દાનવીર સુરતવાસીઓએ ધન-દૌલતના દાન ઉપરાંત જેનું દાન કરીને કોરોનાના ક્રિટીકલ દર્દીઓને જીવનદાન આપવામાં રાજ્યમાં જ નહીં પણ દેશમાં વિક્રમ સર્જ્યો છે એ પ્લાઝમા થેરાપીને કોરોનાની ટ્રીટમેન્ટ પ્રોટોકોલમાંથી દૂર કરી દેવામાં આવી છે. કોરોનામાંથી સાજા થઇ ગયેલા સુરતના નાગરીકોએ પોતાના લોહીમાં રહેલા પ્લાઝમાનું દાન કરવામાં ભારે જાગૃતિ દાખવી અને રાજ્ય અને દેશમાં પ્લાઝમા ડોનેશનમાં પણ પ્રેરણાદાયી કાર્ય કર્યું હતું.
કોરોનાની સારવારમાં પ્લાઝ્મા થેરાપીને અત્યાર સુધી કારગત માનવામાં આવતી હતી પણ હવે કેન્દ્ર સરકારે કોવિડનાં દર્દીઓનાં ઈલાજ માટેની સૂચિત ઉપચાર પદ્ધતિઓમાંથી પ્લાઝ્મા થેરાપીને હટાવી દીધી છે.
પ્લાઝમા ડોનેશન માટે રાજ્ય અને સુરત મહાનગરપાલિકાએ જબરદસ્ત જનજાગૃતિ અભિયાન છેડ્યું હતું
Symbolic Photo of collected Plasma. The Indian Council of Medical Research (ICMR) has finally dropped its espousal of convalescent plasma therapy (CPT) as treatment for moderate COVID-19 in its latest guidelines.
સરકારને ધ્યાને આવ્યું હતું કે, કોરોનાની સારવારમાં પ્લાઝ્માથી ગંભીર બીમારી દૂર કરવામાં અને મૃત્યુનાં કેસ ઘટાડવામાં પ્લાઝ્મા ઉપયોગી પુરવાર થઈ નથી.
આઈસીએમઆરનાં એક અધિકારીનાં જણાવ્યા અનુસાર ક્લિનિકલ ગાઈડન્સ ફોર મેનેજમેન્ટ ઓફ એડલ્ટ કોવિડ-19 પેશન્ટમાં સુધારો કરી નાખવામાં આવ્યો છે. જેમાં અત્યાર સુધી સમાવિષ્ટ કોરોનામાંથી સ્વસ્થ થયેલી વ્યક્તિનાં પ્લાઝ્માની હવે બાદબાકી કરી નાખવામાં આવી છે.
કોરોનાનાં ઈલાજ માટે રચાયેલી ટાસ્કફોર્સનાં સદસ્ય આઈસીએમઆરની ગત સપ્તાહે એક બેઠક મળી હતી અને તેમાં પ્લાઝ્માને કોરોનાની સારવારમાંથી હટાવવા માટે સહમતી બની હતી. ત્યાર બાદ તેની ભલામણ સરકારને કરી દેવામાં આવી હતી. ચિકિત્સા નિષ્ણાતો અને વિજ્ઞાનીઓએ પણ મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર કે.વિજયરાઘવનને પત્ર લખીને પ્લાઝ્મા થેરાપીને તર્કહીન અને અવૈજ્ઞાનિક ગણાવી હતી. રસીવિદ ગગનદીપ કાંગ, સર્જન પ્રમેશ સી.એસ. અને અન્ય દ્વારા હસ્તાક્ષરિત પત્રમાં કહેવામાં આવ્યું હતું કે, પ્લાઝ્માનાં તર્કહીન ઉપયોગથી વાયરસનાં નવા સ્ટ્રેન વિકસિત થવાની સંભાવના પણ વધી જાય છે.
વિશ્ર્વબજારમાં ક્રૂડ તેલના વધી રહેલા ભાવને કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે અને મંગળવારે મુંબઇમાં પેટ્રોલનો ભાવ રૂ. ૯૯ને પાર કરીને રૂ. ૯૯.૧૪ અને ડીઝલનો ભાવ વધીને રૂ. ૯૦.૭૧ થયો હતો.
તેલ કંપનીઓ દ્વારા મંગળવારે પેટ્રોલના ભાવમાં લિટરદીઠ ૨૭ પૈસા અને ડીઝલના ભાવમાં લિટરદીઠ ૨૯ પૈસાનો વધારો જાહેર કરાયો હતો. આ મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મંગળવારે દસમી વખત વધારો કર્યો હતો.
મુંબઇમાં પેટ્રોલનો ભાવ લિટરદીઠ ૨૭ પૈસા વધીને રૂ. ૯૯.૧૪ અને ડીઝલનો ભાવ ૨૯ પૈસા વધીને રૂ. ૯૦.૭૧ થયો હતો. દિલ્હીમાં પેટ્રોલનો ભાવ લિટરદીઠ વધીને રૂ. ૯૨.૮૫ અને ડીઝલનો ભાવ વધીને રૂ. ૮૩.૫૧ થયો હતો.
દરેક રાજ્યના સ્થાનિક કર (વેટ)માં તફાવત હોવાને કારણે પેટ્રોલ અને ડીઝલનો ભાવ દેશના દરેક રાજ્યમાં જુદો હોય છે.
આ મહિનામાં બંને બળતણના ભાવમાં દસ વખત થયેલા ભાવવધારામાં પેટ્રોલના ભાવમાં પ્રતિલિટર રૂ. ૨.૪૬ અને ડીઝલના ભાવમાં રૂ. ૨.૭૮નો વધારો કરવામાં આવ્યો હતો.
તેલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આંશિક ઘટાડો કરાયા બાદ ૧૫મી એપ્રિલથી ભાવ સ્થિર રાખવામાં આવ્યા હતા અને યોગાનુયોગે એ દરમિયાન પાંચ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાઇ હતી.
મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં અમુક ઠેકાણે પેટ્રોલના ભાવે પ્રતિ લિટર રૂ. ૧૦૦ની સપાટી ઘણા દિવસ અગાઉ જ પાર કરી હતી. દેશમાં સૌથી વધુ પેટ્રોલ અને ડીઝલ રાજસ્થાનના શ્રીગંગાનગરમાં છે, ત્યાં પેટ્રોલનો ભાવ પ્રતિલિટર રૂ. ૧૦૩.૮૦ અને ડીઝલનો ભાવ પ્રતિલિટર રૂ. ૯૬.૩૦ છે.
આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ તેલનો ભાવ ઘટયા બાદ ૨૪મી માર્ચે પેટ્રોલના ભાવમાં ચોથી વખત ૧૫ અને ડીઝલના ભાવમાં ૧૬ પૈસાનો ઘટાડો કરાયો હતો. ૨૪મી માર્ચથી ચાર વખત બળતણમાં ભાવમાં કરાયેલા ઘટાડામાં પેટ્રોલના ભાવમાં ૬૭ પૈસા અને ડીઝલના ભાવમાં ૭૪ પૈસાનો ઘટાડો લિટરદીઠ કરવામાં આવ્યો હતો.
ભારતમાં કોવિડ-૧૯ના વધી રહેલા કેસને કારણે માગમાં ઘટાડો થયો હોવા છતાં અમેરિકાની વધેલી માગ અને ડૉલર નબળો પડવાને કારણે આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ તેલના ભાવ વધ્યા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર ૨૭મી એપ્રિલથી આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ તેલનો ભાવ સતત વધી રહ્યો છે. બંને બળતણની માગને ધ્યાનમાં લેતા આવનાર દિવસો દરમિયાન આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ તેલનો ભાવ વધવાનો અંદાજ જાહેર કરાયો છે.
સરકારી તેલ કંપનીઓ ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશન લી. (આઇઓસી), ભારત પેટ્રોલિયમ કૉર્પોરેશન લિ. (બીપીસીએલ) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કૉર્પોરેશન લિ. (એચપીસીએલ) દ્વારા આંતરરાષ્ટ્રીય બજારો પ્રમાણે ભાવમાં રોજ વધઘટ થતી રહે છે.
તેલ કંપનીઓ દ્વારા આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ તેલના વધેલા ભાવ તરફ અંગૂલીનિર્દેશ કરીને ભાવવધારો કરવાનો ઇશારો કર્યો હતો, પણ અનેક રાજ્યોમાં ચૂંટણી ચાલતી હોવાથી ભાવવધારો કરાયો નહોતો.
ઉત્તરાખંડમાં આવેલા હિંદુઓના પવિત્ર ચારધામમાંના એક ધામ બદરીનાથ ધામના દ્વાર મંગળવારે વહેલી સવારે ધાર્મિકવિધિપૂર્વક ખોલવામાં આવ્યા હતા. મંદિરના મુખ્ય પૂજારીએ સવારે ૪.૧૫ કલાકે વૈદિક મંત્રોચ્ચાર કરી મંદિરના દ્વાર ખોલ્યા હતાં.
કોરોના રોગચાળાને ધ્યાનમાં લઇને સાદગીપૂર્વક ધાર્મિકવિધિ પાર પાડવામાં આવી હતી. સામાન્ય સંજોગોમાં મંદિરના દ્વાર ખૂલવા સમયે હજારો યાત્રાળુઓની ભીડ રહેતી હોય છે, પણ કોરોનાને કારણે સતત બીજા વર્ષે અહીં સાદગીપૂર્વક ધાર્મિકવિધિ પાર પાડવામાં આવી છે.મંદિરને આઠ ક્વિન્ટલ ગલગોટાના ફૂલોથી શણગારવામાં આવ્યું હતું.
બદરીનાથ ધામના દ્વાર ખૂલવાની સાથે હવે ચારેધામ ખૂલી ગયા છે. કેદારનાથના દ્વાર સોમવારે ખૂલ્યાં હતાં. યમનોત્રીના દ્વાર ૧૪ મે અને ગંગોત્રીના દ્વાર ૧૫મેએ ખૂલ્યાં હતાં.
ગંગોત્રી, યમનોત્રી, બદરીનાથ અને કેદારનાથ એ હિંદુઓના પવિત્ર ચારધામ ગણાય છે.
કોરોના વૈશ્વિક મહામારી એ સામાન્ય જનજીવન પર કપરી અસર કરી છે. ખાસ કરીને ગરીબ વર્ગનાં લોકોને ખૂબ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આવા સમયે, લોકોની ફરજ બને છે, જરૂરિયાત મંદ લોકો સામે મદદનો હાથ લંબાવાની. આ જ નેક વિચાર ને ધ્યાનમાં રાખીને, ભરૂચ સ્થિત સાહિત્યિક ગ્રુપ “ધ ટ્વેન્ટી ફિફ્થ હવર” એ રવિવાર તારીખ 16 મે ના રોજ “ગુફ્તગૂ : અ હેલપિંગ હેન્ડ” નામનાં ચેરિટી ઓપન માઇક નું આયોજન કરેલ હતું.
આ લોકો ઓપન માઇક સ્પર્ધામાં જોડાયા હતા.
અંકિત પટેલ
શિવાની ચોલેરા
વસીમ રાજા
શિવાની પટેલ
અભિષેક શર્મા
મનન શાહ
ભાર્ગવ દવે
હર્ષ પ્રજાપતિ
સોહમ દવે
ઉપેન્દ્ર
મિતાન્શુ બારોટ
રાજ શાહ
આ ઓપન માઇક નો મુખ્ય હેતું જરૂરિયાત મંદ ગરીબ લોકો માટે મદદ રાશિ એકત્ર કરવાનો હતો. કુલ 12 કલાકારો એ સંગીત, કાવ્ય પઠન, સ્ટોરી ટેલિંગ, બીટ બોક્સિંગ અને સ્ટેન્ડ-અપ કૉમેડી ની પ્રસ્તુતિ કરી હતી. કુલ 65 પ્રેક્ષકોએ “ઝૂમ” ના માધ્યમથી આ કાર્યક્રમનો આનંદ માણ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન, ટિકિટ વેચાણ અને અનુદાન મારફતે કુલ ૱ 21400 એકત્ર કરવામાં આવ્યા હતા. આ પૂરી રકમ “ગ્રામ વિકાસ ટ્રસ્ટ” ને આપવામાં આવશે, જેનો ઉપયોગ અંતિમ પંક્તિના ગામડાઓમાં રાશન કીટ અને ફૂડ પેકેટ આપવામાં થશે. ટીમ ધ” ટ્વેન્ટી ફિફ્થ હવર” આ સાથે જ યુવા કલાકારો અને સમાજના અન્ય વર્ગો ને કહેવા માંગે છે કે તેઓ પણ આ મુશ્કિલ સમયમાં આગળ આવે અને જરૂરિયાતમંદો ની મદદ કરે.
