દેશમાં આવેલી પાંચ IIM ઇન્ડીયન ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ ઇન્દોર, રાંચી, રોહતક, બૌધગયા અને જમ્મુ ખાતે ધો.12 (કોઇપણ પ્રવાહ પછી પ્રવેશપાત્ર) પછી પાંચ વર્ષના મેનેજમેન્ટ (ઇન્ટીગ્રેટેડ પ્રોગ્રામ ઇન મેનેજમેન્ટ) ચાલી રહ્યા છે.
IIM પ્રવેશ માટે 2 જુદી જુદી પ્રવેશ પરીક્ષાઓનું રજિસ્ટ્રેશન તા.31 મે 2021 સુધી ચાલશે
2. નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા લેવાતી JIPMAT ( IIM જમ્મુ અને બોધગયા માટે)
આ પૈકી બે IIM બૌધગયા (બિહાર) અને રાંચી (ઝારખંડ) ખાતે પ્રવેશ માટે નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે. આ પ્રવેશ પરીક્ષાનું નામ JIPMAT Joint Integrated Program in Management Admission Test છે. આ પ્રવેશ પરીક્ષામાં નોંધણી કરાવવાની અંતિમ તારીખ 31મી મે 2021 છે. આ પ્રવેશ પરીક્ષા સંપૂર્ણપણે ઓનલાઇન લેવામાં આવશે.
ધો.12 સાયન્સ, કોમર્સ કે આર્ટસ પૈકી કોઇપણ સ્ટ્રીમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પ્રવેશપાત્ર છે.
Candidate can apply for IIM Bodh Gaya and IIM Jammu Joint Integrated Programme in Management Admission Test (JIPMAT) 2021 through “Online” mode only. The Application Form in any other mode will not be accepted.
JIPMET Joint Integrated Program in Management Entrance Testની તારીખ 20 જુન 2021 છે
નીચેની વેબસાઇટ પ્રવેશ પરીક્ષાની સત્તાવાર વેબસાઇટ છે અહીં રજિસ્ટ્રેશન કરાવી શકો
હિંદુ પંચાગ મુજબ, વૈશાખ મહિનાના શુક્લ પક્ષની પૂનમ એટલ કે 26મી મેને બુધવારે વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ થવાનું છે. આ દિવસે બુદ્ધ પૂર્ણિમાનું પર્વ પણ ઉજવાશે. ધાર્મિક માન્યતાઓ મુજબ, આ દિવસે ભગવાન બુધ્ધનો જન્મ થયો હતો. 26 મેએ બપોરે 2.17 કલાકે ચંદ્ર ગ્રહણ શરૂ થશે અને સાંજે 7.19 કલાકે પુરું થશે. ગ્રહણનો કુલ સમય 5.02 કલાકનો રહેશે. ચંદ્ર ગ્રહણ વિશ્વના ઘણા દેશોમાં જોવા મળશે ,પરંતુ ભારતમાં તે ઉપછાયા ચંદ્ર ગ્રહણ તરીકે નજર આવશે. ઉપછાયા ચંદ્ર ગ્રહણમાં સૂતક કાળ માન્ય નથી હોતું.
ઉપછાયા ચંદ્ર ગ્રહણને શાસ્ત્રોમાં ગ્રહણની શ્રેણીમાં નથી રખાયું. તેના કારણે ગ્રહણ શરૂ થાય ત્યારે સૂતક નથી લાગતું. આ દરમિયાન મંદિરોના દ્વાર બંધ નથી કરાતા અને ધાર્મિક કાર્યો કરવાની પણ મનાઈ નથી હોતી. આ દિવસે તમે સામાન્ય દિવસની જેમ જ કોઈપણ કામ કરી શકો છો. 26 મે પછી બીજું ચંદ્રગ્રહણ 19 નવેમ્બરે થશે.
આ વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ 26મી મેએ થવાનું છે. જોકે, ભારતમાં તે ઉપછાયા ચંદ્રગ્રહણ તરીકે નજર આવશે. ઉપછાયા ચંદ્રગ્રહમમાં સૂતક કાળ માન્ય નથી હોતો. પરંતુ તેની અસર રાશિઓ અને નક્ષત્રો પર ચોક્કસ જોવા મળે છે.
