CIA ALERT

Alert Archives - Page 126 of 510 - CIA Live

November 28, 2021
indiavsnz1.jpg
1min456

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે કાનપુરના ગ્રીનપાર્કમાં પ્રથમ ટેસ્ટ મેચના ચોથા દિવસે ભારતની બીજી ઈનિંગમાં કંગાળ શરૂઆત રહી છે. ત્રીજા દિવસની રમતના અંતે ભારતનો સ્કોર એક વિકેટે 14 રન રહ્યો હતો. ચોથા દિવસે મયંગ અગ્રવાલ અને ચેતેશ્વર પૂજારાએ રમતને આગળ ધપાવતા 11 ઓવરમાં 32 રન કર સુધી સ્કોર પહોંચાડ્યો હતો. પ્રથમ સેશનમાં 37 રનમાં જ ભારતે વધુ ચાર વિકેટ ગુમાવી હતી. જેને પગલે ભારત આ મેચમાં બેકફૂટ પર આવતું જણાય છે.

ચોથા દિવસના પ્રારંભે વાઈસ કેપ્ટન પૂજારા ઈનિંગની 12મી ઓવરમાં જેમીસનના લેગ સાઈડમાં જતા બોલને રમવા જતા તેના ગ્લવ્ઝ પર બોલ અડી જતા તે આઉટ થયો હતો. અમ્પાયરે સોફ્ટ સિગ્નલ નોટઆઉટ આપ્યું હતું પરંતુ બોલર જેમીસન અને વિકેટકીપર બ્લન્ડેલે કપ્તાન કેન વિલિયમસનને ડીઆરએસ લેવાનો આગ્રહ વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ ડીઆરએસ મુજબ પૂજારાના ગ્લવ્ઝ પર બોલ સ્પર્શ્યો હોવાનું સ્નીકોમીટરમાં જણાતા તેને આઉટ આપવામાં આવ્યો હતો. પૂજારા 33 બોલમાં 22 રન કરી આઉટ થયો હતો.

કેપ્ટન અજિંક્યા રહાણે ચોથા ક્રમે બેટિંગમાં ઉતર્યો હતો અને તે તેના કંગાળ ફોર્મને લીધે વધુ એક વખત સસ્તામાં ફક્ત ચાર રન કરી આઉટ થઈ ગયો હતો. એજાઝ પટેલની ઓવરમાં કપ્તાહન રહાણે એલબીડબલ્યુ આઉટ થતા ભારતને ત્રીજો ઝટકો લાગ્યો હતો. 18મી ઓવરમાં ભારતીય ટીમે 51 રન પૂરા કર્યા હતા અને 100 રનની લીડ મેળવી હતી. ડ્રિંક્સ બ્રેક બાદ 20મી ઓવરમાં ઓપનર મયંક અગ્રવાલ પણ ટીમ સાઉથીના આઉટસ્વિંગ બોલ પર સ્લિપમાં લેથમના હાથે કેચઆઉટ થયો હતો. મયંકે 53 બોલમાં 17 રન કર્યા હતા.

સાઉથીની ઓવરના ચોથા બોલ પર ડાબોડી બેટ્સમેન રવિન્દ્ર જાડેજા એલબીડબલ્યુ આઉટ થતા 51 રનમાં ભારતની અડધી ટીમ પેવેલિયન પરત હતી. ન્યૂઝીલેન્ડની શીસ્તબદ્ધ બોલિંગ સામે ભારતના ટોચના બેટ્સમેનો ઘૂંટણીયા ટેકવા મજબૂર થયા હતા.  

November 28, 2021
omicron.jpg
1min674

ઓમીક્રોન નામના નવા વેરિયન્ટના કારણે દુનિયામાં કોરોનાની ચોથી લહેર અને ભારતમાં ત્રીજી લહેરના ભણકારા શરૂ થઈ ગયા છે. દક્ષિણ આફ્રિકાના આ વેરિયન્ટની ઘાતકતા સામાન્ય શબ્દોમાં સમજીએ તો તે અગાઉના ડેલ્ટા વેરિયન્ટ કરતાં સાત ગણી સ્પીડે ચેપ ફેલાવી રહ્યો છે. એટલું જ નહીં પણ તે ખૂબ જ ઝડપથી મ્યૂટેટ પણ થઈ રહ્યો છે. તે પકડાય તે પહેલાં તો તેમાં 32 મ્યૂટેશન થઈ ગયા હોય છે. આ જોઈને યુરોપિયન યુનિયનના તમામ 27 દેશોએ પણ હવે 7 આફ્રિકન દેશો સાથેની ફ્લાઈટ્સ પર રોક લગાવી દીધી છે. જો કે, ભારતમાં અત્યાર સુધી આ વેરિયન્ટવાળો કોઈ કેસ સામે આવ્યો નથી. સતર્કતાના ભાગરૂપે સિંગાપુર, મોરિશસ સહિતના 12 દેશોથી આવનારા યાત્રીઓનું પણ સઘન ચેકિંગ કરવામાં આવશે.

સૌપ્રથમ વેરિયન્ટ ક્યાં જોવા મળ્યો?

