેજો નથી.

જે દિવસે દિલ્હીમાં ફ્રી વાઈફાઈ સેવા શરૂ કરવામાં આવી તે જ દિવસે પોલીસે ઈન્ટરનેટ સેવા બંધ કરી એ ખરેખર વિરોધાભાસી બાબત છે એમ જણાવતાં કેજરીવાલે કહ્યું હતું કે મને આશા છે કે જલદી જ પરિસ્થિતિ સામાન્ય બનશે ને ઈન્ટરનેટ સેવા પૂર્વવત કરવામાં આવશે.

કેજરીવાલે કહ્યું હતું કે સિટીઝનશિપ ઍક્ટમાં સુધારો કરવાની કોઈ જ જરૂર નહોતી અને સરકારે યુવાનોને રોજગાર પૂરો પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈતું હતું.

આ કાયદો હાલ અમલમાં ન મૂકવાની હું કેન્દ્ર સરકારને બે હાથ જોડીને વિનંતી કરું છું, એમ કેજરીવાલે કહ્યું હતું.

સિટીઝનશિપ ઍક્ટના વિરોધમાં કરવામાં આવી રહેલા વિરોધપ્રદર્શનને પગલે પોલીસે આપેલી સૂચનાને કારણે ટેલિકોમ કંપનીઓએ દિલ્હી-એનસીઆર સહિતના વિસ્તારોમાં ગુરુવારે ઈન્ટરનેટ, વૉઈસ કૉલ અને મૅસેજ સેવા બંધ કરી દીધી હતી. માત્ર દિલ્હીમાં જ નહીં દિવસે દિવસે દેશભરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોવા અંગે કેજરીવાલે ઘેરી ચિંતા વ્યક્ત કરી હતી.

માત્ર મુસ્લિમો જ નહીં દરેક નાગરિક એ ભયથી ફફડી રહ્યો છે કે તેમણે તેમની નાગરિકતા પુરવાર કરવી પડશે એમ જણાવતાં કેજરીવાલે કહ્યું હતું કે ૭૦ ટકા લોકો-ખાસ કરીને ગરીબો પાસે તેમની નાગરિકતા પુરવાર કરતા દસ્તાવેજ નથી અને તેમને એ ડર સતાવી રહ્યો છે કે દેશમાંથી તેમને હાંકી કાઢવામાં આવશે. સિટીઝનશિપ અમેન્ડમેન્ડ ઍક્ટ-સીએએ કશું જ સિદ્ધ નહીં કરી શકે, એમ તેમણે કહ્યું હતું.

વર્ષ ૨૦૧૫ની વિધનસભાની ચૂંટણીમાં અમારા પક્ષે આપેલા તમામ વચનો આમઆદમી પાર્ટીએ પૂરા કર્યા છે એમ જણાવતાં કેજરીવાલે કહ્યું હતું કે ફ્રી વાઈફાઈ સેવા પૂરી પાડનાર દિલ્હી વિશ્ર્વનું પહેલું શહેર છે.

December 19, 2019
amit_shah1.jpg
1min4600

કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહનો ગુજરાતનો ગુરુવારનો બે દિવસનો કાર્યક્રમ રદ થયો છે. સંસદમાં પસાર કરાયેલા સિટીઝન એક્ટ (સીએએ) તથા દેશમાં લાગુ થનારા નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન (એનઆરસી) એક્ટને લઇને દેશભરમાં ઊભા થયેલા વિરોધ અને હિંસક દેખાવો સાથે ઉગ્ર વિરોધ વ્યક્ત થઇ રહ્યો છે. આ સંજોગોમાં બુધવારે સંસદના શિતકાલીન સત્ર પછી પણ તેઓ આ તમામ સહિત અન્ય રાજકીય બાબતોમાં વ્યસ્ત છે. આ કારણોસર અમિતભાઇએ આગામી ત્રણેક દિવસ માટે તેમના જાહેર કાર્યક્રમો તથા પ્રવાસોને રદ કરવાનું નક્કી કર્યું છે.

