તા.૧૨મીએ રાત્રે ૯ વાગ્યે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન ગુજરાત રાજ્યમાં કોરોનાના નવા કુલ 715 કેસ નોંધાયા છે. આ જ સમયગાળામાં રાજ્યમાં કોરોનાગ્રસ્ત હોય તેવા 495 દર્દીઓ સ્વસ્થ થયા છે.
ભાવનગર, બોટાદ, ડાંગ, પોરબંદર અને સુરેન્દ્રનગર એમ કુલ 5 જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી.
કોરોના મહામારીમાં રાજ્યમાં કુલ 2,68,196 દર્દીઓ કોરોનાને હરાવવામાં સફળ રહ્યાં છે. રાજ્યનો રિકવરી રેટ પણ 96.95%એ પહોંચ્યો છે.
રાજ્યમાં નવા કેસમાંથી અમદાવાદમાં 145, સુરતમાં 196, વડોદરામાં 117 તેમજ રાજકોટમાં 69 દર્દીઓનો સમાવેશ થાય છે. જ્યારે રાજ્યમાં કુલ 4006 એક્ટિવ કેસમાંથી 51 દર્દીઓને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે. જ્યારે 3955 સ્ટેબલ છે. રાજ્યમાં 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં 1 મોત અને સુરતમાં પણ 1 મોત નોંધાતા હવે રાજ્યમાં કુલ મૃત્યુઆંક પણ 4420એ પહોંચ્યો છે.
કેન્દ્ર સરકારે શુક્રવારે તા.૧૨ માર્ચ ૨૦૨૧ના રોજ સ્થળાંતરીય લાભાર્થીઓ માટે ‘મેરા રાશન’ મોબાઇલ ઍપ લોન્ચ કરી હતી, જેના થકી તેઓ વાજબી ભાવની દુકાન શોધી શકે છે, તેમના હકની વિગતો જાણી શકે છે અને તેમના તાજેતરના વ્યવહારોની તપાસ કરી શકે છે.
નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (એનઆઇસી) દ્વારા આ ઍપ લોન્ચ કરવામાં આવી છે. હાલમાં આ ઍપ હિંદી અને અંગ્રેજી ભાષામાં છે. ટૂંક સમયમાં આ ઍપ અન્ય ૧૪ ભાષાઓમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.
નેશનલ ફૂડ સિક્યોરિટી ઍક્ટ (એનએફએસએ) મુજબ જાહેર વિતરણ સેવા (પીડીએસ) અંતર્ગત અત્યંત ઓછા દરે એટલે કે કિલો દીઠ એકથી ત્રણ રૂપિયાના દરે દેશના ૮૧ કરોડ લોકોને અનાજ આપવામાં આવે છે અને તેઓને ‘વન નેશન વન રેશન કાર્ડ’ અંતર્ગત દેશના ૩૨ રાજ્ય તથા કેન્દ્રશાસિત પ્રદેશમાં રેશન કાર્ડ પોર્ટેબિલીટી સેવાનો લાભ પણ આપવામાં આવે છે.
દેશભરમાં આવેલી મેડીકલ અને ડેન્ટલ કોલેજોમાં પહેલા વર્ષમાં પ્રવેશ માટે જરૂરી નીટ ૨૦૨૧ પ્રવેશ પરીક્ષા આગામી તા.૧લી ઓગસ્ટ ૨૦૨૧ના રોજ લેવાની જાહેરાત નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ કરી છે.
ગુજરાતમાં મેડીકલ, ડેન્ટલ ઉપરાંત હોમિયોપેથી અને આયુર્વેદિક કોલેજોમાં પ્રવેશ માટે પણ નીટનો સ્કોર જરૂરી છે.
એમ.બી.બી.એસ. અને ડેન્ટલમાં પ્રવેશ માટે નીટની લઘુત્તમ લાયકાત ૫૦ પર્સન્ટાઇલ છે જ્યારે મેરીટની ગણતરીમાં સંપૂર્ણપણે નીટના માર્કસ (પર્સન્ટાઇલ સ્કોર) ધ્યાનમાં લેવામાં આવે છે.
નીટ પરીક્ષા હિન્દી, અંગ્રેજી સમેત કુલ ૧૧ પ્રાદેશિક ભાષામાં લેવામાં આવે છે.
નીટ પરીક્ષા ઓફલાઇન, પેન એન્ડ પેપર મોડથી રાષ્ટ્રવ્યાપી ધોરણે લેવામાં આવે છે.
