CIA ALERT

બિઝનેસ Archives - Page 59 of 90 - CIA Live

October 2, 2019
GST-1280x720.png
1min12440

જીએસટી વસૂલાત સપ્ટેમ્બરમાં ઘટીને રૂ. ૯૧,૯૧૬ કરોડ થઇ છે. જે અગાઉના મહિને રૂ. ૯૮,૨૦૨ કરોડ હતી.સપ્ટેમ્બરમાં જીએસટી રેવન્યૂ રૂ. ૯૧૯૧૬ કરોડ થઇ છે તેમાં સેન્ટ્રલ જીએસટી રૂ. ૧૬૬૩૦ કરોડ, સ્ટેટ જીએસટી રૂ. ૨૨૫૯૮ કરોડ અને આઈજીએસટી રૂ. ૪૫૦૬૯ કરોડનો સમાવેશ છે, એમ સરકારી આંકડામાં જણાવાયું છે.

September 30, 2019
onion.jpg
1min5850

કેન્દ્ર સરકારે રવિવારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો અને વેપારીઓ પર સ્ટોક મર્યાદા લાદી હતી. રિટેલ વેપારીઓ સો ક્વિન્ટલ સુધી અને હોલસેલ વેપારીઓ ૫૦૦ ક્વિન્ટલ સુધી ડુંગળીનો જથ્થો સ્ટોક કરી શકશે. સંગ્રહખોરી અટકાવવા કડક પગલાં ભરવા રાજ્ય સરકારોને નિર્દેશ આપવામાં આવ્યા છે, તેવું ક્ધઝ્યુમર અફેર્સ મંત્રાલયે રવિવારે કહ્યું હતું.

એમઇપી (મિનિમમ ઍક્સપોર્ટ પ્રાઇસ- લઘુતમ ટેકાના ભાવ) ભાવે બંગ્લાદેશ અને શ્રીલંકામાં કરવામાં આવતી નિકાસ તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે અને ઉલ્લંઘન કરનારાઓ સામે કડક પગલાં ભરવામાં આવશે. હાલમાં દિલ્હીમાં ડુંગળીનો છૂટક ભાવ ૬૦થી ૮૦ રૂપિયા પ્રતિ કિલો છે. મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવા પ્રમુખ ડુંગળી ઉત્પાદક રાજ્યમાં પૂર પરિસ્થિતિ ચાલી રહી હોવાથી ડુંગળીની અછત સર્જાઇ છે.

કોમર્સ મંત્રાલયના ડીજીએફટી (ડિરેક્ટોરેટ જનરલ ઑફ ફોરેન ટ્રેડ)એ એક જાહેરનામામાં કહ્યું કે તમામ પ્રકારની ડુંગળીની નિકાસ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ અગાઉ ૧૩મી સપ્ટેમ્બરે ડુંગળીની નિકાસ પર મિનિમમ ઍક્સપોર્ટ પ્રાઇસ (એમઇપી) પ્રતિ ટન ૮૫૦ ડૉલર લાદવામાં આવી હતી. સંગ્રહખોરી અટકાવવા સરકારે વેપારીઓ પર સ્ટોક લિમિટ લાદી છે. 

September 25, 2019
rbi.jpeg
1min8240

PMC બેંક પર નિયંત્રણો બાદ સોશ્યલ મિડીયા પર ઉઠેલી અફવાઓ, લોકોમાં દહેશત

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

દેશની સર્વોચ્ચ બેંક, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આજે બપોરે કરેલા એક ટ્વીટમાં જણાવ્યું છે કે સોશ્યલ મિડીયામાં વહેતા થયેલા કેટલીક બેંકો બંધ થઇ જવા અંગેના મેસેજીસ બિલકુલ જુઠ્ઠા અને પાયા વિહોણા છે. લોકોએ ગેરમાર્ગે દોરાવું નહીં.

