CIA ALERT

Alert Archives - Page 46 of 509 - CIA Live

November 26, 2024
bankholiday.jpg
2min237

નવેમ્બર મહિનામાં દિવાળી, ભાઈબીજ સહિતના અનેક તહેવારોને કારણે અનેક રજાઓ આવી હતી. હવે ચાર દિવસ બાદ 2024નો છેલ્લો મહિનો પણ શરૂ થવા જઈ રહ્યો છે. નવેમ્બર મહિનાની જેમ જ ડિસેમ્બરમાં પણ બેન્ક હોલિડેઝની ભરમાર રહેશે. જોકે, નવેમ્બરની જેમ ભલે ડિસેમ્બરમાં તહેવારોની ભરમાર નહીં હોય પણ કેટલાક સ્પેશિયલ દિવસ ચોક્કસ હશે કે જેને કારણે સ્કુલ, કોલેજ અને બેંકોમાં રજા રહેશે. આજે અમે અહીં તમને ડિસેમ્બર મહિનામાં કેટલા દિવસ બેંકો બંધ રહેશે. મળી રહેલી માહિતી પ્રમાણે ડિસેમ્બરમાં સાત-આઠ નહીં પૂરા 15 દિવસ સુધી બેંકોમાં રજા રહેશે. આ 15 રજાઓમાં બીજા અને ચોથા શનિવાર તેમ જ રવિવારની રજાનો સમાવેશ થાય છે. આવો જોઈએ ક્યારે ક્યારે દેશના કયા રાજ્યમાં બેંક હોલિડે રહેશે.

  1. 8મી ડિસેમ્બર, 2024ના રવિવારે વીકલી રજા
  2. 10મી ડિસેમ્બર, 2024ના મંગળવારે, હ્યુમન રાઈટ્સ ડે નિમિત્તે બેંકો બંધ રહેશે
  3. 11મી ડિસેમ્બર, 2024ના બુધવારે યુનિસેફના સ્થાપના દિવસ
  4. 14મી ડિસેમ્બર, 2024ના બીજા શનિવાર નિમિત્તે બેંકોમાં રજા રહેશે
  5. 15મી ડિસેમ્બ, 2024ના બેંકોમાં રવિવારની રજા રહેશે
  6. 18મી ડિસેમ્બર, 2024ના બુધવારે ગુરુ ઘાસીદાસ જયંતિ નિમિત્તે બેંકો બંધ રહેશે
  7. 19મી ડિસેમ્બર, 2024ના ગુરુવારે ગોવા મુક્તિ દિવસ નિમિત્તે ગોવામાં બેંકો બંધ રહેશે
  8. 22મી ડિસેમ્બર, 2024ના રવિવારે વીકલી છુટ્ટીને કારણે બેંકો બંધ રહેશે
  9. 24મી ડિસેમ્બર, 2024ના મંગળવારના દિવસે શહીદ દિવસ તેમ ક્રિસમસ ઈવને કારણએ મિઝોરમ, મેઘાલય, પંજાબ અને ચંદીગઢમાં બેંકો બંધ રહેશે
  10. 25મી ડિસેમ્બર, 2024ના બુધવારે ક્રિસમસ નિમિત્તે બેંકોમાં રજા રહેશે
  11. 26મી ડિસેમ્બર, 2024ના ગુરુવારના દિવસે બોક્સિંગ ડે/ક્વાન્ઝા નિમિત્તે બેંકો બંધ રહેશે
  12. 28મી ડિસેમ્બર, 2024ના ચોથા શનિવાર નિમિત્તે બેંકોમાં રજા રહેશે
  13. 29મી ડિસેમ્બર, 2024ના રવિવારે બેંકોમાં સાપ્તાહિક રજા રહેશે
  14. 30મી ડિસેમ્બર, 2024ના સોમવારે તમુ લોસર નિમિત્તે સિક્કિમમાં બેંકો બંધ રહેશે
  15. 31મી ડિસેમ્બર, 2024ના મંગળવારના દિવસે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ મિઝોરમમાં તમામ બેંકો બંધ રહેશે
November 26, 2024
nirbhayasuprem.png
1min282

સુપ્રીમ કોર્ટે મંગળવારે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનના બદલે બેલેટ પેપર મારફત ચૂંટણી કરાવવાની માગ કરતી અરજી ફગાવી દીધી છે. તેમજ ફટકાર લગાવી હતી કે, ‘જ્યારે તમે ચૂંટણી હારી જાઓ છો, ત્યારે ઈવીએમ સાથે ચેડાં થઈ જાય છે. અને જીતો તો કોઈ ફરિયાદ કરતાં નથી.’

ખ્રિસ્તી ધર્મના પ્રચારક તથા પોતાને રાજકીય વિશ્લેષક ગણાવતાં કે.એ પોલ દ્વારા કરવામાં આવેલી અરજીમાં લોકતંત્રની રક્ષા માટે ફરીથી બેલેટ પેપર મારફત ચૂંટણી કરવાની જરૂરિયાત દર્શાવાઈ હતી. અરજદારે કહ્યું કે, ‘આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂ, પૂર્વ મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ પણ દાવો કર્યો હતો કે, ઈવીએમને હેક કરી શકાય છે. ઈલોન મસ્કે પણ ઈવીએમ હેક થતુ હોવાનો દાવો કર્યો હતો.’

સુપ્રીમ કોર્ટની બેન્ચે અરજી ફગાવતાં કહ્યું કે, ‘જ્યારે ચંદ્રબાબુ નાયડૂ કે રેડ્ડી હારી જાય છે, તો તેઓ ઈવીએમ સાથે ચેડાં થયા હોવાનો દાવો કરે છે, પરંતુ જ્યારે જીતે છે, ત્યારે કઈ કહેતા નથી. અમે આવુ બેવડું વલણ કેવી રીતે ચલાવી લઈએ? આ અરજીને અમે રદ કરીએ છીએ.’ જસ્ટિસ નાથે જણાવ્યું કે, ‘આ એ સ્થળ નથી કે, જ્યાં તમે વિવાદ કરી શકો.’

