CIA ALERT

Blog - Page 541 of 709 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
April 12, 2019
kapas.jpg
1min5160

દેશમાં રૂના મુખ્ય ઉત્પાદક રાજ્ય ગુજરાતમાં આ વર્ષે કપાસનો વાવેર વિસ્તાર સામાન્ય સરેરાશ કરતાં વધુ રહ્યો હોવા છતાં રાજ્યનાં મુખ્ય ઉત્પાદક વિસ્તારોમાં વરસાદ ઓછો થવાને કારણે હેક્ટરદીઠ ઊપજમાં ઘટાડો થતાં ઉત્પાદન એક દાયકાની નીચી સપાટીએ રહેવાની ભીતિ સેવાઈ રહી છે.

તાજેતરમાં કૉટન એસોસિયેશન ઑફ ઈન્ડિયાએ જાહેર કરેલાં રૂનાં પાકના અંદાજોમાં ગુજરાતમાં રૂના ઉત્પાદનનો અંદાજ ગત 2017-18ની મોસમની 105 લાખ ગાંસડી સામે 82.5 લાખ ગાંસડીનો મુક્યો છે. ગુજરાતમાં આ વર્ષે રૂનું ઉત્પાદન વર્ષ 2008થી 2019 સુધીનું સૌથી ઓછું રહેવાની શક્યતા છે. સામાન્યપણે બીટી કપાસના પાકને પાણીની આવશ્યકતા વધુ હોય છે અને સિંચાઈની ઓછી વ્યવસ્થાની પાક પર વિપરીત અસર પડશે, એમ રૂના એક સ્થાનિક વેપારી અરુણ દલાલે જણાવતાં ઉમેર્યું હતું કે વર્ષ 2018-19માં ગુજરાતમાં રૂની હેક્ટરદીઠ ઊપજ જે ગત સાલ 619 કિલોગ્રામની હતી તે ઘટીને 532 કિલોગ્રામ આસપાસ રહે તેમ જણાય છે.

કુલ અંદાજીત ઉત્પાદન પૈકી 61 લાખ ગાંસડીની બજારમાં આવકો થઈ છે. રાજ્યમાં કપાસનો વાવેતર વિસ્તાર ગત સાલના 26.02 લાખ હેક્ટર સામે વધીને 27.12 લાખ હેક્ટર રહ્યો છે. એકંદરે જો ગુજરાતમાં રૂના ઉત્પાદનમાં ઘટાડો થાય તો દેશનાં કુલ ઉત્પાદનમાં પણ ઘટાડો થાય તેમ હોવાથી કુલ ઉત્પાદન પણ ગત મોસમની 365 લાખ ગાંસડી સામે ઘટીને એક દાયકાની નીચી 321 લાખ ગાંસડી આસપાસ રહેશે. એકંદરે રૂના ઉત્પાદનમાં ઘટાડાની શક્યતાને ધ્યાનમાં લેતાં ભાવમાં પણ સુધારાનો પવન ફૂંકાયો છે. રૂની બૅન્ચમાર્ક સંકર 6 ના ઑક્ટોબર અંતે ભાવ જે ખાંડીદીઠ (356 કિલોગ્રામ) રૂ. 40,000થી 42,000 આસપાસ હતા તેની સામે હાલ આ મહિને વધીને રૂ. 46,500થી 47,000 આસપાસની સપાટીએ પ્રવર્તી રહ્યાના અહેવાલ છે.

April 12, 2019
ipl-2019-min-1024x585.jpg
1min8220

વર્તમાનમાં રમાતી આઈ. પી. એલ. (ઈન્ડિયન પ્રીમિયર લીગ)ની ટ્વેન્ટી-૨૦ સ્પર્ધામાં ક્રિકેટની રમતનો ભારોભાર કસબ અને ફટકાબાજીની આવડતમાં મોટી સંખ્યામાં સિક્સરોનો વરસાદ જોવા મળ્યો છે.

સૌથી વધુ સિક્સર વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીઓએ ફટકારી છે. ક્રિસ ગેઈલ (૧૮), કીરૉન પોલાર્ડ (૧૭) અને આન્દ્રે રસેલ (૨૫) વચ્ચે સ્પર્ધાના આ બારમા વર્ષમાં પહેલા ત્રણ સપ્તાહની અત્યાર સુધીની મેચોમાં કુલ ૬૦ સિક્સર નોંધાઈ છે.

