CIA ALERT

Alert Archives - Page 117 of 518 - CIA Live

April 25, 2022
heatwave.jpg
1min714

પાછલા સપ્તાહે વાદળછાયા વાતાવરણ અને વરસાદની આગાહીની વચ્ચે થોડા દિવસ ગરમીમાંથી રાહત મળી હતી હવે ફરીથી હવામાન વિભાગે આગામી 8 દિવસ કાળઝાળ ગરમી માટે ગુજરાતીઓ તૈયાર રહે તેવી આગાહી કરી છે. મંગળવારથી ગરમીનો પારો ઉંચકાવા જઈ રહ્યો છે. 26 એપ્રિલ, મંગળવારથી 8 દિવસ રાજ્યભરમાં 44 ડિગ્રીથી વધુ ગરમી નોંધાશે.

હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ મુજબ, 25 એપ્રિલથી 2 મે સુધી રાજ્યમાં હીટવેવની આગાહી કરાઈ છે.
હવામાન વિભાગ દ્વારા અપાયેલી માહિતી મુજબ, પાકિસ્તાનમાં સર્જાનારા એન્ટિ સાઈક્લોનિક સરક્યુલેશનથી ગરમી વધશે. 29, 30 એપ્રિલે અમદાવાદમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર જઈ શકે છે. તો રાજ્યના કેટલાક શહેરોમાં ગરમીનો પારો 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે.

દરમિયાનમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં હિટવેવની આગાહી છે ત્યારે સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, ગિર સોમનાથ, કચ્છ, રાજકોટ, અમરેલી, દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ તથા ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા તથા ગાંધીનગર અને અમદાવાદ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

શનિવારે અમદાવાદ સહિત 4 શહેરોમાં ગરમીનો પારો 42 ડિગ્રી અને 5 શહેરોમાં 41 ડિગ્રી પાર કરી ગયો હતો. શનિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતા 1.1 ડિગ્રી વધીને 41.5 ડિગ્રી અને લઘુતમ તાપમાન 1.5 ડિગ્રી વધીને 26.5 ડિગ્રી નોંધાયું હતું. આગામી દિવસોમાં અમદાવાદમાં ક્રમશ ગરમીમાં વધારો થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
હવામાન ખાતાના આંકડાઓ પરથી જણાય છે કે છેલ્લાં 10 વર્ષમાં પહેલીવાર રાજ્યમાં ગરમીનો પારો 15 માર્ચ પહેલાં 40 ડિગ્રીએ પહોંચ્યો હતો. અગાઉ સૌથી વધુ 42.8 ડિગ્રી મહત્તમ તાપમાન 28 માર્ચ-2017ના રોજ નોંધાયું હતું. ગત વર્ષે 29 માર્ચના 41.7 ડિગ્રી સાથે સૌથી વધુ ગરમી નોંધાઇ હતી.
જૂનાગઢમાં હિટવેવ તાપમાન 42.7 ડિગ્રી
જૂનાગઢ શહેર અને જિલ્લામાં ઉનાળાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ગગનમાંથી અગનવર્ષા શરૂ થઇ  છે. પરિણામે બપોરના સમયે સ્વૈચ્છિક કફર્યુ જેવી સ્થિતિ સર્જાય છે. જૂનાગઢમાં આજે મહતમ તાપમાન 42.7 ડિગ્રી ન્યુનતમ 26.9 ડિગ્રી, ભેજ 30 અને 14 ટકા, પવન 6 કિ.મી. નોંધાયો છે.

April 23, 2022
navneet.jpeg
1min818

મુંબઈમાં હનુમાન ચાલીસાના જાપને લઈ વિવાદ વકર્યો છે. અપક્ષ સાંસદ નવનીત રાણાએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના ‘માતોશ્રી’ આવાસ બહાર હનુમાન ચાલીસાનો જાપ કરાવવાની જાહેરાત કરી હતી અને ત્યાર બાદ સ્થિતિ વણસી રહી છે. નવનીત રાણાએ સવારે 9:00 વાગ્યાનો સમય આપ્યો હતો અને તેના પહેલાથી જ મોટી સંખ્યામાં શિવસૈનિકો તેમના ઘર બહાર પહોંચીને હંગામો કરવા લાગ્યા હતા.