ગુજરાતમાં તાજેતરમાં આવેલા તૌકતે વાવાઝોડાની વિદાય બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. હજી વાવાઝોડાની નુકસાનીનો સરવે ચાલી રહ્યો છે. ત્યાં હવામાન વિભાગે ફરીવાર કમોસમી વરસાદની આગાહી કરી છે. 27થી 28 ની વચ્ચે હળવાથી ભારે વરસાદ વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં વરસશે. જ્યારે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ,’ દીવમાં સુકુ વાતાવરણ રહેશે. તે ઉપરાંત નાઉકાસ્ટ તરફથી પણ અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે જણાવ્યા અનુસાર હાલમાં દક્ષિણ-પશ્ચિમ દિશાનો પવન નીચલા સ્તર પર ફૂંકાઈ રહ્યો છે. તેના કારણે ભેજનું પ્રમાણ સવારે 73 ટકા અને સાંજે 49 ટકા જેટલું ઉંચું રહે છે. હવામાન ખાતાની આગાહી મુજબ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. મહત્તમ તાપમાન 38 ડિગ્રી રહેશે. મહત્તમ તાપમાનમાં આગામી 24 કલાક સુધી કોઈ ફેરફાર થશે નહીં. ત્યારબાદ 2થી 3 ડિગ્રી સુધી તાપમાન વધશે. ભેજયુક્ત પવનના કારણે સ્થિતિ એવી બની છે કે લોકો પરસેવે રેબઝેબ થઇ રહ્યા છે. આવી ગરમી, બફારો અને પરસેવો વળવાની ઘટના ચોમાસામાં” બનતી હોય છે. કેમકે ત્યારે ગરમી ખાસ્સી ઘટી ગઈ હોય છે. હજુ તો વૈશાખ માસ ચાલી રહ્યો છે અને આકરાં તાપ પડવા જોઈએ તેના બદલે ગરમી ઘટી ગઈ છે.
કેન્દ્રના રક્ષા પ્રધાન રાજનાથ સિંહની આગેવાનીમાં બારમીની પરીક્ષાને લઈને ગ્રુપ ઑફ મિનિસ્ટરની જે મીટિંગ યોજાઈ હતી એમાં સીબીએસઈ (સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન)ની પરીક્ષા લેવાનું સૂચન કરવામાં આવ્યું હતું, પણ પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી નહોતી.
મીટિંગમાં સીબીએસઈ બોર્ડ તરફથી બે ઑપ્શન આપવામાં આવ્યા હતા, જેમાં પહેલા વિકલ્પમાં પાંચ મેઇન વિષયની રાબેતા મુજબ પરીક્ષા લઈને બાકીના વિષયના માર્ક આ પાંચ વિષયમાં આવ્યા હોય એની ઍવરેજ મુજબ આપવાની વાત હતી અને બીજા વિકલ્પમાં ત્રણને બદલે દોઢ કલાકની જ એમસીક્યુ (મલ્ટિપલ ચૉઇસ ક્વેશ્ચન) એક્ઝામ લઈને મુખ્ય વિષયને બાદ કરતાં બીજા બધા વિષયમાં ઇન્ટર્નલ અસેસમેન્ટના આધારે માર્ક્સ આપવા. જોકે આ આખી પ્રોસેસ પૂરી કરતાં સપ્ટેમ્બર મહિનો આવવાની શક્યતા સીબીએસઈએ વ્યક્ત કરી છે.
સીબીએસઈની મીટિંગમાં બે તબક્કામાં પરીક્ષા લેવાની વાત કરી હોવાનું જાણવા મળ્યું છે, જેમાં ૧૫ જુલાઈની આસપાસ અને ત્યાર બાદ ૧થી ૧૩ ઑગસ્ટ વચ્ચે બીજા તબક્કામાં પરીક્ષા લેવાની તેમણે તૈયારી બતાવી છે.
ધો. 12ની પરીક્ષા અને એન્ટ્રેસ પરીક્ષા માટે યોજાયેલી ડિજીટલ પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્ર સરકારે બે પ્રસ્તાવ રાખ્યા હતા, સીબીએસઈએ ધો.12ની પરીક્ષા માટે બે વિકલ્પો આપ્યા હતા. સીબીએસઈએ જણાવ્યું કે રાજ્યોના શિક્ષણ બોર્ડને તેમનો નિર્ણય લેવાની મંજૂરી છે.
સીબીએસઈએ પ્રથમ ઓપ્શન આપ્યો કે, ધો. 12ના ફક્ત મુખ્ય વિષયોની પરીક્ષા જુદા જુદા કેન્દ્રોમાં યોજવામાં આવે. સીબીએસઈ 174 વિષયમાં પરીક્ષાનું આયોજન કરે છે જે પૈકી લગભગ 20 વિષયો મહત્વના માનવામાં આવે છે. બીજા વિકલ્પ હેઠળ પરીક્ષાના આયોજનમાં 45 દિવસ લાગશે. સીબીએસઈના ધો. 12ના વિદ્યાર્થીઓ મહત્વપૂર્ણ વિષયની પરીક્ષા પોતાની જ શાળામાં (સેલ્ફ સેન્ટર)માં આપી શકે અને પરીક્ષાની પદ્ધતિમાં ફેરફાર કરી 1.5 કલાકનો ગાળો કરવામાં આવે.
સીબીએસઈ બોર્ડની પાંચ સપ્ટેમ્બરે રિઝલ્ટ જાહેર કરવાની ઇચ્છા છે.
કોરોના કાળમાં ધો. 12ની પરીક્ષા તેમજ ત્યારબાદ પ્રોફેશનલ કોર્સમાં પ્રવેશ પરીક્ષા યોજવા અંગે કેન્દ્રિય મંત્રીઓ અને રાજ્યોના શિક્ષણમંત્રીઓ તેમજ અધિકારીઓ વચ્ચેની ઉચ્ચ સ્તરીય બેઠક પૂર્ણ થઈ છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે તમામ રાજ્યોને 25 મે સુધીમાં લેખિત સુચન આપવા જણાવ્યું છે. સીબીએસઈ બોર્ડના ધો. 12ના વિદ્યાર્થીઓની પરીક્ષાનો કાર્યક્રમ આગામી 1લી જૂને જાહેર થઈ શકે છે.
