સાંસદોની ગેરહાજરીમાં પી.એમ. મોદીએ ચેમ્બરના પ્રતિનિધિઓને સાંભળ્યા
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની કેતન દેસાઇ અને દિનેશ નાવડીયાના નેતૃત્વવાળી વર્તમાન ટીમને આજરોજ તા.27મી ડિસેમ્બર 2019ના રોજ મોટી ઉપલબ્ધિ સાંપડી છે. સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રતિનિધિમંડળની અપેક્ષા બહાર વડાપ્રધાન શ્રી મોદીએ તેમને ધીરગંભીરતાપૂર્વક સાંભળ્યા, પ્રશ્નો અને સૂરતની ચર્ચા કરી અને યોગ્ય પ્રતિસાદ આપ્યો હતો.

ચેમ્બર ઓફ કોમર્સના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી દિનેશ નાવડીયાએ આપેલી માહિતી મુજબ આજે તા.27મી ડિસેમ્બરની સવારે 11.45 કલાકે તેઓ પી.એમ. હાઉસમાં કોન્ફરન્સ રૂમમાં પહોંચ્યા હતા. એ પછી વડાપ્રધાન શ્રી મોદીએ સૂરતના ઉદ્યોગપતિઓના પ્રતિનિધિમંડળને 20 મિનિટ સાંભળ્યા હતા. સૂરતના ઉદ્યોગો વતી થઇ રહેલી રજૂઆતોમાં પી.એમ.શ્રી મોદીએ કેટલાક સવાલો પણ કર્યા અને તેના સંતોષકારક ખુલાસા ચેમ્બરના પ્રતિનિધિમંડળે પણ કર્યા હતા. શ્રી મોદીએ સૂરતના ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિ મંડળ સાથે બિલકુલ ગુજરાતી ભાષામાં વાતચીત કરી હતી.
શ્રી મોદીનો રિસ્પોન્સ જોરદાર હતો એ વાતની પ્રતીતિ ચેમ્બરના પ્રતિનિધિઓ દ્વારા વડાપ્રધાનની મુલાકાત બાદ તેમના દ્વારા હાથ ધરવામાં આવેલી સોશ્યલ મિડીયા એક્ટિવિટી પરથી થઇ રહી હતી.
ચેમ્બરના પ્રતિનિધિમંડળમાં આ લોકો સામેલ હતા
- કેતન દેસાઇ પ્રેસિડેન્ટ
- દિનેશ નાવડીયા વાઇસ પ્રેસિડેન્ટ
- હેતલ મહેતા ઇમિડ્યેટ પાસ્ટ પ્રેસિડેન્ટ
- પરેશભાઇ પટેલ, ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ
- શૈલેષ દેસાઇ
- દેવેશ પટેલ, એક્ઝિબિશન કમિટી કન્વીનર
- ધિરેન થરનારી
- અતુલ પાઠક
- મૃણાલ શુક્લ
- રાકેશ જૈન
- હેમંત દેસાઇ
- અમિત શાહ
નીચેનું લખાણ ચેમ્બરની ફેસબુક પોસ્ટ પરથી લેવાયેલું છે.
આજ રોજ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ શ્રી કેતન દેસાઈના નેજા હેઠળ ૧૨ જણાના પ્રતિનિધિ મંડળ કે જેમાં અન્ય હોદેદારો, ભૂતપૂર્વ પ્રમુખ અને ચેમ્બરના વિવિધ સેલ હેડે નવી દીલ્હી ખાતે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની તેમના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લીધી હતી. સુરત અને સાઉથ ગુજરાતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર કે જેમાં એરપોર્ટ, કાર્ગો, હજીરા પોર્ટ અને તેની સાથે રેલ્વેની કનેક્ટિવિટી તેમજ ટેક્ષ્ટાઇલ, ડાયમંડ, એમ.એસ.એમ.ઈ, ફૂડ અને એગ્રિકલ્ચરના વિવિધ પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ ચેમ્બરની વિવિધ પ્રવુત્તિ ઉપર ચર્ચા કરી ચેમ્બરમાં આવવા આમંત્રણ પાઠવ્યું હતું.

