


વનવાસે નીકળેલા રામ-સીતા અને લક્ષ્મણ તમસા નદીના કિનારે આવે છે. નાવમાં બેસી નદી પાર કરવા રામજી કેવટને બોલાવે છે. કેવટ વિચારે ભગવાનના ચરણ ધોવા મળે તો ભવપાર થાય. રામજીને કહે છે પ્રભુ પગ ધોવા દ્યો તો નદી પાર કરાવું.


મુંબઇના વિરાર (વેસ્ટ)માં આવેલી શ્રીજી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સેન્ટ મૅરી સ્કૂલમાં સંચાલકોએ મહિલા દિન નિમિત્તે તમામ મમ્મીઓને સ્કુલમાં બોલાવીને માતાઓના પગ બાળકો પાસે ધોવડાવીને તેમને માં નું મહાત્મ્ય સમજાવવા પ્રયાસ કર્યો હતો. સ્કૂલનાં ભૂલકાંઓની મમ્મીને સ્કૂલમાં બોલાવી તેમના પગ ધોઈ પુષ્પ અર્પણ કરીને તેમની પૂજા કરવામાં આવી હતી અને એ જોઈને અનેક મમ્મીની આંખો રીતસરની ભરાઈ આવી હતી.
કોઇકના પગ ધોવા એ ભારતીય શાસ્ત્રોમાં અત્યંત પવિત્ર કાર્ય માનવામાં આવે છે અને એ જ રૂએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગંગા નદીની સફાઇ કરી રહેલા સફાઇ કર્મીઓના પગ ધોઇને સમાજને એક પવિત્ર સંદેશો પાઠવ્યો હતો. એવી જ રીતે વિરાની સ્કુલના સંચાલકોએ બાળકોમાં તેમની મમ્મીનું મહત્વ સમજાવવા અને આ પ્રવૃત્તિ કરવાથી તેમનામાં સારા સંસ્કાર કેળવી શકાય એ હેતુથી માં ના પગ ધોવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આજના ડિજિટલ યુગમાં આપણાં બાળકો આપણી સંસ્કૃતિથી દૂર થઈ રહ્યાં છે. આવા સમયમાં આવા કાર્યક્રમના માધ્યમથી આપણે આપણાં બાળકોમાં એ સંસ્કૃતિ અને સંસ્કારનો પરિચય કરાવવો ખરેખર જરૂરી છે. આ કાર્યક્રમ સ્કૂલે જેવો વિચાર્યો એના કરતાં પણ સારો રહ્યો, કારણ કે સ્કૂલના વિદ્યાર્થીઓ સહિત તેમની માતાઓ પણ ખૂબ ઉત્સાહિત જોવા મળી હતી અને સમય પહેલાં જ સ્કૂલમાં પહોંચી ગઈ હતી. તેમનાં નાનાં ભૂલકાંઓને તેમનાં ચરણ ધોયાં અને પુષ્પ અર્પણ કરીને પૂજા કરી એ જોઈને અનેક માતાઓ રીતસરની રડી પડી હતી અને વાતાવરણ ભાવુક થઈ ગયું હતું.
કાર્યક્રમ જોઈ રહેલા લોકો માટે પણ આ દૃશ્ય હૃદયસ્પર્શી બની ગયું હતું. અનોખી રીતે કરવામાં આવેલી મહિલા દિવસની ઉજવણીને કારણે માતાઓએ ખૂબ વિશેષ અનુભવ ક્ર્યો અને બાળકો પણ ઘણું શીખ્યા હતા. ત્યાર બાદ માતા-બાળક માટે હરીફાઈનું પણ આયોજન કર્યું હતું. ગઈ કાલે આખી સ્કૂલમાં ફક્ત મહિલાઓ અને મહિલાઓ જ દેખાઈ રહી હતી.’
અયોધ્યા જન્મભૂમિ વિવાદને લઈને સુપ્રીમ કોર્ટે કેટલીક માર્ગદર્શક સૂચનાઓ જારી કરી છે. દેશના સૌથી સંવેદનશીલ અને વિવાદી ઇશ્યુ ગણાતા અયોધ્યા વિવાદમાં મધ્યસ્થીથી નિર્ણય લાવવાનો આગ્રહ રાખીને સુપ્રીમ કોર્ટએ આઠ અઠવાડિયામાં મધ્યસ્થી કરીને સમાધાન કરવામાં આવે એવો અભિગમ જાહેર કર્યો છે.