આમીક્રોન વાયરસ 11 નવેમ્બરના રોજ બોત્સવાનામાં મળ્યો હતો. ત્યારબાદ હોંગકોંગ, ઈઝરાયેલ અને બેલ્જિયમમાં પણ મળી આવ્યો હતો. લંડન સ્થિત UCL જિનેટિક્સ ઇન્સ્ટિટ્યૂટના કહેવા મુજબ આ વેરિયન્ટ HIV/AIDS દર્દીમાં વિકસિત થઈ શકે છે, જેની સારવાર કરવામાં આવી ન હતી. નવા સ્ટ્રેનની ઉત્પત્તિ વિશે હજુ પણ અટકળો છે, પરંતુ એ એક વ્યક્તિમાંથી જ વિકસિત થયેલો હોઈ શકે છે.

હવે દક્ષિણ આફ્રિકાના રોજ મળતા 90 ટકા કેસમાં આ વેરિયન્ટ જ છે, જે 15 દિવસ પહેલાં માત્ર 1 ટકા જ હતા. દક્ષિણ આફ્રિકામાં છેલ્લા એક અઠવાડિયામાં કોરોનાના નવા દર્દીઓમાં 210 ટકાનો વધારો થતાં હવે દુનિયાભરના વૈજ્ઞાનિકોમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે. કેમકે અત્યાર સુધી સૌથી વધુ ઝડપથી ફેલાતો વેરિયન્ટ ડેલ્ટા હતો. જેના કારણે દુનિયામાં કોરોનાની ત્રીજી અને ભારતમાં બીજી લહેર આવી હતી. 24 નવેમ્બરના રોજ કોરોનાના ઘાતક વેરિયન્ટનો રિપોર્ટ સામે આવતાં જ WHOએ પણ ચિંતા વ્યક્ત કરી હતી.

આ વાઈરસ માનવ શરીરની કોશિકાઓમાં પ્રવેશવા માટે સ્પાઈક પ્રોટીનનો ઉપયોગ કરે છે. ઓમીક્રોનના સ્પાઈક પ્રોટીનમાં જોવા મળતાં 32 વેરિયન્ટ તેને ખતરનાક બનાવે છે. નિષ્ણાતો માને છે કે ઓમીક્રોન 50 વખત મ્યૂટેટ થઈ રહ્યો છે, જેમાં એ 30 વખત મ્યૂટેટ થઈને એકલા સ્પાઈક પ્રોટીન પર હુમલો કરે છે. કોરોનાની મોટા ભાગની વેક્સિન આ સ્પાઇક પ્રોટીન સામે રક્ષણાત્મક કવચ તરીકે કામ કરે છે. જો કે, આ મ્યૂટેશન આગળ વેક્સિનના બે ડોઝ પણ કારગર નીવડ્યા ન હોવાથી સંક્રમણ વધવાનો પણ ડર ફેલાયો છે. એનો અર્થ એ પણ થાય છે કે જે લોકો અગાઉ સંક્રમિત થઈ ચૂક્યા છે કે તેમાંથી બચી ગયા છે તેઓ પણ કોરોનાની ઝપટમાં આવી શકે છે.  

November 27, 2021
fires.jpg
1min503
Gujarat: Fire Breaks Out At Rani Sati Dyeing Mill in Surat (Watch Video) |  ???? LatestLY

સુરતના ઇન્ડસ્ટ્રીટલ એરીયા, પાંડેસરા જીઆઈડીસીમાં આવેલી રાણી સતી ટેક્ષટાઇલ મિલમાં આજે તા.27મી નવેમ્બર 2021ની સવારે 10 વાગ્યાના સુમારે ભીષણ આંગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં હોહા મચી ગઇ હતી. આગને જોતા તેને મેજર કોલ તરીકે ગણીને ફાયર બ્રિગેડની 15 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગના ધુમાડાના કાળા ડિબાંગ ગોટેગોટા બે કિલોમીટર સુધી જોઇ શકાતા હતા. ફાયર વિભાગ દ્વારા ફોર્મયુક્ત પાણીનો મારો ચલાવી 2 કલાકેની જહેમતે આગ પર કાબૂ મેળવવામાં સફળતા મેળવી હતી. મળતી પ્રાથમિક માહિતી મુજબ આજે સવારે રાની સતિ મિલમાં રાબેતા મુજબ બોઇલર પાસે રૂટીન કામ ચાલતું હતું. એ દરમિયાન ઓઈલ લીકેજ થવાથી કેમિકલમાં સ્પાર્ક થતાં જ જોતજોતાંમાં ભીષણ આગ ફાટી નીકળી હોઇ શકે.