આઈ. સી. સી. વર્લ્ડ કપ હવે ફક્ત દોઢ મહિનો દૂર હોવાથી વેસ્ટ ઈન્ડિઝના સિલેક્ટરોના વડા તથા ભૂતપૂર્વ કેપ્ટન જીમ્મી એદમ્સ મર્યાદિત ઓવરની મેચોના નિષ્ણાત ગણાતા રાષ્ટ્રના આ ખેલાડીઓના બૅટિંગ ફોર્મથી ખુશ છે.

April 12, 2019
polard.jpg
1min7200

મુંબઈ ઇન્ડિયન્સના હાર્ડ-હિટર કીરૉન પોલાર્ડે બુધવારે ૧૦ સિક્સરની મદદથી બનાવેલા આક્રમક ૮૩ રન સાથે મુંબઈને દિલધડક જીત અપાવી ત્યાર બાદ તેનો પુત્ર કેઇડન મેદાન પર આવ્યો હતો અને પિતા સાથે તેણે વાતચીત કરીને સૌકોઈને મોહિત કર્યા હતા. કેઇડન પિતાની ફટકાબાજી જોવા ખાસ કૅરેબિયનથી મુંબઈ આવ્યો હતો. કેઇડને મૅચ બાદ માઇક હાથમાં લઈને પિતાને કહ્યું, ‘વેલ ડન, કૉન્ગ્રેચ્યૂલેશન!’ પોલાર્ડની પત્નીનો બુધવારે ૩૨મો જન્મદિન હતો અને પોલાર્ડે તેમ જ પુત્ર કેઇડને તેને બર્થ-ડેની ગિફ્ટ તરીકે મુંબઈની જીત અર્પણ કરી હતી. હવે પછી મુંબઈની મૅચ વાનખેડેમાં ૧૩મી એપ્રિલે રાજસ્થાન સામે (બપોરે ૪.૦૦થી) રમાશે.

 

April 12, 2019
julian_assange.jpg
1min6380

લંડનસ્થિત ઍક્વાડૉરની એલચી કચેરીમાં સાત વર્ષ રહ્યા બાદ વીકીલિક્સના સહસ્થાપક જુલિયન અસાન્જેની ગુરુવારે ધરપકડ કરવામાં આવી હોવાનું સ્કૉટલૅન્ડ યાર્ડ પોલીસે કહ્યું હતું.  અસાન્જેની ધરપકડ કરવામાં આવી હોવાના અહેવાલને સ્કોટલૅન્ડ યાર્ડે સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે યુકેની જામીનની શરતોનો ભંગ કરવા બદલ જૂન 2012માં અમારા અધિકારીઓએ અસાન્જે વિરુદ્ધ વૉરંટ બહાર પાડ્યું હતું.

બળાત્કાર અને જાતીય હુમલાના આરોપસર સ્વીડનમાં તેમની ધરપકડ કરવામાં આવ્યા બાદથી લગભગ સાત વર્ષ સુધી 47 વર્ષના અસાન્જે સેન્ટ્રલ લંડનસ્થિત ઍક્વાડૉરની એલચી કચેરીની પાછળના ભાગમાં આવેલા આ ઓરડામાં રહ્યો હતો.

તેને અંતે અમેરિકાને સોંપી દેવામાં આવશે એવા ભયની ભૂમિકાને આધારે તેણે આશરો માગ્યો હતો. અમેરિકાની ગુપ્ત માહિતી જાહેર કરી દેવાના કથિત આરોપસર અસાન્જેને અમેરિકામાં મૃત્યુદંડની સજા થવાનો તેને ભય હતો. વૅસ્ટ મિનિસ્ટર્સ કૉટ્રમાં રજૂ કરતા અગાઉ અસાન્જેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. અસાન્જેને સેન્ટ્રલ લંડન પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવવાનો છે.

