બેન્ક ખાતાથી માંડીને પાસપોર્ટ માટે જરૂરી દસ્તાવેજ એવા આધારકાર્ડમાં નામ કે જન્મની તારીખ ખોટી હશે તો એને સુધારવા માટે ઘણી મહેનત-માથાકૂટ કરવી પડશે. અત્યાર સુધી એવું જોવાયું કે લોકો પોતાની સગવડ પ્રમાણે નામ-ઠામમાં ફેરફારો કરાવ્યે રાખતા હતા. પરંતુ, હવે આધાર ઓથોરિટીએ છટકબારીઓ બંધ કરી દીધી છે. બેથી વધુ વખત નામ સુધારવાના કેસમાં આખો આધારકાર્ડ જ નવો બનાવવો પડશે.
યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈંડિયા (યુઆઈડીએઆઈ) એ નામ તેમજ જન્મ તારીખ બદલાવવા માટે કેટલીક શરતો નક્કી કરી છે. જો કે મોબાઈલ નંબર કે અન્ય બદલાવો માટે કોઈ દસ્તાવેજની જરૂર નહીં રહે, પરંતુ જન્મ તારીખમાં બદલાવની સ્થિતિમાં ત્રણ વર્ષથી ઓછું અંતર હશે તો’ સંબંધિત દસ્તાવેજ સાથે સુવિધા કેન્દ્રમાં જઈને સુધારો કરાવી શકાશે. ત્રણ વર્ષથી વધુનું અંતર હશે તો પ્રાદેશિક આધાર કેન્દ્રમાં જવું પડશે. આધારમાં’ લિંગ સુધારવાની સુવિધા હવે એક જ વાર મળશે. વધુમાં નામ ખોટું છપાયું હશે તો તેમાં સુધારો કરાવવા માટે હવેથી માત્ર બે તક મળશે. ત્યારપછી પણ ખોટું નામ હશે, તો ઈનવેલિડ કરાવીને નવા કાર્ડ માટે અરજી કરવી પડશે. નામ સુધારવા પાસપોર્ટ, મતદાર ઓળખપત્ર ડ્રાઈવિંગ માટે જન્મનો દાખલો,’ પાનકાર્ડ લેટરહેડ પર ગેઝેટેડ અધિકારીનું પ્રમાણપત્ર પાસપોર્ટ, જેવા દસ્તાવેજ જરૂરી રહેશે.
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદનને ગુજરાત હાઈ કોર્ટે લીલીઝંડી આપી દીધી છે. હાઈ કોર્ટે ખેડૂતો દ્વારા કરવામાં આવેલી ચાર ગણું વળતર આપવાની માગ લગભગ ફગાવી દીધી છે. જો કે, આ મામલે જસ્ટિસ અનંત દવે અને બિરેન વૈષ્ણવની ખંડ પીઠે વળતરનો મુદ્દો ખુલ્લો રાખ્યો છે. હાઈ કોર્ટે આંતરરાજ્ય પ્રોજેકટ હોવા છતાં કેન્દ્ર સરકારને ઑથૉરિટી ગણાવી છે.
આ ચુકાદાને ખેડૂતો હવે સુપ્રીમ કોર્ટમાં પડકારશે.
અરજદાર ખેડૂતોના વકીલ આનંદ યાજ્ઞિકે જણાવ્યું હતું કે, હાઈ કોર્ટમાં ૧૦૦૦થી વધુ ખેડૂતોએ પિટિશન કરી હતી. ખેડૂતોની રજૂઆત હતી કે જમીન અમારી જીવાદોરી છે, તમે અમારા જીવનનું સંપાદન કરી રહ્યા છો તો વર્તમાન બજારના ભાવ મુજબ અમને ચાર ગણું વળતર આપો.
ખેડૂતો સુપ્રીમ કોર્ટથી લઈને કોર્ટની બહાર પણ લડી લેશે. જંત્રી મુજબના ભાવથી ખેડૂતોને નુકસાન થાય છે. આજે જમીનના ભાવો વધ્યા છે. ખેડૂતો આગામી દિવસોમાં સુપ્રીમ કોર્ટમાં જશે. ખેડૂતોની માગણી હતી કે, હાલ માર્કેટમાં ચાલી રહેલા જે તે વિસ્તારની જમીનના ભાવ પ્રમાણે હોવી જોઈએ. તેમ જ વળતરની રકમ કેન્દ્ર સરકારના જમીન સંપાદન કાયદા મુજબ ચૂકવવામાં આવે ગુજરાત રાજ્ય સરકારના જમીન સંપાદન કાયદા મુજબ નહીં. ટ્રેનના રૂટ માટે ગુજરાતના ૫૩૦૦થી વધુ પ્લોટની જમીન સંપાદિત કરવામાં આવશે, જેમાં ૨૬૦૦ જેટલા પ્લોટ એટલે કે અડધી જમીન સંપાદિત થઈ ગઈ છે. બાકીની જમીન માટે કામગીરી ચાલુ છે.
