જીએસટી લાગુ થયો ત્યારથી વેપાર – ઉદ્યોગની એક અથવા બીજા કારણોસર પરેશાન થઇ રહ્યા છે. ટેક્સની આંટીઘૂંટી અને દિર્ઘદૃષ્ટિ વિનાના નિર્ણયોને લીધે પાછલા અઢી વર્ષમાં તમામ વર્ગ કોઇને કોઇ રીતે મુશ્કેલીમાં મુકાયો જ છે. તા.18મી ડિસેમ્બર 2019ના રોજ મળેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં ઇનપુટ ટેક્સ ક્રેડિટની ટકાવારી 20 ટકામાંથી 10 ટકા સુધી મર્યાદિત કરી દેવાતા હવે વેપારીઓ અને ડીલરોની કાર્યશીલ મૂડી બ્લોક થઈ જવાની છે જેને કારણે મંદીના માહોલમાં સ્થિતિ વધુ કથળે એમ છે. નાના વેપારીઓનો ધંધો પણ પીંખાઈ જાય તેમ છે.
કાઉન્સિલની જાહેરાત અનુસાર માલના સપ્લાયર દ્વારા અપલોડ કરવામાં આવેલી વિગતોમાં કોઈ મિસમેચ હોય, ભર્યા ન હોય કે કોઇ વિગત ન આપવામાં આવી હોય તેવા સંજોગમાં ઇનપુટ ટેક્સ ક્રેડિટ 10 ટકા કરતા વધારે આપવામાં આવશે નહીં. સરકાર આ નિયમ ઓક્ટોબરમાં ચાલુ વર્ષે લાવી હતી પણ દર 20 ટકા ફિક્સ કરવામાં આવ્યો હતો. હવે 10 ટકા ઘટાડવામાં આવતા પેઢી કે કંપનીઓની મોટી રોકડ રકમ ફસાયેલી રહેશે.
એક અભ્યાસુ કહે છે, દાખલા તરીકે નવેમ્બર મહિનામાં ઇનપુટ ટેક્સ ક્રેડિટ રૂ. 1500ની ચોપડા પ્રમાણે થાય છે. આમાંના કેટલાક વેન્ડરે જીએસટીઆર-1માં રૂ. 500ની ક્રેડિટ ફાઇલ નથી કરી. એ કિસ્સામાં હવે નવા નિયમ મુજબ ખરીદનારને ફક્ત રૂ. 1100ની મર્યાદામાં જ ટેક્સ ક્રેડિટનો લાભ મળી શકશે. (રૂ. 1000ના 10 ટકા પ્રમાણે). આગઉની સ્થિતિમાં રૂ. 1500 પૂરા મળતા હતા. હવે બાકીની રકમ સરકાર પાસે પડતર રહેશે.
એક ટેક્સ પ્રેક્ટિશનરે કહ્યું કે, એક વ્યક્તિ પાસેથી બીજી વ્યક્તિએ રૂ. 100નો માલ ખરીદ્યો હોય તો 18 ટકા લેખે રૂ. 18 જીએસટી બીજી વ્યક્તિ ભરતી હતી. તેના ઉપર 20 ટકા અર્થાત્ રૂ. 18 ઉપર રૂ. 3.6 ક્રેડિટ ખરીદનારને મળતી. હવે કોઇ વેચનાર ઇનવોઇસ અપલોડ ન કરે તો તેવા કિસ્સામાં રૂ. 1.80 જ ક્રેડિટ મળશે. આ બચેલી પૂરેપૂરી ક્રેડિટ ફરી મેળવતા લગભગ 19 મહિના લાગી જશે. આ નિયમથી ત્રિમાસિક રીટર્ન ભરતો હોય તેવો વેચનાર કે ખરીદનાર બન્ને હેરાન થશે.
સરકાર નવો ફેરફાર કરવા માગતી હોય તો તે નવા નાણાકીય વર્ષથી કરવો જોઈએ. અધવચ્ચે અમલ કરવાથી નાણાકીય અંધાધૂંધી સર્જાશે. ત્રિમાસિક ફાઇલ કરતો વેપારી હવે મંથલીમાં જવા ઇચ્છે તો તે નવા નાણા વર્ષથી જ કરી શકે છે એટલે તેનો ઉકેલ આવશે નહીં. જો સરકાર ત્વરિત માસિક રીટર્ન તરફ વેપારીને જવા દેશે તો મુશ્કેલી હળવી થઈ જશે. રોકડની વ્યાપક અછતથી વેપાર-ઉદ્યોગ પરેશાન છે ત્યારે સરકારે આ નવી મુસિબત ખડી કરી દીધી છે.
