CIA ALERT

Blog - Page 483 of 709 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
July 5, 2019
rajyasabha.jpg
1min6110

રાજ્યસભા ગુજરાતની બે બેઠકો માટે આજે શુક્રવારે સવારે 10ના ટકોરે  પેટા ચૂંટણી અંતર્ગત મતદાન શરૂ થયું હતું. મતદાન સાંજે 4 વાગ્યા સુધી હાથ ધરવામાં આવશે.

કેન્દ્રીય ચૂંટણી પંચે અલગ અલગ મતદાનથી પેટા ચૂંટણીના અગાઉના નિર્ણય મુજબ કાર્યક્રમ જાહેર કર્યો હોવાથી ભાજપના જ બન્ને ઉમેદવારો વિજયી બનશે એ નિશ્ચિત છે.

ભાજપે કેન્દ્રીય વિદેશમંત્રી એસ.જયશંકર તેમજ એક બેઠક પર મહેસાણાના ઓબીસી આગેવાન જુગલ ઠાકોરને ઉમેદવાર બનાવ્યા છે.

પાંચ વાગ્યા બાદ મતગણતરી થશે અને તુરત જ પરિણામ જાહેર કરી દેવાશે.

ગુજરાતની આ બન્ને બેઠકો પર અગાઉ હાલના કેન્દ્રીય ગૃહ મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ તેમજ કેન્દ્રીય કાપડમંત્રી સ્મૃતિ ઇરાની રાજ્યસભાના સભ્ય બન્યા હતા, બન્નેના લોકસભામાં વિજય પછી ગુજરાતની રાજ્યસભાની આ બેઠકો ખાલી પડી હતી.

July 5, 2019
pakistan.jpg
1min5090

સેમી-ફાઈનલ તબક્કામાં પ્રવેશ માટેનો મોકો ફક્ત ગણિતની શક્યતામાં ફેરવાઈ જવા પછી ભૂતપૂર્વ ચૅમ્પિયન પાકિસ્તાને તેનું સ્વપ્ન સાકાર કરવા માટે વર્લ્ડ કપમાં શુક્રવારે બંગલાદેશ સામે અહીં લોર્ડ્સ ખાતે રમાનારી પોતાની આખરી વિભાગીય મેચમાં અસંભવિત વિજય પ્રાપ્ત કરવાનો રહે છે.

૧૯૯૨ની સ્પર્ધાના વિજેતા પાકિસ્તાનની સેમી-ફાઈનલમાં પ્રવેશ કરવાની આશા પર ભારતની ટીમના ઈંગ્લેન્ડ સામે થયેલા પરાજયથી ધક્કો પહોંચ્યો હતો અને ન્યૂ ઝીલેન્ડ બુધવારે રાતે આયોજક રાષ્ટ્રની ટીમ વિરુદ્ધ હારી જતા તેના માટે વર્લ્ડ કપ લગભગ સમાપ્ત થઈ ગયો હતો.

સરફાઝ અહમદની ટીમ માટે હવે સેમી-ફાઈનલ પ્રવેશ ફક્ત ગણિતની ગણતરી બની ગયો છે અને તે પણ પાકિસ્તાન ટોસ જીતીને પહેલા બૅટિંગ કરવા પર આધારિત છે. પાકિસ્તાન ટોસ હારી જતા અને તેને પહેલા ફિલ્ડિંગ કરવાનું કહેવામાં આવતા તેની સેમી-ફાઈનલની આશા પર પહેલો બોલ નખાવા પહેલા જ પાણી ફેરવાઈ જશે.

ન્યૂ ઝીલેન્ડે ઈંગ્લેન્ડ સામે ૧૧૯ રનથી હારી જવા પછી તેની નવ મેચમાંથી ૧૧ પોઈન્ટ પ્રાપ્ત કરવા સાથે પોતાની વિભાગીય મેચો સમાપ્ત કરી હતી, પણ પોતાના સંગીન પરાજય છતાં તે પોતાના નેટ રન-રેટથી ઘણું આગળ રહ્યું છે. પાકિસ્તાનના -૦.૭૮૨ સામે ન્યૂ ઝીલેન્ડનો નેટ રન-રેટ +૦.૧૭૫ છે. પોતાની આઠ મેચમાંથી કુલ નવ પોઈન્ટ સાથે હાલ પાંચમા ક્રમે રહેતા પાકિસ્તાનને ૩૫૦ રનનો જુમલો ખેડયા પછી બંગલાદેશને ૩૧૧ રનના માર્જિનથી અથવા ૪૦૦નો જુમલો ઊભો કરી ૩૧૬ રનથી હરાવવાનો પડકાર રહે છે કે જે અશક્ય લાગી રહ્યું છે.

ભારત સામે હારી જવા પછી પાકિસ્તાનની ટીમ બાબર આઝમ અને હેરીસ સોહેલના પ્રભાવિત બૅટિંગ દેખાવથી દક્ષિણ આફ્રિકા, ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાન વિરુદ્ધ વિજય મેળવી વિજયના માર્ગે પાછી ફરી હતી.