Guftagoo – A Helping Hand
The pandemic has brought great misery to the lives of people. Almost every sector of the society has been affected, particularly the poor and the marginal. During these tough times, it becomes imperative that a helping hand should be extended to the ones in need. With this noble thought, “The Twenty Fifth Hour”, a literature community based in Bharuch organized “Guftagoo – A Helping Hand”, an online charity show for COVID relief on 16th May (Sunday). The event featured 12 performers showcasing their talent in various fields like poetry, story telling, music, beatboxing and standup comedy. A total of 65 participants ended the event. In the course of the event, a total amount of Rs 21400 was raised by ticket sales and voluntary donations. The entire contributions would be donated to “Gram Vikas Trust” a charity working for COVID relief in 300+ villages of South Gujarat. The amount would be used to distribute food packets and ration kits to the rural areas, which are the most affected by this pandemic. With this, Team Twenty Fifth urges all the young artists to come forward and help the society in whatever capacity they can.
ગુજરાત પર 17મી મેની રાતથી ત્રાટકેલા તૌકતે વાવાઝોડાને કારણે રાજ્યભરમાં ભારે નુકસાન થયું છે. મળતા પ્રાથમિક અહેવાલો મુજબ તૌકતે વાવાઝોડાને લીધે બનેલી જુદી જુદી ઘટનાઓમાં 4 લોકોના કમનસીબે મોત નિપજ્યા હોવાના અહેવાલો છે.
તા.18મીએ સવારે મળેલા પ્રાથમિક રિપોર્ટ મુજબ ગુજરાતમાં અંદાજે 452 જેટલા વીજ થાંભલા ધરાશાયી થયા જેના કારણે 2770 ગામોમાં અંધારપાટ છવાઈ ગયો. આ ઉપરાંત 145 જેટલા રસ્તાઓને નુકસાન થયું છે. ભારે પવન સાથે વરસાદ પડતા 337 જેટલા ઝાડ પણ પડ્યા છે. રાજ્યના અધિક મુખ્ય સચિવ પકંજકુમારના જણાવ્યા અનુસાર આજે સાંજ સુધી વાવાઝોડાની અસર રહેશે. જેથી રાત સુધી તકેદારી રાખવી ખૂબ જ જરૂરી છે.
ગુજરાતની ભૂમિ પર ઉના-દિવ વચ્ચે તૌઉ’તે વાવાઝોડું ટકરાવાની આખી (લેન્ડ ફોલિંગ) પ્રક્રિયા 4 કલાક સુધી ચાલી
ગઇ કાલે એટલે કે તા.17મી મે 2021ની રાત્રે 8 વાગ્યાથી તૌઉ’તે વાવાઝોડું ગુજરાતના દીવ-ઉના વચ્ચે લેન્ડફોલ થયું હતું, 180 કિમી પ્રતિ કલાકની સ્પીડ સાથે મસમોટો એરીયા ધરાવતું વાવાઝોડું જ્યારે દરીયા પરથી ગુજરાતની ભૂમિ પર આવ્યું ત્યારે ન ભૂતો ન ભવિષ્યતિ અફરાતફરી જોવા મળી હતી. લોકો ઘરોમાં કે સલાતમ સ્થળો પર હતા ત્યારે તૌઉ’તે વાવાઝોડાએ ભારે વિનાશ સર્જ્યો હતો. તાઉતે વાવાઝોડું હવે દરીયા પરથી ગુજરાતની ભૂમિ પર છે અને હજુ 12થી 15 કલાક બાદ તબક્કાવાર એ વિખેરાય જશે.
સૌથી વધુ અસરગ્રસ્ત ઉના-ગીર-કોડીનારમાં
તૌઉ’તે વાવાઝોડું ગુજરાતમાં ઉના અને દીવની વચ્ચે લેન્ડફોલ થયું ત્યારે 180થી 185 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન અને વરસાદ ફૂંકાયો, નજરે જોનારા લોકોએ સોશ્યલ મિડીયામાં પોતાના અનુભવો શેર કરતા જણાવ્યું કે તૌઉ’તે એટલું તીવ્ર ગતિએ આવ્યું કે વાવાઝોડાના માર્ગમાં જે આવ્યું તે હવામાં ફંગોળાયું હતું. સૌથી વ્યાપક અસરો ગીર અને ઉનામાં થઇ છે, અહીં થયેલા નુકસાનની તસ્વીરે સવાર પડતા જ સામે આવી રહી હતી.
એ સિવાય અમરેલી, જાફરાબાદ, ધારી, રાજુલા, મહુવા, પીપાવાવ, ખાંભા ખાતે પણ તૌઉ’તે વાવાઝોડાએ ભારે વિનાશ વેર્યો હોવાના દ્રશ્યો આજે તા.18મીએ સવાર પડતા જ સામે આવવા માંડ્યા છે.
વાવાઝોડાંને કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં તોફાની પવનો સાથે ધોધમાર વરસાદ પડતાં ઠેર-ઠેર પાણી ભરાવવાની સાથે વીજળી ડૂલ થઈ ગઈ છે. એટલું જ નહીં, કેટલીક જગ્યાએ ઝાડ પડ્યા હોવા ઉપરાંત નુક્સાન થયું હોવાની વિગતો પણ સાંપડી રહી છે. સદનસીબે વાવાઝોડાને કારણે કોઈ જાનહાનિ થયાનું હજુ સુધી ધ્યાને આવ્યું નથી.
ગુજરાતની ભૂમિ પર ટકરાયું વાવાઝોડું ત્યારે કેટલી સ્પીડે પવન ફૂંકાયો જુઓ આ વિડીયો
#CyclonTauktae से सबसे ज्यादा प्रभावित जगहो में ऊना और गिर रहा।
अमरेली,जाफराबाद,धारी,राजुला और महुवा में भी काफी असर रहा।
जाफराबाद और पिपावाव में 185 KMPH से हवाए चली थी।
21 तहसील में 1 इंच से ज्यादा जबकि ऊना में 5.5 इंच,ख़ाम्भा में 4.5 इंच और महुवा में 3.5 बारिश दर्ज हुई। pic.twitter.com/avzn6VH1A7
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને 18મી મે એ વહેલી સવારથી શહેરના માર્ગો પર વેરણછેરણ પડેલા વૃક્ષો હટાવીને રોડ ખુલ્લા કરવાની કામગીરી હાથ ધરી હતી.
સવારે 10 કલાકે હવામાન ખાતેએ જારી કર્યા ગ્રાફિક
ગુજરાતના 78 તાલુકાઓમાં 6 ઇંચ સુધી વરસાદ વરસ્યો
તૌઉ’તે વાવાઝોડાની અસર રૂપે ગુજરાતભરમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે. મે માસમાં આવો વરસાદ ગુજરાતમાં ક્યારેય પડ્યો નથી. છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના 78 તાલુકામાં છ ઈંચ સુધી વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ છ ઈંચ વરસાદ વલસાડના ઉમરગામમાં છ ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. આ સિવાય ગીર સોમનાથમાં ઉનામાં અઢી ઈંચ, મહુવામાં ત્રણ ઈંચ, જામનગરમાં બે ઈંચ, રાજકોટમાં અઢી ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. અમરેલી જિલ્લામાં પણ ધમધોકાર વરસાદ થયો હોવાના અહેવાલ છે.
સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ તા.18મી મે 2021ની સવારે ટ્વીટ કરીને જાણકારી આપી
Surat city experiencing 80-90kmph wind speed. Heavy to very heavy rainfall expected. All citizens are requested to take all precautions. Stay safe #CycloneTaukte
ભારતની પશ્ચિમ દરિયાઈ પટ્ટી પરથી ગુજરાત તરફ આવી રહેલું તૌકતે વાવાઝોડું મહારાષ્ટ્રના અલગ-અલગ ભાગો અને મુંબઈમાં પોતાનું રૌદ્ર સ્વરુપ દર્શાવી રહ્યું છે. વાવાઝોડાના કારણે મુંબઈમાં ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદ થઈ રહ્યો છે. મુંબઈમાં બે લોકોના મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે. અગાઉ રાજ્ય સરકાર દ્વારા વાવાઝોડાની સામે કોઈ મુશ્કેલ કે જાનહાની ના થાય તે માટે કેટલાક મહત્વના પગલા ભરવામાં આવ્યા હતા. મુંબઈમાં ઘણાં પરા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, અને ઝાડ તૂટી પડવાની ઘટનાઓ સામે આવી રહી છે. ઘાટકોપર અને વિક્રોલી વચ્ચે ઓવરહેડ વાયર પર ઝાડ પડવાના કારણે રેલવે વ્યવહાર અટકાવી દેવો પડ્યો છે. આ સિવાય એરપોર્ટ પણ 4 વાગ્યા સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
@ 2.30pm, 17/5 : દીવથી 162 km દૂર , લેન્ડફોલ વખતે 185 Kmphની ઝડપે પવન ફુંકાશે
છેલ્લા છ કલાકથી 15 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે વાવાઝોડું, કેટલાક બંદરો પર 10 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે. તૌઉ’તેનું ગુજરાત પર લેન્ડફોલ થવામાં હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે, ત્યારે જુનાગઢ, ગીર સોમનાથ અને અમરેલીના બંદર પર 10 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવાયું છે. 25 વર્ષ બાદ પહેલીવાર ગુજરાતના દરિયાકાંઠે આ સિગ્નલ લગાવવામાં આવ્યું હોવાથી લોકોમાં પણ ડરનો માહોલ ફેલાયો છે.
વાવાઝોડાંની સૌથી વધુ અસર દક્ષિણ અમદાવાદ, અમરેલી, આણંદ, કચ્છ, ભરુચ, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, જુનાગઢ, રાજકોટ, મોરબી, નવસારી, પોરબંદર, સુરત, વલસાડ અને બોટાદમાં દેખાય તેવી શક્યતા છે. આ તમામ 17 જિલ્લામાં સરકારે જોખમી વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવાની કવાયત શરુ કરી છે. આ ઉપરાંત, માછીમારોને પણ દરિયો ના ખેડવાની સૂચના આપવામાં આવી છે.
એક્સટ્રમલી સિવિયર વાવાઝોડું હવે સ્ટ્રોમમાં પરિવર્તિત થયું છે. તૌઉ’તે વાવાઝોડાની (cyclone) ગતિ હવે વધી રહી છે.
At 1pm 17/5 : અત્યંત તીવ્રતાથી ત્રાટકે તેવી સંભાવના
THE EXTREMELY SEVERE CYCLONIC STORM ‘TAUKTAE’ LAY CENTRED AT 1030 HRS IST OF TODAY NEAR LAT.19.1°N AND LONG. 71.5°E ABOUT 190 SOUTHEAST OF DIU.LIKELY TO MOVE NNW-WARDS AND CROSS GUJARAT COAST BETWEEN PORBANDAR & MAHUVA (BHAHVNAGAR DISTRICT) EAST OF DIU DURING THE NIGHT OF TODAY. pic.twitter.com/dFmudJI268
— India Meteorological Department (@Indiametdept) May 17, 2021
44 teams of NDRF along with SDRF, police and fire brigade teams have been deployed in coastal districts of #Gujarat likely to be hit by the severe cyclonic storm Tauktae today i.e. 17/5/21
ભારતના હવામાન વિભાગે ગુજરાત અને દીવને રેડ એલર્ટ જાહેર કર્યું છે. વાવઝોડું દીવથી 240 કિલોમીટર અને વેરાવળથી 280 કિલોમીટર દૂર છે. જો કે, હાલ આ વાવાઝોડું 20 કિમી પ્રતિકલાકની ઝડપે આગળ વધી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. વાવાઝોડાને પગલે જામનગરમાં 8 નંબર જ્યારે વેરાવળમાં 10 નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે.
તૌઉ’તે વાવાઝોડું વેરાવળથી 280 કિમી, દીવથી 240 કિમી દૂર
20 કિમી પ્રતિકલાકની ઝડપે આગળ વધી રહ્યું છે તૌઉ’તે વાવાઝોડું
દ્વારકા સહિતના વિસ્તારોમાં 108 એમ્બ્યુલન્સ તેમજ એસટી બસ સ્ટેન્ડ બાય પર છે
ગુજરાતના દરિયાકાંઠે પવનની ગતિ 150-160થી 175 પ્રતિ કલાક સુધી પહોંચી શકે
તા.17મી મે સવારે 10 કલાકે આ લખાઇ રહ્યું હતું ત્યારે અરબી સમુદ્રમાં તૌઉ’તે વાવાઝોડું ખૂબ જ ભીષણ ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થઇને ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારો તરફ પ્રતિ કલાક 16 કિ.મી.ની ઝડપે આગળ વધી રહ્યું છે. ભારત હવામાન ખાતા (આઈએમડી) એ રવિવાર તા.16મી મેએ કરેલી આગાહી અનુસાર આજરોજ તા.17 મેની સાંજ સુધીમાં તૌઉ’તે ઉત્તર પશ્ચિમ તરફ ગુજરાતના દરિયાકાંઠે પહોંચે તેવી સંભાવના છે. 18મીએ બપોરે પોરબંદર અને મહુવા વચ્ચે ગુજરાતના દરિયાકાંઠાને પાર કરતું આગળ વધશે.