પાંડેસરા જીઆઇડીસીની રાણી સતી ડાઇંગ મિલમાં આગ લાગતાં ફાયર વિભાગને પાંચ ગેટની બહારથી 15 જેટલી ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી હતી. ફાયર વિભાગ દ્વારા ફોર્મયુક્ત પાણીનો મારો શરૂ કર્યો હતો અને આગને કાબૂમાં લેતા બે કલાક થયા હતા. ડાઇંગ પ્રિન્ટિંગની અંદર જે કેમિકલ અને યાર્નનો ઉપયોગ થાય છે એ પેટ્રોલિયમ પદાર્થોથી તૈયાર થતો હોય છે અને એને કારણે એ ખૂબ જ્વલનશીલ હોય છે. આ પદાર્થ પર સાદા પાણીથી કંટ્રોલ કરવો ખૂબ જ મુશ્કેલ બની જતું હોય છે, તેથી ફાયર વિભાગ દ્વારા ફોર્મયુક્ત પાણીનો મારો કર્યો હતો.

સુરતના મેયર હેમાલી બોઘાવાલા ઘટના સ્થળ પર પહોંચીને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે જણાવ્યું કે, આગ કાબૂમાં આવી ગઈ છે અને કૂલિંગનું કામ ચાલી રહ્યો છે. સમગ્ર ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી. આગ લાગે ત્યારે ફાયર વિભાગના જવાનો આવે એ પહેલાં મિલના કેટલાક કર્મચારીઓ દ્વારા આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરાયો હતો. શહેરની મોટા ભાગની ફાયર વિભાગની ટીમોએ પહોંચીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

હાલમાં જ ત્રણ દિવસ બંધ રહ્યા બાદ આજે મિલ ચાલુ કરવા સમયે ઘટના બની હોવાનું બહાર આવ્યું છે. રાની સતિ મિલનું સ્ટ્રક્ચર અંદાજે 30 વર્ષ કરતાં પણ જૂની હોવાથી નબળું પડી ગયુ હોવાને કારણે ફાયરબ્રિગેડે સિફતપૂર્વક ઓગ ઓલવવાનું મુશ્કેલ બની રહ્યું હતું.

November 26, 2021
shreyas-iyer.jpg
1min437

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચમાં ડેબ્યૂ કરનાર ભારતના શ્રેયસ ઐયરે ધમાકેદાર સદી ફટકારીને નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ઐયર ડેબ્યૂ ટેસ્ટમાં જ સદી ફટકારનાર ભારતનો 16મો ભારતીય પ્લેયર બન્યો છે. કાનપુરના ગ્રીનપાર્ક સ્ટેડિયમમાં પ્રથમ ટેસ્ટ મેચના બીજા દિવસે શ્રેયસ ઐયરે જેમીસનના બોલ પર બે રન લઈને ટેસ્ટ કારકિર્દીની પ્રથમ સદી ફટકારી છે. શ્રેયસ ઐયરે 157 બોલમાં પોતાની સેન્ચુરી પૂર્ણ કરી હતી. ત્યારબાદ ટીમ સાઉથીના બોલ પર ઐયર 105 રને આઉટ થયો હતો. 
    
મુંબઈના બેટ્સમેને પોતાની પ્રથમ ટેસ્ટ સદીમાં 12 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. આ સાથે જ શ્રેયસ ઐયર લાલા અમરનાથ, ગુંડપ્પા વિશ્વનાથ સૌરવ ગાંગુલી, વિરેન્દ્ર સેહવાગ અને રોહિત શર્મા સહિતના દિગ્ગજ ખેલાડીઓની ક્લબમાં સામેલ થયો છે. ભારત તરફથી ટેસ્ટ ટેબ્યૂમાં સૌપ્રથમ સદી લાલા અમરનાથે ફટકારી હતી. ઐયર ન્યૂઝીલેન્ડ સામે ડેબ્યૂમાં ટેસ્ટ ફટકારનાર ત્રીજો ભારતીય બેટ્સમેન બન્યો છે.
 
લાલા અમરનાથે 1933માં 118, દીપક શોધને પાકિસ્તાન વિરુદ્ધ 1952માં 110 રન જ્યારે એજી કૃપાલ સિંહ 1955માં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 100 રનની અણનમ ઈનિંગ રમી હતી. આ ઉપરાંત અબ્બાસ અલી બેગે ઈંગ્લેન્ડ સામે 1959માં 112 રન કર્યા હતા જ્યારે હનુમંત સિંહે 1964માં ઈંગ્લેન્ડ સામે 105 રનની ઈનિંગ રમી હતી. ગુંડપ્પા વિશ્વનાથે ઓસ્ટ્રેલિયા સામે 1969માં 137 રન કર્યા હતા જ્યારે સુરિંદર અમરનાથે ન્યૂઝીલેન્ડ 1976માં સામે 124 રન કર્યા હતા. 1984માં પૂર્વ કપ્તાન મોહમ્મદ અઝરુદ્દીને ઈંગ્લેન્ડ સામે 110 રન, પ્રવીણ આમરેએ દક્ષિણ આફ્રિકા સામે 1992માં ટેસ્ટ ડેબ્યૂમાં 103 રન કર્યા હતા. સૌરવ ગાંગુલી આ યાદીમાં 10માં ક્રમે છે. વર્તમાન બોર્ડ અધ્યક્ષ ગાંગુલીએ 1996માં ઈંગ્લેન્ડ સામે 131 રન કર્યા હતા. ત્યારબાદ વિરેન્દ્ર સેહવાગે 2001માં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ 105 રન, 2010માં સુરેશ રૈનાએ શ્રીલંકા સામે 120 રન કર્યા હતા. 