ગુજરાતમાં ઊંઝા ખાતેના ઉમિયા મંદિરમાં લક્ષચંડી મહાયજ્ઞ સમારોહમાં ઉપસ્થિત રહેવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને પણ આયોજકો દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું. અમિતભાઈ ગુરુવારે આવવાના હતા, પરંતુ અચાનક તેમનો આ કાર્યક્રમ રદ થતા હવે સ્થાનિક સંગઠનની રચના અંગેનો એજન્ડા પણ દસેક દિવસ પાછો ઠેલાયો છે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ હોવાથી રાજ્યમાં સંગઠન સંરચનાના મહત્ત્વના પાસાં એવા જિલ્લા અને મહાનગરોના પ્રમુખોની આખરી પસંદગી પૂર્વે પ્રદેશ આગેવાનો સાથે મંત્રણા કરવા ઉપરાંત પ્રદેશ પ્રમુખ માટે હવે પછી કોને જવાબદારી સોંપવી, પ્રમુખને બદલવા કે યથાવત્ રાખવા સહિત સંગઠન તથા સરકારમાં ફેરફારોને આખરી ઓપ આપવા બેઠકો યોજાવાની શક્યતા હતી, પણ હવે તેઓ જાન્યુઆરીમાં જ પ્રવાસે આવે તેવી શક્યતા છે.
ગુજરાતના ૪૧ જિલ્લા-મહાનગરોના પ્રમુખ તથા નવા પ્રમુખની પસંદગી પ્રક્રિયાનો મામલો જાન્યુઆરી સુધી પાછો ઠેલાય એવી અટકળો તેજ બની છે. ફેબ્રુઆરીમાં દિલ્હીમાં ભાજપની રાષ્ટ્રીય પરિષદની બેઠક છે.
નવા રાષ્ટ્રીય પ્રમુખ પદે ડો.જે.પી. નડ્ડાની વિધિવત તાજપોશી થાય એ પહેલાં રાજ્યોના ૬૦ ટકા પ્રમુખોની પસંદગી પૂરી કરવી આવશ્યક છે. આથી કમુરતા ઊતર્યા પછી પ્રક્રિયાઓ પૂરી કરી દેવાશે, તેમ જાણકારોનું કહેવું છે.
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ગુરુવારે દિલ્હીમાં ફ્રી વાઈફાઈ યોજના શરૂ કરી હતી અને કહ્યું હતું કે સુધારવામાં આવેલા સિટીઝનશિપ ઍક્ટના વિરોધમાં પ્રદશ૪ન ચાલી રહ્યું હોવાને કારણે વહીવટકર્તાઓ દ્વારા આજના દિવસે જ દિલ્હીમાં ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી તે ખરેખર વિરોધાભાસી છે.
કેજરીવાલે કહ્યું હતું કે દેશના ૭૦ ટકા લોકો ભયભીત છે કેમ કે તેમની પાસે તેમની ભારતીય નાગરિકતા પુરવાર કરતા દસ્તાવેજો નથી.
જે દિવસે દિલ્હીમાં ફ્રી વાઈફાઈ સેવા શરૂ કરવામાં આવી તે જ દિવસે પોલીસે ઈન્ટરનેટ સેવા બંધ કરી એ ખરેખર વિરોધાભાસી બાબત છે એમ જણાવતાં કેજરીવાલે કહ્યું હતું કે મને આશા છે કે જલદી જ પરિસ્થિતિ સામાન્ય બનશે ને ઈન્ટરનેટ સેવા પૂર્વવત કરવામાં આવશે.
કેજરીવાલે કહ્યું હતું કે સિટીઝનશિપ ઍક્ટમાં સુધારો કરવાની કોઈ જ જરૂર નહોતી અને સરકારે યુવાનોને રોજગાર પૂરો પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈતું હતું.
આ કાયદો હાલ અમલમાં ન મૂકવાની હું કેન્દ્ર સરકારને બે હાથ જોડીને વિનંતી કરું છું, એમ કેજરીવાલે કહ્યું હતું.
સિટીઝનશિપ ઍક્ટના વિરોધમાં કરવામાં આવી રહેલા વિરોધપ્રદર્શનને પગલે પોલીસે આપેલી સૂચનાને કારણે ટેલિકોમ કંપનીઓએ દિલ્હી-એનસીઆર સહિતના વિસ્તારોમાં ગુરુવારે ઈન્ટરનેટ, વૉઈસ કૉલ અને મૅસેજ સેવા બંધ કરી દીધી હતી. માત્ર દિલ્હીમાં જ નહીં દિવસે દિવસે દેશભરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોવા અંગે કેજરીવાલે ઘેરી ચિંતા વ્યક્ત કરી હતી.
માત્ર મુસ્લિમો જ નહીં દરેક નાગરિક એ ભયથી ફફડી રહ્યો છે કે તેમણે તેમની નાગરિકતા પુરવાર કરવી પડશે એમ જણાવતાં કેજરીવાલે કહ્યું હતું કે ૭૦ ટકા લોકો-ખાસ કરીને ગરીબો પાસે તેમની નાગરિકતા પુરવાર કરતા દસ્તાવેજ નથી અને તેમને એ ડર સતાવી રહ્યો છે કે દેશમાંથી તેમને હાંકી કાઢવામાં આવશે. સિટીઝનશિપ અમેન્ડમેન્ડ ઍક્ટ-સીએએ કશું જ સિદ્ધ નહીં કરી શકે, એમ તેમણે કહ્યું હતું.
