- માધવપુરા બેંકમાં રાજ્યના 45,544 થાપણદારોના નાણા ફસાયેલા
- 2001માં માધવપુરા બેન્કના ચેરમેન , એમ.ડી. અને શેરદલાલ કેતન પારેખની ત્રિપુટીએ 1800 કરોડ ચાંઉ કરી લીધાં હતા
- બેંકમાંથી 63 કરોડ છૂટ્ટા થશે
- 2 લાખની મર્યાદામાં રકમ અપાશે
- વિધવા-ત્યક્તા, વયસ્ક નાગરિકોને લાભ
- શનિવાર, તા.3 નવેમ્બર 2018થી નાણાંની ચૂકવણી શરૂ થશે
પોણા બે દાયકા પૂર્વે કથિત કૌભાંડને પગલે ફડચામાં ગયેલી માધવપુરા મર્કન્ટાઇલ બેંકમાં ફસાયેલી કરોડોની રકમ દિવાળીના પર્વ પૂર્વે રિલીઝ કરવામાં આવી છે. સેંકડો નહીં પણ હજારો થાપણદારોએ આ કદમને પગલે દિવાળી સુધરી ગઇ હોવાની લાગણી વ્યક્ત કરી છે. શનિવાર તા.3 નવેમ્બર 2018ના રોજ અમદાવાદમાં રિલીઝ કરાયેલી થાપણોના પ્રતિકરૂપે ચેક અર્પણ કરીને ચૂકવણાનો આરંભ કરાશે.
માધવપુરા બેન્ક કસ્ટમર્સ એસોસીએશન દ્વારા જણાવાયું હતું કે માધવપુરા બેંકમાં 45,544 થાપણદારોના નાણા ફસાયેલા છે. એ પૈકી રૂ. 63.33 કરોડની રકમનું ચૂકવણું બેંક દ્વારા કરવામાં આવશે. સામાન્ય થાપણદારોને 2 લાખની મર્યાદામાં નાણાં ચૂકવાશે. જોકે આ કારણે અસંખ્ય નાના થાપણદારોના નાણાં હાથ ઉપર આવી જતા મોટી રાહત થશે.
રાજ્યકક્ષાના કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રુપાલાના પ્રયત્નોથી સિનીયર સિટીઝન્સ અને વિધવા-ત્યક્તા બહેનોને 3 લાખ આપવામાં આવશે. સુપર સિનીયર સિટીઝનોને 5 લાખ સુધીની મર્યાદામાં રકમ પરત કરવામાં આવશે. અમદાવાદમાં તા. 3ના રોજ ગુજરાત રાજ્ય સહકારી બેંકના સહકાર ભવન ખાતે પરસોતમભાઇ રુપાલાની હાજરીમાં અજયભાઇ પટેલ તથા જ્યોતિન્દ્રભાઇ મહેતાના હસ્તે પ્રતિકરૂપે 2 લાખના ચેક થાપણદારો, ધાર્મિક સંસ્થાઓ, સહકારી બેંકો તથા જીવદયા સંસ્થાઓને આપવામાં આવશે. થાપણદારોએ 30-11-2018 સુધીમાં બેંકમાં અરજી કરવાની છે.
બેંક કસ્ટમર એસોસીએશન દ્વારા રિકવરીની સુંદર કામગીરી માટે અધિકારીઓનું સન્માન પણ કરવામાં આવનાર છે. એસોસીએશન દ્વારા 2001થી સતત રજૂઆતો કરવામાં આવી હતી. 2001માં માધવપુરા બેન્કના ચેરમેન , એમ.ડી. અને શેરદલાલ કેતન પારેખની ત્રિપુટીએ 1800 કરોડ ડુબાડી દીધા હતા. 160 કરતા વધારે સહકારી બેંકોના નાણા એમાં ફસાયા હતા. જોકે નાના રોકાણકારો અને થાપણદારોને એ કારણે મોટો ફટકો પડયો હતો. 2001થી 2006 સુધી લોકોને થોડી મૂડી મળી હતી પણ પછી 2014 સુધી તલ્લાગલ્લાં કરીને રકમ ચૂકવાઇ રહી ન હતી. જોકે મુખ્યમંત્રી અને પ્રધાનોની અલગ અલગ રજૂઆતો બાદ ફડચા અધિકારી દિલીપભાઇ રાવલે ઉત્તમ કામગીરી કરીને રકમ પરત અપાવી છે. એનાથી થાપણદારોમાં હરખની લાગણી ફેલાઇ છે.

























