વિતેલા 24 કલાકમાં વિશ્વસ્તરે 3 લાખથી વધારે સંક્રમણના નવા કેસ સામે આવ્યા છે, જ્યારે પાંચ હજારથી વધુ લોકોના મોત થયા છે. જેમાં સૌથી વધુ મોત ભારતમાં થઇ હોવાનું જણાયુ છે. ભારતમાં વિતેલા 24 કલાકમાં 1071 લોકોના મોત કોરોના સંક્રમણને લીધે થયા છે. દુનિયાભરમાં અત્યાર સુધી ત્રણ કરોડ ચાલીસ લાખથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થઇ ચૂક્યા છે.
ભારતમાં વિતેલા 24 કલાકમાં 1071 લોકોના મોત કોરોના સંક્રમણને લીધે થયા છે.
વિશ્વના કુલ કેસ પૈકી 54 ટકાથી વધુ કોરોના સંક્રમણના કેસ અમેરિકા, ભારત અને બ્રાઝીલમાં છે અને મૃત્યુઆંકમાં 45 ટકાથી વધુ મોત આ ત્રણેય દેશોમાં જ થઇ છે. વિતેલા 24 કલાકમાં અમેરિકામાં 51,403, ભારતમાં 79,974 અને બ્રાઝીલમાં 33,002 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે મૃત્યુઆંકમાં ભારતમાં સૌથી વધુ 1071, અમેરિકામાં 864 અને બ્રાઝીલમાં 664 કેસ નોંધાયા છે.
વર્લ્ડોમીટર મુજબ અમેરિકામાં કોરોના સંક્રમણના કેસ આંકડો 75,49,323એ પહોંચી ગયો છે, જેમાં 2,13,524 લોકોના મોત નીપજ્યા છે. એ પછી બીજા નંબરે ભારતમાં 64,71,934 કેસ છે. બ્રાઝીલમાં કુલ કેસ 48,42,231 સુધી પહોંચી ગયા છે. અહીં 1,45,431થી વધુ લોકોના મોત નીપજ્યા છે.
લદાખના રોહતાંગમાં બનાવવામાં આવેલી અને વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્ત્વની વિશ્ર્વની સૌથી લાંબી ઑલ સીઝન હાઇવે ટનલ ‘અટલ ટનલ રોહતાંગ’નું વડા પ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ઉદ્ઘાટન કરીને જનતા માટે ખુલ્લી મૂકશે. વડા પ્રધાન કાર્યાલયે જણાવ્યા અનુસાર ઉદ્ઘાટન બાદ વડા પ્રધાન લાહોલ સ્પિતિ અને સોલાંગ વેલી ખાતે જાહેર કાર્યક્રમમાં ભાગ લેશે. ચીન સાથે વકરેલો સીમાવિવાદ જો લાંબો ચાલે તો ઝડપથી સૈન્ય અને સરંજામ સરહદે લઇ જવામાં અને દેશની સીમાનું રક્ષણ કરવામાં આ ટનલ અત્યંત મહત્ત્વનો ભાગ ભજવશે.
ચીન સાથે લદાખની સરહદે ચાલી રહેલા સીમાવિવાદને ટાંકણે જ મનાલી અને લેહ વચ્ચેનું અંતર ૪૬ કિ. મી. ઓછું કરતી વિશ્ર્વની સૌથી લાંબી હાઇવે ટનલ ‘અટલ ટનલ રોહતાંગ’ તૈયાર થઇ એ ભારત માટે ઘણી અગત્યની વાત છે.
આ ટનલ હિમાચલ પ્રદેશના મનાલીથી લદાખના લેહ સુધીનું અંતર ૪૬ કિ. મી. ઓછું કરવા સાથે પ્રવાસનો સમય ચારથી પાંચ કલાક ઓછો કરશે.
અત્યંત આધુનિક રીતે બનાવવામાં આવેલી આ ટનલ ૯.૦૨ કિ.મી. લાંબી છે અને એ લેહ-મનાલી હાઇવે પર આવેલા પૂર્વ પીર પાંજલ રેન્જમાં રોહતાંગ પાસની નીચેથી પસાર થાય છે.