વર્ષ ૨૦૧૫ની વિધનસભાની ચૂંટણીમાં અમારા પક્ષે આપેલા તમામ વચનો આમઆદમી પાર્ટીએ પૂરા કર્યા છે એમ જણાવતાં કેજરીવાલે કહ્યું હતું કે ફ્રી વાઈફાઈ સેવા પૂરી પાડનાર દિલ્હી વિશ્ર્વનું પહેલું શહેર છે.
સૂરતમાં દારૂની પરમિટમાં વચેટીયાઓના લાખોના ભ્રષ્ટાચાર પર સરકારનું સ્ટીમ રોલર
સૂરતમાં કેટલાક લોકો દારુના શોખીન છે અને એ વાતમાં કોઇ નાનમ કે શરમ નથી. ગુજરાતમાં દારુબંધી છે એટલે શોખીનો એકયા બીજા કારણોસર દારુની પરમિટ લઇને પોતાનો શોખ, ટેવને પૂરી કરે છે. દારુની પરમિટ અપાવવાના નામે નવી સિવિલ હોસ્પિટલમાં પેંધા પડેલા કેટલાક લોકોએ રીતસર પરમિટ અપાવવાનો ધંધો શરૂ કરી દીધો હતો અને આ વચેટીયાઓ એટલી હિંમત કરી કે સિવિલ હોસ્પિટલમાં જ પોતાના માણસને બેસાડીને પરમિટ દીઠ રૂ.15-20 હજારની પોતાની કટકીના ઉઘરાણા શરૂ કરી દીધા હતા અને આ અંગે એક નહીં બબ્બે વખત સ્ટીંગ ઓપરેશન કરીને રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના ઉચ્ચાધિકારીઓને સૂરતમાં દારૂની પરમિટમાં થતાં ભ્રષ્ટાચારથી વાકેફ કર્યા હતા. રાજ્યના આરોગ્ય વિભાગે આ સમગ્ર બાબતને ગંભીરતાથી લઇને દારૂની પરમિટ માટે ભ્રષ્ટાચાર આચરાયો હોવાની પુરાવા સમેતની ફરીયાદોને પગલે એ પોસ્ટ પર ડો. ગણેશ ગોવેકરને રાતોરાત ખસેડીને બાહોશ અને પ્રમાણિક એવા ડો.પ્રીતિ કાપડીયાની નિમણૂંક કરી દઇને લિકર પરમીટમાં વચેટીયાઓ દ્વારા આચરવામાં આવતા લાખો રૂપિયાના ભ્રષ્ટાચાર પર સ્ટીમ રોલર ફેરવી નાંખ્યું છે.
રાજ્ય સરકાર જો દારૂની પરમિટ અપાવતા વચેટીયાઓને તાબે નહીં થાય તો એ દિવસો દૂર નથી કે શોખીન સૂરતીઓને દારૂની પરમિટ રૂ.8-10 હજાર જેટલી રકમમાં મળતી થાય. હવે સૂરતીઓએ જોવાનું છે કે સરકાર દબાણમાં આવીને નવી સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ પદે દારુની પરમિટ કઢાવી આપતા વચેટીયાઓના માનીતા ને ન બેસાડી દે.
જો સરકાર સૂરતની નવી સિવિલ હોસ્પિટલના સુપરિટેડન્ટ પદે ફરીથી કોઇ વચેટીયાઓના માનીતાને બેસાડી દેશે તો દારુની પરમિટ માટે સૂરતીઓએ બિનજરૂરી રૂ.30 હજાર સુધીની રકમ ખર્ચવી પડશે.
હાલ તુરત તો રાજ્યના આરોગ્ય વિભાગે કોઇપણ પ્રકારના દબાણોથી પર રહીને સૂરત સિવિલ હોસ્પિટલમાં દારૂની પરમિટ અપાવવાના નામે ચાલતા ગોરખધંધો પર સ્ટીમ રોલર ફેરવતું હિંમતભર્યું પગલું લીધું છે એ કાબિલેતારીફ છે, અત્યાર સુધી કોઇએ દારૂની પરમિટમાં ચાલતા ભ્રષ્ટાચાર બાબતે ગંભીર ફરીયાદો હતી છતાં સિસ્ટમમાં સુધારા કર્યા ન હતા. પરંતુ, હાલના ઉચ્ચાધિકારીએ સૂરત સિવિલમાં દારૂની પરમિટમાં થતો બેરોકટોક અને બેફામ ભ્રષ્ટાચાર પર રાતોરાત બંધ કરાવી દઇને રાજ્ય સરકારની પણ છબી ખરડાતી બચાવી છે.