@ 10 am, 17/5/2021
હાલ ગુજરાત થી 280 કીમી દૂર તેમજ દીવ થી 240 કીમી દૂર છે. ???? મુંબઈ થી 150 કીમી દૂર છે. ???? ગુજરાતમાં આજે રાત્રે 08.00 થી 10.00 વાગ્યાની વચ્ચે પોરબંદર નજીક થી લેન્ડફોલ થશે. ???? હાલ 20 કીમી પ્રતિકલાક ની ઝડપે આગળ વધી રહ્યુ છે. ???? જામનગર 8 નંબરનુ સિગ્નલ આપવા આવ્યુ છે. ???? વેરાવળમા 10 નંબરનુ સિગ્નલ આપવામા આવ્યું છે. ???? ભારે થી અતિભારે વરસાદની આગાહી. ???? એસ.ટી. ની 30 બસો 1 બસ મા 5 ડ્રાઇવર કંડકટર સાથે સજ્જ ???? દરીયાકિનારાના અનેક લોકોને સ્થળાંતરની કામગીરી પુરજોશમાં ચાલુ. ???? 108 એમ્બ્યુલન્સ સંભવિત અસરકારક સ્થળો પર સ્ટેન્ડ બાય પર.
આઇએમડીએ દ્વારા ગુજરાત તથા દમણ અને દીવ માટે યલો એલર્ટ જારી કર્યું છે. આઇએમડીના ચક્રવાત ચેતવણી વિભાગ અનુસાર 18 મે સુધી પવનની ગતિ 150-160 કિમી પ્રતિ કલાકની ઝડપે વધવાની સંભાવના છે, જ્યારે પવનની ગતિ થોડો સમય માટે 175 કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચી શકે છે.
પૂર્વોત્તર અરબી સમુદ્ર અને ગુજરાત દરિયાકાંઠે (પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી) વિસ્તારોમાં પવનની ગતિ 150-160થી 175 કિમી પ્રતિકલાકની હોઈ શકે તથા 18 મેના રોજ બપોરે દેવભૂમિ દ્વારકા, જામનગર અને ભાવનગરમાં વાઈન્ડ સ્પીડ 120-150થી લઈને 165 કિમી પ્રતિકલાક સુધી પહોંચી શકે છે.
સુરત માટે ઇમરજન્સી હેલ્પલાઇન નંબર
17 મેની સાંજ સુધીમાં તે ઉત્તર પશ્ચિમ તરફ ગુજરાતના દરિયાકાંઠે પહોંચે તેવી સંભાવના છે. 18મીએ બપોરે પોરબંદર અને મહુવા વચ્ચે ગુજરાતના દરિયાકાંઠાને પાર કરતું આગળ વધશે
હવામાન વિભાગનાં આંકલન અનુસાર આ અતિભીષણ બનેલ તૌઉ’તે ચક્રવાત ગુજરાત તરફ આગળ વધ્યું છે અને આજરોજ તા.17મી મેની સાંજે ગુજરાતના કાંઠે ત્રાટકે અને 18મીની સવારે પોરબંદર અને મહુવાની વચ્ચેથી પસાર થવાની સંભાવના છે. જેને પગલે ગુજરાતનું આપદા પ્રબંધન સાવધાન બની ગયું છે. હવામાન વિભાગના અનુમાન અનુસાર 18મીએ આ ચક્રવાત ગુજરાત સાથે ટકરાશે. 1પ0-160 કિ.મી. પ્રતિકલાકની રફતારથી ધસમસતા આ વાવાઝોડાનાં કારણે રાજ્યમાં તેજ હવા અને ભારે વરસાદની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાતે આ વાવાઝોડાની અસરમાં સાબરકાંઠા, અરવલ્લી, નર્મદા, તાપી, સુરત, ભરુચ, ડાંગ અને દાહોદમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
વાયુસેના સાથે એનડીઆરએફની ટીમો પણ તૈનાત કરી દેવામાં આવી છે. કેટલીક એરલાઇન્સ દ્વારા પોતાની ઉડાનો પ્રભાવિત થવાની વાત પણ કરવામાં આવી છે. હવાઈદળે 16 માલવાહક વિમાન અને 18 હેલિકોપ્ટરને તૈયાર રાખ્યા છે. વાયુસેનાનાં નિવેદન અનુસાર આઇએલ-76 વિમાને બઠિંડાથી 127 જવાન અને 11 ટન સામાન ગુજરાતમાં જામનગર પહોંચાડી દીધો છે. સી-130 વિમાન 2પ જવાન અને 12.3 ટન સામાન સાથે રાજકોટ અને સી-130 વિમાન 126 જવાન અને 14 ટન સામાન લઈને ભુવનેશ્વરથી જામનગર પહોંચાડી દેવામાં આવ્યા છે. એનડીઆરએફ દ્વારા આ વાવાઝોડાનાં કારણે ઉભી થયેલી આફતની સ્થિતિ વચ્ચે રાહતકામો માટે 79 ટીમને સ્ટેન્ડબાય રાખી છે. આ ઉપરાંત વધારાની 22 ટીમની વ્યવસ્થા પણ કરી રાખવામાં આવી છે. પૂણેથી એનડીઆરએફની પાંચ ટીમને એરલિફ્ટ કરીને ગુજરાત મોકલવામાં આવી છે.
Before This
દક્ષિણપૂર્વ અરબ સાગરમાં ઉઠેલા સમુદ્રી તોફાન તૌકતે વધુ વિકરાળ બન્યું છે. આ ભીષણ ચક્રવાત ગઇકાલ રવિવાર તા.16 મે એ ગોવા ઉપર કહેર બનીને ત્રાટક્યું હતું. તૌઉ’તે ટકરાતા ગોવામાં તોફાની પવન સાથે ભારે વરસાદ પડ્યો હતો અને સંખ્યાબંધ વૃક્ષો જમીનદોસ્ત થયા હતા.
કર્ણાટકનાં છ જિલ્લામાં પણ તોફાની વરસાદે હાહાકાર મચાવ્યો હતો અને 73 ગામડાઓ તેનાથી પ્રભાવિત થયાં છે. જેમાં અત્યાર સુધીમાં 4 લોકોનાં મૃત્યુ નીપજ્યાં હોવાનું જાણવા મળે છે.
તૌકતે વાવાઝોડાંની અસરથી સમગ્ર પશ્ચિમ ભારતના દરિયા કાંઠે ખાસ કરીને ગુજરાત અને સૌરાષ્ટ્રના કિનારાના વિસ્તોરોમાં તા.17મી મે એ સાંજથી ભારે પવન સાથે ભારે વરસાદ પડે તેવી આગાહી થઇ છે. ગુજરાત તરફ આ વાવાઝોડું આગળ ધપી રહ્યું છે.
