ભારતમાં વેક્સિનેશનના મહાઅભિયાન વચ્ચે કોરોનાએ ફરી માથું ઉચક્યું છે. કોરોના એક જ દિવસમાં ત્રણ અઠવાડિયાની ટોચની સપાટીએ પહોંચ્યો છે. ભારતમાં શુક્રવારે ત્રણ અઠવાડિયામાં એક જ દિવસમાં સૌથી વધુ કેસ નોંધાયો હતો. એક જ દિવસમાં ૧૩,૧૯૩ કેસો મળી આવ્યા હતા. આમ શુક્રવારે દેશમાં કોરોનાના કેસો આશરે ૧.૧ કરોડની નજીક પહોંચી ગયા હતા. જે અમેરિકા બાદ બીજા ક્રમે છે. દેશમાં મોતનો આંકડો પણ ૧,૫૬,૦૦૦ થયો છે.
મહારાષ્ટ્રમાં છેલ્લાં ત્રણ મહિનાની ટોચની સપાટી પહોંચી છે. જેને પગલે રાજ્યની સરકારે અનેક જિલ્લામાં લોકડાઉનની જાહેરાત કરી છે અને વર્ધામાં તો ૩૬ કલાકનો કરફ્યૂ પણ લાદી દીધો છે. મુંબઈમાં માસ્ક પહેરવાના નિયમનું પાલન કરવા માટે માર્શલ્સ તૈનાત કરાયા છે.
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાકમાં 13,193 નવા દર્દીઓ નોંધાયા છે, તો આ દરમિયાન 10,896 લોકો સ્વસ્થ થાય છે. દેશમાં એક દિવસમાં કોરોનાથી 97 લોકોના મૃત્યુ થયા છે. મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં અચાનક કેસો વધી જતાં લોકોમાં ગભરાટ ફેલાયો છે. જે છેલ્લાં ત્રણ મહિનામાં સૌથી વધુ છે.
શુક્રવારે રાજ્યમાં કોરોના ૬,૧૧૨ લોકો પોઝિટિવ જાહેર થયા હતા. આમ કોરોનાના સક્રિય કેસોની સંખ્યા વધીને ૪૪,૭૬૫ થઇ છે. છેલ્લાં થોડાક દિવસોમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. આ વાયરસનો ફેલાવો અટકાવવા માટે મહારાષ્ટ્રના અનેક જિલ્લામાં લોકડાઉન જાહેર કરાયું છે. આ બીમારીથી ૨૪ કલાકમાં ૪૪ લોકો મોતને ભેટ્યા છે. મુંબઇમાં ૨૪ કલાકમાં કોરોનાના ૮૨૩ કેસો નોંધાયા છે. યવતમાલમાં સ્થિતિ વણસતા લોકડાઉનના આદેશ જારી કરાયો છે. અમરાવતીમાં શનિવારના રાત્રિ આઠથી સોમવારે સવારના સાત સુધી લોકડાઉન જાહેર કરાયું છે.
સુરત:શુક્રવાર: રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી-૨૦૨૧ માટે મતદારે ભારતીય ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલ મતદાર ફોટો ઓળખપત્ર (EPIC) રજૂ કરવાનું રહેશે. પરંતુ જો કોઇ મતદાર ફોટો ઓળખપત્ર (EPIC) રજૂ ન કરી શકે તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓમાં સંબંધિત મતદારની ઓળખ પ્રસ્થાIપિત થાય તે માટે રાજ્ય ચૂંટણી આયોગે નીચે મુજબના દસ્તાવેજી પુરાવાઓ માન્ય કરેલ છે.
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા તા. ર૦, ર૧ અને રર ફેબ્રુઆરી ર૦ર૧ દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘જેમ્સ એન્ડ જ્વેલરી પ્રદર્શન’સુરત સ્પાર્કલ– ર૧નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ચેમ્બર દ્વારા છેલ્લાં ચાર વર્ષથી બી ટુ બી ધોરણે એકઝીબીશનનું આયોજન કરવામાં આવી રહયું છે, ત્યારે આ વર્ષે પણ આ અભિગમને જાળવી રાખવામાં આવ્યો છે.
ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે, સ્પાર્કલ પ્રદર્શન ગુણવત્તામાં સર્વશ્રેષ્ઠ છે અને વ્યાપારિક સંબંધો વિકસાવવામાં મદદરૂપ થાય છે. આ પ્રદર્શનમાં ડાયમંડ તથા જ્વેલરી મેન્યુફેકચરર્સ અને ડિઝાઈનર્સ પોતાના વિવિધ ઉત્પાદનો પ્રદર્શિત કરે છે. સુરત સહિત દક્ષિણ ગુજરાત ઉપરાંત ગુજરાતના અન્ય શહેરોના બાયર્સને સ્પાર્કલ પ્રદર્શનની પ્રતિક્ષા હોય છે. સ્પાર્કલના આયોજનમાંં આ વર્ષે પણ શહેરના જ્વેલરી તેમજ હીરા ઉદ્યોગ અને તેની સાથે સંકળાયેલા વેપારીઓ અને ઉદ્યોગકારોએ જે ઉત્સાહ દાખવ્યો છે તે પ્રસંશનીય છે. આવનારા વર્ષોમાં આ ઉત્સાહ ઉત્તરોત્તર વધતો રહે તે જરૂરી છે. કારણ કે, તેનાથી સુરત સહિત આખા દક્ષિણ ગુજરાતની અર્થ વ્યવસ્થા વધુ મજબૂત બની શકશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સુરતમાં ડાયમંડ ટ્રેડીંગ અને જ્વેલરી મેન્યુફેકચરીંગ મોટા પાયા ઉપર થઇ રહયું છે. આથી ડાયમંડ જ્વેલરી મેન્યુફેકચરીંગ હબ તરીકે સુરતમાં વેલ્યુ એડીશનનું કામ થઇ રહયું છે, ત્યારે સ્પાર્કલ પ્રદર્શનને કારણે હીરા ઉદ્યોગને નવી ઊંચાઇ અને એક નવો આયામ પ્રાપ્ત થશે. ઉલ્લેખનીય છે કે, કોવિડ– ૧૯ને કારણે લોકડાઉન બાદ ગુજરાત રાજ્યમાં પ્રથમ ફિઝીકલ એકઝીબીશન ‘સીટેક્ષ એક્ષ્પો’ યોજાયું હતું. ત્યારબાદ હવે ચેમ્બર દ્વારા બીજા ફિઝીકલ એકઝીબીશન તરીકે ‘સ્પાર્કલ પ્રદર્શન’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
સ્પાર્કલ પ્રદર્શનનો ઉદ્ઘાટન સમારોહ શનિવાર, તા. ર૦/ર/ર૦ર૧ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે સરસાણા સ્થિત પ્લેટીનમ હોલ ખાતે યોજાશે. આ પ્રદર્શનનું ઉદ્ઘાટન જેમ એન્ડ જ્વેલરી એક્ષ્પોર્ટ પ્રમોશન કાઉન્સીલના ચેરમેન કોલીન શાહના વરદ હસ્તે કરવામાં આવશે.
ઉદ્ઘાટન સમારોહમાં દુબઇ સિટી ઓફ ગોલ્ડના વાઇસ ચેરમેન ચંદુભાઇ સિરોયા મુખ્ય મહેમાન તરીકે તથા જુનાગઢના ભીંડી જ્વેલર્સના માલિક જિતેન્દ્ર ભીંડી અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવશે.
સ્પાર્કલ એકઝીબીશનના ચેરમેન જયંતિ સાવલીયાએ જણાવ્યું હતું કે, સ્પાર્કલ પ્રદર્શનમાં નેચરલ ડાયમંડ એન્ડ જ્વેલરી મેન્યુફેકચરર્સ, સિન્થેટીક ડાયમંડ એન્ડ મશીનરી મેન્યુફેકચરર્સ, સમગ્ર હીરા ઉદ્યોગ અને તેની સાથે સંકળાયેલા ઉદ્યોગકારોએ ઉત્સાહ દાખવ્યો છે. સુરત જ્વેલરી મેન્યુફેકચરર્સ એસોસીએશનના સહયોગથી ૧૦૦ જેટલા જ્વેલરી મેન્યુફેકચરર્સ ભાગ લઇ રહયા છે. આમ કુલ ૧પ૦થી વધુ એકઝીબીટર્સ દ્વારા લુઝ ડાયમંડ, ડાયમંડ જ્વેલરી, મશીનરી અને સિન્થેટીક ડાયમંડનું પ્રદર્શન કરવામાં આવશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોવિડ– ૧૯ પછી જેમ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રી ઉભી નહીં થશે તેવું લાગી રહયું હતું. પરંતુ અમેરિકા અને ચાઇના વચ્ચેના ટ્રેડવોરને કારણે મુંબઇથી જ્વેલરી મેન્યુફેકચરર્સ સુરતમાં સ્થળાંતરિત થઇ રહયા છે. જેનો સીધો લાભ સુરતના જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગને થઇ રહયો છે. ડાયમંડ જ્વેલરીનું એક્ષ્પોર્ટ પણ સુરતથી વધી રહયું છે.
