
કુંભમેળાને વિશ્ર્વનો સૌથી મોટો ધાર્મિક મેળો કહેવો ખોટું નહીં હોય. આ જ કારણ છે કે કુંભમેળાના સાક્ષી બનવા માત્ર દેશના જ નહીં, પરંતુ વિદેશના લોકો પણ મોટી માં ત્યાં પહોંચે છે. દર ચાર વર્ષે કુંભમેળો વારાફરતી નાસિક, અલાહાબાદ, ઉજ્જૈન અને હરિદ્વારમાં ભરાય છે. હરિદ્વારમાં કુંભમેળો ગંગા નદીના કિનારે, નાશિકમાં ગોદાવરી નદીના કિનારે, ઉજ્જૈનમાં નર્મદા નદીના કિનારેે ભરાય છે. આ વર્ષે કુંભમેળો સંગમનગરી પ્રયાગરાજમાં ભરાયો છે. જે તમામ કુંભ સ્થળોમાં સૌથી વિશેષ છે. જાણો છો શા માટે? કેમ કે પ્રયાગરાજમાં ગંગા, યમુના અને સરસ્વતી નદીનું સંગમસ્થળ છે. પહેલા શાહી સ્નાન સાથે જ આજથી એટલે કે 15 જાન્યુઆરીથી પ્રયાગરાજમાં કુંભમેળાનો પ્રારંભ થયો છે.

પ્રયાગ ઉપરાંત કુંભમેળો નાશિક, હરિદ્વાર અને ઉજ્જૈનમાં પણ ભરાય છે, પરંતુ પ્રયાગરાજના કુંભમેળાનું જેટલું મહત્વ છે એટલું અન્ય કોઇ કુંભમેળાનું નથી.
ત્રિવેણીસંગમ પર આ કુંભમેળાનું આયોજન કરવામાં આવે છે એ તો આ માટેનું એક કારણ છે જ, પરંતુ એ ઉપરાંત પણ બીજી બાબતો છે જે પ્રયાગરાજના કુંભમેળાને ખાસ બનાવે છે. માનવામાં આવે છે કે પ્રયાગરાજમાં જ્યાં કુંભમેળાનું આયોજન કરવામાં આવે છે તે જ બ્રહ્માંડનું ઉદ્ગમ સ્થાન છે અને ત્યાં જ પૃથ્વીનું કેન્દ્ર પણ છે.
એક એવી માન્યતા છે કે બ્રહ્માંડની રચના કરતા અગાઉ બ્રહ્માજીએ આ જ સ્થાન પર અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો.
આ યજ્ઞના પુરાવા તરીકે અશ્ર્વમેધ ઘાટ અને બ્રહ્મેશ્ર્વર મંદિર આજે પણ અહીં મોજૂદ છે જેને યજ્ઞના પ્રતીકરૂપે જોવામાં આવે છે.
કુંભમેળા દરમિયાન અનેક શાહીસ્નાન થાય છે. આ વખતે આઠ શાહીસ્નાન છે જેમાં પહેલું શાહીસ્નાન આજે (મંગળવારે) શરૂ થવાની સાથે જ કુંભમેળોના આરંભ પણ થયો છે. શાહીસ્નાનમાં સૌથી પહેલા અખાડા સાથે સંકળાયેલા સાધુસંતો જ સ્નાન કર્યું હતું. અખાડાના સાધુસંતો સ્નાન કરી લીધા બાદ જ સામાન્ય જનતાએ સ્નાન કરીને ધન્યતા અનુભવી હતી.
માનવામાં આવે છે કે શાહીસ્નાનમાં બ્રહ્મ મૂર્હુતમાં ડૂબકી લગાવવાથી અમર થવાનું વરદાન મળે છે. આ કારણે જ કુંભમાં શાહીસ્નાન દરમિયાન લોકોમાં ડૂબકી લગાવવાની સ્પર્ધા જોવા મળે છે.

કુંભમેળો 15 જાન્યુઆરી (આજથી) મકરસંક્રાંતિએ આરંભ થયો છે અને ચોથી માર્ચના મહાશિવરાત્રી સુધી ચાલશે.
આ દરમિયાન આઠ શાહીસ્નાન થશે. પહેલું શાહીસ્નાન 15 જાન્યુઆરીએ અને છેલ્લું શાહીસ્નાન ચોથી માર્ચે થશે અને તે સાથે કુંભમેળાનું સમાપન પણ થશે. આ વર્ષે કુંભમેળામાં દેશવિદેશથી અંદાજે 12 કરોડ જેટલા લોકો આવે એવી શક્યતા છે.
પોલીસ તીર્થયાત્રીઓને 41 સેકન્ડથી વધુ સમય ડૂબકી લગાવવા નહીં દે
કુંભમેળાનું આયોજન મોટો પડકાર છે. ઉત્તર પ્રદેશ પોલીસે કુંભમેળાની ભીડ અને અવ્યવસ્થાના પડકારને પહોંચી વળવા પહેલેથી જ અનેક યોજના તૈયાર કરી રાખી છે. સંગમ પર ગોઠવવામાં આવેલી પોલીસ તીર્થયાત્રીઓને 41 સેકન્ડથી વધુ સમય ડૂબકી લગાવવા નહીં દે એમ જણાવતાં પોલીસ કમિશનર ઓ. પી. સિંહે કહ્યું હતું કે જો આના કરતા વધુ સમય ડૂબકી લગાવવા દઈશું તો ભાગદોડ મચી જવાનું ગંભીર જોખમ છે. આ વરસે કુંભમેળામાં ભારે ભીડ થવાની શક્યતા હોવાને કારણે પ્રમુખ સ્નાન દરમિયાન અક્ષયવટના દર્શન નહીં થઈ શકે, એમ તેમણે કહ્યું હતું.