CIA ALERT

Alert Archives - Page 53 of 517 - CIA Live

December 16, 2024
Zakir-Hussain.jpg
1min463

જગપ્રસિદ્ધ તબલા વાદક ઝાકિર હુસૈનનું સાન ફ્રાન્સિસ્કોની હોસ્પિટલમાં અવસાન થયું છે, એમ તેમના પરિવારે 16/12/24 સોમવારે જણાવ્યું હતું. તેમના પરિવારના જણાવ્યા અનુસાર, હુસૈનનું મૃત્યુ આઇડિયોપેથિક પલ્મોનરી ફાઇબ્રોસિસથી ઉદ્ભવેલી જટિલતાઓને કારણે થયું હતું. તેઓ 73 વર્ષના હતા. તેઓ છેલ્લા બે અઠવાડિયાથી હોસ્પિટલમાં દાખલ હતા. બાદમાં તેમની તબિયત બગડતાં તેમને આઈસીયુમાં લઈ જવામાં આવ્યા હતા.

હુસૈનને તેમની કારકિર્દીમાં ચાર ગ્રેમી એવોર્ડ મળ્યા છે, જેમાં આ વર્ષની શરૂઆતમાં 66મા ગ્રેમી એવોર્ડમાં જ તેમને ત્રણ ગ્રેમી એવોર્ડ્સનો સમાવેશ થાય છે. છ દાયકાની સુદીર્ઘ કારકિર્દીમાં, હુસૈને ઘણા પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય અને ભારતીય કલાકારો સાથે કામ કર્યું હતું, પરંતુ અંગ્રેજી ગિટારવાદક જ્હોન મેકલોફલિન, વાયોલિનવાદક એલ શંકર અને પર્ક્યુશનિસ્ટ ટી એચ ‘વિક્કુ’ વિનાયક્રમ સાથેના તેમના 1973ના મ્યુઝિકલ પ્રોજેક્ટમાં તેઓ ભારતીય શાસ્ત્રીય સંગીત અને સંગીતના ઘટકોને તેઓ સાથે લાવ્યા હતા.

ભારતના સૌથી પ્રખ્યાત શાસ્ત્રીય સંગીતકારોમાંના એક તબલાવાદક હુસૈનને 1988માં પદ્મશ્રી, 2002માં પદ્મ ભૂષણ અને 2023માં પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. મહાન તબલાવાદક અલ્લારખાના મોટા પુત્ર ઝાકિર હુસૈન તેમના પિતાના પગલે ચાલ્યા અને ભારત અને સમગ્ર વિશ્વમાં પોતાનું નામ બનાવ્યું હતું. હુસૈનને તેની કારકિર્દીમાં પાંચ ગ્રેમી એવોર્ડ મળ્યા છે, જેમાંથી ત્રણ આ વર્ષની શરૂઆતમાં 66મા ગ્રેમી એવોર્ડમાં આવ્યા હતા.

મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાક્રિષ્નને તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનના નિધન પર શોક વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે દેશે તેની સૌથી પ્રિય સાંસ્કૃતિક ધરોહરમાંથી એક ગુમાવી છે. તેમના શોક સંદેશમાં, રાજ્યપાલે સંગીતકારને એક સમર્પિત શિષ્ય અને મહાન ઉસ્તાદ અલ્લારખાના પુત્ર તરીકે વર્ણવ્યા હતા, જેમણે તબલાને વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધિ અપાવી હતી.

તેમના અસાધારણ પ્રદર્શને તેમને શાસ્ત્રીય સંગીતમાં અને પ્રેક્ષકોમાં લોકપ્રિય બનાવ્યા હતા. ગવર્નરે જણાવ્યું હતું કે, તેમણે તેમના રમતિયાળ અને મોહક પ્રદર્શનથી દરેકને મંત્રમુગ્ધ કરી દીધા હતા અને ભારતીય શાસ્ત્રીય સંગીતમાં ઘર-ઘરનું નામ બની ગયા હતા.

હુસૈનના નિધન પર શોક વ્યક્ત કરતા એનસીપીના વડા શરદ પવારે તેમને શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું હતું કે, “પ્રખ્યાત તબલા વાદક પદ્મભૂષણ ઉસ્તાદ ઝાકિર હુસૈનના નિધનના સમાચાર હૃદયદ્રાવક છે.” ઝાકિર હુસૈન ભારતના સૌથી પ્રખ્યાત તબલાવાદક હતા અને બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. પવારે કહ્યું હતું કે, તેમણે ભારતીય સંગીતના સાધન તબલાને વિશ્વ મંચ પર સ્થાપિત કર્યું… કલા જગતના એક મહાન વ્યક્તિનું આજે નિધન થયું છે.