અરજીમાં બેલેટ પેપરથી મતદાન કરવા ઉપરાંત અનેક દિશા-નિર્દેશોની માગ કરવામાં આવી હતી. જેમાં ચૂંટણી પંચને કડક વલણ અપનાવવા માગ કરાઈ છે. જો કોઈ ઉમેદવાર ચૂંટણી દરમિયાન મતદાતાઓને પૈસા, દારૂ કે અન્ય ભૌતિક સાધનોની લાંચ આપતો ઝડપાય તો તેને ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી અયોગ્ય જાહેર કરવામાં આવે.

અરજદાર કે.એ. પોલે સુપ્રીમ કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે, ‘આ એક PIL છે. હું એવા સંગઠનનો અધ્યક્ષ છું કે, જે 3 લાખથી વધુ અનાથો અને 40 લાખ વિધવાઓની મદદ કરે છે. બેન્ચે આ મુદ્દે ફટકાર લગાવ્યો કે, ‘તો તમે રાજકારણમાં કેમ ઉતર્યા છો? તમારૂ કાર્યક્ષેત્ર તદ્દન અલગ છે.’

પોલ દ્વારા બીજી દલીલ કરવામાં આવી કે, ‘તે 150થી વધુ દેશોમાં પ્રવાસ કરી ચૂક્યો છે, જ્યાં બેલેટ પેપરથી મતદાન થાય છે. ભારતે પણ તેનું અનુસરણ કરવુ જોઈએ. દેશના 32 ટકા શિક્ષિત લોકો મતદાન કરતાં નથી, તે આપણા દેશની વિડંબના દર્શાવે છે.’તો બેન્ચે સામો સવાલ કર્યો કે, કેમ તમે વિશ્વ કરતાં અલગ દેખાવા માગતા નથી.

November 21, 2024
hocky.jpg
1min460

મહિલાઓની એશિયન ચૅમ્પિયન્સ ટ્રોફી નામની હૉકી ટૂર્નામેન્ટમાં ડિફેન્ડિંગ ભારતે ઑલિમ્પિક સિલ્વર-મેડલિસ્ટ ચીનને 1-0થી હરાવીને ત્રીજી વાર ચૅમ્પિયનપદ મેળવ્યું છે.

ભારતે ત્રીજી વખત આ ટ્રોફી જીતીને સાઉથ કોરિયાના રેકોર્ડની બરાબરી કરી છે. ઉપરાઉપરી બે વર્ષ આ સ્પર્ધામાં ચેમ્પિયનપદ મેળવનાર સાઉથ કોરિયા બાદ ભારત બીજો દેશ છે.

Date 20/11/24 અહીં અત્યંત રસાકસીભરી ફાઇનલમાં એકમાત્ર ગોલ ભારતની સુપરસ્ટાર ખેલાડી દીપિકા સેહરાવતે 31મી મિનિટમાં કર્યો હતો. તેને પેનલ્ટી કૉર્નરમાંથી આ ગોલ કરવાનો મોકો મળ્યો હતો અને એમાં તે સફળ થઈ હતી.
દીપિકા આ વખતની ટૂર્નામેન્ટમાં 11 ગોલ કરીને તમામ ખેલાડીઓમાં ટૉપ-સ્કોરર રહી.

ભારત આ ટૂર્નામેન્ટમાં અપરાજિત રહીને ચૅમ્પિયન બન્યું છે એ ભારતીય ટીમની ઑર એક મોટી સિદ્ધિ છે.

લીગ રાઉન્ડમાં ભારતે ચીનને 3-0થી આંચકો આપ્યો હતો.

ભારત આ પહેલાં 2016માં અને 2023માં ચૅમ્પિયન બન્યું હતું.

બીજી તરફ, ચીને ત્રીજી વાર રનર-અપની ટ્રોફીથી સંતોષ માનવો પડ્યો છે.

ત્રીજા સ્થાન માટેના મુકાબલામાં જાપાને મલયેશિયાને 4-1થી હરાવ્યું હતું. જાપાન ત્રીજા સ્થાને અને મલયેશિયા ચોથા સ્થાને રહ્યું છે.

સલીમા ટેસ્ટ ભારતની કેપ્ટન હતી અને ટીમમાં નવનીત કૌર, સંગીતા કુમારી, સુશીલા ચાનુ, જ્યોતિ, સવિતા (ગોલકીપર), લાલરેમશિયામી, વૈષ્ણવી, શર્મિલા દેવી, નેહાનો પણ સમાવેશ હતો.

November 20, 2024
putin-1280x720.jpg
1min296

  • યુક્રેન યુદ્ધના 1000 દિવસ : પુતિને ન્યુક્લિયર એટેકના નિયમો બદલ્યા
  • અમેરિકાની મંજૂરીના બીજા જ દિવસે યુક્રેને રશિયાના બ્રીન્ક્સમાં યુએસ બનાવટના છ એટીએસીએમએસ મિસાઈલ છોડયા
  • યુક્રેનના રહેણાંક વિસ્તારો પર સળંગ ત્રીજા દિવસે રશિયાનો વિનાશક હુમલો : 12નાં મોત, 84 ઘાયલ
    અમેરિકાએ યુક્રેનને યુએસ બનાવટના લાંબી રેન્જના મિસાઈલનો ઉપયોગ રશિયા સામે કરવાની મંજૂરી આપ્યાના દિવસોમાં જ યુક્રેને અમેરિકાના છ એટીએસીએમએસ મિસાઈલ રશિયાના બ્રીન્સ્ક પ્રાંત પર છોડયા હતા. બીજીબાજુ અમેરિકાની બદલાયેલી નીતિના જવાબમાં યુક્રેન સાથે યુદ્ધના ૧૦૦૦ દિવસ થવાની તૈયારી છે ત્યારે રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિને પણ તેમની પરમાણુ નીતિમાં ફેરફાર કરતા વિશ્વ પર ત્રીજા વિશ્વયુદ્ધનું જોખમ તોળાઈ રહ્યું છે. નવી નીતિ હેઠળ રશિયા પરમાણુ શસ્ત્રોથી સજ્જ દેશની ભાગીદારી સાથે ન્યુક્લિયર શસ્ત્રોના હોય તેવા દેશના હુમલાને મોસ્કો પર સંયુક્ત આક્રમણ ગણાશે અને સૈન્ય પરમાણુ હુમલો કરી શકશે.