રિઝર્વ બેંકે તાત્કાલિક રદીયો આપવો પડ્યો

તા.24મી સપ્ટેમ્બર 2019થી મહારાષ્ટ્રની ચોથા નંબરની સૌથી મોટી કો ઓપરેટિવ બેંક કે જે 139 બ્રાન્ચ ધરાવે છે એ પીએમસી બેંક પર લદાયેલા નિયંત્રણો બાદ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નામે એવા મેસેજ સોશ્યલ મિડીયામાં ફરતા થયા હતા કે વધુ 9 જેટલી નેશનલાઇઝ્ડ બેંકો બંધ થઇ જવાની છે. લોકોમાં ગભરાટ મચાવવાના ઇરાદે આ પ્રકારના મેસેજ ફરતા કરવામાં આવ્યા હોવાનું જણાય આવતા રિઝર્વ બેંકએ ટ્વીટર હેન્ડલ પરથી સ્પષ્ટતા કરી હતી કે કેટલીક બેંકો બંધ થવા અંગેના સંદેશા સાવ ખોટા છે.

દેશના ફાઇનાન્સ સેક્રેટરીએ પણ આ રીતે ટ્વીટ કરવી પડી

9 જેટલી બેંકો ઉઠી જવા અંગે સોશ્યલ મિડીયામાં ફરતો થયેલો સંદેશો એવા મતલબનો હતો કે જે બેંકોને કેન્દ્ર સરકારે ક્યાં તો મર્જ કરી દીધી છે અથવા તો મર્જિંગની પ્રક્રિયા હાલ ચાલી રહી છે. આમ છતાં આ મેસેજને કારણે ભારતમાં સામાન્ય લોકોમાં મોટી ગેરસમજ ફેલાય જવા પામી હતી.

સોશ્યલ મિડીયામાં આ જુઠ્ઠો મેસેજ ફરી રહ્યો છે

September 24, 2019
pmc11.jpg
1min15580

નાણાંકીય ગેરરીતિઓ જણાતા મહારાષ્ટ્રની 139 બ્રાન્ચ ધરાવતી PMC બેંક RBI સકંજામાં

મહારાષ્ટ્રમાં મોટામાં મોટી સહકારી બેંક પૈકીની એક ગણાતી પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો.ઓ. બેંક કે જેની કુલ 139 શાખાઓ કાર્યરત છે એવી મસમોટી બેંકના હિસાબોમાં કેટલીક નાણાંકીય ગેરરીતિઓ મળી આવતા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ તાત્કાલિક અસરથી આ બેંક પર છ મહિનાના કેટલાક નિયંત્રણો લાદી દીધા છે.

રિઝર્વ બેંકની પ્રેસ વિજ્ઞપ્તિ આ મુજબ છે

મહારાષ્ટ્રની પીએમસી બેંક તરીકે ઓળખાતી પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો.ઓ. બેંક પર રિઝર્વ બેંક કે નિયંત્રણો લાદ્યા હોવાની વાત વાયુ વેગે પ્રસરતા બેંકની બ્રાન્ચો પર આજે સવારથી ભારે ધમાચકડી મચી જવા પામી છે. ખાતેદારો છ મહિના સુધી ફક્ત રૂ.1000 નો જ ઉપાડ કરી શકશે. કોઇ નવી ડિપોઝીટ બેંક સ્વીકારી નહીં શકે, કે પરત આપી નહીં શકે.

પીએમસી બેંકોની મહારાષ્ટ્ર બ્રાન્ચ પર આજે આવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