December 14, 2024
cia_multi-1280x1045.jpg
1min511

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા આગામી 22 ડિસેમ્બરના રોજ લેવામાં આવનારી રાજ્ય વેરા નિરીક્ષક (State Tax Inspector)ની ભરતીને લઈને GPSCના ચેરમેન હસમુખ પટેલે (IPS Hasmukh Patel) પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી છે. આયોગ દ્વારા પરીક્ષા કેન્દ્ર ફાળવવા બાબતે કરવામાં આવેલા પરિવર્તન અને તેને સલગ્ન બાબતોની માહિતી આપી હતી. તેમણે ઉમેદવારોને નિરાશ થતાં વગર પરીક્ષા આપવા જણાવ્યું હતું.

GPSC દ્વારા આગામી 22 ડિસેમ્બરના રોજ લેવામાં આવનારી રાજ્ય વેરા નિરીક્ષક STIની ભરતીમાં કેન્દ્ર ફાળવવામાં પરિવર્તન કરવામાં આવ્યું છે. આજ સુધી જીપીએસસી દ્વારા ઉમેદવારની પરીક્ષા તેના જિલ્લા કેન્દ્ર પર લેવામાં આવતી હતી. પરંતુ આ વખતે આયોગે તેમાં ફેરફાર કરીને નજીકના જિલ્લામાં પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવ્યું છે.

આ અંગે આયોગના ચેરમેન હસમુખ પટેલે જણાવ્યું હતું કે પરીક્ષા કેન્દ્ર જિલ્લા બહાર આપવાને કારણે ઉમેદવારોને મુશ્કેલી પડે તે સમજી શકાય તેમ છે. ભૂતકાળમાં પોતાના જિલ્લાના સંપર્કનો ઉપયોગ કરી પરીક્ષામાં ગરબડ કર્યાના બનાવો રાજ્યની કેટલીક પરીક્ષાઓમાં થયેલા છે તેને ધ્યાનમાં રાખી આ પગલું ભરવામાં આવ્યું છે.

આ ઉપરાંત તેમણે ખેદ વ્યક્ત કર્તા કહ્યું હતું કે, ‘ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર સુધી જવામાં મુશ્કેલી પડે તે આયોગ તરીકે અમને જરાય પસંદ નથી પરંતુ પરીક્ષાની સલામતી તથા પરીક્ષા સ્વચ્છ રીતે લેવાય તે આયોગની સૌથી મોટી પ્રાથમિકતા છે. ઉમેદવારોને પ્રવાસમાં મુશ્કેલી ના પડે તે માટે ભવિષ્યમાં પરીક્ષા કેન્દ્ર શક્ય હોય ત્યાં સુધી જિલ્લાના મુખ્ય મથકમાં રાખવામાં આવશે તેમ પણ હસમુખ પટેલે જણાવ્યું હતું.

વધુમાં હસમુખ પટેલે જણાવ્યું હતું કે, “STIની ભરતીમાં ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર જિલ્લા બહાર હોય ત્યાં સુધી પહોંચવામાં અનુકૂળતા રહે તે માટે વધારાની એસટી બસો મુકવા માટે આયોગ અને GSRTCના વડા સાથે વાત કરવામાં આવી છે અને GPSC તરફથી જીલ્લા વાઇઝ ઉમેદવારોની સંખ્યા સાથે GSRTC ને પત્ર લખવામાં આવ્યો છે. ઉમેદવારોને અગવડતા ન પડે તે માટે GSRTC દ્વારા વધારાની બસ મુકવામાં આવશે.

હસુમખ પટેલે આ અંગે ગુજરાતની પ્રજા અને સ્વૈછિક સંસ્થાઓને અપીલ કરતાં કહ્યું હતું કે ગુજરાતે કાયમ મદદ કરી છે. લોકરક્ષકની ભરતીની ઉદાહરણ આપતા તેમણે સ્વૈછિક સંસ્થાઓ દ્વરા ઉમેદવારો માટે કરવામાં આવેલ વ્યવસ્થાને બિરદાવી હતી અને આ પરીક્ષામાં પણ સહકાર આપવા માટે અપીલ કરી હતી.

December 14, 2024
1min395

એક રાત જેલમાં વિતાવ્યા બાદ આખરે તેલુગુ સુપરસ્ટાર અભિનેતા અલ્લુ અર્જુનને આજે વહેલી સવારે જેલમાંથી છોડવામાં આવ્યો છે. અલ્લુ અર્જુનના પિતા અલ્લુ અરવિંદ તથા સસરા કંચરલા ચંદ્રશેખર પણ વહેલી સવારે હૈદરાબાદની ચંચલગુડા સેન્ટ્રલ જેલ પહોંચી ગયા હતા. નોંધનીય છે કે 13મી ડિસેમ્બરે હૈદરાબાદ પોલીસે સંધ્યા થિયેટર નાસભાગ કેસમાં અલ્લુ અર્જુનની ધરપકડ કરી હતી. જોકે બાદ હાઇકોર્ટે જામીન આપ્યા હતા.

