રાજ્ય સરકાર દ્વારા એક તરફ વિકાસની દિશામાં હરણફાળ ભરવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ દેવામાં પણ તોતિંગ વધારો થઇ રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા છેલ્લાં પાંચ વર્ષમાં ૬.૬૮ થી ૯.૭૫ ટકાના વ્યાજના દરે રૂ. ૯૯,૩૯૩ કરોડની લોન લેવામાં આવી હતી. જ્યારે રાજ્યના જાહેર દેવામાં પાંચ વર્ષમાં રૂ.૬૭,૮૮૧ કરોડનો વધારો થયો હતો. જેની સામે પાંચ વર્ષમાં રૂ.૪૦,૬૯૮ કરોડ મુદલ અને રૂ. ૭૨,૬૯૮ કરોડ વ્યાજની ચુકવણી કરવામાં આવી હતી.

રાજ્ય સરકાર દ્વારા મેટ્રો સિટી, મહાનગરો અને નગરોમાં વિકાસ કરવામાં આવી રહ્યો છે. તેમજ ગામે ગામ રસ્તા અને પાણીની સુવિધાઓ આપવામાં આવી રહી છે. ત્યારે બીજી તરફ રાજ્યના દેવાનો પણ તેટલો જ વિકાસ થઇ રહ્યો હતો. રાજ્યના દેવામાં છેલ્લાં પાંચ વર્ષમાં અધધધ વધારો નોધાયો હતો. વર્ષ ૨૦૧૩-૨૦૧૪ માં રાજ્ય સરકારનું બાકી દેવું રૂ.૧,૪૯,૫૦૬ કરોડ હતું. જે વર્ષ ૨૦૧૭-૧૮ સુધીમાં સૂચિત રૂ. ૨,૧૭,૩૩૮ કરોડ થવાની સંભાવના રાજ્ય સરકાર દ્વારા વ્યકત કરવામાં આવી હતી. જે જોતા રાજ્ય સરકારના જાહેર દેવામાં પાંચ વર્ષમાં રૂ.૬૭,૮૩૨ કરોડનો વધારો થયો હતો. તેટલું જ નહીં રાજ્ય સરકાર દ્વારા છેલ્લાં પાંચ વર્ષમાં કુલ રૂ. ૯૯,૩૯૩ કરોડની નવી લોનો પણ લેવામાં આવી હતી. જોકે, તે લોન બે વર્ષથી દસ વર્ષ માટે લેવામાં આવી હતી.



















