સંસદમાં શિપ રિસાઇક્લિંગ બિલ-2019 પસાર થવાને પગલે ભાવનગરના અલંગ શિપ રિસાઇક્લિંગ યાર્ડનું કામકાજ વધવાની શક્યતાઓ વધી ચૂકી છે. યુરોપ અને જાપાન જેવા દેશોના જહાજો અંતિમ સફર માટે હાલ ચીન અને તુર્કી જાય છે એ હવે ગુજરાતના ભાવનગર સ્થિત અલંગ સુધી દોરાય આવે તેવી શક્યતાઓ ઉપસ્થિત થઇ છે. અલંગના શિપરિસાઇક્લિંગ ક્ષેત્રે સંકળાયેલા અગ્રણીઓના મતે આ બિલ દ્વારા ટર્નઓવર વધશે.
અલંગમાં દર વર્ષે સરેરાશ 250થી 280 શીપ ભાંગવા કે રિસાઇક્લિંગ માટે આવે છે. આ ઉદ્યોગ વર્ષે 3.5 મિલિયન ટન સ્ટીલ ઉત્પાદન કરે છે જેનું ટર્નઓવર 1.3 અબજ ડોલર થાય છે.
જાણકારો કહે છે કે સંસદે પાસ કરેલા બિલને પગલે ચોક્કસપણે અલંગના શિપ રિસાઇક્લરને મોટા પાયે ફાયદો કરાવશે. આ ખરડો પસાર થવાને પગલે હોંગકોગ કન્વેન્શન એડોપ્ટ કરવાનો રસ્તો હવે સાફ થયો છે. તેનાથી પર્યાવરણ અને સુરક્ષાને લગતી બાબતો પર ભાર મુકાશે, જેનો લાભ ભારતના ઉદ્યોગને થશે. નવી શરતોને પગલે યુરોપિયન અનો જાપાની જહાજો મોટા પાયે ગુજરાતમાં અલંગ તરફ વળશે. અગાઉ આ જહાજો તુર્કી અથવા ચીન જતા હતા. અલંગ અગાઉ કરતાં પણ મોટા પાયે શિપ રિસાઇક્લિંગ ડેસ્ટિનેશન તરીકે ઊભરશે.

શિપ રિસાઇક્લિંગ એસોસિયેશન ઓફ ઇન્ડિયાના પૂર્વ સેક્રટરી નીતિન કણકિયાએ જણાવ્યું હતું કે, “આ બિલ પાસ થવું અમારી માટે સારી બાબત છે. હોંગકોગ કન્વેન્શનનો સ્વીકાર થતા હવે શિપ રિસાઇક્લિંગ ક્ષેત્રે સેફટી અને પર્યાવરણ અંગે વિશેષ ધ્યાન રાખવામાં આવશે. તેથી વિદેશી જહાજો અલંગ આવશે અને અહીં વધુ લોકોને રોજગારી મળશે.”
અગાઉ સુરક્ષા કે પર્યાવરણ જેવા ઇશ્યૂનો ઉલ્લેખ ન હતો. એટલું જ નહીં, હવે યુદ્ધજહાજોને પણ તેમાં સમાવી લેવાને પગલે હવે વોરશિપ પણ રિસાઇક્લિંગ માટે અલંગ આવી શકશે. અગાઉ વોરશિપ અંગે આપણે પ્રતિબંધ રાખ્યા હતા. હવે અનેક નવાં ક્ષેત્રોમાંથી શિપ આવશે. એટલું જ નહીં જાપાનના સહયોગથી જાપાન ઇન્ડસ્ટ્રિયલ કોર્પોરેશન ઓથોરિટી (જાયકા)ની સાથે ગુજરાતમાં અલંગને વિકસાવવાના વિશાળ પ્લાન ચાલી રહ્યા છે.
જાયકા સાથે રહીને કરોડોના રોકાણ સાથે રિસાઇક્લિંગ યાર્ડ તેમજ અન્ય ફેસિલિટી ઊભી કરાવામાં આવનારી છે. તેમાં કારીગરોને પણ સેફટીને લગતી યોગ્ય દેખરેખ રાખવાનું આયોજન છે. આ તમામ બાબતો અને આ બિલનું પાસ થવું બંને સાથે જોઈએ તો હવે ગુજરાતના અલંગ ખાતેના શિપ રિસાઇક્લિંગ યાર્ડ માટે વિપુલ તક આગામી દિશામાં ઊભી થવાની છે.





















