CIA ALERT

બિઝનેસ Archives - Page 76 of 90 - CIA Live

December 5, 2018
gst.jpg
1min5370
  • સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (સીબીઆઇસી)એ જીએસટી રિટર્ન ફોર્મ ‘સહજ’ અને ‘સુગમ’ના ફોર્મનો ડ્રાફ્ટ જન ટિપ્પણી અર્થે મૂક્યો હતો
  • ફોર્મ GSTR-3B (સમરી સેલ્સ રિટર્ન ફોર્મ) અને GSTR-1 (ફાઇનલ સેલ્સ રિટર્ન ફોર્મ)નું સ્થાન લેશે

જીએસટી (ગૂડ્ઝ એન્ડ સર્વિસિસ ટેક્સ)ના નવા સરળ ફોર્મ પહેલી એપ્રિલ 2019થી અમલી બનશે, તેમ મહેસૂલ સચિવ અજય ભૂષણ પાંડેએ તા.4 ડિસેમ્બર 2018ના રોજ જણાવ્યું હતું. સરકાર જીએસટી કલેક્શનનો અંદાજિત લક્ષ્યાંક હાંસલ કરશે. મહેસૂલ વિભાગને કરવેરાની ચોરી કરતા એકમોની માહિતી મળી છે. વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ આઠ મહિનામાં સરકારને જીએસટી પેટે 7.76 લાખ કરોડની આવક થઈ છે. બજેટ 2018-’19ના અંદાજમાં જીએસટી કલેક્શન પેટે ₹13.48 લાખ કરોડની આવકનો અંદાજ મુકાયો છે, જે મુજબ માસિક લક્ષ્યાંક ₹1.12 લાખ કરોડ થાય છે.

કેન્દ્રની તિજોરીને નવેમ્બર-2018માં ₹4,000 કરોડની ખોટ પડી છે. હાલમાં માસિક જીએસટી વસૂલી લક્ષ્યાંક ₹1 લાખ કરોડની આસપાસનો છે. સરકાર તેમાં વધારીને ₹1.10 લાખ કરોડ સુધી લઈ જવાનું આયોજન ધરાવે છે. નવેમ્બરમાં જીએસટી કલેક્શન ₹97,637 કરોડ હતું.

ડાયરેક્ટરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ)ના સ્થાપના દિને પત્રકારો સાથેની વાતચીતમાં મહેસૂલ સચિવે જણાવ્યું હતું કે રિફંડની પ્રક્રિયાને વધારે સરળ કરીને પૂર્ણપણે ઓનલાઇન અને ટેક્સપેયર ફ્રેન્ડલી કરવામાં આવશે. તેમને જ્યારે રિટર્નના સરળ ફોર્મ અંગે પૂછવામાં આવ્યું તો પાંડેએ જણાવ્યું હતું કે અમે પહેલી એપ્રિલને લક્ષ્યાંક બનાવી રહ્યા છીએ. જુલાઈમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (સીબીઆઇસી)એ જીએસટી રિટર્ન ફોર્મ ‘સહજ’ અને ‘સુગમ’ના ફોર્મનો ડ્રાફ્ટ જન ટિપ્પણી અર્થે મૂક્યો હતો. આ ફોર્મ GSTR-3B (સમરી સેલ્સ રિટર્ન ફોર્મ) અને GSTR-1 (ફાઇનલ સેલ્સ રિટર્ન ફોર્મ)નું સ્થાન લેશે.

November 29, 2018
trade-fair.jpg
1min14870

સુતમાં એક તરફ એમ કહેવાય રહ્યું છે કે અભૂતપૂર્વ મંદીનો માહોલ છે અને લોકો ખાસ કરીને વ્યાપારીઓ અપૂર્વ નાણાંભીડમાંથી પસાર થઇ રહ્યા છે. ધંધો-ધાપો ચાલતો નથી. આવી સ્થિતિમાંથી બહાર નીકળતા સહેજેય એક વર્ષ જેટલો સમય નીકળી જાય તેમ છે. આમ છતાં સુરત બહારના ધંધાદારીઓ, વ્યાવસાયિકોના મતે સુરતમાં હજુ પણ લિક્વિડીટી છે અને જે લોકો રૂપિયા લઇને બેઠા છે, જેઓ રોકાણની યોગ્ય તકની રાહ જોઇને બેઠા છે એવા સુરતના બિઝનેસમેનની સંખ્યા પણ ખાસ્સી છે. સુરતની ઇકોનોમી પર સરવે કરનારી સંસ્થાઓ કહે છે કે સુરતના ઉદ્યોગપતિઓ સુરતમાં રોકાણ કરવાની જગ્યાએ દેશ કે દુનિયામાં જ્યાંથી સારુ એવું રિટર્ન મળે ત્યાં ઇન્વેસ્ટ કરવા માટે સતત તકોની શોધમાં હોય છે. અને આ જ કારણે સુરતમાં હવે ઇન્ટરનેશનલ પ્રોપર્ટીઓ વેચાવા માટે આવી રહી છે. પ્રોપર્ટીઓ વેચાણ એટલે દુબઇની 25 જેટલી પ્રાઇમ લોકેટેડ પ્રોપર્ટી હોય કે અમેરિકામાં 3.5 કરોડ કે તેનાથી વધુનું રોકાણ કરીને ઇન્વેસ્ટર વીઝા મેળવવાની પ્રોસેસ તમામમાં મિલક્ત ખરીદીનો સંદર્ભ હોય છે અને સુરતીઓ આ બાબતને એક સારી તક માનતા હોય આગામી તા.1 લી અને તા.2 ડિસેમ્બરે સુરતમાં દુબઇ અને અમેરિકાના EB-5 વીઝા માટે સુરતના વીઆઇપીઓ, બિઝનેસમેન, ઉદ્યોગપતિઓ માટે ખાસ કેમ્પ રાખવામાં આવ્યા છે.