ખાર વિસ્તારમાં સાંસદ નવનીત રાણાના ઘર બહાર આ પ્રકારે હોબાળો મચ્યો છે. નવનીત રાણાના પતિ રવિ રાણા અપક્ષ ધારાસભ્ય છે. બંનેએ માતોશ્રી બહાર હનુમાન ચાલીસાનો પાઠ કરવાની જાહેરાત કરી હતી. નોટિસ મળ્યા બાદ પણ નવનીત રાણા હનુમાન ચાલીસાના પાઠ માટે અડગ છે. 

મુંબઈ પોલીસે તેમને આ મામલે નોટિસ પણ પાઠવી છે. રાણા દંપતીના નિર્ણય બાદ મુખ્યમંત્રીના નિવાસસ્થાન ‘માતોશ્રી’ની બહાર સુરક્ષા વ્યવસ્થાને વધારે સઘન કરી દેવામાં આવી છે. 

તે સિવાય રાણા અને શિવસૈનિકો વચ્ચેની અથડામણ રોકવા માટે માલાબાર હિલ્સ ખાતે મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસસ્થાન ‘વર્ષા’ની બહાર પણ ભારે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે. 

April 22, 2022
coal.jpg
1min510

દેશના કેટલાય રાજ્યોમાં કોલસાની અછત સર્જાતા આઠ-આઠ કલાકનો વીજકાપ મૂકાયો છે. ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક, કેરળ જેવા રાજ્યોમાં ત્રણથી લઈને આઠ-આઠ કલાકનો વીજકાપ મૂકાઈ રહ્યો છે. થર્મલ પ્લાન્ટમાં કોલસાની અછત સર્જાઈ હોવાથી આ સ્થિતિનું નિર્માણ થયું છે.

કયા રાજ્યોમાં વીજકટોકટી 

ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર, ઓડિશા

ભારતના કેટલાય મોટા રાજ્યોમાં વીજળીની કટોકટી સર્જાઈ ગઈ છે. કોલસાની અછતના કારણે વીજળીનું ઉત્પાદન ઘટયું છે. વીજળીનું ઉત્પાદન ઘટતા આઠ-આઠ કલાકનો પાવરકટ લાગુ થયો છે. ઉનાળાની શરૃઆત સાથે જ ભારતના કેટલાય રાજ્યોમાં વીજળીની ગંભીર કટોકટીનું નિર્માણ થયું છે. ખાસ તો ઉત્તર પ્રદેશના ગ્રામ્ય વિસ્તારોમાં કેટલાક ગામડાંઓમાં ૧૦-૧૦ કલાક સુધી વીજળીનો કાપ મૂકાય છે. માર્ચ મહિનામાં યોગ્ય રીતે વીજળી મળતી હતી, પરંતુ એપ્રિલમાં ભર ઉનાળે અચાનક વીજળીનો કાપ લાગુ કરી દેવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશમાં વીજ બિલ સમયસર ન ચૂકવનારા મોટા ૩.૬૪ લાખ ગ્રાહકોના વીજ-જોડાણો કાપી નાખવામાં આવ્યા હતા. તે ઉપરાંત ૧૮૨ કરોડ રૃપિયા વસૂલાયા હતા. વીજળી ચોરીના કેસ પણ વધ્યા હતા. વીજ ચોરીના ૨૬૩૯૬ મામલા નોંધાયા હતા. ઉત્તર પ્રદેશમાં વીજળીની ગંભીર અછત છેલ્લાં એક સપ્તાહથી સર્જાઈ ગઈ છે.તે ઉપરાંત ઉત્તરાખંડમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં આઠથી ૧૦ કલાક વીજળી ગૂલ રહે છે. પંજાબ-હરિયાણામાં વીજળીની ખપત ૩૦ ટકા સુધી વધી હતી, તેના પરિણામે એપ્રિલ માસમાં અછત સર્જાઈ ગઈ છે. સામાન્ય રીતે મે-માસમાં વીજ કાપની સ્થિતિ સર્જાતી હોય છે તેના બદલે આ રાજ્યોમાં એપ્રિલમાં જ ત્રણથી આઠ કલાકનો વીજકાપ લાગુ કરાયો છે. હરિયાણામાં વીજળીનો કાપ મૂકાતા ઔદ્યોગિક ઉત્પાદન પણ ઘટી ગયું છે. પંજાબ, હરિયાણા ઉપરાંત આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર, કેરળ, ઓડિશા જેવા રાજ્યોના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ કાપ મૂકી દેવામાં આવ્યો છે.