ઍક્વાડૉરની સરકારે આશ્રય આપવાનું નકાર્યા બાદ અને રાજદૂત દ્વારા તેને એલચી કચેરીમાં બોલાવવામાં આવ્યાને પગલે મૅટ પોલીસ સર્વિસે વૅસ્ટમિનિસ્ટર કૉર્ટ વતી વૉરંટનો અમલ કર્યો હતો, એમ બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું. બળાત્કાર અને જાતીય શોષણ અંગેની પ્રશ્ર્નોત્તરી માટે યુકેની સુપ્રીમ કૉર્ટ સુધી પહોંચેલા અસાન્જેએ જૂન 2012માં નાઈટ્સબ્રિજસ્થિત ઍક્વાડૉરની એલચી કચેરીમાં આશરો માગ્યો હતો.

જામીનની શરતોનો ભંગ કરવા બદલ અસાન્જે સ્કૉટલૅન્ડ યાર્ડના વૉન્ટેડ લિસ્ટમાં હતો અને રાજકીય રીતે સુરક્ષા પૂરા પાડતા વિસ્તારમાંથી બહાર પગ મૂકતાની સાથે જ તે ધરપકડનો સામનો કરી રહ્યો હતો, પરંતુ જેવું એ સુરક્ષા કવચ ખસેડી લેવામાં આવ્યું કે તરત જ તેની ધરપકડ કરવામાં આવી હતી. યુકેની સરકારે અસાન્જેની ધરપકડને એમ કહીને આવકારી હતી કે યુકે અને ઍક્વાડૉર વચ્ચેની સઘન વાટાઘાટનું આ પરિણામ હતું.

ઍક્વાડૉરના પ્રમુખ લૅનિન મૉરેનોએ કહ્યું હતું કે અસાન્જેએ આશ્રય આપવાની શરતોનો અવારનવાર ભંગ કર્યો હોવાને કારણે તેને આશ્રય આપવાનો નિર્ણય પાછો ખેંચી લેવામાં આવ્યો હતો.

ક્વિટોએ રાજકીય આશ્રય પાછો ખેંચી લીધા બાદ ગુરુવારે લંડનમાં ધરપકડ કરાયેલા વિકિલિક્સના સ્થાપક જુલિયન અસાન્જેને મૃત્યુદંડની સજા આપતા દેશને સોંપવામાં નહીં આવે, એમ ઍક્વાડૉરના પ્રમુખ લૅનિન મૉરેનોએ કહ્યું હતું.

અસાન્જેની હેરાનગતિ કરવામાં આવે કે તેને મૃત્યુદંડની સજા કરવામાં આવે એવા કોઈપણ દેશને તેની સોંપણી ન કરવાની ખાતરી આપવાનું બ્રિટનને જણાવ્યું હોવાનું લૅનિન મૉરેનોએ સોશિયલ મીડિયામાં પૉસ્ટ કરેલા વીડિયો સંદેશામાં કહ્યું હતું.

બ્રિટનની સરકારે લેખિતમાં આ અંગે બાંયધરી આપી છે, એમ તેમણે કહ્યું હતું.

અસાન્જેને રાજકીય આશરો આપવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર અને હાલ બૅલ્જિયમમાં રહેતા મૉરેનોના પુરોગામી રાફૅલ કૉરેઆએ મૉરેનો પર ભ્રષ્ટ હોવાનો આક્ષેપ કર્યો હતો અને ગુના અંગેની નીતિમાં ફેરફાર કરવાના તેમના નિર્ણયને એમ કહીને વખોડી કાઢ્યો હતો કે તેમણે જે કર્યું છે તેને માનવતા ક્યારેય માફ નહીં કરે.

April 12, 2019
indiavtoes.jpg
1min12200

પ્રથમ તબક્કામાં દેશના 18 રાજ્યમાં કુલ 91 બેઠક માટે ગુરુવારે મતદાન કરવામાં આવ્યું હતું.