મહારાષ્ટ્રના થાણે મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ (ટીએમટી) દ્વારા તા.18મી સપ્ટેમ્બર 2019ના રોજથી મહિલાઓ યાત્રીઓ માટે ખાસ બસ ટ્રીપ શરૂ કરી છે.
મહિલાઓને ડેડીકેટેડ 50 બસ અલગથી ફાળવવામાં આવી છે. આ બસ પર મોટા અક્ષરોમાં ‘તેજસ્વિની’ નામ આકલન કરવામાં આવ્યું છે.
માત્ર મહિલા મુસાફરો માટેની તેજસ્વીની નામની ૫૦ બસમાં પૅનિક અલાર્મથી માંડીને સીસીટીવી કૅમેરા અને જીપીએસ ટ્રેકર સહિતની મહિલાઓ માટે આવશ્યક તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તા.18મી સપ્ટેમ્બર 2019ના રોજ એક ટોકન બસ શરૂ કરવામાં આવી છે અને હવે તબક્કાવાર 50 બસને મહિલા મુસાફરોને સમર્પિત કરવામાં આવશે.
સુરત શહેરમાં પણ મહિલાઓ માટે આ પ્રકારની બસ સર્વિસ શરૂ કરવાની તાતી જરૂરીયાત છે. હાલમાં બસ સર્વિસમાં મહિલાઓની બેઠકો પર પુરુષો બેસી રહે છે, કન્ડકટરો પણ તેમને ઉઠાડતા નથી. ભીડભાડવાળી બસો હોય છે આથી મહિલા મુસાફરો પ્રવાસ કરવાનું ટાળે છે. મહિલાઓ માટેની ડેડીકેટેડ બસ હશે તો મહિલાઓ સામે ચાલીને બસમાં મુસાફરી કરવાનું પસંદ કરશે.
વિશ્વભરના ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ સિટીની યાદીમાં પહેલા ક્રમે બિરાજતા સુરત શહેરમાં સ્પોર્ટસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ફેસિલિટીઝ પણ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડસની બની રહી છે અને એમાં દક્ષિણ આફ્રિકાની વુમન નેશનલ ક્રિકેટ ટીમના કેપ્ટન પણ હામી પુરાવી છે. સુરતની મુલાકાતે આવેલી દક્ષિણ આફ્રિકાની મહિલા ક્રિકેટ ટીમના કેપ્ટન સૂને લુસએ આજે કહ્યું હતું કે સુરતમાં અવ્વલ દરજ્જાનું ક્રિકેટ ગ્રાઉન્ડ છે અને હું તેને ડર્બન ક્રિકેટ સ્ટેડિયમ સાથે સરખાવી શકું.
દક્ષિણ આફ્રિકાના ડર્બન જેવું લાગે છે સુરતનું લાલભાઇ ક્રિકેટ સ્ટેડીયમ એવું સુરતમાં ક્રિકેટ રમવા આવેલી દક્ષિણ આફ્રિકાની નેશનલ વુમન ક્રિકેટ ટીમના કેપ્ટન સને લૂસે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ અને દક્ષિણ આફ્રિકાની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે સુરતના લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમ ખાતે આગામી દિવસોમાં પાંચ ટી ટ્વેન્ટી ક્રિકેટ મેચો રમાવાની છે. બી.સી.સી.આઇ. અને ગુજરાત ક્રિકેટ એસોસીએશનના નેજા હેઠળ સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશનના ઉપક્રમે આ મેચો યોજાવાની છે. દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમ સુરત આવી પહોંચી છે અને તા.20 સપ્ટેમ્બર અને 22મી સપ્ટેમ્બરના રોજ બોર્ડ પ્રેસિડેન્ટ ઇલેવન સામે તેઓ પ્રેક્ટિસ મેચ રમશે. એ પછી પાંચ ક્રિકેટ ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલ મેચ રમાશે.
તા.20 અને તા.22મીની પ્રેક્ટિસ મેચો સવારે 11 કલાકે શરૂ થશે અને તેના માટે કોઇ જ એન્ટ્રી ફી રાખવામાં આવી નથી. શહેરીજનો આ મેચ સ્ટેડીયમ પર જઇને નિહાળી શકે છે.
ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલ મેચોનું શિડ્યુલ આ મુજબ છે, પાંચેય મેચો ડે નાઇટ રમાશે
તા.24મી સપ્ટેમ્બર પહેલી મેચ
તા.26મી સપ્ટેમ્બર બીજી મેચ
તા.29મી સપ્ટેમ્બર ત્રીજી મેચ
તા.1લી ઓક્ટોબર ચોથી મેચ
તા.4 ઓક્ટોબર પાંચમી મેચ
સુરતના ગ્રાઉન્ડ પર પહેલી વખત યોજાનારી ઇન્ટરનેશનલ મહિલા ક્રિકેટમાં ભારત અને આફ્રિકાની તમામ મેચોનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટસ અને હોટસ્ટાર પર કરાશે
આ છે આફ્રિકાના મહિલા ક્રિકેટ ટીમના વર્તમાન કેપ્ટન સુને લૂસ , જેમણે તા.19મી સપ્ટેમ્બર 2019ના રોજ સુરત ખાતે પ્રેસ કોન્ફરેન્સ સંબોધી હતી.
દરમિયાન આજે આફ્રિકન મહિલા ક્રિકેટ કેપ્ટન અને કોચ તેમજ બીસીસીઆઇ બોર્ડ પ્રેસિડેન્ટ ઇલેવનના કેપ્ટન અને મેનેજરએ સુરતના પત્રકારો સાથે વાતચીત કરી હતી.
આફ્રિકન મહિલા ક્રિકેટ કેપ્ટન સુને લૂસે જણાવ્યું હતું કે તેમણે સુરતની પીચનું હજુ નિરીક્ષણ કર્યું નથી પરંતુ, બાકીની ફેસેલિટીઝ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર બેસ્ટ સ્ટાન્ડર્ડના હોવાનો તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો.
દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહે આજે તા.19મી સપ્ટેમ્બર 2019ના રોજ ભારતમાં જ બનેલા, મેક ઇન ઇન્ડિયા યુદ્ધ વિમાન તેજસને ઉડાડીને ઇતિહાસ સર્જ્યો છે.
ઇન્ડિયન એરફોર્સના અધિકારીઓના જણાવ્યા મુજબ રાજનાથ સિંહ તેજસમાં ઉડાન ભરનાર સૌપ્રથમ રક્ષા મંત્રી બન્યા છે.
તેજસનું વજન પ્રમાણમાં ઘણું ઓછું છે અને હવામાં ઝડપથી ઉડાન ભરવામાં સક્ષમ છે. આવા યુદ્ધ વિમાન ખૂબજ સફળ ગણાય છે. ભારતનું તેજસ લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ (એસલીએ) એક એવું વિમાન છે, તે પોતાની શ્રેણીમાં પાકિસ્તાન અને ચીનના યુદ્ધ વિમાનોને પણ ટક્કર આપી રહ્યું છે.
સરકારના પ્રોત્સાહનને કારણે સસ્તુ ભોજન બનાવવા અને વેચવાનું કાર્ય સફળતાપૂર્વક કર્યા બાદ હવે કેરળના કેદીઓ પેટ્રોલપંપનું સંચાલન કરવાની તૈયારી કરી રહ્યા છે. તમિળનાડુ અને પંજાબ પાસેથી પ્રેરણા મેળવીને જેલ પ્રશાસન કેરળની ત્રણ સેન્ટ્રલ જેલના પરિસરમાં ચોક્કસ પસંદ કરાયેલા કેદીઓ દ્વારા પેટ્રોલપંપ ચલાવવાની તૈયારી થઇ રહી છે. જેલ પ્રશાસને પસંદ કરેલા સ્થળે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (આઇઓસી) પેટ્રોલપંપ શરૂ કરશે. દરેક પેટ્રોલપંપ માટે સજા પામેલા કેદીઓમાંથી પંદર કેદીની પસંદગી કરવામાં આવશે. એમને તાલીમ આપવામાં આવશે અને તેઓ આ પેટ્રોલપંપ પર શિફ્ટ પ્રમાણે જે ડ્યૂટી કરશે એ માટે જેલ પ્રશાસનના નિયમ પ્રમાણે એમને પગાર આપવામાં આવશે.
જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ઉપક્રમે સુરત ખાતે સૌપ્રથમ વખત યોજાઇ રહેલા 25000 કેરેટ રફ ડાયમંડની જાહેર હરાજીની પ્રક્રિયા તા.19મી સપ્ટેમ્બર 2019થી શરૂ થશે એમ જી.જે.ઇ.પી.સી.ના રિજિયોનલ ચેરમેન શ્રી દિનેશભાઇ નાવડીયાએ જણાવ્યું હતું.
એક પત્રકાર પરિષદને સંબોધતા શ્રી દિનેશ નાવડીયાએ વધુમાં જણાવ્યું હતું કે વિશ્વમાં તૈયાર થતા દર 15 રીયલ ડાયમંડ પૈકીના 14નું કટ એન્ડ પોલીશ સમેતની પ્રોસેસ સુરતમાં થાય છે. વિશ્વનો સૌથી મોટો હીરા પ્રોસેસિંગ ઉદ્યોગ સુરતમાં વિકાસ પામ્યો છે પણ એક મહેણું હતું કે સુરતના હીરા ઉદ્યોગકારોએ રફ ડાયમંડ માટે મુંબઇ કે વિદેશોમાં પ્રત્યક્ષ જવું પડતું હતું, આ મહેણું ભાંગી રહ્યું છે. જી.જે.ઇ.પી.સી.ના પ્રયાસો રંગ લાવ્યા છે અને મધ્યપ્રદેશ સ્થિત પન્ના ડાયમંડ માઇન્સમાંથી નીકળતા રફ ડાયમંડ પૈકીના 25000 કેરેટના હીરાનું સૌપ્રથમ વખત ઇ ઑકશન સુરત મુકામે થવા જઇ રહ્યું છે.
જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા આજે તા.18મી સપ્ટેમ્બર 2019ના રોજ યોજાયેલી પત્રકાર પરિષદને સંબોધતા કાઉન્સિલના રિજિયોનલ ચેરમેન શ્રી દિનેશ નાવડીયા અને સ્થાનિક અધિકારી જિલ્પા શેઠએ સુરત ખાતે યોજાનાર મધ્યપ્રદેશની પન્નામાઇન્સના રફ ડાયમંડની ચકાસણી પ્રક્રિયા અંગે માહિતી રજૂ કરી હતી.
જી.જે.ઇ.પી.સી.ના રિજિયોનલ ચેરમેન શ્રી દિનેશ નાવડીયાએ વધુમાં જણાવ્યું હતું કે જીજેઇપીસીના ત્રણેક હજાર જેટલા મેમ્બર્સ આ હરાજીમાં ભાગ લઇ શકશે. જે લોકો મેમ્બર નથી અને તેમણે સુરતના ઇચ્છાપોર સ્થિત સુરત ઇન્ટરનેશનલ ડાયટ્રેડ સેન્ટર ખાતે પ્રદર્શનમાં મૂકાનાર રફ ડાયમંડ હીરા ચકાસવા હોય તો તેઓ જી.જે.ઇ.પી.સી.ના મેમ્બર બની શકે છે.
જી.જે.ઇ.પી.સી.ના મેમ્બર બનવા માટેની પ્રક્રિયા તા.19 સપ્ટેમ્બરથી તા.23મી સપ્ટેમ્બર દરમિયાન હાથ ધરવામાં આવશે.
19થી 23 સપ્ટેમ્બર 2019 જીજેઇપીસી મેમ્બરશીપ ડ્રાઇવ
24થી 27 સપ્ટેમ્બર ઇચ્છાપોર ખાતે સુરત ઇન્ટરનેશનલ ડાયટ્રેડ સેન્ટર ખાતે 25000 કેરેટ રફ હીરાના જથ્થાનું પ્રદર્શન
28મી સપ્ટેમ્બરથી ઇ-ઑકશન, બે લાખ રૂપિયા સિક્યુરિટી ડિપોઝીટ
ફક્તને ફક્ત જીજેઇપીસીના મેમ્બર હોય એ લોકો જ રફ ડાયમંડનો જથ્થો ચકાસી શકશે અને ઓનલાઇન હરાજીમાં ભાગ લઇ શકશે
એ પછી તા.24 સપ્ટેમ્બરથી તા.27મી સપ્ટેમ્બર 2019 દરમિયાન ઇચ્છાપોર ખાતે સુરત ઇન્ટરનેશનલ ડાયટ્રેડ સેન્ટર ખાતે એન.એમ.ડી.સી. દ્વારા ડિસ્પ્લેમાં મૂકાનાર પન્ના માઇન્સમાંથી નીકળેલા કાચા હીરાનો 25000 કેરેટનો જથ્થો ડિસ્પ્લેમાં મૂકવામાં આવશે. જી.જે.ઇ.પી.સી.ના મેમ્બરને આ માલ તપાસવા માટે તા.27મી સપ્ટેમ્બર 2019 સુધીની મુદત આપવામાં આવશે.