ગુજરાતના દેશ-વિદેશમાં પથરાયેલા પાટીદારોના કુળદેવી માતા ઉમિયાના ધામ ઊંઝા-મહેસાાણા ખાતે બુધવારથી લક્ષચંડી મહાયજ્ઞ સમારોહનો આરંભ થયો છે અને આ સમારોહમાં ઉપસ્થિત રહેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહને પણ આયોજકો દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું. અમિતભાઇ ગુરુવારે આવવાના હતા અને આ સમારોહમાં ઉપસ્થિત રહેશે એવી શક્યતાઓને લઇ વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઇ હતી.

December 19, 2019
ekbharat.jpg
1min12470

‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ કાર્યક્રમમાં ભાગ લેનારાઓને મુસાફરી પાછળના ખર્ચમાં રાહત આપવાના હેતુથી રેલવે તંત્ર તેમને મુસાફરીના મૂળ ભાડાંમાં ૫૦ ટકા કન્શેસન આપશે. સેકન્ડ/સ્લીપર ક્લાસ સંબંધિત આ કન્શેસન એવા યુવા વર્ગને આપવામાં આવશે જેમની માસિક કમાણી અથવા પગાર ૫,૦૦૦ રૂપિયાથી વધુ ન હોય.

રેલવે મંત્રાલયના નિવેદનમાં એવું પણ જણાવાયું હતું કે આ કન્શેસન માત્ર સામાન્ય ટ્રેન સેવા માટે ખાસ સવલત તરીકે આપવામાં આવી રહ્યું છે. આ સુવિધા સ્પેશિયલ ટ્રેન કે સ્પેશિયલ કોચને લાગુ નહીં પડે.

‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ ઉત્સવના સ્થળ સુધીના ૩૦૦ કિલોમીટરથી વધુ અંતરનો પ્રવાસ કરનારા યુવા વર્ગને રિટર્ન પ્રવાસ માટે પણ આ ક્ધસેશન આપવામાં આવશે. નિવેદનમાં જણાવાયું હતું કે ‘આ ક્ધસેશન વિવિધ રાજ્યોના માનવ સંશાધન વિકાસ ખાતાના સચિવ દ્વારા બહાર પાડવામાં આવતું રેલવે ફૉર્મેટવાળું સર્ટિફિકેટ રજૂ કરનારને આ ક્ધસેશન અપાશે.

કન્શેસન માટે અરજી કરનારે રેલવેના સત્તાધારી અધિકારીઓ જેમ કે ચીફ કમર્શિયલ મૅનેજર, ડિવિઝનલ કમર્શિયલ મૅનેજર વગેરેને સર્ટિફિકેટ સુપરત કરવાનું રહેશે અને એ તપાસીને આ અધિકારી કનસેશન ઑર્ડર બહાર પાડશે જે રજૂ કરવાથી અરજી કરનારને સ્ટેશન માસ્તર કન્શેસન આપશે.’

જે અરજી કરનારનો ખર્ચ કેન્દ્ર કે રાજ્ય સરકાર કે સ્થાનિક સરકારી સંસ્થા કે નગરપાલિકા કે સરકારી એકમ કે યુનિવર્સિટી ઉપાડતી હોય તેમને આ સર્ટિફિકેટ નહીં મળે.

December 19, 2019
rawat.jpg
1min4840

એલઓસી પર ગમે ત્યારે સ્થિતિ વણસવાની શક્યતા સેનાધ્યક્ષ બીપીન રાવતે દર્શાવતા જણાવ્યું હતું કે દેશે ગમે તે પરિસ્થિતિ માટે તૈયાર રહેવું પડશે અને ભારતીય સેના ગમે તેવી વણસેલી પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે.

પાંચમી ઑગસ્ટ બાદ જમ્મુ અને કાશ્મીરની સરહદે પાકિસ્તાન તરફથી વધેલા ગોળીબાર અને તોપમારાને ધ્યાનમાં લઇને એમણે આ વાત કહી હતી.