ભારતમાં 17મી લોકસભા માટેનું પ્રથમ તબક્કાનું મતદાન 18 રાજ્ય, બે કેન્દ્રશાસતિ પ્રદેશમાં 91 બેઠક પર મતદાન હાથ ધરવામાં આવ્યું હતું. કેન્દ્રના છ પ્રધાનનું ભાવિ ઈવીએમમાં સીલ થયું હતું. વર્તમાન લોકસભામાં 91માંથી 32 બેઠક ભાજપ પાસે છે. જ્યારે કૉંગ્રેસ સાત બેઠક ધરાવે છે. આંધ્ર પ્રદેશ વિધાનસભાની 175, સિક્કીમની 32, અરુણાચલ પ્રદેશની 57 અને ઓડિશાની 28 બેઠક માટે મતદાન થયું હતું. આંધ્રપ્રદેશમાં લોકસભાની તમામ 25, તેલંગણામાં તમામ 17, ઉત્તરાખંડની તમામ પાંચ, મેઘાલયની બે, અરુણાચલ પ્રદેશની બે, મિઝોરમ, ત્રિપુરા, મણિપુર, નાગાલેન્ડ, સિક્કીમ, આંદામાન નિકોબાર અને લક્ષદ્વીપની એક એક બેઠક પર મતદાન કરવામાં આવ્યું હતું.

ઉત્તર પ્રદેશમાં આઠ, મહારાષ્ટ્રમાં સાત, બિહારમાં છ, આસામમાં પાંચ, ઓડિશાની ચાર, જમ્મુ-કાશ્મીરની બે, પશ્ર્ચિમ બંગાળની બે અને છત્તીસગઢની એક બેઠક પર મતદાન કરવામાં આવ્યું હતું.

ગુરુવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં મહારાષ્ટ્ર 55.97 ઉત્તર પ્રદેશમાં 64 ટકા, બિહારમાં 53.06 ટકા,ઓડિશા 66 ટકા, તેલંગણામાં 61 ટકા, સિક્કિમ 69 ટકા, મિઝોરમ 61.29 ટકા, મણીપુર 78.20, બસ્તર 57 ટકા, ત્રિપુરા 77.6 ટકા, આંધ્ર પ્રદેશ 73 ટકા, મેઘાલય 67 ટકા,લક્ષ્યદ્વીપ 65.9, નાગાલેન્ડમાં 78.76, આસામમાં 68 ટકા મતદાન થયું હતું.

કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી (નાગપુર), કિરેન રિજ્જુ (અરુણાચલ વેસ્ટ), વી. કે. સિંગ (ગાઝિયાબાદ), મહેશ શર્મા (ગૌતમ બુદ્ધ નગર), હંસરાજ આહીર (ચંદ્રપુર), સત્યપાલ સિંહ (બાગપત) બેઠક પર મતદાન થયું હતું.

લોકસભાની 543 બેઠક માટે મતદાન સાત તબક્કામાં થવાનું છે જેમાંથી પ્રથમ તબક્કાનું મતદાન આજે સંપન્ન થયું હતું. 23મીએ મતગણતરી કરવામાં આવશે.

April 12, 2019
pakvima.jpg
1min6350

ગુજરાતમાં માત્ર 1.25 લાખ ખેડૂતોનો પાક વીમો મંજૂર થયો છે. દર 100માંથી 6.82 ખેડૂતોનો જ પાક વીમો મંજૂર થયો છે. વીમા કંપનીઓએ 2305 કરોડ રૂપિયાનું પ્રીમિયમ ખંખેરી તેની સામે માત્ર રૂ.325 કરોડનો વીમો જ મંજૂર કરી ખેડૂતો સાથે અન્યાય કર્યો છે. વીમા કંપનીઓએ માત્ર 142.7 કરોડ રૂપિયાનો વીમો ચૂકવ્યો છે

ગુજરાત સહિત સમગ્ર દેશમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે રાજકોટ સહિત આસપાસનાં ખેડૂતો પોતાની માગણી સાથે સરકાર સામે લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. ખેડૂતોએ પાક વીમા મુદ્દે કિસાન સંઘ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ ખેડૂતો સભા સ્થળે ભેગા થયા હતા ત્યારે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવતા સરકારની જોહૂકમી સામે 36 ખેડૂતોએ ઇચ્છામૃત્યુની માગણી કરી હતી.

રાજકોટમાં ખેડૂતોની રેલી અને સભા માટે મંજૂરી મળી નહોતી, તેમ છતાં ખેડૂતોએ રેલી કાઢી હતી જેની સામે પોલીસે પડધરીમાં ભેગા થયેલા ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો હતો. રાજકોટ સહિત આસપાસના ખેડૂતો મામલતદારને આવેદન પત્ર આપવા માટે ભેગા થયા હતા જેમાં ખેડૂતોની માગણી હતી કે પ્રીમિયમ ભરતા હોવા છતાં વીમા કંપનીઓ ખેડૂતોને કહે છે કે ક્રોપ કટિંગ થયું છે.