અમેરિકાના વિદાય લઈ રહેલા પ્રમુખ જો બાઈડેને યુક્રેનને યુએસ બનાવટના લાંબી રેન્જના મિસાઈલોથી રશિયામાં અંદર સુધી હુમલા કરવાની મંજૂરી આપીને ગંભીર ભૂલ કરી છે. અમેરિકાની મંજૂરી મળ્યા પછી યુક્રેને મંગળવારે સવારે રશિયાના બ્રીન્ક્સ પ્રાંત પર અમેરિકન બનાવટના છ આર્મી ટેક્ટિકલ મિસાઈલ સિસ્ટમ (એટીએસીએમએસ) મિસાઈલ છોડયા હતા, જેમાંથી પાંચ અમે તોડી પાડયા હતા અને એક મિસાઈલને નુકસાન પહોંચાડયું હતું. આ મિસાઈલ યુક્રેનની સરહદથી ૭૫ માઈલ દૂર કારાચેવ વિસ્તારમાં રશિયન મિલિટ્રી ફેસિલિટીમાં પડયું હતું. જોકે, યુક્રેનના આ હુમલાથી અમને કોઈ મોટું નુકસાન થયું નથી તેમ રશિયાના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો હતો.

જોકે, રશિયા પર એટીએસીએમએસ મિસાઈલનો હુમલો કર્યાની બાબતને યુક્રેને હજુ સુધી સત્તાવાર રીતે પુષ્ટી આપી નથી. પરંતુ યુક્રેન પર રશિયાના હુમલાને મંગળવારે ૧,૦૦૦ દિવસ પુરા થયા છે ત્યારે અમેરિકાની મંજૂરી અને યુક્રેનના આ હુમલાથી સ્થિતિ વધુ વણસી હોવાનો નિષ્ણાતો દાવો કરી રહ્યા છે.

યુક્રેનને લાંબા અંતરની મિસાઈલોથી રશિયા પર હુમલો કરવાની અમેરિકાએ મંજૂરી આપી હોવાની ઘટનાને રશિયાએ મોસ્કો સાથે અમેરિકાનું સીધું યુદ્ધ ગણાવ્યું હતું. વધુમાં અમેરિકાની મંજૂરીના બીજા જ દિવસે રશિયાએ તેની પરમાણુ હુમલાની નીતિમાં ફેરફાર કર્યો હતો. આ અંગેના દસ્તાવેજો પર હસ્તાક્ષર કરતાં રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિને કહ્યું કે, કોઈ દેશ જેની પાસે પરમાણુ હથિયારો ના હોય તે પરમાણુ હથિયારોથી સજ્જ દેશની મદદથી રશિયા પર હુમલો કરશે તો તેને રશિયા વિરુદ્ધ યુદ્ધનું સંયુક્ત એલાન સમજવામાં આવશે. રશિયા વિરુદ્ધ બેલિસ્ટિક મિસાઈલનો ઉપયોગ કરાશે તો જવાબમાં પરમાણુ હુમલો કરવામાં આવી શકે છે.

રશિયન પ્રમુખ પુતિને મંગળવારે પશ્ચિમી દેશો અને યુક્રેનને સ્પષ્ટ સંદેશો આપતા નવા ડોક્ટ્રિન પર હસ્તાક્ષર કર્યા હતા, જેમાં રશિયન કેવા સંજોગોમાં પરમાણુ હુમલો કરી શકશે તેનો દાયરો વધારવામાં આવ્યો હતો. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસકોવે યુક્રેન અને પશ્ચિમી દેશોને સ્પષ્ટ સંદેશો આપતા કહ્યું કે, અમારા સિદ્ધાંતોને વર્તમાન સ્થિતિને અનુરૂપ લાવવા જરૂરી હતા. જોકે, તેમણે એમ પણ કહ્યું કે, રશિયા પરમાણુ હુમલો ત્યારે જ કરશે જ્યારે તે તેના માટે મજબૂર હોવાનું અનુભવશે.

અગાઉ રશિયાની નીતિ તેના પર પરમાણુ હુમલો થાય તો જ પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવાની હતી, પરંતુ હવે બેલેસ્ટિક મિસાઈલથી હુમલો થાય તો પણ સૈન્યને પરમાણુ હુમલાની મંજૂરી અપાઈ છે. દરમિયાન રશિયાએ યુક્રેન પર હુમલા વધારી દીધા છે. રશિયાએ સતત ત્રીજા દિવસે યુક્રેનના રહેણાંક વિસ્તારો પર મિસાઈલ અને ડ્રોન હુમલો કર્યો હતો. યુક્રેનના લુખીવ શહેરમાં એક શૈક્ષણિક ઈમારતને મંગળવારે રશિયાએ નિશાન બનાવતાં ૧૨ નાગરિકોનાં મોત નીપજ્યાં હતા અને અન્ય ૮૪ ઘાયલ થયા હતા.

દરમિયાન રશિયા અને યુક્રેન યુદ્ધને ૨૪ નવેમ્બરે ૧,૦૦૦ દિવસ પૂરા થશે ત્યારે આ યુદ્ધમાં અત્યાર સુધીમાં બંને દેશના કુલ ૧૦ લાખ સૈનિકોનાં મોત નીપજ્યાં છે અથવા ગંભીર રીતે ઘાયલ થયા છે તેમ સૂત્રોનું કહેવું છે. ફેબુ્રઆરી ૨૦૨૨માં શરૂ થયેલા યુદ્ધને ૨૪ નવેમ્બરે ૧,૦૦૦ દિવસ થશે.