અયોધ્યા વિવાદને સુલઝાવવા માટે સુપ્રીમ કોર્ટે ત્રણ સભ્યોની મધ્યસ્થતા સમિતિની રચના કરી છે. જેની અધ્યક્ષતા રિટાયર્ડ જસ્ટિસ ઈબ્રાહિમ ખલીફુલ્લાહ કરશે. આ સમિતિમાં શ્રી શ્રી રવિશંકર અને શ્રી રામ પંચૂ પણ સામેલ છે.
સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં એમ પણ કહ્યું છે કે આ મધ્યસ્થતાની આખી પ્રક્રિયા અયોધ્યામાં થશે. તેની કોઈ મીડિયા રિપોર્ટિંગ નહીં થાય. મધ્યસ્થતાની પ્રક્રિયા એક અઠવાડિયામાં શરૂ કરવાની છે. આઠ અઠવાડિયામાં આ પ્રક્રિયા પૂરી થઈ જશે અને તે બાદ સમિતિએ પોતાનો ફાઈનલ રિપોર્ટ સોંપવાનો રહેશે.
દર વર્ષે બોર્ડ અને કોલેજોની પરીક્ષા સમયે સુરતના પાલ સ્થિત સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ખાતે પરીક્ષાર્થીઓ અને તેમના વાલીઓની કતારો લાગે છે, કતાર દર્શન અને આશીર્વાદ માટે તો લાગે છે પરંતુ, અહીં પરંપરા કહો કે પોઝિટીવ વાઇબ્સ ગણો, પણ સિદ્ધિ વિનાયક ગણપતિ દાદાના ચરણોમાં અભિમંત્રિત કરાયેલી બોલપેન મેળવવા માટે રીતસર કતાર લાગે છે. પ્રસ્તુત તસ્વીર તા.5મી માર્ચ 2019ના રોજ સાંજે 7 વાગ્યે લાગેલી કતારની છે. મંદિરના ટ્રસ્ટી શ્રી નીતિનભાઇ કહે છે કે બોર્ડની પરીક્ષા આડે હવે એક દિવસ બાકી હોઇ, મોટી સંખ્યામાં પરીક્ષાર્થીઓ જે બોલપેનથી ઉત્તરવહી લખવાના હોય તે બોલપેન તેમજ અન્ય ટુલ્સ, કંપાસ વગેરે લઇને ગણપતિ દાદા પાસે આવે છે અને તેમના ચરણોનો સ્પર્શ કરાવીને અભિમંત્રિત કરાવે છે. આ કોઇ અંધશ્રદ્ધા નથી પરંતુ, ગણપતિ દાદાના ચરણોમાં અભિમંત્રિત કરેલી આ વસ્તુઓથી પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને હકારાત્મક લાગણી અનુભવાય તેમજ તેના પરીણામો ભૂતકાળમાં સારા મળ્યા છે એટલે પરંપરા દર વર્ષે આગળ વધી રહી છે.
અહીં પરીક્ષા પહેલા દર્શનાર્થે આવતા વિદ્યાર્થીઓને પરીક્ષાનો ખોટો ભય રહેતો નથી, પોઝિટીવ વાઇબ્સની અનુભૂતિ સાથે વિદ્યાર્થીઓ કોઇપણ જાતનો ભય રાખ્યા વગર પ્રશ્નપત્રો આપી શકે છે.