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ડો. રમેશ પોખરિયાલ નિશંકે ટ્વીટ કરીને જણાવ્યું કે, તમામ રાજ્યો પાસેથી લેખિતમાં સુચનો મંગાવાયા છે. પ્રવર્તમાન વિકટ પરિસ્થિતિમાં પરીક્ષા યોજવા માટેની આજરોજ મળેલી હાઈ લેવલ મીટિંગ ઉપયોગી રહી છે અને આ બેઠકમાં વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી.
બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાતી વાવાઝોડું ‘યાસ’ 1ર કલાકમાં વિકરાળ બની તા.ર6મી મેના રોજ ઓડિશા અને પશ્ચિમ બંગાળના કિનારા પર ત્રાટકશે અને વાવાઝોડું પસાર થતી વખતે 1પપ-16પ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે તેવી ચેતવણી હવામાન વિભાગે આપી છે.
વાવાઝોડાના ખતરાને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સવારે રાજ્યો, કેન્દ્રિય મંત્રાલયો-એજન્સીઓની તૈયારીઓની સમીક્ષા બેઠક યોજી રાહત-બચાવ, કિનારાના વિસ્તારોમાંથી ઝડપી સ્થળાંતર અંગે નિર્દેશ આપ્યા હતા. સંભવિત ખતરાને ધ્યાને લઈ નેવી અને એનડીઆરએફની કુલ 46 ટીમ તૈનાત કરાઈ છે. રાહત બચાવ કામગીરી માટે નેવીના જહાજ, હેલિકોપ્ટર મોકલવામાં આવ્યા છે. અન્ય પ જહાજ અને 13 ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.
1ર કલાકમાં તે ડિપ્રેશનમાં કેન્દ્રિત થઈ વિકરાળ વાવાઝોડુ બની ઉત્તર, ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધે તેવી સંભાવના છે. વાવાઝોડાને પગલે ઓડિશા, પ.બંગાળ, ઝારખંડ, સિક્કિમમાં તા.રપ અને ર6 મે દરમિયાન ઝડપી પવન સાથે ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપી છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં વાવાઝોડાને પરિણામે મકાનો, ઝુપડાઓ વગેરેને થયેલા નુકસાનની સહાય ચૂકવવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.
તૌકતે વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારે નુકસાન થયું છે. ખેડૂતોના પાક, વૃક્ષો અને કાચા-પાકા મકાનો પણ તૂટી ગયા છે.
આ બેઠકમાં બાદ મુખ્યમંત્રીએ કહ્યું કે વાવાઝોડાના પરિણામે નુકસાન-નાશ પામેલા કાચા-પાકા મકાનો, ઝૂંપડાઓ, અંશત: નુકસાન પામેલા કાચા મકાનો વગેરે અંગેનો સર્વે અસરગ્રસ્ત વિસ્તારોમાં જિલ્લા તંત્રો દ્વારા હાથ ધરવામાં આવી રહ્યો છે. વાવાઝોડાને પરિણામે રાજ્યમાં સંપૂર્ણ નાશ પામેલા મકાનો માટે 95100 રૂપિયાની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું.
શહેરી વિકાસ તેમજ પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં આવા સર્વે માટે અન્ય જિલ્લાઓમાંથી વધારાનો મેન પાવર બોલાવીને સર્વેની કામગીરી વેગવાન બનાવવા માં આવી છે. નુકસાન અંગે નુકસાન સહાયના ધોરણો મુખ્યમંત્રીએ જાહેર કર્યા છે
વાવાઝોડાને પરિણામે રાજ્યમાં સંપૂર્ણ નાશ પામેલા મકાનો માટે 95,100ની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે.
– અંશત: નુકસાન પામેલા કાચા- પાકા મકાનો એટલે કે છાપરા- નળીયા ઉડી ગયા હોય, કોઇ દિવાલ ધારાશાયી થઈ ગઈ હોય તેવા મકાનો માટે 25,000ની સહાય અપાશે
– આ વાવાઝોડાને પરિણામે જે ઝૂંપડાઓ નાશ પામ્યા છે તે ઝૂંપડાઓ માટે 10,000ની સહાય
-તેમજ પશુ રાખવાની જગ્યા ગમાણ- વાડાને થયેલા નુકસાન માટે 5000 રૂપિયાની સહાય રાજ્ય સરકાર આપશે
ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રથી 18 વિષયના કુલ 51 નવા પુસ્તકો અભ્યાસક્રમમાં દાખલ કરાશે. લાંબા સમયથી ધોરણ 3થી10 અને ધોરણ 12ના પુસ્તકો બદલાયા ના હોવાથી તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ 51 પુસ્તક તૈયાર થયા બાદ પ્રિન્ટ પણ કરી દેવાયા છે અને બજારમાં પહોંચી ગયા હોવાની જાણકારી મળી છે. આ ઉપરાંત હવે આગામી વર્ષે પણ કેટલાક પુસ્તકો બદલાશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. આમ, દર વર્ષની જેમ આ વખતે પણ કેટલાક પુસ્તકોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રથી ધોરણ 3થી10 અને 12ના નવા 51 પુસ્તકોમાં
ધો. 9ના 5,
ધો. 7ના 3,
ધો. 3ના 1,
ધો. 4ના 1,
ધો. 5ના 2,
ધો. 6ના 2,
ધો. 8ના 2,
ધો. 10ના 1 અને
ધો. 12ના 1 વિષયના
પુસ્તકોમાં ફેરફાર કરાયો છે. ઘણાં વર્ષોથી પુસ્તકો બદલાયા ના હોવાથી હાલના સમયની જરૂરિયાત પ્રમાણે ફેરફાર કરવાનો નિર્ણય કરાયો હતો.
