CIA ALERT

Blog - Page 513 of 709 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
May 17, 2019
agri-1280x1045.jpg
1min6940

રાજ્યની રાય, પારૂલ આર. કે. તથા અન્ય ખાનગી યુનિવર્સિટીઓ દ્વારા ચલાવવામાં આવતા કૃષિ સંલગ્ન અભ્યાસક્રમો માન્ય ન હોઈ, તેમાં પ્રવેશ નહિ લેવા વિદ્યાર્થીઓ અને વાલીઓને રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓની કાઉન્સિલ દ્વારા સલાહ આપવામાં આવી છે એમ કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગની યાદીમાં જણાવવામાં આવ્યું હતું. રાજ્યમાં આવેલી રાય, પારુલ, આર. કે તથા અન્ય ખાનગી યુનિવર્સિટીઓ દ્વારા બી.એસસી(એગ્રી), બી.ટેક (એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ), બી.એસસી (હોર્ટી) અને કૃષિ ઈજનેરી (ડીપ્લોમા) જેવા કૃષિ સંલગ્ન અભ્યાસક્રમો શરૂ કરેલા છે. આ અભ્યાસક્રમો ગુજરાત કૃષિ યુનિવર્સિટી અધિનિયમ ૨૦૦૪ની કલમ નં.૪(૪)ની વિરુદ્ધ હોઈ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ ૨૦૧૬ની અસરથી આ યુનિવર્સિટીઓને અભ્યાસક્રમો બંધ કરવા જણાવવામાં આવ્યું હતું.

આ સંદર્ભે વર્ષ ૨૦૧૬થી સંબંધિત ખાનગી યુનિવર્સિટીઓ દ્વારા હાઇ કોર્ટમાં એસસીએ/ એલપીએ તેમ જ સુપ્રીમ કોર્ટમાં વર્ષ ૨૦૧૮માં સ્પેશિયલ લીવ પિટિશનો દાખલ કરી દાદ માંગવામાં આવી હતી. આ બાબતમાં હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ દ્વારા ચુકાદાઓ આપવામાં આવ્યા હતા જે મુજબ ખાનગી યુનિવર્સિટીઓ દ્વારા કૃષિ અને સંલગ્ન અભ્યાસક્રમોમાં આઈ.સી.એ.આર દ્વારા નિર્ધારિત કરવામાં આવેલા ધારાધોરણોનો અમલ કરવામાં આવ્યા ન હોઈ અને રાજ્ય સરકારની મંજૂરી મેળવવામાં આવી ન હોઈ, આ અભ્યાસક્રમોને અમાન્ય ઠરાવ્યા હતા. ઉક્ત કારણોસર રાજ્યની રાય, પારુલ, આર. કે. તથા અન્ય ખાનગી યુનિવર્સિટી દ્વારા ચલાવવામાં આવતા કૃષિ સંલગ્ન અભ્યાસક્રમો માન્ય ન હોવાથી તેમાં પ્રવેશ નહીં લેવા વિદ્યાર્થીઓ અને વાલીઓને રાજ્ય કૃષિ યુનિવર્સિટીની કાઉન્સિલ દ્વારા સલાહ આપવામાં આવે છે.