તા.28મી સપ્ટેમ્બરથી એ જથ્થાનું ઇલેક્ટ્રોનિક ઑકશન શરૂ થશે. આ હીરાની ઓનલાઇન હરાજી હાથ ધરવામાં આવશે અને જે વધુ બોલી લગાડશે તેમને હીરા વેચવામાં આવશે. ઓનલાઇન હરાજીમાં ભાગ લેનારે રૂ.2 લાખની સિક્યુરિટી ડિપોઝીટ પહેલાથી જમા કરાવવાની રહેશે.
જી.જે.ઇ.પી.સી.ના રિજિયોનલ ચેરમેન દિનેશ નાવડીયાએ જણાવ્યું કે પન્ના માઇન્સમાંથી નીકળેલા રફ ડાયમંડની સુરતના હીરા ઉદ્યોગમાં પહેલી વખત જાહેર હરાજી થઇ રહી છે. અમે બધા ઉત્સાહી અને ઉત્સુક છીએ. ભલે સુરત થનાર રફ ડાયમંડનો 25000 કેરેટનો જથ્થો ખૂબ ઓછો હોય પરંતુ, આ એક એવા યુગના મંડાણ છે કે જે થોડા મહિનાઓમાં સુરત ખાતે ઇન્ટરનેશનલ કંપનીઓના રફ ડાયમંડ ઑકશન માટેના દ્વાર ખોલી કાઢશે. હવે એ દિવસો દુર નથી કે સુરતમાં ઇન્ટરનેશનલ કંપનીઓ પોતાના રફ ડાયમંડ સુરત વેચવા આવશે. સુરતના હીરા ઉદ્યોગપતિઓએ કાચો માલ મેળવવા માટે મુંબઇ કે વિદેશો સુધી લાંબા થવું નહીં પડે.
વિશ્વના સૌથી મોટા હીરા ઉદ્યોગને ઘર આંગણે રફ ડાયમંડ નહીં મળવાનું મ્હેણું ભાંગવાનું શ્રેય દિનેશ નાવડીયાના શિરે
સુરતનો હીરા ઉદ્યોગ વિશ્વમાં સૌથી મોટો હીરા ઉદ્યોગ છે. દર 15 તૈયાર હીરામાંથી 14 પર પ્રોસેસિંગનું કામ સુરતના હીરા ઉદ્યોગમાં થાય છે. હજારો કરોડ રૂપિયાનું ટર્ન ઓવર કરતા સુરતના આ હીરા ઉદ્યોગને અત્યાર સુધી એક મ્હેણું હતું કે રફ ડાયમંડ માટે સુરતના હીરા ઉદ્યોગકારોએ મુંબઇ કે વિદેશોમાં જવું પડતું હતું. અનેક પ્રયાસો છતાં આંતર રાષ્ટ્રીય કંપનીઓ તેમના કાચા હીરાના જથ્થાને સુરત વેચવા આવતી ન હતી. પરંતુ, જી.જે.ઇ.પી.સી.ના વર્તમાન રિજિયોનલ ચેરમેન શ્રી દિનેશ નાવડીયા અને તેમની ટીમે કરેલા પ્રયાસોના પગલે હાલ પહેલા તબક્કામાં ભારતની મધ્યપ્રદેશ સ્થિત પન્ના માઇન્સમાંથી ઉત્પન 25 હજાર કેરેટના હીરાનું સુરતમાં ઇ ઓકશન થઇ રહ્યું છે અને આના પગલે આગામી દિવસોમાં અને ઘણુંખરું જાન્યુઆરી 2020 સુધીમાં સુરતના આંગણે ઇન્ટરનેશનલ ડાયમંડ કંપનીઓ કાચા હીરા વેચવા આવતી થઇ જશે.