  • તા.1 અને 2 ડિસેમ્બર 2018ના રોજ ટીજીબી ખાતે દુબઇની 25 પ્રોપર્ટીઓના વેચાણ માટે વીઆઇપીઓ માટે ખાસ શૉ
  • તા.1લી ડિસેમ્બરના રોજ સુરતમાં અમેરિકાના EB-5 વીઝા ઇમિગ્રન્ટસ ઇન્વેસ્ટર વીઝા માટે પણ સુરતી બિઝનેસમેનોને આકર્ષવાનો પ્રયાસ થશે

સુરતના આંગણે દુબઇ પ્રોપર્ટી શૉ

સુરતમાં આગામી તા.1લી અને 2જી ડિસેમ્બર 2018ના રોજ ધ ગ્રાન્ડ ભગવતી હોટલ ખાતે દુબઇ ઇન્વેસ્ટમેન્ટ શૉનું આયોજન કરવામાં આવ્યું છે. આયોજકો દ્વારા પોતાની સંસ્થાનું નામ જાહેર કરાયું નથી કે દુબઇની પ્રોપર્ટીનું વેચાણ કોણ કરી રહ્યું છે પરંતુ, સોશ્યલ મિડીયામાં આપવામાં આવેલી જાહેરાતોમાં જણાવાયું છે કે દુબઇમાં સુરતી રોકાણકારો જો ઇન્વેસ્ટમેન્ટ કરે તો તેમને 10 વર્ષના વીઝા ઉપરાંત બીજા અનેક બેનિફિટ્સ મળી શકે તેમ છે. 10 વર્ષના યુનાઇટેડ આરબ અમિરાતસના રેસિડેન્સી વીઝા માટે ઓછામાં ઓછું ભારતીય ચલણ મુજબ રૂ.1.2 કરોડનું રોકાણ દુબઇ ખાતે કરવું પડે તેમ જણાવાય છે.

સુરત ખાતે યોજાઇ રહેલા દુબઇ ઇન્વેસ્ટમેન્ટ શૉમાં 25 જેટલી દુબઇની પ્રાઇમ લોકેશનવાળી પ્રોપર્ટીનું સેલિંગ ઓફર્સ તેમજ પેમેન્ટ પ્લાન્સ દર્શાવવામાં આવશે. આ પ્રોપર્ટી માટે ઇન્વેસ્ટર્સને પહેલા ત્રણ વર્ષ સુધી 8 ટકા જેટલું વળતર ચૂકવવાની પણ ગેરેન્ટી આપવામાં આવી રહી છે.

અમેરિકાના EB-5 વીઝા એટલે ઇમિગ્રન્ટસ ઇન્વેસ્ટર વીઝા જે

5 લાખ યુએસ ડોલર્સ અંદાજે 3.5 કરોડ રૂપિયામાં પડે

સુરતમાં તા.1લી ડિસેમ્બર 2018ના રોજ એક એવો પણ ઇન્વેસ્ટમેન્ટ કેમ્પ રાખવામાં આવ્યો છે કે જેમાં અમેરિકા જવા માટે ઇચ્છુકોને જો ત્યાંના  રેસિડેન્સી વીઝા ન મળતા હોય તો EB-5 વીઝા એટલે કે અમેરિકામાં પ્રોપર્ટીમાં રોકાણ કરીને ત્યાના વીઝા મેળવી શકાય તે માટે આકર્ષવામાં આવશે. આ અમેરિકન ઇન્વેસ્ટમેન્ટ કેમ્પનું આયોજન કોણે કર્યું છે તેની કોઇ જ માહિતી સોશ્યલ મિડીયા કેમ્પેનમાં આપવામાં આવી નથી. ફક્ત ટેલિફોનિક ઇન્કવાયરીમાં એવું કહેવાય રહ્યું છે કે તા.20મી નવેમ્બર 2018ના રોજ ઇન્કવાયરી કરનારાઓને આ શૉ ક્યાં રાખવામાં આવ્યો છે તેની માહિતી તેમના ટેલિફોન નંબર પર જણાવવામાં આવશે.

 

 

November 29, 2018
2.0.jpg
1min11710

દેશભરમાં આજે 2.0 રિલીઝ થઈ છે. રજનીકાંતના ચાહકોએ તેમની પરંપરા નિભાવતા દેશના અનેક ભાગોમાં સિનેમાઘરોની બહાર ઉત્સવ મનાવ્યો. અનેક શહેરોમાં સવારના 6 વાગ્યાથી જ શો શરૂ થઈ ગયા હતા. સ્ક્રીન પર રજનીકાંતની એંટ્રી થતા જ ચાહકો ગાંડા-ઘેલા થઈ ગયા હતા. એ પૂર્વે રજનીકાંત અને અક્ષયકુમારની ફિલ્મ 2.0ની પાઈરસી અટકાવવા માટે મદ્રાસ હાઈકોર્ટે મહત્વના નિર્દેશો આપ્યા છે. મદ્રાસ હાઈકોર્ટે એક મોટો નિર્ણય લેતા આદેશ આપ્યો હતો કે 12 હજાર સાઈટ્સને તરત જ બ્લૉક કરવામાં આવે.

2.0ના રિલીઝ પૂર્વે જ પાઇરેસી કન્ટેન્ટ અપલોડ કરતી વેબ સાઈટ્સને બ્લૉક કરવાનો આદેશ આપવામાં આવ્યો છે એવી તમામ વેબનો સમાવેશ થાય છે કે જે તમિલ ફિલ્મની પાઈરસી કરી તેને અપલોડ કરે છે. રાજ્યના 37 ઈંટરનેટ પ્રોવાઈડર્સને તાત્કાલિક આ સાઈટ્સ બ્લોક કરવાના આદેશ આપવામાં આવ્યો છે. આ લિસ્ટમાં એ 2 હજાર વેબસાઈટ્સના નામ પણ સામેલ છે જેને તમિલ રૉકર્સ નામની વેબસાઈટ ઑપરેટ કરે છે.

