
કોવીડ-19ની બીજી લહેર વચ્ચે સુરત શહેરમાં વધી રહેલા કોરોના કેસો પર કાબૂ મેળવવા માટે હાથ ધરાયેલા અનેક પગલાંઓમાં એક પગલું એ પણ છે કે સુરત શહેરમાં દાખલ થનારા દરેકે દરેક પ્રવાસીઓનું બોર્ડર પર જ ટેસ્ટીંગ કરવામાં આવશે. જેમકે સુરત એરપોર્ટ, સુરત રેલવે સ્ટેશન તેમજ દરેક રોડ એન્ટ્રી ગેટ પર રેપીડ એન્ટીજન ટેસ્ટ કર્યા બાદ જ પ્રવાસીઓ કે દિવાળી બાદ ફરવા ગયેલા સુરતીઓને સુરતમાં પ્રવેશવા દેવામાં આવશે.
દરમિયાન ગુજરાત સરકારના નિયમાનુસાર આજરોજ તા.21મી નવેમ્બરથી સુરત શહેરમાં દરરોજ રાત્રી કર્ફ્યુ લાગૂ રહેશે. રાત્રે 10થી સવારે 6 સુધી સામાન્ય નાગરીકો પોતાના ઘરની બહારન નીકળી શકશે નહીં.
આરોગ્ય ટીમો દ્વારા શહેરમાં કોન્ટેક્ટ ટ્રેસિંગ એક્ટિવિટીમાં વધારો કરવામાં આવ્યો છે. ઉધરસ, તાવ અને શરદીથી પીડિત વ્યક્તિઓને ઝડપી એન્ટિજેન પરીક્ષણ માટે તેમના નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા ધનવંતરી રથની મુલાકાત લેવા વિનંતી કરવામાં આવી છે.
મ્યુનિસિપલ કમિશનરની સીધી સૂચના
મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, સુરતમાં કોરોના વકરે નહીં તે માટે સામાન્ય લોકોને ચેતવણી આપવામાં આવી રહી છે કે જે લોકો ફેમિલી ટૂર નીકળ્યા છે તેઓને શહેરમાં એન્ટ્રી પોઇન્ટ પર રેપિડ એન્ટિજન ટેસ્ટ કરાવવો પડશે. તેમણે જણાવ્યું કે, ‘દિવાળી વેકેશન દરમિયાન ઘણા રહેવાસીઓ બહાર નીકળ્યા છે, અમે ખાતરી કરીશું કે શહેરમાં પ્રવેશતા દરેક વ્યકિતનો કોવિડ -19 માટે પરીક્ષણ કરવામાં આવશે.’

















