CIA ALERT

ડેવલપમેન્ટ Archives - Page 120 of 142 - CIA Live

May 29, 2019
heatwave.jpg
1min5610

રાજ્યમાં દિવસેને દિવસે ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. તેમાં પણ વિદર્ભ ભઠ્ઠીમાં તપી રહ્યું છે. મંગળવારે વિદર્ભનું ચંદ્રપુર રાજ્યનો સૌથી વધુ ગરમ પ્રદેશ રહ્યો હતો. અહીં દિવસ દરમિયાન પારો 47.8 ડિગ્રી પર પહોંચી ગયો હતો.

ગરમીને કારણે અનેક લોકોને લૂ લાગવાના બનાવ પણ અહીં નોંધાયા હતા. હવામાન ખાતાએ આગામી ત્રણ દિવસ દરમિયાન હિટ વેવની ચેતવણી આપી હોવાથી લોકોને દિવસ દરમિયાન અગત્યનું કામ ના હોય તો ઘરની બહાર નીકળવું નહીં એવી ચેતવણી પણ આપવામાં આવી છે.

છેલ્લા દોઢ મહિનાથી વિદર્ભ, મધ્ય મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં તાપમાનનો પારો 40 ડિગ્રીની ઉપર નોંધાઈ રહ્યો છે. ગરમી અને લૂ લાગવાને કારણે સાતથી વધુ લોકોનાં મોત પણ થઈ ચૂકયા છે અને અનેક લોકો હૉસ્પિટલમાં સારવાર અર્થે દાખલ પર થયા છે ત્યારે આગામી ત્રણ દિવસ અહીં હિટ વેવની આગાહી કરવામાં આવી હોવાથી લોકોને સંભાળીને રહેવા માટે કહેવામાં આવ્યું છે. તેમાં પણ વિદર્ભમાં છેલ્લા થોડા દિવસથી રાજ્યમાં સૌથી ઊંંચું તાપમાન નોંધાઈ રહ્યું છે. મંગળવારે દિવસ દરમિયાન અહીં 47.8 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું, જે રાજ્યમાં સૌથી ઊંચું તાપમાન રહ્યું હતું.

વિદર્ભમાં અકોલામાં 45.6 ડિગ્રી,

અમરાવતીમાં 45.8 ડિગ્રી,

બુલઢાણામાં 41.7 ડિગ્રી,

બહ્મપુરીમાં 46.9 ડિગ્રી,

ચંદ્રપુરમાં 47.8 ડિગ્રી,

ગઢચિરોલીમાં 46.0 ડિગ્રી,

ગોંડિયામાં 45.5 ડિગ્રી,

નાગપૂરમાં 47.5 ડિગ્રી,

વર્ધામાં 46.5 ડિગ્રી,

યવતમાળમાં 45.0 ડિગ્રી

મરાઠવાડામાં ઔરંગાબાદમાં 42.0 ડિગ્રી,

બીડમાં 44.2 ડિગ્રી,

નાંદેડમાં 44.5 ડિગ્રી,

ઉસ્મનાબાદમાં 43.4 ડિગ્રી,

પરભણીમાં 46.1 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું.

મધ્ય મહારાષ્ટ્રમાં જળગાંવમાં 43.6 ડિગ્રી,

કોલ્હાપુરમાં 38.0 ડિગ્રી,

હિલ સ્ટેશન મહાબળેશ્ર્વરમાં 34.2 ડિગ્રી,

માલેગાંવમાં 42.4 ડિગ્રી,

નાશિકમાં 38.5 ડિગ્રી,

પુણેમાં 39.7 ડિગ્રી,

સાંગલીમાં 39.4 ડિગ્રી,

સતારામાં 41.2 ડિગ્રી અને

સોલાપુરમાં 43.8 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું.

જયારે મુંબઈમાં કોલાબામાં મહત્તમ તાપમાન 34.0 ડિગ્રી,

લઘુતમ તાપમાન 27.0 ડિગ્રી અને હવામાં ભેજનું પ્રમાણ 88 ટકા નોંધાયું હતું.

સાંતાક્રુઝમાં મહત્તમ તાપમાન 34.3 ડિગ્રી અને લઘુતમ તાપમાન 26.5 ડિગ્રી જયારે હવામાં ભેજનું પ્રમાણ 68 ડિગ્રી નોંધાયું હતું.

આ દરમિયાન રાજ્યમાં વિદર્ભ, મધ્ય મહારાષ્ટ્ર સહિત મરાઠવાડામાં તાપમાનમાં વધારો થયો છે અને આગામી દિવસમાં હજી તાપમાનમાં વધારો થવાની શકયતા છે. આજે વિદર્ભ સહિત મરાઠવાડામાં હિટ વેવની આગાહી પણ કરવામાં આવી છે. તો 30 અને 31 મેના વિદર્ભના અમુક વિસ્તારમાં હિટ વેવની આગાહી કરવામાં આવી છે.