શિખર ધવને ઓસ્ટ્રેલિયા સામે 2013માં ડેબ્યૂમાં 187 રન કર્યા હતા. રોહિત શર્માએ 2013માં વેસ્ટ ઈન્ડિઝ સામે 177 રન ફટકાર્યા હતા. પૃથ્વી શોએ 2018માં વેસ્ટ ઈન્ડિઝ સામે 134 રનની ઈનિંગ રમી હતી. 

November 26, 2021
bjplogo.png
1min388

સુરત શહેરમાં ગઇ તા.24મી નવેમ્બરે સાંજે અઠવા ગેટ સ્થિત વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર દ્વારા આયોજિત નૂતનવર્ષ સ્નેહમિલન સમારોહ અભૂતપૂર્વ માનવ મેદની અને વડીલોના આશીર્વચન વચ્ચે પૂર્ણ થયો. કેન્દ્રીય મંત્રી શ્રી અમિત શાહ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, ભાજપાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલે આપેલા અમૂલ્ય માર્ગદર્શન અને આશીર્વચનને કારણે સમગ્ર સમારોહને ચારચાંદ લાગી ગયા છે. સમગ્ર ગુજરાતમાં સુરત ભાજપાના સ્નેહમિલન સમારોહની ચર્ચા ચાલી રહી છે. આવા અદભૂત કાર્યક્રમ બદલ સુરત મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા આ સમારોહને સફળ બનાવવામાં પ્રત્યક્ષ, અપ્રત્યક્ષ રીતે સહભાગી થનાર નામી, અનામી દરેકનો જાહેર ઋણસ્વીકાર કરવામાં આવે છે.

November 26, 2021
sensex_down.jpg
1min402

સતત વધી રહેલા ભારતીય શેરબજારોને આજે તૂટવાનું કારણ મળ્યું અને એ પણ આફ્રિકામાંથી ઉભો થયેલો કોરોનાનો નવો વેરીએન્ટ, કે જેને વિશ્વભર માટે ખતરો માનવામાં આવી રહ્યો છે. બ્રિટન સમેત અનેક દેશોએ આફ્રિકાની ફ્લાઇટ્સ પર પ્રતિબંધો ફરમાવી દીધા છે. જેના પ્રત્યાઘાત આજે ભારતીય શેરબજારો પર પડ્યા હતા.

તા.26મી નવેમ્બરને શુક્રવારે આજે સવારે શેરબજારની શરૂઆત મોટા ઘટાડા સાથે થઈ છે અને સેન્સેક્સે 722.92 પોઈન્ટ્સ, 1.31 ટકાના ઘટાડા સાથે 58,022.17 પર ટ્રેડ કરવાનું શરૂ કર્યું હતું. એ પછી સેન્સેક્સ સતત તૂટતો જ જોવાયો હતો.

મિડકેપ ઈન્ડેક્સમાં 400 પોઈન્ટના ઘટાડા સાથે શરૂઆતી કારોબાર જોવા મળ્યો હતો. નિફ્ટીમાં 192-193 પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડિંગની શરૂઆત થઈ હતી અને તમામ 50 શેરો ઘટાડા સાથે ટ્રેડ થતા જોવા મળ્યા હતા. સવારે 9:23 વાગ્યે, નિફ્ટી 17293 પર ટ્રેડ કરી રહ્યો હતો અને તે જ સમયે તે 240 પોઈન્ટનો ઘટાડો દર્શાવે છે.

બજારમાં આજે માત્ર ફાર્મા ઈન્ડેક્સમાં જ તેજી સાથે કારોબાર થતો જોવા મળ્યો હતો અને ફાર્મા ઈન્ડેક્સના 20માંથી 15 શેરોમાં તેજી સાથે ટ્રેડ થઈ રહ્યા છે. ફાર્મા શેરોમાં સૌથી વધુ ઉછાળો એપોલો હોસ્પિટલ્સમાં જોવા મળ્યો હતો. 20માંથી માત્ર 5 ફાર્મા શેર્સમાં ઘટાડો જોવા મળ્યો હતો, બજારના નિષ્ણાતો આજે ફાર્મા સાથે કેમિકલ શેરોમાં તેજીની અપેક્ષા રાખી રહ્યા છે. આજે કેડિલા હેલ્થકેર ઘટી રહેલા માર્કેટમાં 2.3 ટકાના વધારા સાથે ટ્રેડિંગ કરતી જોવા મળી હતી અને રોકાણકારો તેમાં સારો રસ દાખવી રહ્યા છે.