જયંતિ સાવલીયાએ વધુમાં કહયું કે, માઇન્સમાંથી રફ હીરા નીકળ્યા બાદ તેને કટ એન્ડ પોલીશ્ડ કરવામાં આવે છે. ત્યારબાદ તેનો ડાયમંડ જ્વેલરીમાં કેવી રીતે ઉપયોગ કરવામાં આવે છે? ત્યાં સુધીની આખી પ્રક્રિયાનું લાઇવ બતાવવામાં આવશે, જે સ્પાર્કલ પ્રદર્શનમાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.
*દેશભરમાંથી બાયર્સ સ્પાર્કલની મુલાકાતે આવશે*દેશના મુખ્ય શહેરો જેવા કે દિલ્હી, પંજાબ, ચંડીગઢ, ચેન્નાઇ, કોચી, ક્રિશુર, ત્રિવેન્દ્રમ, મલપ્પુરમ, કાલીકટ, બેંગ્લોર, કોઇમ્બતુર, મુંબઇ, પૂણે તથા ગુજરાતના મુખ્ય શહેરો કે જ્યાં ડાયમંડ એન્ડ ડાયમંડ જ્વેલરીનું મોટાપાયા ઉપર કન્ઝમ્પ્શન થાય છે ત્યાંના મોટા ચેનલ સ્ટોરના સંચાલકોને તથા બાયર્સને રૂબરૂ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. આ તમામ સ્થળેથી મોટી સંખ્યામાં બાયર્સ તથા વિવિધ એસોસીએશનના પ્રતિનિધી મંડળો સ્પાર્કલ એકઝીબીશનની મુલાકાત લેનાર છે. તદુપરાંત સોશિયલ મિડિયા અને ડિજીટલ માર્કેટીંગના માધ્યમથી પણ દેશ–વિદેશના બાયર્સને સ્પાર્કલ માટે આમંત્રણ મોકલવામાં આવ્યું છે.
સ્પાર્કલ પ્રદર્શન દરમ્યાન શનિવાર, તા. ર૦ ફેબ્રુઆરી ર૦ર૧ના રોજ બપોરે રઃ૦૦ કલાકે સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે સેમિનાર હોલમાં ‘ઇનોવેશન્સ ઇન રિયલ એન્ડ લેબગ્રોન ડાયમંડ એન્ડ ટેકનોલોજીકલ ગ્રોથ ઇન જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝ’વિષય ઉપર સેમિનાર યોજાશે. જેમાં નિષ્ણાંત વકતા તરીકે લેકસસ ગૃપના ડાયરેકટર એન્ડ કો–ફાઉન્ડર ઉત્પલ મિસ્ત્રી હેતુલક્ષી વકતવ્ય રજૂ કરશે. સેમિનારમાં પેનલ ડિસ્કશન પણ યોજાશે. જેમાં અંકીત જેમ્સના ડાયરેકટર પ્રિયાંશ શાહ, એલ્વી જ્વેલ્સના ડાયરેકટર કલ્પેશ વઘાસિયા, સુરત જ્વેલરી એસોસીએશનના પ્રમુખ સલીમ દાગીનાવાલા, ભંડેરી લેબગ્રોન ડાયમંડના સીઇઓ ડો. સ્નેહલ પટેલ અને દુબઇ ગોલ્ડ એન્ડ જ્વેલરી ગૃપના વાઇસ ચેરમેન ચંદુભાઇ સિરોયા ભાગ લેશે.