ભારતમાં કોરોનાના વધી રહેલા કેસ હવે ભયજનક સ્થિતિ પેદા કરી રહ્યા છે. મહારાષ્ટ્ર અને કેરળની સ્થિત અત્યંત કપરી બની રહી છે. મહારાષ્ટ્રમાં કોરોના નિયંત્રણ માટે લૉકડાઉન જેવા પગલાં ભરવાનું શરૂ કરાયું છે. એ સિવાય પંજાબ, કેરળ વગેરે રાજ્યોમાં કડક પ્રતિબંધો લાદવામાં આવી રહ્યા છે.
મહારાષ્ટ્રમાં નાગપુર બાદ હવે અકોલામાં પણ લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લેવાયો છે. અકોલામાં 15 માર્ચ સુધી લોકડાઉન લાગુ રહેશે. પુણેમાં પણ નાઈટ કર્ફ્યૂની સરકારે જાહેરાત કરી છે.
અકોલામાં તંત્રએ શુક્રવારના રાતથી સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે. અકોલામાં શુક્રવારે રાત્રીના 8 વાગ્યાથી સોમવારના સવારના 8 વાગ્યા સુધી લોકડાઉન રહેશે. પુણેમાં રાત્રીના 11 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી નાઈટ કરફ્યૂ લાગુ કરાયો છે. કોરોના વાયરસના કેસોમાં આવેલા ઉછાળાને પગલે સરકારે આકરા નિયમો લાદ્યા છે. કોરોનાના કેસોનો પ્રકોપ વધતા નાગપુરમાં પણ લોકડાઉન લાગુ કરાયું છે. આ ઉપરાંત 31 માર્ચ સુધી શાળા અને કોલેજો પણ બંધ કરવામાં આવી છે. હોટેલ અને બારને પણ રાતના 10 વાગ્યા પછી ખુલ્લા નહીં રાખવા આદેશ આપવામાં આવ્યો છે.
કોરોનાએ ફરી સ્પીડ પકડતાં મહારાષ્ટ્રના અન્ય કેટલાક વિસ્તારોમાં પણ લોકડાઉન લાગુ કરવાની ચર્ચા ચાલી રહી છે. નાગપુરમાં 15 માર્ચથી 21 માર્ચ સુધી લોકડાઉન રહેશે અને ફક્ત આવશ્યક ચીજવસ્તુઓ જ ઉપલબ્ધ થશે. થાણેમાં 16 હોટસ્પોટમાં 31 માર્ચ સુધી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પણ સંકેત આપ્યા છે કે જો કોરોનાના કેસો વધવાનું બંધ નહીં થાય તો કેટલાક સ્થળે લોકડાઉન લાગુ થઈ શકે છે. નાગપુર પછી પુણે, મુંબઈ અને થાણે જેવા ગીચ વિસ્તારોમાં લોકડાઉન લાગુ થવાની સંભાવના છે.
પંજાબના ૫ જિલ્લાઓમાં રાત્રિ કરર્ફ્યુ
પંજાબમાં કોરોના કેસમાં વધારો થતાં પાંચ જિલ્લાઓ, જેમાં જલંધર, એસબીએસ નગર, હોશિયારપુર અને કપૂરથલામાં નાઈટ કર્ફ્યૂ ઇમ્પોઝ કરવામાં આવી ચૂક્યો છે. પટિયાલામાં પણ નાઈટ કર્ફ્યૂ લાગૂ કરવાનો નિર્ણય લેવાયો છે. અહીં રાત્રે 11 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી કર્ફ્યૂની જાહેરાત કરાઈ છે.
ગુરુગ્રામમાં બુધવાર સુધીમાં 18 કન્ટેનમેન્ટ ઝોન થઈ ગયા હતા. આ વિસ્તારને સીલ કરાયા છે. મૂવમેન્ટ પર રોક લગાવવાની સાથે રેન્ડમ ટેસ્ટિંગ પણ કરવામાં આવી રહ્યા છે. જે વિસ્તાર હોટસ્પોટ બન્યા છે ત્યાં પોલીસ દ્વારા કોર્ડન ઓફ કરાઈ રહ્યો છે. માસ્ક ન રહેરનારા પાસે ભારે દંડ વસૂલવામાં આવી રહ્યો છે.