અલ્લુ અર્જુનને ગઇકાલે સાંજે જ તેલંગાણા હાઇકોર્ટે જામીન આપી દીધા હતા. જોકે જામીનનો આદેશ ઓનલાઈન અપલોડ થઈ શક્યો નહીં જેના કારણે અભિનેતાએ એક રાત જેલમાં જ વિતાવવી પડી. અલ્લુ અર્જુનના વકીલોનું માનવું છે કે અલ્લુ અર્જુનને પરેશાન કરવા માટે જાણી જોઈને આવું કરવામાં આવ્યું છે.

આટલું જ નહીં અલ્લુ અર્જુનના ચાહકો પણ આ કારણે ગુસ્સે ભરાયા હતા અને ગઈ કાલે ચંચલગુડા સેન્ટ્રલ જેલ બહાર દેખાવો શરૂ થઈ ગયા હતા.

અલ્લુ અર્જુનની તેના ઘરેથી જ પોલીસે ધરપકડ કરી હતી. બાદમાં સાંજે ચાર વાગ્યે લોકલ કોર્ટ સામે હાજર કરવામાં આવ્યો, કોર્ટે અલ્લુ અર્જુનને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો હતો. જોકે અભિનેતાએ હાઇકોર્ટમાં અપીલ કરતાં. સાંજે પાંચ વાગ્યે તેલંગાણા હાઇકોર્ટે જામીન મંજૂર કર્યા હતા.

નોંધનીય છે કે ચોથી ડિસેમ્બરે હૈદરાબાદના સનધ્યા થિયેટરમાં મોટી સંખ્યામાં લોકો અલ્લુ અર્જુનની પુષ્પા 2 મૂવી જોવા ભેગા થયા હતા. એવામાં અલ્લુ અર્જુન પણ ચાહકોને મળવા ત્યાં પહોંચી ગયો. એવામાં નાસભાગ મચી જતાં એક મહિલાનું નિધન થયું હતું.

December 12, 2024
પીએ-એટીએમ.png
1min320

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના 7 કરોડ મેમ્બર્સ માટે સારા સમાચાર છે. શ્રમ સચિવ સુમિતા ડાવરાએ કરેલી જાહેરાત મુજબ, શ્રમ તથા રોજગાર મંત્રાલય વર્તમાનમાં ભારતના કાર્યબળને શ્રેષ્ઠ સેવા આપવા માટે આઈટી સિસ્ટમને શાનદાર બનાવવાની પ્રક્રિયામાં છે. ઈપીએફઓ મેમ્બર્સને 2025માં કેટલીક શાનદાર સુવિધા મળી શકે છે. તેઓ એટીએમ દ્વારા પૈસા ઉપાડી શકશે.

શ્રમ તથા રોજગાર મંત્રાલયના સચિવ સુમિત્રા ડાવરાએ કહ્યું, અમે પીએફની આઈટી સિસ્ટમને સુધારી રહ્યા છીએ. આ પહેલા પણ અમે અનેક સુધારા કર્યા હતા. જેનાથી ક્લેમમાં તેજી આવી છે અને સેલ્ફ ક્લેમમાં વધારો થયો છે. પીએફમાંથી બિનજરૂરી પ્રક્રિયાઓને હટાવી દેવામાં આવી છે. અમારી મહત્ત્વકાંક્ષા અમારા ઈપીએફઓના આઈટી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને અમારા બેંકિંગ સિસ્ટમને સમાન સ્તર પર લાવવાની છે. જાન્યુઆરી 2025માં તમને મોટા સુધારા જોવા મળશે. જ્યારે અમારી પાસે ઈપીએફઓમાં આઈટી 2.1 એડિશન હશે ત્યારે દાવેદાર, લાભાર્થી સીધા એટીએમના માધ્યમથી દાવો કરી શકશે. સિસ્ટમ વધુ એડવાન્સ થવાથી તમે કેટલાક અન્ય સુધારા જોઈ શકશો.

જાણકારી મુજબ, ઈપીએફઓ પીએફના પૈસા ઉપાડવા માટે એક નવું કાર્ડ જાહેર કરશે. જેનાથી એટીએમના માધ્યમથી સરળતાથી પૈસા ઉપાડી શકાશે. જોકે કુલ જમા રકમના 50 ટકા રૂપિયા જ ઉપાડી શકાશે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના સક્રિય સબ્સ્ક્રાઈબર્સની સંખ્યા 7 કરોડથી વધારે છે.

નોકરી દરમિયાન તમે પીએફ ફંડ આંશિક કે પૂર્ણ રીતે ઉપાડવાની મંજૂરી નથી. જો તમે ઓછામાં ઓછા એક મહિનાથી બેકાર હો તો તમે પીએફ બેલેન્સના 75 ટકા સુધીની રકમ ઉપાડી શકો છો. બે મહિનાની બેરોજગારી બાદ તમે પૂરી રકમ ઉપાડી શકો છો.

