UTU કેમ્પસમાં ક્રિસમસમાં કલ્ચરલ કાર્નિવલ : માણવા જેવો સાંસ્કૃતિક જલસો
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
આગામી ક્રિસમસ દરમિયાન સૂરતના બારડોલી નજીક આવેલી ઉકા તરસાડીયા યુનિવર્સિટી, માલિબા સંકુલ ખાતે કલ્ચરલ કાર્નિવલ યોજાશે. કલ્ચરલ કાર્નિવલ એટલે કે સાંસ્કૃતિક જલસો અને આ સાંસ્કૃતિક જલસાનું અધિકૃત નામ છે. 35મો રાષ્ટ્રીય સ્તરનો યુવા મહોત્સવ જેમાં પશ્ચિમ ભારતની તમામ યુનિવર્સિટીઓની એક એકથી ચઢીયાતી પ્રતિભાઓ ઉકા તરસાડીયા યુનિવર્સિટીના મંચ પરથી પોતાની પ્રતિભા રજૂ કરશે. 34મો યુથ ફેસ્ટિવલ ચંડીગઢ યુનિવર્સિટી ખાતે યોજવામાં આવ્યો હતો. હવે 35મો વેસ્ટર્ન યુનિવર્સિટી યુથ ફેસ્ટિવલ સૂરત નજીકની ઉકા તરસાડીયા યુનિવર્સિટી ખાતે યોજવામાં આવશે.

એસોશીએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટી તેમજ ભારત સરકારના ખેલ અને યુવા મંત્રાલય દ્વારા આયોજિત પશ્ચિમ ભારતના ઉચ્ચ શિક્ષણને આવરી લેતા 35માં યુવા મહોત્સવના યજમાન તરીકે સૂરરત જિલ્લાના બારડોલી મહુવા રોડ પર આવેલી ઉકા તરસાડીયા યુનિવર્સિટી કેમ્પસ, માલિબા સંકુલની પસંદગી કરવામાં આવી છે. પશ્ચિમ ભારતની તમામ યુનિવર્સિટીઓને આવરી લેતા આ યુથ ફેસ્ટનું આયોજન ઉકા તરસાડીયા યુનિવર્સિટી ખાતે તા.27થી 31મી ડિસેમ્બર 2019ના રોજ યોજાશે. ઉકા તરસાડીયા યુનિવર્સિટીની સ્થાપનાના ફક્ત 6 વર્ષમાં જ કેન્દ્ર સરકારની પશ્ચિમ ભારતની સૌથી મોટી યુનિવર્સિટી ઇવેન્ટ મળી છે.
ઉકા તરસાડીયા યુનિવર્સિટીના મનોરમ્ય સંકુલમાં આયોજિત થનારા વેસ્ટર્ન રિજિયન યુનિવર્સિટી યુથ ફેસ્ટની 5 દિવસની ઇવેન્ટમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગોવા તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોની કુલ 135 યુનિવર્સિટીઓના 3000થી વધુ વિદ્યાર્થીઓ જુદી જુદી કોમ્પિટિશન્સમાં પોતાનું કૌવત-કૌશલ, સ્કીલ વગેરેનું નિદર્શન કરશે.
કઇ કઇ પ્રતિયોગિતાઓ યોજાશે?
રાષ્ટ્રીય સ્તરના આ યુવા મહોત્સવમાં સંગીત, નૃત્યકળા, સાહિત્ય, ફાઇન આર્ટસ તેમજ નાટ્ય કળા મળીને કુલ 5 વિભાગમાં 27 સ્પર્ધાઓ યોજાશે. આ સ્પર્ધાઓમાં શેરી નાટક, એકાંકી સ્પર્ધા, શાસ્ત્રીય સંગીત, લોકનૃત્ય, ચિત્રકામ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, પોસ્ટર મેકીંગ કોમ્પિટીશન, વાદ-વિવાદ, ચર્ચા, ક્વીઝ વગેરેનું આયોજન કરવામાં આવશે.
પશ્ચિમ ભારતની તમામ યુનિવર્સિટીઓને આવરી લેતા આ યુથ ફેસ્ટમાં વિવિધતામાં એકતા જોવા મળશે. પશ્ચિમ ભારતની એકએકથી ચઢીયાતી વિદ્યાર્થી પ્રતિભાઓને ઉકા તરસાડીયા યુનિવર્સિટી મંચ આપશે. ભારતના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને જોવા-માણવાનો લહાવો મળશે.
ઉકા તરસાડીયા યુનિવર્સિટીના આ રાષ્ટ્રીય યુવા મહોત્સવના મૂલ્યાંકન માટે ભારત સરકારના ઉચ્ચ પદાધિકારીઓ તેમજ બાહ્ય જગતના ખ્યાતનામ કલાકારો નિર્ણાયક ભૂમિકા ભજવશે.
ઉકા તરસાડીયા યુનિવર્સિટીના વડા ડો. દિનેશ શાહ તેમજ ટ્રસ્ટી મંડળના ઉદેશને ધ્યાનમાં રાખીને આ પાંચ દિવસીય યુવા મહોત્સવને સફળતાપૂર્વક પાર પાડવા માટે તમામ વિદ્યાર્થીઓ તેમજ શૈક્ષણિક, બિનશૈક્ષણિક સ્ટાફ કટિબદ્ધ છે. આયોજનમાં અગ્રેસર તરીકે ડો. રોઝી પટેલ તથા તેમની ટીમને જવાબદારી સોંપવામાં આવી છે.



