ખાતેદારોનો સોંસરવો સવાલ, બેંકના સત્તાધીશોએ ગેરરીતિ કરી તો અમારો શું વાંક

સુરતમાં પીએમસી બેંકની ચાર બ્રાન્ચ

આજે સવારથી સુરત શહેરના ઘોડદોડ રોડ, અડાજણ, વેસુ અને વરાછા રોડની પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો.ઓ. બેંકની બ્રાન્ચો પર ખાતાદારોએ હલ્લો મચાવ્યો હતો. બેંકના સ્ટાફે રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ છ મહિના માટે નિયંત્રણ મૂક્યા છે એવું જણાવ્યા સિવાય ખાતેદારોના કોઇ જવાબો સંતોષકારક રીતે આપી શક્યા ન હતા. અનેક પરિવારોની રોજિંદી જરૂરીયાતના નાણાં પીએમસી બેંકના અકાઉન્ટમાં હતા. હવે ફક્ત રોજ 1000 રૂપિયા ઉપાડી શકાશે એવું જાણીને અનેક ખાતેદારોની આખોમાં ઝળહળીયા આવી ગયા હતા.

નવરાત્રી-દિવાળીના તહેવારો ટાણે હજારો ખાતેદારો મુશ્કેલીમાં મૂકાયા

આગામી સપ્તાહથી નવરાત્રી અને એ પછી દિવાળીના તહેવારો શરૂ થઇ રહ્યા છે ત્યારે પંજાબ એન્ડ મહારાષ્ટ્ર બેંક (પીએમસી)માં ખાતું ધરાવતા લોકોએ એવા નિશાસા નાંખ્યા હતા કે સામા તહેવારોએ જો તેઓ પોતાના ખાતામાંથી રૂપિયા ઉપાડી નહીં શકે તો એ રૂપિયા શું કામના. બેંકના સત્તાધીશોએ ગેરરીતિ કરી હોય તો તેમની સામે પગલાં ભરવા જોઇએ, ખાતેદારોએ મહેનતથી રૂપિયા કમાઇને બેંકમાં વિશ્વાસે મૂક્યા હતા, આજે ખાતેદારો વિશ્વાસઘાત થયાની અનુભૂતિ કરી રહ્યા છે.

September 22, 2019
diamondsurat-1280x720.jpg
1min5940

હીરાઉદ્યોગમાં જોબવર્કમાં જીએસટી પાંચ ટકાથી ઘટાડીને ૧.૫૦ ટકા કરાતા સુરતના હીરા ઉદ્યોગકારોમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી. હીરાના જોબવર્કમાં જીએસટીના દરમાં સીધો જ ૩.૫૦ ટકાનો ઘટાડો કરી દેવાતા હીરા ઉદ્યોગકારોએ આ નિર્ણયને આવકાર્યો હતો. સરકારના આ નિર્ણયથી મંદીમાં સપડાયેલા હીરા ઉદ્યોગકારોએ રાહતનો શ્ર્વાસ લીધો હતો.

જીએસટી કાઉન્સિલની બેઠક મળી હતી જેમાં અનેક બાબતોમાં જીએસટીમાં રાહત અપાઈ છે. હીરાના જોબવર્ક માટે પહેલા પાંચ ટકાની વસૂલાત કરવામાં આવતી હતી. તેમાં ઘટાડો કરીને ૧.૫૦ ટકા કરાઈ હતી. આ જાહેરાત હીરા ઉદ્યોગકારો માટે ફાયદારૂપ સાબિત થશે કારણ કે, જોબવર્ક કરાવ્યા બાદ ભરપાઈ કરવાના પાંચ ટકા જીએસટી બાદ મળતા ન હતા. આમ મોટી રકમ જીએસટીમાં જમા થતી હતી. આ મામલે સુરતના હીરાઉદ્યોગના અગ્રણીઓ દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી. લાંબા સમયથી ચાલતી હીરાઉદ્યોગની માગનો અંત આવ્યો હતો.

September 21, 2019
gst.jpg
1min5710

કેન્દ્રનાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામને જીએસટી કાઉન્સિલની બેઠક બાદ હૉટેલ રૂમના ભાડાં પરના જીએસટીમાં ઘટાડો કરવાની અને કૅફીનવાળા પીણાં પરના વેરામાં વધારો કરવાની જાહેરાત કરી હતી.