November 26, 2021
sumullogo.jpg
1min462

ભારતમાં શ્વેત ક્રાંતિના પ્રણેતા ડૉ વર્ગીસ કુરિયનની આજે તા.26મી નવેમ્બર 2021ના રોજ 100મી જન્મ જયંતિના ઉપલક્ષમાં સુરતમાં સુમુલડેરી દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ડો. વર્ગીસ કુરિયને દુધ ક્રાંતિ કરવા માટે આપેલું યોગદાન અને ભારતને વિશ્વમાં સૌથી મોટા દુધ ઉત્પાદક બનાવવા પાછળ રહેલી તેમની દીર્ઘદ્રષ્ટી અંગે સુરતના લોકો વાકેફ થાય તેમને જાણકારી મળે તે માટે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

સુમુલ ડેરીના ચેરમેન માનસિંગભાઇના હસ્તે રેલીને ફ્લેગ ઓફ

સુમુલ ડેરી અને ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના સયુંક્ત ઉપક્રમે રેલી યોજાઈ. - Divya Bhaskar

સમગ્ર દેશમાં દર વર્ષે આજનો દિવસ તા.26મી નવેમ્બર ડો. વર્ગીસ કુરીયનના જન્મદિનને નેશનલ મિલ્ક ડે તરીકે ઉજવાય છે. આ પ્રસંગે આજે સુમુલ ડેરીના મુખ્ય દરવાજેથી ચેરમેન શ્રી માનસિંગભાઇએ 100 બાઈકની રેલીને પ્રસ્તાન કરાવ્યું હતું. આ પ્રસંગે નિયામક મંડળ તથા ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના અધિકારીઓ હાજર રહ્યા હતા. ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અને સુમુલ ડેરીના સયુંકત ઉપક્રમે યોજાયેલી આ રેલી શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફરી હતી.

સાત વિસ્તારમાં ફરી રેલીનું સમાપન થશે.

સવારે 8 કલાકે પ્રસ્થાન પામેલી સુમુલ ડેરીની બાઇક રેલી સુમુલડેરીએથી નીકળીને કિરણ હોસ્પિટલ થઇને ચંદ્રશેખર આઝાદ પુલ પરથી નવયુગ કોલેજ રાંદેર રોડ પર આગળ વધી હતી. માર્ગમાં ઠેરઠેર રાહદારીઓ, વાહનચાલકોએ સુમુલ ડેરીની બાઇક રેલી તથા તેને યોજવાના કારણ અંગે પૂચ્છા કરતા ડો.વર્ગીસ કુરીયનની યાદો તાજી થઇ હતી. નવયુગ કોલેજ પાસે રેલીએ થોડા વિરામ ત્યાંથી આનંદ મહલ રોડ, પ્રાઇમ આર્ખેડ થઇને હની પાર્ક રોડથી વાયા એલપી. સવાણી રોડ ટીજીબી સર્કલ પાસે પહોંચી હતી. માર્ગમાં ઠેરઠેર લોકોને સુમુલ ડેરીની આ બાઇક રેલી અંગે કૂતુહલ સર્જાયું હતું.

એલપી સવાણી રોડ ટીજીબી સર્કલથી રેલી પાલ આરટીઓ, ઉમરા પુલ પર થઇને એસવીએનઆઇટી સુધી પહોંચી હતી. એસવીએનઆઇટીથી પારલે પોઇન્ટ થઇને સાયન્સ સેન્ટર પહોંચી હતી. જ્યાં પાંચ મિનિટના વિરામ બાદ સાયન્સ સેન્ટરથી સિટીલાઇટ, કેનાલ રોડ, જોગર્સ પાર્ક થઇને વાયા ઘોડદોડ રોડ, મજૂરાગેટ થઇને પરત સ્ટેશન, સુમુલ ડેરી પર વિરામ પામી હતી.

ડો.વર્ગીસ કુરીયન

ડો. વર્ગીસ કુરિયનની દીર્ઘદ્રષ્ટિના કારણે શ્વેતક્રાંતિનુ સર્જન થયું હતું. આજે વિશ્વભરમાં અમુલ પ્રોડક્ટનું એક ડેરી ઉદ્યોગમાં અલગ જ સ્થાન છે. ડેરી પ્રોડક્ટ આજે વિશ્વની સમકક્ષ આપણે આવીને ઊભા છીએ. શ્વેતક્રાંતિના કારણે દેશભરમાં કરોડોની સંખ્યામાં લોકોને રોજગારી ઊભી થઈ છે. પશુપાલકને એક ઉદ્યોગ તરીકે સ્થાપિત કરવામાં તેમણે સૌથી મોટી ભૂમિકા ભજવી હતી. નાના નાના ગામોમાં પણ આજે આધુનિક રીતે પશુપાલકો અને અમૂલ ડેરીના સંચાલકો સંકલન કરીને વધુમાં વધુ ગુણવત્તા સભર દૂધ મળી રહે તેવા પ્રયાસો કરી રહ્યા છે.

