10 સરકારી બેન્કોના કરવામાં આવી રહેલા મર્જર સામે બેન્કિંગ સેક્ટરના ટ્રેડ યૂનિયન સંગઠનોએ આગામી તા. 26 અને 27 સપ્ટેમ્બરના રોજ હડતાળ પાડીને કામથી અળગા રહેવાનું એલાન કર્યું છે. સરકારી બેંકોના મોટા ભાગના કર્મચારીઓ આ હડતાળમાં જોડાશે. યૂનિયને સરકાર સમક્ષ 8 માગો મૂકી છે.
મર્જરના વિરોધમાં બેન્ક કર્મચારીઓની હળતાળના કારણે ચાલુ માસ દરમિયાન 4 દિવસ બેંકોમાં કામકાજ ઠપ થઇ જશે કેમકે 26-27 સપ્ટેમ્બર બે દિવસ હડતાળ, 28 સપ્ટેમ્બરે મહિનાનો ચોથો શનિવાર અને એ પછી રવિવારની રજા એમ સળંગ 4 દિવસ એટલે કે ગુરૂવાર, શુક્રવાર, શનિવાર અને રવિવારના દિવસે બેન્કોમાં રજા રહેશે.
ટ્રેડ યૂનિયને પ્રદર્શનના ભાગરૂપે અનિશ્ચિકાળ સુધી આ હડતાળ કરવાની પણ ચેતવણી આપી છે.
મર્જર-1માં પંજાબ નેશનલ બેન્કમાં યૂનાઈટેડ બેન્ક ઓફ ઈન્ડિયા અને ઓરિએન્ટલ બેન્કનું મર્જર. મર્જર-2માં કેનેરા બેન્કમાં સિન્ડિકેટ બેન્ક મર્જ થશે. મર્જર-3માં યૂનિયન બેન્ક ઓફ ઈન્ડિયા, આંન્ધ્રા બેન્ક અને કોર્પોરેશન બેન્ક એક થઈ જશે. મર્જર-4માં ઈન્ડિયન બેન્કમાં ઈલાહાબાદ બેન્ક નું મર્જર થશે. મર્જરની જાહેરાત પછી હવે દેશમાં 12 પબ્લિક સેક્ટર બેન્ક જ રહેશે. 2017માં 27 પબ્લિક સેક્ટર બેન્કો હતી. આ મર્જર પછી માત્ર 4 બેન્કનું અસ્તિત્વ રહેશે. એટલે કે 6 બેન્ક એકબીજામાં મર્જ થઈ જશે.
સમગ્ર ભારતમાં ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ સિટી તરીકે ખ્યાતિ પ્રાપ્ત સુરતમાં હાલ જબરદસ્ત મંદીનો માહોલ છે અને સૌથી તીવ્ર મંદી હાલ રિયલ એસ્ટેટ એટલે કે બાંધકામ ક્ષેત્રમાં પ્રવર્તી રહી છે અને આ મંદી બેકાબૂ છે. અગ્રણી બિલ્ડરો તો ત્યાં સુધી કહે છે કે આ એક અનકન્ટ્રોલ્ડ માહોલ છે, કોઇ પેકેજ મંદી દૂર કરી શકે નહીં ફક્તને ફક્ત માનસિકતા, વિચારધારા બદલાશે તો જ સુરતનો બાંધકામ ઉદ્યોગ ફરી મંદીમાંથી બહાર આવશે અને તેને બહાર આવતા પણ સહેજેય બે-ત્રણ વર્ષ નીકળી જશે. રિયલ એસ્ટેટ ઉદ્યોગની કઠિણાઇ જ એ છે કે તેમાં રિયલ વપરાશકર્તા ઓછા છે અને જે છે તેમની પાસે બિલ્ડરોને આપવાના બ્લેકના રૂપિયા નથી, વ્હાઇટના તો બેંકો ધિરાણ આપે જ છે.
તા.10મી સપ્ટેમ્બરે ક્રેડાઇના જક્ષય શાહ સુરત આવ્યા હતા. બિલ્ડરોએ કઇ રીતે ધંધો કરવો જોઇએ એ વિષય પર તેમણે કેટલાક નિવેદનો કર્યા. એક નિવેદન એ કર્યું કે ડાયરી પ્રથા બિલ્ડરોએ બંધ કરવી જોઇએ. ડાયરી પ્રથા એટલે બ્લેક મનીના હિસાબો.
એવું નથી કે ઘર, મકાન, ફ્લેટ ખરીદનારાઓ હવે માર્કેટમાં રહ્યા નથી. પરંતુ, અવાસ્તવિક ભાવોને કારણે ઉપરોક્ત પેન્સિલ ડ્રોઇંગની જેમ લોકો રાહ જોઇ રહ્યા છે કે ક્યારે ફ્લેટ, દુકાનો, મકાનોના ભાવો ઉતરે અને તેઓ લઇ શકે.
સુરતના અનેક બિલ્ડરો સાથે સી.આઇ.એ. લાઇવ એ વાત કરી પછી જે નિષ્કર્ષ મળ્યો તે અહીં રજૂ કરીએ છીએ.
