કોરોના વાયરસનું સંક્રમણ હવે દિનપ્રતિ દિન નવા વિક્રમો સાથે રાજ્ય આખાને ભરડામાં લેવા માટે મથી રહ્યું હોય તેમ દૈનિક ૧૧૦૦ની નવી સપાટી સર્જવા આગળ વધી રહ્યું છે. છેલ્લા ચોવીસ કલાકમાં નવા ૧૦૭૮ કેસ નોંધાયા છે, આની સાથે વધુ ૨૮ દર્દીઓના કોવિડ-૧૯ના લીધે મૃત્યુ થયું હોવાનું જાહેર કરાયું છે. સુરતમાં કોરોના વાયરસના ચેપને નાથવા માટે અમદાવાદ મોડેલ અપનાવાયું હોવાથી હવે ધીમે ધીમે નવા કેસનો આંક નિયંત્રણમાં આવી રહ્યો છે આને લીધે ૨૨ દિવસ બાદ અમદાવાદ ફરીથી ટોપ થઇ ગયું છે.
ચોવીસ કલાકમાં સુરત મહાનગરમાંથી નવા ૧૮૧ કેસ મળ્યા છે જ્યારે ૧૦ દર્દીના મૃત્યુ થયા હોવાનું સરકારે જાહેર કર્યું છે તો જિલ્લામાંથી નવા ૭૫ કેસ નોંધાયા છે અને ચાર દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ થયા છે. બીજી તરફ અમદાવાદમાં હવે સંક્રમણનો વ્યાપ વધ્યો હોય તેમ મહાનગરમાંથી નવા ૧૮૭ કેસ મળ્યા છે એની સાથોસાથ જિલ્લામાંથી એક સાથે ૨૩ નવા કેસ ઉમેરાયા છે. આ સમયગાળામાં મહાનગરમાં ચાર અને જિલ્લાના એક મળી કુલ પાંચ દર્દીઓના કોવિડથી મૃત્યુ થયાનું સરકારે જાહેર કર્યું છે.
અમદાવાદ અને સુરત પછી વડોદરા મહાનગરમાંથી ધીમે ધીમે નવા કેસ વધીને હવે ૭૧ સુધી પહોંચ્યા છે જ્યારે જિલ્લામાંથી નવા ૧૧ કેસ ઉમેરાયા છે. વડોદરા શહેરના ૨ દર્દીના મૃત્યુ કોરોનાથી થયાનું જાહેર કરાયું છે. ગાંધીનગર મહાનગરમાંથી નવા નવ કેસ અને જિલ્લામાંથી વધુ ૨૨ કેસ ઉમેરાયા છે.
સૌરાષ્ટ્રના ચાર મહાનગરોમાં રાજકોટમાંથી નવા ૪૪ કેસ મળ્યા છે તો જિલ્લાના વિવિધ તાલુકામાંથી ૧૫ કેસ નોંધાયા છે. જામનગર શહેરમાં સ્થિતિ હવે વધારે ગંભીર થઇ રહી છે અહીં ચોવીસ કલાકમાં નવા ૨૫ કેસ આવ્યા છે જ્યારે ગ્રામ્યમાંથી ૯ કેસ ઉમેરાયા છે. ભાવનગર મહાનગરમાંથી નવા ૨૩ કેસ અને એક દર્દીનું મૃત્યુ થયું છે અને જિલ્લામાંથી નવા ૧૬ કેસ ઉમેરાયા છે. જૂનાગઢમાં આ જ રીતે કેસ વધીને આજે નવા ૨૩ તેમજ જિલ્લના ૨૦ મળી કુલ ૪૩ કેસ નોંધાયા છે.
છોટાઉદેપુર, પંચમહાલથી છેક વલસાડ, તાપી સુધીના આદિવાસી પટ્ટામાંથી એક જ દિવસમાં સવાસોથી વધારે પોઝિટિવ કેસ મળી આવ્યા છે. નર્મદા જિલ્લામાં રાજપીપળામાંથી ૨૧ કેસ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી ૧૯ કેસ મળી એક સાથે ૪૦ કેસથી હાહાકાર મચી ગયો છે. આ જિલ્લામાં કેવડીયા કોલોની, ગળતેશ્વર આદિવાસી, ગ્રામીણ વિસ્તારોમાં કેસ નોંધાયા છે. દાહોદ શહેર અને આસપાસના ગામોમાંથી નવા ૩૧ દર્દી નોંધાયા છે.




