May 26, 2019
CWC.jpg
1min12770

કૉંગ્રેસની કારોબારી સમિતિની શનિવારે મળેલી બેઠકમાં પક્ષના પ્રમુખ રાહુલ ગાંધીએ રાજીનામાની કરેલી ઑફરને સર્વાનુમતે નકારાઇ હતી. રાહુલ ગાંધીએ લોકસભાની તાજેતરમાં પૂરી થયેલી ચૂંટણીમાં કૉંગ્રેસ પક્ષના નબળા દેખાવ બદલ જવાબદારી લઇનેે પક્ષના પ્રમુખપદેથી રાજીનામું આપવાની ઑફર કરી હતી.

કૉંગ્રેસ કારોબારી સમિતિએ રાહુલ ગાંધીને પક્ષના પ્રમુખપદે ચાલુ રહીને પક્ષની દરેક સ્તરે નવરચના કરવાની સત્તા આપી હતી.

કૉંગ્રેસ કારોબારી સમિતિની બેઠકમાં પસાર કરાયેલા ઠરાવમાં જણાવાયું હતું કે કૉંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ સમિતિની બેઠકને સંબોધતી વખતે પ્રમુખપદેથી રાજીનામું આપવાની ઑફર કરી હતી. કૉંગ્રેસ કારોબારી સમિતિએ રાહુલ ગાંધીની રાજીનામાની ઑફર સર્વાનુમતે નકારી કાઢી હતી અને તેમને હાલના કપરા સમયમાં પક્ષનું માર્ગદર્શન કરવાનું ચાલુ રાખવાની વિનંતિ કરી હતી.

તેણે જણાવ્યું હતું કે કૉંગ્રેસ કારોબારી સમિતિએ રાહુલ ગાંધીને દેશના યુવાનો, ખેડૂતો, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત વર્ગો, લઘુમતીઓ, ગરીબો અને સમાજના પછાત ગણાતા વર્ગના લોકોની સમસ્યા દૂર કરવા માટે પક્ષને માર્ગદર્શન આપવાની વિનંતિ કરી હતી.

કૉંગ્રેસના દેશભરના નેતાઓ શનિવારે અહીં મળેલી કૉંગ્રેસ કારોબારી સમિતિની બેઠકમાં હાજર રહ્યા હતા અને લોકસભાની તાજેતરની ચૂંટણીમાં પક્ષના નબળા દેખાવ અંગે ચર્ચાવિચારણા અને આત્મમંથન કર્યું હતું.

કૉંગ્રેસ કારોબારી સમિતિની બેઠકની અધ્યક્ષતા રાહુલ ગાંધીએ કરી હતી અને આ બેઠકમાં યુપીએનાં અધ્યક્ષા સોનિયા ગાંધી, ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મનમોહન સિંહ, કૉંગ્રેસ દ્વારા શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનો – પંજાબના અમરિન્દર સિંહ, રાજસ્થાનના અશોક ગેહલોત અને છત્તીસગઢના ભૂપેશ બઘેલ હાજર રહ્યા હતા.

પૂર્વ ઉત્તર પ્રદેશના કૉંગ્રેસનાં ઇનચાર્જ પ્રિયંકા ગાંધી, ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન પી. ચિદમ્બરમ, એ. કે. એન્ટની, અહેમદ પટેલ, ગુલામ નબી આઝાદ, શીલા દીક્ષિત, મલ્લિકાર્જુન ખર્ગે, અંબિકા સોની, આનંદ શર્મા અને જ્યોતિરાદિત્ય સિંધિયા હાજર રહ્યા હતા.

અગાઉ, કૉંગ્રેસના ઉત્તર પ્રદેશ એકમના વડા રાજ બબ્બર અને ઓડિશા એકમના પ્રમુખ નિરંજન પટનાયકે હોદ્દા પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી.

May 25, 2019
smc.jpg
1min12540

સુરતના વરાછાના સરથાણા સ્થિત તક્ષશિલા આર્કેડમાં શુક્રવાર તા.24મી મે 2019ના રોજ સર્જાયેલી આગ કરુણાંતિકામાં ઘટનાસ્થળે પહોંચવાથી લઇને બચાવ રાહત કામગીરીમાં ઢીલું વલણ અખત્યાર કરનાર ફાયર બ્રિગેડ તંત્ર સામે ભારે લોકરોષ ભભૂકી ઉઠ્યો છે. ખુદ સરકાર તેમજ લોકોએ વિડીયોમાં ફાયર બ્રિગેડની કામગીરી જોઇને ભારોભાર ટીકા કરી હતી.

મ્યુનિસિપલ કમિશનર પર જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવાનું ભારે દબાણ હતું. આજે તા.25મી મે 2019ને શનિવારે મ્યુનિસિપલ કમિશનર થેન્નારાસને વરાછાના ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર  એસ.કે. આચાર્ય અને ફાયર ઓફિસર કિર્તી મોઢને તાત્કાલિક અસરથી ફરજ મૌકુફી (સસ્પેન્ડ) કરવાનો નિર્ણય કર્યો છે.