સ્પાર્કલ પ્રદર્શન દરમ્યાન શનિવાર, તા. ર૦ ફેબ્રુઆરી ર૦ર૧ના રોજ સાંજે ૬:૩૦ કલાકે સરસાણા સ્થિત પ્લેટીનમ હોલ ખાતે બ્રહમાંડ ગૃપ દ્વારા સંગિત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગાયક ભગીરથ ભટ્ટ સહિતના કલાકારો વિવિધ ગીતો રજૂ કરશે. તદુપરાંત રવિવાર, તા. ર૧ ફેબ્રુઆરી ર૦ર૧ના રોજ સાંજે ૬:૩૦ કલાકે ડો. હીના મોદી અને મિસિસ એશિયા યુનિવર્સ ર૦૧૯ સ્વાતિ જાની દ્વારા ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ ડાયમંડ જ્વેલરીનું પ્રદર્શન કરવામાં આવશે.


ભારતીય ટીમે ચેન્નઈમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડ પર ઐતિહાસિક જીત મેળવી છે. પહેલી ટેસ્ટમાં મળેલી હાર બાદ ટીમ ઈન્ડિયાએ કમબેક કરતા ચેપોકમાં રમાયેલી બીજી મેંચમાં ઈંગ્લેન્ડને 317 રનના અંતરથી હરાવ્યું. રનની દ્રષ્ટિએ ઈંગ્લેન્ડ પર ભારતની આ સૌથી મોટી જીત છે. 482 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમ બીજી ઈનિંગ્સમાં માત્ર 164 રનોમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ઈંગ્લેન્ડ તરફથી કેપ્ટન માત્ર કેપ્ટન જો રૂટ અને મોઈન અલી જ ફાઈટ આપી શક્યા હતા.
ભારત તરફથી બીજી ઈનિંગ્સમાં અક્ષર પટેલે પાંચ, રવિચંદ્રન અશ્વિને ત્રણ અને કુલદીપ યાદવે બે વિકેટ લીધી હતી. ભારતીય ટીમની જીતના હીરો રહેલા અશ્વિને મેચમાં 8 વિકેટ લીધી હતી અને બીજી ઈનિંગ્સમાં સદી પણ ફટકારી હતી.ભારતીય ટીમે ચેન્નઈમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડ પર ઐતિહાસિક જીત મેળવી છે.
પહેલી ટેસ્ટમાં મળેલી હાર બાદ ટીમ ઈન્ડિયાએ કમબેક કરતા ચેપોકમાં રમાયેલી બીજી મેંચમાં ઈંગ્લેન્ડને 317 રનના અંતરથી હરાવ્યું. રનની દ્રષ્ટિએ ઈંગ્લેન્ડ પર ભારતની આ સૌથી મોટી જીત છે. 482 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમ બીજી ઈનિંગ્સમાં માત્ર 164 રનોમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ઈંગ્લેન્ડ તરફથી કેપ્ટન માત્ર કેપ્ટન જો રૂટ અને મોઈન અલી જ ફાઈટ આપી શક્યા હતા. ભારત તરફથી બીજી ઈનિંગ્સમાં અક્ષર પટેલે પાંચ, રવિચંદ્રન અશ્વિને ત્રણ અને કુલદીપ યાદવે બે વિકેટ લીધી હતી. ભારતીય ટીમની જીતના હીરો રહેલા અશ્વિને મેચમાં 8 વિકેટ લીધી હતી અને બીજી ઈનિંગ્સમાં સદી પણ ફટકારી હતી.
આ પહેલા મેચના ચોથા દિવસની શરૂઆત ઈંગ્લેન્ડ માટે ખૂબ જ ખરાબ રહી હતી. ઈંગ્લેન્ડે 52 રને 3 વિકેટથી આગળ રમવાનું શરૂ કર્યું અને પહેલા સેશનમાં 63 રન થયા બાદ વિકેટ ગુમાવી દીધી. આ પહેલા જો રૂટ પણ લંચ પહેલા આઉટ થઈ જાત પરંતુ મોહમ્મદ સરાજે કુલદીપની ઓવરમાં સરળ કેચ છોડી દીધો. આ પહેલા અશ્વિને ડેનિયલ લોરેન્સને પવેલિયન મોકલ્યો. રિષભ પંતે તેને ચપળતાથી સ્ટમ્પ આઉટ કરી દીધો હતો. અશ્વિને ટેસ્ટમાં 10મી વખત બેન સ્ટોક્સને પોતાનો શિકાર બનાવ્યો હતો. ભારતીય સ્પિનર્સો તરખાટ મચાવતા તમામ અંગ્રેજ બેટ્સમેનોને પેવેલિયનમાં પાછા મોકલ્યા હતા.