મદ્રાસ હાઈકોર્ટના જસ્ટિસ એમ સુંદરે 2.0ની પ્રૉડ્યૂસર કંપની લયકા પ્રૉડક્શનની અરજી પણ આ આદેશ આપ્યો છે. જેમાં 12, 564 ગેરકાયદે વેબસાઈટના નામ આપવામાં આવ્યા હતા. જ્યારે તમિલ રૉકર્સને બ્લૉક કરવામાં આવી હતી તો તેની જગ્યાએ URLમાં ફેરફાર કરીને અનેક સાઈટ શરૂ કરવામાં આવી હતી. જેમને બ્લૉક કરવામાં આવી છે. પાઈરસીથી ફિલ્મોના બિઝનેસને મોટો ફટકો પડે છે. જેને જોતા આ અરજી કરવામાં આવી હતી

 

November 26, 2018
cng.png
1min11060

ગુજરાત સરકારની ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા ગુજરાત અને મહારાષ્ટ્રના વિવિધ સ્થળો ખાતે પાઈપલાઈન દ્વારા ઘર વપરાશ, કોમર્શિયલ, નોન કોમર્શિયલ, ઔદ્યોગિક એકમોના વપરાશ માટે પી.એન.જી. તથા વાહનો માટે સી.એન.જી. પૂરો પાડવામાં આવે છે. સરકારી ગેસ કંપની ગુજરાત ગેસ દ્વારા સી.એન.જી. પી.એન.જીની કિંમતમાં રૂ.૭/- નો વધારો ઝીંકી દીધો છે.

ગુજરાતમાં ૧૩ લાખ ઘરગથ્થું વપરાશકર્તા પાસેથી બે રૂપિયા જેટલો વધારો, કોમર્શિયલ ગેસના બાર હજાર જેટલા યુનિટો પાસેથી પ્રતિ ક્યુબીક મીટર રૂ.૭/- અને ૨૫૦ થી ૩૦૦ જેટલા સી.એન.જી. પંપ દ્વારા રૂ.૨.૭૦/- જેટલો જંગી વધારો વસૂલવામાં આવી રહ્યો છે.

કેન્દ્રની ભાજપ નેતૃત્વની એન.ડી.એ. સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલ અને રાંધણ ગેસના ભાવોમાં બેફામ વધારાને કારણે જનતાનું હોમ ઇકોનોમીક્સ ખોરવાઈ ગયું છે. દેશના નાગરિકોને પેટ્રોલ-ડીઝલ, રાંધણગેસ, પી.એન.જી.-સી.એન.જી. સહિત અનેક ચીજ વસ્તુઓના ભાવ વધારાના કારણે મોંઘવારીના મારથી દેશની જનતા ત્રાહિમામ પોકારી ગઈ છે. તેમ ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સરકારી ગેસ કંપની ગુજરાત ગેસ દ્વારા સી.એન.જી, પી.એન.જીની કિંમતમાં રૂ.૭/- નો વધારો ઝીંકી દીધો છે. ગુજરાતમાં ૧૩ લાખ ઘરગથ્થું વપરાશકર્તા પાસેથી બે રૂપિયા જેટલો વધારો, કોમર્શિયલ ગેસના બાર હજાર જેટલા યુનિટો પાસેથી પ્રતિ ક્યુબીક મીટર રૂ.૭/- અને ૨૫૦ થી ૩૦૦ જેટલા સી.એન.જી. પંપ દ્વારા રૂ.૨.૭૦/- જેટલો જંગી વધારો વસૂલવામાં આવી રહ્યો છે. કેન્દ્રની ભાજપ નેતૃત્વની એન.ડી.એ. સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલ અને રાંધણ ગેસના ભાવોમાં બેફામ વધારાને કારણે ભારતની જનતાનું હોમ ઇકોનીમીક્સ ખોરવાઈ ગયું છે. ૨૦૧૪-૧૫ માં કેન્દ્ર સરકારે પેટ્રોલ ડ્યૂટીથી ૧ લાખ ૭૨ હજાર કરોડ રૂપિયાની કમાણી કરી હતી, જે કમાણી હવે ૧૦ લાખ કરોડ રૂપિયા સુધીની થઈ ગઈ છે. જે પ્રજાના ખિસ્સામાંથી કેન્દ્ર સરકાર લઈ ગઈ છે. ભારત આશરે ૨૨૫ મિલ્યન મેટ્રિક ટન ક્રુડ બહારથી મગાવે છે, જે દેશની કુલ વપરાશના ૮૨ ટકા છે, જે ૨૦૧૪ માં ભાજપે સત્તા સંભાળી ત્યારે ૭૭ ટકા હતું. હાલમાં ક્રુડનો આંતરરાષ્ટ્રીય બજાર ભાવ ૭૫.૯૫ ડોલર પ્રતિ બેરલ છે. ગુજરાતની ભાજપ સરકાર પેટ્રોલ-ડીઝલ પર ૨૪ ટકા જેટલો વેટ સેસ ઉઘરાવતી હોવાથી મોંઘવારી આસમાને પહોંચી છે. કેન્દ્ર સરકારે કુદરતી ગેસના ભાવમાં ૬ ટકાનો વધારો કર્યો છે. સરકારના આ પગલાંથી સીએનજીના ભાવમાં પણ ભડકો થયો છે. સાથોસાથ રાંધણ ગેસની કિંમતમાં પણ વધારો થયો છે. આ ભાવ વધારાથી વીજળી અને યુરિયા ઉત્પાદનનો ખર્ચ વધશે. મોદી શાસનમાં પેટ્રોલમાં ૧૩૩ ટકા અને ડીઝલમાં ૪૩૩ ટકાથી વધુ કુલ ૧૨ વાર એક્સાઈઝમાં વધારો ઝીંકવામાં આવ્યો. જ્યારે કેરોસીનમાં ૩૧.૨ ટકા અને જાહેર વિતરણ વ્યવસ્થામાં ૩૧.૮૬ ટકા વધારાથી પેટ્રોલ-ડીઝલ, સી.એન.જી. પી.એન.જીમાં મોદી સરકાર દ્વારા ચલાવવામાં આવતી લૂંટ, અને કાળઝાળ મોંઘવારીથી જનતા ત્રાહિમામ પોકારી રહી છે.

તેમણે ઉમેર્યું હતું કે, લોકસભાની ચૂંટણી પૂર્વે વડા પ્રધાન એમ કહેતા કે, ૧૦૦ દિવસમાં મોંઘવારી હટાવીશું, આવા વચનોથી ઉલટ મોંઘવારી ઘટવાના બદલે જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં સરેરાશ ૧૦૦થી ૪૦૦ ટકાનો વધારો થઈ ગયો છે. મોદી સરકારના મળતિયા ઉદ્યોગપતિને લાભ થાય તે માટે સી.એન.જી. માં ૪૪ વખત ભાવ વધારો ઝીંકીને ગુજરાતના સામાન્ય અને મધ્યમ વર્ગને કમર તોડી મોંઘવારીના ખપ્પરમાં ધકેલી દીધા છે.