  • જીએસટી કાઉન્સિલે કૅફીનવાળા પીણાં પરના વેરાનો દર ૧૨ ટકા સેસ સાથે વધારીને ૨૮ ટકા કરવાની જાહેરાત કરી હતી.
  • ઍરેટેડ ડ્રિંક્સના ઉત્પાદકોને કમ્પોઝિશન સ્કીમમાંથી બાકાત રખાયા છે.
  • હૉટેલ રૂમના ભાડાં પર રૂપિયા ૧,૦૦૦ સુધી જીએસટી લાગુ નહિ પડે, જ્યારે રૂપિયા ૧,૦૦૦થી રૂપિયા ૭,૫૦૦ની વચ્ચેના હૉટેલ રૂમના ભાડાં પર ૧૨ ટકાનો જીએસટી લાગુ પડશે. આ ઉપરાંત, રૂપિયા ૭,૫૦૦થી વધુના ટેરિફ્સ પરના જીએસટીને ૨૮ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કરાયો છે.
  • નિકાસની જ્વેલરી માટે આયાત કરાયેલા પ્લેટિનમને જીએસટીમાંથી બાકાત રખાયું છે.
  • ૧૦થી ૧૩ બેઠકવાળા પ્રવાસીઓ માટેના વાહન પરના જીએસટી સેસમાં એકથી ત્રણ ટકાનો ઘટાડો કરાયો છે.
  • હીરાના જૉબવર્ક્સ પરના જીએસટીમાં કાપ મૂકવાનો નિર્ણય લેવાયો હતો.
  • સંરક્ષણ ક્ષેત્રના ચોક્કસ સામાનને જીએસટી દરમાંથી માફી આપવાની જાહેરાત કરાઇ હતી.
  • કટ અને પોલિશ્ડ સેમિ પ્રેસિયસ સ્ટોન્સ પરનો દર ઘટાડાયો છે. અમુક જ્વેલરીની નિકાસ કેટલીક શરતોને આધીન હોય તો તેને જીએસટી લાગુ નહિ પડે.
  • સામાનના પેકિંગ માટે વપરાતા પોલિપ્રૉપિલિન અને પોલિઇથેલિન બેગ પર એક સમાન ૧૨ ટકાનો દર લાગુ પડશે.
  • સૂકી આમલી પરનો જીએસટીનો દર નાબૂદ કરવાનો નિર્ણય લેવાયો હતો.
  • મશીન જૉબની સપ્લાય પરનો જીએસટીનો દર ૧૮ ટકાથી ઘટાડીને ૧૨ ટકા કરાયો છે.
  • રેલવે વેગન અને કૉચ પર જીએસટીનો દર પાંચ ટકાથી વધારીને ૧૨ ટકા કરાયો છે.
  • આઉટ ડોર કેટરિંગનો જીએસટી ૧૮ ટકા (ઇનપુટ ટેક્સ ક્રેડિટ સાથે)થી ઘટાડીને પાંચ ટકા કરાયો છે.

September 20, 2019
sensex_green.jpg
1min6950

લાંબા સમયથી મંદીમાં ભીંસાઇ રહેલા અર્થતંત્ર અને શેરબજારને એકસાથે પ્રોત્સાહન આપે તેવા નાણાપ્રધાન નિર્મલા સિતારામના મેગા બુસ્ટર ડોઝને પગલે ભારતીય શેરબજારમાં 2000 પોઈન્ટ્સથી વધુનો હાઈજમ્પ જોવા મળ્યો હતો. છેલ્લા 10 વર્ષમાં કોઇ એક દિવસમાં આટલો જંગી ઉછાળો નોંધાયો હોય તેવી પહેલી ઘટના આજે આકાર પામી છે.

નાણાપ્રધાનની જાહેરાત સાથે જ શેરબજારમાં સાર્વત્રિક લેવાલી જોવા મળી હતી અને તમામ સેક્ટોરલ ઈન્ડાઈસિસ ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા.