બુકિંગ પહેલા 10, 20 લાખ રૂપિયા આપીને મોટો નફો કમાઇ લેવાની વૃતિએ ઇન્વેસ્ટરોને તો ભેરવ્યા, બિલ્ડરો પણ આસમાન સે ટપકા ખજૂર પે અટકા સ્થિતિમાં લાવી દીધા
હાલમાં રિયલ એસ્ટેટમાં પ્રવર્તમાન મંદી માટે જવાબદાર જો કોઇ પરિબળ હોય તો એ ઇન્વેસ્ટર્સ છે. એવા રોકાણકારો કે જેઓ પોતાના ધંધામાંથી સરપ્લસ મની લઇને અગર તો એવા ઇન્વેસ્ટર્સ કે જે ફ્લેટ, દુકાન, ઓફિસ, રો હાઉસ વગેરેમાં 10, 20 લાખ રૂપિયા બુકિંગ અગાઉથી રોકીને ટૂંકા ગાળામાં નફો રળી લેવાની વૃતિ ધરાવતા હોય એવા લોકોએ રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીનું સેન્ટીમેન્ટ એટલું ખરડી નાંખ્યું કે આજે ચાર ચાર બંગડીઓવાળી ગાડી લઇને ફરતા બિલ્ડરોએ ગ્રાહકોથી મોઢા છુપાવતા ફરવું પડી રહ્યું છે.
રિયલ એસ્ટેટમાં રિયલ રહેવાવાળા, રિયલ વપરાશકર્તા જ ગાયબ
રિયલ એસ્ટેટ ક્ષેત્રમાંથી રિયલ વપરાશકર્તાઓ જ ગાયબ થઇ ગયા અને એટલે જ ક્રેડાઇના ગુજરાત ચેરમેને કહેવું પડ્યું કે બાંધકામ ઉદ્યોગમાંથી બ્લેકના રૂપિયાનું ચલણ દૂર કરો, શક્ય એટલા વ્હાઇટના રૂપિયાથી ધંધો કરશો તો રિયલ યુઝર્સ, રિયલ વપરાશકર્તા, રિયલ રહેવાવાળા ફ્લેટ, દુકાન, ઓફિસ ખરીદશે કેમકે તેમને જેટલા વ્હાઇટના પેપર મળશે તેટલી લોન વધુ મળશે.
બ્લેકના રૂપિયા આપી આપીને ઇન્વેસ્ટરે મંદીમાં તો બિલ્ડરો કરતા પણ વધારે કમાઇ લીધું હતું હવે બાંધકામ ઉદ્યોગમાં તેમની જે હાલત હતી કે નહીં ઘરના (પોતાના ધંધાના) નહીં ઘાટના (બાંધકામ ઉદ્યોગના) ન રહ્યા, એમની હાલત નફો રળી લેવાની, કટકી કરી લેવાની હતી, એ વધુ લાલચે ભેરવાયા પરંતુ, બિલ્ડરોએ પણ તેમના દોરવાયા દોરવાઇને પ્રોજેક્ટો કર્યા આજે એ હાલત છે કે બાંધકામ ઉદ્યોગ બેકાબુ મંદીના દૌરમાં સપડાયો છે. બાંધકામ ઉદ્યોગમાં તેજીના સમયે ઇન્વેસ્ટરોએ જે ઘીકેળા કર્યા આજે બધું જ ઘસડાઇને પાછું ચાલ્યું જાય તેવી સ્થિતિ છે.
પ્રોજેક્ટમાં 10, 20 ટકા રૂપિયા રોકીને ટૂંકાગાળામાં નફો કમાઇ લેવાની વૃતિ વાળા ઇન્વેસ્ટરોએ હવે પ્રોજેક્ટસમાં પાર્ટ પેમેન્ટ કર્યા પછી બિલ્ડરો, ડેવલપર્સને રૂપિયા આપવાનું બંધ કરી દેતા બિલ્ડરોના પ્રોજેક્ટ પણ ઘોંચમાં પડ્યા છે. જેમ આંખ, નાક, કાન જડેલા હોય એ રીતે ઇન્વેસ્ટરો સાથે સંકળાયેલા બિલ્ડરો ગ્રાહકોને જે રીતે પેમેન્ટ માટે દમ મારતા હોય તે રીતે ઇન્વેસ્ટરોને મારી શક્તા નથી અને તેને કારણે બિલ્ડરોના પ્રોજેક્ટ ઠપ થવા માંડ્યા છે.
ઇન્વેસ્ટરોએ જ બ્લેકના રૂપિયાનું ચલણ વધારીને બાંધકામ ઉદ્યોગને અત્યાર સુધી બ્લેક એન્ડ વ્હાઇટમાં રાખ્યો, હવે ઇન્વેસ્ટરોની બિલ્ડરોના ખભે બંદૂક મૂકીને કમાઇ લેવાની વૃતિ બંધ થશે. પહેલા ઇન્વેસ્ટરોના રૂપિયાથી જ ધંધો શરૂ કરતા બિલ્ડરો હવે મંદીના સમયમાં ઇન્વેસ્ટરોને કશું કહી શકતા નથી.
ઇન્વેસ્ટરો પાસેથી બ્લેકના રૂપિયા મળતા હોઇ, બિલ્ડરોએ અત્યાર સુધી 25 ટકા વ્હાઇટ 75 ટકા બ્લેકથી ધંધો કર્યો હતો આજે 40 ટકા વ્હાઇટ 60 ટકા બ્લેક અને છેલ્લે 50 ટકા વ્હાઇટ 50 ટકા બ્લેક સુધી પહોંચ્યા છે.
કોણ કોણ આવે છે ઇન્વેસ્ટર્સમાં
એન.આર.આઇ.
ડાયમંડ ઉદ્યોગપતિઓ
ડોક્ટરો
ખેડૂતો
ફાઇનાન્સરો
બિન નિવાસી ગુજરાતીઓ ખાસ કરીને મુંબઇ નિવાસીઓ
રાજકારણીઓ
મેનેજમેન્ટ લેવલના પ્રાઇવેટ કંપનીના અધિકારીઓ
સરકારી અધિકારીઓ
જમીન, મકાન, ઓફિસ લેવેચ કરતા દલાલો
ઉપરોક્ત ઉપરાંત એવા લોકો જેમની પાસે સરપ્લસ રૂપિયા ઘરમાં કે અન્યત્ર રોકાણમાં હતા એ લોકોએ તેજીના સમયમાં રૂપિયા રિયલ એસ્ટેટમાં નાંખ્યા અને કમાયા પણ ખરા, પણ હવે તેમણે જે ટેવ પાડી હતી એ ટેવ બિલ્ડરોને નડી રહી છે.