રાજ્યકક્ષાના કેન્દ્રીય ગૃહ પ્રધાન જી. કિશન રેડ્ડીએ લોકસભાને ગયા મહિને જણાવ્યું હતું કે ઑગસ્ટથી ઑક્ટોબર ૨૦૧૯ વચ્ચે પાકિસ્તાને ૯૫૦ વખત યુદ્ધવિરામનો ભંગ કર્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર એલઓસી પર પાકિસ્તાનની બેટની ટુકડી વારંવાર ભારતીય સેનાને નિશાન બનાવીન હુમલા કરતી રહે છે. બેટમાં પાકિસ્તાની કમાન્ડો તથા ત્રાસવાદીઓનો સમાવેશ થાય છે.

દરમિયાન, ઉત્તરી કમાનના જનરલ ઑફિસર કમાન્ડિંગ ઇન ચીફ લે. જનરલ રણબીરસિંહે બુધવારે કેન્દ્રશાસિત પ્રદેશ લડાખના સિયાચિન ગ્લેશિયરની મુલાકાત લઇને યુદ્ધની તૈયારીની સમિક્ષા કરી હતી.

આ પ્રસંગે અગ્રિમ ચોકીઓ પર તહેનાત જવાનો સાથે એમણે વાતચીત કરી હતી અને એમની કાર્યકુશળતાના વખાણ કર્યા હતા. એમણે જવાનોને કાયમ સતર્ક અને યુદ્ધ માટે તૈયાર રહેવાની સલાહ આપી હતી.

કારાકોલમ પર્વતમાળામાં સમુદ્રની સપાટીથી ૨૦,૦૦૦ ફૂટની ઊંચાઇએ આવેલા સિયાચિન ગ્લેશિયરમાં વિશ્ર્વના સૌથી ઊંચી લશ્કરી છાવણી સ્થિત છે.

અહીં દેશની સરહદની રક્ષા કરતા ભારતીય જવાનોને દુશ્મનો સિવાય બરફના તોફાનો, ભૂસ્ખલન અને ભારે ઠંડીનો સામનો પણ કરવો પડે છે. અહીંનું તાપમાન ક્યારેક માઇનસ ૬૦ ઔંસ સુધી નીચું જતું હોય છે.

December 18, 2019
CIA_Live_Logo_New2.jpg
1min6180

નિર્ભયા બળાત્કાર કેસના ચાર આરોપીઓ પૈકીના એક આરોપી અક્ષય ઠાકુરે ફાંસની સજા સામે સુપ્રીમ કોર્ટમાં કરેલી પુર્નવિચાર અરજી પર આજે સુનાવણી સંપન્ન થયા બાદ સુપ્રીમ કોર્ટે પુનર્વિચાર અરજી ફગાવી દીધી છે. આ સાથે જ હરામખોર રેપિસ્ટોને ફાંસીની સજા મળે એ વચ્ચેનો વધુ એક અંતરાય દૂર થવા પામ્યો છે. સુપ્રીમ કોર્ટે ક્લીયર કટ સૂચના આપી હતી કે દિલ્હી હાઇકોર્ટ તેમજ એપેક્ષ કોર્ટે આપેલા ચૂકાદામાં એક નાની અમથી પણ ક્ષતિ નથી. આ ગુનેગારની અરજી પર ફરીથી દલીલો શક્ય નથી. અત્રે એ ઉલ્લેખનીય છે કે અગાઉ ત્રણય આરોપીઓ આ અંગેની અરજી કરી ચૂક્યા છે તેમને પણ ફગાવી દેવામાં આવી હતી.