December 12, 2024
thailand-flag-1280x829.jpg
1min450
Thailand country profile -

નવી દિલ્હીમાં રોયલ થાઈ એમ્બેસીએ 11/12/24, બુધવારે જાહેરાત કરી છે કે ભારતના વિઝીટર્સ માટે થાઈલેન્ડના ઈ-વિઝા ભારતમાં 1 જાન્યુઆરી, 2025થી ઉપલબ્ધ કરાવવા આવશે. થાઇલેન્ડ દૂતાવાસે એ બાબતે પણ માર્ગદર્શિત કર્યા કે ભારતીય પાસપોર્ટ ધારકો ઈ-વિઝા લઈને થાઈલેન્ડમાં 60 દિવસ સુધી રોકાણ કરી શકશે.

થાઇ એમ્બેસીના જણાવ્યા મુજબ, બિન-થાઈ નાગરિકોએ તમામ પ્રકારના વિઝા માટે https://www.thaievisa.go.th વેબસાઇટ પર અરજી કરવાની રહેશે. અરજદાર પોતે અથવા અન્ય પ્રતિનિધિઓ દ્વારા અરજી કરી શકે છે. જો કે એક વાતનું ધ્યાન રાખવું કે જો કોઈ પ્રતિનિધિ દ્વારા સબમિટ કરવામાં આવેલી અરજી અધૂરી હશે તો તેના માટે એમ્બેસી અને કોન્સ્યુલેટ જનરલ જવાબદાર રહેશે નહીં. અરજી કઈ રીતે કરવી તેની પ્રક્રિયા ઉપરની વેબસાઇટ પર જોઈ શકાય છે.

એમ્બેસીની નવી માર્ગદર્શિકામાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ઑફલાઇન પેમેન્ટ વિકલ્પ દ્વારા અરજી કરનારાઓએ વિઝા ફી ચૂકવવી પડશે. આ માટે સંબંધિત એમ્બેસી અને કોન્સ્યુલેટ જનરલના ઓફલાઈન પેમેન્ટ ઓપ્શન પર વિગતો આપવાની રહેશે. જો કે એ બાબત સ્પષ્ટ છે કે વિઝા ફી કોઈપણ સંજોગોમાં પરત કરવામાં આવશે નહીં. વિઝા પ્રક્રિયામાં ફી મળ્યાની તારીખથી લગભગ 14 કાર્યકારી દિવસો લાગી શકે છે.

થાઈલેન્ડ ભારતીય પ્રવાસીઓ માટે ખૂબ આકર્ષણનું કેન્દ્ર છે. બેંગકોક, પટાયા, ફૂકેટ, ચિયાંગ માઈ અને કોહ સમુઈ સહિતના સ્થળોએ ભારતીય પ્રવાસીઓનો ઘસારો જોવા મળે છે. વર્ષ 2019માં 20 લાખથી વધુ ભારતીય પ્રવાસીઓએ થાઈલેન્ડની મુલાકાત લીધી હતી. માત્ર કોવિડ-19ના ગાળામાં જ પ્રવાસીઓનો ધસારો ઘટ્યો હતો. પરંતુ ત્યારબાદ ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં ઝડપથી વધારો થયો. જો કે તેનો સીધો ફાયદો થાઈલેન્ડને થાય છે.

December 10, 2024
Cia_business_news-1280x936.jpg
1min424
  • આ પ્રદર્શનનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે

  • સુરત : SJMA સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસિએશન અને સુરત જ્વેલટેક ફાઉન્ડેશન દ્વારા 14, 15 અને 16 ડિસેમ્બર 2024ના રોજ સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સરસાણા ખાતે રૂટ્ઝ જેમ્સ એન્ડ જ્વેલરી મેન્યુફેક્ચરર્સ શો 2024નું આયોજન કરવામાં આવ્યું છે. આ B2B જ્વેલરી પ્રદર્શનની આ ચોથી આવૃત્તિ છે, જેમાં સુરત અને અન્ય શહેરોના 150 રિયલ મેન્યુફેક્ચરર્સ અને અને શહરોના મેન્યુફેક્ચરર્સ ડિસ્પ્લે કરશે. ડિસ્પ્લેમાં 5 હજારથી વધુ ડિઝાઇન જોવા મળશે. જેમાં ઇન્ટરનેશનલ અને નેશનલ B2B ખરીદદારો ભાગ લેશે. આ પ્રદર્શનનું ઉદ્ઘાટન 14 ડિસેમ્બરને શનિવારે સવારે 10 કલાકે મુખ્ય મહેમાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય જલ શક્તિ મંત્રી સી.આર. પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયા, રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકિયા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