સરકારે કોઈ પણ ભોગે અછતગ્રસ્ત તાલુકાઓને પાક વીમો અપાવવો પડશે. ગુજરાતમાં માત્ર 1.25 લાખ ખેડૂતોનો પાક વીમો મંજૂર થયો છે. દર 100માંથી 6.82 ખેડૂતોનો જ પાક વીમો મંજૂર થયો છે. વીમા કંપનીઓએ 2305 કરોડ રૂપિયાનું પ્રીમિયમ ખંખેરી તેની સામે માત્ર રૂ.325 કરોડનો વીમો જ મંજૂર કરી ખેડૂતો સાથે અન્યાય કર્યો છે. વીમા કંપનીઓએ માત્ર 142.7 કરોડ રૂપિયાનો વીમો ચૂકવ્યો છે.

વીમા કંપનીઓએ માત્ર ગુજરાતમાંથી 2000 કરોડનો નફો કરી લીધો છે. ખેડૂતોને રેલી કાઢવા માટે સરકારે પરમિશન આપી નહોતી. તેમ જ સભા સ્થળે પોલીસની મોટી ફોજ ઊભી કરી દેવામાં આવી છે. ખેડૂતોનું કહેવું છે કે, અમને સરકાર તરફથી રેલી કે સભાની મંજૂરી આપવામાં આવી નથી, તેમ છતાં અમે કલેક્ટરને આવેદનપત્ર આપવા જઈશું. અમને કોઈ રોકી શકે તેમ નથી.

ખેડૂતોએ વધુમાં કહ્યું હતું કે, અમારો આક્રોશ પાક વીમા કંપનીઓ સામે છે. ક્રોપ કટિંગમાં મોટા ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે. કિશાન સંઘના પ્રમુખે જણાવ્યું હતું કે એક બાજુ અનેક તાલુકા અછતગ્રસ્ત જાહેર થયા છે બીજી બાજુ સરકારે પાક વીમો નથી આપ્યો સરકારે પાક વીમો આપવો જ પડશે. પાક વીમા મુદ્દે કિસાન સંઘ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું,

રેલી બાદ તમામ ખેડૂતો સભા સ્થળે ભેગા થયા હતા, ત્યારે સરકારની જોહૂકમી સામે 36 ખેડૂતોએ ઇચ્છામૃત્યુની માગણી કરી ખેડૂતોએ કહ્યું કે, પાક વીમા કંપનીઓ સાથે સરકારને પણ ખેડૂતોની ચિંતા નથી. તેઓ પણ અમારી કોઈ માગણીઓ સ્વીકારતા નથી.

April 12, 2019
loksabha.jpeg
1min8300

લોકસભા સામાન્ય ચૂંટણી 2019 દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે ચૂંટણી તંત્ર તથા જિલ્લા ચૂંટણી અધિકારીઓ દ્વારા આગોતરા પગલાં લેવામાં આવી રહ્યાં છે જેમાં ચૂંટણી ખર્ચ નિયંત્રણ માટે નિમાયેલી વિવિધ ટીમ અને રાજ્ય આબકારી અને નશાબંધી વિભાગ દ્વારા તા. 08-04-2019 સુધીમાં રૂ. 500.01 કરોડની કિંમતનું અંદાજે 113.7 કિલો જેટલું ડ્રગ્સ, રૂ. 9.03 કરોડનો 3.14 લાખ લિટર દારૂ તેમ જ કુલ રૂ. 3.74 કરોડ રોકડ અને રૂ. 0.79 કરોડનું સોનું-ચાંદી જપ્ત કરવામાં આવેલ છે.

કુલ જપ્ત થયેલ રોકડ- વસ્તુઓની કુલ રકમ રૂ. 513.57 કરોડ થાય છે. રાજ્યનાં મુખ્ય નિર્વાચન અધિકારી ડૉ. એસ. મુરલી કૃષ્ણાએ જણાવ્યું હતું. રોકડ પૈકી આવકવેરા વિભાગે રૂ. 352.16 લાખની રોકડ અને ફ્લાઈંગ સ્ક્વોડ તથા સ્ટેટીક સર્વેલન્સ ટીમે રૂ. 22.07 લાખની રોકડ જપ્ત કરેલ છે.

