ગુજરાતમાં દિવાળી અને નૂતન વર્ષે ૧૦૮ની સેવાઓએ અનેક લોકોની જિંદગી બચાવી હતી. ૧૦૮ને દિવાળીએ ૩,૮૮૫ અને બેસતા વર્ષે ૪,૭૯૫ ઇર્મજન્સી કોલ મળ્યા હતા. ગત વર્ષની સરખામણીએ ૧૦૮ને બેસતા વર્ષે ૨૦.૪૨ ટકાથી વધારે કોલ મળ્યા હતા. ૧૦૮ને દિવાળીએ ગત વર્ષની સરખામણીએ દાઝી ગયેલા દર્દીઓ અથવા તો આગને લગતાં કેસની સંખ્યામાં ૩૮૩ ટકાનો વધારો જોવા મળ્યો હતો.

ઝઘડા અને મારામારીના બનાવોથી ઇજાગ્રસ્ત થયેલા લોકોની સારવાર માટે મળેલા ઇર્મજન્સી કેસમાં ૧૨૮ ટકાનો વધારો થયો હતો, જ્યારે અકસ્માત સહિતના ટ્રોમાના વેહિક્યુલર કેસમાં ૧૩૦ ટકા અને નોન વેહિક્યુલર કેસમાં ૧૩૦ ટકાનો વધારો નોંધાયો હતો.
ઈમર્જન્સી સર્વિસ ૧૦૮ને બેસતા વર્ષે સૌથી વધુ ૭૦૭ કોલ અમદાવાદમાંથી મળ્યા હતા. બેસતા વર્ષે રાજ્યના અન્ય શહેર, જિલ્લામાં સુરતમાંથી ૫૦૨, દાહોદમાંથી ૩૦૩, વડોદરામાંથી ૨૬૯, રાજકોટમાંથી ૨૨૪ કોલ મળ્યા હતા. ગત વર્ષની સરખામણીએ ૧૦૮ને અરવલ્લી જિલ્લામાં ૬૪.૭૧ ટકા, મહિસાગરમાં ૫૦.૭૫ ટકા, જામનગરમાં ૫૦.૪૮ ટકા અને બનાસકાંઠામાં ૪૫.૮૮ ટકા, મોરબીમાં ૪૫.૭૧ ટકા વધારે કોલ મળ્યા હતા. સામાન્ય દિવસમાં બર્નના છ કોલ મળતા હોય છે, જ્યારે નૂતન વર્ષે ૨૯ મળ્યા હતા.
આમ આ કેસમાં ૩૮૩.૩૩ ટકાનો વધારો નોંધાયો હતો. મારામારીના બનાવોમાં સામાન્ય દિવસોના ૬૮ની સામે ૧૭૦ કોલ મળતાં ૧૫૦ ટકાનો વધારો જોવા મળ્યો હતો. એવી જ રીતે અકસ્માતોના કોલમાં પણ ૧૨૭.૯૧ ટકાનો વધારો નોંધાયો હતો.






