  • આ પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ્ય જ્વેલરી મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગનો વિકાસ હશે અને તે હીરા ઉદ્યોગ, લેબ ગ્રોન ઈન્ડસ્ટ્રી અને અન્ય ઈન્ડસ્ટ્રીઝનો પણ વિકાસ કરશે. જો આપણે સમગ્ર ભારત તરફ નજર કરીએ તો, સુરત એક એવું શહેર છે જ્યાં જ્વેલરી મેન્યુફેક્ચરિંગ થાય છે. SJMA એક બિન-લાભકારી સંગઠન છે, જે જ્વેલરી સેગમેન્ટમાં તમામ ઉત્પાદનના વિકાસ માટે સરકાર સાથે સંકલન કરીને જ્વેલરી ઉદ્યોગ માટે કામ કરે છે. તે ઉત્પાદકો, જથ્થાબંધ વેપારી, સપ્લાયર્સ અને ખરીદદારોને જોડે છે. હીરા અને જ્વેલરી ઉદ્યોગમાં વૈશ્વિક વલણોને પ્રતિબિંબિત કરે છે. રુટ્ઝ નેટવર્કિંગ, નવા વલણોની શોધ અને નવીનતમ તકનીક અને મશીનરીની શોધ માટે એક અનન્ય પ્લેટફોર્મ પૂરું પાડે છે.
December 10, 2024
fire.png
1min302

સુરતના ડીંડોલી સાંઈ શક્તિ સોસાયટીમાં લગ્ન પ્રસંગમાં પરાક્રમ : એક યુવાનને ગોળી પ્રાઈવેટ
પાર્ટ નજીકથી જાંઘની આરપાર નીકળી ગઈ : પોલીસે વોર્ડ કોષાધ્યક્ષ અને ડેનીશ કેક શોપના માલિક ઉમેશ તિવારીની ધરપકડ કરી વરઘોડો કાઢ્યો

શરૂઆતમાં ઈજાગ્રસ્તે રિવોલ્વર સરખી કરતી વખતે ફાયરિંગ થયાની કેફિયત રજૂ કરતા પોલીસે પૂરતી તપાસ કર્યા વિના ગુનો નોંધ્યો : સીસીટીવી ફૂટેજ વાયરલ થતા વિવિધ કલમનો ઉમેરો કરવો પડયો

  • સુરતના ડીંડોલી સાંઈ શક્તિ સોસાયટીમાં લગ્ન પ્રસંગમાં પરાક્રમ : એક યુવાનને ગોળી પ્રાઈવેટ પાર્ટ નજીકથી જાંઘની આરપાર નીકળી ગઈ : પોલીસે વોર્ડ કોષાધ્યક્ષ અને ડેનીશ કેક શોપના માલિક ઉમેશ તિવારીની ધરપકડ કરી વરઘોડો કાઢ્યો
  • શરૂઆતમાં ઈજાગ્રસ્તે રિવોલ્વર સરખી કરતી વખતે ફાયરિંગ થયાની કેફિયત રજૂ કરતા પોલીસે પૂરતી તપાસ કર્યા વિના ગુનો નોંધ્યો : સીસીટીવી ફૂટેજ વાયરલ થતા વિવિધ કલમનો ઉમેરો કરવો પડયો

સુરતના ડીંડોલી સુમુખ સર્કલ પાસે આવેલ સાંઈ શક્તિ સોસાયટીમાં ગત રાત્રે મિત્રની બહેનના લગ્ન પ્રસંગે ડી.જે.પાર્ટીમાં ભાજપના વોર્ડ કોષાધ્યક્ષ અને કેક શોપના માલિકે પાંચ રાઉન્ડ ફાયરિંગ કરતા તે પૈકીની બે ગોળી ત્યાં હાજર બે યુવાનને વાગતા બંનેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.તે પૈકી એક યુવાનને ગોળી જાંઘની આરપાર નીકળી ગઈ હતી.શરૂઆતમાં ઈજાગ્રસ્તે રિવોલ્વર સરખી કરતી વખતે ફાયરિંગ થયાની કેફિયત રજૂ કરતા પોલીસે પૂરતી તપાસ કર્યા વિના ગુનો નોંધ્યો હતો.જોકે, ત્યાર બાદ ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થતા વિવિધ કલમનો ઉમેરો કરી ડેનીશ કેક શોપના માલિક ઉમેશ તિવારીની ધરપકડ કરી વરઘોડો કાઢ્યો હતો.