રવિચંદ્રન અશ્વિને મેચમાં ઓલરાઉન્ડર પ્રદર્શન કરતા સદી ફટકારવા સાથે 8 વિકેટ પણ ઝડપી હતી. જેના કારણે તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. આ પહેલા ભારતની પહેલી ઈનિંગ્સમાં રોહિત શર્માએ પણ 161 રનની મહત્વપૂર્ણ ઈનિંગ્સ રમી હતી.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી અને ચોથી ટેસ્ટ મેચ હવે અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં રમાવાની છે. ભારતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પહોંચવા માટે આ બે માંથી એક ટેસ્ટ જીતવી જરૂરી છે, સાથે જ ઈંગ્લેન્ડ એક પણ ટેસ્ટ ન જીતે તે પણ ધ્યાનમાં રાખવું પડશે.

આગામી 21 મી ફેબ્રુઆરીના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના પ્રચારની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ સંદર્ભે આજરોજ સુરત મહાનગરમાં પાંડેસરા, પાલનપુર જકાતનાકા અને કતારગામ એમ ત્રણ અલગ અલગ વિસ્તારમાં યોજાયેલી જંગી જાહેરસભામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકર્તાઓ, શુભેચ્છાકો અને જાહેર જનતાને પોતાની આગવી શૈલીમાં સંબોધિત કરતાં પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલે જણાવ્યુંકે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપાની જીત નિશ્ચિત છે ફકત કેટલાં વિરોધીઓની ડિપોઝિટ ડૂલ થાય છે તેની ગણતરી કરવાની છે. હમણાં હું એક ડિબેટ જોતો હતો તેમાં કોંગ્રેસના કાર્યકર્તાએ પ્રામાણિકપણે કબૂલાત કરી હતી કે પેજ કમિટી થકી દરેક સોસાયટીના ઘર ઘર સુધી ભાજપાના કાર્યકર્તાઓનું જડબેસલાક નેટવર્ક ગોઠવાયેલું છે જયારે અમારી પાસે તો કાર્યકર્તાઓ જ નથી. સાચી વાત છે કૉંગ્રેસ પાસે કાર્યકર્તાઓ જ નથી થોડાં ઘણાં જે બચ્યા છે તે નેતાઓ જ છે અને તેઓને પોતાની નેતાગીરી ચમકાવવામાં જ રસ છે. તેઓને પાર્ટી કે દેશ સાથે કોઈ લેવાદેવા નથી.


કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આસમમાં આપેલા ગુજરાત વિરોધી નિવેદનની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતા આદરણીય પ્રદેશ અધ્યક્ષશ્રી સી આર પાટીલે જણાવ્યું કે ગુજરાત કોંગ્રેસને આંખના કણાની જેમ ખૂંચે છે. જે ગુજરાતે આ દેશને મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ, ડોક્ટર વિક્રમ સારાભાઈ જેવાં મહાનુભવો આપ્યા પરંતુ કોંગ્રેસનું વલણ હંમેશા ગુજરાત વિરોધી રહ્યું છે.
ગુજરાતને બદનામ કરવાની એક પણ તક કોંગ્રેસ જતી કરતી નથી. કોંગ્રેસ પાસે હાલમાં ચૂંટણીના કોઈ મુદ્દા નથી આથી ફરીથી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આસામમાં ગુજરાત વિરોધી નિવેદન કરીને પોતાની માનસિકતા છતી કરી રહ્યા છે. પરંતુ હું અહીંથી કોંગ્રેસના નેતાને કહેવા માગું છું કે આ ગુજરાતીઓ તમને વીણી વીણીને સાફ કરી નાખશે.
ગુજરાતની આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસની કેટલી ડિપોઝિટ ડૂલ થાય છે તેની ગણતરી કરવા માટે રાહુલ ગાંધી તૈયાર રહે.

દેશ વિરોધી તત્વોને પ્રોત્સાહન આપવાના કોંગ્રેસના વલણની ઝાટકણી કાઢતા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલે જણાવ્યુંકે, કોંગ્રેસ એક સમયે એવું કેતી હતી કાશ્મીર માંથી જો કલમ 370 દૂર કરવામાં આવશે તો લોહીની નદીઓ વહેશે પરંતુ આજે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના રાજમાં આદરણીય શ્રી અમિતભાઈ સાહેબે સંસદમાં કલમ 370 સફળતાપૂર્વક દૂર કરીને બતાવી છે.