May 17, 2019
rahul_gandhi-1.jpg
1min5350
લોકસભા ચૂંટણીનાં આખરી તબક્કાનાં મતદાન પૂર્વે વિપક્ષી દળોએ ગઠબંધનનાં પ્રયાસો હાથ ધરી દીધા છે. જેમાં યુપીએનાં અધ્યક્ષા સોનિયા ગાંધીએ ચૂંટણી પરિણામનાં દિવસે જ એટલે કે 23મી મેનાં રોજ વિપક્ષી નેતાઓની એક મહત્વપૂર્ણ બેઠક પણ બોલાવી છે.
બીજીબાજુ કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે કેન્દ્રમાં ભાજપની આગેવાનીવાળા એનડીએ મોરચાની સરકાર રચાતી અટકાવવા માટે કોંગ્રેસ વડાપ્રધાન પદ ન મળે તો પણ યુતિમાં જોડાવા તૈયાર હોવાનું કહીને નમતું જોખવાની તૈયારી દેખાડી દીધી છે. ઉલ્લેખનીય છે કે, ભાજપ અને કોંગ્રેસ વિના કેન્દ્રમાં ત્રીજા મોરચાની સરકાર રચવાની ગઠજોડ પણ અત્યારથી શરૂ થઈ ગઈ છે ત્યારે કોંગ્રેસે પાણી પહેલા પાળ બાંધવાનો પ્રયાસ કરતાં ભાજપને સત્તાથી અળગો રાખવા વડાપ્રધાન પદનો આગ્રહ છોડવાની તૈયારી દેખાડીને ગઠબંધનની કવાયતને મજબૂત કરવાનો પ્રયાસ કર્યો છે. આટલું જ નહીં આમાં એવો સંકેત પણ મળી રહ્યો છે કે કોંગ્રેસ ચૂંટણી પરિણામોથી ખાસ આશાવાદી નથી. એટલે જ ભાજપને રોકવા માટે કોઈપણ ત્યાગ કરવાં તૈયાર થઈ રહ્યો છે.
આનાં ભાગરૂપે ગુલામનબી આઝાદે આજે કહ્યું હતું કે, કોંગ્રેસનો રૂખ સ્પષ્ટ છે. જો સહમતી બને તો પક્ષ નેતૃત્વનો સ્વીકાર કરશે. પરંતુ એક લક્ષ્ય હંમેશાથી નક્કી જ છે કે એનડીએ ફરીથી શાસનમાં પહોચવો જોઈએ નહીં. સર્વસંમતિથી લેવાતા કોઈપણ ફેંસલામાં કોંગ્રેસ સાથે રહેશે. જ્યાં સુધી વડાપ્રધાન પદનો પ્રસ્તાવ ન મળે ત્યાં સુધી કોંગ્રેસ કંઈ જ બોલવા માગતો નથી. જો કે કોઈપણ જવાબદારી સંભાળવા સામે પણ તેને કોઈ વાંધો નહીં હોય.
બીજીબાજુ પરિણામનાં દિવસે વિપક્ષી નેતાઓની બેઠક બોલાવીને સોનિયા ગાંધીએ અત્યારથી જ ગઠબંધનની કવાયત હાથ ધરી દીધી છે. યુપીએ મોરચાનાં સહયોગી પક્ષ ડીએમકે દ્વારા પણ પુષ્ટિ આપવામાં આવી હતી કે, પક્ષનાં પ્રમુખ એમ.કે.સ્ટાલીનને સોનિયા ગાંધીનું નિમંત્રણ મળ્યું છે.
સોનિયા ગાંધી આ વખતે ચૂંટણી પ્રચારમાં સક્રિય બન્યા નથી અને તેઓ ખાનગીમાં એનડીએ સીવાયનાં દળો સાથે સંપર્ક સાધતા રહ્યા હોવાનું કહેવામાં આવે છે. સોનિયા ગાંધીએ પક્ષનાં કમલનાથ સહિતના વરિષ્ઠ નેતાઓને બીજેડીનાં નવીન પટનાયક અને વાયએસ કોંગ્રેસનાં જગન મોહન રેડ્ડી ઉપરાંત ટીઆરએસનાં કે.સી. રાવને સાધવાની જવાબદારી સોંપી હતી. આ તમામ વચ્ચે અનૌપચારિક સંતલસ થઈ હોવાનું કહેવામાં આવે છે.
May 17, 2019
modi_pragya.jpg
1min14570

મધ્યપ્રદેશમાં ભોપાલથી કોંગ્રેસના દિગ્વીજય સામે ભાજપાના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા સાધ્વી પ્રજ્ઞાના એલફેલ નિવેદનોને પગલે ભાજપા સમેત વડાપ્રધાન મોદીએ પણ ક્ષોભજનક સ્થિતિમાં મૂકાવું પડ્યું છે.