November 26, 2021
dr-purnima-nadkarni-ivf.jpg
1min625

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

નિસંતાનપણું આજે વૈશ્વિક સમસ્યા બની ચૂકી છે. અનેક પરિવારો સંતાન નહીં થતા હોવાથી સામાજિક રીતે અનેક દુષણોની સમસ્યાનો ભોગ બની રહ્યા છે. આવા દંપતિઓને સંતાન થઇ શકે તે માટે In vitro fertilization (ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન) આશીર્વાદરૂપ ટ્રીટમેન્ટ છે. સુરત કે દક્ષિણ ગુજરાતમાં જ નહીં પરંતુ, વૈશ્વિક સ્તરે જેમને IVF ના એક્સપર્ટ તરીકે માન્યતા મળી છે એવા સ્વર્ગીય ડૉ.પૂર્ણિમા નાડકર્ણીની સ્મૃતિમાં તેમના જન્મદિવસ, 25 નવેમ્બરના રોજ નિમાયા વેલફેર ફાઉન્ડેશન અને 21st Century Hospitals દ્વારા વંધ્યત્વથી પીડાતા યુગલો માટે ડૉ. પૂર્ણિમા નાડકર્ણી મેમોરિયલ ફંડની શરૂઆત કરવામાં આવી છે. જેમાં આર્થિક રીતે In vitro fertilization (ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન) ટ્રીટમેન્ટ એફોર્ડ નહીં કરી શકે તેવા નિસંતાન દંપતિઓને સંતાન પ્રાપ્તિ માટેની અંદાજે રૂ.1 લાખ 50 હજારની ગર્ભધારણ સુધીની સંપૂર્ણ સારવાર ફક્ત રૂ.35 હજારમાં જ કરી આપવામાં આવશે.

નિમાયા વેલફેર ફાઉન્ડેશન અને 21st Century Hospitals દર મહિને વધુમાં વધુ 10 યુગલોને આ પ્રકારે રાહત દરે ટ્રીટમેન્ટ આપવાનું હાલ પ્લાનિંગ કરી રહ્યા છે. જેમ જેમ તેઓને ફંડિંગની સુવિધા વધુ મળશે તેમ તેમ તેઓ ભવિષ્યમાં આ સંખ્યા વધારી પણ શકે.

Dr. Purnimaben Nadkarni of Pardi in Valsad district dies of cancer, dies in  Goa | વલસાડ જિલ્લાના પારડીના ડો પૂર્ણિમાબેન નાડકર્ણીનું કેન્સરની બીમારીના  કારણે નિધન, ગોવામાં ...

વંધ્યત્વથી પીડાતા યુગલો માટે ડૉ. પૂર્ણિમા નાડકર્ણી મેમોરિયલ ફંડ, રાહતદરે સેવા

ડૉ.પૂજા નાડકર્ણી સિંહ અને ડૉ.પ્રભાકર સિંહે સ્વ.ડો.પૂર્ણિમા નાડકર્ણી મેમોરીયલ ફંડ તેમજ તેની કામગીરી વિષે પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપી હતી

દોઢ લાખની ટ્રીટમેન્ટ 35000માં, શું શું સામેલ હશે ટ્રીટમેન્ટમાં

લેબ ટેસ્ટિંગ, મેડિકલ સ્ટોરની દવાઓ, તમામ હોર્મોન્સ, IVF લેબ ચાર્જ, સોનોગ્રાફી, સુધી હોસ્પિટલમાં રહેવા અને IVF પછી 15 દિવસ સુધી આપવામાં આવતી દવાઓ જેવા તમામ ખર્ચનો સમાવેશ થાય છે. ટૂંકમાં ડો. પૂજા નાડકર્ણીએ જણાવ્યું હતું કે ગર્ભધારણ સુધીની તમામે તમામ ટ્રીટમેન્ટ અને IVFનો બાકીનો ખર્ચ નીમાયા વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા ઉઠાવવામાં આવશે. એ પછી ડિલીવરી માટે કોઇપણ હોસ્પિટલમાં તેઓ જઇ શકશે.

આર્થિક રીતે IVFનો ખર્ચ ન ઉઠાવી શકે તેવી જરૂરીયાતમંદ મહિલાઓને જ ટ્રીટમેન્ટ મળશે

ડો.પૂજા નાડકર્ણી સિંહે જણાવ્યું હતું કે આજે IVF ટ્રીટમેન્ટ સૌથી મોંઘી છે, અમારી જાહેરાત બાદ શક્ય છે કે કોઇપણ નિસંતાન દંપતિ આ ટ્રીટમેન્ટ સસ્તામાં મળતી હોઇ, એ લેવા અમારી પાસે પહોંચી શકે. પરંતુ, અમે સામાજિક સંસ્થાઓ કે અન્ય કોઇના રેફરન્સ તથા મહિલા ખરેખર જરૂરીયાત મંદ છે અને આર્થિક રીતે નબળા વર્ગની છે કે નહીં તેની તપાસ કર્યા પછી જ તેમની પસંદગી કરીશું.

November 25, 2021
Cia_business_news-1280x936.jpg
1min584

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના લિડરશીપમાં સુરતના વીવીંગ ઉદ્યોગકારોના જુદા જુદા સંગઠનો દ્વારા છેલ્લા બે મહિનાથી ચલાવવામાં આવેલી પોલીએસ્ટર સ્પન યાર્ન પર એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લાગૂ નહીં કરવા સંદર્ભની લડત રંગ લાવી છે અને હવે એ વાત નિશ્ચિત બની ચૂકી છે કે આખા ભારતના વીવીંગ ઉદ્યોગકારો પૈકી સુરતના વીવર્સ જેનો સૌથી વધુ ઉપયોગ કરે છે એ પોલિએસ્ટર સ્પન યાર્ન પર એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાડવાની કેન્દ્ર સરકારની કોઇ યોજના નથી.