આગામી દિવસોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની વરાછા ઝોન કચેરીના કેટલાક ટેકનિકલ સ્ટાફના કર્મચારીઓ અને અધિકારીઓ પર પણ આકરાં શિક્ષાત્મક પગલાં ભરવામાં આવે તેવી સંભાવનાઓ છે. ખાસ કરીને તક્ષશિલા આર્કેડમાં જે ટ્યુશન ચાલી રહ્યા હતા એ ટ્યુશન ક્લાસીસના બાંધકામ સંદર્ભે પાલિકાના ચોક્કસ અધિકારીઓ અને કર્મચારીઓએ આંખ આડા કાન કર્યા હોવાનું જણાય આવે છે.

May 25, 2019
CIA_Live_Logo_New2.jpg
1min5280

ગુજરાતના શિક્ષણ જગત માટે વણજોઇતા નવરાત્રી વેકેશનને આખરે રાજ્ય સરકારે 2019-20ના શૈક્ષણિક સત્રથી રદ કરી દેવાનો નિર્ણય કર્યો છે. પહેલી વખત એવું બન્યું હતું કે જેમાં રાજ્ય સરકારે ફરજિયાત સ્કુલો બંધ કરીને નવરાત્રી વેકેશન માણવાનો ફતવો બહાર પાડ્યો હતો અને સ્કુલોએ વેકેશન લેવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. આ ખોટો દાખલો સરકારે બેસાડ્યો હતો અને હવે એ સરકારે ફરીથી સાચો દાખલો ગણવાની ફરજ પડી છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સમિતિની બેઠક રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે મળી હતી. જેમાં હવેથી શાળાઓમાં નવરાત્રિ વેકેશન નહી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

ગાંધીનગરમાં શુક્રવારે રાજ્યની ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સમિતિની બેઠકમાં અન્ય એક નિર્ણયમાં હવેથી ધોરણ-9 અને 11માં રિટેસ્ટ નહીં લેવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતા. ગત વર્ષથી નવરાત્રિમાં વેકેશન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અત્યાર સુધી નવરાત્રિમાં વિદ્યાર્થીઓને વેકેશન મળતું હતું, પરંતુ હવે નહીં મળે.

May 24, 2019
congress_mukt.png
1min7180

લોકસભા ચૂંટણીના પરિણામ આ વખતે પણ કોંગ્રેસ માટે નિરાશાજનક રહ્યા છે. ગત લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ માત્ર 44 બેઠક પર સમેટાઈ ગઈ હતી. આ વખતે આ આંકડો 50 સુધી પહોંચ્યો છે. કોંગ્રેસ માટે આ પરિણામ એટલા માટે ચિંતાજનક છે કારણ કે કર્ણાટક, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં તેમને ધોબી પછડાટ મળી છે. આ સિવાય ઉત્તર પ્રદેશમાં પ્રિયંકા ગાંધીને પૂર્વ યુપી અને જ્યોતિરાદિત્યને વેસ્ટ યુપીની કમાન સોંપ્યા બાદ અહીં સુરસુરિયું થઈ ગયું હતું. આ પરિણામ બાદ કેટલાય રાજ્યમાં ભાજપની જીતથી કોંગ્રેસમુક્ત જેવી સ્થિતિ થઈ ગઈ છે.

દેશું ઉત્તર ઝોનનું પ્રમુખ રાજ્ય જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસને કારમી હાર સાંપડી છે. અહીં કુલ 6 બેઠકમાંથી ત્રણ ભાજપ પાસે છે અને બાકીની ત્રણ નેશનલ કોંફ્રેસના ખાતે ગઈ છે. એટલે કે, કોંગ્રેસને કોઈ પણ બેઠક પર એક પણ જીત મળી નથી. આ સિવાય પીડીપીની પણ ખરાબ રીતે હાર થઈ છે.

કેન્દ્ર શાસિત પ્રદેશ આંદામાન-નિકોબારની એક માત્ર સીટ પર ભાજપનો ભગવો લહેરાયો છે. આ સિવાય દક્ષિણ ભારતના મહત્ત્વના રાજ્ય આંધ્ર પ્રદેશમાં લોકસભાની કુલ 25 બેઠક છે. જ્યાં 24 સીટ પર વાઈએસઆર કોંગ્રેસ આગળ છે. જ્યારે એક બેઠક ટીડીપીના ખાતે ગઈ છે. આમ આંધ્ર પ્રદેશ પણ કોંગ્રેસ મુક્ત છે.

ચીન બોર્ડરથી થોડે દુર આવેલા રાજ્ય અરુણાચલ પ્રદેશમાં બે બેઠક પર ભાજપે વિજય વાવટા ફરકાવ્યા છે. બીજી તરફ બીહારમાં કુલ 16 બેઠક પર ભાજપે ભજવો લહેરાવ્યો છે. જ્યારે બાકીની 16 સીટ પર જેડીયુ આગળ છે. રામવિલાસ પાસવાનની પાર્ટી એલજેપીને અહીં 6 બેઠક પર સંતોષ માનવો પડે એવી શક્યતાઓ છે. જ્યારે કોંગ્રેસને માત્ર એક સીટ પર વિજય મળ્યો છે. સાથીપક્ષ આરજેડી પણ એક સીટ પર આગળ છે. અહીં પણ કોંગ્રેસ મુક્તની સ્થિતિ છે.