અરબી સમુદ્રમાં સર્જાયેલું હળવું દબાણ 2021નું પ્રથમ વાવાઝોડું તૌકતેનું સર્જન કરશે અને 15મી મેએ શનિવારથી ભારતના પશ્ચિમ કાંઠાના રાજ્યો સાથે ટકરાશે. એ પછી ક્રમશ: ચારથી પાંચ દિવસ સુધી કહેર મચાવે તેવી શક્યતા છે.
તૌકાતેને કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. સૌરાષ્ટ્રના કાંઠાળ વિસ્તારના અનેક જિલ્લાઓમાં 16, 17 અને 18મી મે એમ ત્રણ દિવસ સુધી ભારે વરસાદ પડવાની આગાહી છે. હવામાન વિભાગે જાહેર કરેલી સૂચના પ્રમાણે ગુજરાતમાં 17મી મેની મધરાતથી વરસાદનો આરંભ થાય તેવી શક્યતા છે. એ પછી વરસાદનું જોર વધશે. સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં 18 અને 19મી મેના દિવસોમાં ભારેથી અતિભારે’ વરસાદ પડવાની પૂરતી સંભાવના છે. સાયક્લોનિક વોર્નીંગ બાદ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ હરકતમાં આવી ગયું છે. 24 જેટલી ટીમને ગુજરાતમાં ઉતારવામાં આવી છે અને 29 ટૂકડીઓને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. વાવાઝોડાંની અસરથી ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં 50થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવનો આગામી પાંચેક દિવસ સુધી ફુંકાવાની શક્યતા છે. રાજકોટ શહેરમાં વાવાઝોડાંની અસરથી સમી સાંજે વરસાદી છાંટાઓ પડયા હતા. ક્યાંક મોટું ઝાપટું પણ પડયું હતુ. ચાર પાંચ દિવસમાં સારાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. પોરબંદરમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. વાવાઝોડું કોઇપણ દિશામાં ફંટાય પણ પોરબંદરમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. 18મી મેએ વાવાઝોડું ત્રાટકે ત્યારે ભારેથી અતિભારે વરસાદ આ પંથકમાં પડી શકે છે. 30થી 45 કિલોમીટરની ગતિથી પવન પણ ફૂંકાશે. માછીમારોને દરિયો ન ખેડવા કહેવાયું છે. ફિશીંગ બોટો સમુદ્રમાં સલામત સ્થળે નજીકના બંદરે જતી રહી છે. કોસ્ટ ગાર્ડ દ્વારા હેલિકોપ્ટર મારફતે લોકોને સૂચના આપી દીધી છે. સાવરકુંડલામાં પોણા છ વાગ્યે અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યા પછી માવઠાંના શ્રીગણેશ થયા હતા. શહેરના રસ્તા ભીના ંથઇ ગયા હતા. વરસાદ બંધ થતા સુંદર મેઘધનુષનું દ્રશ્ય પણ રચાયું હતું.’ થોડો સમય માટે વીજળી પણ ગૂલ થઇ ગઇ હતી. વેરાવળ-સોમનાથ વિસ્તારમાં પણ માછીમારોને એલર્ટ કરવામાં આવ્યા છે. ગીર સોમનાથ જિલ્લાની 1072 જેટલી ફિશીંગ બોટો દરિયામાં હોય બોટને પરત આવવાનો આદેશ આપી દેવાયો છે. બોટ નજીકના બંદરો પર લાંગરી લેવા કહેવાયું છે. આ જિલ્લામાં કુલ 894 બોટ છે. સીઝન નબળી હોવાથી મોટાંભાગની કિનારે છે પણ હોડી તથા બોટ અમુક દરિયામાં છે. આ તરફ દ્વારકા જિલ્લાના તમામ બંદરોને એલર્ટ કરી દેવાયા છે. ભાવનગરમાં દરિયાકાંઠે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. અમરેલીમાં જાફરાબાદ લાઇટ હાઉસમાં એક નંબરનું સિગ્નલ મૂકાયું છે.દિવસ દરમિયાન ગરમી પછી સાંજે ધારી તથા સાવરકુંડલામાં મિનિ વાવાઝોડાં જેવો પવન ફૂંકાઇને વરસાદ તૂટી પડયો હતો. કેરીનાપાકનેભારે નુક્સાન થયું છે. રસ્તા પર પાણીની નદીઓ વહેવા લાગી હતી. ‘ભાવનગરમાં જિલ્લાના તમામ કર્મચારીઓ અને અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા માટે આદેઈં આપવામાં આવ્યો છે. રજાઓ પણ રદ્દ કરવામાં આવી છે. ભાવનગરમાં કોવિડ પ્રોટોકોલ સાથે સાવચેતીના પગલાં લેવામાં આવશે. માળિયા મિયાણાના નવલખી બંદરે બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવા કહેવાયું છે. વાવાઝોડાને પગલે દરિયામાં કરંટ છે એટલે દરિયાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. વાંકાનેરમાં રાજકોટ રોડ ઉપર ખેરવાથી સૂર્ય રામપરા વચ્ચે પાંચ વાગ્યે મિનિ વાવાઝોડાં જેવો માહોલ હતો. પોણો કલાક ધીમો વરસાદ પડતા દોઢેક ઇંચ વરસી ગયો હતો. પવનથી કેટલાક વૃક્ષો પણ જમીનદોસ્ત થઇ ગયા હતા. માધવપુર(ઘેડ) : વાવાઝોડાની આગાહી સંદર્ભે પોરબંદર કોસ્ટગાર્ડ હરકતમાં આવ્યું છે. હેલિકોપ્ટર દ્વારા સતત સાયરન વગાડીને લોકોને સુચના અપાઈ રહી છે. દરમિયાન પોરબંદર જિલ્લા એસઓજી પોલીસ તેમજ પોરબંદર પોલીસ દ્વારા માધવપુર બંદર ખાતે માછીમાર સમાજના આગેવાનોને સુચનાઓ આપી, માછીમારી કરવા દરિયામાં ન જવા અને માછીમારી માટે ગયેલા માછીમારોને પરત બોલાવી લેવાની તાકિદ કરી હતી.