મૂળ મધ્યપ્રદેશના ભીંડનો વતની અને સુરતના ડીંડોલી સુમુખ સર્કલ પાસે સાંઈ શક્તિ સોસાયટી ઘર નં.118 માં રહેતો તેમજ પાણીપુરી વેચતો 27 વર્ષીય સંતોષ હોમસિંગ બધેલ ગતરાત્રે 11.15 કલાકે સોસાયટીમાં રહેતા પ્રવિણભાઈની બહેનના લગ્ન પ્રસંગે ડી.જે.પાર્ટીમાં હાજર હતો ત્યારે ત્યાં આવેલા પ્રવિણભાઈના મિત્ર ડેનીશ કેકના માલિક અને ભાજપના વોર્ડ નં.27 ના કોષાધ્યક્ષ ઉમેશ તિવારીએ તેની પાસેની લાયસન્સવાળી રિવોલ્વરમાંથી પહેલા હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.ત્યાર બાદ ત્યાં હાજર લોકોએ તેને અટકાવતા તેણે રિવોલ્વર મૂકતી વેળા જમીન ઉપર વધુ બે રાઉન્ડ ફાયરિંગ કરતા ગોળી ઉછળીને સંતોષના ડાબા પગની જાંઘની આરપાર નીકળી ગઈ હતી.જયારે બીજી ગોળી ત્યાં હાજર સંતોષના મિત્ર અને કાપડ વેપારી વીરેન્દ્ર વિશ્વકર્માને ડાબા પગમાં વાગી હતી.ગોળી વાગતા બંને ફસડાઈ પડયા હતા.

બંને યુવાનોને સારવાર માટે પરવત પાટીયાની ખાનગી સર્જીકલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.બનાવની જાણ થતા ડીંડોલી પોલીસે સંતોષની ફરિયાદ નોંધતા તેણે ઉમેશ તિવારી રિવોલ્વર સરખી કરતો હતો ત્યારે ફાયરિંગ થયાની કેફિયત રજૂ કરતા પોલીસે તે મુજબ પૂરતી તપાસ કર્યા વિના ગુનો નોંધી દીધો હતો.જોકે, બાદમાં સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા હતા અને તેમાં ઉમેશે ત્રણ રાઉન્ડ ફાયરિંગ હવામાં કર્યા બાદ કરેલા બીજા બે રાઉન્ડ ફાયરિંગમાં બંને યુવાનોને ઈજા થઈ હોવાનું બહાર આવતા પોલીસે આર્મ્સ એક્ટ સહિતની વિવિધ કલમનો ઉમેરો કરી ઉમેશ તિવારીની ધરપકડ કરી હતી.ત્યાર બાદ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવી તેને હોસ્પિટલ લઈ જઈ ડીંડોલી પોલીસે તેનો વરઘોડો કાઢ્યો હતો.હાલ ઈજાગ્રસ્ત બંને યુવાનોની સ્થિતિ સામાન્ય હોવાનું જાણવા મળ્યું છે.

યુ.પી. સ્ટાઈલમાં લગ્નપ્રસંગમાં ફાયરિંગ કરનાર ઉમેશ તિવારી સુરત ભાજપના મોટા ગજાના રાજકારણીઓ અને સુરત પોલીસમાં ફરજ બજાવતા અને અગાઉ બજાવી ગયેલા ઘણા પોલીસ અધિકારીઓનો માનીતો છે.એક સમયે સામાન્ય કેક શોપ ધરાવતો ઉમેશ તિવારી તેના સંપર્કોને લીધે હવે ડીંડોલી, ઉધના વિસ્તારમાં મોટું નામ ગણાય છે.તે જમીન દલાલીનું પણ કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે.

ઉમેશે તેની પાસેની લાયસન્સવાળી રિવોલ્વરમાંથી ફાયરિંગ કર્યું હતું તે લાયસન્સ વર્ષ 2020 માં લીધું હતું.ગતરાતના બનાવને પગલે પોલીસ આગામી દિવસોમાં તેનું લાયસન્સ રદ કરવાની પણ કાર્યવાહી કરશે તેવું ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું.

December 10, 2024
sanjay-malhotra.png
1min342

  • શકિતકાંત દાસનો કાર્યકાળ આજે પૂર્ણ
  • 1990 બેન્ચના રાજસ્થાન કેડરના આઇએએસ મલ્હોત્રાની ત્રણ વર્ષ માટે નિમણૂક કરાઇ
    નવી દિલ્હી : મહેસૂલ સચિવ (રેવન્યુ સેક્રેટરી) સંજય મલ્હોત્રાની આરબીઆઇના નવા ગવર્નર તરીકે પસંદગી કરવામાં આવી છે. મલ્હોત્રા હાલના આરબીઆઇ ગવર્નર શકિતકાંત દાસની જગ્યા લેશે.

૧૦ ડિસેમ્બરે આરબીઆઇ ગવર્નર શકિતકાંત દાસનું કાર્યકાળ પૂર્ણ થઇ રહ્યું છે. સંજય મલ્હોત્રા આરબીઆઇના ૨૬મા ગવર્નર હશે. સંજય મલ્હોત્રા ૧૯૯૦ બેન્ચના રાજસ્થાન કેડરના આઇએએસ અધિકારી છે. તેઓ નવેમ્બર ૨૦૨૦માં આરઇસીના ચેરમેન અને એમડી બન્યા હતાં. આ અગાઉ તે ઉર્જા મંત્રાલયમાં એડિશનલ સેક્રેટરીના પદ પર તૈનાત હતાં.