નાણાપ્રધાને કોર્પોરેટ ટેક્સ 10 ટકા ઘટાડીને 25.17 ટકા કર્યા હતા. આ ઉપરાંત નવા ઉત્પાદન એકમો માટે કોર્પોરેટ ટેક્સના દર ઘટાડીને 17.01 ટકા કરવાની જાહેરાત કરી હતી. છ વર્ષના તળિયે આવી ગયેલા દેશના અર્થતંત્રને મંદીમાંથી ઉગારવા તેમજ રોજગારીના સર્જનના હેતુથી સરકાર દ્વારા આજે શ્રેણીબધ્ધ જાહેરાતો કરવામાં આવી હતી. આ ઉપરાંત લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ પરના સરચાર્જને પણ નાબૂદ કરવામાં આવ્યો હતો.

બપોરે 2.40 વાગ્યે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 2044.10 પોઈન્ટ્સ અથવા 5.66 ટકાના હાઈજમ્પ સાથે 38,137.66 પોઈન્ટ્સ જ્યારે નિફ્ટી 605.05 પોઈન્ટ્સ અથવા 5.70 ટકાના હનુમાન કુદકા સાથે 11,309.85 પોઈન્ટ્સની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 5.50 ટકા અને 3.70 ટકા ઉછળીને ટ્રેડ થઈ રહ્યા હતા.

September 18, 2019
CIA_Live_Logo_New2.jpg
1min9210

Jayesh Brahmbhatt 98253 44944

જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ઉપક્રમે સુરત ખાતે સૌપ્રથમ વખત યોજાઇ રહેલા 25000 કેરેટ રફ ડાયમંડની જાહેર હરાજીની પ્રક્રિયા તા.19મી સપ્ટેમ્બર 2019થી શરૂ થશે એમ જી.જે.ઇ.પી.સી.ના રિજિયોનલ ચેરમેન શ્રી દિનેશભાઇ નાવડીયાએ જણાવ્યું હતું.

એક પત્રકાર પરિષદને સંબોધતા શ્રી દિનેશ નાવડીયાએ વધુમાં જણાવ્યું હતું કે વિશ્વમાં તૈયાર થતા દર 15 રીયલ ડાયમંડ પૈકીના 14નું કટ એન્ડ પોલીશ સમેતની પ્રોસેસ સુરતમાં થાય છે. વિશ્વનો સૌથી મોટો હીરા પ્રોસેસિંગ ઉદ્યોગ સુરતમાં વિકાસ પામ્યો છે પણ એક મહેણું હતું કે સુરતના હીરા ઉદ્યોગકારોએ રફ ડાયમંડ માટે મુંબઇ કે વિદેશોમાં પ્રત્યક્ષ જવું પડતું હતું, આ મહેણું ભાંગી રહ્યું છે. જી.જે.ઇ.પી.સી.ના પ્રયાસો રંગ લાવ્યા છે અને મધ્યપ્રદેશ સ્થિત પન્ના ડાયમંડ માઇન્સમાંથી નીકળતા રફ ડાયમંડ પૈકીના 25000 કેરેટના હીરાનું સૌપ્રથમ વખત ઇ ઑકશન સુરત મુકામે થવા જઇ રહ્યું છે.

જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા આજે તા.18મી સપ્ટેમ્બર 2019ના રોજ યોજાયેલી પત્રકાર પરિષદને સંબોધતા કાઉન્સિલના રિજિયોનલ ચેરમેન શ્રી દિનેશ નાવડીયા અને સ્થાનિક અધિકારી જિલ્પા શેઠએ સુરત ખાતે યોજાનાર મધ્યપ્રદેશની પન્નામાઇન્સના રફ ડાયમંડની ચકાસણી પ્રક્રિયા અંગે માહિતી રજૂ કરી હતી.