November 20, 2024
ar-saira.png
1min292

ઓસ્કાર વિજેતા સંગીતકાર એઆર રહેમાન લગ્નના 29 વર્ષ બાદ પત્ની સાયરા બાનુથી અલગ થવા જઈ રહ્યા છે. રહેમાન અને સાયરાના વકીલે સાર્વજનિક નિવેદન બહાર પાડ્યું છે. જેમાં જણાવ્યું છે કે, દંપતીએ તલાક લેવાનો નિર્ણય લીધો છે. પત્નીના કહેવા પ્રમાણે, તે આ સંબંધમાં ઘણી પીડામાંથી પસાર થઈ રહી હતી, જેને સંભાળવી તેના માટે ખૂબ મુશ્કેલ બની ગઈ છે. તેથી તેણે સંબંધ તોડવાનું નક્કી કર્યું છે.

એઆર રહેમાનના ચાહકો માટે આ આંચકાજનક સમાચાર છે. જાહેર નોંધ મુજબ, દંપતીનો અલગ થવાનો નિર્ણય અચાનક લેવાયેલો નિર્ણય નથી. સાયરા લાંબા સમયના વિચાર અને સમજણ બાદ આ નિષ્કર્ષ પર પહોંચી છે. તેણીએ તેની પ્રેસ રિલીઝમાં કહ્યું છે કે તે હવે સંબંધોને બચાવી શકશે નહીં.

અખબારી યાદીમાં લખ્યું હતું – લગ્નના ઘણા વર્ષો પછી શ્રીમતી સાયરાએ તેમના પતિ શ્રી એ.આર. રહેમાનથી અલગ થવાનો મુશ્કેલ નિર્ણય લીધો છે. આ નિર્ણય તેમના સંબંધોમાં નોંધપાત્ર ભાવનાત્મક તણાવ પછી લેવાયો છે. એકબીજા પ્રત્યેના ઊંડો પ્રેમ હોવા છતાં, તણાવ અને મુશ્કેલીઓએ તેમની વચ્ચે દરાર પાડી દીધી છે જેને કોઈ પણ પક્ષ હાલના સમયે ઓછી કરી શકવામાં સક્ષમ નથી.

શ્રીમતી સાયરાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તેણે પીડા અને વેદનાને કારણે આ નિર્ણય લીધો છે. સાયરા આ પડકારજનક સમયમાં લોકો પાસેથી ગોપનીયતા અને સમજણની વિનંતી કરે છે, કારણ કે તે તેના જીવનના આ મુશ્કેલ પ્રકરણમાંથી પસાર થઈ રહી છે.

દંપતીને ત્રણ બાળકો છે

એઆર રહેમાન અને સાયરાના લગ્ન 1995માં થયા હતા. દંપતીને ત્રણ બાળકો છે – ખતિજા, રહીમા, આમીન. સંગીતકારે કહ્યું હતું કે આ સંબંધ તેની માતાએ નક્કી કર્યો હતો. બંને વચ્ચે ઘણા બધા સાંસ્કૃતિક તફાવત હતા પરંતુ તેમ છતાં તેઓ પોતાના સંબંધોને સારી રીતે જાળવી રહ્યા હતા. સિમી ગ્રેવાલને આપેલા ઈન્ટરવ્યુમાં રહેમાને કહ્યું હતું કે- સાચું કહું તો મારી પાસે દુલ્હન શોધવાનો સમય નહોતો. પરંતુ, મને ખબર હતી કે મારા માટે લગ્ન કરવાનો આ યોગ્ય સમય છે. હું 29 વર્ષનો હતો અને મેં મારી માતાને કહ્યું, ‘મારા માટે કન્યા શોધો.’

November 20, 2024
maha-jhar.png
2min304

મહારાષ્ટ્રમાં આજે (20 નવેમ્બર, 2024) વિધાનસભા ચૂંટણી યોજાઈ રહી છે. આજે સવારે 7 વાગ્યાથી બંને Maharashtra & Jharkhand રાજ્યોના મતદાન મથકો પર મતદાન શરૂ થઈ ચૂક્યું છે.

મહારાષ્ટ્રના અનેક દિગ્ગજ નેતાઓ જેમ કે શરદ પવાર, મુખ્યમંત્રી એકનાશ શિંદે, ઉદ્ધવ ઠાકરે, અજિત પવાર અને દેવેન્દ્ર ફડણવીસના ભાવિનો ફેંસલો થશે. જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં આજે મતદાન થઈ રહ્યું છે અને 23મીએ પરિણામ જાહેર કરાશે.

ઝારખંડમાં આજે બીજા(અંતિમ) તબક્કાનું મતદાન થઈ રહ્યું છે અને 23 નવેમ્બરે પરિણામ જાહેર કરાશે. ઝારખંડમાં સત્તાધારી ઈન્ડિયા બ્લોક અને NDA વચ્ચે મુકાબલો છે. આ સિવાય ચાર રાજ્યોની 15 બેઠકો પર પેટાચૂંટણી પણ યોજાઈ રહી છે.

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત વહેલી સવારે મતદાન કરવા પહોંચ્યા હતા. તેમણે ભાઉસાહેબ સ્કૂલમાં મતદાન કર્યું. તેમણે લોકોને મતદાનની અપીલ કરતાં કહ્યું હતું, કે ‘લોકતંત્રમાં મતદાન દરેક નાગરિકની ફરજ છે. હું ઉત્તરાખંડમાં હતો, કાર્યક્રમ ટૂંકાવીને મતદાન કરવા આવ્યો છું. 

PM મોદીએ લોકોને કરી અપીલ 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ X પર પોસ્ટ કરીને ઝારખંડ અને મહારાષ્ટ્રના લોકોને મતદાન કરવા અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું, કે તમારો એક એક મત રાજ્યની તાકાત છે. ઉત્સાહ સાથે લોકતંત્રના ઉત્સવની રોનક વધારો. 