ફેરફાર કરાયેલા વિષયવાર પુસ્તકો અનુસાર ધોરણ 3માં વચનમાળા, ધોરણ 4માં ગુજરાતી પ્રથમ ભાષા, ધોરણ 5માં ગુજરાતી પ્રથમ ભાષા અને પર્યાવરણ, ધોરણ 7માં સામાજિક વિજ્ઞાન, ધોરણ 9માં કમ્પ્યૂટર અધ્યયન, ધોરણ 10માં સામાજિક વિજ્ઞાન અને ધોરણ 12માં કમ્પ્યૂટર અધ્યયન વિષયના પુસ્તકોમાં ફેરફાર કરાયો છે. ગુજરાતી, અંગ્રેજી, મરાઠી, સિંધી, ઉર્દૂ, તમિલ અને હિન્દી માધ્યમના પુસ્તકોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
ઉપરાંત ધોરણ 9ની ટેક્નિકલ હાઈસ્કૂલો માટે નવા 4 વોકેશનલ અભ્યાસક્રમના પાઠ્યપુસ્તકોમાં પણ ફેરફાર કરાયો છે. જેમાં ગુજરાતી માધ્યમમાં એન્જિનિયરિંગ વર્કશોપ ટેક્નોલોજી, એન્જિનિયરિંગ ડ્રોઈંગ, ઈલેક્ટ્રિકલ એન્ડ ઈલેક્ટ્રોનિક્સ હાર્ડવેર ટેક્નોલોજી અને કમ્પ્યૂટર ટેક્નોલોજી વિષયના પુસ્તકો તૈયાર કરાયા છે.
પાઠ્યપુસ્તક મંડળ દ્વારા ધોરણ 9 અને 11ના નવા પુસ્તકો 2016માં તૈયાર કરાયા હતા. જોકે, તેમાં કેટલાક પુસ્તકો 2017માં તૈયાર થયા હતા. આ સિવાય ધોરણ 10 અને 12માં નવા પુસ્તકો 2017માં અમલમાં આવ્યા હતા. ધોરણ 10 અને 12ના પુસ્તકોમાં ચાર-પાંચ વર્ષથી ફેરફાર થયો ના હોવાથી ફેરફારની કવાયત શરૂ કરાઈ હતી અને તબક્કાવાર ફેરફાર કરાયા હતા.
છત્રસાલ સ્ટેડિયમ મર્ડર કેસમાં વોન્ટેડ અને બે વારના ઓલિમ્પિક મેડલિસ્ટ કુસ્તીબાજ સુશીલ કુમારની રવિવારે 23/5/2021 પોલીસે દિલ્હીના મુંડકા વિસ્તારમાંથી ધરપકડ કરી છે. સુશીલ સાથે અજય કુમારની પણ ધરપકડ કરવામાં આવી છે. આ વાતની પુષ્ટિ સ્પેશ્યલ સીપી-સ્પેશ્યલ સેલ નીરજ ઠાકુરે કરી હતી. ઠાકુરે કહ્યું કે, કુસ્તીબાજ સુશીલ કુમાર અને તેના સાથીની સ્પેશિયલ સેલની ટીમે ધરપકડ કરી છે.
દિલ્હીની રોહિણી કોર્ટે મંગળવારે ઓલિમ્પિકમાં ભારત માટે બે વાર મેડલ જીતી ચૂકેલા અને હત્યા કેસના આરોપી સુશીલની આગોતરી જામીનની અરજી નામંજૂરી કરી હતી. તેનાથી એક દિવસ પહેલા દિલ્હી પોલીસે સુશીલ પર એક લાખ અને સહયોગી અજય પર 50000નું ઈનામ જાહેર કર્યું હતું. ત્યારબાદ તેઓએ આગોતરા જામીનની અરજી કરી હતી.
છત્રસાલ સ્ટેડિયમ ખાતે 4-5 મે દરમિયાન થયેલી હિંસામાં ગ્રીકો રોમન રેસલર સાગરની મોત બાદથી સુશીલ કુમાર ફરાર હતા. એક વિડીયો ફૂટેજ સામે આવ્યા છે જે મેરઠ ટોલ પ્લાઝાના હોવાનું જાણવા મળ્યું છે. સુશીલ કારની આગળની સીટ પર બેઠો જોવા મળે છે, જ્યારે એક શખ્સ કાર ચલાવી રહ્યો છે. ફૂટેજ 6 મેના હોવાનું જણાવાયું છે. પોલીસ તે યુવક અને કારની પણ તપાસ કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સુશીલ હરિદ્વાર સ્થિત એક બાબાની પાસે મદદ માંગવા ગયો હતો.