File Photo liquor Permit
રાજ્ય સરકારે સૂરતની નવી સિવિલ હોસ્પિટલમાં દારૂની પરમિટમાં આચરવામાં આવી રહેલા ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે ભરેલા પગલાંથી દારૂની પરમિટ અપાવવાનો ગેરકાનૂની ધંધો કરી રહેલા તત્વોના પેટમાં તેલ રેડાયું છે. તેમણે સૂરત સિવિલમાં તેમજ તબીબી જગત સાથે સંકળેયાલા કેટલાક લોકો મારફતે સરકાર પર દબાણ લાવવાનું શરૂ કરીને ફરીથી સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ પદે પોતાના માનીતાને બેસાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
ધનવાન, શોખીન સૂરતીઓને દારુની પરમિટ અપાવવાના ધંધામાં મહિને લાખો રૂપિયાની કમાણી જોઇ ગયેલા કેટલાક વચેટીયાએએ રાજ્ય સરકારનું ભારે દબાણ છે, પરમિટ નહીં મળે એવો ડોળ ઉભો કરીને તાજેતરમાં નવી હેલ્થ લિકર પરમિટનો ભાવ રૂ.30 હજાર પર પહોંચાડી દીધો છે. હકીકતમાં કાયદેસર રીતે લિકર પરમિટ માટે રાજ્ય સરકારને ફક્ત રૂ.2000 અને રોગી કલ્યાણ ફંડમાં નવી પરમિટના રૂ.8,000 અને રિન્યુઅલના રૂ.4,000 ચૂકવવાના થાય અને એ સિવાય પ્રોસેસિંગના ખર્ચ થાય પરંતુ, દારૂની પરમિટ અપાવતા વચેટીયાઓએ પોતપોતાના હિસ્સાઓ ભેગા કરીને એક પરમિટ પર વાસ્તવિક ખર્ચ કરતા ચાર ગણા રૂપિયા લેવાનું શરૂ કરી દેતા પાપ છાપરે ચઢીને પોકાર્યું છે.
રોગી કલ્યાણ ફંડમાં જાય તેનાથી 3 ગણા રૂપિયા વચેટીયાઓ હજમ કરી જાય છે
કેટલાક સૂરતીઓ દારૂના શોખીન છે અને પોતાના શોખ, ટેવને લીધે ક્યારેક પોલીસ અડફેટે ન ચઢી જવાય એ માટે કાયદેસર લિકર પરમિટ રાખવાનું મુનાસિબ માને છે. એટલે લિકર પરમિટ નવી લેવા કે રિન્યુ કરાવવા માટે વચેટીયાએ જેટલા રૂપિયા માંગે તેટલા સૂરતીઓ ખુશી ખુશી આપે દે છે. સૂરતના ધનવાનો, શોખીનોની આ કમાણીમાંથી નવી સિવિલ હોસ્પિટલના રોગી કલ્યાણ ફંડમાં જેટલા રૂપિયા જાય છે તેનાથી ત્રણ ગણા રૂપિયાઓ પરમિટ અપાવવાનો ધંધો કરતા લોકો હજમ કરી જાય છે.
સૂરતના બે ધારાસભ્યો, બે તબીબો સૂરત સિવિલ હોસ્પિટલમાં સુપરિટેન્ડટ બદલવા માટે સરકારને રજૂઆત કરી ચૂક્યા છે
દારુની પરમિટ માટે જરૂરી હેલ્થ રિપોર્ટ આપવાના બદલામાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવાનું પ્રકરણ છાપરે ચઢીને પોકારતા રાજ્યના આરોગ્ય વિભાગે સૂરત સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ પદે બાહોશ અને પ્રમાણિક તબીબની છાપ ધરાવતા ડો. પ્રીતિ કાપડીયાની ઇન્ચાર્જ તરીકે નિયુક્તિ કરી છે. હજુ ત્રણ દિવસ પૂર્વે નવી સિવિલ હોસ્પિટલમાં સુપરિટેન્ડન્ટ પદે થયેલી આ બદલીને દૂર કરાવવા માટે સૂરતના બે ધારાસભ્યો અને બે તબીબો રાજ્ય સરકારને રજૂઆત કરી ચૂક્યા છે. અમે હાલ તુરત અહીં એમના નામ પ્રકાશિત નથી કરી રહ્યા.