મહારાષ્ટ્રમાં 288 અને ઝારખંડમાં 38 બેઠકો પર ચૂંટણી

મહારાષ્ટ્રમાં અલગ-અલગ મોરચા પર અલગ અલગ લડાઈઓ છે. બંને પવાર અને શિંદે-ઠાકરે પોતાની પાર્ટીઓ વચ્ચે જબરદસ્ત લડાઈ શરૂ છે. મહારાષ્ટ્રમાં વિધાનસભાના 288 સભ્યોને ચૂંટવા માટે મતદાન થઈ રહ્યું છે. રાજ્યમાં છેલ્લી વિધાનસભા ચૂંટણીઓ ઓક્ટોબર 2019માં યોજાઈ હતી. જ્યારે ઝારખંડની વાત કરીએ તો રાજ્યની તમામ 81 બેઠકો છે, જેમાં બીજા તબક્કામાં બાકીની 38 બેઠકો પર મતદાન યોજાઈ રહ્યું છે. જેમાં 528 ઉમેદવારોનું ભાવિ આજે ઈવીએમમાં કેદ થશે. ઝારખંડ વિધાનસભાનો કાર્યકાળ પાંચમી જાન્યુઆરી 2025ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લી વિધાનસભા ચૂંટણી ડિસેમ્બર 2019માં યોજાઈ હતી.

કોના કેટલા ઉમેદવારો મેદાનમાં?

ભાજપ 149 બેઠકો પર, શિવસેના 81 બેઠકો પર અને અજિત પવારની આગેવાની હેઠળની NCPએ 59 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. વિપક્ષી ગઠબંધનમાં કોંગ્રેસે 101, શિવસેના (UBT) 95 અને NCP (SP) 86 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. 50થી વધુ સીટો પર બંને શિવસેનાના ઉમેદવારો એકબીજાની સામે છે, જ્યારે 37 સીટો પર બંને પવારે પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે.

કાકા અને ભત્રીજા વચ્ચે રસપ્રદ લડાઈ

પશ્ચિમ મહારાષ્ટ્રમાં કાકા-ભત્રીજાની લડાઈ રસપ્રદ છે, એક સમૃદ્ધ વિસ્તાર છે જ્યાં પવાર કુળના મૂળ છે. રાજ્યના ચાર વખત પૂર્વ મુખ્યમંત્રી શરદ પવારે ‘દેશદ્રોહીઓને હરાવવા’ અપીલ કરી છે. તે સ્પષ્ટ છે કે તેઓ તેમના ભત્રીજા અજિત પવાર અને તેમના ઉમેદવારો તરફ ઈશારો કરી રહ્યા છે. તેના બદલામાં ભત્રીજા અજિત પવારે તેમની વિરુદ્ધ તીક્ષ્ણ શબ્દોનો ઉપયોગ કરવાનું ટાળ્યું છે. લોકસભા ચૂંટણીમાં NCP (SP) એ NCPની એક બેઠક સામે આઠ બેઠકો જીતી હતી. જ્યારે શિવસેના (UBT) નવ બેઠકો પર જીતી હતી જ્યારે શિવસેના સાત પર જીતી હતી.

શરદ પવાર લોકસભાના પ્રદર્શનની જેમ વિધાનસભામાં આશા રાખીને બેઠા

શરદ પવાર આવતા મહિને 84 વર્ષના થશે. તેમણે લોકસભા ચૂંટણીમાં પોતાના ભત્રીજાને જોરદાર ફટકો આપ્યો હતો. તેઓ વિધાનસભાની ચૂંટણીમાં પણ આનું પુનરાવર્તન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે જ્યારે અજિત પવાર પુનરાગમન માટે આશાવાદી છે. શરદ પવારની આગેવાની હેઠળની NCP (SP) અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT) વિપક્ષી મહા વિકાસ અઘાડીનો ભાગ છે, જેમાં કોંગ્રેસ ત્રીજો મહત્વનો ખેલાડી છે. એનસીપી અને શિવસેના ભાજપની આગેવાની હેઠળની સત્તાધારી મહાયુતિ સાથે ગઠબંધનમાં છે.

ઝારખંડમાં 500થી વધુ ઉમેદવારો મેદાનમાં છે

ઝારખંડમાં આજે વિધાનસભા ચૂંટણીનો બીજો તબક્કો છે. આ તબક્કો ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન, તેમની પત્ની કલ્પના સોરેન અને વિરોધ પક્ષના નેતા અમર કુમાર બઉરી (ભાજપ) ઉપરાંત અન્ય 500 થી વધુ ઉમેદવારોના ચૂંટણી ભાવિનો નિર્ણય કરશે. 14,218 મતદાન મથકો પર આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ચૂક્યું છે. જેમાં 31 બૂથ સિવાય સાંજે 5 વાગ્યા સુધી મતદાન ચાલુ રહેશે. આ 31 બૂથ પર મતદાન સાંજે 4 વાગ્યે સમાપ્ત થશે. જણાવી દઈએ કે, ઝારખંડમાં કુલ 2.6 કરોડ મતદારો છે. 

ચૂંટણી પ્રચાર દરમિયાન, એનડીએએ બાંગ્લાદેશથી કથિત ઘૂસણખોરી અને જામીન પર બહાર છે તેવા મુખ્યમંત્રી સહિતના નેતાઓના ભ્રષ્ટાચારને લઈને જેએમએમના નેતૃત્વવાળા ગઠબંધન પર પ્રહારો કર્યા છે. ભાજપની આગેવાની હેઠળના ગઠબંધને હિન્દુત્વનો મુદ્દો ઉઠાવ્યો હતો.

November 18, 2024
mba-mca-cmat.png
3min804

ગ્રેજ્યુએશનના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન આપે:

ગુજરાત સમેત દેશભરમાં આવેલી MBA/MCA કોલેજોમાં જૂન 2025થી શરૂ થનારા પહેલા સેમેસ્ટરમાં પ્રવેશ માટે મેરીટની ગણતરી જેના આધારે કરવામાં આવશે એ કોમન મેનેજમેન્ટ એડમિશન ટેસ્ટ CMAT 2025 આગામી તા.25મી જાન્યુઆરી 2025ના રોજ રાષ્ટ્રવ્યાપી ધોરણે લેવામાં આવશે.

નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ જાહેરાત કરી છે કે કોમન મેનેજમેન્ટ એડમિશન ટેસ્ટ CMAT 2025ના રજિસ્ટ્રેશન શરૂ થઇ ગયા છે અને એ ડિસેમ્બર 15 સુધી ચાલશે.