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની રજૂઆત તથા ટેકસટાઇલ મંત્રી પીયુષ ગોયલ અને ટેકસટાઇલ રાજ્ય મંત્રી દર્શના જરદોશના અથાગ પ્રયત્નને કારણે પોલિએસ્ટર સ્પર્ન યાર્ન ઉપર એન્ટી ડમ્પીંગ ડયૂટી નહીં લાગતા વિવિંગ – નિટીંગ ઇન્ડસ્ટ્રીને મોટી રાહત

ભારતમાં ચાઇના, ઇન્ડોનેશિયા અને વિયેતનામથી આયાત થતા પોલિએસ્ટર સ્પર્ન યાર્ન ઉપર એન્ટી ડમ્પીંગ ડયૂટી લગાવવા માટે ડીજીટીઆર દ્વારા ભલામણ થઇ હતી. ૧૮ નવેમ્બર, ર૦ર૧ના રોજ પોલિએસ્ટર સ્પર્ન યાર્ન ઉપર એન્ટી ડમ્પીંગ ડયૂટી લગાવવાની ડેડલાઇન પૂરી થઇ, નાણાં મંત્રાલય તરફથી નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું નહીં

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ આશીષ ગુજરાતી જણાવે છે કે, ડીજીટીઆર દ્વારા તા. ૧૯ ઓગષ્ટ, ર૦ર૧ના રોજ ભારતમાં ચાઇના, ઇન્ડોનેશિયા અને વિયેતનામથી આયાત થતા પોલિએસ્ટર સ્પર્ન યાર્ન ઉપર એન્ટી ડમ્પીંગ ડયૂટી લગાવવા માટે ભલામણ કરવામાં આવી હતી. જેના વિરોધમાં ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને ફિઆસ્વી દ્વારા ભારત સરકારના કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, ટેકસટાઇલ્સ, કન્ઝયુમર અફેર્સ અને ફૂડ એન્ડ પબ્લીક ડિસ્ટ્રીબ્યુશન મંત્રી પીયુષ ગોયલ, દેશના ટેકસટાઇલ અને રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોશ, ટેકસટાઇલ સેક્રેટરી ઉપેન્દ્ર પ્રસાદ સિંગ અને ટેકસટાઇલ કમિશનર રૂપ રાશીને પોલિએસ્ટર સ્પર્ન યાર્ન ઉપર એન્ટી ડમ્પીંગ ડયૂટી નહીં લાગે તેવી રજૂઆત કરવામાં આવી હતી.

ચેમ્બર પ્રેસિડેન્ટ આશિષ ગુજરાતી, વાઇસ પ્રેસિડેન્ટ હિમાંશુ બોડાવાલા, ફિયાસ્વીના ચેરમેન ભરત ગાંધી, અગ્રણી મયુર ગોળવાલા વગેરેએ કેન્દ્ર સરકાર સમક્ષ અસરકારક રીતે રજૂઆતો કરીને પોલીએસ્ટર સ્પન યાર્ન પર એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લાગૂ કરવાની ભલામણનો પૂરજોશથી વિરોધ કર્યો હતો

દરમ્યાન તા. ૮ નવેમ્બર, ર૦ર૧ના રોજ નવી દિલ્હી ખાતે ટેકસટાઇલ સેક્રેટરી ઉપેન્દ્ર પ્રસાદ સિંગ દ્વારા એક ખાસ મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતી અને પાંડેસરા વિવર્સ કો–ઓપરેટીવ સોસાયટી તરફથી મયુર ગોળવાલા તથા ડીજીટીઆરમાં આ અંગે અરજી કરનારા આઠ મેન્યુફેકચરર્સ પણ ઉપસ્થિત રહયા હતા. ચેમ્બર દ્વારા પોલિએસ્ટર સ્પર્ન યાર્ન ઉપર એન્ટી ડમ્પીંગ ડયૂટી નહીં લાગે તે સંદર્ભે તમામ પાસાઓ રજૂ કરવામાં આવ્યા હતા.

મિટીંગના અંતે ચેમ્બરે, અધિકારીઓ અને એન્ટી ડમ્પીંગ ડયૂટી લગાવવા માટે અરજી કરનારાઓને પોલિએસ્ટર સ્પર્ન યાર્ન ઉપર એન્ટી ડમ્પીંગ ડયૂટી નહીં લાગે તે માટે સહમત કર્યા હતા. તા. ૧૮ નવેમ્બર, ર૦ર૧ના રોજ પોલિએસ્ટર સ્પર્ન યાર્ન ઉપર એન્ટી ડમ્પીંગ ડયૂટી લગાવવાની ડેડલાઇન પૂરી થતી હતી. કસ્ટમના નિયમ અનુસાર ડીજીટીઆરનું ફાઇનલ ફાઇન્ડીંગ રજૂ થયાના ત્રણ મહિનાની અંદર નાણાં મંત્રાલય દ્વારા કાર્યવાહી કરી નોટિફિકેશન બહાર પાડવામાં આવે છે. પરંતુ આ સંદર્ભે ત્રણ મહિના વિતિ ગયા બાદ પણ નાણાં મંત્રાલય દ્વારા કોઇ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું નથી. એનો સીધો મતલબ એ થાય છે કે પોલિએસ્ટર સ્પર્ન યાર્ન ઉપર એન્ટી ડમ્પીંગ ડયૂટી લગાવવામાં આવી નથી.