સરકારે સિવિલ હોસ્પિટલના કેટલાક સ્થાપિત હિતોને આઇસોલેટ કરવાનો વખત આવી ગયો છે
સૂરતની નવી સિવિલ હોસ્પિટલમાં સિક્યુરિટી ટેન્ડરથી લઇને દારૂની પરમિટ અપાવવા જેવા અનેક કામોમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરાયો હોવાની સંગીન ફરીયાદોને પગલે રાજ્ય સરકારે હવે નવી સિવિલ હોસ્પિટલમાં સ્થાપિત હિતોની સાફસૂફીનું મન બનાવી લીધું હોવાનું જણાય છે. હકીકતમાં રાજ્ય સરકારે આવા સ્થાપિત હિતોને ઓળખી કાઢીને વીણી વીણીને તેમને આઇસોલેટ કરવાનો સમય આવી ગયો છે. યોગાનુંયોગ રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી કુમાર કાનાણી ખુદ સૂરતના છે. નવી સિવિલ હોસ્પિટલમાં પેંધા પડેલા તત્વોએ આરોગ્ય મંત્રી તેમજ ડો.નીતિન પટેલને પણ ગેરમાર્ગે દોરીને પોતાના સ્થાપિત હિતોને નુકસાન ન થાય એ માટે પ્રયાસો કરી જોયા છે. પરંતુ, આરોગ્ય મંત્રી શ્રી કાનાણીએ આવા તત્વોની એક કારી ચાલવા દીધી નથી. હવે એ સમય આવી ગયો છે કે નવી સિવિલ હોસ્પિટલમાં પેંધા પડેલા લોકોને દૂર કરીને તંત્રને ચોખ્ખું કરી દેવામાં આવે.
ઇમ્પીચમેન્ટ દરખાસ્તથી શરમજનક સ્થિતિમાં મૂકાયા હોય તેવા ત્રીજા અમેરિકી પ્રમુખ બન્યા ટ્રમ્પ
અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ તા.18મી ડિસેમ્બર 2019ના રોજ બુધવારે મહાભિયોગ થનારા અમેરિકાના ત્રીજા રાષ્ટ્રપતિ બન્યા છે. કારણ કે અમેરીકાના હાઉસ રિપ્રેઝન્ટેટિવ્સે ભરેલા ઐતિહાસિક પગલામાં વર્તમાન અમેરીકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને સત્તાનો દુરુપયોગ અને કોંગ્રેસના અવરોધના આરોપને બહુમતિએ પસાર કરીને તેમની સામેની મહાભિયોગ દરખાસ્ત પર મહોર લગાડી દીધી છે.
આ સાથે જ અમેરિકી પ્રમુખ તરીકેનો દબદબો ધરાવતા ડોનાલ્ડ ટ્રમ્પની આબરુ ધૂળધાણી થઇ જવા પામી છે. સત્તાનો દુરુપયોગ કરવાનો આરોપ તેમની સામે નિશ્ચિત થઇ ચૂક્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પની સામે ઇમ્પિચીમેન્ટની દરખાસ્ત પસાર થતાની સાથે જ સમગ્ર વિશ્વમાં આ સમાચાર વાઇરલ થયા હતા. અનેક દેશોમાં ડોનાલ્ડ ટ્રમ્પ સામેની ઇમ્પ્ચીમેન્ટની દરખાસ્તને પગલે ખુશાલી પ્રસરી જવા પામી હોવાના પણ અહેવાલો પ્રકાશિત થઇ રહ્યા છે.
મોટાભાગે પાર્ટી-લાઇન મત પર મહાભિયોગના બે
લેખોનો ડેમોક્રેટિક નેતૃત્વ ગૃહ પસાર થવું એ રિપબ્લિકન-નિયંત્રિત સેનેટ – ટ્રમ્પ
માટે મૈત્રીપૂર્ણ ભૂપ્રદેશ – તેને દોષી ઠેરવવા અને તેને પદ પરથી હટાવવાનો છે કે
નહીં તે અંગે આવતા મહિને રિપબ્લિકન-નિયંત્રિત સેનેટમાં સુનાવણીનો તબક્કો ગોઠવે છે.
અમેરીકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સામેની મહાભિયોગની બે દરખાસ્તો પૈકી
સત્તાનો દુરુપયોગ કરવા સબબની દરખાસ્ત 230-197 મત પર પસાર થઇ હતી
જ્યારે આડખિલી રૂપ ભૂમિકા સબબના અવરોધનો ડ્રાફ્ટ 229-198 મતથી પસાર
કરવામાં આવ્યો હતો.
ડોનાલ્ડ ટ્રમ્પ સામે મહાભિયોની દરખાસ્ત બહુમત થી
પસાર થઇ ત્યારે તેઓ મિશિગનના બેટલ ક્રિકમાં એક રેલીને સંબોધન કરી રહ્યા હતા
કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહનો ગુજરાતનો ગુરુવારનો બે દિવસનો કાર્યક્રમ રદ થયો છે. સંસદમાં પસાર કરાયેલા સિટીઝન એક્ટ (સીએએ) તથા દેશમાં લાગુ થનારા નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન (એનઆરસી) એક્ટને લઇને દેશભરમાં ઊભા થયેલા વિરોધ અને હિંસક દેખાવો સાથે ઉગ્ર વિરોધ વ્યક્ત થઇ રહ્યો છે. આ સંજોગોમાં બુધવારે સંસદના શિતકાલીન સત્ર પછી પણ તેઓ આ તમામ સહિત અન્ય રાજકીય બાબતોમાં વ્યસ્ત છે. આ કારણોસર અમિતભાઇએ આગામી ત્રણેક દિવસ માટે તેમના જાહેર કાર્યક્રમો તથા પ્રવાસોને રદ કરવાનું નક્કી કર્યું છે.