ભારતમાં કોલસા અને ક્રૂડ ઉપર વીજળીની સપ્લાયનો આધાર છે. આ વર્ષે કોલસાની ભારે અછત સર્જાતા આ સ્થિતિ આવી પડી છે. માર્ચ મહિનામાં ખૂબ તાપ પડયો હતો, તેના કારણે માર્ચ માસમાં જ ધારણાં કરતાં વધુ વીજળીનો જથ્થો વપરાયો હતો. માર્ચમાં વધુ વીજળીની જરૃર પડતાં એપ્રિલમાં અછત સર્જાઈ છે. મોટાભાગના થર્મલ પ્લાન્ટમાં કોલસાની અછત સર્જાઈ ગઈ છે. 

દેશના મોટા ૧૬૪માંથી ૨૭ થર્મલ પ્લાન્ટમાં માત્ર ૦થી પાંચ ટકા કોલસાનો જથ્થો છે. ૩૦ ટકા થર્મલ પ્લાન્ટમાં ૧૦ ટકા કે એનાથી પણ ઓછો કોલસો બચ્યો છે. સેન્ટ્રલ ઈલેક્ટ્રિસિટી ઓથોરિયાના આંકડાં પ્રમાણે ડેઈલી સ્ટોકમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ૨૧ થર્મલ પ્લાન્ટમાં ૬થી ૧૦ ટકા જેટલો કોલસો ઉપલબ્ધ છે. ૧૬૪ મોટા થર્મલ પ્લાન્ટ પૈકી ૪૮ એટલે કે ૨૯ ટકા પાસે ૧૦ ટકા જેટલો કોલસો માંડ બચ્યો છે.

કોલસા મંત્રાલયના સૂત્રોના કહેવા પ્રમાણે દેશના કુલ કોલસાની જરૃરિયાતમાંથી ૨૦ ટકા જેટલો જથ્થો ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાંથી આયાત થાય છે. અત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં કોલસો મોંઘો થયો હોવાથી ભારતીય કંપનીઓએ કોલસાની આયાત ઘટાડી દીધી છે. પરિણામે કોલસાનો જથ્થો ઘટી ગયો છે.

અહેવાલો પ્રમાણે દેશમાં કોલસાનો જથ્થો નવ વર્ષમાં સૌથી ઓછો થઈ ચૂક્યો છે. તેના કારણે આગામી દિવસોમાં વીજળીની કટોકટી વધારે ઘેરી બને તેવી શક્યતા છે.

સરકારી આંકડાં પ્રમાણે દેશમાં એપ્રિલ માસના પહેલા સપ્તાહમાં જ વીજળીની માગમાં ૧.૪ ટકાનો વધારો થયો હતો. માર્ચ મહિનો ખૂબ જ ગરમ રહ્યો હતો અને એપ્રિલ માસના પહેલા સપ્તાહમાં જ અસહ્ય ગરમી પડવાનું શરૃ થયું હતું. એના કારણે દેશમાં સરેરાશ ૧.૪ ટકા વીજળીની જરૃરિયાત વધી હતી. માર્ચની શરૃઆતમાં વીજળીની માગમાં ૦.૫ ટકાનો ઘટાડો થયો હતો, પરંતુ માર્ચના અંતમાં અચાનક ગરમી વધી પડતાં વીજળીની જરૃરિયાત પણ વધી ગઈ હતી.

April 22, 2022
fenil.jpg
1min1024

સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવનાર સુરતમાં બનેલા ગ્રીષ્મા વેકરિયા હત્યા કાંડમાં તા.21 એપ્રિલે સુરત કોર્ટ દ્વારા આરોપી ફેનિલ ગોયાણીને કસૂરવાર ઠેરવવામાં આવ્યો હતો. તા.22 એપ્રિલ, શુક્રવારે ગ્રીષ્માની સરજાહેર ઘાતકી હત્યા કરનાર ફેનિલને કોર્ટ સજા સંભાળવાશે. કોર્ટ પાસે સરકારી પક્ષના વકીલે ગુનેગાર ફેનિલને ફાંસીની સજા મળે તેવી માગ કરાઇ છે.’

ભારે સુરક્ષા બંદોબસ્ત સાથે પોલીસ આરોપી ફેનિલને આજે સવારે કોર્ટમાં લઇને પહોંચી હતી. આરોપી સામે હત્યાના તમામ આરોપો પુરવાર થતાં કોર્ટે તેને ગુનેગાર જાહેર કર્યો હતો અને આવતીકાલે તેનો ચૂકાદો જાહેર કરાશે.’