સંજય મલ્હોત્રા ૧૧ ડિસેમ્બરે આરબીઆઇના નવા ગવર્નર તરીકે કાર્યભાર સંભાળશે. તેમનો કાર્યકાળ આગામી ૩ વર્ષ માટે હશે. ઉલ્લેખનીય છે કે રિઝર્વ બેંકનું કામકાજ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ સંભાળે છે. સંજય મલ્હોત્રાને આ કામકાજનો લાંબો અનુભવ છે. તેથી આરબીઆઇના ગવર્નરની રેસમાં તે સૌથી આગળ છે. તેમની પાસે રાજ્ય અને કેન્દ્ર સરકાર બંને સ્તરો પર નાણા અને ટેક્સનો લાંબો અનુભવ છે.

પોતાના વર્તમાન કાર્યકાળમાં તે પ્રત્યક્ષ અને પરોક્ષ ટેક્સ સંબધિત નીતિઓ બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યાં હતાં.

સંજય મલ્હોત્રાએ પોતાની એન્જિનિયરિંગની ડિગ્રી આઇઆઇટી, કાનપુરથી લીધી છે. પ્રિંસટન યુનિવર્સિટીમાંથી તેમણે માસ્ટર્સ ડિગ્રી મેળવી છે. છેલ્લા ૩૦ વર્ષોમાં મલ્હોત્રા વીજળી, ફાઇનાન્સ, ટેક્સેશન, આઇટી અને માઇન્સ જેવા વિભાગોમાં પોતાની સેવા આપી છે.

શક્તિકાંત દાસ છ વર્ષ સુધી આરબીઆઇના ગવર્નર રહ્યાં છ.ે ઉર્જિત પટેલના અચાનક રાજીનામા પછી શકિતકાંત દાસને આરબીઆઇના ગવર્નર બનાવવામાં આવ્યા હતાં.

December 5, 2024
fadanvis.jpg
1min280

મહારાષ્ટ્રના આગામી મુખ્ય પ્રધાન તરીકે દેવેન્દ્ર ફડણવીસ ગુરુવારે શપથગ્રહણ કરશે, રાજ્યપાલ સી. પી. રાધાકૃષ્ણને તેમને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું છે. દેવેન્દ્ર ફડણવીસ 10 વર્ષમાં ત્રીજી વખત મુખ્ય પ્રધાન તરીકેના શપથ ગ્રહણ કરશે જ્યારે આ વિશેષ સમારંભમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. 2014માં પહેલી વખત મુખ્ય પ્રધાન બનેલા દેવેન્દ્ર ફડણવીસે પાંચ વર્ષની પૂરી મુદત સરકાર ચલાવી હતી. 2019માં તેઓ ફક્ત ત્રણ દિવસ માટે મુખ્ય પ્રધાન બન્યા હતા.

અજિત પવાર સહિત બે નાયબ મુખ્ય પ્રધાન પણ આઝાદ મેદાનમાં આયોજિત ભવ્ય કાર્યક્રમમાં શપથ ગ્રહણ કરશે. વિદાયમાન મુખ્ય પ્રધાન એકનાથ શિંદે નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લેશે કે નહીં તેની હજી સુધી સ્પષ્ટતા કરવામાં આવી નથી, પરંતુ ફડણવીસે એમ જણાવ્યું હતું કે તેમણે શિંદેને સરકારમાં જોડાવા માટે વિનંતી કરી છે. શિંદેએ કહ્યું હતું કે તેમની પાર્ટીમાંથી કોણ નાયબ મુખ્ય પ્રધાન બનશે તેની જાહેરાત બાદમાં કરવામાં આવશે.

મહાયુતિના ઘટક પક્ષોનું એક પ્રતિનિધિમંડળ રાજ્યપાલને મળવા રાજભવન પર પહોંચ્યું હતું અને સરકાર રચવાનો દાવો કર્યો હતો.

આ પહેલાં વિધાનભવનમાં ભાજપના વિધાનસભ્યોની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં કેન્દ્રીય નિરીક્ષકો વિજય રૂપાણી અને નિર્મલા સીતારમણની હાજરીમાં દેવેન્દ્ર ફડણવીસને વિધાનમંડળ પક્ષના અધ્યક્ષ ચૂંટી કાઢવામાં આવ્યા હતા. ભાજપના નેતા ચંદ્રકાંત પાટિલે ફડણવીસના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો.

ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને કેન્દ્રીય નિરીક્ષક વિજય રૂપાણીએ ફડણવીસ ભાજપ વિધાનમંડળ પક્ષના નેતા ચૂંટાઈ આવ્યા હોવાની જાહેરાત કરી હતી.