વડાપ્રધાન મોદીએ શુક્રવાર તા.17મીએ બપોરે જાહેર નિવેદનમાં કહ્યું હતું કે તેઓ જીવનભર સાધ્વી પ્રજ્ઞાને તેમના ગોડસે અંગેના નિવેદન બદલ માફ નહીં કરી શકે. ભાજપાએ નરેન્દ્ર મોદીના સત્તાવાર નિવેદનને ટ્વીટ કર્યું હતું.

એ પછી ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહે નિવેદન જારી કરીને કહ્યું હતું કે ગોડસે અંગે નિવેદનો કરનાર ભાજપાના ત્રણેય નેતાઓના કેસને શિસ્ત સમિતિ સુધી મોકલી આપવામાં આવ્યા છે. કોઇપણ નેતા હોય જો ગુનેગાર જણાશે તો ભાજપા તેની સામે પગલાં ભરવામાં કચાશ નહીં રાખે.

ભોપાલથી ભાજપાના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાએ ગોડસે સંબંધિત આપેલા નિવેદન બાદ પાર્ટી પોતાને આ નિવેદનથી અલગ જણાવી રહી છે. ભાજપાના જીવીએલ નરસિંહા રાવે કહ્યું કે પાર્ટી સાધ્વી પ્રજ્ઞાના આ નિવેદન સાથે સહમત નથી. અમે આ નિવેદનની ટીકા કરીએ છીએ. રાવે કહ્યું કે પાર્ટી તેઓને (સાધ્વી પ્રજ્ઞા) આ નિવેદન મુદ્દે સ્પષ્ટતા કરવાનું કહેશે. જણાવી દઈએ કે સાધ્વી પ્રજ્ઞાએ એક સવાલના જવાબમાં કહ્યું હતું કે નાથૂરામ ગોડસે દેશભક્ત હતા. દેશભક્ત છે અને દેશભક્ત રહેશે.

May 17, 2019
sensex-up.jpg
1min14500

મુંબઈ: દેશમાં સામાન્ય ચૂંટણીના એક્ઝિટ પોલ જાહેર થતા અગાઉ શેરબજારમાં શોર્ટ કવરિંગથી શુક્રવારે 537 પોઈન્ટ્સનો હાઈજમ્પ જોવા મળ્યો હતો. આજે સવારથી જ ઓટો, બેન્ક અને કેપિટલ ગૂડ્ઝ શેરોમાં ધૂમ લેવાલી જોવા મળી હતી.

આજે દિવસ દરમિયાન BSE સેન્સેક્સ ઉપરમાં 38,001.13 અને નીચામાં 37,415.36 પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ 537.29 પોઈન્ટ્સ (1.44%)ના ઉછાળા સાથે 37,930.77 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.

નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ ઉપરમાં 11,426.15 અને નીચામાં 11,259.85 પોઈન્ટ્સની રેન્જમાં અથડાયા બાદ 150.05 પોઈન્ટ્સ (1.33%) વધીને 11,407.15 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 1.11 ટકા અને 0.49 ટકા વધીને બંધ રહ્યા હતા.

May 17, 2019
mamta_vs_modi.jpg
1min5220

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે જણાવ્યું હતું કે મારી સરકાર ઇશ્ર્વરચંદ્ર વિદ્યાસાગરની વિચારધારાને અનુસરે છે અને કોલકાતામાં તૃણમૂલ કૉંગ્રેસ (ટીએમસી)ના ગુંડાઓએ જે સ્થળે તેમનું પૂતળું તોડ્યું હતું ત્યાં પંચધાતુની ભવ્ય પ્રતિમાનું નિર્માણ કરીશું.

વડા પ્રધાને જણાવ્યું હતું કે હું હવે પછી ડમડમમાં જાહેરસભાને સંબોધવા જવાનો છું, પરંતુ પશ્ર્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજી મારા હેલિકૉપ્ટરને ત્યાં ઊતરવા દેશે કે નહિ એ ખબર નથી.