વેકરિયા પરિવારની દીકરી ગ્રીષ્માની ઘાતકી હત્યા કરવાના કેસમાં મુખ્ય ન્યાયધીશ વીમલ વ્યાસે બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આજે આરોપી ફેનીલને તમામ કલમોમાં તકસીરવાર ઠેરવવાનો હુકમ કર્યો હતો. જો કે સજા કેટલી તે અંગેની મુખ્ય સરકારી વકીલ નયન સુખડવાલા અને બચાવ પક્ષના વકીલ ઝમીર શેખ અને અજય ગોંડલિયા દલીલો શુક્રવારના રોજ કરશે.’

રાજ્યમાં પ્રથમ વખત હત્યાકાંડના મામલે ઝડપથી ચૂકાદો આવશે. ગ્રીષ્માની હત્યાની ઘટના બાદના 69માં દિવસે ચૂકાદો આવ્યો છે. બીજી તરફ કોર્ટે ફેનિલને દોષિત ઠેરવ્યા બાદ પૂછયું હતું કે તમને મુત્યુદંડ કેમ ન આપવો? કોર્ટે ત્યાં સુધી કહ્યું હતું કે, આરોપીએ નિ:સહાય હથિયાર વગરની યુવતીનો આરોપીએ મર્દાનગી બતાવી મનુષ્યવધ કર્યો છે. કોર્ટે અંતિમ સજા સંભાળવતા પહેલા આરોપીને કંઇ કહેવું હોય તો કહેવા માટે પૂછયું હતું પરંતુ એક પણ શબ્દ ઉચ્ચાર્યો ન હતો.

ગત તા. 12મી ફેબ્રુઆરી 2022ના રોજ પાસોદરામાં ગ્રીષ્મા વેકરિયાની ફેનિલ ગોયાણીએ જાહેરમાં ગળું કાપી કરપીણ હત્યા કરી હતી ત્યાર બાદ પોતાના હાથની નસ કાપીને ઝેરી દવા પીવાનું નાટક કરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગ્રીષ્માની હત્યા કરનારા આરોપી ફેનિલને હોસ્પિટલમાંથી રજા મળતા પોલીસે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતા જ્યુડિશિયલ કસ્ટડીમાં ખસેડયો હતો.’

હત્યાકાંડની તપાસ માટે ડીવાયએસપી ભગવતાસિંહ વનારની આગેવાનીમાં એસઆઈટી બનાવવામાં આવી હતી. એસઆઈટીએ સમગ્ર કેસની ઝડપી તપાસ કરી હતી. સાક્ષીઓ અને ટેકનિકલ એવીડન્સ કોર્ટ સમક્ષ રજૂ કરાયા’ હતા. એસઆઈટી દ્વારા 2500 પાનાની ચાર્જશીટ દાખલ કરાઈ હતી. આરોપી ફેનિલ સામે કોર્ટમાં 28 ફેબ્રુઆરીથી ન્યાયની લડાઈ શરૂ થઈ હતી. 6 એપ્રિલના રોજ દલીલો પૂર્ણ થઈ હતી. આ કેસમાં વધુ સુનાવણી 16 એપ્રિલે થઇ હતી. જો કે બચાવ પક્ષના વકીલ હાજર ન રહેતાં કોર્ટે સુનાવણીની તારીખ 21 એપ્રિલે કરવામાં આવી છે. આજે ફેનીલ ગુનેગાર સાબિત થયો છે અને આવતીકાલે તેને સજા સંભાળવવામાં આવશે.’

April 19, 2022
indonesia.jpg
1min521

ઈન્ડોનેશિયામાં Date 19/4/21, મંગળવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઈન્ડોનેશિયાની ધરતી ભૂકંપથી હચમચી ગઈ હતી. ભૂકંપના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી આવ્યા હતા. મળતી માહિતી મુજબ, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.0 નોંધાઈ હતી.

નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજી (NCS)ના જણાવ્યા પ્રમાણે ભૂકંપના આંચકા સવારે 6:53 વાગ્યે અનુભવાયા હતા. NCSએ જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર સુલાવેસીથી 779 કિમી દૂર હતું.

