પાંચમી સદીના આ ટેમ્પલના ટ્રસ્ટ પાસે 9.276 કિલો સોનું, 316 કિલો ચાંદી અને 1.2 અબજ રૂપિયા રોકડા

નેપાળના જગવિખ્યાત પશુપતિનાથ ટેમ્પલ પાસે 9.276 કિલો સોનું, 316 કિલો ચાંદી અને 120 કરોડ રૂપિયા રોકડ રકમ છે. દેશના સૌથી પવિત્ર તથા સૌથી ધનિક ગણાતા આ હિન્દુ મંદિરની અસ્ક્યામતોના અભ્યાસ માટે રચવામાં આવેલી સમિતિ દ્વારા પહેલી જ વાર આ વિગતો વિશેનો અહેવાલ જાહેર કરવામાં આવ્યો હતો.
પશુપતિ એરિયા ડેવલપમેન્ટ ટ્રસ્ટ દ્વારા આ મંદિરની આવકની ચકાસણી માટે રચાયેલી તપાસ સમિતિના જણાવ્યા મુજબ સોના તથા ચાંદીના આ જથ્થાની આવક 1962થી 2018 સુધીના 56 વર્ષના સમયગાળાની છે. આ વિગતો ટ્રસ્ટના એક્ઝિક્યૂટિવ ડિરેકટર રમેશ ઉપરેટીએ આપી હોવાનું કઠમંડુના એક અખબારમાં જણાવાયું હતું.
પશુપતિનાથ (ભગવાન શિવ)ના આ મંદિરના 1.20 અબજ (120 કરોડ) રૂપિયા વિવિધ બૅન્કોમાં જમા કરાવેલા છે, જ્યારે આ ટ્રસ્ટ પાસે કુલ 3,667 રોપાનીસ (186 હેક્ટર) જમીન પણ છે.
સુપ્રીમ કોર્ટે 2009ની 24મી ડિસેમ્બરે આ મંદિરના સત્તાધીશોને તિજોરીઓ ન ખોલવાનો આદેશ આપ્યો હોવાથી મંદિરની અસ્ક્યામતો વિશેના અહેવાલમાં આ ખજાનાના ખરેખરા મૂલ્યનો સમાવેશ નથી કરાયો.
પાંચમી સદીમાં બનેલું પશુપતિનાથ મંદિર કઠમંડુનું સૌથી જૂનું મંદિર છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા તેમના પ્રધાનમંડળના કેટલાક સાથીઓએ નેપાળના પ્રવાસ દરમિયાન આ મંદિરની મુલાકાત લીધી હતી.
ટ્રસ્ટ પાસે જેટલી રજિસ્ટર્ડ જમીન છે એમાંથી 1,161 રોપાનીસ (59 હેક્ટર) જમીન ત્રિભુવન ઇન્ટરનેશનલ ઍરપોર્ટ તથા ગૉલ્ફ કોર્સ માટે 99 વર્ષના પટ્ટે (વાર્ષિક 50 લાખ રૂપિયાના ભાડા પર) આપવામાં આવી છે. એ જ પ્રમાણે, ટ્રસ્ટ દ્વારા 17 રોપાનીસ જમીન બૌદ્ધા ખાતેની ફાઇવ-સ્ટાર હોટેલ હયાત રિજન્સીને લીઝ પર આપવામાં આવી છે.