જી.જે.ઇ.પી.સી.ના રિજિયોનલ ચેરમેન શ્રી દિનેશ નાવડીયાએ વધુમાં જણાવ્યું હતું કે જીજેઇપીસીના ત્રણેક હજાર જેટલા મેમ્બર્સ આ હરાજીમાં ભાગ લઇ શકશે. જે લોકો મેમ્બર નથી અને તેમણે સુરતના ઇચ્છાપોર સ્થિત સુરત ઇન્ટરનેશનલ ડાયટ્રેડ સેન્ટર ખાતે પ્રદર્શનમાં મૂકાનાર રફ ડાયમંડ હીરા ચકાસવા હોય તો તેઓ જી.જે.ઇ.પી.સી.ના મેમ્બર બની શકે છે.

જી.જે.ઇ.પી.સી.ના મેમ્બર બનવા માટેની પ્રક્રિયા તા.19 સપ્ટેમ્બરથી તા.23મી સપ્ટેમ્બર દરમિયાન હાથ ધરવામાં આવશે.

19થી 23 સપ્ટેમ્બર 2019 જીજેઇપીસી મેમ્બરશીપ ડ્રાઇવ

24થી 27 સપ્ટેમ્બર ઇચ્છાપોર ખાતે સુરત ઇન્ટરનેશનલ ડાયટ્રેડ સેન્ટર ખાતે 25000 કેરેટ રફ હીરાના જથ્થાનું પ્રદર્શન

28મી સપ્ટેમ્બરથી ઇ-ઑકશન, બે લાખ રૂપિયા સિક્યુરિટી ડિપોઝીટ

ફક્તને ફક્ત જીજેઇપીસીના મેમ્બર હોય એ લોકો જ રફ ડાયમંડનો જથ્થો ચકાસી શકશે અને ઓનલાઇન હરાજીમાં ભાગ લઇ શકશે

એ પછી તા.24 સપ્ટેમ્બરથી તા.27મી સપ્ટેમ્બર 2019 દરમિયાન ઇચ્છાપોર ખાતે સુરત ઇન્ટરનેશનલ ડાયટ્રેડ સેન્ટર ખાતે એન.એમ.ડી.સી. દ્વારા ડિસ્પ્લેમાં મૂકાનાર પન્ના માઇન્સમાંથી નીકળેલા કાચા હીરાનો 25000 કેરેટનો જથ્થો ડિસ્પ્લેમાં મૂકવામાં આવશે. જી.જે.ઇ.પી.સી.ના મેમ્બરને આ માલ તપાસવા માટે તા.27મી સપ્ટેમ્બર 2019 સુધીની મુદત આપવામાં આવશે.

તા.28મી સપ્ટેમ્બરથી એ જથ્થાનું ઇલેક્ટ્રોનિક ઑકશન શરૂ થશે. આ હીરાની ઓનલાઇન હરાજી હાથ ધરવામાં આવશે અને જે વધુ બોલી લગાડશે તેમને હીરા વેચવામાં આવશે. ઓનલાઇન હરાજીમાં ભાગ લેનારે રૂ.2 લાખની સિક્યુરિટી ડિપોઝીટ પહેલાથી જમા કરાવવાની રહેશે.

પન્ના માઇન્સના ડાયમંડની હરાજી સુરતમાં ઇન્ટરનેશનલ હરાજીનો પાયો નાંખશે

જી.જે.ઇ.પી.સી.ના રિજિયોનલ ચેરમેન દિનેશ નાવડીયાએ જણાવ્યું કે પન્ના માઇન્સમાંથી નીકળેલા રફ ડાયમંડની સુરતના હીરા ઉદ્યોગમાં પહેલી વખત જાહેર હરાજી થઇ રહી છે. અમે બધા ઉત્સાહી અને ઉત્સુક છીએ. ભલે સુરત થનાર રફ ડાયમંડનો 25000 કેરેટનો જથ્થો ખૂબ ઓછો હોય પરંતુ, આ એક એવા યુગના મંડાણ છે કે જે થોડા મહિનાઓમાં સુરત ખાતે ઇન્ટરનેશનલ કંપનીઓના રફ ડાયમંડ ઑકશન માટેના દ્વાર ખોલી કાઢશે. હવે એ દિવસો દુર નથી કે સુરતમાં ઇન્ટરનેશનલ કંપનીઓ પોતાના રફ ડાયમંડ સુરત વેચવા આવશે. સુરતના હીરા ઉદ્યોગપતિઓએ કાચો માલ મેળવવા માટે મુંબઇ કે વિદેશો સુધી લાંબા થવું નહીં પડે.