ગુજરાતના દેશ-વિદેશમાં પથરાયેલા પાટીદારોના કુળદેવી માતા ઉમિયાના ધામ ઊંઝા-મહેસાાણા ખાતે બુધવારથી લક્ષચંડી મહાયજ્ઞ સમારોહનો આરંભ થયો છે અને આ સમારોહમાં ઉપસ્થિત રહેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહને પણ આયોજકો દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું. અમિતભાઇ ગુરુવારે આવવાના હતા અને આ સમારોહમાં ઉપસ્થિત રહેશે એવી શક્યતાઓને લઇ વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઇ હતી.
આઇપીએલના ખેલાડીઓની ગુરુવારે અહીં થનારી હરરાજીમાં વેસ્ટ ઇન્ડિઝ અને ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક બેટધરો પર મોટી બોલી લગાવવા પર તમામ ફ્રેંચાઇઝીઓનું ધ્યાન હશે. કેટલાક યુવા અને નવા ચહેરા પણ મોટા કરાર હાંસલ કરી શકે છે. વિશ્વની સૌથી મોંઘી ગણાતી આ ક્રિકેટ લીગનું મહત્વ પણ એટલા માટે વધી જાય છે કે આવતા વર્ષે ટી-20નો વર્લ્ડ કપ રમાવાનો છે. ખેલાડીઓ પર મોટી બોલી લગાવતી વખતે ફ્રેંચાઇઝી માલિકોએ ખર્ચ પર પણ લગામ કસવી પડશે.
આઇપીએલના ઓકશનમાં આ વખતે 332 ખેલાડી શોર્ટલિસ્ટ કરાયા છે. જેમાંથી 73 ખેલાડીઓ પસંદ થશે. જે માટે તમામ આઠ ટીમ વચ્ચે લાવલાવ થશે. જોકે વિદેશી ખેલાડી ફરીએકવાર આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. આ વખતી હરરાજીમાં કિંગ્સ ઇલેવન પંજાબ પાસે સૌથી વધુ 42.70 કરોડ રૂપિયાની રકમ બચી છે. જ્યારે સૌથી ઓછી રકમ મુંબઇ ઇન્ડિયન્સ પાસે 13.0પ કરોડ છે. આઇપીએલના આ વખતના ઓકશનમાં સૌથી યુવા ખેલાડી અફઘાનિસ્તાનનો નૂર અહમદ છે. તેની વય 14 વર્ષ 3પ0 દિવસ છે. આ ચાઇનામેન બોલરની બેઝ પ્રાઇસ 30 લાખ રૂપિયા છે. ભારતના યુવા ખેલાડીઓમાં મુંબઇનો ઓપનિંગ બેટસમેન યશસ્વી જયસ્વાલ’ અને ભારતની અન્ડર-19 ટીમનો સુકાની પ્રિયમ ગર્ગ, તામિલનાડુનો સ્પિનર સાઇ કિશોર તથા બંગાળનો ઇશાન પોરેલને મોટા કરાર મળી શકે છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે વેસ્ટ ઇન્ડિઝના 22 વર્ષના બિગહિટર હેટમાયરને રીલિઝ કરી દીધો હતો. હવે હેટમાયર પર બધી ટીમો મોટી બોલી લગાવી શકે છે. તેણે ભારત સામે ટી-20 અને વન ડે શ્રેણીમાં આક્રમક બેટિંગ કરીને સહુનું ધ્યાન ખેંચ્યું છે. આરસીબીએ ગયા વખતે હેટમાયરને 4.2 કરોડમાં ખરીદ્યો હતો પણ તે ચાર મેચમાં 90 રન જ કરી શકયો હતો
હરાજીમાં ઓસ્ટ્રેલિયાના પાંચ ખેલાડી પેટ કમિન્સ, જોસ હેઝલવૂડ, ક્રિસ લેન, ગ્લેન મેકસવેલ અને ક્રિસ લિન આ વખતે મોટી કિંમત મેળવી શકે છે.’ અનુભવી આફ્રિકી બોલર ડેલ સ્ટેન અને શ્રીલંકાના પૂર્વ સુકાની એન્જલો મેથ્યૂસને બે કરોડની ટોચની બેઝ પ્રાઇસ મળી છે, પણ તેમના કોઇ ફ્રેંચાઇઝી બોલી લગાવશે નહીં તેવું માનવામાં આવે છે.