મોદીએ અહીં ચૂંટણીસભાને સંબોધતા જણાવ્યું હતું કે અમે ઘણાં સમયથી (મમતા)દીદીનું (ખરાબ) વલણ જોતા હતા, પરંતુ હવે દેશ જોઇ રહ્યો છે.

તેમણે જણાવ્યું હતું કે અમારી સરકાર ઇશ્ર્વરચંદ્ર વિદ્યાસાગરની વિચારધારાને સમર્પિત છે અને કોલકાતામાં તૃણમૂલ કૉંગ્રેસના ગુંડાઓએ જે સ્થળે તેમનું પૂતળું તોડ્યું છે ત્યાં અમે પંચધાતુની બનેલી તેમની પ્રતિમા બેસાડીશું.

વડા પ્રધાને જણાવ્યું હતું કે તૃણમૂલ કૉંગ્રેસના ગુંડાઓએ ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના પ્રમુખ અમિત શાહના રોડશો વખતે ઇશ્ર્વરચંદ્ર વિદ્યાસાગરની પ્રતિમા તોડી હતી અને આ કૃત્ય કરનારા લોકોને કડક સજા થવી જોઇએ.

મોદીએ આક્ષેપ કર્યો હતો કે પશ્ર્ચિમ મિદનાપોર અને ઠાકુરનગરમાંની મારી અગાઉની ચૂંટણીસભાઓ વખતે તૃણમૂલ કૉંગ્રેસના કાર્યકરોએ અરાજકતા ફેલાવી હતી.

તેમણે જણાવ્યું હતું કે કૂચ બિહારમાં મારી જાહેરસભા માટે જ્યાં મંચ બંધાવાનો હતો ત્યાં મમતા બેનરજીએ પોતાના પક્ષ માટે મોટો મંચ બાંધી દીધો હતો.

May 17, 2019
eci_logo.jpg
1min6530

ચૂંટણી પંચે એની વિશ્ર્વસનીયતા અને સ્વાતંત્ર્ય ગુમાવી દીધા છે, એવો આક્ષેપ કરીને કૉંગ્રેસે કહ્યું હતું કે આ પંચની નિયુક્તિની પ્રક્રિયાની સમીક્ષા કરવાનો સમય આવી ગયો છે.

શું આચારસંહિતા હવે ‘મોદીની આચારસંહિતા’ બની ગઈ છે? એવું પૂછાતાં કૉંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ કહ્યું હતું કે ‘પશ્ર્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચારમાં ૨૦ કલાકનો કાપ મૂકવાનો ચૂંટણી પંચનો આદેશ ભારતીય લોકશાહી પરનો તેમ જ ચૂંટણી પંચ જેવી સંસ્થાઓ પર ‘ઘેરો ધબ્બો’ છે.

કોલકતામાં ભાજપ અને તૃણમૂલ કૉંગ્રેસ (ટીએમસી)ના કાર્યકરો વચ્ચે હિંસા ફાટી નીકળતાં ચૂંટણી પંચે બુધવારે બંધારણની કલમ ૩૨૪ લાગુ કરીને પશ્ર્ચિમ બંગાળની નવ બેઠકોમાં ચૂંટણીના પ્રચારકાર્યને ગુરુવારે રાત્રે ૧૦.૦૦ વાગ્યે (સમયપત્રક મુજબની સમયમર્યાદા કરતાં ૨૪ કલાક પહેલાં) થંભાવી દેવાનો આદેશ બહાર પાડ્યો હતો.

સૂરજેવાલાએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘ચૂંટણી પંચમાં થતી નિયુક્તિની પ્રક્રિયાની સમીક્ષા કરવાનો સમય આવી ગયો છે. શું આ પંચ શાસક પક્ષ સાથે સંલગ્ન વિભાગ બની રહેવો જોઈએ કે આપણી લોકશાહી માટે જરૂરી અને ન્યાયી તથા પારદર્શક પ્રક્રિયાથી નિયુક્ત થયેલી બંધારણીય સંસ્થા બની રહેવી જોઈએ? કૉંગ્રેસ એક જવાબદાર રાજકીય પક્ષ છે અને એણે ક્યારેય બંધારણીય સંસ્થાઓ સામે કારણ વગર આંગળી નથી ચીંધી. જોકે, અમારે ઊંડા ખેદપૂર્વક કહેવું પડે છે કે ચૂંટણી પંચે એની સ્વાયત્તતા ગુમાવી દીધી છે.’