જેમાં રૂ. 44.70 લાખ સુરત, રૂ. 93.91 લાખ વલસાડ, રૂ. 168.34 લાખ અમદાવાદ, રૂ. 35.21 લાખ નવસારી અને રૂ. 32.14 લાખ અન્ય જિલ્લામાંથી જપ્ત થયેલ રોકડ રકમનો સમાવેશ થયેલ છે.

રાજ્યભરમાંથી 56,925 પરવાનેદાર હથિયાર-ધારકો પૈકી ચૂંટણીઓ જાહેર થયા બાદ રાજ્યમાં 51,938 જેટલાં હથિયારો પોલીસ સ્ટેશનમાં જમા કરાવાયા છે. ચૂંટણીની જાહેરાત પછી તકેદારીનાં ભાગરૂપે 54,758 બિન-જામીનપાત્ર વોરંટ બજાવવામાં આવ્યા છે.

જ્યારે 2,48,826 વ્યક્તિઓ સામે વિવિધ સીઆરપીસી એક્ટ હેઠળ અટકાયતી પગલાં લેવાયા છે. મુખ્ય નિર્વાચન અધિકારી, ડૉ. એસ. મુરલી કૃષ્ણાએ કહ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં ચૂંટણી ખર્ચ માટે જિલ્લા કક્ષાએ ચૂંટણી તંત્રને સજ્જ કરાયું છે.

April 12, 2019
onlinevoter-1280x958.png
1min5840

જિલ્લામાં કુલ એક લાખ એક હજાર ઓનલાઇન મતદાર રજિસ્ટર્ડ થયા છે. જેમાથી 7500નું પ્રથમ વખત રજિસ્ટ્રેશન એક જ સ્થળે અને એક જ સમયે કરવામાં આવ્યું હતું. જેનો વિશ્ર્વ વિક્રમ નોંધાયો છે, એવું જિલ્લા કલેક્ટર ડૉ. વિક્રાંત પાંડે જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે, દેશના ચૂંટણીપંચે પણ આ ઉપલબ્ધિની નોંધ લીધી છે તથા આ પહેલથી ગુજરાત યુનિવર્સિટી અને શહેરના યુવાવર્ગે દેશને એક નવી રાહ ચીંધી છે. દરમિયાન ઉંમર અને અનુભવની સદી વટાવી ચુકેલા અમદાવાદ જિલ્લાના શતાયુ મતદારોનું જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ડૉ. વિક્રાંત પાંડેએ સન્માન કર્યું હતું અને જણાવ્યું હતું કે યુવા મતદારોને આ શતાયુ મતદારો પ્રેરણારૂપ બની રહેશે. અમદાવાદ જિલ્લામાં કુલ 719 શતાયુ મતદારો છે જે અમદાવાદ જિલ્લાનું ગૌરવ છે. દરમિયાન લોકશાહીના જતન માટે દરેક મતદારોને મતદાન અવશ્ય કરવા જિલ્લા કલેકટરે ખાસ અપીલ કરી હતી.

April 12, 2019
voting.jpg
1min5300

છત્તીસગઢમાં ચાલુ મતદાને વિસ્ફોટ

છત્તીસગઢના નારાયણપુર જિલ્લાના બસ્તર લોકસભા મતદારસંઘમાં ગુરુવારે સવારે મતદાન ચાલી રહ્યું હતું ત્યારે નક્સલવાદીઓએ ઈમ્પ્રુવાઈઝ્ડ ઍક્સપ્લોઝિવ ડિવાઈસ (આઈડી)ની મદદથી વિસ્ફોટ કર્યો હતો. અધિકારીઓના જણાવ્યાનુસાર સુરક્ષા

દળની ટુકડી ચૂંટણી અધિકારીઓને તેમના મતદાન મથકે લઈ જઈ રહી હતી ત્યારે નારાયણપુર-દંડવન રોડ પર ફારસગાંવ વિસ્તારમાં સવારે 4:15 વાગ્યે આ વિસ્ફોટ થયો હતો. નક્સલવાદીઓએ જમીનની નીચે વિસ્ફોટકો ગોઠવી રાખ્યા હતા અને તેઓ સુરક્ષા દળના આવવાની રાહ જોઈ રહ્યા હતા.