ભારતીય ખેલાડીઓમાં રોબિન ઉથપ્પા, પીયૂષ ચાવલા વગેરે નામ બોલીમાં ઉપર રહેશે. યુસુફ પઠાણનો આ વખતે બહુ ભાવ પૂછાશે નહીં. તેની બેઝ પ્રાઇઝ 1 કરોડ રૂપિયા છે. ટેસ્ટ સ્ટાર હનુમા વિહારી અને ચેતેશ્વર પુજારાને પણ ખરીદાર મળવા મુશ્કેલ છે.
નાગરિકત્વ સુધારા ધારા (સીએએ), 2019ની બંધારણીય કાયદેસરતાને પડકારતી પ9 લોકહિત અરજીઓ પરથી સર્વોચ્ચ અદાલતે આજે કેન્દ્ર સરકારને નોટિસ જારી કરી હતી, પરંતુ ધારાનું અમલીકરણ સ્થગિત રાખવાનો ઈનકાર કર્યો હતે. અદાલતે કેન્દ્રને જાન્યુઆરી ’20ના બીજા સપ્તાહ સુધીમાં જવાબ રજૂ કરવા દોરવણી આપી છે.
અરજી કરનારાઓમાં મુખ્યત્વે કોંગ્રેસી નેતા જયરામ રમેશ, એઆઈએમઆઈએમના વડા અસદુદ્દીન ઓવૈસી, ટીએમસીના સાંસદ મહુઆ મોઈત્રા, રાજદ, જમિયત ઉલેમાએ હિન્દ, આઈયુએમએલ, આસુનો સમાવેશ થાય છે.
અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ એસએ બોબડે, જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ સૂર્યકાન્તની બનેલી બેન્ચે અરજીઓ સાંભળી હતી અને આગામી સુનાવણી 22મી જાન્યુ. ’20ના રોજ થવા આદેશ આપ્યો હતો. સરકાર વતી ઉપસ્થિત એટર્ની જનરલ (એજી) વેણુગોપાલે જણાવ્યું હતું કે સર્વોચ્ચ અદાલતના ચાર ચુકાદાઓ છે કે ધારાને (તેના અમલને) સ્થગિત કરી ન શકાય. અદાલતે એજીને સરકારને એવી તાકીદ કરવાની સૂચના આપી હતી કે તે ધારા અંગે મીડિયામાં વિગતો પ્રકાશિત કરે, જેથી લોકોમાં તે અંગે સ્પષ્ટતા ઉભી થાય.વિધેયક અંગે લોકોમાં ગૂંચવાડો પ્રવર્તે છે તેમ જણાવી ધારાશાત્રી અશ્વનીકુમાર ઉપાધ્યાયે કરેલી વિનંતીને પગલે અદાલતે આ નિરીક્ષણ કર્યું હતું.
કાયદાને પડકારતાં અરજદારોએ એવી દલીલ કરી છે કે ધારો,’ નિરાશ્રિતોને ધર્મના આધારે વર્ગીકૃત કરતો હોઈ તે ગેરબંધારણીય છે. કાયદાને સ્થગિત રાખવા માગતા અરજદારોની દલીલ એવી છે કે કાયદો રાષ્ટ્રના ધર્મનિરપેક્ષતાના પાયાના સિદ્ધાંતને અસર કરે છે.
વિધેયક રાજ્યસભામાં પસાર થયા બાદ આસામ અને પ.બંગાળમાં વ્યાપક વિરોધ થયો છે. રાષ્ટ્રપતિએ ખરડાને મંજૂરી આપી દીધા બાદ ઈશાન ભારતમાંના વિરોધ હિંસક થયા હતા-આસામ અને મેઘાલયના અમુક ભાગોમાં કર્ફયુ લદાયો હતો. આસામમાંની હિંસામાં પાચ મૃત્યુ થયા હતા. તે પછી વિરોધો દિલ્હીમાં ફેલાયા અને જામિયા મિલિયાના કેમ્પસમાં પોલીસે અશ્રુવાયુ છોડયા બાદ તનાવ વધ્યો હતો. સોનિયા ગાંધીની આગેવાનીમાં બાર વિપક્ષોએ ગઈ કાલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળી આમાં દરમિયાનગીરી કરવા અને આ ધારો તત્કાળ રદ કરવા સરકારને સલાહ આપે તેવી વિનંતી કરી હતી.
જીએસટી કાઉન્સીલની આજે મળેલી 38મી બેઠકમાં પહેલીવાર કોઈ નિર્ણય કરવા માટે મતદાનનો આશરો લેવો પડયો હતો. લોટરી ઉપર જીએસટીનો એક જ દર રાખવા માટે સમિતિમાં મતદાન કરાવવું પડયું હતું કારણ કે આ મુદ્દે રાજ્યો એકમત થઈ રહ્યા નહોતાં. આખરે બહુમતથી લોટરી ઉપર એકસમાન 28 ટકા ટકાનો દર લાગુ કરવાનો નિર્ણય થયો હતો.