રેસલર સાગરનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ પોલીસને મળ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં સાગરનું મોત નીપજ્યું હતું. લોખંડના સળિયા અથવા ડંડાથી ફટકા મારતા સાગરને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. હોસ્પિટલ પહોંચે તે પહેલા હાલત ઘણી ખરાબ થઈ હતી. સાગરના શરીર પર ઈજાના ઘણા નિશાન મળી આવ્યા છે.
સુશીલ ઉપરાંત દિલ્હી પોલીસે આ હત્યા કેસમાં અજયકુમાર સહરાવતની ધરપકડ કરવા બદલ 50,000 રૂપિયાનું ઇનામ રાખ્યું હતું. તે રણહૌલાના કોંગ્રેસના કાઉન્સિલર સુરેશકુમાર ઉર્ફે સુરેશ પહેલવાન ઉર્ફે સુરેશ બક્કરવાળાનો પુત્ર છે. અજય દિલ્હી સરકારમાં ફિઝિકલ એજ્યુકેશન ટીચર છે, જે કોન્ટ્રાક્ટ પર હોવાનું જાણવા મળ્યું છે.
મહારાષ્ટ્રના ગઢચિરોલીના જંગલમાં મહારાષ્ટ્ર પોલીસના C60 કમાન્ડો અને નક્સલીઓ વચ્ચે અથડામણ થઇ હતી, જેમાં ૧૩ નક્સલીઓ માર્યા ગયા છે. ન્યૂઝ એજન્સી એએનઆઇએ ગઢચિરોલીના ડીઆઇજી સંદીપ પાટિલના હવાલાથી આ જાણકારી આપી છે.
ગઢચિરોલી જિલ્લાના એટાપલ્લીના જંગલ વિસ્તારમાં શુક્રવારે લગભગ ૧૩ નક્સલીઓના શબ મળ્યા હતા, જ્યાં મહારાષ્ટ્ર પોલીસના C60 કમાન્ડો અને નક્સલીઓ વચ્ચે અથડામણ થઇ હતી. ડીઆઇજી સંદીપ પાટિલ અનુસાર, ઓપરેશન મહારાષ્ટ્ર પોલીસ માટે એક મોટી સફળતા છે અને શક્યતા છે કે અથડામણમાં વધુ નક્સલીઓનો સફાયો થાય.
પાટિલે કહ્યું કે, માહિતીના આધારે પોલીસે જંગલમાં શોધખોળ શરૂ કરી હતી. જેની જાણ નક્સલીઓને થતાં તેમણે પોલીસ પર ગોળીબાર કર્યો હતો. ગઢચિરોલીના એસપી અંકિત ગોયલે જણાવ્યું કે, અથડામણ લગભગ એક કલાક ચાલી હતી, જે બાદ બાકીના નક્સલી જંગલમાં ભાગી ગયા હતા.
ઉલ્લેખનીય છે કે, ૧૪ મેના રોજ છત્તીસગઢમાં નક્સલીઓના ગઢ દંતેવાડા વિસ્તારમાં અથડામણ થઇ હતી. પોલીસ જવાનો અને નક્સલીઓ વચ્ચે લગભગ એક કલાક અથડામણ ચાલી હતી, જેમાં એક નક્સલી માર્યો ગયો હતો.
ઘાટકોપર (ઈસ્ટ)ના ૮૫ વર્ષથી વધુ જૂના હિંગવાલા લેન સ્થાનકવાસી જૈન ઉપાશ્રયમાં ગઈ કાલે વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ ગોંડલ સંપ્રદાયના ૭૧ વર્ષના મનોહરમુનિ મહારાજ સાહેબે નાયલોનની રસીથી ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરતાં ગોંડલ સંપ્રદાય અને ઘાટકોપરના જૈન સમાજમાં ચકચાર ફેલાઈ ગઈ હતી. મનોહરમુનિ ૪ એપ્રિલથી તેમનાં અન્ય મહાસતીઓની સાથે હિંગવાલા લેન ઉપાશ્રયમાં બિરાજમાન હતા. મનોહરમુનિ મહારાજ સાહેબે આત્મહત્યા કરવા પહેલાં મુંબઈના પોલીસ કમિશનરને સંબોધીને ગુજરાતીમાં દોઢ પાનાની સુસાઇડ-નોટ લખી હતી જેના પર ૧૯ મેની તારીખ લખવામાં આવી છે. આ સુસાઇડ-નોટમાં તેમણે પોલીસ કમિશનરને સંબોધીને લખ્યું હતું કે ‘મારા ગુરુ પ્રસન્નમુનિ (તેમના સંસારી પિતા પ્રાણલાલ દેસાઈ) રાતના સપનામાં આવ્યા હતા. તેમણે મને કહ્યું કે તમારું હવે પૃથ્વી પર સર્વસામાન્ય લોકો માટેનું કામ પૂર્ણ થયું છે. તમે મારી પાસે આવી જાવ. આપણે સાથે પ્રભુપૂજા કરીશું.’
