લખનઉ, ગુવાહાતી અને થિરુવનંતપૂરમ ત્રણ નવા વેન્યૂ પર IPL મેચ યોજાશે
આઈપીએલમાં નવી ટીમો સામેલ કરવા માટે 2021ની સીઝન સુધી રાહ જોવી પડશે પણ 2020ના આઈપીએલમાં ત્રણ નવા શહેર મેચ સ્થળ તરીકે સામેલ કરવામાં આવે તેવી સંભાવના છે. આઠ ફ્રેન્ચાઈઝી માલિકોએ બીસીસીઆઈ મુખ્યાલયમાં નવા પદાધિકારીઓ સાથે મુલાકાત કરી હતી અને તેમાં નવા સ્થળ અંગે વાતચીત થઈ હતી. આ ત્રણ શહેરમાં લખનઉ, ગુવાહાટી અને તિરુવનંતપુરમનો સમાવેશ થાય છે. પણ સૂરત માટે એક આશા હતી એના પર પણ હવે અનિશ્ચિત કાળ માટે પૂર્ણવિરામ મૂકાઇ ગયો છે. કેમકે 2021માં IPLમાં નવી ટીમો દાખલ કરવાની યોજના છે. 8ની જગ્યાએ 12 ટીમો થશે એ રીતે 8ની જગ્યાએ 12 વેન્યુ અને ટીમ હોમ પણ થશે. આમ, સૂરતને આઇ.પી.એલ. મેચ મળે તેવી શક્યતાઓ સાવ ધૂંધળી છે. સિવાય કે કોઇ પોલિટિકલ પ્રેશર કામ કરી જાય.
સૂરતના ગ્રાઉન્ડનું પરફોર્મન્સ શાનદાર પણ હજુ અનિશ્ચિતકાલિન રાહ જોવી પડશે

તાજેતરમાં સૂરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશને ઇન્ડિયા વિરુદ્ધ સાઉથ આફ્રિકાની વુમન્સ ક્રિકેટ ટી ટ્વેન્ટીની 5 મેચો આયોજનબદ્ધ રીતે રમાડીને સમગ્ર બીસીસીઆઇનું ધ્યાન ખેંચ્યું હતું. સૂરતના લાલભાઇ કોન્ટ્રાક્ટર ગ્રાઉન્ડના ખૂબ વખાણ થયા. ફેસેલિટીઝ વર્લ્ડ ક્લાસ હતી. ઇન્ફ્ર્રાસ્ટ્રક્ચર પણ વખાણાયું. સૌથી ધ્યાનાકર્ષક બાબત સૂરતના પ્રેક્ષકોની હતી. વરસાદી માહોલમાં પણ સ્ટેડીયમ ખચાખચ ભરાયેલું હતું. સૂરતીઓ માટે ગરબા સૌથી મનપસંદ તહેવાર આમ છતાં ક્રિકેટ પ્રેમીઓ નવરાત્રીના સમયમાં પણ નાઇટ મેચ જોવા સૂરતના ગ્રાઉન્ડમાં ઉમટી પડ્યા અને 10000ની સિટીંગ કેપેસિટી વધારવી પડી. આ તમામ બાબતોથી બીસીસીઆઇ વાકેફ હતું. સૂરત માટે એવી આશા બંધાઇ હતી કે 2020માં સૂરતને એકાદ-બે આઇ.પી.એલ.ની મેચ મળી શકે.
લખનઉ, ગુવાહાતી અને થિરુવનંતપૂરમ ત્રણ નવા વેન્યૂ પર IPL મેચ યોજાશે
બીસીસીઆઈના એક અધિકારીના કહેવા પ્રમાણે કિંગ્સ ઈલેવન પંજાબ લખનઉને બીજું ઘર બનાવી શકે છે. તો બીજી તરફ રાજસ્થાન અમદાવાદથી ગુવાહાટી જવા માગે છે. તિરુવનંતપુરમ કોના ભાગમાં આવશે તે અંગે હજી સુધી નિર્ણય કરવામાં આવ્યો નથી. અધિકારીએ કહ્યું હતું કે, રાજસ્થાને બીજા ગૃહનગરના રૂપમાં સ્થળમાં બદલાવ કરવાની માગણી કરી છે અને અમદાવાદથી ગુવાહાટી જવા માગે છે. જીસી આ ફેંસલાથી સહમત છે અને ગુવાહાટીના બારસાપરા ક્રિકેટ સ્ટેડિયમને લીલીઝંડી આપતા પહેલા તપાસ કરવામાં આવશે.
લખનઉની વાત કરવામાં આવે તો ગત સીઝનમાં જ પંજાબ સ્થળ બદલવા માગતું હતું અને અપીલ પણ કરી હતી. પરંતુ ચૂંટણીના કારણે નિર્ણય લઈ શકાયો નહોતો. પરંતુ ઈકાના સ્ટેડિયમમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝના મેચ બાદ જે રિવ્યુ આવ્યા છે તેનાથી લગભગ નક્કી છે કે પંજાબની ટીમનું બીજું ઘર લખનઉ બનશે. બીજી તરફ તિરુવનંતપુરમને લઈને કોઈપણ ટિપ્પણી કરવી ઉતાવળ ગણાશે. જો કે ગ્રીનફીલ્ડ ઈન્ટરનેશન સ્ટેડિયમના રિવ્યુ શાનદાર છે અને કેરળના લોકોનો રમતમાં જુસ્સો પણ છે.



