વડા પ્રધાન કાર્યાલયે જણાવ્યા અનુસાર વિશ્ર્વની સૌથી લાંબી હાઇવે ટનલ ‘અટલ ટનલ’ રૂ. ૩૨૦૦ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે અને રોહતાંગ ખાતે એની ઊંચાઇ ૩૦૦૦ મીટર (સમુદ્રની સપાટીથી ૧૦,૦૦૦ ફૂટ ઊંચાઇએ) આવેલી છે.
આ ટનલ માટે રૂ. ૪૦૮૩ કરોડનું બજેટ મંજૂર કરાયું હતું, પણ ટનલ એથી ઘણી ઓછી કિંમતે રૂ. ૩૨૦૦ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે.
અટલ ટનલનું દક્ષિણમુખ ૩,૦૬૦ મીટરની ઊંચાઇએ મનાલીથી ૨૫ કિ. મી. ના અંતરે આવેલું છે અને ઉત્તરમુખ લાહૌલ વેલીમાં સિસ્સુના તેલિંગ ગામની નજીક ૩.૦૭૧ મીટરની ઊંચાઇએ આવેલું છે.
ઘોડાની નાળના આકારની આ ટનલમાં સિંગલ ટયૂબ ડબલ લૅન છે અને એમાં ૮ મીટર પહોળા રસ્તા છે.
વધુમાં વધુ ૮૦ કિ. મી. ની સ્પીડે રોજ ૧૫૦૦ ટ્રક અને ૩૦૦૦ કાર જઇ શકે એ રીતે એની ડિઝાઇન બનાવવામાં આવી છે.
વીસ વર્ષ અગાઉ ૩જી જૂન, ૨૦૦૦ના દિવસે અટલબિહાર વાજપેયી સરકારે આ ટનલે બાંધવાનો નિર્ણય લીધો હતો અને દક્ષિણમુખ માટેના શિલાન્યાસનો કાર્યક્રમ ૨૬મી મે ૨૦૦૨ના દિવસે યોજાયો હતો.
મોદી સરકારે ગત વર્ષે દિવંગત વડા પ્રધાન અટલબિહારી વાજપેયીના નામ પરથી ડિસેમ્બર ૨૦૧૯માં રોહતાંગ ટનલનું નામ અટલ ટનલ રાખવાનો નિર્ણય લીધો હતો.
આ ટનલ તૈયાર કરવા માટે બૉર્ડર રોડ ઑર્ગેનાઇઝેશન (બીઆરઓ)ના જવાનોએ અથાગ પ્રયત્ન અને સતત કામ કરીને વિશ્ર્વની વિશિષ્ટ ટનલ બાંધવામાં મોટો ફાળો આપ્યો છે.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પૂર્વ કુલપતિ શિવેન્દ્ર ગુપ્તા મહાશયની મહેરબાનીને કારણે લાગૂ કરવામાં આવેલી ઢંગધડા વગરની પ્રવેશ કાર્યવાહીને કારણે પરિસ્થિતિ એ થઇ છે કે મે-જૂનમાં ધો.12 સાયન્સ, કોમર્સના પરીણામો જાહેર થઇ ચૂક્યા હોવા છતાં વીર નર્મદ યુનિ.માં ક્યાંય કોઇ કોર્સમાં અભ્યાસ તો દૂરની વાત પણ પહેલા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા પણ પૂરી થઇ નથી.