વિશ્વના સૌથી મોટા હીરા ઉદ્યોગને ઘર આંગણે રફ ડાયમંડ નહીં મળવાનું મ્હેણું ભાંગવાનું શ્રેય દિનેશ નાવડીયાના શિરે

સુરતનો હીરા ઉદ્યોગ વિશ્વમાં સૌથી મોટો હીરા ઉદ્યોગ છે. દર 15 તૈયાર હીરામાંથી 14 પર પ્રોસેસિંગનું કામ સુરતના હીરા ઉદ્યોગમાં થાય છે. હજારો કરોડ રૂપિયાનું ટર્ન ઓવર કરતા સુરતના આ હીરા ઉદ્યોગને અત્યાર સુધી એક મ્હેણું હતું કે રફ ડાયમંડ માટે સુરતના હીરા ઉદ્યોગકારોએ મુંબઇ કે વિદેશોમાં જવું પડતું હતું. અનેક પ્રયાસો છતાં આંતર રાષ્ટ્રીય કંપનીઓ તેમના કાચા હીરાના જથ્થાને સુરત વેચવા આવતી ન હતી. પરંતુ, જી.જે.ઇ.પી.સી.ના વર્તમાન રિજિયોનલ ચેરમેન શ્રી દિનેશ નાવડીયા અને તેમની ટીમે કરેલા પ્રયાસોના પગલે હાલ પહેલા તબક્કામાં ભારતની મધ્યપ્રદેશ સ્થિત પન્ના માઇન્સમાંથી ઉત્પન 25 હજાર કેરેટના હીરાનું સુરતમાં ઇ ઓકશન થઇ રહ્યું છે અને આના પગલે આગામી દિવસોમાં અને ઘણુંખરું જાન્યુઆરી 2020 સુધીમાં સુરતના આંગણે ઇન્ટરનેશનલ ડાયમંડ કંપનીઓ કાચા હીરા વેચવા આવતી થઇ જશે.

September 17, 2019
sensex_down.jpg
1min10720

સાઉદી અરેબિયામાં સર્જાયેલી પેટ્રોલિયમ કટોકટીની વિપરીત અસર ભારતના શેરબજારો પર પડી છે. છેલ્લા બે દિવસથી ભારતના શેરબજારોમાં કડાકો બોલી ગયો છે. આજે તા.17મી સપ્ટેમ્બર 2019ની બપોરે અઢી વાગ્યે ભારતનો મુખ્ય ઇન્ડેક્ષ સેન્સેક્સમાં 660 પોઇન્ટનો કડાકો બોલી જતા શેરમાં રોકાણકારો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા.

ગઈકાલે તા.16મી સપ્ટેમ્બર 2019ના રોજ 200 પોઈન્ટ્સ જેટલા ઘટાડા બાદ આજે પણ સેન્સેક્સમાં ધોવાણ ચાલુ રહ્યું છે.

સૌથી વધુ ઘટનારા શેરોમાં આજે હીરોમોટોકોર્પ ટોચ પર રહ્યો છે. આ શેર બપોરે બે વાગ્યે 4.30 ટકાના ઘટાડા સાથે 2621ની સપાટી પર ટ્રેડ થઈ રહ્યો હતો. એચડીએફસી ટ્વીન્સમાં પણ આજે કડાકો બોલાયો છે. એચડીએફસી બેંક આજે દોઢ ટકા અને એચડીએફસી અઢી ટકા જેટલા ધોવાયા છે. આ ઉપરાંત, એક્સિસમાં ચાર ટકા, આઈસીઆઈસીઆઈમાં 2 ટકા, ઈન્ડસિન્ડ બેંકમાં 2.31 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