સૂરજેવાલાએ એવો આક્ષેપ પણ કર્યો હતો કે ‘ચૂંટણી પંચની પગલાં પરથી લાગે છે કે એ વડા પ્રધાન મોદી તથા ભાજપ માટેની વિદાય સમયની ભેટ છે. પંચનું એક પગલું આ માટે સૂચક છે. આ પગલાંમાં ચૂંટણી પંચે પશ્ર્ચિમ બંગાળમાં પ્રચારકાર્યને ૨૪ કલાક વહેલો સમેટી લેતો આદેશ આપ્યો એમાં મોદીની અગાઉથી જાહેર થયેલી મથુરાપુરા તથા ડમ ડમ ખાતેની રૅલીને નથી આવરી લેવાઈ. બીજી રીતે કહીએ તો આ બે રૅલીને ઊની આંચ ન આવે એ મુજબનો પ્રતિબંધ લાગુ કરાયો છે.’

સૂરજેવાલાના મતે ‘મોદીજીની ખુરસી, તેમની પ્રતિષ્ઠા અને ચૂંટણી પંચ તથા લોકશાહીનું સ્વાતંત્ર્ય, આ ત્રણેય બાબતો અત્યારે ખતરામાં છે. આ દેશની પ્રજા અંતિમ નિર્ણય લેનારી છે, પરંતુ એક વાત નક્કી છે કે જ્યારે બધુ નિષ્ફળ જતું હોય ત્યારે લોકશાહી સફળ રહેતી હોય છે. ચૂંટણી પંચ ભાજપના પ્રમુખ અમિત શાહના ગુંડાઓ અને તોફાનીઓને સજા કરવાને બદલે લોકશાહીને હાનિ પહોંચાડી રહ્યું છે. ભારતીય ચૂંટણી પંચ મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજી શકવા સમર્થ નથી એવું કબૂલીને પ્રજામાં એક પ્રકારનો હાઉ પેદા કરી રહ્યું છે. કૉંગ્રેસે ચૂંટણી પંચ સમક્ષ મોદી તથા અમિત શાહની વિરુદ્ધમાં ૧૧ કરતાં વધુ ફરિયાદો કરી છે. અમને તો ચૂંટણી પંચમાં સ્પષ્ટપણે નારાજગી દેખાઈ રહી છે. પંચ નરેન્દ્ર મોદી અને અમિત શાહને શરણે થઈ ગયું છે.’

May 16, 2019
fire_safty.jpg
1min6750

શહેરમાં ફાયર બ્રિગેડની ટીમે વહેલી સવારે જ સપાટો બોલાવ્યો હતો અને શહેરના અલગ અલગ ઝોનમાં આવેલા ૧૬ કોમર્શિયલ કોમ્પલેક્ષ સીલ કરી દીધા હતા. આ ઘટનામાં શહેરની ૧૦૦૦થી વધુ દુકાનો સીલ કરાઇ હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર સુરતના અલગ અલગ વિસ્તારોમાં આવેલા કોમ્પલેક્ષમાં ફાયર સેફ્ટીના અભાવને ધ્યાને લઈને ફાયર વિભાગની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. સુરતમાં મ.ન.પા.ની કામગીરીથી દુકાન માલિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ફાયર સેફ્ટીને લઈ આગામી દિવસોમાં કામગીરી ચાલુ રહેશે તેવી વાત પણ કહેવામાં આવી હતી. શહેરના તમામ ઝોનમાં કામગીરી હાથ ધરાઇ રહી છે. થોડા દિવસ અગાઉ ૧૬ એવા કોમ્પલેક્ષને નોટિસ પાઠવવામાં આવી હતી, જ્યાં ફાયર સેફ્ટીની કોઈ વ્યવસ્થા નહોતી.