કેન્દ્ર શાસિત પ્રદેશની એક માત્ર સીટ ભાજપના નેતા કિરણ ખેર, પવનકુમાર બસંલથી આગળ ચાલી રહ્યા છે. જ્યારે દાદરાનગર હવેલીની એક સીટ પર ભાજપનો દબદબો રહ્યો છે. આ બેઠક પરથી ભાજપને જીત મળી છે. આ ઉપરાંત દીવ અને દમણની એક સીટ ઉપર પણ ભાજપે વિજય વાવટો લહેરાવ્યો છે.

પીએમ મોદીના હોમ સ્ટેટ ગુજરાતમાં 26 બેઠકો પર ભાજપે જીત મેળવી છે. આ પહેલા પણ ગુજરાતમાં કુલ 26 બેઠકો પર ભાજપને જીત મળી હતી. આ ઉપરાંત ઉત્તરના રાજ્ય હરિયાણામાં પણ ભાજપની સત્તા છે. અહીં આ વખતે પણ કોંગ્રેસની કારમી હાર થઈ છે. આ સિવાય હિમાચલ પ્રદેશની ચાર બેઠક પર ભાજપે જીત મેળવી છે. આ પહેલાની ચૂંટણીમાં પણ કોંગ્રેસને આ રાજ્યમાં એક પણ સીટ મળી ન હતી.

ઉત્તરાખંડના પહાડી વિસ્તારમાં પણ ભાજપે કુલ 5 બેઠક પર જીત મેળવી છે. જ્યારે મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ ગત ડિસેમ્બરમાં જ વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવી હતી. પણ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અહીં કંઈ કરી શકી નથી. અહીં કુલ 29 બેઠકો પર ભાજપનો વિજય થયો છે. જયારે એક સીટ કોંગ્રેસના ભાગમાં આવી છે. જે છીંદવાળાની સીટ છે. આ સાથે મહારાષ્ટ્રમાં કુલ 48 બેઠકમાંથી કોંગ્રેસને માત્ર એક જ સીટ મળી છે. અહીં 23 બેઠક પર ભાજપે વિજયકુચ કરી છે. જ્યારે શિવસેના કુલ 18 બેઠકો પર આગળ છે.
કોંગ્રેસ એક સમયે સમગ્ર દેશનો પક્ષ માનવામાં આવતો હતો. પણ આ વખતે કારમી હાર થતા પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. મણિપુરની કુલ 2 બેઠકમાંથી 1 પર ભાજપ અને 1 પર નગાપિપલ્સ ફ્રંટને જીત મળી છે. જ્યારે મિઝોરમમાં એકમાત્ર સીટ મિજો નેશનલ ફ્રન્ટને જીત મળી રહી છે. પૂર્વી ભારતમાં પ્રદર્શન કરતા ભાજપે 7 બેઠક પર આગળ ચાલી રહ્યો છે. જ્યારે 14 બેઠક પર સત્તાધારી પક્ષ બીજેડી આગળ છે.

રાજધાની દિલ્હીમાં કોંગ્રેસ અને આપ બંનેના સુપડા સાફ થઈ ગયા છે. જ્યારે ભાજપની સાત બેઠક મળવાની શક્યતાઓ છે. ભાજપ આ બેઠક પર એક મોટા અંતરથી આગળ રહી હતી. રાજસ્થાનમાં તમામ બેઠક પર ભાજપે કોંગ્રેસના સુપડા સાફ કરી નાંખ્યા છે. અહીં જોધપુર બેઠકથી કોંગ્રેસ ઉમેદવાર અને સીએમના પુત્ર વૈભવ ગેહલોત પાછળ ચાલી રહ્યા છે. ભાજપ 24 બેઠકથી આગળ છે.

પૂર્વી રાજ્ય સિક્કીમની એકમાત્ર સીટ પર સિક્કીમ ક્રાંતિકારી મોરચો આગળ છે. જ્યારે ત્રિપુરાની બે લોકસભા સીટ પર ભાજપ આગળ છે. ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ લોકસભાની સીટ 80 સીટ પર એક રીતે કોંગ્રેસનું ધોવાણ થયું છે. જ્યાં એક બેઠક રાયબરેલીમાં કોંગ્રેસ આગળ રહી છે. આ બેઠકને નહેરું-ગાંધીની પરંપરાગત સીટ માનવામાં આવે છે. જ્યારે 59 સીટ પર ભાજપ, 6 પર એસપી અને 12 પર બીએસપી આગળ રહી છે.

પશ્ચિમ બંગાળમાં કુલ 42 સીટમાંથી 19 સીટ પર ભાજપ આગળ છે. જ્યારે 22 બેઠકો પર તૃણમુલ કોંગ્રેસ આગળ રહી છે. જ્યારે અહીં કોંગ્રેસને માત્ર એક સીટ મેળવી શકી છે.