મંદીના માહોલની વાત આવે છે ને લોકોમાં એટલી એટલી તો હકારાત્મકતા જોવા મળે છે કે દિવાલી આવતાં જ બધું સમૂસુતરૂં પાર ઉતરી જશે. પણ ઇકોનોમિક ટાઇમ્સનો રિપોર્ટ કંઇક અલગ જ કહે છે. ઇકોનોમિક ટાઇમ્સના રિપોર્ટમાં એવું સમજાવાયું છે કે કેમ આ વખતની દિવાળી છેલ્લા 10 વર્ષમાં સૌથી ખરાબ, ખરાબ એટલે નાણાભીડના સેન્સમાં. આ વખતે મંદીના માહોલમાં સામાન્ય વર્ગથી મિડલ ક્લાસ આડેધડ મની સ્પેન્ડિંગ કે શોપિંગ નહીં કરે અને કંપનીઓએ ગ્રાહકોને આકર્ષવા માટે જેન્યુઇન સેલ ઓફર્સ આપવી પડશે.
2008-09માં દિવાળીના સમયગાળા દરમિયાન જે માર્કેટ પેરામીટર્સ નોંધાયા હતા એ જ પ્રકારના માર્કેટ પેરામિટર્સ છેલ્લા બે ક્વાર્ટરથી ભારતીય બજારોમાં જોવા મળી રહ્યા છે. ઓછી ઘરાકી, લોકોની ખરીદશક્તિમાં તીવ્ર ઘટાડો વગેરેને કારણે રિટેઇલ માર્કેટ, એફ.એમ.સી.જી., ઓટો સેક્ટર, હોમ એપ્લાયન્સીઝ, રિયલ એસ્ટેટ, જ્વેલરી માર્કેટ, સોના ચાંદીના ભાવ વગેરેમાં પ્રવર્તમાન મંદીના પેરામીટર્સ 2008 સાથે સરખાવીએ તો લગભગ સમાંતર જોવા મળી રહ્યા છે.
એક્સપર્ટસ તો ત્યાં સુધી કહે છે કે જે રીતે ગુજરાત, ભારતમાં શ્રાવણ માસ, ચોમાસામાં ઓફ સિઝન સેલની પેટર્ન છે અને દિવાળીમાં ફ્રેશ માલ વેચાય છે, પણ આ વખતે દિવાળીમાં ફ્રેશ માલ પર પણ કંપનીઓ ગ્રાહકોને સેલ ઓફર આપશે. હોમ એપ્લાયન્સીસથી લઇને ઓટો સેક્ટરમાં વેચાણ માટે ગ્રાહકોને ઇઝી અવેલેબલ અને ઓછા ઇએમઆઇવાળી યોજનાઓની ભરમાર મળશે. ટૂંકમાં દિવાળીનું માર્કેટ સર કરવા માટે કંપનીઓએ મોટી મસક્કત કરવી પડશે.
નીચેની લિંક પર ક્લીક કરો અને વાંચો ઇકોનોમિક ટાઇમ્સનો રિપોર્ટ
ઇકોનોમિક ટાઇમ્સે રિપોર્ટના અંતમાં જણાવ્યું છે કે દિવાળીના તહેવારોમાં વેચાણ વધારવા માટે ગ્રાહકોને આકર્ષવા માટે કંપનીઓ અનેક ઓફરો આપશે અને પછી પણ જો માર્કેટ નહીં સુધરે તો એ પછીના ત્રણ-ચાર ક્વાર્ટરમાં મંદીનો માહોલ વધુ વિકટ બનશે.
દિવાળીના તહેવારમાં સૌથી વધુ જરૂરીયાત પરિવારોને રૂપિયાની હોય છે. ઘરની ખરીદીથી લઇને વસ્ત્રો, વાહનો, સોનું ચાંદી, હોમ એપ્લાયન્સીઝ, મોજશોખની ચીજવસ્તુઓ અને હરવા-ફરવા આ બધા માટે રૂપિયાની જરૂરીયાત દિવાળીમાં સામાન્ય દિવસો કરતા ચાર ગણી વધી જાય છે. પરતું આ વખતે દિવાળીમાં ભારે નાણાભીડ રહેશે અને નોકરીયાત વર્ગ કે જે હાલમાં સૌથી સલામત, ફિક્સ આવક ધરાવતો વર્ગ છે એ પણ સાચવીને રૂપિયા વાપરશે.
લોકોની ઘટેલી ખરીદ શક્તિ દિવાળી પર મોટી ભૂમિકા ભજવશે
ઇલેક્ટ્રોનિકથી લઇને હોમ એપ્લાયન્સીઝ, ગારમેન્ટથી લઇને ફૂટવેર સુધીના બજારોમાં છેલ્લા બે વર્ષમાં સેલ્સ ઘટીને 10 વર્ષના તળીયે આવી ગયા છે. લોકોની આવક સ્થિર થઇ છે તેની સામે મોંઘવારી ત્રણ ઘણી વધી જવા પામી છે. આવા અનેક ફેક્ટર દિવાળી સેલિબ્રેશનને નડશે.