આ સંદર્ભની માહિતી આપતાં શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ હિંગવાલાના પ્રમુખ બિપિન સંઘવીએ પત્રકારોને કહ્યું હતું કે ‘ગઈ કાલે મનોહરમુનિના કર્મચારીઓએ અમને વહેલી સવારે પાંચ વાગ્યે આ દુખદ ઘટનાના સમાચાર આપ્યા હતા. તેમના કર્મચારીઓએ અમને કહ્યું હતું કે મહારાજ સાહેબે અમને સવારે વહેલા ઉઠાડીને જણાવ્યું હતું કે આપણે અહીંથી નીકળવાનું છે તો બધો સામાન કારમાં ગોઠવીને તૈયાર થઈ જાવ. અમે તૈયાર થઈને દસ જ મિનિટમાં પાછા આવ્યા ત્યારે ગુરુજીના રૂમનો દરવાજો બંધ હતો. અમને શંકા જતાં અમે જોયું તો સાહેબજી ખુરશી પર ફાંસો લઈને લટકતા હતા.’
મનોહરમુનિના કમર્ચારીઓના વહેલી સવારના આવેલા ફોનને કારણે અમે ટ્રસ્ટીઓ અને અન્ય સંઘના પદાધિકારીઓ દોડીને ઉપાશ્રયમાં પહોંચ્યા હતા એમ જણાવીને બિપિન સંઘવીએ કહ્યું હતું કે ‘અમે ગયા ત્યારે મનોહરમુનિ નાયલોનની દોરીએ લટકતા હતા. પહેલાં તેમણે પાંચ ખુરશીઓની થપ્પી કરીને પંખા સાથે નાયલોનની રસી બાંધી હોય એવું અમને લાગે છે. ત્યાર બાદ બાજુમાં પડેલી એક ખુરશીની મદદથી તેઓ આ પાંચ ખુરશીની થપ્પી પર ચડ્યા હોવા જોઈએ અને ગળે ફાંસો બાંધીને દેહત્યાગ કર્યો હોવાનું અમને લાગે છે. અમે પહોંચ્યા એની થોડી જ વારમાં પંતનગર પોલીસ આવી ગઈ હતી. તેમને એવું લાગ્યું કે મનોહરમુનિ મહારાજ સાહેબમાં જીવ છે. એટલે તેઓ તેમને રાજાવાડી હૉસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં મનોહરમુનિ મહારાજ સાહેબને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.’
મહેન્દ્રમાંથી મનોહરમુનિ
મનોહરમુનિ ઉર્ફે મહેન્દ્ર પ્રાણલાલ દેસાઈનો જન્મ ૧૯ ડિસેમ્બર ૧૯૫૧ના દિવસે મહારાષ્ટ્રના સાંગલી ગામમાં થયો હતો. તેઓ છ બહેનોના એકના એક ભાઈ હતા. તેમનો લાડકોડથી ઉછેર થયો હતો. તેઓ સાંગલીથી રાણપુર ગયા ત્યારે તેમનો પરિચય આગમ દિવાકર પૂજ્ય શ્રી જનકમુનિ મહારાજ સાહેબ સાથે થયો હતો. જનકમુનિ મહારાજ સાહેબના ઉપદેશથી તેમનામાં વૈરાગ્યભાવ જાગ્યો હતો. તેમનાં ધર્મિષ્ઠ માતા-પિતાએ તેમને સંયમમાર્ગે જવાની આજ્ઞા આપી હતી. ત્યાર બાદ તેમણે ન્યાયશાસ્ત્ર, વ્યાકરણશાસ્ત્ર, આગમશાસ્ત્રનો અભ્યાસ કર્યો અને એમાં પારંગત થયા હતા. મહેન્દ્રના વૈરાગ્યને જોઈને તેમની બહેન સરલા (પૂ. નંદાબાઈ મહાસતી) અને ભારતીબહેન (પૂજ્યા સુનંદાબાઈ મહાસતી)ને પણ વૈરાગ્ય પ્રગટ થયો અને તેમણે પણ વિદ્યાપીઠમાં અભ્યાસ શરૂ કર્યો હતો. મુમુક્ષુ મહેન્દ્રભાઈની દીક્ષા ધારી ગામમાં ૬ મે ૧૯૭૧ના રોજ થઈ હતી. જનકમુનિ મહારાજ સાહેબના મુખેથી દીક્ષાનો પાઠ ભણીને તેઓ મહેન્દ્રભાઈમાંથી મનોહરમુનિ મહારાજ સાહેબ તરીકે ઓળખાયા હતા. તેઓ જનકમુનિ મહારાજ સાહેબના પ્રથમ શિષ્ય બન્યા હતા. તેમનામાં ગુરુ પ્રત્યે સર્મપણભાવ, વિનય, સેવા, ગુરુઆજ્ઞા એ જ મારો ધર્મ આદિ ગુણ હોવાથી તેઓ જનકમુનિના પ્રિય શિષ્ય બન્યા હતા. મનોહરમુનિ મહારાજ સાહેબે દીક્ષાનાં ૫૦ વર્ષમાં ૪૦ વર્ષ પૂજ્ય ગુરુદેવની સાથે જ રહી સૌરાષ્ટ્ર, ગુજરાત, મહારાષ્ટ્ર, બંગાળ, બિહાર, મધ્ય પ્રદેશ, મારવાડમાં વિચરણ કરી અજોડ શાસન-પ્રભાવના કરી હતી.