May 24, 2019
saurashtra_bjp.png
1min5390

લોકસભાની ચૂંટણીના પરિણામોમાં સૌરાષ્ટ્રની સાત બેઠકો ઉપર ભાજપનો ભગવો લહેરાયો છે અને કેંગ્રેસના સુપડાં સાફ થઈ ગયા છે. આ વખતે સૌરાષ્ટ્રની સાતમાંથી ત્રણ બેઠક ઉપર ભાજપ માટે કપરાં ચઢાણ હતા. ખાસ કરીને અમરેલી બેઠક ઉપર વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી લડી રહ્યા હતા એટલે કોંગ્રેસ માટે સુરક્ષિત બેઠક મનાતી હતી પણ ત્યાં પણ ધાનાણીની હારે કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે.

જૂનાગઢમાં ભાજપની આંતરિક ખેંચતાણ બહાર આવી હતી અને ભાજપની નારાજગીના કારણે જૂનાગઢ બેઠક ભાજપ માટે જીતવી કપરી મનાતી હતી ત્યાં પણ ભાજપની જીત થતાં કોંગ્રેસમાં અપસેટ સર્જાયો છે. એવી રીતે સુરેન્દ્રનગરમાં ત્રિપાંખીયો જંગ હતો. ત્યાં પણ ભાજપે જીત મેળવતાં કોંગ્રેસની છાવણીમાં સોપો પડી ગયો છે.

રાજકોટમાં મોહન કુંડારીયા 3.68 લાખની લીડથી જીત્યા

સૌરાષ્ટ્રની સાત બેઠકમાંથી રાજકોટ બેઠકની વાત કરીએ તો મોહનભાઈ કુંડારીયાએ સૌથી વધારે ઐતિહાસિક લીડ મેળવી હતી. મોહનભાઈ કુંડારીયાને 7,58,645 મત મળ્યા છે જ્યારે કેંગ્રેસના હરીફ ઉમેદવાર લલિતભાઈ કગથરાને 3,90,238 મત મળ્યા છે. એ હિસાબે મોહનભાઈ કુંડારીયા 3,68,407ની જંગી સરસાઈથી વિજેતા બન્યા છે. લલિતભાઈ કગથરાના મોટા પુત્ર વિશાલનું અકસ્માતમાં મૃત્યુ થતાં તેમના શોકમાં રાજકોટ ભાજપના આગેવાનો, કાર્યકરો દ્વારા વિજયોત્સવ મનાવાયો નહોતો. રાજકોટ આમ પણ પહેલેથી ભાજપનો ગઢ મનાય છે એટલે અહીં ભાજપની જીત અપેક્ષિત હતી.

જામનગરમાં પૂનમ માડમે વિક્રમી સરસાઇથી વિજય હાંસલ કર્યો

રાજકોટની જેમ જામનગર બેઠક પણ ભાજપની જીત માટે અપેક્ષિત હતી. 2014ની ચૂંટણીમાં અત્યાર સુધીના જામનગરના ઈતિહાસમાં પૂનમબેન માડમે 1,75,289 મતોની સરસાઈ મેળવી વિક્રમ સ્થાપ્યો હતો. 2019ની આ ચૂંટણીમાં તેમણે પોતાનો જ આ વિક્રમ તોડીને 2,33,681 મતોની સરસાઈ મેળવવાનો નવો વિક્રમ સ્થાપ્યો છે. જામનગરમાં પૂનમબેન માડમને 5,86,357 મત અને મૂળુભાઈ કંડોરિયાને 3,52,676 મત મળ્યા હતા.

ભાવનગરમાં ડો.ભારતી શિયાળ વિજયી નિવડ્યા

ભાવનગર બેઠક પણ ભાજપનો ગઢ મનાય છે પણ આ વખતે કોળી અને પાટીદાર ઉમેદવારો હતા એટલે ચૂંટણી જંગ જોરદાર મનાતો હતો છતાં ભાવનગરમાં પણ અપેક્ષિત પરિણામ જ આવ્યું છે અને ભાજપના ઉમેદવાર ડૉ.ભારતીબેન શિયાળનો વિજય થયો છે. જ્યારે કોંગ્રેસના મનહર પટેલનો પરાજય થયો છે.

પોરબંદરમાં રમેશ ધડૂકનો આસાન વિજય

પોરબંદર બેઠક વિવાદિત બેઠક મનાય છે. આ વખતે અનુભવી ધારાસભ્ય લલિત વસોયા સામે ભાજપના નવા ચહેરા રમેશ ધડૂકને આ બેઠક કેવી રીતે ફળશે ? તેના તારણો કાઢવામાં આવતા હતા પણ અંતે આજે આ બેઠકના પરિણામો સામે આવતાં ભાજપના રમેશ ધડૂકનો વિજય થયો છે. જો કે, રમેશભાઈના વિજય પાછળ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને જેતપુરના ધારાસભ્ય તથા કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાની મહેનતે પણ ભૂમિકા ભજવી છે.