જોકે સુરક્ષા દળે તેમનો માર્ગ બદલ્યો હોવાની તેમ જ તેઓ જંગલ માર્ગે જઈ રહ્યા હોવાની બળવાખોરોને જણ થતાં ગભરાટમાં તેમણે વિસ્ફોટ કર્યો હતો અને ત્યાંથી નાસી છૂટ્યા હતા, એમ તેમણે કહ્યું હતું. વિસ્ફોટમાં સુરક્ષા અધિકારીઓ કે મતદાન અધિકારીઓને કોઈ હાનિ ન પહોંચી હોવાનું તેમણે કહ્યું હતું.

દાંતેવાડા, કોન્ટા, બીજાપુર અને નારાયણપુર એમ વિધાનસભાના ચાર મતદારક્ષેત્રના લોકસભા મતદારસંઘમાં ગુરુવારે સવારે 7:00થી બપોરે 3:00 સુધી ચાલેલા મતદાન માટે ભારે સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.  રાજ્ય અને અર્ધલશ્કરી દળના અંદાજે 80000 અધિકારીઓને આ કામ માટે ગોઠવી દેવામાં આવ્યા હતા.

વિધાનસભાના અન્ય ચાર ક્ષેત્ર (બસ્તર, ચિત્રકોટ, કોન્ડાગાંવ અને જગદલપુર)માં મતદાનનો સમય સવારે 7:00થી સાંજે 5:00 વાગ્યા સુધીનો હતો. બસ્તર લોકસભા મતદારક્ષેત્રમાં કુલ સાત ઉમેદવાર સ્પર્ધામાં હોવાનું તેમણે કહ્યું હતું. બસ્તર લોકસભા મતદારક્ષેત્રમાં ચાલી રહેલા મતદાન દરમિયાન નક્સલવાદીઓ અને સુરક્ષા દળ વચ્ચે થયેલી અથડામણમાં એક નક્સલવાદી ઠાર મરાયો હતો તો સ્પેશિયલ ટાસ્ક ફૉર્સનો એક જવાન ઘાયલ થયો હતો. ચાર નક્સલવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની પાસેથી દેશી બનાવટની પિસ્તોલ, ચાકુ, નક્સલવાદ સંબંધિત સાહિત્ય વગેરે જપ્ત કરવામાં આવ્યા હોવાનું તેમણે કહ્યું હતું.

ગઢચિરોલીમાં મતદાન કેન્દ્ર બહાર આઈઈડી બ્લાસ્ટ

ગઢચિરોલી જિલ્લામાં મતદાન સમયે નક્સલવાદી હુમલો થયો હતો, જેમાં બે પોલીસ કમાન્ડોને ઈજા થઈ હતી. ગુરુવારે અહીં બે બ્લાસ્ટ થયા હતા. આ બન્ને કમાન્ડો પોલીસની સી-60 ફોર્સના હતા અને સારવાર માટે તેમને નાગપુર હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, તેમ એક અધિકારીએ માહિતી આપી હતી. આ સાથે ચૂંટણી પ્રક્રિયા પૂરી કરી પાછા ફરી રહેલી પૉલિંગ પાર્ટી પર હુમલો થતાં સુરક્ષા જવાનો અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. તુમડીકાસા નજીક ચાર વાગ્યા આસપાસ આ ઘટના ઘટી હતી. પોલીસ પૉસ્ટ સુધી પૉલિંગ પાર્ટી પહોંચે તે પહેલા અમુક નક્સલવાદીઓએ ગોળીબારી શરૂ કરી દીધી હતી. જેનો જવાબ સીઆરપીએફ જવાનોએ સામે ગોળીબાર કરી આપ્યો હતો. થોડા સમય બાદ તેઓ નાસી છૂટ્યા હતા અને કોઈ જાનહાનિ થઈ નથી, તેમ અધિકારીએ જણાવ્યું હતું.