શહેરનો દરેક યુવાન જો આવા સંકલ્પ સાથે જીવનમાં આગળ વધશે તો દેશમાં એકેય સમસ્યા નહીં રહે
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના માનદ્ ખજાનચી તેમજ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભ્ય મનિષ કાપડીયા કોવિડ– ૧૯ના સંકટ સમયે હોમ કોરન્ટાઇન થયેલા કોરોનાના દર્દીઓના વ્હારે આવ્યા છે. ઓકિસજનની ૧૦૦ બોટલો વિનામૂલ્યે દર્દીઓ સુધી પહોંચાડવાના સંકલ્પ સાથે આગળ વધી રહેલા મનિષ કાપડીયા આફ્રિકન દેશોમાં પોતાના સંબંધોનો ઉપયોગ કરીને દેશમાં ક્રાયોજેનિક ટેન્ક મંગાવવા માટે પ્રયાસ કરી રહયા છે.
મનિષ કાપડીયાએ જણાવ્યું હતું કે, કોરોનાની સેકન્ડ વેવને કારણે દેશભરમાં આરોગ્ય તંત્રની હાલત કફોડી થઇ ગઇ છે. શહેર સહિત દેશભરની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલો કોરોનાના દર્દીઓથી ઉભરાઇ ગઇ હતી. એવામાં કોરોનાના કેટલાક દર્દીઓ હોમ કોરન્ટાઇન થઇને જ ઘરે સારવાર લઇ રહયા હતા. હોસ્પિટલમાં પણ ઓકિસજનની અછત વર્તાઇ રહી હતી ત્યારે ઘરે સારવાર લઇ રહેલા દર્દીઓની હાલત અત્યંત કફોડી બની ગઇ હતી. ઓકિસજનની બોટલો માટે નજીકના સંબંધીઓ તેમજ મિત્ર વર્તુળમાંથી દરરોજ આવતા ફોન કોલ્સને કારણે ઓકિસજનના બોટલોની અછતની ગંભીરતા સમજાઇ હતી. આવા દર્દીઓને મદદરૂપ થવાના એક પ્રયાસના ભાગરૂપે મિત્ર વર્તુળો તેમજ પરિચીતોને વોટ્સએપ ઉપર મોકલેલો મેસેજ કામ કરી ગયો અને જુદી–જુદી વ્યકિતઓ તરફથી ઓકિસજનની બોટલો માટે દાન મળતું ગયું હતું.
તેમણે જણાવ્યું હતું કે, સુરત જ નહીં પણ અમેરિકા અને દુબઇમાંથી પણ મિત્રોએ ઓકિસજનની બોટલો ખરીદવા માટે યથાશકિત મુજબ દાન આપ્યું હતું. આ દાનમાંથી ઓકિસજનની ૧૦૦ જેટલી બોટલો જરૂરિયાતમંદોને પહોંચાડવાનો સંકલ્પ લીધો હતો. ધીરે ધીરે એક, બે અને દસ એમ કરતા કરતા ૭ર જેટલી ઓકિસજનની બોટલો દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટમાં કાર્યરત થયેલા આઇસોલેશન સેન્ટરમાં સારવાર હેઠળ કોરોનાના દર્દીઓ માટે પહોંચાડવામાં આવી હતી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઓકિસજનની બોટલોની સાથે સાથે અમેરિકામાંથી ૩ર જેટલા ઓકિસજન કોન્સન્ટ્રેટર મંગાવીને સૌરાષ્ટ્રમાં પહોંચાડવામાં આવ્યા હતા. તેમણે કહયું કે, ભારતમાં ઓકિસજનની અછત નથી પણ ઓકિસજનને હોસ્પિટલો તેમજ અન્ય સ્થળે પહોંચાડવા માટે સ્પેશિયલી જે ક્રાયોજેનિક ટેન્કનો ઉપયોગ કરવામાં આવે છે તેની અછત છે. આથી પોતાના આફ્રિકન દેશો અને ગલ્ફ દેશો સાથેના સંબંધોનો ઉપયોગ કરીને દેશમાં ક્રાયોજેનિક ટેન્ક મંગાવવા માટે પણ તેઓ પ્રયાસ કરી રહયા છે.
મનિષ કાપડીયા કતારગામ સ્થિત સમસ્ત પાટીદાર સમાજની વાડી ખાતે શરૂ કરવામાં આવેલા આઇસોલેશન સેન્ટરમાં ર૪ કલાકમાંથી ૧૮ કલાક કામ કરી રહયાં છે. નિષ્ણાંત તબીબો, નર્સિંગ સ્ટાફ તેમજ યુવા મિત્રો મળી તેમની ૧૦૦ જણાંની ટીમ કોરોનાના દર્દીઓની સારવાર માટે ખડેપગે તૈનાત છે. તેઓ કહે છે કે, બેચ વાઇઝ તમામ મિત્રોને કામગીરી સોંપવામાં આવી છે. જેથી કરીને કોઇપણ દર્દીને અથવા તેના સગાને અગવડ નહીં પડે. યુવા મિત્રોની ટીમ દર્દીઓને પૌષ્ટીક આહાર પણ આપે છે. અહીં તમામ દર્દીઓના આરટીપીસીઆર રિપોર્ટ પણ વિનામૂલ્યે જ કરી આપવામાં આવે છે. આઇસોલેશન સેન્ટરમાં એમ્બ્યુલન્સની પણ સેવા આપવામાં આવે છે. પ૪ બેડ ધરાવતા આઇસોલેશન સેન્ટરમાં અત્યાર સુધી ર૬ર જેટલા કોરોનાના દર્દીઓએ સારવાર લીધી છે. ખૂબ જ આનંદની વાત છે કે, આ સેન્ટરમાં એકેય દર્દીએ જીવન ગુમાવવાનો વારો આવ્યો નથી અને તમામે તમામ કોરોનામુકત થઇને પોતાના સ્વજનની સાથે ઘરે પરત ગયા છે.
તેમણે કહયું કે, આ સમયગાળા દરમ્યાન ઘણા દર્દીઓ તેમજ તેમના સ્વજનોના આશિર્વાદ અમારી ટીમને મળ્યા છે. સાથે જ એવા લોકોના અપશબ્દો પણ સાંભળ્યા છે કે જેઓના સ્વજનને અમારા આઇસોલેશન સેન્ટરમાં દાખલ કરી શકયા ન હતા. અમારી મજબુરી હતી કે આઇસોલેશન સેન્ટરમાં વેન્ટીલેટર ન હોવાને કારણે કોરોનાના દર્દીના જાનનું જોખમ ઉભું ન થાય તે માટે તેઓને દાખલ કરાયા ન હતા.