આખો મામલો શું છે?
જોકે ૨૦૧૨માં મનોહરમુનિ પર ઘાટકોપરની એક જૈન યુવતીનો વિનયભંગ કરવાનો આરોપ લાગ્યો હતો. એને લીધે ગોંડલ સંપ્રદાયમાં અને જૈન સમાજમાં જબરદસ્ત ખળભળાટ મચી ગયો હતો. મનોહરમુનિ પર વિનયભંગનો આરોપ કરતાં એ યુવતીના પિતાએ મુલુંડ પોલીસમાં કરેલી ફરિયાદમાં કહ્યું હતું કે ‘અમારો પરિવાર ૨૦ માર્ચ ૨૦૧૨ના દિવસે સવારના આઠ વાગ્યે મહારાજ સાહેબનાં દર્શનાર્થે ગયો હતો. ત્યારે અમે મનોહરમુનિ મહારાજ સાહેબને મારી દીકરી જે ઍન્ગ્ઝાયટીની દરદી હતી તેની સારવાર માટેની વાત કરી હતી. એને કારણે મનોહરમુનિ મહારાજ સાહેબે અમને ભાંડુપના ઈશ્વરનગરના ઉપાશ્રયમાં સવારના દસ વાગ્યે મળવા બોલાવ્યા હતા. ત્યાર પછી અમે ફરી ૩૧ માર્ચ ૨૦૧૨ના રોજ મુલુંડ (વેસ્ટ)ના સ્થાનકવાસી ઉપાશ્રયમાં મારી પુત્રીને લઈને મનોહરમુનિ પાસે મળવા ગયા હતા. ત્યારે મનોહરમુનિએ કોઈ ધાર્મિક વિધિથી મારી પુત્રીની સારવાર માટે કરી હતી. ત્યાર બાદ મનોહરમુનિએ મારા પરિવારને ફરી ૬ એપ્રિલ ૨૦૧૨ના રોજ મુલુંડમાં મારી પુત્રીની સારવાર માટે કોઈ ધાર્મિક વિધિ કરવાની છે એમ કહીને બોલાવ્યો હતો. ત્યાં તેમણે ફક્ત મારી પુત્રીને જ એક રૂમમાં બોલાવીને બધાં જ બારીબારણાં બંધ કરી દીધાં હતાં. ત્યાર પછી મનોહરમુનિ મહારાજ સાહેબે મારી દીકરીને ચુંબનો આપ્યાં હતાં. મારી દીકરીએ બહાર આવીને પરિવારની સામે મનોહરમુનિએ તેની સાથે કરેલા અપકૃત્યની જાણ કરી હતી.’
યુવતીના આ બયાનથી એ ઉપાશ્રયમાં હાજર રહેલા લોકો આક્રોશમાં આવી ગયા હતા અને આખો મામલો મુલુંડ પોલીસ સ્ટેશનમાં ગયો હતો. પોલીસે મનોહરમુનિની ધરપકડ કરીને તેમને કોર્ટમાં હાજર કર્યા હતા. એ દિવસે મનોહરમુનિએ એક રાત મુલુંડ પોલીસ સ્ટેશનમાં જ વિતાવવી પડી હતી.
હિંગવાલા ઉપાશ્રયમાં પ્રતિબંધ યુવતીનાં માતા-પિતાના આ આરોપ પછી અને મનોહરમુનિની મુલુંડ પોલીસે ૨૦૧૨માં ધરપકડ કર્યા પછી હિંગવાલા ઉપાશ્રયના એક સમયના પ્રમુખ દીપેશ ખાટડિયા અને અન્ય પદાધિકારીઓએ હિંગવાલા ઉપાશ્રયમાં મનોહરમુનિને ઉપાશ્રયમાં આવવા સામે પ્રતિબંધ મૂકી દીધો હતો. ત્યાર પછી મનોહરમુનિ આ ઉપાશ્રયમાં પહેલી વાર આ વર્ષના ૪ એપ્રિલના રોજ તેમનાં અન્ય મહાસતીઓની સાથે બિરાજમાન થયા હતા.
કોર્ટનો આદેશ શું છે?
યુવતી સાથેના વિનયભંગના કેસમાં મુલુંડ પોલીસની તપાસ પછી મુલુંડની મૅજિસ્ટ્રેટ કોર્ટે ડિસેમ્બર ૨૦૧૭માં મનોહરમુનિને બે વર્ષની કેદ અને ૫૦,૦૦૦ રૂપિયાના દંડનો આદેશ આપ્યો હતો. ત્યાર પછી આખો મામલો મુંબઈની સેશન્સ કોર્ટમાં ગયો હતો. ગુરુવાર, ૪ મેએ સેશન્સ કોર્ટે મુલુંડની મૅજિસ્ટ્રેટ કોર્ટના ઑર્ડરને બહાલી આપી હતી અને મનોહરમુનિને મૅજિસ્ટ્રેટ કોર્ટમાં સરેન્ડર કરવાનો ઑર્ડર આપ્યો હતો.