મંદિર વહી બનાયેંગે, તારીખ નહીં બતાયેંગે નો ટોણો મારનારાઓને જડબાતોડ જવાબ આપતાં પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલે જણાવ્યુંકે, મંદિર ભી બનાયેંગે, ભવ્ય બનાયેંગે ઔર પૂર્ણતા કી તારીખ ભી બતાયેંગે. આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ શ્રીરામ મંદિરનું ફાઉન્ડેશન સ્ટોન મૂક્યું ત્યારે જીવન ધન્ય થઈ ગયું તેવું આપણને બધાંને લાગ્યું. જે દિવસ જોવા માટે આપણી આંખો તરસ્તી હતી તે જોવાનું સૌભાગ્ય આપણને મળ્યું.
સરદાર સાહેબના વિરાટ વ્યક્તિત્વ જેવી વિરાટ પ્રતિમા બનાવી દેશ અને દુનિયામાં ગુજરાતનું નામ રોશન કરનાર ગુજરાતના પનોતા પુત્ર આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ને અભિનંદન આપવાના બદલે કોંગ્રેસના નેતાઓ હર હંમેશ ગુજરાત અને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ને બદનામ કરવાનું જ કામ કર્યું છે સરદાર સાહેબની પ્રતિમાને લોખંડનો ભંગાર કહેનાર કોંગ્રેસીઓએ સરદાર સાહેબને અન્યાય કરવામાં ક્યાંય કોઈ કસર છોડી નથી આજે પણ કોંગ્રેસનો કોઈ નેતા સરદાર સાહેબ પ્રતિમાના દર્શન કરવા ગયો નથી.
છેલ્લા ૨૫ વર્ષમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં સુરત મહાનગરનો ખૂબ ઝડપી વિકાસ થયો છે અને હજી પણ વિકાસની વણથંભી યાત્રા જારી રહેશે તાપી શુદ્ધિકરણનું પ્રોજેક્ટ હોય, ઉભરાટને જોડતો બ્રિજ હોય, પીવાનું ચોખ્ખું પાણી હોય, રોડ રસ્તા ની વાત હોય, એરપોર્ટ હોય, મેટ્રો રેલવે હોય, એરપોર્ટ જેવું સ્વચ્છ અને સુંદર સુરત રેલ્વે સ્ટેશન કે બસ સ્ટેશન હોય, રો રો ફેરી સર્વિસ હોય, આ બધી જ ઉપલબ્ધિ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં શક્ય બની છે ત્યારે આવનારા સમયમાં આપના આશીર્વાદથી સુરતનો વધુ વિકાસ થશે. ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોનો ભવ્ય વિજય થશે તેઓ મને પૂરો વિશ્વાસ છે તેમ અંતમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલે જણાવ્યું હતું.
મધ્ય પ્રદેશના સિધી જિલ્લામાં મંગળવારે સવારે એક ગોઝારી દુર્ઘટનામાં પુલ પરથી બસ કેનાલમાં નીચે ખાબકતાં સંખ્યાબંધ મુસાફરો લાપતા થયા છે. મુસાફરોને બચાવવા માટે યુદ્ધના ધોરણે કવાયત હાથ ધરવામાં આવી છે. પોલીસ અને નજરે જોનારા લોકોના મતે મંગળવારે સવારે પુલ પરસથી બસ પસાર થઈ રહી હતી ત્યારે ચાલકે કાબૂ ગુમાવતા તે પુલ પરથી નીચે કેનાલમાં ખાબકી હતી.

જિલ્લા પોલીસ વડા પકંજ કુમાવતના જણાવ્યા મુજબ બચાવ કામગીરી હાલ ચાલુ છે. સૂત્રોના મત બસમાં સવાર 50 મુસાફરો લાપતા છે. આ દુર્ઘટના સવારે 8.30 વાગ્યે બની હોવાનું માનવામાં આવે છે.
ઘટનાના સાક્ષીઓના મતે બસ કેનાલમાં સંપૂર્ણ ડૂબી ગઈ છે અને તેનો જરા પણ ભાગ પાણી ઉપર જોવા મળતો નથી. પાણીના પ્રવાહમાં બસ તણાઈ હોવાની આશંકા સેવાઈ રહી છે. પ્રાપ્ત વિગતો મુજબ સાત જેટલા મુસાફરો કેનાલના કિનારે તરીને પહોંચવામાં સફળ રહ્યા હતા જ્યારે બાકીના લોકો ગાયબ છે.