જે વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએટ બેચલર ડિગ્રી કરી ચૂક્યા છે તે, તેમજ જે વિદ્યાર્થીઓ હાલમાં કોઇપણ ફેકલ્ટીની બેચલર ડિગ્રીના છેલ્લા વર્ષની પરીક્ષા આપવાના છે તેઓ પણ કોમન મેનેજમેન્ટ એડમિશન ટેસ્ટ CMAT આપી શકે છે.

CMAT કોમન મેનેજમેન્ટ એડમિશન ટેસ્ટની મહત્વની તારીખો

The National Testing Agency (NTA) has opened the online registration process for the Common Management Admission Test (CMAT) 2025. Interested and eligible candidates are encouraged to visit the official website, exams.nta.ac.in/CMAT, to complete their registration. According to the schedule, the application window for CMAT 2025 will remain open until December 13, 2024. From December 15 to 17, 2024, candidates will have the opportunity to make corrections to their applications. The exam is set to take place on January 25, 2025, and will have a duration of 180 minutes.

CMAT 2025: Steps to register

Candidates can follow these steps to register for CMAT 2025:
Step 1: Visit the official website, i.e., exams.nta.ac.in/CMAT.
Step 2: On the homepage, click on the link that reads, ‘Click here to register/login’.

Step 3: A new page will appear on the screen.

Step 4: Register yourself and login to your account.

Step 5: Fill in the application form and pay the registration fee.

Step 6: Submit your CMAT 2025 application and take a printout of it for future reference.

Candidates can click on this link to register for CMAT 2025.

For more information, candidates are advised to visit the official website of CMAT 2025.

November 17, 2024
drugs-surat.png
1min327


હજીરા સાયણ રોડ અને ક્પલેથા ચેક પોસ્ટ પાસે ક્રાઈમ બ્રાન્ચનું ઓપરેશન : વેડરોડનો યુવાન મુંબઈથી ડ્રગ્સ લઈ કારમાં મિત્રો સાથે સુરત આવતો હતો ત્યારે ઝડપાઈ ગયો
બાઈક ઉપર આવતા કોસંબાના બે યુવાનો પોલીસને જોઈ ડ્રગ્સ-બાઈક મૂકી ખેતરમાં ભાગ્યા : છ કલાક પકડદાવ પકડાયા

સુરત ક્રાઈમ બ્રાન્ચે શહેરના બે છેવાડાના વિસ્તાર હજીરા સાયણ રોડ અને ક્પલેથા ચેક પોસ્ટ પાસેથી દોઢ કિલોથી વધુ એમ.ડી.ડ્રગ્સ સાથે પાંચ યુવાનોને ઝડપી પાડી તેમની પાસેથી રૂ.1.53 કરોડનું એમ.ડી.ડ્રગ્સ, કાર, બાઈક, પાંચ મોબાઈલ ફોન, રોકડ મળી કુલ રૂ.1.57 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો.તે પૈકી બાઈક ઉપર આવતા કોસંબાના બે યુવાનો પોલીસને જોઈ ડ્રગ્સનો જથ્થો અને બાઈક મૂકી શેરડીના ખેતરોમાં ભાગી જતા ક્રાઈમ બ્રાન્ચે છ કલાક કોમ્બીંગ કરી ઝડપી લીધા હતા.જયારે વેડરોડનો યુવાન મુંબઈથી ડ્રગ્સ લઈ કારમાં મિત્રો સાથે સુરત આવતો હતો ત્યારે ઝડપાઈ ગયો હતો.

ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ગતરાત્રે પેટ્રોલીંગમાં હતી ત્યારે હજીરા સાયણ રોડ ઉપર બાઈક ઉપર આવતા બે યુવાનો પોલીસને જોઈ બાઈક અને રૂ.97,37,400 ની મત્તાનું 973.740 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ મૂકી શેરડીના ખેતરોમાં ભાગી ગયા હતા.ક્રાઈમ બ્રાન્ચે એફએસએલને સ્થળ ઉપર બોલાવી જરૂરી પરીક્ષણ કરતા તે એમ.ડી.ડ્રગ્સ હોવાનું સ્પષ્ટ થયા બાદ ભાગી ગયેલા બંને યુવાનોને શોધવા કોમ્બીંગ હાથ ધર્યું હતું.ક્રાઈમ બ્રાન્ચે છ કલાકની મહેનત બાદ કોસંબાના બે યુવાન તામીર શેખ અને સાહીલ દિવાનને ઝડપી પાડી તેમની પાસેથી ડ્રગ્સ ઉપરાંત બાઈક, બે મોબાઈલ ફોન અને રોકડા રૂ.2 હજાર મળી કુલ રૂ.97,99,400 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.છત રીપેરીંગનું કામ કરતા અને અગાઉ મારામારી, મોબાઈલ સ્નેચીંગ અને ચોરીના ગુનામાં ઝડપાયેલા તામીર શેખ અને કોસંબામાં બુટ ચંપલની દુકાનમાં નોકરી કરતા સાહીલ દિવાનની ક્રાઈમ બ્રાન્ચે પુછપરછ હાથ ધરી તેઓ ડ્રગ્સ ક્યાંથી લાવ્યા અને કોને આપવાના હતા તે અંગે તપાસ હાથ ધરી હતી.