સાંસદોની ગેરહાજરીમાં પી.એમ. મોદીએ ચેમ્બરના પ્રતિનિધિઓને સાંભળ્યા
જ્યારથી નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા છે ત્યારથી સૂરતના કોઇ ઉદ્યોગપતિઓ ખાસ કરીને ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિઓ વડાપ્રધાન, નાણા પ્રધાન કે અન્ય કોઇ મંત્રીઓ કે અધિકારીઓને મળવા, રજૂઆત કરવા જાય ત્યારે તેમની સાથે દર્શના જરદોષ કે સી.આર. પાટીલ અવશ્ય હોય જ. આ એક ટ્રેડિશન કહો કે ટ્રેન્ડ સેટ થઇ ગયો હતો. સાંસદ વગર સૂરતના કોઇ મોટા માથા પી.એમ.ને મળી જ ન શકે તેવી સિસ્ટમ જાણે ગોઠવાય ગઇ હતી. એ આજે તૂટી હોવાનો આભાસ થયો છે. આજે ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિમંડળ સાથે પી.એમ. શ્રી મોદીની વીસ મિનિટ સુધીની ચર્ચામાં ક્યાંય દર્શના જરદોષ કે સી.આર. પાટીલ પીક્ચરમાં દેખાયા કે ચર્ચાયા ન હતા.
ચેમ્બર ઓફ કોમર્સની સત્તાવાર અખબારી યાદી
ચેમ્બરની નવી દિલ્હી ખાતે વડાપ્રધાનશ્રી સાથે શુભેચ્છા મુલાકાત, ટેક્ષ્ટાઇલ અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીના મુખ્ય પ્રશ્નોના નિરાકરણ માટે તેમજ ઇન્ફ્રાસ્ટ્રકચરની વધુ સવલતો આપવા રજૂઆત સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ શ્રી કેતન દેસાઇની આગેવાની હેઠળ અન્ય હોદ્દેદારો, સેલ હેડ તથા ભુતપુર્વ પ્રમુખશ્રી સહિત ૧ર જણાંના પ્રતિનિધી મંડળે તા. ર૭ ડિસેમ્બર ર૦૧૯ના રોજ નવી દિલ્હી ખાતે ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની તેમના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લીધી હતી. જીડીપી ગ્રોથમાં ભારતમાં સુરતનુ રહેલ અગ્રસ્થાન અને સરકારની વિવિધ સ્કીમના લાભને કારણે વેપારના વિકાસને મળેલ ગતિ વિશે ચેમ્બરે સૌપ્રથમ માનનીય વડાપ્રધાનશ્રીનો આભાર માન્યો હતો. ત્યારબાદ ટેક્ષ્ટાઇલ અને ડાયમંડ સહિત અન્ય ઇન્ડસ્ટ્રીના મુખ્ય પ્રશ્નોના નિરાકરણ માટે રજૂઆતો કરી તેના વિકાસ માટે વિગતવાર ચર્ચા કરી હતી.
ઇન્ફ્રાસ્ટ્રકચર માટે રજૂઆત….
ચેમ્બરના પ્રમુખ શ્રી કેતન દેસાઇએ જણાવ્યુ હતુ કે, સુરત એરપોર્ટથી ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટીક ફલાઇટો તેમજ કાર્ગોની ફેસિલીટીને વધારવા માટે રજૂઆત કરી કરવામાં આવી હતી. સુરતમાં હજીરા ખાતે અદાણી પોર્ટને વધારે ડેવલપ કરવા માટે સાયણથી કૃભકો સુધીની રેલવે લાઇનને અદાણી પોર્ટ સુધી લંબાવવાની માંગ કરવામાં આવી હતી. જેથી કરીને પોર્ટથી ઇમ્પોર્ટ–એક્ષ્પોર્ટ થતા કન્ટેનરોની અવરજવર વધી શકે. તદુપરાંત ઘોઘા અને દહેજ વચ્ચેની રો રો ફેરી ટેકનીકલ કારણોસર બંધ થઇ ગઇ છે તેને ફરીથી શરૂ કરાવી હજીરા સુધી લંબાવવા માટે રજૂઆત કરી હતી.
એમએસએમઇ ક્ષેત્રે રજૂઆત….