જસ્ટિસ ભાનુમતિની અધ્યક્ષતાવાળી બેન્ચ આ અરજી પર ચુકાદો આપશે. દોષીત પક્ષના વકીલે કોર્ટમાં એકપછી એક તર્ક રજૂ કર્યા હતા. તેમણે દિલ્હીમાં પ્રદૂષણ અને ખરાબ હવાનું કારણ આપતા ફાંસીની સજા નહીં આપવા અપીલ કરી હતી. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણઆવ્યું કે કોઈપણ કાળે આ ગુનાને માફ કરી શકાય નહીં.

જસ્ટિસ ભાનુમતિ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એએસ બોપન્નાની ખંડપીઠે બન્ને પક્ષની દલીલો સાંભળ્યા બાદ બપોરે એક વાગ્યો ઓર્ડર આપવાનું જણાવ્યું હતું. કોર્ટરૂમમાં ચર્ચા દરમિયાન દોષી અક્ષયના વકીલ એપી સિંહે પોતાના અસીલને ફાંસીની સજા નહીં કરવા માંગ કરી હતી.

સરકાર પક્ષના વકીલ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું કે ટ્રાયલ કોર્ટે તમામ દલીલો અને પુરાવાને ચકાસીને ફાંસીની સજા ફટકારી છે, જે સુપ્રીમ કોર્ટે પણ યોગ્ય ઠેરવી છે. આ ગુનો એટલો ગંભીર છે કે ભગવાન પણ માફ કરી શકે તેમ નથી. આવા ગંભીર ગુના બદલ ફાંસી જ થવી જોઈએ.

December 18, 2019
Gandhinagar-Gujarat.jpg
1min5470

રાજ્ય સરકારે ગુજરાત વીજ નિયમન આયોગ સમક્ષ વીજ ભાવવધારો નહીં માંગવાનો નિર્ણય કર્યો હોવાની સરકારે આજે જાહેરાત કરી હતી. જોકે રાબેતા મુજબ વીજ દરમાં પ્રતિ યુનિટે ૧૦ પૈસા જેટલોવધારો થતો હતો. આ અંગે ઉર્જા પ્રધાન સૌરભ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના વીજ વપરાશ ગ્રાહકો પર વીજ ભારણનો બોજો ભાવવધારાના સ્વરૂપે ન પડે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

વીજ વિતરણ વ્યવસ્થાનું આધુનિકરણ કરવામાં આવશે, જેને કારણે વીજ વિતરણ દરમિયાન થતાં નુકસાનમાં ઘટાડો થશે. વીજખરીદી તથા વીજ વિતરણ કંપનીઓની કાર્યશક્તિમાં વધારો થશે અને રૂ. ૮૮૨ કરોડનું વીજ ભારણ સરભર કરી શકાશે. ઊર્જા પ્રધાને એવું પણ કહ્યું હતું કે, વર્ષ ૨૦૨૦-૨૧ માટે કુલ વસુલાત પાત્ર રાજસ્વની ૨કમ રૂા.૫૨,૩૯૮ કરોડ થાય છે, જેની સામે હયાત વીજ દર અને મંજૂર કરેલ વીજ વેચાણ (૮૭,૮૨૪ મિલિયન યુનિટ્સ) મુજબ વીજ ગ્રાહક પાસેથી થનાર અંદાજીત આવક રૂા. ૫૧,૫૦૭ કરોડ થાય છે.

આમ વર્ષ ૨૦૨૦-૨૧ માટે હયાત વીજ દર મુજબ ખાધની કુલ રકમ રૂા.૮૮૨ કરોડ થાય છે. એમવાયટી રેગ્યુલેશન મુજબ આ ખાધની ૨કમ ગ્રાહકના વીજદ૨માં વધારા રૂપે વસુલ કરવાની થાય છે. આ રૂા. ૮૮૨ કરોડની ખાધનું ભારણ જો તમામ કક્ષાના વીજ ગ્રાહકના દરમાં સમાન રીતે વધારો સૂચવવામાં આવે તો આશરે રૂા. ૦.૧૦ પ્રતિ યુનિટ થાય છે. જ્યારે આ ભારણ જો ખેત વિષયક ગ્રાહકો સિવાયના અન્ય તમામ ગ્રાહકો પર લાદવામાં આવે તો આશરે રૂા. ૦.૧૩ પ્રતિ યુનિટ થાય છે.

