ભારતમાં કોરોનાના કેસમાં ગુરુવારે રેકૉર્ડ ૯,૩૦૪નો ઉછાળો જોવા મળ્યો હતો જે સાથે દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને ૨,૧૬,૯૧૯ પહોંચી છે અને ૨૬૦ નવા મૃત્યુ સાથે મૃત્યુઆંક વધીને ૬,૦૭૫ થયો છે, એમ કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગના આંકડામાં જણાવવામાં આવ્યું છે.
કોરોનાની ગંભીર અસર પામેલા દેશોમાં અમેરિકા, બ્રાઝિલ, રશિયા, યુકે, સ્પેન અને ઇટાલી બાદ ભારત સાતમા ક્રમાંકે આવે છે.
સ્વાસ્થ્ય મંત્રાલય જણાવે છે કે દેશમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા ૧,૦૬,૭૩૭ છે અને ૧,૦૪,૧૦૬ લોકો સાજા થયા છે અને એક વ્યક્તિ સાજો થઇ વિદેશ પાછો ફર્યો છે. આમ દેશમાં કોરોનાથી સાજા થવાનો દર ૪૭.૯૯ ટકા છે.
બુધવારે દેશમાં કોરોનાથી થયેલા કુલ ૨૬૦ મૃત્યુમાં ૧૨૨ મહારાષ્ટ્રમાં, ૫૦ દિલ્હીમા, ૩૦ ગુજરાતમાં, ૧૧ તમિળનાડુમાં, ૧૦ પ. બંગાળમાં, ૭-૭ મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, તેલંગણામાં, ૬ રાજસ્થાનમાં, ૪ આંધ્રપ્રદેશમાં, એક-એક બિહાર, છત્તીસગઢ, જમ્મુ-કાશ્મીર, કર્ણાટક, પંજાબ અને ઉત્તરાખંડમાં થયા છે.
મહારાષ્ટ્રમાં કોરોનાને કારણે મૃત્યુ પામેલા લોકોની કુલ સંખ્યા ૨,૫૮૭ છે. ગુજરાતમાં ૧,૧૨૨, મધ્ય પ્રદેશમાં ૩૭૧, પ. બંગાળમાં ૩૪૫, ઉત્તર પ્રદેશમાં ૨૨૯, રાજસ્થાનમાં ૨૦૯, તમિળનાડુમાં ૨૦૮, તેલંગણામાં ૯૯ અને આંધ્રપ્રદેશમાં ૬૮ મૃત્યુ નોંધાયા છે. કર્ણાટકમાં ૫૩, પંજાબમાં ૪૭, જમ્મુ-કાશ્મીરમાં ૩૪, બિહારમાં ૨૫, હરિયાણામાં ૨૩, કેરળમાં ૧૧, ઉત્તરાખંડમાં ૮ અને ઓડિશામાં ૭ મૃત્યુ નોંધાયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયની વૅબસાઇટ મુજબ કોરોનાના કુલ મૃત્યુનાં ૭૦ ટકા મૃત્યુ અગાઉની બીમારીને કારણે થયા છે. મહારાષ્ટ્રમાં કોરોનાના સૌથી વધુ ૭૪,૮૬૦ કેસ નોંધાયા છે.