પરીક્ષા આડેના 7 દિવસ પૂર્વેથી શહેરના કેટલાક વાલીઓ અને વિદ્યાર્થીઓ તેમના ઇષ્ટ દેવના આશીર્વાદ લેવા માટે મંદિરોની મુલાકાતે જતા જોવાયા હતા. સૌથી વધુ વિદ્યાર્થીઓ પાલ અડાજણના સિદ્ધિ વિનાયક ગણપતિ ભગવાનના દર્શનાર્થે જ જતા હોવાનો રેકોર્ડ છે. મંદિરના ટ્રસ્ટી શ્રી નીતિનભાઇ મહેતાએ જણાવ્યું હતું કે જ્યારથી સિદ્ધી વિનાયક ગણપતિ દાદા પાલ અડાજણ મંદિર સ્કુલમાં બિરાજમાન થયા છે એ વર્ષથી જ બોર્ડની પરીક્ષા ટાણે વિદ્યાર્થીઓ તેમના માતાપિતા સાથે બોલપેન લઇને આવે છે અને જે બોલપેનથી ઉત્તરવહીમાં લખવાનું હોય છે એ બોલપેન ગણપતિ દાદાના ચરણોમાં ધરીને આશીર્વાદ લેવાની પરંપરા છે. આ વર્ષે પણ સેંકડો વિદ્યાર્થીઓ આ પ્રકારે આવી ચૂક્યા છે.

સિદ્ધી વિનાયક ગણપતિ મંદિરમાં પૂજારી શ્રી અંબિકા પ્રસાદ પરીક્ષાર્થીઓની બોલપેન ગણપતિ દાદાના ચરણોમાં સમર્પિત કરીને મંત્રોચ્ચાર કર્યા બાદ બોલપેન પરત આપે છે. આ જ્યારથી મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા સમારોહ થયો ત્યારથી ચાલી આવે છે.
બીજી તરફ પરીક્ષાર્થીઓના ઘરે શુભેચ્છા આપવા માટે મિત્રો, સબંધીઓ, કુટુંબીજનો વગેરે પણ ભીડ લગાડી રહ્યા છે. કાઉન્સિલરો કે શિક્ષણશાસ્ત્રીઓ ભલે આવું કરવાની ના પાડતા હોય પરંતુ, લાગણીવશ સુરતીઓ પરીક્ષાર્થીઓને શુભેચ્છા આપવા માટે ગીફ્ટસ અને ગુડલક લઇને વીશ કરવા માટે પહોંચી જાય છે.
ગિરનારની ગોદ ભવનાથ તળેટીમાં જીવ અને શિવના સમાગમ સમા છ દિવસીય શિવરાત્રી મિનિકુંભ મેળાનો બુધવાર, તા.27ના રાજ્યપાલની ઉપસ્થિતિમાં ભવનાથ મંદિરે ધ્વજારોહણ સાથે પ્રારંભ કરાશે. મેળાના પ્રારંભ પૂર્વે આજે સાંજે મુરસુંદ ગુફાથી તળેટી સુધી સંત પ્રવેશ યાત્રા યોજાઇ હતી.
દેશ વિદેશમાં વિખ્યાત મહાશિવરાત્રી મેળાને રાજ્ય સરકાર દ્વારા મિનિકુંભનો દરજ્જો આપી રૂ.15 કરોડની ફાળવણી કરી છે. આવતીકાલથી છ દિવસ ભવનાથ તળેટીમાં ભજન, ભોજન અને ભક્તિની આહલેક જાગશે. દિગમ્બર સાધુ સહિતનાઓએ ધૂણા ધખાવ્યા છે.