સુરેન્દ્રનગર અને અમરેલીમાં કોંગ્રેસને આશા હતી પણ એ ધૂળધાણી થઇ ગઇ

સૌરાષ્ટ્રની જે બે બેઠકો ઉપર કોંગ્રેસને ભારોભાર અપેક્ષા હતી તે સુરેન્દ્રનગર અને અમરેલીમાં પણ ભાજપના જ ઉમેદવારો વિજેતા બન્યા છે અને કોંગ્રેસની આ ચપટીક આશા ઉપર પણ પાણી ફરી વળ્યું છે. અમરેલીની વાત કરીએ તો આ બેઠક ઉપર વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી લડી રહ્યા હતા. પરેશ ધાનાણીની’ યુવા લડાયક નેતાની છાપ અને તેની સામે ભાજપના ઉમેદવાર નારણભાઈ કાછડીયા પ્રત્યે આંતરિક નારાજગી કોંગ્રેસને બેઠક અપાવશે તેમ મનાતું હતું. આ બેઠક માટે રાહુલ ગાંધીએ સભા કરી ત્યારે પણ ધૂમ તડકે મેદની ઉમેટી હતી, એ જોતાં અમરેલી બેઠક ભાજપના હાથમાંથી સરકતી નજરે આવતી હતી.

 

સુરેન્દ્રનગરમાં ગયા વખતે ભાજપના ઉમેદવાર દેવજી ફતેપરા વિજેતા થયા હતા. આ વખતે ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી ત્યારે દેવજી ફતેપરાના બદલે હૃદયરોગના નિષ્ણાત ડૉક્ટર મહેન્દ્ર મુંજપરાને ભાજપે ટિકિટ આપતાં આશ્ચર્ય સર્જાયું હતું અને દેવજીભાઈ નારાજ થયા હતા. એવી રીતે કોંગ્રેસ લાલજીભાઈ મેરના બદલે કદાવર નેતા સોમાભાઈ પટેલને ટિકિટ આપતાં લાલજીભાઈ નારાજ હતા અને તેમણે અપક્ષ તરીકે ઝંપલાવ્યું હતું. તેના કારણે આ બેઠકનો જંગ રસપ્રદ બની રહ્યો હતો. આ બેઠક માટે સૌથી વધારે 31 ઉમેદવારો મેદાનમાં હતા. સુરેન્દ્રનગર બેઠક માટે વડાપ્રધાન મોદીએ સભા પણ ગજવી હતી. અંતે આજે આ બેઠક ઉપર મોદી લહેર ચાલી ગઈ હતી અને ભાજપના ઉમેદવારનો વિજય થયો હતો.

સૌરાષ્ટ્રની લોકસભાની સાત બેઠક ઉપરાંત વિધાનસભાની ત્રણ બેઠકની પેટા ચૂંટણી હતી. જેમાં જામનગર ગ્રામ્ય, ધ્રાંગધ્રા અને માણાવદર એ ત્રણેય બેઠક ઉપર ભાજપના વિજય વાવટા ફરક્યા છે. માણાવદરના કેંગ્રેસી ધારાસભ્ય જવાહર ચાવડા ભાજપમાં જોડાઈને મંત્રી બની ગયા બાદ આ ચૂંટણી થઈ હતી અને તેમાં તેમનો વિજય થયો હતો. જ્યારે ધ્રાંગધ્રાના ધારાસભ્ય પુરુષોત્તમ સાબરીયા પણ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. તે ભાજપ તરફથી લડયા હતા અને વિજેતા બન્યા હતા.

એવી રીતે જામનગર ગ્રામ્યના કોંગ્રેસી ધારાસભ્ય વલ્લભભાઈ ધારવીયા ભાજપમાં જોડાયા હતા અને આ બેઠક ખાલી પડી હતી. આ બેઠક ઉપર ભાજપ તરફથી રાઘવજીભાઈ પટેલ અને કેંગ્રેસના જેન્તી સભાયા વચ્ચે જંગ હતો જેમાં ભાજપના રાઘવજીભાઈની જીત થઈ હતી. આમ, સૌરાષ્ટ્રની ત્રણેય વિધાનસભાની પેટા ચૂંટણીમાં કેસરીયો છવાયો હતો.

