તા.7મી મે 2019ને મંગળવારે ભારતીય સંસ્કૃતિ મુજબ જે દિવસે 24 કલાક સારા મુર્હુત આવે છે એ અખાત્રીજ-અક્ષય તૃતીયાના દિવસને લગ્નાદિ કાર્યો માટે વિશેષ વણજોયું મુહૂર્ત કહેવામાં આવે છે.
તા.૭ મે અખાત્રીજના દિવસે મોટી સંખ્યામાં લગ્નો આ દિવસે યોજાશે.

તેમાં પણ આ દિવસે ગોચરમાં મેષ રાશિમાં બુધાદિત્ય યોગ, ઉદિત લક્ષ્મી યોગ છે, જે થોડી મિનિટો માટે જ છે, પરંતુ સાંજે ૪.૨૭ મિનિટે રાજયોગનો પણ પ્રારંભ થાય છે.
તા.૭મી મેના રોજ ‘અક્ષય તૃતીયા’ની પુણ્ય અને પવિત્ર તિથિ આવે છે. અક્ષય તૃતીયાનાં દિવસે ગોચરમાં પણ કેટલાંક પવિત્ર અને શુભકર્તા યોગ થઈ રહ્યાં છે. જે અંતર્ગત સવારે ૬.૦૩થી ૬.૫૩ સુધી એટલે કે ૫૦ મિનિટ સુધી લક્ષ્મી યોગ છે અને મેષ રાશિમાં ઉચ્ચના સૂર્યની સાથે બુધ રહેતાં ‘બુધાદિત્ય યોગ’નો પણ સંયોગ થઈ રહ્યો છે.
તૃતીયા તિથિ, મંગળવાર અને સાંજે ૪.૨૭ મિનિટથી મૃગશીર્ષ નક્ષત્રનો પ્રારંભ થતાં જ ‘રાજયોગ’નો પણ પ્રારંભ થાય છે, જે સોનામાં સુગંધની જેમ ઉમેરાય છે. એકંદરે, ઉપરોક્ત તમામ યોગો સાથેની આ અક્ષય તૃતીયા ખૂબ જ ઉત્તમ ફળદાયી બની રહેશે. ખાસ કરીને આ દિવસ દાન-પુણ્ય, જપ-તપ અને લગ્નાદિ માંગલિક કાર્યો માટે પણ ઉત્તમ બની રહેશે.
સામાન્ય રીતે આ દિવસે નવા કાર્યોનો પ્રારંભ, લગ્ન માટે તો ઉત્તમ છે જ. તે ઉપરાંત, આગામી સમયગાળામાં જેઓનાં લગ્ન થવાનાં છે, તેઓનાં માટે લગ્નસરાની ખરીદી, સોનું-ચાંદી વગેરે ખરીદી માટે પણ ઉત્તમ ફળદાયી બની રહે છે. ખાસ કરીને શુકન માટે પણ શ્રદ્ધાળુઓ આ દિવસે સોનાં-ચાંદીની ખરીદી કરે તો પણ તે ઉત્તમ ફળદાયી બની રહે છે.
સૂર્યોદયથી ૫૦ મિનિટ દરમિયાન લક્ષ્મી યોગ દરમિયાન ‘ઓમ્ હ્રીં મહાલક્ષ્મ્યૈ નમ:’ મંત્રનો જાપ ઉત્તમ ફળદાયી બની રહેશે. જ્યારે સાંજે ૪.૨૭ બાદ થતો રાજયોગનો વિશિષ્ટ સંયોગ ઉત્તમ બળ પૂરું પાડનારો બની રહેશે.
વિદ્યાકીય સફળતા માટે તથા રાજકીય પ્રગતિ માટે જે વિશિષ્ટ કાર્ય કરવો હોય તેઓ માટે પણ આ અક્ષય-તૃતીયા ખૂબ જ શુભ ફળદાયી બની રહેશે. જેમકે, આ દિવસે સૂર્યનારાયણની ઉપાસના કરીને, વિશિષ્ટ અર્ઘ્ય પ્રદાન કરીને વિદ્યાકીય કાર્ય અને રાજકીય કાર્યનો પ્રારંભ કરવો ઉત્તમ ફળદાયી બની રહેશે. ખાસ કરીને ‘આદિત્યહૃદય સ્તોત્ર’નું પઠન પણ આ દિવસે કરી શકાય છે.