15 ઓગષ્ટ 2022ના રોજ દેશ 75મો સ્વતંત્રતા દિન ઉજવશે, તેના 75 સપ્તાહ અગાઉ પીએમ મોદીએ આઝાદીના અમૃત મહોત્સવનો ગાંધી આશ્રમથી પ્રારંભ કરાવ્યો છે. આ પર્વની શરુઆત કરાવતા પીએમે જણાવ્યું હતું કે 15 ઓગષ્ટ 2023 સુધી આઝાદીનો અમૃત મહોત્સવ દેશભરમાં ઉજવવામાં આવશે. દેશના દરેક નાગરિકને તેનો હિસ્સો બનવા માટે પણ પીએમે અપીલ કરી હતી. તેમણે આ પ્રસંગે આઝાદીના અમૃત મહોત્સવની વેબસાઈટ india75.nic.in પ્રારંભ કરાવ્યો હતો.
પીએમે આજે ગાંધી આશ્રમથી આજે દાંડીયાત્રાનો પણ પ્રારંભ પણ કરાવ્યો હતો. દાંડીયાત્રાના 91મા વર્ષે નીકળેલી આ યાત્રા 06 એપ્રિલના રોજ દાંડી પહોંચશે, જેમાં 81 લોકો જોડાયા છે. આજના કાર્યક્રમનો હિસ્સો બનવા માટે પીએમ મોદી કળા-સાહિત્ય, નાટ્ય જગત, ફિલ્મ જગત અને ડિજિટલ એન્ટરટેઈન્મેન્ટટ સાથે સંકળાયેલા લોકોને આગ્રહ કર્યો હતો કે તેઓ દેશના ભૂતકાળમાં વિખરાયેલી પડેલી અનેક વાર્તાને શોધીને તેમને જીવંત બનાવે.
દેશ 75મા આઝાદી પર્વની ઉજવણી કરવા જઈ રહ્યો છે, ત્યારે પીએમે દેશની ઉપલબ્ધીનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે આજે પણ દેશની ઉપલબ્ધીઓ માત્ર આપણી નથી, પરંતુ આખી દુનિયાને રોશની બતાવનારી છે, માનવતાની આશા જગાવનારી છે. ભારતની આત્મનિર્ભરતાથી ઓતપ્રોત આપણી વિકાસ યાત્રા આખી દુનિયાની વિકાસ યાત્રાને ગતિ આપનારી છે.
પીએમ મોદીએ ગાંધીઆશ્રમની વિઝિટર્સ બુકમાં લખેલો સંદેશ પીએમે જણાવ્યું હતું કે, આપણે ભારતીય ચાહે દેશમાં હોઈએ કે પછી વિદેશમાં, આપણે પોતાની મહેનતથી પોતાની જાતને સાબિત કરી છે. આપણને આપણા બંધારણ, લોકતાંત્રિક પરંપરાઓ પર ગર્વ છે. લોકતંત્રની જનની ભારત આજે પણ લોકતંત્રને મજબૂતી આપતા આગળ વધી રહ્યું છે.
દેશની આઝાદીની લડાઈને યાદ કરતા પીએમે જણાવ્યું હતું કે, દેશના આ ગૌરવનું જતન કરવા માટે છેલ્લા છ વર્ષથી સજાગ પ્રયાસ કરાઈ રહ્યા છે. દરેક રાજ્ય, દરેક ક્ષેત્રમાં આ દિશામાં પ્રયાસ કરાઈ રહ્યા છે. દાંડીયાત્રા સાથે જોડાયેલા સ્થળનો પુનરુદ્ધાર પણ બે વર્ષ પહેલા જ કરાયો છે.
દાંડીયાત્રાનો ઉલ્લેખ કરતા પીએમે જણાવ્યું હતું કે, તેનો પ્રભાવ અને સંદેશ પણ એવો જ છે, જે આજે દેશ અમૃત મહોત્સવના માધ્યમથી લઈને આગળ વધી રહ્યો છે. આપણા દેશમાં મીઠાનું મૂલ્ય ક્યારેય તેની કિંમતથી આંકવામાં નથી આવ્યું. આપણે ત્યાં તેનો મતલબ છે વફાદારી, વિશ્વાસ અને વફાદારી. ગાંધીજી આ દર્દને સમજ્યા, અને જન-જન સાથે સંકળાયેલી નાડીને પકડી, અને જોતજોતામાં જ આ આંદોલન દરેક ભારતીયનું આંદોલન બની ગયું, અને દરેક ભારતીયનો સંકલ્પ બની ગયો.