May 22, 2019
talaja.gif
1min14350

તળાજા તાલુકાના તરસરા ગામે એક તરફ લગ્નનો મંડપ નખાતો હતો તે જ સમયે પાણી ભરવા જેવી બાબતે પરિવારો હથિયાર લઈને સામસામે આવી એકબીજા પર હુમલો કરતા એક મહિલા સહિત આઠ વ્યક્તિને નાની મોટી ઇજાઓ થઈ હતી જેમાં ગોરખી ગામનો એક યુવાન ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. બનાવના પગલે લોકો દોડી આવ્યા હતા. તરસરા ગામે લગ્નપ્રસંગનો માંડવો રોપાતો હતો ત્યારે ગોરખી ગામના લોકો સાથે પાણી મુદ્દે તકરાર થઈ હતી અને છૂટા હાથની મારામારી થઈ હતી જેમાં ગોરખી ગામે રહેતા ચેતન જીવનભાઈ ડોળશિયા, જીવણભાઈ ફાંફાભાઈ ડોળાશિયા અને તરસરા ગામના બીજલભાઈ દેવશીભાઈ પરમાર, અશોક બીજલ, ભટુર બોઘા, મધિબેન ઘુઘાભાઈ પરમાર, ઘુઘા બીજલ પરમાર, નરેશબાબુ પરમાર એમ બંને પરિવારોના કુલ 8 લોકોને નાની મોટી ઈજાઓ થઈ હતી. ઇજાગ્રસ્તોને તળાજા હૉસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. આ મારામારીમાં ગોરખી ગામના ચેતન ડોળાશિયા અર્ધબેભાન અને કાનમાંથી લોહી નીકળતું હોઈ હેમરેજની સંભાવના હોવાથી ભાવનગર બંને પિતા પુત્રને રીફર કર્યા હતા.

May 22, 2019
vivek.jpg
1min8790

એક્ઝિટ પૉલના અનુસંધાનમાં અભિનેત્રી ઐશ્ર્વર્યા રાય બચ્ચનની વાંધાજનક મીમને શેર કરી વિવાદોમાં સપડાયેલા અભિનેતા વિવેક ઓબેરોયે આખરે માફી માગી હતી અને તે મીમ પણ ડિલીટ કર્યું હતું. વિવેકે ટ્વિટ કરી લખ્યું હતું કે ક્યારેક એક વ્યક્તિને પહેલી નજરે જે મજાકીયુ અને નિરુપદ્રવી લાગતું હોય તે બીજાને ન લાગે તેમ પણ બને. હું દસ વર્ષથી 2000 કરતા પણ વધારે વંચિત બાળકીના સશક્તિકરણ માટે કામ કરી રહ્યો છું.

કોઈ મહિલાના અપમાનનો હું વિચાર પણ કરી શકતો નથી. તેણે બીજી પણ એક ટ્વિટ કરી હતી અને લખ્યું હતું કે જો એક મીમ દ્વારા અન્ય મહિલાની ભાવનાને ટેસ પહોંચે છે તો તેમાં સુધારો થવો જોઈએ. હું માફી માગુ છું. ટ્વિટ મે ડિલીટ કર્યું છે. જોકે ઓબેરોયની માફી બાદ પણ એક સામાજિક સંસ્થાએ તેને કાર્યક્રમના અતિથિ તરીકે નકાર્યો હતો. ફોની વાવાઝોડાના અસરગ્રસ્તો માટે ફંડ એકઠું કરવાના એક કર્યાક્રમમાં તેમને સેલિબ્રિટી તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા, પરંતુ આ વિવાદ બાદ તેમણે તેમની ઉપસ્થિતિ નકારી હતી.

જોકે અગાઉ વિવેકે માફી માગવાની ના પાડી હતી. તેણે જણાવ્યું હતું કે કોઈએ આ મીમ પૉસ્ટ કરી હતી અને હું તેના પર હસ્યો અને તે વ્યક્તિની કલ્પનાશક્તિના વખાણ કર્યા. તેમાં કઈ ખોટું કર્યું નથી. ઓબેરોયના આ ટ્વિટ બાદ નેટિઝન અને ફિલ્મજગતે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા તેને નોટિસ પણ પાઠવવામાં આવી હતી.

May 22, 2019
Keval-Kakka.jpg
1min5660

28 વર્ષના કેવલ કક્કા નામના યુવા ભારતીય પર્વતારોહકે ચાલી રહેલી સિઝનમાં માત્ર છ જ દિવસમાં માઉન્ટ ઍવરેસ્ટ સહિત 8000 મીટર કરતા વધુ ઊંચાઈ ધરાવતા બે પર્વત સર કરી લીધા હોવાનું નેપાળના પ્રસારમાધ્યમના અહેવાલમાં મંગળવારે જણાવવામાં આવ્યું હતું.

કેવલ હીરેન કક્કાએ મંગળવારે તા.21મી મે 2019ના રોજ વિશ્વમાં ચોથા ક્રમાંકનો સૌથી ઊંચો માઉન્ટ લ્હાત્સે પર્વત સર કરી લીધો હતો.

નવ સભ્યની ટીમનું નેતૃત્વ કરી રહેલા મુંબઈસ્થિત પર્વતારોહક હીરેને મંગળવારે તા.22મી મે 2019ની સવારે 6:30 વાગ્યે પર્વતના શિખર પર પગ મૂક્યો હતો, એમ આ પર્વતારોહણ અભિયાનનું આયોજન કરનાર સતોરી ઍડવેન્ચર્સ પ્રા.લિ.ના મેનેજિંગ ડિરેક્ટર રિશી ભંડારીએ કહ્યું હતું. 16મી મેએ કક્કાએ માઉન્ટ ઍવરેસ્ટનું શિખર સર કર્યું હોવાનું સમાચારપત્રના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.