વીર નર્મદ યુનિવર્સિટી હાલ કોઇપણ જાતની ફી ભરાવ્યા વગર હંગામી પ્રવેશ આપી રહી છે, ફી ભરાવીને પ્રવેશ કન્ફર્મ નહીં કરાવે ત્યાં સુધી ઉંચી ટકાવારી ધરાવતા વિદ્યાર્થીઓ જુદા જુદા કોર્સમાં રોકી રાખેલી સીટો નહીં છોડે
જાણકારોના જણાવ્યા અનુસાર હાલમાં યુનિવર્સિટીની ઢંગધડાવગરની પ્રવેશ પ્રક્રિયાને કારણે ધો.12માં ઉંચી ટકાવારી સાથે પાસ થયા હોય એવા વિદ્યાર્થીઓ એક નહીં અનેક કોર્સ (કોલેજ નહીં)માં સીટ રોકીને બેસી ગયા છે. જેમકે
યુનિ. પ્રવેશ આપે છે પણ ફી ભરાવતા ન હોઇ, અનેક કોર્સમાં પ્રવેશાર્થીઓએ સીટ રોકી રાખી છે
ધો.12 સામાન્ય પ્રવાહમાં ઉંચી ટકાવારી ધરાવતા વિદ્યાર્થીઓએ બી.કોમ., બી.બી.એ., બી.સી.એ., એમ.એસસી. આઇ.ટી, ઇન્ટીરીયર ડિઝાઇન, લૉ, એચ.આર.ડી., આર્ટસ વગેરે તમામ જગ્યાએ ઓનલાઇન ફોર્મ ભર્યા છે અને તમામ જગ્યાએ પ્રવેશ તેમને મેરીટના ધોરણે ફાળવવામાં આવ્યો છે. એક વિદ્યાર્થી આ પ્રકારે જુદાજુદા કોર્સની કોલેજમાં પ્રવેશ લઇને બેઠા છે, ક્યાંય તેમનો પ્રવેશ કન્ફર્મ નથી કેમકે યુનિવર્સિટી કે કોલેજોએ ફી લીધી નથી.
ઉંચી ટકાવારી વાળા વિદ્યાર્થીઓ સીટ છોડતા નથી ને ઓછી ટકાવારીવાળાને પ્રવેશ મળતો નથી
બીજી તરફ, 65 ટકાથી ઓછું પરીણામ ધરાવતા હજારો પ્રવેશાર્થીઓ કોલેજોમાં પ્રવેશથી વંચિત રહી ગયા છે. કેમકે તમામ જગ્યાએ બેઠકો ફૂલ થઇ ગઇ છે. બેઠકો ફુલ થઇ જવાનુું કારણ ઉંચુ પરીણામ ધરાવતા વિદ્યાર્થીઓને ફી ભરવાનું કહેવાય તો તેઓ કોઇ એક જગ્યાએ પ્રવેશ કન્ફર્મ કરાવે અને જેથી બીજા કોર્સની કોલેજોમાંથી તેમણે રોકી રાખેલી સીટો છુટી થાય. આવી પ્રોસીજર હાથ ધરાઇ નથી એટલે ઓછી ટકાવારીવાળા હજારો વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી ગયા છે.
બી.એસસી.માં પણ એ જ હાલત
બી.એસસી.માં પણ એવી જ સ્થિતિ છે. ધો.12 સાયન્સમાં 80થી 90 ટકા પરીણામ ધરાવતા વિદ્યાર્થીઓનું કન્ફર્મ છે કે તેઓ ઇજનેરી, મેડીકલ, પેરામેડીકલ, ફાર્મસીમાં પ્રવેશ લેવાના છે, આ વિદ્યાર્થીઓ પણ બી.એસસી.ની જુદી જુદી કોલેજોમાં હંગામી પ્રવેશ લઇને બેઠા છે. યુનિ.ની ઢંગધડા વગરની પ્રવેશ કાર્યવાહીનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે કેમકે તેમને પ્રવેશ કન્ફર્મ કરવા માટે ફી ભરવાનું કહેવાયું નથી. બીજી તરફ બીએસસીમાં ખરેખર જેમણે અભ્યાસ કરવો છે એવા 65 ટકાથી ઓછું પરીણામ ધરાવતા વિદ્યાર્થીઓ પ્રવેશની રાહ જોઇને બેઠા છે.
આવું ને આવું રહેશે તો ડિસેમ્બર સુધી મેળ નહીં આવે
જાણકારો કહે છે કે આ જ પ્રકારે યુનિવર્સિટી હંગામી પ્રવેશ આપ્યે રાખશે તો કોઇ વિદ્યાર્થી તેમનો પ્રવેશ કન્ફર્મ નહીં કરાવે અને યુનિ.ની પ્રવેશ પ્રક્રિયા ડિસેમ્બર સુધી ચાલ્યે રાખશે. યુનિવર્સિટીએ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિ.ની જેમ બે રાઉન્ડમાં પ્રવેશ પ્રક્રિયા આટોપી લેવી જોઇએ. પહેલા રાઉન્ડમાં એલોટમેન્ટ સાથે જ ફી ભરીને કન્ફર્મ કરવા અથવા તો રિશફલિંગ રાઉન્ડમાં જવાનો વિકલ્પ આપવો જોઇએ. જેથી વિદ્યાર્થીઓમાં પણ ક્લેરિટી આવી શકે.
કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલા કૃષિ કાયદાના રાજ્યમાં અમલ માટે કાઢવામાં આવેલા અધ્યાદેશને આખરે રાજ્યસરકારે રદ કર્યો છે. બુધવારે સવારથી થયેલા નાટ્યાત્મક ઘટનાક્રમ બાદ આખરે રાજ્ય સરકારે આ અધ્યાદેશને રદ કરવાનો નિર્ણય લેવાની ફરજ પડી હતી. કોંગ્રેસે કૃષિ કાયદાને લઈને આક્રમક વલણ અપનાવ્યું હતું અને રાજ્યસરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા અધ્યાદેશને રદ ન કરવામાં આવે તો પ્રધાનમંડળની બેઠકમાં ગેરહાજર રહેવાની ચીમકી આપી હતી.
રાજ્યના કૃષિ ખાતાના માર્કેટિંગ ડિપાર્ટમેન્ટના ડિરેક્ટર કૃષિ કાયદાના અમલ અંગેના અધ્યાદેશને રદ કરવાના વિરોધમાં હોવા છતાં મહારાષ્ટ્ર સરકારે તેમના વિરોધને કચડી નાખવા માટે તત્કાળ વિધાનસભ્યોની અપીલ પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને તેના પર કાર્યવાહી કરીને અધ્યાદેશને રદ કરવાનો આદેશ બહાર પાડ્યો હતો. આ અધ્યાદેશ રદ થતાં હવે એપીએમસી માર્કેટને સંજીવની મળવાની આશા જાગી છે.
ખેડૂતોના હિત માટે કૃષિ ઉત્પાદનોના વેચાણને નિયંત્રણ મુક્ત કરવાનો આદેશ ઓગસ્ટ મહિનામાં કાઢવામાં આવ્યો હતો. આ આદેશને પગલે એપીએમસી માર્કેટની બહાર પણ કૃષિ માલને વેચવાની પરવાનગી આપવામાં આવી હતી.
રાજ્યની મોટા ભાગની એપીએમસીમાં પ્રભુત્વ ધરાવતા કોંગ્રેસ-એનસીપી માટે આ અત્યંત મુશ્કેલ ઘડી હતી. આ સંદર્ભે કાયદો સંસદમાં ગયા અઠવાડિયે મંજૂર થયા બાદ આખા દેશમાં આ કાયદાઓનો વિરોધ થઈ રહ્યો છે અને અનેક રાજ્યોમાં ખુદ કોંગ્રેસ તેનો વિરોધ કરી રહી છે. જોકે આ કાયદા સંબંધી અધ્યાદેશ કેન્દ્ર સરકાર દ્વારા જૂન મહિનામાં બહાર પાડવામાં આવ્યો હતો અને ઓગસ્ટમાં મહારાષ્ટ્ર સરકારે તેના અમલનો અધ્યાદેશ બહાર પાડ્યો હતો. આવી સ્થિતિમાં રાજ્યમાં કોંગ્રેસને માટે દુવિધાની સ્થિતિ નિર્માણ થઈ હતી. આ બાબતને ધ્યાનમાં રાખીને બુધવારે રાજ્યના પ્રધાનમંડળની બેઠકના દિવસને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે આ અધ્યાદેશને રદ ન કરવામાં આવે તો કેબિનેટની બેઠકનો બહિષ્કાર કરવાનું વલણ અપનાવ્યું હતું. એક રીતે આ રાજ્યની સરકારના પતનની સંભાવના નિર્માણ થઈ હતી.
રાજ્યના પ્રધાન બાળાસાહેબ પાટીલે બુધવારે જણાવ્યું હતું કે આ કાયદો કેન્દ્ર સરકારનો છે અને તેના પર કાનૂની સલાહ લેવામાં આવી હતી. અત્યારે પણ અમે સલાહ લઈ રહ્યા છીએ. રાજ્યના ખેડૂતોને રાહત મળી રહે તે હેતુથી અમે કૃષિ ઉત્પાદન માટે નવો કાયદો કરવાના છીએ. આ કાયદો અમલમાં આવ્યા બાદ રાજ્યની ૩૦૫ એપીએમસી માર્કેટમાં ગુંચવાડો ઉભો થયો હતો. ખેડૂતો, વેપારી, દલાલ, માથાડી, કોન્ટ્રેક્ટ મજૂરો, કર્મચારીઓ, સુરક્ષા કર્મચારીઓ વગેરે પર વિપરિત પરિણામ થવાની સંભાવના નિર્માણ થઈ હતી. કેટલાક લોકો બેરોજગાર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. વિધાનસભ્યોની દલીલો સાંભળ્યા બાદ આ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો.
સરકારે વર્ષ ૨૦૧૮-૧૯ માટેના જીએસટી રિટર્ન અને ઑડિટ રિપોર્ટની મુદત એક મહિનો લંબાવીને ૩૧ ઑક્ટોબર સુધીની કરવાની જાહેરાત કરી હોવાનું સેન્ટ્રલ બૉર્ડ ઑફ ડિરેક્ટ ટૅક્સિસ-સીબીડીટી દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતુું.
આચારસંહિતાને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ
પાસે જરૂરી ક્લિયરન્સ મેળવ્યા બાદ સરકારે વર્ષ ૨૦૧૮-૧૯ માટેના જીએસટીઆર-૯ અને જીએસટીઆર ૯સીની મુદત ૩૦-૦૯-૨૦૨૦થી લંબાવીને ૩૧-૧૦-૨૦૨૦ કરી છે, એમ સીબીડીટીએ જણાવ્યું હતું.
મે મહિનામાં સરકારે વર્ષ ૨૦૧૮-૧૯ માટેના વાર્ષિક જીએસટી રિટર્ન ફાઈલ કરવાની મુદત ત્રણ મહિના લંબાવીને ૩૦-૦૯-૨૦૨૦ સુધીની કરી હતી.
જીએસટી હેઠળ નોંધાયેલા કરદાતાઓએ જ જીએસટીઆર-૯ વાર્ષિક રિટર્ન ફાઈલ કરવાનું રહે છે.
શૈક્ષણિક વર્ષ 2020-21ના વર્ષ માટે ગુજરાત સરકારે શાળાઓમાં 25 ટકા ફી માફી જાહેર કરી છે પરંતુ, કોલેજોમાં ફી કેટલી માફ કરવી તે અંગે કોઇ નિર્ણય લેવાયો નથી. કોલેજોમાં પહેલું સેમેસ્ટર પૂરું થવા આરે છે ત્યારે હવે સ્કુલો પછી કોલેજોના વિદ્યાર્થીઓ અને વાલીઓ આંદોલન કરે તો નવાઇ નહીં.
ગાંધીનગર ખાતે યોજાયેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવાયેલા નિર્ણય અનુસાર રાજ્ય સરકાર દ્વારા આખા શૈક્ષણિક વર્ષમાં 25% ફી માફીની જાહેરાત કરવામાં આવી છે. શાળા સંચાલકો 25 ટકા ફી માફી માટે તૈયાર છે જોકે ઈત્તર પ્રવૃતિની ફી લેવામાં આવશે નહીં.
રાજ્ય સરકારે સ્કુલોની ફી નક્કી કરી પરંતુ, હવે ઉચ્ચ શિક્ષણમાં આ મામલો ગરમાય તેવી પૂરેપૂરી શક્યતા છે.
માર્ચ 2020 કોવીડ-19 પેન્ડેમિક પછી ગુજરાતમાં સૌથી મોટો ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ સુરત નજીક તાપી જિલ્લાના સોનગઢ પાસે આવેલા ડોસવાડા ખાતે સ્થાપવા માટે દેશની જાણિતી કંપની વેદાંતા રિસોર્સિસએ ચક્રો ગતિમાન કરી દીધા છે. વેદાંતા રિસોર્સિસનો ગુજરાતમાં આ પહેલો પ્રોજેક્ટ હશે જે સુરત નજીક તાપી જિલ્લામાં સોનગઢ ખાતે આવી રહ્યો છે. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે સોનગઢ ડોસવાડા ખાતે આવી રહેલા આ પ્રોજેક્ટને કારણે પ્રત્યક્ષ પરોક્ષ રીતે કુલ 5000થી વધુ લોકોને રોજગારી મળશે.
મળતી માહિતી મુજબ સોનગઢ નજીક ડોસવાડા ખાતે કુલ રૂ.4700 કરોડનો સ્મેલ્ટર પ્રોજેક્ટ અંગે ટૂંક સમયમાં વેદાંતા રિસોર્સિસના ઉચ્ચ અધિકારીઓ ગાંધીનગર આવી રહ્યા છે. વેદાંતા લિ.ની સબસિડ્યરી કંપની વેદાંતા રિસોર્સિસના નેજા હેઠળ આ પ્રપોઝ્ડ પ્રોજેક્ટ ઝીંક લેડ સિલ્વર સ્મેલ્ટર કોમ્પ્લેક્સ પ્રોજેક્ટ હશે. કંપનીના ફાઉન્ડર ચેરમેન અનિલ અગ્રવાલ રાજ્ય સરકાર સાથે થોડા દિવસોમાં જ એમ.ઓ.યુ. સાઇન કરશે.
સોનગઢ નજીક ડોસવાડા ખાતે 415 એકરની જમીન પણ પ્રોજેક્ટ સાઇટ માટે ફાઇનલ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. વેદાંતા રિસોર્સસ સોનગઢ ડોસવાડા ખાતે 24 મહિનામાં જ પ્રોજેક્ટ શરૂ કરવાની યોજના બનાવી રહ્યું હોવાનું જાણવા મળે છે.
તાજેતરમાં ભારતની વિશ્વસનીય રિસર્ચ સંસ્થા, ઈન્સ્ટિટ્યૂટના કુસુમા સ્કૂલ ઓફ બાયોલોજિકલ સોસાયટીના સંશોધકો દ્વારા કોરોના માટે હાલમાં વપરાતી ૨૩ દવાઓ પર એવો અભ્યાસ સરવે કરવામાં આવ્યો હતો કે 23 પૈકી કઇ દવા સૌથી વધુ અસરકારક છે. આ સંશોધન પ્રવૃતિ સાથે જોડાયેલા આઇ.આઇ.ટી. દિલ્હીના એક પ્રોફેસર અશોક પટેલે જણાવ્યું હતું કે ક્લિનિકલી મંજૂર દવા ‘ટીકોપ્લાનિન’ કોવિડ-૧૯ સામે સંભવનીય સૌથી વધુ ઉત્તમ વિકલ્પ છે અને હાલમાં આ વાઇરસના ઇલાજ માટે આપવામાં આવતી દવાઓ કરતા દસ ગણી વધુ અસરકારક છે.
, ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (આઇઆઇટી), દિલ્હીએ ના પ્રોફેસર અશોક પટેલે વધુમાં જણાવ્યું હતું કે અન્ય દવાઓની સરખામણીમાં ટીકોપ્લાનિનની અસર ચકાસવામાં આવતા સાર્સ-કોવ-૨ માટે ઉપયોગમાં લેવાતી મુખ્ય દવાઓના બદલે ટીકોપ્લોનિન દસથી વીસ ગણી વધુ અસરકારક હોવાનું સંશોધનમાં જણાયું છે.
કોરોના પોઝીટીવ દર્દીઓને આપવામાં આવતી 23 દવાઓના સંશોધન કાર્યનું નેતૃત્વ આઇ.આઇ.ટી. દિલ્હીના અધ્યાપક શ્રી અશોક પટેલે કર્યું હતું અને તેમને સહાય એઆઇઆઇએમના ડો. પ્રદીપ શાહે કરી હતી.
આ સંશોધનનો અહેવાલ ઇન્ટરનેશનલ જનરલ ઓફ બાયોલોજિકલ મેક્રોમોલિક્યુલ્સમાં પ્રસિદ્ધ થયો હતો.
ટીકોપ્લાનિન એફડીએ દ્વારા માન્યતા પ્રાપ્ત દવા છે અને માનવોમાં લો ટોક્સિસિટી પ્રોફાઇલ સાથેના ગ્રામ-પોઝિટિવ બેક્ટેરિયા ઇન્ફેકશન માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે.
તાજેતરમાં રોમની સેપિન્ઝા યુનિવર્સિટીમાં ટીકોપ્લાનિન પર ક્લિનિકલ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. તેમ છતાં હળવા, મધ્યમ અને વધુ બીમારી દર્દીઓ પર આ દવા કેવી રીતે અસર કરે છે એ અંગે વધુ અભ્યાસ કરવાની જરૂર છે, એમ પ્રોફેસર અશોક પટેલે વધુમાં જણાવ્યું હતું.
શ્રી જગન્નાથ મંદિરના ઓછામાં ઓછા ૩૫૧ પૂજારી અને ૫૩ કર્મચારીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
મંદિરમાં કાર્ય કરતા કુલ ૪૦૪ જણનો કોવિડ-૧૯નો ચેપ લાગ્યો હોવાનું જાણવા મળ્યું હતું, એમ શ્રી જગન્નાથ મંદિર વહીવટીતંત્ર (એસજેટીએ)ના સભ્ય અજય જેનાએ જણાવ્યું હતું.
મંદિરના મોટાભાગના કર્મચારીઓની ગેરહાજરી હોવા છતાં ભગવાન જગન્નાથની પારંપારિક રીતે સેવા કરવાનું ચાલુ જ છે. કોરોના મહામારી શરૂ થયા બાદ માર્ચ મહિનાથી જગન્નાથ મંદિર બંધ છે. કોરોનાનો ચેપ લાગ્યા બાદ કર્મચારીઓ હોમ ક્વોરન્ટાઇન થયા છે અને હાલમાં જગન્નાથ ભગવાનની વિધિ-પૂજા કરવાનું જ્ઞાન હોય એવી વ્યક્તિઓનો અભાવ છે, એમ તેમણે વધુમાં કહ્યું હતું.
ભગવાન જગન્નાથ, દેવી સુભદ્ધા અને ભગવાન બાળભદ્રાની પાંરપારિક પૂજા કરવા માટે ઓછામાં ઓછા ૧૩ પૂજારીના ગ્રુપની જરૂર હોય છે. તેથી રોજના ૩૯ પૂજારીની પૂજા કરવા માટે જરૂર પડતી હોય છે.
ભગવાન જગન્નાથના નામે ઓળખાતા વિષ્ણુ મંદિરમાં વહેલી સવારથી મોડી રાત સુધી પૂજા-આરતી થતી હોય છે. જો કોઇ એક પૂજા ના થાય તો ત્યાર પછીની પૂજા પણ ન કરવાની મંદિરની પરંપરા છે, એમ જગન્નાથ પરંપરાના સંશોધક ભાસ્કર મિશ્રાએ જણાવ્યું હતું.
બાબરી ધ્વંસ્ત કેસ ચુકાદો આપતા આજે તા.30મી સપ્ટેમ્બર 2020ના રોજ લખનૌ સ્થિત સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે અડવાણી, મુરલી મનોહર જોષી, ઉમા ભારતી સહિતના તમામ આરોપીઓને મુક્ત કરતા જણાવ્યું છે કે આ ઘટના અગાઉથી આયોજીત નહોતી.
બાબરી ધ્વંસ કેસના 26 આરોપીઓ કોર્ટમાં હાજર થઈ ગયા હતા. જજ પણ કોર્ટરુમમાં આવી ગયા હતા, અને 26 વર્ષ જૂના આ કેસનો ફેસલો સંભળાવ્યો હતો. આરોપીઓમાં ભાજપના પીઢ નેતાઓ એલકે અડવાણી, મુરલીમનોહર જોષી તેમજ ઉમા ભારતીના નામ પણ સામેલ હતા. કોર્ટ બિલ્ડિંગની આસપાસનો વિસ્તાર પણ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો હતો. વાહનોની અવરજવર રોકી દેવાઈ હતી, અને નેતાઓના સમર્થકોને પણ અટકાવાઈ રહ્યા હતા.
લખનૌ સ્થિત CBIની સ્પેશિયલ કોર્ટમાં 6 ડિસેમ્બર 1992માં તોડી પડાયેલા વિવિદિત ભાગને લઈને આજે ચુકાદો સંભળાવવામાં આવ્યો હતો. આ મામલે પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી જેવા મોટા નેતા આરોપી હતા. એવામાં હાઈ પ્રોફાઈલ મામલાને ધ્યાનમાં રાખીને અયોધ્યા અને લખનૌમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી હતી. CBI કોર્ટે આદેશ જારી કર્યા છે કે તમામ આરોપીઓએ ચુકાદાના દિવસે કોર્ટમાં હાજર રહેવું પડશે. કોર્ટ તરફથી ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી સહિત અન્ય આરોપીઓને નોટિસ મોકલવામાં આવી હતી.