સુરતની વાત કરીએ તો સુરતના બે મુખ્ય ઉદ્યોગ કે જેના પર લાખો પરિવારો નિર્ભર રહે છે. હીરા ઉદ્યોગ અને ટેક્સટાઇલ બન્ને ઉદ્યોગો હાલ જબરદસ્ત મંદીમાંથી પસાર થઇ રહ્યા છે. બાકી રહે છે રિયલ એસ્ટેટ સેક્ટર. રિયલ એસ્ટેટ સેક્ટરની હાલત તો ટેક્સટાઇલ અને ડાયમંડ કરતા પણ ખરાબ થવા પામી છે. આવી સ્થિતિમાં સુરતમાં કામ કરતા લોકોને બોનસ કે દિવાળી ફેસ્ટીવલ એલાઉન્સ તો દૂર પણ ટાઇમે પગાર મળે કે કેમ તેની અનિશ્ચિતતાઓ જોવાય રહી છે.
સોના-ચાંદી અને શેરબજારની આવકવાળાની હાલત સૌથી કફોડી
ભડકે બળી રહેલા સોનાના ભાવોને કારણે લોકો પોતાના ઘરમાં પડેલું સોનું વેચી રહ્યા છે પરંતુ, નવી ખરીદી સાવ બંધ થઇ જવા પામી છે. દિવાળીના તહેવારોમાં સામાન્ય રીતે મધ્યમર્ગીયથી ધનિક પરિવારો ધનતેરશ, ગુરુપુષ્ય નક્ષત્ર વગેરેમાં ટોકન સોનું ચાંદી કે લગ્નપ્રસંગ માટેની ખરીદી કરતા હોય છે, પરંતુ આ વખતે એક તોલાના રૂ.40 હજારને આંબી ગયેલા ભાવોને પગલે દિવાળીમાં આ માર્કેટમાં તેજીની જગ્યાએ મંદી જોવા મળશે એવું માર્કેટ એક્સપર્ટસ માની રહ્યા છે. બીજી તરફ, શેરબજાર છેલ્લા બે મહિનાથી નીલ રિટર્નની વાત તો દૂર પરંતુ, મૂડીધોવાણ કરે એ રીતે વર્તી રહ્યા છે. સુરતમાં શેરબજારની આવક પર નભતા કે શેરબજારને વધારાના આવકના સ્ત્રોત તરીકે અપનાવનારા પરિવારોની સંખ્યા મોટી છે. અહીંની મંદી દિવાળીને પૂરેપૂરી રીતે અસર કરે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
મોબાઇલ ફોન, સ્માર્ટ ફોન્સ, ફીચર ફોન્સના વેચાણ 50 ટકા નીચે ઉતરી ગયા
ઓટો સેક્ટરમાં વૈશ્વિક મંદીનો માહોલ
સરકારના પેકેજથી સામાન્ય લોકોને ફાયદો મળતા દિવસો નીકળી જાય છે અને ફાયદો ઘટીને આંશિક બની જાય છે
એમાં કોઇ શંકાને સ્થાન નથી કે ભારતીય બજારોમાં હાલ મંદીના માહોલને કેન્દ્ર સરકાર ગંભીરતાથી લઇ રહી છે અને અનેક પેકેજીસ જાહેર કરવામાં આવી રહ્યા છે પરંતુ, દિવાળીને લાગે વળગે છે ત્યાં સુધી ગરીબ, મધ્યમવર્ગીય પરિવારોને આનાથી સીધો કોઇ ફાયદો નથી. ફાયદો મળતા મહિના અને વર્ષો નીકળી જાય છે અને સામાન્ય માણસને સરકારી પેકેજનો ફાયદો પહોંચે ત્યાં સુધી આંશિક બની જાય છે.
મોંઘવારી અને આર્થિક મોરચે સતત નિરાશાજનક ઘટનાક્રમ વચ્ચે કર્મચારીઓ માટે આર્થિક ખુશખબર આવ્યા છે. કર્મચારી ભવિષ્યનિધિ સંગઠન (ઈપીએફઓ)ના છ કરોડથી વધુ સભ્ય માટે નાણાકીય વર્ષ 2018-19 માટે પીએફ પર 8.65 ટકા વ્યાજદર મળશે. સરકારે’ તહેવારો અગાઉ જ પીએફ પર વ્યાજદર વૃદ્ધિને મંજૂરી આપી હતી. શ્રમ મંત્રી સંતોષ ગંગવારે આજે આ બાબતની જાહેરાત કરી હતી.