કૅનેડિયન પર્વતારોહક મૅથ્યુસ વનૉર્નના નેતૃત્વ હેઠળ માઉન્ટ ઍવરેસ્ટ સર કરનાર 13 સભ્યની ટીમનો પણ તે હિસ્સો હતો, એમ ભંડારીએ કહ્યું હતું

કક્કાએ માઉન્ટ ટિબ્બા (6001 મીટર), માઉન્ટ હનુમાન ટિબ્બા (5932 મીટર), માઉન્ટ ફ્રૅન્ડશિપ (5289 મીટર), માઉન્ટ લૉબુચે ઈસ્ટ (6019 મીટર), માઉન્ટ સ્ટૉક કાન્ગરી (6049 મીટર), માઉન્ટ માનાસ્લુ (8163 મીટર)ના પર્વતારોહણ અભિયાનથી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી.

નેપાળની પર્વતારોહણ માર્ગદર્શકોની આઠ સભ્યની ટુકડીએ સફળતાપૂર્વક માઉન્ટ ઍવરેસ્ટ સર કર્યા બાદ આ વરસે 14 મેએ પર્વતારોહણની સિઝન શરૂ થઈ હતી.

માઉન્ટ ઍવરેસ્ટની ઊંચાઈ 8848 મીટર અને માઉન્ટ લ્હાત્સેની ઊંચાઈ 8526 મીટર છે.

May 21, 2019
CIA_Live_Logo_New2.jpg
1min8830

જયેશ બ્રહ્મભટ્ટ

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડએ આજે જાહેર કરેલા ધો.10ના પરીણામની કેટલીક એવી બાબતો અમે અહીં ઉજાગર કરી રહ્યા છે જે વાંચીને વાચકોને સહજ આશ્ચર્ય થશે.

ધો.10નું ગુજરાતનું ઓવરઓલ પરીણામ 66 ટકા છે. આ એવરેજ પરીણામ છે. પરંતુ, પરીણાની ભીંતરમાં ડોકીયું કરીશું તો નીચે મુજબની વાસ્તવિકતાઓ નજર સામે આવે છે.

ગણિત વિજ્ઞાનમાં સૌથી વધુ નાપાસ થયા

  • સૌથી વધુ વિદ્યાર્થીઓ સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિષયમાં ફેઇલ થયા છે. સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિષયમાં કુલ 8,22,820 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 5,61,299 પાસ થયા છે અને 2,61,521 નાપાસ થયા છે. આ વિષયનું પરીણામ બોર્ડે લીધેલી તમામ વિષયોની પરીક્ષામાં સૌથી ઓછું પરીણામ છે.
  • બીજા નંબરે સૌથી વધુ વિદ્યાર્થીઓ ગણિત વિષયમાં નાપાસ થયા છે. ગણિતમાં 8,21,982 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 5,72,473 વિદ્યાર્થીઓ પાસ થયા છે અને 2,49,509 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે.

છોકરીઓનું પરીણામ છોકરાઓ કરતા 10 ટકા વધુ

  • બોર્ડના સમગ્ર પરીણામમાં ગર્લ્સ (કન્યાઓ)નું પરીણામ બોયઝ (કુમાર) કરતા વધુ આવ્યું છે. બોયઝનું ટકાવારી પરીણામ 62.83 ટકા છે જ્યારે ગર્લ્સનું પરીણામ 72.64 ટકા છે.

તમામ માધ્યમોમાં ગુજરાતી માધ્યમનું પરીણામ સૌથી ઓછું

  • ગુજરાતી મિડીયમની સ્કુલોનું પરીણામ હિન્દી, ઇંગ્લિશ, ઉર્દૂ સમેત તમામ ભાષાકીય માધ્યમોની સ્કુલોના પરીણામ કરતા ઓછું આવ્યું છે.

100 ટકા પરીણામ ધરાવતી સ્કુલો

  • ગુજરાત બોર્ડનું ધો.10નું 100 ટકા પરીણામ ધરાવતી શાળાઓની સંખ્યા 366 છે જ્યારે ઝીરો ટકા પરીણામ ધરાવતી સ્કુલોની સંખ્યા 63 છે તેમજ 30 ટકા કે તેનાથી ઓછું પરીણામ ધરાવતી શાળાઓની સંખ્યા 955ની છે.

સીસીટીવી કેમેરાએ ચોરી કરતા ઝડપ્યા

  • બોર્ડની પરીક્ષા દરમિયાન સુપરવાઇઝર કે અન્ય માનવીય સ્ટાફના હાથે ચોરી ગેરરીતિ આચરતા પકડાયેલા વિદ્યાર્થીઓની સંખ્યા 119 છે જ્યારે સીસીટીવી ફૂટેજની ચકાસણી બાદ ચોરી ગેરરીતિના કુલ 2165 કેસો ઝડપી પાડવામાં આવ્યા હતા.