કિસાન આંદોલન અંગે વિવાદાસ્પદ ટૂલકિટ મામલે બેંગ્લોરની જળવાયુ કાર્યકર્તા દિશા રવિની ધરપકડનો મુદ્દો ગરમ થઈ રહ્યો છે. એક તરફ સત્તાપક્ષ અને વિપક્ષ એકમેક સામે શાબ્દિક વાક્યુદ્ધમાં ઊતર્યાં છે ત્યારે દિલ્હી પોલીસે દિશાની ધરપકડને યોગ્ય ગણાવતાં આજે જણાવ્યું હતું કે’ આ ટૂલકિટ બેહદ સુનિયોજિત રીતે બનાવવામાં આવી હતી અને તેમાં કઈ રીતે કિસાન આંદોલનને સમર્થન આપવું તેની સંપૂર્ણ જાણકારી હતી. વૈશ્વિક પર્યાવરણ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગ દ્વારા અનાયાસે ટ્વિટ કરાયેલી અને પછી ડિલિટ કરવામાં આવેલી આ ટૂલકિટ વકીલ અને કાર્યકર્તા નિકિતા જેકબ અને તેના સાથીઓ શાંતનુ તથા દિશા રવિ દ્વારા બનાવવામાં આવી હતી.
સોમવારે ટૂલકિટ મામલે તપાસ અંગે પત્રકાર પરિષદમાં દિલ્હી પોલીસે કહ્યું કે, ‘11મી જાન્યુઆરીની ઝૂમ બેઠકમાં નિકિતા, શાંતનુ અને દિશા રવિ સામેલ હતા, જેમાં 26 જાન્યુઆરી પહેલાં ટ્વિટર તોફાન સર્જવાનું નક્કી થયું. બેઠકમાં ‘િટ્વટર સ્ટોર્મ’ માટે ‘હેશટેગ’ નક્કી થયું અને યોજના બની.’ તારણ મુજબ કિસાન આંદોલન મુદ્દાને હથિયાર બનાવીને દેશને બદનામ કરવા માટે ટૂલકિટ બનાવાઇ હતી.
દરમ્યાન આ મામલે સરકાર અને વિપક્ષ સામસામે છે અને આરોપ-પ્રતિઆરોપ લગાવાઈ રહ્યા છે. વિપક્ષ વાણી સ્વાતંત્ર્યતા અને યુવા દિશાની ઉમરના મુદ્દે આક્રમક છે. વિપક્ષે 21 વર્ષીય દિશાની ધરપકડને ‘લોકતંત્ર પર હુમલો’ ગણાવી કહ્યું હતું કે ભારતના અવાજને દબાવી શકાય નહીં, તો ભાજપે પોલીસ કાર્યવાહીનો બચાવ કરતાં કહ્યું હતું કે અપરાધ તો અપરાધ છે અને તેને ઉમર સાથે કોઈ લેવાદેવા નથી.
બીજીબાજુ ભાજપના હરિયાણાના મંત્રી અનિલ વિજે ટ્વિટર પર એમ કહીને નવો મોરચો શરૂ કર્યો હતો કે દિશા રવિ હોય કે પછી અન્ય કોઈ, દેશવિરોધનું બીજ જેમના પણ મગજમાં હોય તેમનો નાશ કરવો જોઈએ.
કેન્દ્રીયમંત્રી અને ભાજપના નેતા ગજેન્દ્રાસિંહ શેખાવતે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે જો ઉમર આધાર હોય તો પછી પરમવીર ચક્રથી નવાજાયેલા સેકન્ડ લેફ્ટિનન્ટ અરુણ ક્ષેત્રપાળ 21 વર્ષની ઉમરમાં શહીદ થયા હતા. હું તેમના પર ગર્વ કરું પરંતુ ટૂલકિટના રૂપમાં દુષ્પ્રચાર ફેલાવનારાઓ પર તો ગર્વ નહીં જ કરું.
દિશા રવિની મુક્તિની માંગમાં જોડાતાં કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધીએ ભાજપ શાસિત સરકાર પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે, બંદૂકો સાથે ફરતા લોકો એક નિ:શત્ર યુવતીથી ગભરાય છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ સરકાર પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે દેશ આ મુદ્દે ચૂપ રહેશે નહીં.