December 17, 2019
coldwave.jpg
1min6620

રાજ્યમાં કમોસમી વરસાદમાંથી મળેલી રાહત બાદ હવે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ઉત્તર ભારતના રાજ્યોમાં થઇ રહેલી હિમવર્ષાની અસર ગુજરાતમાં વર્તાઇ રહી છે. અનેક જગ્યાએ પારો હવે 12થી પણ નીચે પહોંચી ગયો છે. ગુજરાતમાં ઠંડીનો પારો ગગડતા લોકો ઠુઠવાઇ રહ્યા છે. આગામી બે મહિના સુધી ગુજરાતના તમામ શહેરોમાં ઠંડીનો પારો નીચે રહેવાની સંભાવના છે.

રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયા ખાતે 9 ડિગ્રી નોંધાયું છે. સૂરત, વડોદરા, રાજકોટ, અમદાવાદ સહિત અનેક શહેરોમાં ઠંડા પવનો ફૂંકાવાના કારણે ઠંડીનો ચમકારો વધ્યો છે. સૌરાષ્ટ્રમાં સૌથી નીચું તાપમાન રાજકોટમાં 11.8 ડિગ્રી નોંધાયું છે. દરમિયાન હવામાન વિભાગ દ્વારા ઠંડીમાં વધારો થવાનું કહેવામાં આવી રહ્યું છે.

સૌરાષ્ટ્રમાં કાતીલ ઠંડીનો માહોલ

સૌરાષ્ટ્રમાં આજે સૌથી નિચુ તાપમાન રાજકોટમાં 11.8 ડિગ્રી નોંધાયું હતુ. જ્યારે ગીરનાર પર્વત પર તાપમાન 13.5 ડિગ્રી નોંધાયું હતુ. આ સિવાય સુરેન્દ્રનગરમાં 12.2, અમરેલીમાં 12.4, જામનગરમાં 14, ભાવનગરમાં 16.5 અને જૂનાગઢમાં 18.5 ડિગ્રી’ લઘુત્તમ તાપમાન નોંધાયું હતુ. રાજ્યમાં અમદાવાદમાં આજે દિવસ દરમિયાન ઠંડા પવનો ફૂંકાયા હતા અને લોકોએ ઠંડીનો અનુભવ કર્યો હતો. તીવ્ર ઠંડીના લીધે જનજીવન ઉપર પણ અસર થઈ છે. આજે નલિયામાં લઘુત્તમ તાપમાન ઘટીને 9.6 ડિગ્રી થઇ ગયું હતું. જ્યારે ડિસામાં પારો 10.6 રહ્યો હતો. ગાંધીનગરમાં 11.8 અને વીવીનગરમાં લઘુત્તમ તાપમાન 10.6 ડિગ્રી રહ્યું હતું.

ઠંડીમાં એકાએક વધારો થતાં ગરમ વસ્ત્રોના બજારમાં જોરદાર તેજી જામી છે. હાલમાં તબીબો પાસે જુદા જુદા પ્રકારના બેવડી સિઝનના ઈન્ફેકશન અને ફૂડ પોઈઝનીંગના કેસો સાથે લોકો વધુ આવી રહ્યા છે.

December 17, 2019
government_gujarat.jpg
1min6000

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ૧૭ નવેમ્બરે ૨૦૧૯ના રોજ લેવાયેલી બિનસચિવાલય ક્લાર્કની ભરતી પરીક્ષામાં ગેરરીતિઓ થઇ હોવાનો આખરે સરકારે સ્વીકાર કરીને હવે આ પરીક્ષા નવેસરથી લેવાનો નિર્ણય કર્યો છે.