ભારતમાં રશિયન કોરોના વેક્સિન સ્પુતનિકનું પ્રોડક્શન કરનારી ફાર્મા કંપની ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીએ તેની કિંમત જાહેર કરી દીધી છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ વેક્સિનના એક ડોઝની કિંમત 948 રુપિયા રહેશે, અને તેના પર પાંચ ટકા જીએસટી અલગથી લાગશે. આમ, તેની ફાઈનલ કિંમત રુ. 995ની આસપાસ રહેશે. આજે હૈદરાબાદમાં પાયલોટ પ્રોજેક્ટના ભાગરુપે આ વેક્સિનનો પહેલો ડોઝ આપવામાં આવ્યો હતો.
કંપનીએ સ્ટોક એક્સચેન્જોને આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે આ વેક્સિનનું સોફ્ટ લોન્ચ આજે કરવામાં આવ્યું હતું. આ વેક્સિનના રશિયાથી આવેલા ડોઝની કિંમત 948 રુપિયા વત્તા પાંચ ટકા જીએસટી થાય છે. રસીનું લોકલ સ્તરે પ્રોડક્શન શરુ થાય બાદ તેની કિંમતમાં ઘટાડો થવાની શક્યતા છે. કંપનીએ જણાવ્યું હતું કે રશિયાથી આ વેક્સિનનો પહેલો જથ્થો 1 મેના રોજ પહોંચ્યો હતો. જેને સેન્ટ્રલ ડ્રગ્સ લેબોરેટરીનું ક્લિયરન્સ 13 મેના રોજ મળ્યું હતું.
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના નેજા હેઠળ ગુજરાતની તમામ ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારોની આજરોજ તા.13મી મે 2021ના રોજ રાજ્યના પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટીયા સાથે વર્ચ્યુઅલ મિટીંગ મળી હતી. જેમાં ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ દિનેશ નાવડિયાએ નીચે મુજબના મહત્વના મુદ્દાઓ અંગે આશિષ ભાટીયાને વિસ્તૃતપણે રજૂઆત કરી હતી.
1. દક્ષિણ ગુજરાતમાં હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગ સહિતના તમામ ઉદ્યોગની હોલસેલ દુકાનો દિવસ દરમ્યાન સવારે ૧૦:૦૦ થી બપોરે રઃ૦૦ કલાક સુધી ખોલવા માટે મંજૂરી આપવામાં આવે.
2. રાજ્યમાં તમામ પ્રકારની ઉત્પાદન પ્રવૃત્તિઓ ચાલુ છે, પરંતુ ટ્રેડીંગ એકટીવિટી બંધ હોવાથી ઉત્પાદન પ્રવૃત્તિઓ પણ બંધ થવાની કગાર પર છે. આથી ટ્રેડીંગ એકટીવિટીની પરવાનગી તા. ૧૮ મે, ર૦ર૧થી નવા જાહેર થનાર હુકમથી મળી રહે તે માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.
3. કારીગરો હાલમાં પોતાના વતન જઈ શકે તેવી સ્થિતિમાં નથી અને જો આ સંજોગોમાં ઔદ્યોગિક પ્રવૃત્તિઓને કોઈપણ કારણસર બ્રેક લાગશે તો આ કારીગરો રસ્તા ઉપર આવી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગાડી શકે તેવી ભીતિ છે. કારણ કે, કાપડ માર્કેટની દુકાનો બંધ હોવાથી વિવિંગ અને પ્રોસેસિંગ એકમો દ્વારા ઉત્પાદન ઘટાડી દેવામાં આવ્યું છે અને બે પાળીને બદલે એક પાળીમાં ઉત્પાદનની પ્રક્રિયા ચાલુ છે. જો કાપડની માર્કેટો બંધ જ રહેશે તો વિવિંગ અને પ્રોસેસિંગ એકમો પણ બંધ થવાની ભીતિ સેવાઇ રહી છે. આવા સંજોગોમાં કાપડ ઉદ્યોગની સમગ્ર સપ્લાય ચેઇન ચાલુ રહે તેવી સ્થિતિનું નિર્માણ થવું જોઈએ.
4. બાંધકામ ઉદ્યોગમાં કન્સ્ટ્રકશનનું કામ ચાલુ છે પણ તેને સંલગ્ન રેતી–કપચી, સિમેન્ટ અને સ્ટીલ જેવી એન્સીલરી સર્વિસની દુકાનો બંધ હોવાથી બાંધકામ પ્રવૃત્તિ ઉપર રોક લાગી ગઇ છે. આથી બાંધકામ ઉદ્યોગ ચાલુ રહે તેના માટે એન્સીલરી સર્વિસની દુકાનોને ખોલવા માટે મંજૂરી આપવામાં આવે.
5. એકસપોર્ટ – ઈમ્પોર્ટની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા તમામ એકમોને કોઈપણ પ્રકારની પરવાનગી લીધા વગર પોતાનું કામ કરવા પરવાનગી આપવામાં આવે. કારણ કે, એકસપોર્ટના ઓર્ડર્સ જો સમયસર ડીલીવર ન થાય તો તેનો આર્થિક બોજો ઘણો મોટો હોઇ વૈશ્વિક બજારમાં ભારતની ઈમેજને પણ ખરાબ કરી શકે છે. આથી તાત્કાલિક ધોરણથી આ હુકમ અમલવાર થવો જોઇએ.
6. રાજ્યમાં તમામ પ્રકારની મેઈન્ટેનન્સ અને રીપેર સર્વિસીઝ ચાલુ રહે તેવો હુકમ તાત્કાલિક ધોરણથી કરવામાં આવે.
7. ફરસાણ, નમકીન અને મિઠાઇની દુકાનો ચાલુ રાખવાનો ગૃહ વિભાગનો હુકમ છતાં સ્થાનિક તંત્ર દ્વારા ઘણી જગ્યાએ આ દુકાનોને બંધ રાખવામાં આવે છે. આથી સ્થાનિક તંત્રને આ હુકમ અંગે સૂચનો મળી રહે તે માટે ઘટતું કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
રાજ્યના પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટીયાએ રાજ્યની વિવિધ ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો કરવામાં આવેલી રજૂઆતોને શાંતિપૂર્વક સાંભળી હતી અને જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી દ્વારા બનાવવામાં આવેલી કોર કમિટીમાં ઉદ્યોગ – ધંધાને સ્પર્શતા ઉપરોકત મુદ્દાઓ અંગે નિર્ણયો લેવામાં આવે છે. આથી ચેમ્બર ઓફ કોમર્સે તેમને કરેલી રજૂઆતોને તેઓ મુદ્દાસર મુખ્યમંત્રી દ્વારા બનાવાયેલી કોર કમિટી સમક્ષ રજૂ કરશે. તદુપરાંત આ અંગે જે કઇ નિર્ણય લેવામાં આવશે તેની જાહેરાત કરશે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.