સુસાઇડ-નોટ
કોર્ટના આ ઑર્ડર પછી મનોહરમુનિ બહુ ગભરાયેલા હતા એમ જણાવતાં બિપિન સંઘવીએ કહ્યું હતું કે ‘અમે પદાધિકારીઓએ તેમને ઘાટકોપરના હિંગવાલા ઉપાશ્રયમાંથી જતા રહેવા કહ્યું હતું, પરંતુ અમને રાજકોટના ગોંડલ સંપ્રદાયના આગેવાનોએ તેઓ હાઈ કોર્ટમાં અપીલ કરવા જઈ રહ્યા છે એવી ખાતરી આપી હતી. ત્યાર પછી અમે મનોહરમુનિ મહારાજ સાહેબના દીક્ષાનાં ૫૦ વર્ષની ઉજવણીના કાર્યમાં વ્યસ્ત થઈ ગયા હતા. મનોહરમુનિ પણ બે દિવસ પહેલાં સુધી એકદમ સ્વસ્થ હતા. અચાનક ગઈ કાલે શું થઈ ગયું અને તેમને કેમ આત્મહત્યા જેવું કરુણ પગલું ભર્યું એ અમારા માટે રહસ્યમય બની ગયું હતું. જોકે પોલીસને તેમની પાસેથી સુસાઇડ-નોટ મળી હતી જે તેમણે મુંબઈના પોલીસ કમિશનરને સંબોધીને લખી હતી.’
પોલીસ કમિશનરને સંબોધીને લખવામાં આવેલી સુસાઇડ-નોટમાં તેમણે લખ્યું છે કે ‘મારા દેહાવસાન સંબંધમાં કોઈ પણ વ્યક્તિને દોષિત ગણશો નહીં. મારી સ્વેચ્છાથી સમાધિપૂર્વક સંથારા સહિત હું દેહનો ત્યાગ કરું છું. તે પહેલાં મેં ભવોભવની આલોચના કરી જગતના સર્વ જીવોને ખમાવેલ છે. છદ્મસ્થ (જેને કેવળ જ્ઞાન ન થયું હોય તે) અવસ્થાને હિસાબે મારા મન-વચન અને કાયાના યોગથી મારાથી ઘણી ભૂલો થઈ હશે. તે સર્વની પરમ કૃપાળુ ભગવાન મહાવીરસ્વામીની સાક્ષીએ ક્ષમા યાચું છું. ચેમ્બુર રહેતા મુકેશભાઈના પરિવારને ખાસ અંત:કરણપૂર્વક ખમાવું છે. અંતમાં જગતના જીવોને આપ્ત-પુરુષોનાં બે વચન કહું છું. ૧. ભોગવે તેની ભૂલ. ૨. થાય તે ન્યાય. આ વચનને હૃદયમાં ઉતારશોજી. મનોહરમુનિ.’
આ સિવાય સુસાઈડ નોટમાં મહાસતીઓનો, ગોંડલ સંપ્રદાયના આગેવાનો અને હિંગવાલા ઉપાશ્રયના અનેક પદાધિકારીઓનો એમની સારસંભાળ લેવા માટે આભાર માનવામાં આવ્યો હતો.
મનોહરમુનિના રાજાવાડી હૉસ્પિટલમાં પોસ્ટમૉર્ટમ પછી તેમની હિંગવાલા લેનમાંથી બપોરે ૨.૩૦ વાગ્યે પાલખીયાત્રા કાઢવામાં આવી હતી. એમાં ઉપાશ્રયમાં ૧૫૦થી ૨૦૦ અનુયાયીઓ ભેગા થઈ ગયા હતા. તેમની પાલખીયાત્રા ઘાટકોપરની હિન્દુ સ્મશાનભૂમિમાં લઈ જવામાં આવી હતી. ત્યાં તેમના અંતિમ સંસ્કાર સ્મશાનભૂમિની બહારના પાર્કિંગ પ્લૉટમાં તેમના સંસારી બનેવીઓ અને ભાઈઓ દ્વારા સાંજના ૪.૩૦ વાગ્યે કરવામાં આવ્યા હતા.
મનોહરમુનિ પણ બે દિવસ પહેલાં સુધી એકદમ સ્વસ્થ હતા. અચાનક ગઈકાલે શું થઈ ગયું અને તેમણે કેમ આત્મહત્યા જેવું કરુણ પગલું ભર્યું એ અમારા માટે રહસ્યમય બની ગયું હતું. જોકે પોલીસને તેમની પાસેથી સુસાઇડ-નોટ મળી હતી જે તેમણે મુંબઈના પોલીસ કમિશનરને સંબોધીને લખી હતી. બિપિન સંઘવી, શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ હિંગવાલાના પ્રમુખ
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.