કૉંગ્રેસે આ પરીક્ષામાં થયેલી ચોરીના સીસીટીવી કૂટેજ જાહેર કરીને આખી પરીક્ષા રદ કરવાની માગણી કર્યા બાદ યુવાનોએ ગાંધીનગર સહિતના સ્થળોએ દેખાવો અને ધરણાં કરીને આંદોલન શરૂ કર્યા બાદ સરકારે ગેરરીતિ સહિતના મુદ્દા માટે સીટની રચના કરીને તપાસ કરવાનું કામ સોપ્યું હતું.

16 ડિસેમ્બર 2019ને સોમવારે સીટના અહેવાલમાં પરીક્ષામાં ગેરરીતિ થઇ હોવાની બાબત બહાર આવી હતી. બિનસચિવાલય ક્લાર્કની ભરતી પરીક્ષામાં ગુજરાતના ત્રણ હજારથી વધુ કેન્દ્રો પર સાત લાખ જેટલાં ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. ત્રીજી ડિસેમ્બરે આ પરીક્ષામાં ચોરી થઇ હોવાના પુરાવા સામે આવતાં ઉમેદવારોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને પરીક્ષા રદ કરવાની માગ થઇ હતી.

ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ એ અંગેની વિગત આપતા જણાવ્યું હતું કે, વિદ્યાર્થી આગેવાનોએ પુરાવારૂપે ૧૦ જેટલા મોબાઈલ, સીસીટીવી આપ્યા હતા, જેની લેબોરેટરી દ્વારા ચકાસણી કરવામાં આવી છે. સીસીટીવીમાં પરીક્ષાર્થીઓ એકબીજાને પૂછીને જવાબો લખતા જોવા મળ્યા હતા.

સીટના રિપોર્ટ આવ્યા બાદ એસઆઈટીએ મુખ્યમંત્રીને રિપોર્ટ સોંપ્યો હતો. ત્યાર બાદ આ પરીક્ષા રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ મામલે કુલ ચાર ફરિયાદ નોંધાઈ છે. દોષિતો સામે ફરિયાદ નોંધવામાં આવશે અને આરોપી ઉમેદવારો પર સરકારી પરીક્ષા આપવા પર ત્રણ વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવશે. તેમણે ઉમેદવારોએ આપેલી તમામ સીસીટીવી ફૂટેજ ક્લિપ ચકાસી હતી અને તેને સાચી પુરવાર કરવા માટે એફએસએલને પણ મોકલી હતી. આ તપાસ દરમિયાન વીડિયો ફૂટેજની ક્લિપ સાચી હોવાનું માલૂમ પડ્યું છે. તે સિવાય અમુક પરીક્ષા કેન્દ્રો પરથી કેટલાંક ઉમેદવારોએ વૉટ્સએપ મારફતે પ્રશ્ર્નપત્રનો ફોટો પાડીને અન્ય વ્યક્તિને મોકલ્યા હતા અને તે તસવીરો થોડી જ મિનિટોમાં વાઇરલ થઇ ગઇ હતી. એસઆઇટીએ આ બાબતની સચ્ચાઇ તપાસતા તે વાત પણ સાચી પડી હતી.

December 15, 2019
fastag.png
1min6200

સરકારે ધોરીમાર્ગના ટૉલ પ્લાઝાના ફાસ્ટૅગ લૅનના પચીસ ટકાનું એક મહિના માટે હાઇબ્રિડ લૅનમાં રૂપાંતર કરવાની શનિવારે જાહેરાત કરતા નાગરિકોને કામચલાઉ થોડી રાહત મળી છે. હાઇબ્રિડ લૅનમાં ફાસ્ટૅગ અને ટૉલ ચુકવણીના અન્ય માધ્યમને સ્વીકારાશે.

અગાઉ, સરકારે ફાસ્ટૅગનો ફરજિયાત અમલ પહેલી ડિસેમ્બરથી કરવાની જાહેરાત કરી હતી. બાદમાં આ મર્યાદા ૧૫મી ડિસેમ્બરની કરી હતી.

માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે જણાવ્યું હતું કે નેશનલ હાઇવે ઑથૉરિટી ઑફ ઇન્ડિયાની વિનંતિને પગલે અને નાગરિકો મુશ્કેલીમાં ન મુકાય તે માટે પચીસ ટકા ફાસ્ટૅગ લૅનનું રૂપાંતર એક મહિના માટે હાઇબ્રિડ લૅનમાં કરાશે અને આવા લૅન પરથી દરેક રીતે ટૉલની ચુકવણી કરી શકાશે. આમ છતાં, ટૉલ પ્લાઝાના અંદાજે ૭૫ ટકા લૅન ફાસ્ટૅગ લૅન રહેશે.

મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે ટૉલ પ્લાઝા ખાતેની આ સુવિધા માત્ર ૩૦ દિવસ માટે જ લંબાવાઇ છે.

ટૉલ પ્લાઝા પર વાહનોએ લાંબી લાઇન લગાડવી ન પડે તે હેતુસર નેશનલ ઇલેક્ટ્રૉનિક ટૉલ કલૅક્શન પ્રૉગ્રામનો અમલ દેશભરમાં કરવાનો નિર્ણય લેવાયો હતો, પરંતુ ફાસ્ટૅગ મળવામાં પડતી મુશ્કેલીને ધ્યાનમાં રાખીને તેને ફરજિયાત બનાવવાનું એક મહિના માટે લંબાવાયું છે.

ફાસ્ટૅગને લગતી સહાય માટે ૧૦૩૩ હૅલ્પલાઇન પર ફૉન કરી શકાય છે. બૅન્કો દ્વારા પણ ફાસ્ટૅગનું વિતરણ કરાય છે.

December 15, 2019
gujrat-012.jpg
1min6130

ગુજરાતમાં ગૌણ સેવાની ભરતી પરીક્ષાનો હોબાળો હજુ શમ્યો નથી ત્યારે વધુ એક ભરતી પરીક્ષા રદ કરવામાં આવી હતી. સરકારી વીજ કંપની પીજીવીસીએલ, ડીજીવીસીએલ, એમજીવીસીએલ માટે ૧૫૦ એન્જિનિયરો અને ૭૦૦થી વધુ કલાર્કની પરીક્ષા રદ કરવામાં આવી હતી. આ પરીક્ષા રદ કરવા માટેનું કારણ આપ્યા વગર જ ભરતી રદ કરવામાં આવી હોવાનો માત્ર એક મેસેજ આપતા ઉમેદવારોમાં રોષ ફેલાઈ ગયો છે.

પશ્ચિમ ગુજરાત વીજ કંપની, દક્ષિણ ગુજરાત વીજ કંપની અને મધ્યગુજરાત વીજ કંપનીઓમાં કારકૂનોની ભરતી માટે ગત વર્ષ ૨૦૧૮ના જુલાઈ મહિનામાં રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યા હતા, જે માટે દરેક ઉમેદવારો પાસેથી ૫૦૦ રૂપિયા લીધા હતા. ભરતી રદ્ના મેસેજમાં તેવું પણ જણાવવામાં આવ્યું હતું કે, પરીક્ષા ફોર્મ સમયે ભરવામાં આવેલી ફીનું રિફન્ડ મળશે. આ અંગેની વધુ માહિતી માટે તમારે વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે. થોડા જ સમયમાં આ અંગેની બીજી જાહેરાત પણ બહાર પાડવામાં આવશે.

રાજ્ય સરકાર દ્વારા આ ભરતી માટેની લાયકાત નક્કી કરવામાં આવી હતી, તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેના કારણે આ ભરતી પરીક્ષા રદ કરવામાં આવી છે. આ પરીક્ષા રદ કરવા પાછળ સરકારે આ કારણ આપ્યું છે. સરકારે ઈડબ્લ્યુએસના ક્વોટાના નિયમનું અમલીકરણ કરવાને કારણે પરીક્ષા રદ કરવામાં આવી હતી.