અન્ય કેન્દ્રીય નિરીક્ષક નિર્મલા સીતારમણે જાહેરાત કરી હતી કે ડબલ એન્જિનની સરકાર વિકાસને ગતિ આપશે. ફડણવીસે ભાજપના વિધાનસભ્યોનો તેમનામાં વિશ્ર્વાસ રાખવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

આઝાદ મેદાનમાં શપથ ગ્રહણ કાર્યક્રમ માટે ભાજપના 40,000 સમર્થકો અને 2,000 વીવીઆઈપીઓ માટે બેઠકની વ્યવસ્થા કરવામાં આવી છે. આ કાર્યક્રમને ધ્યાનમાં રાખીને સુરક્ષા માટે 4,000 પોલીસ જવાનોને બંદોબસ્ત માટે ગોઠવી દેવામાં આવ્યા છે, જેમાં 520 અધિકારીઓનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત એસઆરપીએફ, ક્યુઆરટી (ક્વિક રિસ્પોન્સ ટીમ), રાયટ ક્ધટ્રોલ ટીમ, ડેલ્ટા, કોમ્બેટ ટીમ અને બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વૉડને પણ ફરજ પર ગોઠવી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત ટ્રાફિકની વ્યવસ્થા સંભાળવા માટે ટ્રાફિક પોલીસના 280 જવાનો ખડેપગે ફરજ બજાવશે. રાજ્યના મુખ્ય સચિવ સુજાતા સૌનિક દ્વારા આ સમારંભની આમંત્રણ પત્રિકાઓ વિતરિત કરવામાં આવી હતી, જેમાં દેવેન્દ્ર ફડણવીસના નામમાં પહેલાં માતા સરિતા અને પછી પિતા ગંગાધર લખવામાં આવ્યું હતું. આમ દેવેન્દ્ર સરિતા ગંગાધર ફડણવીસના મુખ્ય પ્રધાન તરીકેના શપથ ગ્રહણનું આમંત્રણ અપાયું છે.

December 4, 2024
maharastra-politics.png
1min310

મહારાષ્ટ્રમાં સરકારની સ્થાપનાની તૈયારીઓ ચાલી રહી છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતે હાજર રહેવાના હોવાથી આઝાદ મેદાનમાં શપથગ્રહણ સમારોહની તૈયારીઓ જોરશોરથી થઈ રહી છે. આ બધાની વચ્ચે હજી સુધી રાજ્યના આગામી મુખ્ય પ્રધાનના નામને લઈને સસ્પેન્સ અકબંધ છે. દેવેન્દ્ર ફડણવીસ મુખ્ય પ્રધાન બનશે એવું માનવામાં આવી રહ્યું છે, પરંતુ આ સસ્પેન્સનો બુધવારે અંત આવશે. બુધવારે 04/12/24 સાંજ સુધીમાં મુખ્ય પ્રધાનનું નામ જાહેર કરવામાં આવે એવી શક્યતા જોવાઈ રહી છે.

મહારાષ્ટ્રના આગામી મુખ્ય પ્રધાન ભાજપના જ હશે એમાં હવે કોઈ શંકા નથી. ભાજપના વિધિમંડળ પક્ષના નેતા હજી સુધી નક્કી કરવામાં આવ્યા નથી. આ બધી બાબતોને કારણે વિપક્ષની થઈ રહેલી ટીકાથી કંટાળેલા ભાજપે મંગળવારે બે કેન્દ્રીય નિરીક્ષકોને મુંબઈ મોકલ્યા હતા. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ મંગળવારે મુંબઈ આવી પહોંચ્યા હતા.

આ બંને કેન્દ્રીય નિરીક્ષકોની હાજરીમાં બુધવારે 04/12/24 ભાજપના વિધિમંડળ પક્ષની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાજપના બધા જ વિધાનસભ્યો હાજર રહેશે અને તેઓ પોતાના નેતાને ચૂંટી કાઢશે. આ સંપૂર્ણ પ્રક્રિયા પર કેન્દ્રીય નિરીક્ષકો નજર રાખશે અને ભાજપ વિધિમંડળ પક્ષની પસંદગી અંગે તેઓ કેન્દ્રીય નેતૃત્વને જાણકારી આપશે. આને પગલે કેન્દ્રીય નેતૃત્વ મહારાષ્ટ્રના આગામી મુખ્ય પ્રધાનની જાહેરાત કરશે. આ બધું સાંજ પહેલાં પૂરી થવાની અપેક્ષા છે અને તેથી જ સાંજ સુધીમાં આગામી મુખ્ય પ્રધાનનું નામ જાહેર થતાં 10 દિવસથી ચાલી રહેલી રાજ્યના લોકોની ઈંતેજારીનો અંત આવશે.