જોકે નોટિસ બાદ પણ કોઈ પગલાં ન લેવાતાં બુધવારે વહેલી સવારે આ તમામ કોમ્પલેક્ષ સીલ કરી દેવામાં આવ્યા હતા. સીલ કરેલા આ ૧૬ કોમ્પલેક્ષમાં અંદાજે ૧૦૦૦થી વધુ દુકાનો આવેલી છે.

May 16, 2019
indo_pak-1280x720.jpg
1min9160

પાકિસ્તાને ભારતીય ફ્લાઇટ્સ માટે પોતાની હવાઇસીમા ૩૦મી મે સુધી નહિ ખોલવાનો બુધવારે નિર્ણય લીધો હતો.

ભારતીય હવાઇદળે ૨૬મી ફેબ્રુઆરીએ પાકિસ્તાનના બાલાકોટમાંના ત્રાસવાદી સંગઠન જૈશે મહંમદની છાવણીઓ પર હુમલા કર્યો તે પછી પાકિસ્તાને પોતાની હવાઇસીમા ભારતીય વિમાનો માટે સંપૂર્ણ બંધ કરી દીધી હતી.

આમ છતાં, પાકિસ્તાને નવી દિલ્હી, બેંગકોક અને ક્વાલા લમ્પુર માટેની ફ્લાઇટ્સ સિવાયના ફ્લાઇટ્સ માટે પોતાની હવાઇસીમા ૨૭મી માર્ચે ખોલી હતી.

પાકિસ્તાનના એક ઉચ્ચ સરકારી અધિકારીએ સંબંધિત માહિતી આપતા જણાવ્યું હતું કે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રાલય અને મુલકી ઉડ્ડયન મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓની બુધવારે બેઠક મળી હતી અને તેમાં ભારતીય ફ્લાઇટ્સ પરના પ્રતિબંધને ૩૦મી મે સુધી લંબાવવાનો નિર્ણય લેવાયો હતો.

તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાનની સરકાર હવે પોતાની હવાઇસીમામાંના ભારતીય ફ્લાઇટ્સ પરના પ્રતિબંધ અંગે ૩૦મી મેએ ફેરવિચારણા કરશે.

પાકિસ્તાનના વિજ્ઞાન અને ટેક્નૉલૉજી વિભાગના પ્રધાન ફાવદ ચૌધરીએ ચાલુ સપ્તાહના પ્રારંભમાં જણાવ્યું હતું કે અમારી સરકાર ભારતમાંની સામાન્ય ચૂંટણી પૂરી થવાની રાહ જોઇ રહી છે અને ત્યાં સુધી આ સ્થિતિ જેમ છે એમ રખાશે.

ભારતે પણ પાકિસ્તાની ફ્લાઇટ્સ પર આવો પ્રતિબંધ મૂક્યો હોવાથી પાકિસ્તાને બેંગકોક, ક્વાલા લમ્પુર ખાતેની પોતાની અનેક ફ્લાઇટ રદ કરી હતી.

May 16, 2019
sherpa_everest.jpeg
1min8250

૪૯ વર્ષના નેપાળી શેરપાએ ૨૩મી વખત માઉન્ટ ઍવરેસ્ટ સર કરી તેનો પોતાનો જ અગાઉનો રેકૉર્ડ તોડ્યો હોવાનું પ્રસાર માધ્યમના અહેવાલમાં બુધવારે જણાવવામાં આવ્યું હતું.

કામી રીટા શેરપા જેણે ગયા વરસે વિશ્ર્વના સૌથી ઊંચા ૮૮૫૦ મીટરના માઉન્ટ ઍવરેસ્ટની ટોચ પર ઊભા રહીને સૌથી વધુ બાવીસ વખત ઍવરેસ્ટ સર કરવાનો વિક્રમ સ્થાપ્યો હતો. બુધવારે સવારે ફરી એકવાર તેણે તેના સાથીદારો સાથે માઉન્ટ ઍવરેસ્ટના શિખર પર પગ મૂકી પોતાનો જ અગાઉને રેકોર્ડ તોડ્યો હતો.