Surat Mayor Hemali Boghawala with PM Shri Modi, File Photo
સુરત મહાનગરપાલિકાના મેયર તરીકે હેમાલી બોઘાવાલા તેમજ સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન તરીકે ચેમ્બર ઓફ કોમર્સના માજી પ્રમુખ પરેશ પટેલની વરણી કરવામાં આવી છે. ડેપ્યુટી મેયર તરીકે દિનેશ જોધાણી તેમજ શાસક પક્ષના નેતા તરીકે અમિતસિંહ રાજપૂતની વરણી કરવાનો મેન્ડેટ ભાજપના પ્રદેશ મોવડી મંડળે આપ્યો હતો.
ટીમ ઈન્ડિયા સામે હવે ટી20 ચેલેન્જ છે. ઈંગ્લેન્ડ સામે પાંચ ટી20 ઈન્ટરનેશનલ મેચની શ્રેણીનો પહેલો મુકાબલો શુક્રવારે રમાશે. ભારતીય ટીમની નજર શ્રેણી જીતવા ઉપરાંત ભારતમાં જ આયોજીત ટી20 વર્લ્ડકપ માટે પરફેક્ટ સંયોજન શોધવા ઉપર રહેશે. અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે.
કેપ્ટન વિરાટ કોહલીનું મુખ્ય લક્ષ્ય શ્રેણી મારફતે ઓક્ટોબરમાં થનારા વિશ્વકપ માટે ખેલાડીઓને પસંદ કરવા ઉપર રહેશે. ભારતીય કેપ્ટન આ માટે ઈયોન મોર્ગનની આગેવાનીની દુનિયાની નંબર 1 ટી20 ટીમથી વધારે સારા પ્રતિદ્વંદ્વીની આશા કરી શકે નહી.
શ્રેણી દરમિયાન સપાટ પીચ ઉપર ખૂબ રન બનવાની સંભાવના છે. તેવામાં ભારતીય બોલરો માટે સ્થિતિ સરળ નહી રહે. ઈંગ્લેન્ડના આક્રમક વિકેટકીપર જોશ બટલરે કહ્યું હતું કે, ઈંગ્લેન્ડ માટે આ શાનદાર તક છે કે અલગ પરિસ્થિતિમાં રમવાનો મોકો મળી રહ્યો છે અને જ્યાં વિશ્વકપ પણ રમાવાનો છે.
ભારત પાસે દરેક સ્થળ માટે અલગ અલગ વિકલ્પ છે અને તેવામાં આ કેપ્ટન માટે સારો માહોલ છે. જો કે ઘણી વખત મુશ્કેલ સ્થિતિ પણ બની શકે છે. જેમ કે 2019માં ટૂર્નામેન્ટમાં ભારત પાસે નિયમિત રૂપે ચોથા ક્રમાંકનો બેટ્સમેન નહોતો.
અનુભવને ધ્યાને લઈને કોહલી અને મુખ્ય કોચ રવિ શાત્રી ઈચ્છશે કે તેઓ નિર્ણય કરે કે વિશ્વકપમાં રોહિત શર્મા સાથે ઈનિંગની શરૂઆત કોણ કરશે. તેમની પાસે કેએલ રાહુલ અને શિખર ધવનના રૂપમાં બે વિકલ્પ છે.
સામાન્ય રીતે સીમિત ઓવરના અંતિમ ઈલેવનમાં રાહુલની પસંદગી લગભગ નક્કી છે. પરંતુ વૈશ્વિક પ્રતિયોગિતામાં શિખર ધવને હંમેશા શાનદાર પ્રદર્શન કર્યું છે અને ટીમના સૌથી સીનિયર ખેલાડીઓમાંથી એક છે. કોહલી જો ધવનને તક આપવાનો નિર્ણય કરશે તો રાહુલને ચોથા ક્રમાંકે ઉતરવું પડશે.
આ મુશ્કેલ નિર્ણય છે જે કોહલીએ લેવાનો છે. કારણ કે બન્ને રમશે તો શ્રેયસ અય્યર અથવા આકરી મહેનત બાદ ટીમમાં જગ્યા મેળવનારા સૂર્યકુમાર યાદવને બહાર બેસવું પડશે. શ્રેયસ અને સૂર્યકુમાર ચોથા કે પાંચમા ક્રમાંકે આક્રમક બેટિંગ કરે છે.’ ટીમ પ્રબંધન તેનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરશે.