November 24, 2018
Gujrat-textile.jpg
1min6410

કેન્દ્રીય કપડા મંત્રી સ્મૃતિ ઇરાનીની સુરત ખાતેની છેલ્લી મુલાકાત દરમિયાન વિવર્સના કેટલાક પ્રશ્નો સંદર્ભે ફોગવાના અશોક જીરાવાળા સમેત 4 આગેવાનો એ કાળા વાવટા બતાવવાની કરેલી હરકતના માઠા પરિણામો હવે ફોગવાના આગેવાનોએ ભોગવવા પડી રહ્યા છે. રાજ્ય સરકારે નવી ટેક્સટાઇલ પોલિસીના ડ્રાફ્ટિંગની મિટીંગમાંથી જ ફોગવાનો એકડો કાઢી નાંખ્યો છે.

આજે મુખ્યમંત્રીના નિવાસ્થાને નવી ટેક્સટાઇલ પોલિસીની રચના માટે મળેલી બેઠકમાં ફોગવાના એકેય આગેવાનને સ્થાન અાપવામાં આવ્યું ન હતું. આમ છતાં ફોગવાએ ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ વેલ્ફેર એસોસીએશન (ફોગવા)એ ગુજરાતની નવી ટેક્સટાઇલ પોલિસીમાં સામેલ કરવા માટેના કેટલાક મુદ્દાઓ આધારિત એક મેમોરેન્ડમ પાઠવ્યું છે. ફોગવાએ કરેલી રજૂઆતો મોટે ભાગે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કરી દેવાઇ છે એટલે ફોગવા રજૂઆત કરે કે ન કરે રાજ્ય સરકારને કશો ફરક પડતો નથી.

ફોગવાની નેતાગીરીએ રાજ્ય સરકારને કરેલી રજૂઆતોમાં નીચે મુજબના મુદ્દાઓ ગુજરાત સરકારની ડ્રાફ્ટ થઇ રહેલી ટેક્સટાઇલ પોલિસીમાં સમાવવા રજૂઆત કરી છે.

  1. હયાત પાવર લુમ્સ ઇન્ડસ્ટ્રઝ અને નવી પાવર લુમ્સ ઇન્ડ. માટે સ્પેશિયલ પાવર ટેરીફ (રૂ.3.50 પ્રતિ યુનિટ બધા જ ચાર્જ સાથે અને ટેક્સ સાથે)
  2. નવી ટેક્સટાઇલ પોલિસીમાં 5થી 8 ટકાની વ્યાજની સબસિડી વિવર્સને આપવામાં આવે.
  3. કેપિટલ સબસિડી 10 ટકા શહેર હદ વિસ્તારમાં અને 15 ટકા શહેર બહારની હદ વિસ્તારમાં આવેલા વિવર્સને આપવામાં આવે. જેમાં સબસિડીની રકમની લિમીટ રૂ.20 કરોડ ટેકસટાઇલ અપગ્રેડેશન ફંડની ગાઇડ લાઇન મુજબ
  4. જુના પાવર લુમ્સનું આધુનિકરણ કરવા માટે 25 ટકા કેપિટલ સબસિડી.
  5. વિવિંગ ઉદ્યોગ માટે નવું બાંધકામ કરવા રૂ.350 પ્રતિ સ્ક્વેયર ફીટની સબસિડી
  6. વોવન ટેકનિકલ ટેક્સટાઇલ માટે 45 ટકા સબસિડી આપવામાં આવે.

ફોગવાની રજૂઆતોને ધ્યાનમાં નહીં લેવાય

જોકે જાણકારો કહે છે કે ફોગવાની રજૂઆતોને ધ્યાનમાં એટલા માટે લેવાય નહીં કેમકે ફોગવાના પ્રમુખ અશોક જીરાવાળા સમેત કેટલાક આગવાનો વિવર્સના પ્રશ્નો હલ થાય તો કોંગ્રેસને શ્રેય આપશે અને અગાઉ પણ આવી હરકતો ફોગવાની હાલમાં આગેવાની લેનારાઓ કરી ચૂક્યા છે. અશોક જીરાવાળાએ તો ક્રેડિટ લેપ્સના મુદ્દે ઉતાવળે એવું પણ નિવેદન કરી દીધું હતું કે ભાજપ સરકાર કશું નહીં કરે તો ફોગવાએ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને રજૂઆતો કરવી પડશે. અશોક જીરાવાળાના આ નિવેદન પછી ફોગવાને કેન્દ્ર અને રાજ્ય સરકારે સહેજ પણ દાદ નહીં આપવાનો નિર્ણય કરી દીધો છે. પરીણામે નવી ટેક્સટાઇલ પોલિસીમાં ફોગવાની જગ્યાએ સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની રજૂઆતોને ગંભીરતાથી લઇને પ્રાધાન્ય અપાશે એમાં કોઇ બે મત નથી.

November 21, 2018
surat_athwa.jpg
1min739230

(Symbolic photo of Surat)

ગુજરાતની જ નહીં બલ્કે દેશની આર્થિક નગરી ગણાતું સુરત શહેર ગુજરાતના અમદાવાદ કે રાજકોટના મુકાબલે હાલના દિવસોમાં અભૂતપૂર્વ મંદીના દૌરમાંથી પસાર થઇ રહ્યું છે. દિવાળી પછી સુરતમાં ધંધા-રોજગાર હજુ સુધી શરૂ થઇ શક્યા નથી. સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગની સેંકડો દુકાનો શરૂ તો થઇ છે પણ લાભપાંચમ પછી કેટલીય દુકાનોમાં બોણી પણ થઇ નથી. વિવર્સ પાસે કામ નથી. મિલોમાં પણ પ્રોડકશન નહીંવત છે. સુરતના બાંધકામ ઉદ્યોગની તો આમેય દશા બેઠી છે. હીરા ઉદ્યોગમાં મોટા કારખાનાઓ પાસે ઠીકઠીક કામ છે, જ્યારે નાના કારખાના તો ડિસેમ્બરમાં શરૂ થાય તેમ છે.