એજન્સીના જણાવ્યા અનુસાર ભૂકંપના કારણે કોઈપણ પ્રકારના નુકસાન અંગે કોઈ માહિતી સામે નથી આવી. વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકાથી લોકોમાં ગભરાટ ફેલાયો હતો, લોકો ઘરની બહાર નીકળી આવ્યા હતા.

ગયા મહિને તાઈવાનની રાજધાની તાઈપેમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મળતી માહિતી પ્રમાણે રાજધાની તાઈપેથી લગભગ 182 કિલોમીટર દક્ષિણમાં ધરતી ધ્રૂજી ગઈ હતી. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.7 ટકા નોંધાઈ હતી.

April 18, 2022
modi.jpeg
1min414

Date 18/04/2022, સોમવારથી ફરી એકવાર વડા પ્રધાન PM Modi ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી રહ્યાં છે. નરેન્દ્ર  મોદી તા. ૧૮, ૧૯ અને ૨૦મી એપ્રિલે ગુજરાત પ્રવાસે છે. સોમવારે સાંજે  અમદાવાદ એરપોર્ટ પહોંચશે અને સાંજે ૬ વાગ્યે ગાંધીનગરમાં શિક્ષણ વિભાગના કમાન્ડ એન્ડ ક્ટ્રોલ સેન્ટરની મુલાકાત સાથે તેમના ત્રણ દિવસના કાર્યક્રમનો પ્રારંભ થશે.

નરેન્દ્ર મોદી ગુજરાતમાં અલગ અલગ વિકાસકાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. જેમાં બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં બનેલા બનાસ ડેરીના પ્લાન્ટનો શુભારંભ કરાવશે. આ કાર્યક્રમમાં પહેલી વખત મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહેશે જેમને વડા પ્રધાન સંબોધન કરશે. આ સિવાય દાહોદમાં એક હોસ્પિટલનું લોકાર્પણ કરશે. ૨૫૦ કરોડના ખર્ચે તૈયાર થયેલી ૭૫૦ પથારીની મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલની સાથે  મોદી નવી મેડિકલ કોલેજના સંકુલ તથા ૨૦૦ કરોડના ખર્ચે તૈયાર થયેલા રહેણાંક આવાસનું પણ લોકાર્પણ કરશે. આ સિવાય હોસ્પિટલમાં બનેલા નવા ઓક્સિજન પ્લાન્ટને ખુલ્લો મુકશે. આ ઉપરાંત ગાંધીનગરમાં આવેલા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લેશે. વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રમાં વધુ સુદ્રઢ બનાવી શકાય તે હેતુથી આ કંટ્રોલ સેન્ટર તૈયાર કરાયું છે.

મોદીના ત્રણ દિવસના ગુજરાત પ્રવાસને લઈ રાજ્ય સરકારે ખાસ તૈયારીઓ કરી છે. વડા પ્રધાનના રૂટ અને કાર્યક્રમના સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ૧૯મીએ દિયોદરમાં એક કાર્યક્રમમાં હાજરી આપીને વડા પ્રધાન સીધા જામનગર જશે જ્યાં ડબલ્યુએચઓના સહયોગથી બનનાર ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર આયુર્વેદિક કેન્દ્રનું ભૂમિપૂજન કરશે. આ પ્રસંગે વિશ્ર્વ આરોગ્ય સંસ્થાના ડિજી સહિત અધિકારીઓ, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન પણ હાજર રહેશે. જામનગરથી ગાંધીનગર પરત ફરી રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે. ૨૦મી એપ્રિલે સવારે મહાત્મા મંદિરમાં પીએમ મોદી હાજરી આપશે. બપોર બાદ દાહોદમાં આદિવાસી સંમેલનને સંબોધન કરશે. દાહોદ અને પંચમહાલના વિવિધ પ્રોજેકટના ખાતમુહૂર્ત કરશે.

April 18, 2022
IPL_2022.jpg
1min675

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આ સીઝનમાં કોરોનાનું જોખમ મંડાઈ રહ્યું છે. દિલ્હી ટીમનો ફિઝિયો બાદ એક ખેલાડીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ રિપોર્ટ બાદ દિલ્હીની ટીમને પુણે જતા રોકી દેવાઈ છે. દિલ્હીની સમગ્ર ટીમને મુંબઈમાં જ ક્વોરન્ટીન કરી દાવાઈ છે.

દિલ્હીની આગામી મેચ 20 એપ્રિલના રોજ પંજાબ સામે પુણેમાં રમાવાની છે. ક્રિકબઝના રિપોર્ટ મુજબ ખેલાડીનો રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.

પેટ્રિક ફરહાર્ટ દિલ્હી કેપિટલ્સના તમામ ખેલાડીઓના સંપર્કમાં રહ્યા છે. આવી સ્થિતિમાં તમામ ખેલાડીઓનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો છે. જો ટેસ્ટમાં અન્ય કોઈ સંક્રમિત જણાય તો તેને પણ આઈસોલેટ કરવામાં આવશે. તે જ સમયે, વધુ ખેલાડીઓ સંક્રમિત થવાની સ્થિતિમાં મેચ સ્થગિત કરવામાં આવી શકે છે. ગયા વર્ષે પણ બાયો-બબલમાં કોરોનાની એન્ટ્રી બાદ ઘણા કેસ નોંધાયા હતા. ત્યારપછી BCCIએ IPL અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દીધી હતી. પછી ફેઝ-2નું આયોજન યુએઈમાં કરવામાં આવ્યું હતું.

April 15, 2022
jeeadv.png
1min757

જોઈન્ટ એન્ટ્રેસ એક્ઝામિનેશન (JEE) મેઇન્સ પરીક્ષાઓ એપ્રિલ અને મેની જગ્યાએ જૂન અને જુલાઇમાં યોજવાની જાહેરાતને કારણે હવે જેઇઇ એડવાન્સ્ડ 2022ની પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરવાની ફરજ પડી છે. કેમકે જેઇઇ મેઇન્સના પરીણામને આધારે જ જેઇઇ એડવાન્સ્ડ પરીક્ષા માટે લાયકાત નિશ્ચિત થાય છે.

ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી (IIT) બોમ્બે હવે 28 ઓગષ્ટના રોજ JEE Advanced 2022ની પરીક્ષા આયોજિત કરશે. અગાઉ આ પરીક્ષા 3 જુલાઈના રોજ આયોજિત થવાની હતી. 

JEE Advanced 2022 માટેની આવેદન પ્રક્રિયા 7થી 11 ઓગષ્ટ, 2022 દરમિયાન આયોજિત કરવામાં આવશે. એપ્લિકેશન ફીની ચુકવણી માટે 12મી ઓગષ્ટ તારીખ નિર્ધારીત કરવામાં આવી છે. જે પણ ઉમેદવારો JEE Advanced 2022માં સામેલ થવા ઈચ્છે છે તેઓ 23થી 28 ઓગષ્ટ 2022 દરમિયાન પોતાનું એડમિટ કાર્ડ JEE Advancedની સત્તાવાર વેબસાઈટ jeeadv.ac.in પર જઈને ડાઉનલોડ કરી શકે છે. 

JEE Advanced 2022ની પરીક્ષા સવાર અને બપોરની પાળીમાં આયોજિત થશે. સવારના 9:00થી બપોરના 12:00 વાગ્યા સુધી પેપર-1 અને બપોરના 2:30 વાગ્યાથી સાંજના 5:30 વાગ્યા સુધી પેપર-2 આયોજિત થશે. 

આગામી 11 સપ્ટેમ્બરના રોજ JEE Advanced 2022નું રિઝલ્ટ બહાર પાડવામાં આવશે. જાહેર કરવામાં આવેલા શિડ્યુઅલ પ્રમાણે 3 સપ્ટેમ્બરના રોજ પ્રોવિઝનલ આન્સર કી બહાર પાડવામાં આવશે અને ઉમેદવારો 3થી 4 સપ્ટેમ્બર દરમિયાન પ્રોવિઝનલ આન્સર કી અંગે વાંધો ઉઠાવી શકે છે. સપ્ટેમ્બરમાં પ્રોવિઝનલ આન્સર કી અને રિઝલ્ટ બહાર પાડવામાં આવશે. બેઠકની ફાળવણીની પ્રક્રિયા 12મી સપ્ટેમ્બરથી શરૂ થશે. 

આ બધા વચ્ચે 14 સપ્ટેમ્બરના રોજ આર્કિટેક્ચર એપ્ટિટ્યુડ ટેસ્ટ (AAT) 2022 આયોજિત કરવામાં આવશે અને 17 સપ્ટેમ્બર 2022ના રોજ પરિણામ બહાર પાડવામાં આવશે. AAT 2022 અરજી પ્રક્રિયા 11થી 12 સપ્ટેમ્બર સુધી આયોજિત કરવામાં આવશે. 

ઉમેદવારો સીધી આ લિંક https://jeeadv.ac.in/schedule.html પર ક્લિક કરીને પણ JEE Advanced 2022નું સમગ્ર શિડ્યુઅલ ચેક કરી શકે છે. 

April 14, 2022
societynews-1280x1040.jpg
1min632

સ્કુલે જતી છાત્રાઓની સાથે કનડગતથી લઇને દુષ્કર્મ સુધીના બની રહેલા ગંભીર કેસોને નાથવાના પ્રયાસ રૂપે સુરતના ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટ ગણાતા ઉધના, પાંડેસરા, સચિન, ડીંડોલી વગેરે વિસ્તારની સ્કુલે જતી છાત્રાઓને ઉનાળા વેકેશન દરમિયાન સેલ્ફ ડિફેન્સની 6 દિવસની ટ્રેનિંગ બિલકુલ નિશુલ્ક મળી રહે તે પ્રકારનું આયોજન સુરત શહેર પોલીસ તેમજ ઉધનામાં કાર્યરત લિઓ ગ્રુપ ઓફ ઇન્સ્ટીટ્યુશન્સ દ્વારા કરવામાં આવ્યું છે.

સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ મેળવવા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવા નીચે દર્શાવેલી લિંક પર ક્લીક કરો

https://forms.gle/Bho7PukUtyTCqopa9

9737699499 અથવા 9925110009 પર સંપર્ક કરો

કન્યાઓ માટેની આ સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગમાં વહેલા તે પહેલાના ધોરણે હાલ રજિસ્ટ્રેશન શરૂ છે અને સેંકડો વિદ્યાર્થિનીઓએ આમાં રજિસ્ટ્રેશન પણ કરાવ્યું છે. વધુ વિગતો આપતા લિયો ગ્રુપના ચેરમેન જયસુખ કથિરીયાએ જણાવ્યું હતું કે સેલ્ફ ડિફેન્સની આ ટ્રેનિંગ ઉનાળા વેકેશન દરમિયાન જ સ્કુલમાં જ આપવામાં આવશે. આ ટ્રેનિંગનું આયોજન સુરત શહેર પોલીસ કમિશનર અને જે તે વિષય નિષ્ણાંત લોકો દ્વારા ડિઝાઇન કરવામાં આવશે. સનગ્રેસ સ્કુલ ઉધના, સનરેઝ સ્કુલ, સનલાઇટ સ્કુલ, લિયો ગ્રુપમાં હાથ ધરવામાં આવશે. સ્કુલે જતી કન્યાઓ માટે હાલ રજિસ્ટ્રેશન શરૂ છે.

April 13, 2022
Cia_business_news-1280x936.jpg
1min665

ડાયરેક્ટરેટ જનરલ ઓફ સિવિલ એવિએશને ભરેલા એક અભૂતપૂર્વ પગલામાં, સ્પાઇસજેટ એરલાઇન્સના 90 પાઇલોટ્સને બોઇંગ 737 MAX વિમાન  ઉડાવવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ 90 પાઇલોટ્સ જ્યાં સુધી ડીજીસીએના નિરીક્ષણ હેઠળ યોગ્ય તાલીમ ન લે ત્યાં સુધી તેઓ 737 મેક્સ બોઇંગ વિમાન નહીં ઉડાડી શકે. નોઇડામાં ઉપલબ્ધ સુવિધામાં આ 90 પાઇલટ્સે લીધેલી સિમ્યુલેટર તાલીમમાં વિસંગતતાઓ શોધી કાઢ્યા પછી ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ આ પગલું લીધું હતું.

સ્પાઇસ જેટના 90 પાઇલોટ્સ પર મૂકાયેલા પ્રતિબંધને સમર્થન આપતા ભારતના ઉડ્ડયન નિયમનકાર અરુણ કુમારે મંગળવારે તા.12મી એપ્રિલ 2022ના રોજ જણાવ્યું હતું કે ટ્રેનિંગમાં રહી ગયેલી કથિત ક્ષતિને પગલે એરલાઇનની પાઇલટ તાલીમ પણ રેગ્યુલેટરના સ્કેનર હેઠળ છે. સ્પાઇસ જેટના (90) પાઈલોટ્સને બોઈંગ 737 MAX ઉડાવવા પર રોક લગાવવામાં આવી છે. તેઓએ DGCA ના સંતોષ માટે ફરીથી તાલીમ લેવી પડશે,

બીજી તરફ સ્પાઇસજેટ એરલાઇન્સના પ્રવક્તાએ કહ્યું: “DGCA એ 90 પાઇલોટ્સએ ભૂતકાળમાં અનુસરેલી તાલીમ પ્રોફાઇલનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. તેમાં કેટલીક કચાશ રહી ગઇ હોવાથી DGCAની સૂચના મુજબ, સ્પાઈસજેટે 90 પાઈલટોને MAX એરક્રાફ્ટ ઉડાડવાથી હંગામી ધોરણે દૂર કર્યા છે. આ પાઇલોટ્સ ડીજીસીએના સંતોષ માટે ફરીથી તાલીમ લેશે.

સ્પાઇસ જેટ એરલાઇન્સ હાલમાં તેના કાફલામાં ઉપલબ્ધ બોઇંગ 737 MAX પ્રકારના 13  માંથી 11 વિમાનોનું સંચાલન કરે છે, આ 11 વિમાનો પર ભારતમાં 60 દૈનિક ફ્લાઇટ્સ ઉડી રહી છે, 90 પાઇલોટ્સ પર આ વિમાન ચલાવવા પર મૂકાયેલા પ્રતિબંધની અસર સ્પાઇસ જેટની દૈનિક ફ્લાઇટ પર નહીં પડે.

 “11 એરક્રાફ્ટ (MAX) નું સંચાલન કરવા માટે લગભગ 144 પાઇલોટ્સ જરૂરી છે. સ્પાઇસજેટ પાસે હાલમાં MAX પર 560 પ્રશિક્ષિત પાઇલોટ્સ છે. પ્રશિક્ષિત પાઇલટની સ્ટ્રેન્થ હોવાથી દૈનિક ઉડ્ડયનની સામાન્ય કામગીરી ચાલુ રાખવા માટે પર્યાપ્ત કરતાં વધુ છે,” એરલાઇનના પ્રવક્તાએ જણાવ્યું હતું.

સૂત્રોનું કહેવું છે કે જ્યારે આ 90 પાઈલટ તેમની તાલીમ લઈ રહ્યા હતા ત્યારે નિર્ણાયક “મેન્યુવરિંગ લાક્ષણિકતાઓ વૃદ્ધિ પ્રણાલી” (MCAS) સિમ્યુલેટરમાં યોગ્ય રીતે કામ કરી રહી ન હતી. MAX માટે બોઇંગ દ્વારા વિકસાવવામાં આવેલ વિવાદાસ્પદ ફ્લાઇટ સ્ટેબિલાઇઝિંગ પ્રોગ્રામ MCAS, આખરે ઓક્ટોબર 2018 અને માર્ચ 2019માં Lion Air અને Ethiopian Airlines B737 MAX ક્રેશ માટે જવાબદાર હોવાનું જણાયું હતું, જેમાં 346 લોકોએ જીવ ગુમાવ્યા હતા.

“આ સિસ્ટમનો એક ભાગ, ‘સ્ટીક શેકર’ જે કંટ્રોલ કોલમને વાઇબ્રેટ કરે છે અને જ્યારે જેટ લિફ્ટ ગુમાવવાનું જોખમ લે છે ત્યારે જોરથી અવાજ કરે છે, તે પણ આ પાઇલટ્સને તાલીમ આપતી વખતે સિમ્યુલેટરમાં યોગ્ય રીતે કામ કરતું ન હતું,” એક સ્ત્રોતે જણાવ્યું હતું.

લાયન એર અને ઇથોપિયન MAX બંને ક્રેશમાં, એરક્રાફ્ટ નોઝ નીચે ધકેલવામાં આવ્યું હતું કારણ કે ઘણા પરિબળોને કારણે પાછળથી ધ્યાન આપવામાં આવ્યું હતું જ્યારે MAX ને વૈશ્વિક ગ્રાઉન્ડિંગ પછી ફરીથી ઉડવાની મંજૂરી આપવામાં આવી હતી. MAX સિમ્યુલેટર પર MCAS માટે સાચી પાયલોટ તાલીમ આ પ્લેનને સુરક્ષિત રીતે ઉડાડવાની ચાવી છે.

સ્પાઇસજેટ હાલમાં એકમાત્ર ભારતીય એરલાઇન છે જે MAXનું સંચાલન કરે છે.