ક્રાઈમ બ્રાન્ચની આ કામગીરી દરમિયાન જ વધુ એક બાતમી મળી હતી કે વેડરોડ સાબરીનગરમાં રહેતો અને વરીયાવી બજાર મેઈન રોડ ઉપર છેલ્લા આઠ વર્ષથી મી.કોકોના નામે રેડીમેઈડ કપડાંની દુકાન ચલાવતો ધો.10 પાસ મોહમદ તૌસીફ ઉર્ફે તૌસીફ કોકો તેના મિત્રો ઈરફાન પઠાણ અને અસ્ફાક કુરેશી સાથે મુંબઈથી એમ.ડી.ડ્રગ્સનો જથ્થો લઈ કાર ( નં.જીજે-01-સીવી-2370 ) માં નવસારી થઈ સુરતમાં આવે છે.આથી મળસ્કે 3.30 વાગ્યાના અરસામાં ક્રાઈમ બ્રાન્ચે સચીન ક્પલેથા ચેક પોસ્ટ પાસે વોચ ગોઠવી કારને અટકાવી રૂ.55,48,200 ની મત્તાના 554.82 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ સાથે ત્રણેયને ઝડપી પાડી તેમની પાસેથી ડ્રગ્સ ઉપરાંત કાર, રોકડા રૂ.53,750, ત્રણ મોબાઈલ ફોન મળી કુલ રૂ.58,71,950 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.તેમની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે તેઓ મુંબઈના નાલાસોપારા ખાતે એક અજાણ્યા પાસેથી ડ્રગ્સ લાવ્યા હતા અને સુરતમાં વેચવા આપવાના હતા.

તૌસીફ સાથે ઝડપાયેલા બે મિત્રો પૈકી ઈરફાનખાન પઠાણ બી.કોમ કર્યા બાદ હાલ એમબીએમાં અભ્યાસ કરે છે અને વીઆઈ કંપનીમાં છેલ્લા બે વર્ષથી દક્ષિણ ગુજરાતમાં ઝોનલ સેલ્સ ટ્રેનર તરીકે નોકરી કરે છે.જયારે અસ્ફાક કુરેશી ધો.8 સુધી અભ્યાસ કર્યા બાદ દોઢ વર્ષથી ફેશન બકેટના નામે શુઝ, ઘડીયાળ વિગેરેનું ઓનલાઈન વેચાણ કરે છે.ક્રાઈમ બ્રાન્ચે ઝડપાયેલા ડ્રગ્સના જથ્થા અંગે બે અલગ અલગ ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સુરતમાં ફરી ડ્રગ્સની રેલમછેલ : રૂ.1.53 કરોડના MD ડ્રગ્સ સાથે પાંચ ઝડપાયા 2 – image

હજીરા સાયણ રોડ ઉપરથી આ લોકો પકડાયા

(1) તામીર અબ્દુલ કયુમ શેખ ( ઉ.વ.20, રહે.કોસંબા, સુરત )
(2) સાહીલ અલ્લા ગુલામ મહંમદ દિવાન ( ઉ.વ.19, રહે.કોસંબા, સુરત )

ક્પલેથા ચેક પોસ્ટ ઉપરથી આ લોકો પકડાયા

(1) ઈરફાનખાન મોહમદખાન પઠાણ ( ઉ.વ.32, રહે.ઘર નં.12/2197, છોટા એન્ડ્રુસ, વરીયાવી બજાર પોલીસ ચોકી પાસે, સૈયદપુરા, સુરત )
(2) મોહમદ તૌસીફ ઉર્ફે તૌસીફ કોકો મોહમદ રફીક શા ( ઉ.વ.34, રહે.ઘર નં.સી/70/3, સાબરીનગર, ભરીમાતા રોડ, વેડરોડ, સુરત )
(3) અસ્ફાક ઈર્શાદ કુરેશી ( ઉ.વ.18, રહે.ઘર નં.302, ખતીજા એપાર્ટમેન્ટ, ફીસલ્લી મસ્જીદ પાછળ, ખ્વાજાદાનાની દરગાહ પાસે, અઠવા, સુરત )

November 13, 2024
જૈવલ.png
1min493

માત્ર 4 વર્ષની ઉંમર ધરાવતા નાનકડા ટાબરીયા જૈવલ વિપિન સોહલે એક અકલ્પ્ય રેકોર્ડ સ્થાપી દીધો છે. શહેરના કેનાલ રોડ પર આવેલી જી.ડી.ગોએન્કા સ્કુલમાં નર્સરીમાં અભ્યાસ કરતા જૈવલ વિપિન સોહલે 1 મિનિટને 34 સેકન્ડમાં 50 દેશોના નેશનલ ફ્લેગ (રાષ્ટ્રધ્વજ) ઓળખી બતાવતા આ પ્રતિયોગિતા નિહાળનારા તેમજ હવે આ સમાચાર જોઇ રહેલા, વાંચી રહેલા લાખો લોકો અચંબામાં પડી રહ્યા છે.

4 વર્ષની ઉંમરનું બાળક માંડ 1થી 20ના આંકડા કે આલ્ફાબેટની પાપા પગલી ભરી શકતા હોય એ ઉંમરે સામાન્ય માણસે નામ ન સાંભળ્યું હોય એવા દેશોના રાષ્ટ્રધ્વજને ઓળખી બતાવવા એ અદ્વિતીય અને વિરલ સિદ્ધી છે અને તેના માટે તેને રેકોર્ડ બુકમાં સ્થાન પણ મળ્યું છે.

જૈવલ વિપિન સોહલે 50 દેશોના રાષ્ટ્રધ્વજ ઓળખી બતાવવામાં માત્ર 94 સેકન્ડ એટલે કે એક રાષ્ટ્રધ્વજ ઓળખવામાં બે સેકન્ડથી પણ ઓછો સમય લીધો છે. આ એક અદ્વિતીય સિદ્ધિ છે

જૈવલના મધર જુહી અગ્રવાલે જણાવ્યું હતું કે તેમને માહિતી મળી હતી કે વર્લ્ડવાઇડ બુક ઓફ રેકોર્ડઝમાં જૈવલનો 50 દેશોના રાષ્ટ્રધ્વજને ઓળખી બતાવતો વિડીયો અપલોડ કરી શકાય. જેથી તેમણે જૈવલનો વિડીયો અપલોડ કર્યો હતો જેને એપ્રુવલ આપ્યા બાદ વર્લ્ડ વાઇડ બુક્સ ઓફ રેકોર્ડઝ તરફથી સર્ટિફિકેટ પણ મોકલવામાં આવ્યું છે.

