કોરોનાની મહામારીને કારણે નિર્માણ પામેલી પરિસ્થિતિને હાથ ધરવાની ગુજરાત સરકારની કામગીરી અસંતોષજનક હોવાનું હાઈ કૉર્ટે મંગળવારે કહ્યું હતું.
કોરોનાની મહામારી સામે લડવા લૉકડાઉન ઉકેલ નથી એમ જણાવી કૉર્ટે લૉકડાઉન લાગુ ન કરવાની ગુજરાત સરકારને સલાહ આપી હતી. કોરોનાની પરિસ્થિતિને હાથ ધરવાની ગુજરાત સરકારની કામગીરીમાં પારદર્શિતાનો અભાવ જોવા મળી રહ્યો છે તેમ જ ડૉક્ટરો દરદીઓ પાસે હાજર ન થતા હોવાને કારણે હૉસ્પિટલની બહાર દરદીઓનાં મૃત્યુ થઈ રહ્યાં હોવાની બાબતની પણ કૉર્ટે નોંધ લીધી હતી.
માત્ર ૧૦૮ ઍમ્બ્યુલન્સમાં આવતા દરદીઓને જ નહીં, પરંતુ અન્ય વાહનોમાં આવતા કોરોનાના દરદીઓને પણ હૉસ્પિટલમાં દાખલ કરવાનો આદેશ આપવા હાઈ કૉર્ટે ગુજરાત સરકારને જણાવ્યું હતું.
મુખ્ય ન્યાયાધીશ વિક્રમ નાથ અને ન્યાયાધીશ બી. ડી. કારિયાની બનેલી ખંડપીઠે કહ્યું હતું કે અમે એમ નથી કહી રહ્યા કે સરકાર કે અમદાવાદ મહાનગરપાલિકા કશું જ નથી કરી રહી, પરંતુ જે રીતે પરિસ્થિતિને હાથ ધરવામાં આવી રહી છે તે સંતોષજનક, પારદર્શક નથી અને તેથી જ બધી સમસ્યાઓ સર્જાઈ રહી છે.
કોરોનાને કારણે ગુજરાતમાં નિર્માણ પામેલી પરિસ્થિતિ અંગે દાખલ કરવામાં આવેલી જનહિતની અરજીને સૂઓમોટો હાથ ધરતાં ખંડપીઠે ઉપરોક્ નીરિક્ષણ કર્યું હતું.
ગુજરાતમાં છેલ્લાં થોડાંક અઠવાડયાથી કોરોનાના કેસમાં અસાધારણ વધારો જોવા મળી રહ્યો છે.
જો તમારી પાસે વધુ વ્યવહારુ, વિચારશીલ અને અર્થપૂર્ણ યંત્રણા હોત તો પરિસ્થિતિ કંઈ જુદી જ હોત. આ કટોકટી આટલી ઘેરી ન હોત, એમ ખંડપીઠે કહ્યું હતું.
ડૉક્ટરોની અનુપસ્થિતિને કારણે હૉસ્પિટલની બહાર જે રીતે લોકોનાં કસમયે મૃત્યુ થઈ રહ્યા છે તે ન થવા જોઈએ, એમ તેમણે કહ્યું હતું.
અમદાવાદમાં માત્ર ૧૦૮ ઍમ્બ્યુલન્સમાં આવતા કોરોનાના દરદીઓને જ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે અને ખાનગી વાહનોમાં આવતા કોરોનાના દરદીઓની અવગણના કરવામાં આવતા હોવા અંગે કૉર્ટે સરકાર સામે સવાલ ઉઠાવ્યા હતા.
૧૦૮ ઍમ્બ્યુલન્સમાં ન આવતા દરદીઓને હૉસ્પિટલમાં સારવાર આપવાનું ડૉક્ટરો ન નકારી શકે અને દરદીઓને મરવા ન દઈ શકે, એમ કૉર્ટે કહ્યું હતું.
કોરોનાનો દરદી ક્યા વાહનમાં આવે છે એ બાબતને અવગણીને દરેક દરદી પર ધ્યાન આપી તેમને સારવાર આપવામાં આવવી જોઈએ, એમ કૉર્ટે કહ્યું હતું.
કોરોનાના દરદીને રેમડેસિવિર ઈન્જેક્શનનો ડૉઝ મળી રહે તેની ખાતરી કરવા કૉર્ટે ગુજરાત સરકારને જણાવ્યું હતું.
ત્રણ વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવેલી જનહિતની અરજીની આગામી સુનાવણી માટે કૉર્ટે ૪ મે મુકરર કરી હતી.
આ અરજીમાં જરૂરિયાતમંદ દરદીઓ માટે ઑક્સિજનના પુરવઠો તાકીદે પૂરો પાડવાની માગણી કરવામાં આવી હતી.