
અનુકૂળ વાતાવરણને કારણે આંદામાનમાંથી મંગળવારે શ્રીલંકામાં દાખલ થયેલું ચોમાસુ આગામી 48થી 72 કલાકમાં એટલે કે આઠમી જૂન સુધી કેરળમાં દાખલ થશે, એવી આગાહી હવામાન વિભાગ અને સ્કાયમેટ દ્વારા કરવામાં આવી છે.
સામાન્ય રીતે 25મી મે સુધી શ્રીલંકામાં ચોમાસુ બેસી જતું હોય છે, પરંતુ આ વખતે તે અંદાજે આઠથી નવ દિવસ મોડું છે. કેરળમાં ચોમાસુ બેસવાના સંકેત મળ્યા ભલે હોય, પરંતુ હવામાનમાં થઇ રહેલા પરિવર્તનને કારણે કર્ણાટક સહિત આંધ્ર પ્રદેશમાં શરૂઆતમાં પૂરતો વરસાદ પડશે નહીં, આગામી 24 કલાકમાં વિદર્ભમાં વરસાદ પડવાની શક્યતા છે. અરુણાચલ પ્રદેશ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ તથા ત્રિપુરામાં મૉન્સૂન પહેલા જ સારો વરસાદ પડી રહ્યો છે.
આ દરમિયાન કણકવલી શહેર તથા વાગદે વિસ્તારમાં સવારે જોરદાર વરસાદ પડવાનો શરૂ થયો હતો જેને કારણે હાઇવે પર માટીનો ભરાવો થઇ ગયો હતો અને ટ્રાફિકની સમસ્યા સર્જાઇ હતી. હાઇવે નજીકનાં ઘરોમાં પાણી ભરાઇ ગયાં હતાં. સત્તાવાળાઓ દ્વારા હાઇવે પર ચોમાસા પહેલાના દરેક કામ પૂરા કરવાનો નિર્દેશ કરવામાં આવ્યો હતો છતાં કૉન્ટ્રેક્ટરોની બેજવાબદારીને કારણે લોકોને હેરાનગતિ સહન કરવી પડી હતી.
સિંધુદુર્ગમાં પણ ગુરુવાર સવારથી જોરદાર વરસાદ પડવાનો શરૂ થયો હતો. વીજળીના કડાકા, જોરદાર પવનો સાથે વરસાદનું આગમન થયું હતું. અડધો કલાક સુધી સતત પડેલા વરસાદને કારણે અમુક વિસ્તારોમાં નુકસાન પણ થયું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી.
સાવંતવાડી સહિત અન્ય વિસ્તારોમાં ગુરુવારે વીજળીના કડાકા સાથે સવારથી જ વરસાદ પડવાનો શરૂ થઇ ગયો હતો. મુંબઈ-ગોવા માર્ગ પર ગાળુ વિસ્તારમાં મોટાં મોટાં વૃક્ષો તૂટી પડ્યાં હતાં. વૃક્ષો તૂટી પડવાને કારણે સાવંતવાડીથી કુડાળ તરફ આવનારા-જનારા માર્ગો પર ટ્રાફિક જામ થયો હતો.
રાજ્ય માટેનો અંદાજ સાતમી જૂન: વિદર્ભમાં અમુક જગ્યાએ વીજળીના કડાકા સાથે જોરદાર પવન ફૂંકાશે, જ્યારે અમુક ઠેકાણે ગરમી કાયમ રહેશે.
આઠમી અને નવમી જૂન: વિદર્ભમાં અમુક જગ્યાએ વીજળીના કડાકા અને જોરદાર પવનો ફૂંકાશે. મરાઠવાડા અને વિદર્ભના અમુક જગ્યાએ ગરમી રહેશે