મોટેરા પીચ નિશ્ચિત રીતે સપાટ રહેશે. બન્ને ટીમમાં ઘણા આક્રમક બેટ્સમેન છે અને તેવામાં દર્શકોને ઢગલાબંધ બાઉન્ડ્રી જોવા મળી શકે છે.
ભારત પાસે ઉપકેપ્ટન રોહિત ઉપરાંત ઋષભ પંત અને હાર્દિક પંડયા જેવા તોફાની બેટ્સમેન છે. જ્યારે ઈંગ્લેન્ડની ટીમમાં ઈયોન મોર્ગન, બેન સ્ટોક્સ, જોસ બટલર, ડેવિડ મલાન અને જેસન રોય જેવા આક્રમક બેટ્સમેન છે.
ટી નટરાજન ઉપલબ્ધ ન હોવાથી બોલિંગ આક્રમણની આગેવાની વાપસી કરનારો ભૂવનેશ્વર કુમાર કરશે. જ્યારે સીનિયર સ્પિનર યુજવેન્દ્ર ચહલ તેનો સાથ આપશે. ચહલને વોશિંગ્ટન સુંદર અને અક્ષર પટેલ બન્નેનો સાથ મળી શકે છે. ત્યારબાદ શાર્દુલ ઠાકુર, દીપક ચહર અને નવદીપ સૈનિમાંથી કોઈ એકને તક મળશે.
ભારતમાં ઓનલાઈન શોપિંગ માટે હવે એમેઝોન, ફિલ્પકાર્ટ સિવાય વધુ એક મોટુ પોર્ટલ ઉપલબ્ધ થયુ છે. ટોચની ઈ કોમર્સ કંપનીઓને ટક્કર આપવા દેશી ભારત ઈ માર્કેટ મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવી છે. એવો દાવો કરાયો છે કે આ પ્લેટફોર્મ પર સૌથી સસ્તા દરે સામાન અને સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આશરે 8 કરોડ વેપારીઓના બનેલા સંગઠન કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (સીએઆઈટી) એ વેન્ડર મોબાઈલ એપ્લીકેશન ભારત ઈ માર્કેટ ગુરુવારે દિલ્હીમાં લોન્ચ કરી હતી. જે સીધી રીતે એમેઝોન અને ફિલપકાર્ટને ટક્કર આપશે. તે સંપૂર્ણ રીતે સ્વદેશી ઈ કોમર્સ પ્લેટફોર્મ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વોકલ ફોર લોકલ વિઝન પર આધારીત આ પ્લેટફોર્મ અંગે સીએઆઈટીએ દાવો કર્યો છે કે ડિસેમ્બર ર0ર1 સુધીમાં તેમાં 7 લાખ ટ્રેડર્સ જોડવાનો અંદાજ છે અને ડિસેમ્બર ર0ર3 સુધીમાં તેમાં 1 કરોડ ટ્રેડર્સ જોડાઈ જશે. આવુ થતાં જ તે દુનિયાનું સૌથી મોટુ ઈ કોમર્સ પ્લેટફોર્મ બની જશે. આ દેશી મોબાઈલ એપની હરિફાઈ વિશ્વની ટોચની ઈ કોમર્સ કંપનીઓ એમેઝોન, ફિલ્પકાર્ટ અને અલીબાબા સાથે થશે. આ પોર્ટલ પર વેપારીથી વેપારી અને વેપારીથી ગ્રાહક વચ્ચે માલનું ખરીદ-વેચાણ કરી શકાશે.’
ભારત ઈ માર્કેટ પર પોતાની ઈ દુકાન ખોલવા વ્યક્તિએ મોબાઈલ એપથી સૌપ્રથમ રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ખાસ બાબત એ છે કે તેમાં નોંધાયેલી કોઈ માહિતી વિદેશ નહીં જાય કારણ કે આ સંપૂર્ણ સ્વદેશી એપ છે. કોઈ પણ વિદેશી ફંડને આ પ્લેટફોર્મ પર સ્વીકારવામાં નહીં આવે. કોઈ પણ વેપારી મેડ ઈન ચાઈના માલ અહીં નહીં વેંચે. દેશના વિવિધ ભાગોમાં ફેલાયેલા વેપારીઓ, કારીગરો, શિલ્પકારો, ઉત્પાદકોને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય બજાર ઉપલબ્ધ થશે. આ પોર્ટલ પર કારોબારમાં કોઈ કમિશન વસૂલવામાં નહીં આવે.