18 December નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં જીએસટી કાઉન્સીલની બેઠક મળી હતી. અત્યાર સુધી મળેલી 37 બેઠકોમાં તમામ નિર્ણયો સર્વાનુમતે લેવાતા રહ્યા છે પણ લોટરીનાં કિસ્સામાં મતદાન કરાવવાની ફરજ પડી હતી. રાજ્ય સરકારો દ્વારા ચલાવવામાં આવતી લોટરી ઉપર અત્યારે 12 ટકા જીએટી લાગે છે. જ્યારે તેમનાં દ્વારા અધિકૃત અને રાજ્ય બહાર વેચાતી લોટરી ઉપર 28 ટકા ટેક્સ લાગે છે. તેનાં સ્થાને હવે બહુમતીથી તમામ લોટરી ઉપર 28 ટકા જીએસટી લાગુ થશે.
આ ઉપરાંત આજની બેઠકમાં વર્ષ 2017-18 માટે જીએસટીઆર-9 અને જીએસટીઆર-9સી રિટર્ન ફાઈલિંગની મુદ્દત 31 ડિસેમ્બર 2019થી વધારીને 31 જાન્યુઆરી 2020 કરવામાં આવી છે. આ સિવાય ઔદ્યોગિક પાર્ક સ્થાપવા માટે ઔદ્યોગિક પ્લોટની લાંબાગાળાની લીઝને પણ જીએસટી સમિતિએ મુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે. જમીન લીઝનાં જીએસટી દર 1 જાન્યુઆરી 2020થી લાગુ થશે.
કાઉન્સીલ સમક્ષ કર વસૂલાત વધારવા માટે રજૂઆત કરવામાં આવી હતી પણ તેમાં કરવેરાનાં દર વધારવા સંબંધિત કોઈ નિર્ણય લેવાયો નથી. જીએસટીઆર-1 ફાઈલ નહીં કરવાનાં દંડમાં રાહત અપાઈ છે. હાથ વણાટનાં અને નોનવૂવન થેલા ઉપર એકસમાન 18 ટકા જીએસટી લાગુ થશે. ઈનવોઈસ અપલોડ ન કર્યુ હોય તો ઈનપુટ ટેક્સ ક્રેડિટ અગાઉનાં 20 ટકાનાં સ્થાને 10 ટકા સુધી સીમિત રાખવામાં આવશે.
ગુજરાતમાં ડુંગળીના કિલોના ભાવ રૂ. ૧૨૦ ની ઉપર અને બટાટાના ભાવ પણ કિલોએ રૂ. ૪૦ ના ભાવે વેચાઇ રહ્યાં છે જ્યારે દૂધમાં થોડા દિવસો પહેલા જ અમૂલે લિટરે રૂ. બે નો વધારો ઝીંક્યા પછી સિંગતેલના ભાવમાં પણ એક મહિનામાં એક ડબાના રૂ. ૧૪૦ નો વધારો થયો છે. શાકભાજી અને જીવન જરૂરિયાતોના ભાવમાં થયેલા વધારાથી મધ્યમ અને ગરીબ વર્ગના લોકો માટે હવે ભોજનની થાળી દોહ્યલી બની રહી છે.
અમદાવાદમાં બટાટાનો ભાવ કિલોગ્રામ દીઠ રૂ.૪૦ સુધી પહોંચી ગયો છે. બટાટાનો જથ્થાબંધ ભાવ પ્રતિકિલો રૂ. ૧૮ છે. એનો અર્થ એ થયો છે કે, છૂટક બજારમાં બમણો ભાવ વસૂલાય છે. ડીસા તેમજ તેની આજુબાજુના વિસ્તારોમાં બટાટા કિલો રૂ.૨૬ના ભાવે વેચાય છે. બટાટાની સાથે ડુંગળીના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે. એક સમયે છૂટક બજારમાં પ્રતિ કિલો રૂ. ૮૦ સુધી પહોંચી ગયેલા ડુંગળીના ભાવ ફરીથી વધીને રૂ. ૧૨૦ પ્રતિકિલો થઈ ગયા છે. હવે તેલોનાં ભાવમાં પણ મસમોટો વધારો થયો છે. સિંગતેલ, મકાઈ તેલ, કપાસિયા તેલ, સનફ્લાવર તેલ સહિતનાં તેલોની કિંમતોમાં વધારો થતાં લોકો પરેશાન થઈ ચૂક્યા છે. સિંગતેલનાં ભાવોમાં ભડકો થયો છે. એક જ મહિનામાં સિંગતેલનાં ભાવમાં ૧૪૦ રૂપિયાનો વધારો થયો છે. હાલ સિંગતેલનાં એક ડબ્બાનો ભાવ ૧૮૯૦ રૂપિયા પર પહોંચી ગયો છે. અને આગામી સમયમાં ૨૦૦૦ સુધી પહોંચશે તેવું જાણકારો કહી રહ્યા છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.