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે 21 વર્ષની દિશાની ધરપકડ લોકતંત્ર પરનો અણધાર્યો હુમલો છે. કિસાનોનું સમર્થન કરવું એ કોઈ અપરાધ નથી.
દરમ્યાન, સાયબર સેલના જોઈન્ટ પોલીસ કમિશનર પ્રેમનાથે એક પત્રકાર પરિષદ યોજી હતી જેમાં જણાવ્યું હતું કે ટૂલકિટના અનેક ક્રીનશોટ ઓપન પ્લેટફોર્મ પર મોજૂદ છે જેની તપાસ કરવામાં આવી”’ રહી છે.
તેમણે કહ્યું કે, આ ટૂલકિટનો સંબંધ ખાલિસ્તાની સંગઠનથી છે. આ ટૂલકિટને ચોથી ફેબ્રુઆરીએ બનાવવામાં આવી હતી.

ગુજરાતના તાપી જીલ્લામાંથી એક ખરાબ સમાચાર આવ્યા છે. અહીં બર્ડ ફ્લૂના નવા કેસ મળી આવતા ચકચાર મચી ગયો છે.
તાપીના ઉચ્છલમાં આવેલા નેશનલ પોલટ્રી ફાર્મમામં બર્ડ ફલૂનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. ઉચ્છલના નેશનલ પોલટ્રી ફાર્મમાં મરઘાંનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બે મરઘાં ફાર્મમાંથી ભેગા કરવામાં આવેલા નમૂનાઓમાં એવિયન ઈન્ફલ્યુએન્ઝા પૉઝિટિવ આવ્યા આવ્યા છે. બર્ડફ્લૂના ખતરાને પગલે અંદાજે 17,000 જેટલા પક્ષીઓનો નાશ કરવામાં આવશે.
આ બાબતે કલેક્ટર જાહેરનામું પ્રસારિત કરશે તેવી માહિતી મળી છે. જિલ્લા બહારથી ટીમ આવશે ત્યાર બાદ કામગીરી હાથ ધરવામાં આવશે., તેવું કહેવામાં આવી રહ્યું છે.
સોમવારે શેર બજાર Sensex, Nifty, Bank Nifty રેકોર્ડ ઊંચાઇ સાથે ખુલ્યો હતો. બજાર ખુલતાંની સાથે જ સેન્સેક્સે પ્રથમ વખત ૫૨,૦૦૦ની સપાટી વટાવી દીધી હતી. જ્યારે નિફ્ટી પણ રેકોર્ડ સ્તરે ટ્રેડ કરી રહ્યો છે.

બોમ્બે સ્ટોક એક્સચેન્જનો ઇન્ડેક્સ સેન્સેક્સ સોમવારે સવારે ૯.૩૬ કલાકે ૪૫૫.૩૮ પોઇન્ટના ઉછાળા સાથે ૫૧,૯૯૯.૬૮ પર કારોબાર કરી રહ્યો હતો. જ્યારે આ પહેલાં કારોબાર દરમિયાન તે ૫૨,૧૧૦.૭૪ સુધી ગયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો ઇન્ડેક્સ નિફ્ટી પણ સોમવારે સવારે ૯.૩૬ કલાકે ૧૨૦.૧૫ પોઇન્ટની તેજી સાથે ૧૫,૨૮૩.૪૫ પર કારોબાર કરી રહ્યો હતો.
આજની શરૂઆતમાં કોરોબારમાં લગભગ ૧૦૮૬ શેર વધ્યા, ૩૭૬ શેર ગગડ્યાં અને ૭૫ શેરોમાં કોઇ ફેરફાર જોવા મળ્યો નથી. જ્યારે ઇન્ડસઇંડ બેંક, એક્સિસ બેંક, એચડીએફસી, આઇસીઆઇસીઆઇ બેંક, બજાજ ફાઇનાન્સ, કોટક બેંક અને બજાજ ફિનસર્વ જેવા મુખ્ય બેંકિંગ શેરોમાં વધારો જોવા મળ્યો. સેન્સેક્સ પર સૌથી વધુ લાભ ઇન્ડસઇંડ બેંકના શેરને થયો, જે ૨.૫૮ ટકા સુધી ઉચકાયો હતો.