ભારતની વસતી ગણતરી ૨૦૨૧ના પડઘમ વાગવાનો શુભારંભ થઇ ગયો છે. વસતી ગણતરી સન ૨૦૨૧ એ સન ૧૮૭૨થી સળંગ શૃંખલામાં ૧૬મી અને આઝાદી પછીની ૮મી વસતી ગણતરી છે.
ગુજરાતમાં આ વસતી ગણતરીનો શુભારંભનો પ્રથમ તબક્કો મે-જૂન, ૨૦૨૦થી શરૂ થશે અને સપ્ટેમ્બર ૨૦૨૦ સુધી ચાલશે. રાજ્યના ૩૩ જિલ્લાના ૨૫૧ તાલુકાઓમાં વસતી ગણતરીની કામગીરી હાથ ધરાશે.

ગુજરાતમાં સૌ પ્રથમવાર વસતી ગણતરી માટે મોબાઇલ ઍપ્લિકેશનનો પણ ઉપયોગ કરવામાં આવશે. વસતી ગણતરી કચેરીના નાયબ નિયામક ડૉ. સંચિતા સરકારે જણાવ્યું હતું કે, ભારતની વસતી ગણતરી વિશ્ર્વની એકમાત્ર વિશાળ વહીવટી કવાયત છે. ભારતની વસતી ગણતરી અંતરાય વિના અવિરતપણે દર દસ વર્ષે નિર્ધારિત સમયપત્રક અનુસાર સંપન્ન કરવામાં આવે છે, એટલું જ નહીં પૂર, રોગચાળો, કુદરતી આફતો, રાજકીય અશાંતિ જેવી વિકટ પરિસ્થિતિમાં પણ અંતરાય વિના વસતી ગણતરીની કામગીરી સફળ રીતે પૂર્ણ કરવામાં આવે છે અને તે રીતે પૂર્ણ થઈ પણ છે.
આગામી વર્ષ ૨૦૨૧ની વસતી ગણતરીમાં આ વખતે પ્રથમ વખત માહિતી એકત્રિત કરવા મોબાઇલ ઍપ્લિકેશનનો ઉપયોગ કરાશે. વસતી ગણતરીના પ્રથમ તબક્કામાં ઘર-યાદીકરણની સાથે રાષ્ટ્રીય વસતી પત્રકની માહિતી અદ્યતન કરવાની ક્ષેત્રિય કામગીરી પણ કરાશે. વસતી ગણતરી ૨૦૨૧ની ક્ષેત્રિય કામગીરીનું સંચાલન, દેખરેખ પર સેન્સસ ૨૦૨૧ના પોર્ટલ દ્વારા કરાશે.



