પુલવામા આતંકી હુમલામાં વિરગતી પામેલા 40 જવાનોના માનમાં સાધુ – સંતોએ મેળાને સાદગીથી ઉજવવાનો નિર્ણય કર્યો છે. તેથી શિવરાત્રીની રાત્રે દિગમ્બર સાધુ સંતોની રવેડી પણ વાજિંત્રો વિહોણી નીકળશે.
શિવરાત્રી મિનિકુંભ મેળો ભવ્ય રીતે ઉજવાય અને ભાવિકોને કોઇ અગવડતા ન પડે તે માટે જિલ્લા કલેક્ટર કમ મ્યુ.કમિશનર ડો.પારધીના માર્ગદર્શન હેઠળ તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. જિલ્લા પોલીસવડા દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
મહાશિવરાત્રી મેળાનો આવતીકાલ વિધિવત્ પ્રારંભ પૂર્વે આજે બપોર બાદ દામોદરકુંડ પાસે આવેલ મુંચકુંદ ગુફા ખાતેથી’ સાધુ – સંતોનો નગર પ્રવેશ યોજાયો હતો. તેમાં મોટી સંખ્યામાં સાધુ- સંતો જોડાયા હતા.
આવતીકાલ તા.27ના સવારે ભવનાથ મહાદેવનું પૂજન, અર્ચન રાજ્યપાલ ઓ.પી. કોહલી કરશે ત્યારબાદ તેમની ઉપસ્થિતિમાં ભવનાથ મંદિરના મહંત હરિગિરિજી મહારાજના હસ્તે ધ્વજારોહણ સાથે મેળાનો વિધિવત્ પ્રારંભ કરાશે. આ સાથે તળેટી હર… હર… મહાદેવ જય ગિરનારીના નાદથી ગુંજી ઉઠશે. ત્યારબાદ તળેટીમાં 51 લાખ રૂદ્રાક્ષના પારાનું 51 ફૂટ ઉંચુ શિવલિંગ તૈયાર કરાયું છે. તેનું પૂજન રાજ્યપાલ કરશે અને ભવનાથ પ્રવેશ દ્વારનું ઉદ્ઘાટન કરાશે. તા.28ના રોજ પ્રથમ વખત જૂનાગઢના ભૂતનાથ મંદિરથી ભવનાથ સુધી ડમરૂ યાત્રા યોજાશે. તેમાં 1100 ડમરૂ વાદકો જોડાશે.
શિવરાત્રી મિનિકુંભ મેળાને લઇ જૂનાગઢ શહેર તથા તળેટી માર્ગ અને ભવનાથ તળેટીમાં ભીંતચિત્રો, લાઇટિંગ ડેકોરેશનથી શણગારવામાં આવેલ છે. દરરોજ સંત સંમેલન, ધર્મસભા યોજાશે તેમાં તા.1ના રોજ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના અધ્યક્ષસ્થાને અને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના મુખ્ય મહેમાનપદે સંમેલન યોજાશે.
જ્યારે તા.2ના ઋતંભરાજીના અધ્યક્ષ સ્થાને ધર્મસભા યોજાશે. તા.4ના રોજ શિવરાત્રીની રાત્રે સાદાઇથી રવેડી નીકળશે અને નિર્ધારિત રૂટ ઉપર દિગમ્બર સાધુઓના અંગ કસરતના દાવ વચ્ચે ફરી મધરાતે મૃંગી કુંડમાં સ્નાન અને પૂજન સાથે મેળો સંપન્ન થશે.
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
કંઇક નોખું કરવાની વૃત્તિ ધરાવતા સુરતના જાણીતા હીરા ઉદ્યોગપતિ સવજીભાઇ ધોળકીયા હવે ભારતની સૌથી મોટી અને ખૂંખાર અપરાધીઓ ધરાવતી દિલ્હીની તિહાર જેલમાં ભાગવત કથા બેસાડી રહ્યા છે અને આ મુદ્દાને લઇને તેઓ સમગ્ર ભારતમાં જ નહીં બલ્કે વિશ્વના ગુજરાતી સમાજમાં વાઇરલ થઇ રહ્યા છે. તિહાર જેલમાં જુદા જુદા ગુનાઓની સજા ભોગવી રહેલા કેદીઓ માટે આ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. આ કથા હિન્દીમાં કહેવામાં આવશે અને ગુજરાતના જાણીતા કથાકાર જિજ્ઞેશ દાદા ભાગવત કથાની વ્યાસપીઠ પર બિરાજશે.

(File Photo of Mr. Savji Dholakiya, who organizes Bhagwat Katha At Tihar Jail )

(Kathakar Jignesh Dada will deliver Bhagwat katha at Tihar Jail)

