જાણીતા એવા ગઢડા સ્વામીના મંદિર ટ્રસ્ટની ગઇકાલે રવિવારે યોજાયેલી ચૂંટણી બાદ આજે થયેલી મતગણતરીમાં આચાર્ય પક્ષના એસ.પી. સ્વામીના જૂથની પેનલનો પરાજય થતા તેમના 13 વર્ષના શાસનનો અંત આવ્યો હતો. આચાર્ય અને દેવ પક્ષની પેનલોમાં દેવ પક્ષનો વિજય થયો હતો. ચૂંટણી પરિણામ જાહેર થતા જ દેવ પક્ષ દ્વારા તેની ઉજવણી કરવામાં આવી હતી જ્યારે આચાર્ય પક્ષ દ્વારા મતગણતરી અને મતદાનની બાબતોએ વાંધા ઊઠાવાયાં હતા.
ગઢડાના શ્રી ગોપીનાથજી મંદિરના વહીવટ કરતા આચાર્ય પક્ષ સામે દેવ પક્ષના ચાર ઉમેદવારની જીત થઈ છે. એટલે કે કુલ 6 બેઠકમાંથી 4 બેઠક પર દેવ પક્ષના ઉમેદવાર પેનલની જીત થઈ હતી. દરમિયાન આચાર્યપક્ષના એસ.પી. સ્વામીએ ચૂંટણીના પરિણામ પર પ્રશ્ર્ન ઉઠાવતા કહ્યું હતું કે, મતગણતરી શંકાસ્પદ રીતે યોજવામાં આવી છે. અમને પરિણામની કોપી પણ નથી આપવામાં આવી. અને ફરીથી કોર્ટમાં જવાની વિચારણા કરી રહ્યાં છીએ. ગૃહસ્થની 4માંથી એક સીટ પર અમારી જીત થઈ છે.
ગઢડા સ્વામીનારાયણ મંદિર ટ્રસ્ટ પર દેવ પક્ષની જીતના પરિણામ બાદ રાકેશ પ્રસાદનું સમર્થન મજબૂત થશે, અને આચાર્ય અજેન્દ્રપ્રસાદને ફરી આચાર્ય બનવું મુશ્કેલ થશે. દેવ પક્ષના નૌતમ સ્વામીનું કદ વધશે. દેવ પક્ષની જીતથી આચાર્યપક્ષે બે મંદિરો પરથી સત્તા ગુમાવવી પડશે. વડતાલ તાબાના ત્રણ મંદિરમાંથી બે મંદિર પર દેવ પક્ષનો કબજો થશે. જ્યારે આચાર્ય પક્ષની સત્તા માત્ર જૂનાગઢ મંદિર પર સીમિત થશે.
બીજી બાજુ પોલીસ-હરિભક્તો વચ્ચે ઉગ્ર બોલાચાલી મતગણતરી શરૂ થયા બાદ પોલીસ અને હરિભક્તો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. સુરક્ષાને ધ્યાનમાં લઈને પોલીસે મત ગણતરી કેન્દ્ર નજીક એકઠા થયેલા હરિભક્તોને દૂર ખસેડ્યા હતા. આ સમયે પોલીસ અને હરિભક્તો વચ્ચે બોલાચાલી થઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, મંદિરની ચૂંટણીને લઈને છેલ્લા દશકાથી વિવાદ ચાલી રહ્યો હતો. જે બાદમાં સુપ્રીમ કોર્ટે આદેશ કરતા હાઇ કોર્ટના નિવૃત્ત જજની દેખરેખ હેઠળ ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં સાધુ અને પાર્ષદ તથા ગૃહસ્થ વિભાગની 4 બેઠક સહિત કુલ 6 બેઠક માટે હાલના શાસક આચાર્ય પક્ષ અને વિરોધમાં દેવ પક્ષ વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. રવિવારે ગઢડા (સ્વામીના) ટેમ્પલ બોર્ડની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ. ચૂંટણી બાદ મતગણતરી યોજવામાં આવી હતી, જેનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હતું. ચૂંટણીમાં સાધુ વિભાગમાં 95 ટકા, પાર્ષદ વિભાગમાં 98 ટકા અને ગૃહસ્થ વિભાગમાં 65થી 70 ટકા મતદાન થયું હતું





























