બીટકનેક્ટ કૌભાંડમાં અનેક રોકાણકારોનાં નાણાં સલવાયા બાદ સીઆઈડી ક્રાઈમને તપાસ સોંપવામાં આવી હતી. સુરત સીઆઈડી ક્રાઈમે ઝડપથી કેસની ગુત્થી ઉકેલીને એક પછી એક આરોપીને પાંજરે પૂર્યા છે. બીટ કનેક્ટ કૌભાંડના મુખ્ય આરોપી સતીષ કુંભાણીની રૂા. 70 કરોડની આસપાસની મિલકતો અધિકારીઓએ રીકવરી અર્થે સીઝ કરી હોવાની વિગતો સાંપડી છે. બીજી તરફ કૌભાંડનાં સૂત્રધાર ધવલ માવાણીની જામીન અરજીનો ફેંસલો પણ ઝડપથી આવશે.

સુરત સીઆઈડી ક્રાઈમે બીટ કનેક્ટ કૌંભાડમાં એકથી વધુની ધરપકડ કરી છે. સતીષ કુંભાણી, ધવલ માવાણી, સુરેશ ગોરસિયા સહિતનાઓ પાસેથી સીઆઈડી ક્રાઈમે મહત્વની વિગતો મેળવી છે. ધવલ માવાણી અને સુરેશ ગોરસિયાએ જામીન મેળવવા માટે ઉધામા નાખ્યા છે. સુરેશ ગોરસિયાના જામીન સુરત સેશન્સ કોર્ટમાંથી રદ થયા છે. બન્ને આરોપીએ હાઈકોર્ટમાં જામીન મેળવવા માટે અરજી કરી છે. તેમજ આરોપી સતીષ કુંભાણીએ પણ કોર્ટમાં જામીન માટે અરજી કરી છે. જેની સુનાવણી 29મીએ આવશે.
બીટકનેકટ કૌભાંડમાં સુરત સીઆઈડી ક્રાઈમે ઠેક-ઠેકાણે દરોડા પાડી મિલકતોને સીઝ કરવાની કાર્યવાહી આરંભી છે. શરૂઆતમાં દિવ્યેશ દરજી સીઆઈડીની જાળમાં આવ્યા બાદ સતીષ કુંભાણીની ધરપકડ કરવામાં આવી હતી. બન્ને સામે આવકવેરા વિભાગે તપાસનો દૌર શરૂ કર્યો છે. બન્નેને આવકવેરા વિભાગે તરફથી નોટિસ ફટકારવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
સીઆઈડી ક્રાઈમે ફરિયાદનાં આધારે નાણા ગુમાવનારાઓને નાણા મળી રહે તે માટે રીકવરી અર્થે આરોપીઓની મિલકતોને સીઝ કરવાની કામગીરી થોડો સમય અગાઉથી આરંભી દીધી છે. હાલમાં જ સીઆઈડી ક્રાઈમે સતીષ કુંભાણીની અંદાજે રૂા. 70 કરોડની મિલકતો સીઝ કરી છે. સીઆઈડી ક્રાઈમે કેટલાં મકાન, ફાર્મ હાઉસ સીઝ કર્યા છે તે જાણવા મળ્યું નથી.

