તાજેતરમાં ઉત્તરાખંડ સહિત ૧૭ રાજ્યમાં ‘વન નેશન-વન રાશન કાર્ડ’ યોજનાનો અમલ કરાયો હોવાની માહિતી કેન્દ્રના નાણાં મંત્રાલયે જાહેર કરી હતી.
‘વન નેશન-વન રાશન કાર્ડ’ યોજનાનો અમલ કરનાર રાજ્યને ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ્ (જીએસડીપી)નાં ૦.૨૫ ટકા વધારાનું ઋણ લેવાની પરવાનગી આપવામાં આવે છે.
આ રીતે ખર્ચ વિભાગ તરફથી આ રાજ્યોને રૂ. ૩૭,૬૦૦ કરોડનું વધારાનું ઋણ લેવાની પરવાનગી આપવામાં આવી હોવાની માહિતી નાણાં મંત્રાલયે આપી હતી.
‘વન નેશન-વન રાશન કાર્ડ’ યોજનાનો અમલ કરાયા બાદ લાભકર્તાને નેશનલ ફૂડ સિક્યોરિટી ઍક્ટ (એનએફએસએ) અને અન્ય કલ્યાણ યોજનાના લાભ સસ્તા દરની દુકાન (એફપીએસ)માં મળે છે.
આ યોજનાનો લાભ મુખ્યત્વે સ્થળાંતર કરતા મજૂરો, હંગામી કર્મચારીઓ, શ્રમિકો, કાગળ વિણવાનું કામ કરનારા અને રસ્તા પર રહેતા લોકોને મળે છે. આ યોજના હેઠળ તેઓ જે રાજ્યમાં રહેવા જાય, ત્યાં એમને સસ્તા દરે રાશનની દુકાનમાંથી રાશન મળી શકશે. આવા લોકો કોઇપણ ઇલેક્ટ્રોનિક પોઇન્ટ ઑફ સેલ (ઇ-પીઓએસ) ધરાવતી રાશનની દુકાનમાંથી રાશન મેળવી શકે છે.
કોવિડ-૧૯નાં રોગચાળા દરમિયાન આવી રહેલા અનેક પડકારોનો સામનો કરવાની બાબતને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે આવા રાજ્યોની વધારાનું ઋણ મેળવવાની મર્યાદા વધારીને જીએસડીપીના બે ટકા કરી છે.
કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીના ભાજપના સાંસદ મોહન ડેલકર આત્મહત્યા કેસમાં મહારાષ્ટ્ર પોલીસને મળેલી સુસાઇડ નોટના આધારે આજરોજ તા.10મી માર્ચે પોલીસે એક એફ.આઇ.આર. નોંધી છે. જેમાં સંઘ પ્રદેશના શાસક પ્રફુલ્લ પટેલ સમેત કુલ 7 લોકોના નામો સામેલ કરાયા છે.
સાંસદ મોહન ડેલકરે આપઘાત પહેલા લખેલી 15 પાનાની એક સુસાઈડ નોટ પોલીસને મળી હતી, જેમાં કથિત રીતે તેમણે પોતાના મોત માટે ઉચ્ચ અધિકારીઓ અને પ્રદેશના એડમિનિસ્ટ્રેટર સહિતનાને જવાબદાર ગણાવ્યા હતા. મળતી માહિતી પ્રમાણે મહારાષ્ટ્ર પોલીસની એફઆઈઆરમાં ભાજપના એક સીનિયર નેતાનું પણ નામ છે. મહારાષ્ટ્ર સરકાર આ કેસની તપાસ એસઆઈટીને સોંપી છે.
મહારાષ્ટ્ર પોલીસે 17 દિવસ બાદ સંઘ પ્રદેશના એડમિનિસ્ટ્રેટર પ્રફુલ્લ ખોડા પટેલ, કલેક્ટર, નિવાસી નાયબ કલેક્ટર, પૂર્વ એસપી, ડીવાએસપી, લો સેક્રેટરી, પોલીસ ઈન્સ્પેક્ટર અને ભાજપના એક સીનિયર નેતા મળી કુલ 7 શખસો સામે દુસ્પ્રેરણા, ધાક-ધમકી આપવી, એટ્રોસિટી સહિત જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.