November 13, 2024
voting.jpg
1min267

  • પૂર્વ મુખ્યમંત્રીઓ ચંપઈ સોરેન, રઘુવરદાસનાં પુત્રવધૂ, મધુ કોડાનાં પત્ની ગીતા કોડા સહિત કુલ 683 ઉમેદવારો મેદાનમાં
  • ઝારખંડની 43 માંથી 17 બેઠકો સામાન્ય જ્યારે 20 એસટી અને 6 બેઠકો એસસી માટે અનામત
    ઝારખંડમાં આજે તા.13 નવેમ્બર 2024ના રોજ પહેલા તબક્કામાં 43 બેઠકો પર મતદાન સવારે 7ના ટકોરે શરૂ થઇ ચૂક્યું છે. આ સાથે વાયનાડની લોકસભા બેઠક સહિત વિવિધ રાજ્યોમાં પેટાચૂંટણીના ભાગરૂપે 31 વિધાનસભા બેઠકો પર પણ મતદાન થવાનું છે. ઝારખંડમાં બુધવારે પૂર્વમુખ્યમંત્રીઓ ચંપઈ સોરેન, રઘુવરદાસ, પૂર્વ સીએમ મધુ કોડાનાં પત્ની ગીતા કોડા જેવા ચર્ચાસ્પદ નેતાઓ સહિત કુલ 683 ઉમેદવારોના ભાવી ઈવીએમમાં કેદ થશે. બીજીબાજુ વાયનાડ લોકસભા બેઠક પર હાલ કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાનો વિજય નિશ્ચિત મનાઈ રહ્યો છે.

ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીમાં 13 નવેમ્બર અને 20 નવેમ્બર એમ બે તબક્કામાં મતદાન થવાનું છે ત્યારે કુલ 2.60 કરોડ મતદારોમાંથી 1.37 કરોડ મતદારો બુધવારે પહેલા તબક્કામાં 43 બેઠકો પર મતદાન કરશે. બાકીની 38 બેઠકો પર ૨૦ નવેમ્બરે મતદાન થશે. ઝારખંડમાં પહેલા તબક્કામાં બુધવારે સૌથી વધુ છ બેઠકો પૂર્વ સિંહભૂમ જિલ્લામાં છે. ત્યાર પછી પલામુ, પશ્ચિમી સિંહભૂમ અને રાંચી જિલ્લામાં પાંચ-પાંચ બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આ બેઠકો પર આજે બુધવારે સવારે 7 થી સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે. જોકે, 950 મતદાન મથકો પર સાંજે 4 વાગ્યે મતદાન પૂરું થઈ જશે. રાજ્યમાં 43માંથી 17 બેઠકો સામાન્ય, 20 એસટી અને 6 બેઠકો એસસી માટે અનામત છે.

ઝારખંડમાં નક્સલી પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખતા ચૂંટણી પ્રક્રિયામાં કાયદો-વ્યવસ્થા અને સુરક્ષા જાળવવા માટે વ્યૂહાત્મક સ્થળો પર સુરક્ષા દળોની 200થી વધુ કંપનીઓ તૈનાત કરાઈ છે. પહેલા તબક્કામાં 73મહિલા સહિત 683 ઉમેદવારો મેદાનમાં છે. અગાઉની વિધાનસભા ચૂંટણીમાં આ 43 બેઠકોમાંથી 30 બેઠકો પર ઝારખંડ મુક્તિ મોરચા, ૨૫ બેઠકો પર ભાજપ અને 16 બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો હતો.

ઝારખંડમાં બુધવારે કેટલીક મહત્વપૂર્મ બેઠકોમાં સરાઈકેલા કે જ્યાં પૂર્વ મુખ્યમંત્રી ચંપઈ સોરેન ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. તેઓ આ બેઠક પર 2005થી ઝામૂમોના પ્રતિનિધિ તરીકે ચૂંટાતા હતા. આ વખતે તેઓ પહેલી વખત ભાજપના ઉમેદવાર તરીકે લડશે. આ સિવાય જમશેદપુર પૂર્વમાં ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી અને ઓડિશાના વર્તમાન રાજ્યપાલ રઘુબર દાસનાં પુત્રવધૂ પુર્ણિમા દાસ સાહુ કોંગ્રેસના અજય કુમાર સામે મેદાનમાં છે. જગન્નાથપુરમાં પૂર્વ મુખ્યમંત્રી મધુ કોડાનાં પત્ની ગીતા કોડા ભાજપના ઉમેદવાર તરીકે કોંગ્રેસના નેતા સોના રામ સિંકુ સામે લડશે.

દરમિયાન દેશમાં પેટા ચૂંટણીના ભાગરૂપે વાયનાડ લોકસભા બેઠક સહિત વિવિધ રાજ્યોમાં 31 વિધાનસભા બેઠકો પર પણ મતદાન થશે. કેરળની વાયનાડ લોકસભા બેઠક પરથી પ્રિયંકા ગાંધી વાડ્રા ચૂંટણીના રાજકારણમાં પદાર્પણ કરી રહ્યાં છે. આ પેટા ચૂંટણીમાં મતદાનથી કોઈપણ જગ્યાએ સરકારો પર કોઈ મોટી અસર થવાની નથી, પરંતુ કોંગ્રેસ અને ઈન્ડિયા ગઠબંધન હરિયાણામાં નિષ્ફળ ગયા હોવાથી આ પેટા ચૂંટણીઓને કોંગ્રેસ તથા ઈન્ડિયા ગઠબંધન માટે મોટા પડકાર સમાન માનવામાં આવે છે. આ મોટાભાગની બેઠકો વર્તમાન ધારાસભ્યો લોકસભા ચૂંટણી લડીને જીત્યા હોવાથી ખાલી પડી છે. વિવિધ રાજ્યોમાં વિધાનસભાની પેટા ચૂંટણીઓમાં રાજસ્થાનમાં સાત, પશ્ચિમ બંગાળમાં છ, આસામમાં પાંચ, બિહારમાં ચાર, કર્ણાટકમાં ત્રણ, મધ્ય પ્રદેશમાં બે અને છત્તિસગઢ, ગુજરાત, કેરળ તથા મેઘાલયમાં એક-એક બેઠકો પર મતદાન થશે.