છેલ્લા કેટલાક સમયથી દબાણ હેઠળ રહેલા ઓટો શેર પણ ક્રુડના ભાવ વધવાની ભીતિથી પડતાં પર પાટું પડ્યું હોય તેમ આજે તૂટ્યા તા. મારુતિના શેરમાં આજે ત્રણેક ટકાનો, બજાજ ઓટોમાં 1.90 ટકા, ટાટા મોટર્સમાં 1.94 ટકાનો તોતિંગ ઘટાડો જોવા મળ્યો છે. અશોક લેલેન્ડ પણ આજે સવા બે ટકાના ઘટાડા સાથે 61 રુપિયાનું સ્તર સાચવવા મથી રહેલો જોવા મળ્યો હતો.

September 17, 2019
crud.jpg
1min5200

સાઉદી અરેબિયામાં ઓઈલ પ્લાન્ટ ઉપર ડ્રોન હુમલા બાદ ખોરવાયેલ ઉત્પાદન અને અમેરિકા-ઈરાન વચ્ચે ભડકેલી તંગદિલી વચ્ચે આજે ક્રૂડ ઓઈલનાં ભાવમાં 1991નાં ખાડી યુદ્ધ પછી પહેલીવાર સૌથી મોટો આંતરદિવસીય ઉછાળો નોંધાયો હતો. એશિયામાં બ્રેન્ટ ક્રૂડ ઓઈલનો ભાવ 19.પ ટકા ઉછળીને 71.9પ ડોલર પ્રતિબેરલ સુધી પહોંચી ગયો હતો. જો કે આગળ જતાં ભાવ 10 જેટલો વધુ 66.28 ડોલર આસપાસ સ્થિર થયો હતો.

સાઉદીમાં થયેલા હુમલાને પગલે દુનિયાનાં ક્રૂડ ઓઈલનાં કુલ ઉત્પાદનનું પાંચ ટકા જેટલું ઉત્પાદન ખોરવાઈ ગયું છે અને તેને પગલે ભાવમાં ભડકો થઈ ગયો છે. જે ભારતમાં ક્રૂડનો કાચામાલ તરીકે ઉપયોગ કરતાં ઉડ્ડયનથી માંડીને કલર, ટાયર અને ઓઈલ-ગેસ સહિતનાં ઉદ્યોગો માટે માઠા સમાચાર છે.

આગામી માસ માટેનાં સોદા 6.06 ડોલર પ્રતિબેરલ ઊંચા એટલે કે 66.28 ડોલરનાં ભાવે થયા હતાં. અમેરિકાનાં વાયદાનાં સોદા પણ 1પ.પ ટકા ઊંચા 63.34 ડોલર પ્રતિબેરલનાં ભાવે પડયા હતાં.

સાઉદી અરેબિયા વિશ્વનો સૌથી મોટો ઓઈલ ઉત્પાદક દેશ છે અને તેની સૌથી મોટી ઓઈલ રિફાઈનરી અરામકો ઉપર હુમલા બાદ ઉત્પાદનમાં પ.7 મિલિયન બેરલ પ્રતિબેરલ ઘટાડો થઈ ગયો છે. કંપની દ્વારા હજી સુધી પૂર્ણક્ષમતાએ ઓઈલ ઉત્પાદન ક્યારે શરૂ થઈ શકશે તેની કોઈ સમયમર્યાદા પણ આપી નથી. આમાં હજી થોડા સપ્તાહનો સમય લાગે તેવી સંભાવના છે. આ દરમિયાન અમેરિકા અને ઈરાન વચ્ચેનો તનાવ કેવો વળાંક લેશે તેનાં ઉપર પણ દુનિયાની નજર રહેશે. આની પણ સીધી અસર ઓઈલનાં ભાવ ઉપર પડવાની છે.