ધંધો મળવાની આશા નથી એટલે નવું દેવું કોઇ કરતું નથી, કેપિટલમાંથી ખર્ચા કાઢતા વેપારીઓ

સૂત્રો જણાવે છે કે સુરતમાં દિવાળી પછી આ પ્રકારનો અભૂતપૂર્વ માહોલ 14 વર્ષ બાદ સર્જાયો છે. બજારમાં લિક્વિડીટી (કેશ ફ્લો)નો પ્રોબ્લેમ એટલી હદે વધી ગયો છે કે શહેરની જુની અને મોટી વેપારી પેઢીઓ નાણાં ભીડને કારણે તેમની કેપિટલ તોડવા માંડ્યા છે. કેપીટલ તોડીને કેટલાક ખર્ચને પહોંચી વળવાનું આયોજન કરી રહ્યા છે. બજારમાંથી કે બેંક પાસેથી નાણાં લઇને દેવું કરવાની જગ્યાએ મોટી પેઢીઓ કેપીટલ તોડી રહ્યા છે એ બાબત સૂચવે છે કે નજીકના ભવિષ્યમાં પણ તેમના ધંધા રોજગાર ધમધમે તેવા કોઇ અણસાર દેખાતા નથી.

સૌરાષ્ટ્રવાસીઓ વતનથી પરત ફર્યા નથી

દિવાળીના પાંચ દિવસ પૂર્વેથી સુરતના લગભગ મોટા ભાગના કામ ધંધા બંધ થયા હતા, જે આજે 21 મી નવેમ્બર સુધી પણ પૂર્વવત થયા નથી. સુરતની સરખામણીમાં અમદાવાદ અને રાજકોટ જેવા શહેરોમાં દિવાળી વેકેશન બાદ ધંધા રોજગારની સ્થિતિ પૂર્વવત જોવા મળી રહી છે. સુરતમાં હજુ સુધી કેમ ધંધા રોજગાર શરૂ થયા નથી તે અંગે અનેક તર્કવિતર્ક કરવામાં આવી રહ્યા છે. સુરતની ઇકોનોમીમાં સૌથી મોટું યોગદાન સ્વભાવિક છે કે સૌરાષ્ટ્રવાસીઓનું રહ્યું છે, સૌરાષ્ટ્રવાસીઓ દિવાળી નિમિત્તે વતન ગયા છે અને હજુ સુધી પરત ફર્યા નથી, આવી સ્થિતિમાં ધંધા રોજગાર સ્વાભાવિક છે કે ઠપ થઇ ગયા છે.

ટેક્સટાઇલ ટ્રેડર્સનો આખો દિવસમાં બોણી પણ થતી નથી

બીજી તરફ સુરતમાં બે મોટા ઉદ્યોગો પૈકી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં ઉત્પાદનથી લઇને વેચાણ સુધીની ચેઇન સાવ જ નિષ્ક્રીય પડી રહી છે. સાવ સામાન્ય કામ જોવા મળી રહ્યું છે. રિંગ રોડ ટેક્સટાઇલ માર્કેટના સેંકડો દુકાનદારો એવા છે કે જેમને હાલના દિવસોમાં મોડી સાંજ સુધી બોણી પણ થતી નથી. માલ વેચાણની વાત તો દૂર રહી પણ પ્રોડકશન કરતા વિવર્સ કે પ્રોસેસર્સ પાસે પણ હાલમાં કામ નથી.

હજીરા રિલાયન્સમાં યાર્નનો ભરાવો, સ્ટોરેજ માટે જગ્યા નથી

આશ્ચર્યની વાત એ છે કે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં મંદીનો માહોલ છે એની પ્રતીતિ હજીરા સ્થિત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કમ્પાઉન્ડમાં રોડ પર, જાહેરમાં ખડકાયેલા યાર્નના બોક્સ પરથી થઇને રહે છે, રિલાયન્સ હજીરા યુનિટમાં યાર્નનો ભરાવો થયો છે અને તેમની પાસે યાર્નના બોક્સ સ્ટોર કરવાના ગોડાઉનમાં માલનો ભરાવો એટલો થયો છે કે તેમણે ઓપન ગ્રાઉન્ડ પર યાર્ન સ્ટોર કરવું પડ્યું છે. સુરતના ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં રિલાયન્સ યાર્નનો મોટો હિસ્સો છે, એનું યાર્ન નથી વેચાતું એના પરથી પ્રતીતિ થાય છેકે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ કેટલી મંદીમાંથી પસાર થઇ રહી છે.

રિયલ એસ્ટેટમાં અભૂતપૂર્વ નાણાં ભીડ

શહેરના બાંધકામ ઉદ્યોગ પર આમેય જીએસટી અને રેરાનો માર તો પહેલેથી જ હતો પણ દિવાળીના તહેવારોમાં જે ગેપ પડ્યો તેને કારણે મંદ ગતિએ ચાલતો રિયલ એસ્ટેટ બિઝનેસ હાલમાં મંદીની ગર્તામાં ધકેલાય ગયો છે. ઓન ગોઇંગ પ્રોજેક્ટસ કરી રહેલા બિલ્ડરો પ્રોજેક્ટ પૂરા કરે તો બુકિંગ કરાવનારાઓ પાસેથી પેમેન્ટ મળે તેમ છે, બીજી તરફ પ્રોજેક્ટ પૂરો કરવા માટે નાણાં નથી. નાણાં ભીડને કારણે હાલમાં બાંધકામ ઉદ્યોગ જબરદસ્ત મંદીમાં સપડાયેલો જોવા મળી રહ્યો છે. બિલ્ડર્સ આગેવાનો જણાવે છે કે અગાઉ દિવાળી બાદ જ્યારે કામ શરૂ કરવામાં આવે ત્યારે ટર્ન ઓવર પર થોડી અસર થતી પણ સાવ મંદીની સ્થિતિ ક્યારેય જોવા મળી ન હતી.

સુરતની ઇકોનોમી સ્લો ડાઉનની અસર સામાન્ય પરિવારો પર પણ પડી રહી છે. સામાન્ય પરિવારો પણ તેમના રોજબરોજના ખર્ચા પર અસાધારણ કાપ મૂકી રહ્યા છે.

November 21, 2018
govt.jpeg
1min8220
  • 122 કેન્દ્રો ઉપર 5,352 ખેડૂતોની મગફળી સરકારે લીધી
  • કુલ 5,352 ખેડૂતો પાસેથી રૂ. 5,377 લાખની કિંમતની મગફળી ખરીદવામાં આવી
  • રાજ્યસરકાર દ્વારા ખરીફ સીઝન 2018-19 માટે રૂ 1000ના ભાવથી તા. 15ના રોજથી ખરીદી
  • 122 એપીએમસી સેન્ટર ખાતે ખરીદીનું કામકાજ
  • કુલ 1,07,539.75 ક્વિન્ટલ મગફળી ખરીદવામાં આવી
ગુજરાતમાં પાંચ દિવસમાં ખેડૂતોની આશરે 1.07 લાખ ટન મગફળી ખરીદ કરવામાં આવી છે. કુલ 5,352 ખેડૂતો પાસેથી રૂ. 5,377 લાખની કિંમતની મગફળી ખરીદવામાં આવી છે.
રાજ્યના નાગરિક પુરવઠા નિગમ લિમિટેડના જણાવ્યા પ્રમાણે રાજ્યસરકાર દ્વારા ખરીફ સીઝન 2018-19 માટે રૂ 1000ના ભાવથી તા. 15ના રોજથી ખરીદી આરંભાઇ છે. 122 એપીએમસી સેન્ટર ખાતે ખરીદીનું કામકાજ ચાલુ છે. પાંચ દિવસમાં  રાજ્યભરના 5,352 ખેડૂતો પાસેથી કુલ રૂ.5,377 લાખની કુલ 1,07,539.75 ક્વિન્ટલ મગફળી ખરીદવામાં આવી છે. હવે સરકાર ખરીદીની પ્રક્રિયા તેજ બનાવવાની છે.
  • જામનગર જિલ્લામાં 386 ખેડૂતો પાસેથી 5787 ટન મગફળી ખરીદાઇ
  • કુલ 19,432 ખેડૂતોની નોંધણી
  • ભાવનગરમાં ચિત્રા ખાતે ત્રણ દિવસમાં કુલ 175 ખેડૂતો પાસેથી 4,457 ક્વીન્ટલ મગફળી ખરીદાઇ
  • ધોરાજી માર્કેટ યાર્ડમાં 6377 ગુણી મગફળી ખરીદવામાં આવી
  • બોટાદમાં હડદડ યાર્ડ ખાતે ચાર દિવસમાં 130 ખેડૂતો પાસેથી 160 ટન મગફળી ખરીદવામાં આવી
  • ગીર સોમનાથ જિલ્લામાં 326 ખેડૂતોની 3.5 કરોડની મગફળીની ખરીદી
  • પોરબંદરમાં ટેકાના ભાવથી 3475 ક્વીન્ટલ મગફળીની ખરીદી
જામનગર જિલ્લામાં 386 ખેડૂતો પાસેથી 5787 ટન મગફળી ખરીદાઇ હોવાનું જિલ્લા કલેક્ટર રવિશંકરે જણાવ્યું હતુ. કુલ 19,432 ખેડૂતોની નોંધણી થઇ છે. કેન્દ્રો ઉપર ખરીદી ચાલુ છે. 14 ટકા સેમ્પલો અત્યાર સુધી રિજેક્ટ થયા છે. વિડીયોગ્રાફી સાથે ટીડીઓ અને મામલતદાર પણ ખરીદી વખતે હાજર રહે છે. પોલીસનો જાપ્તો પણ છે.
ભાવનગરમાં ચિત્રા ખાતે  150 લોકોના સ્ટાફ સાથે ખરીદી ચાલુ છે. પ્રથમ ત્રણ દિવસમાં કુલ 175 ખેડૂતો પાસેથી 4,457 ક્વીન્ટલ મગફળી ખરીદાઇ છે. બારદાન, વજનકાંટા, પ્રિન્ટેડ ફ્લેક્સ ટેગ, સિલાઇ મશીન, મજૂરો, ટ્રાન્સપોર્ટેશન, સેમ્પલ બેગ વગેરેની વ્યવસ્થા પૂરતા પ્રમાણમાં છે. બોટાદમાં હડદડ યાર્ડ ખાતે ખરીદી ચાલુ છે. પ્રથમ ચાર દિવસમાં 130 ખેડૂતો પાસેથી 160 ટન મગફળી ખરીદવામાં આવી છે. 1035 ખેડૂતોએ અત્યાર સુધી નોંધણી કરાવી છે.
ધોરાજી માર્કેટ યાર્ડમાં 6377 ગુણી મગફળી ખરીદવામાં આવી છે. માટી-કચરો ન હોય તેવી ગુણવત્તાના માપદંડ અનુસાર ખરીદી થાય છે. એ માટે કલેક્ટરના માર્ગદર્શન હેઠળ કામકાજ થાય છે.
ગીર સોમનાથ જિલ્લામાં 326 ખેડૂતોની 3.5 કરોડની મગફળીની ખરીદી કરવામાં આવી છે. મગફળીનો જથ્થો આશરે 35,600 મણ મળ્યો છે. વેરાવળ, ઉના, સુત્રાપાડા, કોડીનાર અને તાલાલામાં કેન્દ્ર ચાલુ છે. પોરબંદરમાં ટેકાના ભાવથી 3475 ક્વીન્ટલ મગફળીની ખરીદી કરવામાં આવી છે. કલેક્ટર દ્વારા ખરીદ કેન્દ્રોની મુલાકાત લઇને વ્યવસ્થાનું નિરિક્ષણ કરવામાં આવ્યું હતુ.કુલ 495 ખેડૂતોની ખરીદી કરવામાં આવી હતી.
November 20, 2018
startup.jpeg
1min5980
  • 2013થી અત્યાર સુધીમાં નાણાં એકત્ર કરનારા 2,000થી વધુ સ્ટાર્ટઅપ્સને નોટિસ
  • ફંડ એકત્રીકરણના પ્રથમ રાઉન્ડ પછી જે કંપનીઓનાં વેલ્યુએશન ઘટી ગયાં

કેટલાક સ્ટાર્ટઅપ્સમાં રોકાણકારોએ ચૂકવેલા પ્રીમિયમ સામે આવકવેરા વિભાગ પછી કોર્પોરેટ બાબતોના મંત્રાલયે (એમસીએ) પણ સવાલ ઉઠાવ્યા છે. 2013થી અત્યાર સુધીમાં નાણાં એકત્ર કરનારા 2,000થી વધુ સ્ટાર્ટઅપ્સને આ અંગે નોટિસ ફટકારવામાં આવી છે.

આ સ્ટાર્ટઅપ્સે જે મૂલ્ય પર નાણાં એકત્ર કર્યાં તે વિશે કોર્પોરેટ બાબતોના મંત્રાલયે સવાલ ઉઠાવ્યા છે. ફંડ એકત્રીકરણના પ્રથમ રાઉન્ડ પછી જે કંપનીઓનાં વેલ્યુએશન ઘટી ગયાં તેમના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ નોટિસ છેલ્લા 45 દિવસમાં ઇશ્યૂ કરવામાં આવી છે જેમાં મંત્રાલયે પૂછ્યું છે કે આ સ્ટાર્ટઅપ્સને કોઈ સરકારી સ્કીમ હેઠળ મુક્તિ મળી છે કે કેમ.

નોટીશમાં શું ખુલાસો મંગાયો

સ્ટાર્ટઅપ્સના શેર ઊંચા પ્રીમિયમે ઇશ્યૂ કરાયા હતા, તેની પાછળનો તર્ક જણાવો અને કંપનીને સ્ટાર્ટઅપ તરીકે કોઈ ટેક્સ માફી મળી છે કે નહીં તે પણ જણાવો

બે વર્ષ અગાઉ આવકવેરા વિભાગે પણ આવો જ સવાલ કર્યો હતો અને પ્રથમ રાઉન્ડ પછી તેમના વેલ્યુએશનમાં ઘટાડો થયો હોય તો ૩૩ ટકાના દરે સ્ટાર્ટ અપ્સ પાસેથી ટેક્સ વસૂલવા માંગણી કરી હતી. નોટિસમાં જણાવાયું છે કે, “સ્ટાર્ટઅપ્સના શેર ઊંચા પ્રીમિયમે ઇશ્યૂ કરાયા હતા. તેની પાછળનો તર્ક જણાવો અને કંપનીને સ્ટાર્ટઅપ તરીકે કોઈ ટેક્સ માફી મળી છે કે નહીં તે પણ જણાવો.”

ટેક્સ નિષ્ણાતોએ જણાવ્યું કે સ્ટાર્ટઅપ્સ ફંડ એકત્ર કરે ત્યારે વિવિધ પરિબળોના આધારે તેનાં વેલ્યુએશન અંગે સવાલ ઉઠાવી શકાય છે. ખાસ કરીને ભવિષ્યના અંદાજને તેમાં ધ્યાનમાં રાખવામાં આવે છે.

કોર્પોરેટ બાબતોના મંત્રાલયે સ્ટાર્ટઅપ્સનું પ્રીમિયમ કેવી રીતે ગણવામાં આવ્યું તેનો ખુલાસો કરવા કહ્યું છે અને ફંડ એકત્ર કરવાના ટ્રાન્ઝેક્શનની વિગત માંગી છે.

આવકવેરા વિભાગે 2016માં સ્ટાર્ટઅપ્સને મોકલેલી નોટિસ કરતાં કોર્પોરેટ બાબતોના મંત્રાલયની નોટિસ થોડી અલગ છે. આવકવેરા વિભાગે માત્ર એન્જલ ઇન્વેસ્ટર્સના રોકાણ સામે સવાલ ઉઠાવ્યા હતા પરંતુ એમસીએએ તેની તપાસ તમામ પ્રકારના રોકાણ સુધી વિસ્તારી છે જેમાં વેન્ચર કેપિટલ અને પ્રાઇવેટ ઇક્વિટી ટ્રાન્ઝેક્શન સામેલ છે.

ઘણા કિસ્સામાં નોટિસમાં ઊંચું પ્રીમિયમ, તેની પાછળના તર્ક અને સ્ટાર્ટ અપ્સ સરકારની ડીઆઇપીપી સ્કીમમાં રજિસ્ટર છે કે નહીં તેની વિગત માંગવામાં આવી છે. ટેક્સ અધિકારીઓ માને છે કે સ્ટાર્ટઅપ્સને રોકાણના છેલ્લા રાઉન્ડના આધારે વેલ્યૂ કરવામાં આવશે. છેલ્લા રાઉન્ડનું વેલ્યુએશન પ્રથમ રાઉન્ડ કરતાં ઓછું હોય તો તેમાં વધારાનું પ્રીમિયમ ચૂકવાયું હોવાનું માનવામાં આવશે.

November 17, 2018
vib.jpg
1min4850

રાજ્યમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં રોકાણ આકર્ષવા માટેના ફોરેન રોડ-શો બાદ હવે ડોમેસ્ટિક રોડ-શો શરૂ કરવામાં આવ્યા છે, જેના ભાગરૂપે તા.16મી નવેમ્બર 2018ના રોજ મુખ્યપ્રધાન વિજય રૂપાણીની આગેવાનીમાં નવી દિલ્હીમાં રોડ-શો યોજીને અભિયાનનો આરંભ કરવામાં આવ્યો હતો. દિલ્હીમાં રોડ શો યોજ્યા બાદ ઉદ્યોગકારો સાથે બેઠક પણ યોજશે.

નવી દિલ્હી ઉપરાંત મુંબઈમાં રોડ-શો યોજાશે જેમાં રાજ્યના નાયબ વડાપ્રધાન નીતિન પટેલ હાજરી આપશે. ત્યાર બાદ અન્ય શહેરો જેવા કે બેંગલુરુ, કોલકતા, હૈદરાબાદ અને પૂણે જેવાં શહેરોમાં યોજાનારા રોડ-શોમાં ઉદ્યોગપતિઓ સમક્ષ ગુજરાતમાં વિવિધ સેક્ટરમાં રોકાણની તકો અંગે વિગતે રજૂઆત કરાશે. રાજ્યના ઊર્જાપ્રધાન સૌરભ પટેલ અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ રોડ-શોની આગેવાની કરીને રોકાણને આકર્ષશે.

રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રી વિજય રૂપાણી દિલ્હીમાં વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટ-2019ની વિશેષતાઓ અંગે રોડ-શો અને વેપાર-ઉદ્યોગ અગ્રણીઓ સાથે વન-ટુ-વન બેઠકો યોજશે. તેઓ વિવિધ રાષ્ટ્રોના રાજદૂતો સાથે પણ બેઠકો પણ યોજશે. વાઇબ્રન્ટ ગુજરાત-2019નો આ કર્ટન રેઝર કાર્યક્રમ હશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવી દિલ્હીની હોટેલ તાજ પેલેસમાં તા.16મી નવેમ્બર 2018ની સવારે 9થી 1 દરમ્યાન ઉદ્યોગ-વેપારજગતના વરિષ્ઠ સંચાલકો અને અગ્રણીઓ સાથે વાઇબ્રન્ટ સમિટ-2019 સંદર્ભે બેઠકો યોજી હતી. તેઓ વાઇબ્રન્ટ સમિટની વિશેષતાઓ સાથોસાથ વૈશ્વિક ફલક પર બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન તરીકે ગુજરાતની ઊભરી રહેલી પ્રતિભા સંદર્ભમાં આ ઉદ્યોગ-વેપાર અગ્રણીઓ સમક્ષ વિશદ વિચાર-વિમર્શ, રોડ-શો અને વન-ટુ-વન બેઠક યોજી હતી. મુખ્યમંત્રી વિવિધ રાષ્ટ્રોના નવી દિલ્હી સ્થિત રાજદૂતો-ડિપ્લોમેટ્સને વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટ અંગે માહિતગાર કર્યા હતા.

આ બેઠકોમાં ભારત સરકારના વિદેશ, ઉદ્યોગ તથા અન્ય મંત્રાલયોના વરિષ્ઠ સચિવો મુખ્ય સચિવ ડો. જેએન સિંહ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, અગ્ર સચિવ એમકે દાસ, સચિવ અશ્વિનીકુમાર, ઉદ્યોગ કમિશનર મમતા વર્મા અને ગુજરાત સરકારના સંબંધિત ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા.

November 16, 2018
sachin.jpg
1min15870

નાના,સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ સહસિકોને સહાયરૂપ થવા લીડ બેન્ક દ્વારા આગામી ૧૦૦ દિવસ સુધી દર અઠવાડિયે બે અવેરનેસ કેમ્પ યોજાશે 

નાના,સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ સહસિકોને ત્વરિત અને સરળતાથી રૂ.૦૧ કરોડ સુધીની લૉન મળી રહે તે હેતુથી સચિન ઇન્ડસ્ટ્રીયલ કો.ઓપ.સોસાસયટી હોલ, સચિન GIDC ખાતે અવેરનેસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે દેના બેન્કના ઝોનલ મેનેજરે જણાવ્યુ હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ૨જી નવેમ્બરના રોજ PSB લૉન ઇન ૫૯ મિનિટ પોર્ટલને લોન્ચ કર્યું હતું. જેના સંદર્ભે નાના,સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ સહસિકોને સહાયરૂપ થવા લીડ બેન્ક દ્વારા આગામી ૧૦૦ દિવસ સુધી દર અઠવાડિયે બે અવેરનેસ કેમ્પ બેન્ક, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, સીડબી, KVIC, લેબર ડિપાર્ટમેન્ટ, એમ્પ્લોયમેન્ટ, GeM, ટેક્સટાઇલ અને અન્ય સરકારી એજન્સીના સહયોગથી આયોજન કરવામાં આવ્યું છે. જેની શુભ શરૂઆત સચિનથી આ કેમ્પ દ્વારા કરી રહ્યા છીએ.

જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર શ્રી ડી.આર.પટેલે જણાવ્યું કે, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા MSME સાહસિકોને લૉન સબસીડી આપવામાં સુરત મોખરે રહ્યું છે. તેમણે આવા કેમ્પનો વધુ ને વધુ લોકોને લાભ લેવા અનુરોધ કર્યો હતો.

સીડબીના AGM શ્રીગણેશે કેમ્પમાં ખાસ ઉપસ્થિત રહી ઓનલાઈન પોર્ટલ અંગે માહિતી આપી હતી.તેમજ એસબીઆઈમાંથી શ્રી પરમારે સોશયલ સિક્યુરિટીની સ્કીમ વિશે ઉપયોગી જાણકારી આપી હતી.

કાર્યક્રમનું સંચાલન કરતા લીડ બેન્ક મેનેજરશ્રી રસિક જેઠવાએ જણાવ્યુ કે, દર અઠવાડિયે મંગળવારે અને શુક્રવારે અવેરનેસ કેમ્પનું આયોજન બેંકો અને સરકારી વિભાગના સંયુક્ત ઉપક્રમે વિવિધ સ્થળે કરવામાં આવશે.
આભારવિધિ કરતા બેન્ક ઓફ બરોડાના ડેપ્યુટી રિજીયોનલ હેડ શ્રી વિનોદકુમાર જૈનએ દરેક બેંકોએ આ તકને ઝડપી MSME પોર્ટફોલિયોને મજબૂત બનાવવા તથા સરકારની વિવિધ યોજનાનો લાભ નાના અને લઘુ ઉદ્યોગકારોને મળી રહે તેવા સામુહિક પ્રયાસ કરવા આવાહન કર્યું હતું.

આ કાર્યક્રમમાં ટેક્સટાઇલ કમિશનર કચેરીના શ્રી દુરાઇસ્વામી, તેમજ સ્ટેટ બેન્ક, દેના બેન્ક, પંજાબ નશનલ બેન્ક, સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા, યુકો બૅન્ક, IDBI બેન્ક,વિજયા બેન્ક ,કેનેરા બેક, પંજાબ સિંધ બેન્ક, યુનિયન બેન્ક જેવી બેંકો દ્વારા સ્ટોલ લગાવી લાભાર્થીઓને માહિતી અને માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું હતું. કેમ્પને સફળ બનાવવા સચિન ઇન્ડ.કો.ઓપ.સોસા.ના નિલેશભાઈ કોરાટ, પ્રવીણભાઈ વોરા, ભીખુભાઈ, અરવિંદભાઈ તથા સ્ટાફ અને વિનય પટેલ ,બૈજુકુમાર, બનવારી તથા બેન્ક સ્ટાફે જહેમત ઉઠાવી હતી.