(અગાઉ હરીદ્વાર ખાતે પણ જિજ્ઞેશ દાદાની કથા કરાવી ચૂક્યા છે સુરતના હીરાઉદ્યોગપતિ સવજીભાઇ ધોળકીયા)
મળતી માહિતી મુજબ સુરત બેઝ્ડ ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ, હરેકૃષ્ણ એક્સપોર્ટસ ગ્રુપના નેજા હેઠળ આગામી તા.20મી ફેબ્રુઆરીથી 26મી ફેબ્રુઆરી 2019 દરમિયાન દિલ્હીની તિહાર જેલમાં ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. ભાગવત કથા માટે વ્યાસપીઠ પર હાલમાં ગુજરાતમાં સૌથી વધુ ચર્ચાસ્પદ જિજ્ઞેશ દાદા બિરાજશે અને તિહાર જેલની આ કથાનું સઘળું આયોજન હરેકૃષ્ણ ડાયમંડ ગ્રુપ, સુરત દ્વારા કરવામાં આવી રહ્યું છે. સુરત ખાતેથી પણ સવજીભાઇ ધોળકીયા તેમના ગ્રુપ તેમજ કેટલાક ઉદ્યોગપતિઓ કથા દરમિયાન દિલ્હી ખાતે જ ઉપસ્થિત રહેશે.
પ્રયાગરાજમાં અખાડાના સંતો દ્વારા પસંદગી
સોરઠના સંત તથા ચાંપરડા બ્રહ્માનંદ વિદ્યાધામના સંસ્થાપક અને બ્રહ્માલીન ગોપાલાનંદજીના કૃપાપાત્ર શિષ્ય તથા પંચ અગ્નિ અખાડાના સભાપતિ મહંત મુકતાનંદ બાપુની પ્રયાગરાજ કુંભ મેળામાં અખિલ ભારત સાધુ સમાજ ગુજરાત પ્રાંતના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે.
અખિલ ભારત સાધુ સમાજના ગુજરાત પ્રાંતના પ્રમુખ તરીકે દિવગંત ગોપાલાનંદજી બાપુએ વર્ષો સુધી ફરજ બજાવી હતી, તેમની સાથે મહંત મુક્તાનંદ બાપુ રહેતા હોવાથી અને પંચ અગ્નિ અખાડાના સભાપતિ પદે પસંદગી પામ્યા હતા. ત્યારે ગુજરાત એકમનાં પ્રમુખ પદ ખાલી હોય, આ પદ ઉપર કુંભમેળામાં અખાડાઓના વરિષ્ઠ સંતો દ્વારા વરણી કરવામાં આવી છે.
સાધુ સમાજમાં પ્રમુખ પદ ખુબ જવાબદારીવાળું હોય અને મહંત મુકતાનંદ બાપુમાં તમામ ગુણોને ધ્યાને લઇ અખાડાના વરિષ્ઠ સંતો દ્વારા ગુજરાત એકમના પ્રમુખ પદે વરણી કરવામાં આવી છે.
ત્રિવેણી સંગમ ખાતે મૌની અમાસના દિવસે લાખો શ્રદ્ધાળુઓ શાહી સ્નાન માટે ઉમટી પડ્યા હતા. પ્રયાગરાજ સંગમમાં સવારે સવા કરોડ જેટલા શ્રદ્ધાળુઓએ ડૂબકી લગાવી. આ સિવાય અખાડાઓ દ્વારા શાહી સ્નાન કરવામાં આવ્યું હતું.

પ્રયાગરાજમાં કુંભ મેળો ચાલી રહ્યો છે. કુંભમાં શાહી સ્નાનનું વિશેષ મહત્વ છે. આજે મૌની અમાસના દિવસે સાધુ-સંતો સહિત લાખો શ્રદ્ધાળુઓએ ગંગામાં ડૂબકી લગાવીને શાહી સ્નાન કર્યું હતું.
ધાર્મિક પરંપરાઓ અનુસાર મહા મહિનામાં આવતી આ અમાસને મૌની અમાસ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે સ્નાન કરવાનો ખાસ મહિમા છે.

આ દિવસે પવિત્ર સંગમ અને નદીમાં દેવતાઓ નિવાસ કરતા હોવાની પૌરાણિક માન્યતા છે, આ દિવસે ખાસ ગંગા સ્નાન કરવાનો મહિમા છે. જેના કારણે લાખોની સંખ્યામાં લોકો અહીં સ્નાન કરવા પહોંચે છે.
મૌની અમાવસ નિમિત્તે ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગીએ શ્રદ્ધાળુઓને શુભેચ્છાઓ પાઠવી હતી. યોગી આદિત્યનાથે આચાર્ય મહામંડલેશ્વરો, મહંતો, તેમજ શ્રદ્ધાળુઓને શુભેચ્છા પાઠવી હતી.