પ્રસારમાધ્યમે સેવન સમિટ ટ્રેક્સ ખાતે કંપનીના અધ્યક્ષ મિન્ગમા શેરપાને એમ કહેતા ટાંક્યા હતા કે સોલુખુમ્બુ જિલ્લાના થામે ગામના વતની કામી રીટા શેરપાએ નેપાળની બાજુએથી બુધવારે સવારે ૭:૫૦ વાગ્યે ઍવરેસ્ટના સર્વોચ્ચ શિખર પર પગ મૂકી અગાઉનો તેનો જ વિક્રમ તોડ્યો હતો.

કામી રીટા શેરપા વર્ષ ૧૯૯૪થી માઉન્ટ ઍવરેસ્ટ ચઢી રહ્યો છે. વર્ષ ૨૦૧૫માં તેનો ગ્રાહક માર્ગમાં અધવચ્ચે જ માંદો પડી જવાને કારણે તે ઍવરેસ્ટ ચઢી નહોતો શક્યો. વર્ષ ૧૯૯૫માં ભયાનક હિમસ્ખલને એક ટુકડીનો ભોગ લીધા બાદ તેણે માઉન્ટ ઍવરેસ્ટ જવાનું માંડી વાળ્યું હતું.

વર્ષ ૨૦૧૭માં કામી ૨૧ વખત માઉન્ટ ઍવરેસ્ટ સર કરનાર ત્રીજી વ્યક્તિ બન્યો હતો અને તેણે અપ્પા શેરપા અને પૂર્બા તાશી શેરપાના વિક્રમની બરોબરી કરી હતી. અપ્પા શેરપા અને પૂર્બા તાશી શેરપાએ ત્યાર બાદ નિવૃત્તી લઈ લીધી હતી.

વર્ષ ૨૦૧૮માં કામીએ બાવીસમી વખત ઍવરેસ્ટ સર કરી નવો વિક્રમ સ્થાપ્યો હતો.

May 16, 2019
priyanka_sharma.jpg
1min11960

સુપ્રીમ કોર્ટે બુધવારે પ્રિયંકા શર્માને છોડવાના મુદ્દા પર પશ્ર્ચિમ બંગાળ સરકારની ઝાટકણી કાઢી હતી. પ્રિયંકા શર્માએ મુખ્ય પ્રધાન મમતા બેનરજીનો ફોટો મોર્ફ કરીને (ચેડાં કરીને) સોશિયલ મીડિયા પર રજૂ કર્યો હતો. ૧૦મી મેના દિવસે તૃણમૂલ કૉંગ્રેસના નેતા વિભાસ હાજરાની ફરિયાદના આધારે પોલીસે પ્રિયંકાની ધરપકડ કરી હતી અને ટ્રાયલ કોર્ટે તેને જ્યૂડિશિયલ કસ્ટડીમાં ૧૪ દિવસ રાખવાનો આદેશ આપ્યો હતો. પ્રિયંકા શર્મા ભાજપની યુવા પાંખની કાર્યકર છે.

પ્રિયંકા શર્માને છોડી દેવા સુપ્રીમ કોર્ટે મંગળવારે પશ્ર્ચિમ બંગાળ સરકારને આદેશ આપ્યો હતો. પ્રિયંકા શર્માના ભાઈ રાજીવ શર્માના એડ્વોકેટે બુધવારે સુપ્રીમમાં રજૂઆત કરી હતી કે પ્રિયંકાને છોડવામાં આવી નથી. ન્યાયમૂર્તિ ઈંદિરા બેનરજી અને સંજીવ ખન્નાની વેકેશન ખંડપીઠે પશ્ર્ચિમ બંગાળના એડ્વોકેટને પૂછયું હતું કે, ‘આજે સવારના ૯.૪૦ કલાકે કેમ છોડી? તમારી હાજરીમાં ઓર્ડર પસાર કરવામાં આવ્યો હતો.’ એડ્વોકેટે જવાબ આપ્યો હતો કે, જેલ મેન્યુઅલના કારણે વિલંબ થયો હતો. ખંડપીઠે કહ્યું કે, ‘સુપ્રીમ કોર્ટના આદેશની સામે જેલ મેન્યુઅલનું કારણ નહીં આપી શકાય. આ રીતે નહીં ચાલે. ધરપકડ પ્રથમદર્શી નજરે મનસ્વી હતી.’ ખંડપીઠે અરજદારના એડ્વોકેટને પ્રિયંકાને છોડી કે નહીં તેની તપાસ કરવા કહ્યું હતું. જો છોડવામાં નહીં આવી હોય તો અવમાનનાની નોટિસ આપવામાં આવશે તેવી ચેતવણી ખંડપીઠે આપી હતી.