કેટલાક દલાલો રૂપિયા શું કમાયા પોતે જ ઇન્વેસ્ટર બની ગયા હતા હવે ભેખડે ભેરવાયા
સુરતના રિયલ એસ્ટેટમાં જ્યારે તેજી હતી ત્યારે કેટલાક ગણ્યા ગાંઠ્યા (બધા નહીં) દલાલો હજારોપતિમાંથી કરોડોપતિ બની ગયા હતા. એવા દલાલોએ પોતાની પાસે ઉભી થયેલી મૂડીને તેજીના સમયમાં ફ્લેટ, મકાન, દુકાનમાં રોકવા માંડી હતી, એ ટ્રેન્ડ એવો ચાલ્યો કે દલાલી કરનારા મોટાભાગના પોતે જ ઇન્વેસ્ટર બનવા માંડ્યા. એવા દલાલો ભેગા થઇને 10, 20 ટકા રોકીને એવી લાલચે ઇન્વેસ્ટ કરતા કે બે-પાંચ મહિનામાં વધુ ભાવ મળે એટલે ફટકારી મારીશું, એ બે-પાંચ મહિના હવે વર્ષોમાં કન્વર્ટ થવા માંડ્યા છે અને દલાલોએ ઉભી કરેલી મહામૂલી કેપિટલ પણ બાંધકામ ઉદ્યોગમાં ચટણી થઇને ભેરવાય ગઇ છે.
જેટલા વ્હાઇટના રૂપિયા લેવાશે એટલા રિયલ યુઝર વધુ મળશે
બિલ્ડર એસોસીએશનના પ્રમુખ જક્ષય શાહ કહે છે કે પૂરેપૂરા વ્હાઇટથી ધંધો કરવાવાળાની મિલકતો પણ વેચાઇ રહી છે, સુરતના બિલ્ડરોએ ડાયરી પ્રથા એટલે કે બ્લેક મનીનું માર્જિન દૂર કરવું જ પડશે. જો બ્લેક મનીનું માર્જિન દૂર કરવામાં આવશે તો આપોઆપ ઇન્વેસ્ટરોનો એકડો નીકળી જવાનો છે એમાં બે મત નથી. રિયલ એસ્ટેટના ધંધામાં ઓફિસ, દુકાન, મકાન, ફ્લેટ, રો હાઉસ લેવા માટે રિયલ યુઝર્સ, ખરો વપરાશકર્તા ત્યારે જ ખરીદવા માટે આવશે કે જ્યારે તેને વ્હાઇટની અમાઉન્ટ વધુ ચૂકવવાની થશે. જેટલી વ્હાઇટની અમાઉન્ટ વધુ તેટલી લોન વધુ મળશે એટલે રિયલ એસ્ટેટમાં રિયલ વપરાશકર્તાને આકર્ષવા માટે બિલ્ડરોએ ડાયરી પ્રથા બંધ કરવી જ પડશે.
સુરતે તેજી પણ વધુ જોઇ એટલે મંદી પણ વધુ આકરી જોઇ રહ્યું છે
બાંધકામ ઉદ્યોગમાં એવું નથી કે બધે જ મંદી છે. સુરતની સરખામણીમાં વડોદરા કે અમદાવાદ કે મુંબઇ, બેંગ્લોર જેવા શહેરોમાં સુરત જેટલી અસહ્ય પરિસ્થિતિ નથી. સુરતે, સુરતના બિલ્ડરોએ તેજીમાં પણ મબલખ કમાણી રળી એટલે મંદીમાં પણ વધુ માર ખાઇ રહ્યા છે. સુરત સિવાયના શહેરોમાં બિલ્ડરો હવે ધંધો વ્હાઇટની અમાઉન્ટ પર કરવાનું શરૂ કરી દીધું છે. સુરતમાં પણ ઘણાં બિલ્ડરોએ સમયવર્તે સાવધાન રૂએ વ્હાઇટમાં રૂપિયા લેવાનું શરૂ કર્યું છે.
Note : અહીં અમે રેરા, મ્યુનિ. કોર્પોરેશન, ટાઉન પ્લાનિંગ, જીએસટી વગેરેની ચર્ચા જ કરી નથી, એના પ્રશ્નો તો બિલ્ડરોને કનડી રહ્યા છે જ
જો તમને ભવિષ્યમાં કમાણીનું શું થશે ?, રૂપિયા ક્યાંથી આવશે ? , ધંધો ચાલશે કે કેમ? એવા સવાલો થતા હોય, આવકને લઇને નેગેટિવ વિચારો આવતા હોય તો એ વાત ચોક્કસ માનજો કે આવા વિચારો તમને એકલા ને નથી આવતા, મંદીનો માહોલ સાર્વત્રિક છે અને એટલે જ સુરત જેવા ધંધાકીય શહેરમાં પણ અનેક લોકોને ભાવિ આર્થિક અનિશ્ચિતતાઓને કારણે રીએક્ટીવ ડિપ્રેશનનો ભોગ બનવું પડ્યું છે. આ શબ્દો છે શહેરના જાણીતા સાઇકીઆટ્રીસ્ટ ડો. મુકુલ ચોક્સીના.
અભૂતપૂર્વ મંદીના સમયગાળામાં આજરોજ તા.9મી સપ્ટેમ્બર 2019ના દિવસે વધુ એક આકરો સમાચાર એ આવ્યો કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ફિક્સ્ડ ડિપોઝીટના વ્યાજના દરો ઘટાડ્યા તેની સાથે લેન્ડીંગ રેટમાં પણ ઘટાડો કર્યો. બીજો નેગેટીવ ન્યુઝ એ આવ્યો કે ગત ઓગસ્ટ 2018ની સરખામણીમાં ઓગસ્ટ 2019માં 41 ટકા વાહનો ઓછા વેચાયા. ઓટો સેક્ટર અત્યંત મંદીમાં સપડાયું છે.
હવે એ વાત સરકાર સિવાય બધા જ સ્વીકારી ચૂક્યા છે કે માર્કેટમાં અભૂતપૂર્વ મંદીનો માહોલ છે. સુરતની વાત કરીએ તો કેશ ક્રન્ચ, રોકડની એવી તીવ્ર તંગી વર્તાય રહી છે કે કરોડપતિ લોકો પાસે કેશના નામે લાખ રૂપિયા રોકડા નથી અને કેશ માટે તેઓ રોજરોજ થીંગડા મારતા હોય તેવો ઘાટ સર્જાય છે.
નાના વેપારીઓ, વ્યવસાયિકોના વકરા ઘટી ગયા, ખરીદ શક્તિ ઓછી થઇ ગઇ : કાનજીભાઇ ભાલાળા
સુરતને ભારતનું સૌથી ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ બિઝનેસ સિટી ગણવામાં આવે છે. ભારતના આ ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ બિઝનેસ સિટીમાં હાલ કેશ લિક્વિડીટીથી અમીર, ગરીબ બધાં જ પીસાય રહ્યા છે. સુરતના બજારોમાં રોકડની અછત કેમ એ અંગે વરાછા બેંકના ચેરમેન કાનજીભાઇ ભાલાળાએ જણાવ્યું કે મંદીની અસર ગ્રાસરૂટ પર સૌથી ઘેરી થાય છે. સામાન્ય દુકાનદારોથી લઇને વ્યાવસાયિકોના રોજિંદા વકરા 50 ટકા સુધી ઘટી ગયા છે. એવું નથી કે બેંકો પાસે કેશ નથી, પણ સામાન્ય લોકોની ખરીદ શક્તિ જ ઘટી ગઇ છે અને તેની સીધી અસર સુરતના બજારમાં રોકડની તરલતા પર જોવા મળી રહી છે. કાનજીભાઈએ કહ્યું કે ધંધા, વેપાર મંદ પડ્યાની પ્રતીતિ વ્યાવસાયિકો કે જેઓ સર્વિસ પ્રોવાઇડર ગણાય છે તેમના વકરામાં થયેલા ઘટાડાથી પણ જાણી શકાય છે.
સુરતના એક જાણીતા રિયલ એસ્ટેટ ક્ષેત્રના આગેવાને જણાવ્યું કે અમારી પાસે કમસેકમ 400 કરોડની પ્રોપર્ટીઓ છે, અમારી કેપિટલ જામ થઇ ગઇ છે, આજે એ હાલત છે કે એક લાખ રૂપિયા રોકડા માટે રોજેરોજ બે પાંચ જગ્યાએ ફોન કરીને મેનેજ કરવા પડી રહ્યા છે. માર્કેટમાં કેશ ક્રન્ચ ક્યારે પૂરો થાય એ સમજાતું નથી.
ધંધો એટલો ખરાબ ચાલે છે કે કેપિટલ તોડીને હાલ કામ ચલાવી રહ્યા છીએ
સુરતમાં ટેક્સટાઇલ ક્ષેત્રે મોટી બ્રાન્ડ ગણાતા જાણીતા ઉદ્યોગપતિએ જણાવ્યું કે હાલમાં ધંધામાં વર્કિંગ કેપીટલ નથી. અમારે મીલ ચલાવવા માટે રોજેરોજ રોકડા રૂપિયા જોઇએ. અમારા એવા ઘણા કામો હોય છે જેના કામદારોને રોકડામાં ચૂકવણી કરવી પડે છે. આ કામદારો સ્માર્ટ ફોન કે એન્ડ્રોઇડ ફોન વાપરતા નથી તો ઇલેક્ટ્રોનિક પેમેન્ટની વાત જ ક્યાં આવે. એથી વિશેષ અનેક કોન્ટ્રાક્ટરો જીએસટી આવ્યા પછી રોકડામાં જ ધંધો કરવાનો આગ્રહ રાખે છે ત્યારે અમારે ડગલેને પગલે કેશની જરૂરીયાત વર્તાય છે, હાલમાં માર્કેટમાં રોકડની જે ખેંચ છે તેનાથી કંટાળી ગયા છે અને અમારે અમારી જે કેપિટલ હતી, ભૂતકાળમાં કમાયા હતા એ મૂડી ધીરે ધીરે ધોવાય રહી છે.
શેરબજારમાં ધોવાણે સુરતના અનેક લોકોને પાયમાલ કરી દીધા
ભારતીય શેરબજાર છેલ્લા દોઢેક મહિનાથી જે રીતે નેગેટીવ ટોનમાં વર્તી રહ્યું છે એ જોતા સુરતમાં વર્ષોથી નહીં દાયકાઓથી શેરબજાર પર નભતા આવેલા લોકો પાયમાલીમાં ધકેલાય ગયાના અહેવાલો છે. જેમના પરિવારો શેરબજારની આવક પર જ નભતા હતા એ લોકોએ આવકના અલ્ટરનેટિવ સોર્સ શોધી કાઢીને શેરબજારમાં કામકાજ સાવ જ ઓછું કરી દીધું છે. છેલ્લા દોઢ મહિનામાં શેરબજારમાં 100 ટકાનું ઇન્વેસ્ટમેન્ટ ધોવાઇને 20થી 25 ટકા પર આવી જતા સુરતના અનેક લોકોએ શેરબજાર છોડીને અન્ય કામ ધંધા સ્વીકારવાની નોબત આવી છે. સુરતમાં એક મોટો વર્ગ શેરબજારની આવક સાથે સંકળાયેલો હતો.
જેની પાસે રૂપિયા આવે છે એ સામે ચૂકવણા કરતા નથી, એટલે કેશ ફ્લો ખોરંભે પડે છે
ગુજરાતના જાણીતા ઇકોનોમિસ્ટ ડો. એ.એન. મહેતાએ કહ્યું કે માર્કેટમાં મંદીનું મોટું કારણ અનિશ્ચિત માહોલ છે. જે લોકો પાસે રૂપિયા આવે છે એ લોકોએ સામે ચૂકવવાના પણ હોય છે પણ એ ચૂકવણું કરતા નથી કેમકે તેમને અનિશ્ચિતતાના માહોલમાં ભવિષ્યની જરૂરીયાતની ચિંતા હોય છે અને એથી એ સામેવાળાને રૂપિયા ચૂકવતા નથી અથવા તો વિલંબમાં નાંખે છે, આ પ્રકારે સાર્વત્રિક રીતે લોકો પોતાની પાસેની લિકવિડીટીનો ફ્લો સ્ટોપ કરે ત્યારે માર્કેટમાં મંદી આવે છે.
અનિશ્ચિતતાને કારણે શોપિંગ, મોજશોખ પાછળના ખર્ચા તો ઓછા કર્યા પણ જરૂરીયાતો પણ ઓછી કરી દીધી
સુરતના જાણીતા સાઇકીઆટ્રીસ્ટ ડો. મુકુલ ચોક્સીએ કહ્યું કે દેખીતી વાત છે કે મંદીના માહોલમાં લોકોએ પોતાના ખર્ચા ઘટાડી નાંખ્યા છે, મોજશોખ પાછળના ખર્ચા બિલકુલ બંધ અને હેલ્થ સેક્ટરની વાત કરુ તો ઇલેક્ટીવ ઓપરેશન્સ જેવા કે હર્નિયા, પાઇલ્સ વગેરે કે જે થોડા મહિનાઓ ટાળી શકાય છે, દર્દીઓ આવા ખર્ચાઓ પણ નિવારી રહ્યા છે. આમ, માર્કેટમાં અગાઉ જે રીતે રૂપિયા ફરી રહ્યા હતા, મની સરક્યુલેશન થતું હતું એ સાવ મંદી પડી ગયું છે.
સી.આઇ.એ. લાઇવ સાથે વાતચીતમાં ડો. મુકુલ ચોક્સીએ જણાવ્યું કે ડિપ્રેશન બે પ્રકારે થતાં હોય છે. એક ઇન્ટર્નલ કારણોસર અને બીજું કારણ રિએક્ટીવ ડિપ્રેશન એટલે કે બાહ્ય કારણોસર. ડો.ચોક્સીએ ઉમેર્યું કે આજે હાઇએન્ડના લોકોમાં, ડાયમંડ વર્કસમાં તોમજ લોઅલ મિડલ ક્લાસ સુધીના લોકોમાં રીએક્ટીવ ડિપ્રેશનના કેસોમાં અસામાન્ય ઉછાળો અમે જોઇ રહ્યા છીએ. દર્દીઓની સાથે જ્યારે વાતચીત થાય છે ત્યારે મામલો પારિવારીક અને ધંધાકીય આર્થિક સ્થિતિ પર આવીને અટકતો હોય છે. બજારમાં મંદીની સીધી અસર લોકોની માનસિક હેલ્થ પર પડી રહી હોવાનું ડો.ચોક્સીએ જણાવ્યું હતું.
પગારદારો હાલમાં સૌથી સલામત
એક સમયે લોકોની માનસિકતા એ હતી કે નોકરીને કારણે આવક મર્યાદિત હોઇ, વિકાસ કે મોજશોખ માટે પૈસા પર્યાપ્ત ન હતા, પરંતુ, આજે મંદીના સમયમાં એ જ લોકો એવું કહી રહ્યા છે કે આજે સૌથી સલામત અર્થોપાર્જન હોય તો એ નોકરી છે. હાલમાં નોકરીયાત, પગારદારોને મહિનો થાય એટલે ફિક્સ પગાર તો મળી રહે છે. ધંધાર્થીઓ કે વ્યાવસાયિકોને તો કેપીટલ તૂટ હોય એવી સ્થિતિ દર મહિને જોવા મળી રહી છે.
ચાલુ નાણાકીય વર્ષના પહેલા ચાર મહિનામાં દેશની જાહેર ક્ષેત્રની ૧૮ બૅંકો સાથે રૂ. ૩૧,૮૯૮.૬૩ કરોડની છેતરપિંડીના ૨૪૮૦ કેસ નોંધાયા હોવાની માહિતી આરટીઆઇ દ્વારા જાણવા મળી હતી.
ચન્દ્રશેખર ગૌડ નામના સમાજસેવકે રિઝર્વ બૅંક કરેલી આરટીઆઇના જવાબમાં જાણવા મળ્યું હતું કે કુલ રકમની સૌથી વધુ ૩૮ ટકા છેતરપિંડી દેશની સૌથી મોટી બૅંક સ્ટેટ બૅંક ઑફ ઇન્ડિયા સાથે કરવામાં આવી હતી. સ્ટેટ બૅંક સાથે રૂ. ૧૨૦૧૨.૭૭ કરોડની છેતરપિંડીના ૧૧૯૭ કેસ નોંધાયા હતા.
ત્યાર બાદ
અલાહાબાદ બૅંક સાથે રૂ. ૨૮૫૫.૪૬ કરોડની છેતરપિંડીના ૩૮૧ કેસ,
પંજાબ નેશનલ બૅંક સાથે રૂ. ૨૫૨૬.૫૫ કરોડની છેતરપિંડીના ૯૯ કેસ નોંધાયા હતા.
જોકે, રિઝર્વ બૅંકે જાહેર ક્ષેત્રોની બૅંકોએ કુલ કેટલા નાણાં ગુમાવ્યા એ વિશે કોઇ સ્પષ્ટતા નહોતી કરી.
બૅંક ઑફ બરોડા સાથે રૂ. ૨૨૯૭.૦૫ કરોડની છેતરપિંડીના ૭૫ કેસ,
સુરતની હીરા પેઢી શ્રી હરી કૃષ્ણ એક્સપોર્ટના ચેરમેન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઘરોબો ધરાવતા મૂળ સૌરાષ્ટ્રવાસી ઉદ્યોગપતિ સવજીભાઇ ધોળકીયા આ વખતે દિવાળી પર તેમના કારીગરોને મોંઘીદાટ ગીફ્ટ જેવી કે મોટરકાર, ફ્લેટ કે જ્વેલરી જેવી ગીફ્ટ નહીં આપે બલ્કી તેમની રોજી, રોટી અકબંધ રહે તે સુનિશ્ચિત કરશે. આ વાત સવજીભાઇ ધોળકીયાએ ભારતના મોટા અખબાર સમૂહ ધ હિન્દુ ને કરી છે.
સુરતના હીરા ઉદ્યોગપતિ સવજીભાઇ ધોળકીયા આ વખતે દિવાળીમાં કામદાર, કર્મચારીઓને મોંધીદાટ ગીફ્ટ નહીં આપે એમ તેમણે ધ હિન્દુને આપેલા એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું.
હિન્દુ બિઝનેસલાઇન ડોટ કોમ પર સુરતના ઉદ્યોગપતિ સવજી ધોળકીયાએ આપેલા સંપૂર્ણ ઇન્ટરવ્યુની લિંક પણ આ આર્ટીકલ પૂરો થયા પછી મૂકવામાં આવી છે.
મંદીનો માર આ વખતે ગોવિંદ ધોળકીયાના હીરા ઉદ્યોગને પણ પડ્યો છે. ધ હિન્દુ જૂથ સાથે વાતચીતમાં સવજીભાઇ ધોળકીયાએ કહ્યું કે 2008 કરતા પણ ભયાનક મંદીનો માહોલ છે. આ વખતે દિવાળીમાં મોંઘી ગીફ્ટ ભૂલી જાવ, હા એ વાત જરૂર છે કે હું મારા 6000 કારીગર, કર્મચારીઓની રોજીરોટીની ફિકર જરૂર કરીશ. અમે જરૂરીયાત પૂરતા ખર્ચ કરી શકીએ, વધારાની જોગવાઇ કરવાનું આ સમયગાળામાં પરવડે નહીં. તેમણે કહ્યું કે એક તરફ લાખો લોકોની રોજગારીનો પ્રશ્ન આ ઉદ્યોગમાં ઉભો થયો છે ત્યારે આવી મોંઘી ગીફ્ટ દિવાળીમાં આપી શકાય એમ નથી.
દિવાળી છોડો ક્રિસમસ સુધી મંદીમાં રાહત મળે તેવા કોઇ સંકેતો નથી : સવજી ધોળકીયા
સવજીભાઇ ધોળકીયાએ કહ્યું કે આ વખતે અમારા માટે સૌથી મોટો પ્રશ્ન ઉદ્યોગ જગતમાં ટકી રહેવાનો છે. સવજીભાઇ ધોળકીયાએ મંદીનો સમય ક્યારે પૂરો થશે એ અંગે કંઇ ટીપ્પણી કહેવા કરતા પોતાના ઇન્ટરવ્યુમાં એવું જરૂર જણાવ્યું છે કે દિવાળી તો છોડો પણ ક્રિસમસ સુધી મંદીનો માહોલમાં રાહત મળે તેવા કોઇ સંકેતો દેખાતા નથી.
તા.3 સપ્ટેમ્બર 2019ને મંગળવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં તમામ પ્રતિકૂળતાઓ વચ્ચે સેન્સેક્સમાં 400 પોઈન્ટથી વધુનો કડાકો બોલી ગયો હતો. નિફ્ટી આંક પણ 95 પોઈન્ટ ગગડીને 11,000 નીચેના ટ્રેડ ઝોનમાં આવી જતા રોકાણકારો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા.
તાતા મોટર્સ, તાતા સ્ટીલ, આઈસીઆઈસીઆઈ બેન્ક, ઓએનજીસી, એડીએફસી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એનટીપીસી વેદાન્તા, આઈટીસી અને એસબીઆઈ સહિતના શેરોમાં ચાર ટકાનો કડાકો નોંધાયો હતો.
ગયા શુક્રવાર બાદ ત્રણ રજાઓમાં ગણેશ ચતુર્થી તેમજ સંવતસરીના પર્વને પગલે સોમવારે શેરબજારમાં કામકાજ બંધ રહ્યા હતા. આજે તા.3જી સપ્ટેમ્બરને મંગળવારે સવારે ખુલતામાં જ શેરબજારમાં ચોતરફી વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું.
ઓગસ્ટના ઓટો વેચાણના આંકડા નિરાશાજનક રહ્યા છે. આ ઉપરાંત ઉત્પાદન ક્ષેત્રે વિકાસ રૂંધાયો હોવાના અહેવાલ છે. નવું રોકાણ ઠપ રહેતા શેરોમાં ઓફલોડિંગ વધ્યું હતું. સેન્સેક્સ 400 પોઈન્ટના કડાકા સાથે 37,000ની સપાટી નીચે ગબડ્યો હતો.
ભારતની પ્રાઇવેટ એવીએશન કંપની સ્પાઇશ જેટ દ્વારા હાલમાં દેશ વિદેશ ઘૂમો નામની સ્કીમ લોંચ કરવામાં આવી છે. આ સ્કીમ અન્વયે ફ્લાય સ્પાઇસ જેટ દ્વારા ફેસબુક સમેતના સોશ્યલ મિડીયા પર જે પોસ્ટર સ્પોન્સર્ડ અને વાઇરલ કરાવવામાં આવ્યા છે તેના રિસ્પોન્સ કમેન્ટ્સમાં લોકોએ સ્પાઇશ જેટને એટલી ગાળો દીધી છે કે ન પૂછો વાત. સુરતી દેવાનું જ બાકી રાખ્યું છે.
1299માં ભારતમાં અને 3999માં વિદેશમાં ઘૂમવાની ઓફર સાથે સ્પાઇશ જેટ દ્વારા નીચે મુજબનું પોસ્ટર ફેસબુક પર લોંચ કરવામાં આવ્યું છે.
ઉપરોક્ત પોસ્ટરના અનુસંધાને ભારતના અનેક ફેસબુક યુઝર્સે સ્પાઇશ જેટને એટલી ગાળો દીધી છે કે, કદાચ આજકાલમાં સ્પાઇશ જેટ આ સ્કીમને પાછી ખેંચી લે તો નવાઇ નહીં. લોકોએ સ્પાઇશ જેટની ડિસ્કાઉન્ટ સ્કીમની આ ઓફરને ફેક ગણાવીને લોકોને મૂર્ખ બનાવવામાં આવી રહ્યાની ફરીયાદો કરી છે. ઘણાં ફેસબુક યુઝર્સે લખ્યું કે કે તેઓ આ મૂર્ખા બનાઉ જાહેરાત સામે કન્ઝ્યુમર કોર્ટમાં જવાના છે.
સ્પાઇશ જેટની મૂર્ખા બનાઉ સ્કીમ સામે લોકોએ કેવી કેવી કમેન્ટસ કરી છે વાંચો અહીં
કેન્દ્ર સરકારે વિદેશી સિંગલ બ્રાન્ડ રિટેલર્સમાંના સીધા વિદેશી રોકાણ (એફડીઆઇ) માટેના નિયમ હળવા બનાવ્યા છે અને કૉન્ટ્રેક્ટ મેન્યુફેક્ચરિંગ તેમ જ કોલસાના ખાણકામમાં ૧૦૦ ટકા વિદેશી રોકાણને પરવાનગી આપી છે.
વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ મળેલી કેન્દ્રના પ્રધાનમંડળની બેઠકમાંના નિર્ણય અંગે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે કોલસાના ખાણકામ અને સંલગ્ન આંતરિક માળખામાં આપમેળે ૧૦૦ ટકા સીધા વિદેશી રોકાણને પરવાનગી અપાઇ છે.
તેમણે જણાવ્યું હતું કે દેશમાં ઉત્પાદન (મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર)ને વેગ આપવા માટે કૉન્ટ્રેક્ટ મેન્યુફેક્ચરિંગમાં ૧૦૦ ટકા સીધા વિદેશી રોકાણને આપમેળે પરવાનગી આપતી સુવિધા ઊભી કરવાનો નિર્ણય લેવાયો હતો.
પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે ડિજિટલ માધ્યમમાં ૨૬ ટકા સીધા વિદેશી રોકાણને પરવાનગી અપાઇ છે. કેન્દ્રીય પ્રધાનમંડળે સિંગલ બ્રાન્ડ રિટેલિંગમાંના સીધા વિદેશી રોકાણ માટે ૩૦ ટકા સ્થાનિક સ્રોત (ડોમેસ્ટિક સોર્સિંગ) ફરજિયાત બનાવતી વ્યાખ્યામાં ફેરફાર કર્યા હતા.
કેબિનેટે સિંગલ બ્રાન્ડ રિટેલર્સને ઓનલાઇન વેચાણ શરૂ કરવાની પરવાનગી આપી હતી અને પરંપરાગત દુકાન ફરજિયાત શરૂ કરવાની નિયમને કાઢી નાખ્યો હતો.
આગામી મહિનાઓમાં જેમ્સ એન્ડ જ્વેલરી એક્પોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા સુરત ખાતે સૌપ્રથમ વખત ડાયમંડસની જાહેર હરાજી કરવામાં આવશે. GJEPC ના ચેરમેન શ્રી દિનેશભાઇ નાવડીયાએ જણાવ્યું છે કે સુરતમાં અંદાજે 25000 કેરેટસના ડાયમંડનું અવલોકન અને ત્યારબાદ તબક્કાવાર હરાજી યોજવામાં આવશે. પણ આ હરાજીમાં એ લોકો જ ભાગ લઇ શકશે જેઓ GJEPC મેમ્બર હોય. આથી સુરતના ડાયમંડ બિઝનેસકર્તાઓને જણાવાયું છે કે જે તેમણે 25000 કેરેટ ડાયમંડના સુરત ખાતેના પ્રથમ હરાજીમાં ભાગ લેવો હોય તો સત્વરે મેમ્બરશીપ ઔપચારિકતાઓ પૂરી કરી દે.
ફક્ત GJEPC મેમ્બર ભાગ લઇ શકશે, જેઓ મેમ્બર નથી એ સત્વરે મેમ્બર બને : દિનેશ નાવડીયા, રિજિયોનલ ચેરમેન
ઇચ્છાપોર સ્થિત જીજેઇપીસી દ્વારા સૂચિત ઇન્ટરનેશનલ ડાયટ્રેડ સેન્ટરને સ્પેશયલ દરજ્જો મળે તે માટે જીજેઇપીસીના રિજીયોનલ ચેરમેન શ્રી દિનેશ નાવડીયા અધિકારીઓ સાથે એક અગત્યની મિટીંગ કરી રહ્યા છે.
વધુ માહિતી આપતા GJEPC ના રિજિયોનલ ચેરમેન શ્રી દિનેશભાઇ નાવડીયાએ જણાવ્યું હતું કે કાઉન્સિલ દ્વારા ગુજરાત હીરા બુર્સ, ઇચ્છાપોર-સુરત ખાતે તૈયાર કરવામાં આવેલા સુરત ઇન્ટરનેશનલ ડાયટ્રેડ સેન્ટર કે જેને સ્પેશ્યલ નોટિફાઇડ ઝોનનો દરજ્જો મળે તે માટેના પ્રોસિડીંગ્સ શરૂ કરી દેવામાં આવ્યા છે અને હાલમાં એ કાર્યવાહી કસ્ટમ્સ વિભાગની ચકાસણી હેઠળ છે. કસ્ટમ્સ વિભાગે હીરા બુર્સ ખાતેના સ્પેશ્યલ ડાયટ્રેડ સેન્ટરનું ફિઝિકલ વેરિફીકેશન પણ પૂર્ણ કર્યું છે. હવે રિપોર્ટ સેન્ટ્રલ ગવર્નમેન્ટને મોકલ્યા બાદ આખરી નિર્ણય લેવાશે.
શ્રી દિનેશ નાવડીયાએ વધુમાં જણાવ્યું કે આ ઉપરાંત પન્ના માઇન્સના પ્રોડ્યુસર એન.એમ.ડીસી. લિ. દ્વારા પણ સુરત સ્થિત સ્પેશ્યલ ડાયટ્રેડ સેન્ટરની મુલાકાત લેવામાં આવી ચૂકી છે. આગામી સપ્ટેમ્બર માસ દરમિયાન સર્વપ્રથમ વખત કાઉન્સિલ મેમ્બર હોય તેવા સભ્યો માટે અવલોકન યોજવામાં આવશે અને એ પછી ઓનલાઇન પોર્ટલ દ્વારા તેની હરાજી કરવામાં આવશે.
જે વ્યાપારી મિત્રો આ અવલોકન અને હરાજીમાં ભાગ લેવા માંગતા હોય તેમણે અવલોકન માટેનું સભ્યપદ મેળવી લેવા અનુરોધ છે. સપ્ટેમ્બર માસમાં એન.એમ.ડી.સી. લિ. દ્વારા અવલોકન અને હરાજીમાં ભાગ લેવા માટેનું રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવશે. અને ત્યારે કાઉન્સિલનું સભ્યપદની વિગત અનિવાર્ય રહેશે. તેથી સત્વરે સભ્યપદની કાર્યવાહી પૂર્ણ કરી લેવા અનુરોધ કરવામાં આવે છે.
સુરત ખાતે આગામી દિવસોમાં અંદાજે 25000 કેરેટનું પ્રથમ ઓકશન યોજાશે અને ત્યારબાદ પ્રતિ 2-3 માસના ગાળાએ આ પ્રકારનું અવલોકન અને હરાજી કરવામાં આવે તેવી સંભાવનાઓ છે. આ વ્યવસ્થા થકી સુરત અને ગુજરાતના હીરા ઉદ્યોગકારોને હીરાની સીધી ખરીદી કરવાનું પ્લેટફોર્મ મળશે અને તેનો ફાયદો સમગ્ર હીરા ઉદ્યોગને મળશે.
ઓગસ્ટ 2019ના મહિનામાં સોનાના ભાવો જે રીતે ઉછળ્યા છે એ જોતા આવી તેજી અગાઉ ક્યારેય નોંધાઇ નથી. એક જ મહિનાના સમયગાળામાં એક તોલા સોનાના ભાવમાં રૂ.4 હજારથી વધુનો ઉછાળો નોંધાયો છે અને હવે સોનું મધ્યમવર્ગીય પરિવારોથી પણ દૂર થઇ રહ્યું છે.
સોનાના ભાવમાં આવી અભૂતપૂર્વ તેજી અગાઉ ક્યારેય નથી જોવા મળી. જન્માષ્ટમીના એક દિવસ અગાઉ ગઇ તા. 23 ઓગસ્ટ 2019ના રોજ શુક્રવારે ગુજરાતના અમદાવાદ શહેરમાં 24 કેરેટ ગોલ્ડ (સોનુ)નો ભાવ પ્રતિ તોલાએ 38,920 રૂપિયા પર બંધ થયો હતો. એ પછી આજે તા.26મી ઓગસ્ટ 2019ના રોજ માર્કેટ શરૂ થતાં જ સોનાના ભાવમાં રૂ. 1215 રૂપિયાનો ઉછાળો થયો હતો અને ગુજરાતના અમદાવાદમાં ઇતિહાસમાં પહેલી વખત 24 કેરેટ શુદ્ધ સોનાનો ભાવ પ્રતિ તોલાએ રૂ.40 હજારના માઇલસ્ટોનને પાર કરીને એક તબક્કે 40,175ની સપાટી વટાવી ગયો હતો.
અમદાવાદ સમેત મુંબઇ અને સુરતના વેપારીઓને ચિંતા પેઠી છે કે હવે તહેવારો ખાસ કરીને પુષ્ય નક્ષત્ર અને દિવાળીના તહેવારોમાં લોકોની સોનાની ખરીદી ઘટી જશે અને ધંધો સાવ મંદ પડી જશે.
ગત જુલાઈ 2019માં 24 કેરેટ સોનાનો ભાવ રૂ.36,000 પ્રતિ 10 ગ્રામ હતો. એક જ મહિનામાં સોનાના ભાવમાં સીધો રૂ 4000નો વધારો જોવા મળ્યો છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.