સવા કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ અયોધ્યામાં ઠંડી અને ધુમ્મસના વાતાવરણ વચ્ચે સરયૂ નદીમાં ડૂબકી લગાવી સ્નાન કર્યું હતું.
ચિત્રકૂટ ખાતે પણ મૌની અમાસના અવસર પર લાખો શ્રદ્ધાળુઓ સ્નાન કર્યું હતું. લોકોએ સ્નાન કરીને પૂજા-અર્ચના કરી હતી. આ સિવાય શ્રદ્ધાળુઓ મંદાકિની ખાતે પણ સ્નાન કર્યું હતું.

મૌની અમાવસ્યાના દિવસે દાન કરવાની પ્રથા છે આ દિવસે કપડા, વસ્ત્ર, ધન, ગાય, જમીન અને સોનુ દાન કરવાનો મહાત્મ છે.
કુંભમાં લાખો લોકોની હાજરી છતાંય સ્વચ્છતા પર ધ્યાન અપાઈ રહ્યું છે. સફાઈ કામદારો દ્વારા નદી કિનારો સતત સ્વચ્છ રખાઈ રહ્યો છે.

બન્ને ધર્મસ્થાન આસપાસ 500 મીટરનો વિસ્તાર વેજ. ઝોન જાહેર
70મા પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ રાજયના મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ બનાસકાંઠાથી ‘વિકાસ સપ્તક’ની ભેટ ધરતા અંબાજી અને સોમનાથ મંદિરની આસપાસના વિસ્તારોને વેજ ઝોન જાહેર કર્યા હતાં. અંબાજી મંદિરે 140 કિલો સોને મઢયા શિખરનું લોકાર્પણ કરી તમામ શિખરોને સુવર્ણમઢીત કરવાનો સંકલ્પ કરી મુખ્યમંત્રીએ એક તોલો સોનાનું દાન કરી માઇ ભકતોને સુવર્ણશિખરો માટે દાનની ટહેલ નાખી હતી.

સોમનાથ મંદિરથી મુખ્ય રોડ 500 મીટર સુધી તેમજ ત્રિવેણી સંગમ રોડ હમીરજી સર્કલથી ગૌરીકુંડ ચેકપોસ્ટ રોડ, હિરણ નદી સુધી ઇંડા, માંસ, મટન, વેચાણ તથા સંગ્રહ પર કાયમી ધોરણે પ્રતિબંધની જાહેરાત કરી હતી.
પવિત્ર યાત્રાધામ અંબાજી મંદિરની 500 મીટરની ત્રિજયામાં નોનવેજ વેંચાણ પર પ્રતિબંધ મુકવાની જાહેરાત કરી આ વિસ્તારને વેજીટેરીયન ઝોન કાયમી ધોરણે જાહેર કર્યો હતો.

કુંભમેળાને વિશ્ર્વનો સૌથી મોટો ધાર્મિક મેળો કહેવો ખોટું નહીં હોય. આ જ કારણ છે કે કુંભમેળાના સાક્ષી બનવા માત્ર દેશના જ નહીં, પરંતુ વિદેશના લોકો પણ મોટી માં ત્યાં પહોંચે છે. દર ચાર વર્ષે કુંભમેળો વારાફરતી નાસિક, અલાહાબાદ, ઉજ્જૈન અને હરિદ્વારમાં ભરાય છે. હરિદ્વારમાં કુંભમેળો ગંગા નદીના કિનારે, નાશિકમાં ગોદાવરી નદીના કિનારે, ઉજ્જૈનમાં નર્મદા નદીના કિનારેે ભરાય છે. આ વર્ષે કુંભમેળો સંગમનગરી પ્રયાગરાજમાં ભરાયો છે. જે તમામ કુંભ સ્થળોમાં સૌથી વિશેષ છે. જાણો છો શા માટે? કેમ કે પ્રયાગરાજમાં ગંગા, યમુના અને સરસ્વતી નદીનું સંગમસ્થળ છે. પહેલા શાહી સ્નાન સાથે જ આજથી એટલે કે 15 જાન્યુઆરીથી પ્રયાગરાજમાં કુંભમેળાનો પ્રારંભ થયો છે.