દરમિયાન પ્રિયંકાના ભાઈના એડ્વોકેટે ખંડપીઠને કહ્યું હતું કે, ૧૩મી મેએ ટ્રાયલ કોર્ટમાં ‘ક્લોઝર રિપોર્ટ’ રજૂ કરાયો હતો તે બાબત પશ્ર્ચિમ બંગાળ સરકારના એડ્વોકેટે સુપ્રીમ કોર્ટને જણાવી ન હતી. એડ્વોકેટે કહ્યું કે, આ અંગે તેમણે જુદી અરજી રજૂ કરી છે. સુપ્રીમ કોર્ટે ઉનાળુ વેકેશન પછી એટલે કે જુલાઈમાં તે બાબતની સુનાવણી હાથ ધરવામાં આવશે તેમ કહ્યું હતું. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, મુક્ત થયા પછી પ્રિયંકાએ પોસ્ટ શેર કરવા બાબતમાં દિલગીરી વ્યક્ત કરવાની રહેશે. સોશિયલ મીડિયા પર પોસ્ટ અથવા મીમ શેર કરનારાની ધરપકડ થઈ શકે કે કેમ તે બાબતમાં પ્રતિભાવ આપવા પશ્ર્ચિમ બંગાળ સરકારને નિર્દેશ આપ્યા હતા.

હું માફી નહીં માગું: પ્રિયંકા શર્મા

કોલકાતા: ભાજપની યુવા પાંખની કાર્યકર પ્રિયંકા શર્માએ કહ્યું કે, તે માફી નહીં માગશે. ભાજપ ઑફિસમાં યોજાયેલી એક પત્રકાર પરિષદમાં તેણે કહ્યું કે, ‘મને કોઈ પસ્તાવો નથી. મારે માફી માગવી પડે તેવું મેં કંઈ કર્યું નથી. પ્રિયંકાને પાંચ દિવસ પછી આલીપોર જેલમાંથી સુપ્રીમના આદેશના પગલે બુધવારે સવારે ૯.૪૦ કલાકે જેલમાંથી છોડવામાં આવી હતી. પ્રિયંકાને જયારે જેલમાંથી છોડવામાં આવી ત્યારે તેની માતા અને ભાજપના સ્થાનિક નેતા હાજર હતા. પ્રિયંકાએ કહ્યં કે, ‘જેલમાં મારા પર ત્રાસ ગુજારવામાં આવ્યો હતો. જેલરે મને ગઈકાલે ધક્કો માર્યો હતો.’ પ્રિયંકાના ભાઈ રાજીવ શર્માએ આક્ષેપ કર્યો હતો કે, ‘જેલ સત્તાવાળાઓએ સુપ્રીમના આદેશની ‘હાર્ડ કોપ’ માગ કરી હતી. તરત જ છોડી મૂકવાના સુપ્રીમના આદેશનું તેમણે પાલન ન કર્યું હતું.’ પ્રિયંકાએ પ્રિયંકા ચોપરાના ફોટામાં મમતા બેનરજીનો ચહેરો ‘મોર્ફ’ કરી જોડયો હતો. તેની ધરપકડ પછી ભાજપ કાર્યકરો અને સોશિયલ મીડિયા યૂઝર્સ દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા.