સમગ્ર વિશ્વમાં ભારતના રાજનીતિ કરનારાઓ ભારે બદનામ છે, કેમકે આવા રાજનીતિકોમાં ખેલદીલની ભાવના બિલકુલ જ નથી હોતી. જેનો તાદ્શ દાખલો હાલ ભારતની રાજનીતિમાં જોવા મળી રહ્યો છે. કોરોના સામે જીવન રક્ષક વેક્સિન હજુ તો બની નથી, તેનો સ્ટોક આવ્યો નથી અને એ પહેલા તેને મફતમાં આપવાની રાજનીતિ શરૂ થઇ છે. બિહારની ચૂંટણીનો મુદ્દો બનેલી વેક્સિન આવતા આવશે પણ રાજકીય નેતાઓ કોરોના વેક્સિનના નામે પોતાનો રોટલો શેકી લેવાની ફિરાકમાં છે.
કોરોના મહામારીથી બચવાનો એકમાત્ર વિકલ્પ કોરોના વેક્સીન ભારતમાં બને એ પહેલા જ ચૂંટણીનો મુદ્દો બની ગઇ છે. બીજેપી દ્વારા બિહારમાં સત્તામાં આવવા પર દરેક વ્યક્તિને ફ્રી કોરોના વેક્સીનની જાહેરાત બાદ બધા જ રાજકીય પક્ષોએ મુદ્દો ઉઠાવી લીધો છે. તેમના મત મુજબ દરેક રાજ્યને કેન્દ્ર તરફથી ફ્રી કોરોના વેક્સીન મળવી જોઇએ.
બિહારમાં ભાજપની ફ્રી વેક્સીનની જાહેરાત પછી મધ્ય પ્રદેશ અને તમિલનાડૂ જેવા રાજ્યોમાં પણ રાજકીય પક્ષો દ્વારા ફ્રી કોરોના વેક્સીનું એલાન કરી દેવામાં આવ્યું છે. ત્યારબાદ હવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ ફ્રી કોરોના વેક્સીનનો મુદ્દો ઉઠાવી લીધો છે. તેમનુ કહેવુ છે કે સમગ્ર દેશમાં ફ્રી કોરોના વેક્સીન મળવી જોઇએ, કારણ કે તે દેશનો અધિકાર છે.
