પ્રયાગ ઉપરાંત કુંભમેળો નાશિક, હરિદ્વાર અને ઉજ્જૈનમાં પણ ભરાય છે, પરંતુ પ્રયાગરાજના કુંભમેળાનું જેટલું મહત્વ છે એટલું અન્ય કોઇ કુંભમેળાનું નથી.
ત્રિવેણીસંગમ પર આ કુંભમેળાનું આયોજન કરવામાં આવે છે એ તો આ માટેનું એક કારણ છે જ, પરંતુ એ ઉપરાંત પણ બીજી બાબતો છે જે પ્રયાગરાજના કુંભમેળાને ખાસ બનાવે છે. માનવામાં આવે છે કે પ્રયાગરાજમાં જ્યાં કુંભમેળાનું આયોજન કરવામાં આવે છે તે જ બ્રહ્માંડનું ઉદ્ગમ સ્થાન છે અને ત્યાં જ પૃથ્વીનું કેન્દ્ર પણ છે.
એક એવી માન્યતા છે કે બ્રહ્માંડની રચના કરતા અગાઉ બ્રહ્માજીએ આ જ સ્થાન પર અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો.
આ યજ્ઞના પુરાવા તરીકે અશ્ર્વમેધ ઘાટ અને બ્રહ્મેશ્ર્વર મંદિર આજે પણ અહીં મોજૂદ છે જેને યજ્ઞના પ્રતીકરૂપે જોવામાં આવે છે.
કુંભમેળા દરમિયાન અનેક શાહીસ્નાન થાય છે. આ વખતે આઠ શાહીસ્નાન છે જેમાં પહેલું શાહીસ્નાન આજે (મંગળવારે) શરૂ થવાની સાથે જ કુંભમેળોના આરંભ પણ થયો છે. શાહીસ્નાનમાં સૌથી પહેલા અખાડા સાથે સંકળાયેલા સાધુસંતો જ સ્નાન કર્યું હતું. અખાડાના સાધુસંતો સ્નાન કરી લીધા બાદ જ સામાન્ય જનતાએ સ્નાન કરીને ધન્યતા અનુભવી હતી.
માનવામાં આવે છે કે શાહીસ્નાનમાં બ્રહ્મ મૂર્હુતમાં ડૂબકી લગાવવાથી અમર થવાનું વરદાન મળે છે. આ કારણે જ કુંભમાં શાહીસ્નાન દરમિયાન લોકોમાં ડૂબકી લગાવવાની સ્પર્ધા જોવા મળે છે.

કુંભમેળો 15 જાન્યુઆરી (આજથી) મકરસંક્રાંતિએ આરંભ થયો છે અને ચોથી માર્ચના મહાશિવરાત્રી સુધી ચાલશે.
આ દરમિયાન આઠ શાહીસ્નાન થશે. પહેલું શાહીસ્નાન 15 જાન્યુઆરીએ અને છેલ્લું શાહીસ્નાન ચોથી માર્ચે થશે અને તે સાથે કુંભમેળાનું સમાપન પણ થશે. આ વર્ષે કુંભમેળામાં દેશવિદેશથી અંદાજે 12 કરોડ જેટલા લોકો આવે એવી શક્યતા છે.
પોલીસ તીર્થયાત્રીઓને 41 સેકન્ડથી વધુ સમય ડૂબકી લગાવવા નહીં દે
કુંભમેળાનું આયોજન મોટો પડકાર છે. ઉત્તર પ્રદેશ પોલીસે કુંભમેળાની ભીડ અને અવ્યવસ્થાના પડકારને પહોંચી વળવા પહેલેથી જ અનેક યોજના તૈયાર કરી રાખી છે. સંગમ પર ગોઠવવામાં આવેલી પોલીસ તીર્થયાત્રીઓને 41 સેકન્ડથી વધુ સમય ડૂબકી લગાવવા નહીં દે એમ જણાવતાં પોલીસ કમિશનર ઓ. પી. સિંહે કહ્યું હતું કે જો આના કરતા વધુ સમય ડૂબકી લગાવવા દઈશું તો ભાગદોડ મચી જવાનું ગંભીર જોખમ છે. આ વરસે કુંભમેળામાં ભારે ભીડ થવાની શક્યતા હોવાને કારણે પ્રમુખ સ્નાન દરમિયાન અક્ષયવટના દર્શન નહીં થઈ શકે, એમ તેમણે કહ્યું હતું.