ચેમ્બર તથા ફિઆસ્વીની સતત રજૂઆતો તથા મંત્રી દર્શના જરદોશના અથાગ પ્રયાસોને કારણે પોલિએસ્ટર સ્પર્ન યાર્ન ઉપર એન્ટી ડમ્પીંગ ડયૂટી નહીં લાગતા વિવિંગ અને નિટીંગ ઉદ્યોગને ઘણી મોટી રાહત થઇ છે. આથી ચેમ્બરના સૂચનોને ધ્યાનમાં લેવા માટે ચેમ્બર દ્વારા કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલ, રાજ્ય મંત્રી દર્શના જરદોશ, ટેકસટાઇલ સેક્રેટરી ઉપેન્દ્ર પ્રસાદ સિંગ અને ટેકસટાઇલ કમિશનર રૂપ રાશીનો આભાર માનવામાં આવ્યો હતો.

November 23, 2021
cia_multi-1280x1045.jpg
1min624

સચિન ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીના મેનેજમેન્ટના ભાગરૂપે ઉદ્યોગપતિ મહેન્દ્ર રામોલિયા અને તેમની ટીમે આજે સચિન હજીરા હાઇવેથી સુરત અવરજવર કરતા લોકોને કનડતા ટ્રાફિકના પ્રશ્નમાંથી છુટકારો મળે તેવું ભગીરથ કાર્ય કરી દેખાડ્યું છે. સચિન હજીરા હાઇવે પર ટ્રાફિક જામનું કારણ બનેલા ગભેણી ચોકડી સ્થિત સ્પીડ બ્રેકરને મહેન્દ્ર રામોલિયા અને તેમની ટીમે હાઇવે ઓથોરિટી, ટ્રાફિક પોલીસ, ગ્રામજનો વગેરેનું સંકલન સાધીને આજે તા.23મી નવેમ્બરે દૂર કરાવ્યા હતા. જેને લઇને ટ્રાફિક જામમાં દરરોજ ફસાતા હજારો વાહનચાલકોને આજથી મોટી રાહત મળશે.

છેલ્લા એકાદ મહિનાથી સચિન હજીરા રોડ પર થઇ થઇ રહેલા ભારે ટ્રાફિક જામ માટે કારણભૂત બનેલા ગણેભી ચોકડી સ્થિત સ્પીડ બ્રેકરને આખરે આજે દૂર કરવામાં આવ્યા હતા. સચિન જીઆઇડીસી સ્થિત સચિન ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી મેનેજમેન્ટે નેશનલ હાઇવે ઓથોરિટી, સુરત ટ્રાફિક પોલીસ, ગામજનો વગેરેનું સંકલન કરીને આખરે અશક્ય લાગતું કામ કરી દેખાડ્યું હતું.

સચિનથી હજીરા જતા સ્ટેટ હાઇવે પર છેલ્લા એકાદ મહિનાથી સવારે અને સાંજના પીક અવર્સ દરમિયાન ભારે ટ્રાફિક જામ થતો હતો. કલાકો ફોરવ્હીલ વાહનચાલકો ટ્રાફિક જામમાં સપડાતા હતા અને ટ્રાફિક પોલીસથી લઇને નેશનલ હાઇવે ઓથોરિટી સુધી ફરીયાદો ઉઠી હતી. અધૂરામાં પૂરું સચિન જીઆઇડીસીમાં જવા આવવા માટેના બે મુખ્ય ગેટ પૈકી એક ગેટ વિકાસ કામોને કારણે હંગામી ધોરણે બંધ હોઇ, સચિનથી સુરત આવતા હજારો વાહનોનો વધારાનો ટ્રાફિક પણ જામનું કારણ બન્યો હતો.

તપાસમાં એ પણ બહાર આવ્યું કે ગભેણી ચોકડી ખાતે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા બનાવવામાં આવેલા એક સાથે 12 નાનાનાના સ્પીડ બ્રેકરને કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાયેલી જોવા મળતી હતી. સચિન ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીના મહેન્દ્રભાઇ પટેલ, સેક્રેટરી નિલેશ કોરાટ વગેરેએ આગેવાની લઇને નેશનલ હાઇવે ઓથોરિટી, ટ્રાફિક પોલીસ તેમજ ગામજનોનો સંપર્ક સાધીને ટ્રાફિક જામના નિવારણ માટે ગભેણી સ્થિત સ્પીડ બ્રેકર દૂર કરવા માટેનું કામ ઉપાડ્યું હતું. જેમાં સમજાવટથી તમામ પક્ષો માની જતા આજે આખરે ગભેણી ખાતેના નેશનલ હાઇવેના સ્પીડ બ્રેકરને તોડવાનું કામ હાથ ધરવામાં આવ્યું હતું.