સુરત સહિત દક્ષિણ ગુજરાત એમએસએમઇનું હબ હોવાથી ઉદ્યોગોમાં એફીશિયન્સી, સ્કીલ, માઇન્ડસેટ અને એથીકલ બિઝનેસના અપગ્રેડેશન માટે લાંબી ચર્ચા થઇ હતી. ટેક્ષ્ટાઇલ માટે ખૂબ જ જરૂરી એવા કોમન ફેસિલીટી સેન્ટરો ઉભા થાય તેના માટે પણ રજૂઆત કરવામાં આવી હતી. એમએસએમઇ ઉદ્યોગોને લેવલ પ્લેઈંગ ગ્રાઉન્ડ મળી રહે તેવી રજૂઆત કરી હતી. સાથે જ સુરતને ટેક્ષ્ટાઇલ મશીનરી મેન્યુફેકચરીંગનું હબ બનાવવા માટે વિદેશી રોકાણને પ્રોત્સાહન આપવા વિનંતિ કરવામાં આવી હતી.
ડાયમંડ ક્ષેત્રે રજૂઆત….
ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં ઇનપુટ ટેક્ષ ક્રેડીટ અને લીકવીડીટીના પ્રશ્નનો સત્વરે નિકાલ લાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી. સુરતમાં વેલ્યુ એડીશન માટે જવેલરી ઉદ્યોગને વધારે વિકસાવવા માટે સરકાર દ્વારા સહયોગ આપવામાં આવે તે વિશે રજૂઆત થઇ હતી. સુરતમાં લેબગ્રોન ડાયમંડ માટે પણ ચર્ચા કરવામાં આવી હતી.
ટેક્ષ્ટાઇલ ક્ષેત્રે રજૂઆત….
ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીમાં વિવિંગ અને પ્રોસેસિંગમાં લીકવીડીટી અને ક્રેડીટ રીફંડની પ્રોસેસ ઝડપથી કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. પાવર ટેરીફના પ્રશ્ને પણ રજૂઆત થઇ હતી. સુરતના ફેબ્રિકના નિકાસ માટે વેલ્યુ એડીશન ક્ષેત્રમાં સહયોગ આપવા માટે વિનંતી કરવામાં આવી હતી. સુરતનુ કાપડ વિશ્વની સ્પર્ધામાં ટકી રહે એ માટે પણ સરકાર દ્વારા જરૂરી પ્રયત્નો થાય તે માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.
વિવિધ ક્ષેત્રે રજૂઆત….
સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ફૂડ એન્ડ એગ્રીકલ્ચરના પ્રશ્ને તથા તેમના વિકાસ માટે રજૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત એકવા કલ્ચર, કેમિકલ અને રીયલ એસ્ટેટ સહિતની વિવિધ ઇન્ડસ્ટ્રીઝના પ્રશ્નોના નિરાકરણ માટે ચર્ચા કરવામાં આવી હતી.
ચેમ્બરના ‘દિવ્યાંગ એક્ષ્પો’ વિશે વડાપ્રધાનશ્રી સાથે વિશેષ ચર્ચા….
ચેમ્બર દ્વારા એકસકલુઝીવ ‘દિવ્યાંગ એક્ષ્પો’ કરવાનું પ્લાનીંગ કરવામાં આવ્યુ છે. આ અંગે માનનીય વડાપ્રધાનશ્રી સાથે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. દિવ્યાંગોના વિકાસ માટે તેમણે અંગત રસ દાખવ્યો હતો અને ચેમ્બરને કેટલાક સૂચનો પણ કર્યા હતા.
વડાપ્રધાનશ્રીને ચેમ્બરનું આમંત્રણ….
ચેમ્બરનું ફલેગશીપ એકઝીબીશન ‘ઉદ્યોગ’ જાન્યુઆરી ર૦ર૦માં યોજાશે. મે ર૦ર૦માં ચેમ્બરની વાર્ષિક સાધારણ સભા અને ઇન્સ્ટોલેશન સેરેમની યોજાશે. જયારે ડિસેમ્બર ર૦ર૦માં વાઇબ્રન્ટ ગુજરાત યોજાશે. આ ત્રણ પ્રસંગોમાં પધારવા માટે માનનીય વડાપ્રધાનશ્રીને ચેમ્બર દ્વારા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યુ હતુ. આ ઉપરાંત ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીના વિકાસ માટે સરકારશ્રીની વિવિધ યોજનાઓની જગજાગૃતિ માટે ચેમ્બર દ્વારા સરકારશ્રીને સહયોગ આપવાની ખાતરી આપવામાં આવી હતી.



