અગાઉ સવારે નક્સલવાદીઓએ ઈમ્પ્રોવાઈઝડ એક્સપ્લોઝિવ ડીવાઈઝ (આઈઈડી)નો ઉપયોગ કરી બ્લાસ્ટ કર્યો હતો. વાઘેઝરી નામના વિસ્તારમાં સવારે લગભગ સાડાદસ વાગ્યે બ્લાસ્ટ થયો હતો, જે મતદાન કેન્દ્રથી લગભગ 150 મીટરના અંતરે હતો. સવારે લોકો મોટી સંખ્યામાં મતદાન કરવા લાઈન લગાવી ઊભા હતા, તેમ એક અધિકારીએ જણાવ્યું હતું. જોકે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. સીઆરપીએફ જવાન અને પોલીસના રક્ષણમાં લોકો અને મતદાન કેન્દ્ર તરફ જઈ રહ્યા હતા ત્યારે બ્લાસ્ટ થયો હતો. અધિકારીએ જણાવ્યું હતું કે લોકો મોટા પ્રમાણમાં મતદાન માટે ઊમટ્યા હોવાથી તેમનામાં ભય ફેલાવવા અને મતદાનનો અવરોધ કરવા આમ કરવામાં આવ્યું હતું.

April 11, 2019
travel.jpg
1min15890

રિંગરોડ પર સુંદરમ સ્પેશ ખાતે ટ્રાવેલ એન્ડ ટુરીઝમનો કોર્સ પણ શીખી શકાશે અને શહેરીજનોને પાસપોર્ટ, વીઝા, ટિકીટ બુકિંગ સમેતની તમામ ફેસેલિટીઝ કોર્પોરેટ સર્વિસ સ્વરૂપે ઉપલબ્ધ થશે

શહેરના ખટોદરા સબજેલ સામે રિંગ રોડ પર આવેલા સુંદરમ સ્પેશ બિલ્ડીંગ ખાતે આગામી તા.14મી એપ્રિલને રવિવારથી ઇન્ટરનેશનલ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ એકેડેમી તેમજ તેની સાથે ઉચ્ચ દરજ્જાની સર્વિસ પૂરી પાડતા ફ્લાઇટ સેન્ટરનું લોકાર્પણ થઇ રહ્યું છે.

ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ક્ષેત્રમાં શહેરમાં જાણીતું નામ શિરીષ પટેલ, સુનિલ ચપટવાલા અને બ્રિજેશ મોદી દ્વારા ઇન્ટરનેશનલ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ એકેડેમીની શરૂઆત કરવામાં આવી છે. આ એકેેડેમી શહેરના યુવા ધનને ટ્રાવેલ ટુરિઝમનું શિક્ષણ તો આપશે જ સાથે સાથે શહેરીજનોને પાસપોર્ટ, વીઝા, એરટિકીટ બુકિંગ, ટુર પેકેજ, ટ્રાવેલિંગ આસિસ્ટન્સ વગેરેની સુવિધાઓ પણ આકર્ષક દરે પૂરી પાડશે. ખાસ બાબત એ છે કે ગ્રુપ ટ્રાવેલિંગ, ગ્રુપ ટૂર્સ, ગ્રુપ પેકેજિસના સૌથી સસ્તા દરો પણ ફ્લાઇટ સેન્ટર દ્વારા જ પૂરું પાડવામાં આવશે.

ઇન્ટરનેશનલ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ એકેડેમીમાં શું શીખવાશે

ઇન્ટરનેસનલ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ એકેડેમી હાલમાં શહેરના યુવાધનને બે કોર્સ ઓફર કરી રહી છે. જેમાં એક, છ મહિનાની અવધિ ધરાવતો ડિપ્લોમા ઇન ટ્રાવેલ એન્ડ ટુરિઝમ તથા દ્વિતીય કોર્સ છ મહિનાનો ટ્રાવેલ એજન્સી મેનેજમેન્ટ એજ્યુકેશન. આ બન્ને કોર્સ સફળતાપૂર્વક પૂર્ણ કરનાર ઉમેદવારોને છ મહિનાની ઓન જોબ ટ્રેનિંગ એટલે કે પગાર સાથેની ટ્રેનિંગ પણ એકેડેમી પૂરી પાડશે. ટૂંકમાં કહીએ તો ટ્રાવેલિંગ ઇન્ડસ્ટ્રીમાં બિઝનેસ કરવા માટે સૌથી બેસ્ટ એજ્યુકેશન અહીં ઓફર કરવામાં આવશે.