ઈપીએફઓ માટે નિર્ણય લેનારી ટોચની શાખા સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝે ગત નાણાકીય વર્ષ માટે આ વર્ષે ફેબ્રુઆરીમાં 8.65 ટકા વ્યાજદરને મંજૂરી આપી હતી. આ પછી આ પ્રસ્તાવને મંજૂરી માટે નાણા મંત્રાલય પાસે મૂકવામાં આવ્યો હતો.
સંતોષ ગંગવારે અહીં એક કાર્યક્રમ બાદ મીડિયાને જણાવ્યું હતું કે તહેવારો પહેલાં ઈપીએફઓના 6 કરોડથી વધુ સદસ્યોને 2018-19 માટે જમા રકમ પર 8.65 ટકા વ્યાજ પ્રાપ્ત થશે. વર્તમાનમાં ઈપીએફઓ ખાતામાં દાવાઓનો ઉકેલ 8.55 ટકાના વ્યાજદર પર કરવામાં આવી રહ્યો છે. આ જ દર 2017-18 દરમ્યાન પણ લાગુ હતા.
ઈપીએફ વ્યાજદરોની જાહેરાતમાં વિલંબ અંગે મંત્રીએ જણાવ્યું કે નાણા મંત્રી (નિર્મલા સીતારામન) હાલના દિવસોમાં વ્યસ્ત હતા. તેમની પાસે ફાઈલ (ઈપીએફ વ્યાજદરના પ્રસ્તાવ) પડી હતી. તેઓ આની સાથે અસંમત ન હતા. અમારા દ્વારા મંજૂર થયેલો 8.65 ટકાનો વ્યાજદર ઈપીએફ ખાતાધારકોને 2018-19 માટે ચૂકવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે 2017-18માં આપવામાં આવેલું વ્યાજ એ પાંચ વર્ષમાં સૌથી ઓછું હતું. 2016-17માં વ્યાજદર 8.65 ટકા, 2015-16માં 8.8 ટકા હતા. 2013-14 અને 2014-15માં કર્મચારીઓને 8.75 ટકા વ્યાજ મળ્યું હતું. 2012-13માં 8.5 ટકા વ્યાજ આપવામાં આવ્યું હતું.
રવિવારે હિમાચલ પ્રદેશના ધરમશાલામાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-ટ્વેન્ટી મૅચ વરસાદને કારણે સદંતર ધોવાઈ ગયા પછી હવે આજે (સાંજે ૭.૦૦ વાગ્યાથી લાઇવ) પંજાબના મોહાલીમાં બન્ને દેશ વચ્ચે ત્રણ મૅચવાળી સિરીઝની બીજી મૅચ રમાશે.
બન્ને દેશો વચ્ચે અત્યાર સુધીમાં કુલ તેર ટી-ટ્વેન્ટી રમાઈ છે જેમાંથી આઠ ભારતે અને પાંચ સાઉથ આફ્રિકાએ જીતી છે. જોકે, ભારતમાં તેમની વચ્ચે ફક્ત બે ટી-ટ્વેન્ટી મુકાબલા થયા છે અને એ બન્નેમાં સાઉથ આફ્રિકાનો વિજય થયો છે.
આજે મોહાલીમાં વરસાદ પડવાની આગાહી છે. થોડો વરસાદ પણ કુલ ત્રણ-સાડાત્રણ કલાકની આ મૅચને ખોરવી શકે.
આજે ફાસ્ટ બોલર કેગિસો રબાડા અને સાઉથ આફ્રિકાના બીજા ફાસ્ટ બોલરો સામે ભારતીય બૅટિંગની કસોટી થશે.
દરમિયાન, મહેન્દ્રસિંહ ધોની હજી ‘વેકેશન’ પર હોવાથી રિષભ પંત તેના સ્થાને આ સિરીઝમાં રમી રહ્યો છે અને તેના પર બૅટિંગમાં સફળ થવાનું પ્રચંડ પ્રેશર છે. ખાસ કરીને પંતે હવે પછી વિકેટ ફેંકી ન દેવાય એની ખાસ તકેદારી રાખવી પડશે. ટી-ટ્વેન્ટીનો વર્લ્ડ કપ હજી ૧૨ મહિના દૂર છે અને એ પહેલાં ભારતની કુલ ૨૦ જેટલી ટી-ટ્વેન્ટી મૅચો રમાશે જે જોતાં ભારતને મજબૂત ટીમ બનાવવા માટે પૂરતી તક છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.