30/9 : આજે બાબરી ધ્વંશ કેસનો ચુકાદો
અયોધ્યામાં બાબરી મસ્જિદનો ધ્વંશ કરાયાને 28 વર્ષ બાદ હવે આજે 30/9/20 લખનઉમાં સીબીઆઈની વિશેષ અદાલત ચુકાદો આપવાની છે. આ સંવેદનશીલ મામલે ચુકાદા પૂર્વે કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને સાંપ્રદાયિક રૂપે સંવેદનશીલ જિલ્લાઓમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે એલર્ટ કરી દીધા છે.
બાબરી વિધ્વંસ પછી દેશમાં ફાટી નીકળેલા ભયંકર કોમી રમખાણોમાં આશરે 2 હજાર લોકોનાં મૃત્યુ થયા હતાં. બાબરી કેસમાં સીબીઆઈ દ્વારા કુલ 49 લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતાં અને તેમાંથી 17 લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યા છે. જેથી અદાલત આવતીકાલે બાકીનાં 32 આરોપીનો ચુકાદો આજે આપશે.
બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાં ભાજપનાં વરિષ્ઠ નેતા એલ.કે.અડવાણી, મુરલી મનોહર જોશી, કલ્યાણ સિંહ, વિનય કટિયાર, સાધ્વી ઋતંભરા અને ઉમા ભારતી સહિતનાં દિગ્ગજો મુખ્ય આરોપીમાં સામેલ છે. જો કે આજે ચુકાદા વખતે વિશેષ અદાલતમાં કેટલા આરોપીઓ હાજરી આપશે તે બાબતે હજી અનેક સંશય છે.’ આવતીકાલે ન્યાયધિશ એસ.કે.યાદવ દ્વારા ચુકાદો જાહેર કરવામાં આવનાર છે. તેમણે 16મીએ તમામ આરોપીઓને 30મી સપ્ટેમ્બરે ચુકાદા વખતે હાજર રહેવાનો નિર્દેશ આપેલો. આ કેસની આખરી દલીલો 11 સપ્ટેમ્બરનાં પૂર્ણ થઈ હતી અને સીબીઆઈએ આ કેસમાં કુલ 3પ1 સાક્ષીઓ અને 600 જેટલા દસ્તાવેજી પુરાવાઓ કોર્ટમાં પેશ કર્યા હતાં.
આજે ચુકાદા પહેલા કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવેલા એલર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ ચુકાદાની કાયદો અને વ્યવસ્થા ઉપર અસર થઈ શકે છે અને બન્ને પક્ષનાં અસામાજિક તત્વો આનું કોમવાદીકરણ કરીને શાંતિ ડહોળી શકે છે.
એલર્ટ અનુસાર રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદનાં કેસમાં સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાથી અનેક મુસ્લિમ સંગઠનો નાખુશ છે અને તેમને આશા છે કે, બાબરી તોડી પાડવાનાં કેસમાં આરોપીઓ દોષિત પુરવાર થાય ત્યારે પણ ન્યાય મળી શકે છે. જો કે ચુકાદો તેમની ધારણા મુજબનો ન આવે તો આ લોકો વિરોધમાં ઉતરી શકે છે.
આ ઉપરાંત એલર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, અમુક ચરમપંથી જૂથો ચુકાદાને સીએએ, એનઆરસી અને એનપીઆર વિરોધી જુવાળને ફરીથી પેટાવવાની તક તરીકે પણ જોઈ રહ્યા છે. બીજીબાજુ હિન્દુ સમૂહોને આરોપીઓની દોષમુક્તિની આશા છે. આ સંજોગોમાં અમુક રાજ્યોમાં કોમી તનાવની આશંકા છે અને રાજ્યોને આવા વિસ્તારોમાં જરૂરી બંદોબસ્ત કરવાં માટે કહેવામાં આવ્યું છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.