July 5, 2019
narmada.jpg
1min11260

ગુજરાત સરકાર દ્વારા અષાઢી બીજના પવિત્ર દિવસથી ગુજરાતમાં સિંચાઇની જરૂરિયાતવાળા વિસ્તારો માટે નર્મદા ડેમમાંથી પાણી પહોંચાડવાની કરાયેલી જાહેરાતના પગલે આજે તા.4 થી જુલાઇ, 2019ને ગુરુવારના રોજ સવારે 8 કલાકે નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે ભુમલીયા નજીક ડેમની મુખ્ય નહેરમાંથી 5307 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.

નર્મદા ડેમની મુખ્ય નહેર સાઇટ ખાતે કેવડીયા સબ-ડિવિઝનનાં મદદનીશ ઇજનેર શ્રી વિકાસભાઇ ખોડાએ આ અંગેની વિગતો આપતાં જણાવ્યું હતું કે, આજે નર્મદાની મુખ્ય નહેરમાંથી સિંચાઇ માટે છોડાયેલું પાણી સૌરાષ્ટ્રના ધ્રાગંધ્રા, હળવદ, મોરબી, વઢવાણ ઉપરાંત વિરમગામ, પાટડી, માંડલ, સમી, હારીજ, રાધનપુર, સાંતલપુર, ભાભર, વાવ-થરાદ, રાપર અને ભચાઉના વિસ્તારોમાં પૂરું પડાશે. બુધવાર સુધી સુધી માત્ર પીવાના પાણી માટે 2800 ક્યુસેક પાણીનો જથ્થો છોડવામાં આવતો હતો. નર્મદા ડેમના ઉપરવાસ-કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદને લીધે આજે તા. 4થી જુલાઇના રોજ સવારે 8 કલાકે નર્મદા ડેમમાં 16 હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઇ છે. ડેમમાં પાણીની ઉક્ત આવકને લીધે બુધવાર કરતાં આજે ડેમની સપાટીમાં 17 સે.મી. વધારો નોંધાયો છે.

July 5, 2019
rahul_gandhi-1.jpg
1min5500

કૉંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામું આપવાના નિર્ણય પર મોહર માર્યાના બીજા દિવસે કૉંગ્રેસ કાર્યકરોમાં સન્નાટો છવાઈ ગયો હતો. ગાંધી વગરનું ભવિષ્ય શક્ય છે કે કેમ તેનો વિચાર કરતા કાર્યકરો ચિંતામાં સરી ગયા હતા. નેતૃત્વની કટોકટીથી ઘેરાયેલા કૉંગ્રેસ પક્ષમાં અચોક્કસતાના વાદળો ક્યારે વિખરાશે તે પ્રશ્ર્ન કૉંગ્રેસજનોને પરેશાન કરી રહ્યો છે. થોડા સમયમાં સીડબ્લ્યુસીની બેઠક થશે અને મુદ્દાનો ઉકેલ લાવવાના પ્રયત્નો થશે. આગામી સપ્તાહમાં કૉંગ્રેસની નિર્ણય લેનારી સર્વોચ્ચ સમિતિની બેઠક મળશે જેમાં કૉંગ્રેસ પક્ષના ભવિષ્યની રૂપરેખા નક્કી કરવામાં આવશે.

કૉંગ્રેસના એક નેતા જિતીનપ્રસાદે કહ્યું કે “ગાંધી પરિવાર કૉંગ્રેસ પક્ષનો મહત્ત્વનો ભાગ છે. બંનેને જુદા નહીં પાડી શકાય. આગામી દિવસોમાં તેમનું માર્ગદર્શન મળતું રહેશે તેવી અમારી અપેક્ષા છે.

રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોટે ગાંધી મુક્ત કૉંગ્રેસની કલ્પના સુદ્ધાં કરવાનો ઈનકાર કરતા કહ્યું કે “અમે પાછા આવીશું અને રાહુલજીના ગતિશિલ નેતૃત્વમાં ફાસીવાદી બળોને પરાજય આપીશું.

થોડા મહિનાઓમાં મહારાષ્ટ્ર, ઝારખંડ, દિલ્હી, હરિયાણાની ચૂંટણી આવી રહી છે, ત્યારે કૉંગ્રેસજનોને એવી લાગણીની અનુભૂતિ થઈ રહી છે કે કૉંગ્રેસ ‘બ્લાઈન્ડ સ્પોટ’માં ધકેલાઈ ગઈ છે.

કૉંગ્રેસના એક નેતાએ કહ્યું કે “સ્પષ્ટ નેતૃત્વ ન હોવાથી અને સામે વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે આવી સ્થિતિ પક્ષ માટે યોગ્ય નથી. પક્ષને પુન:ચેતનવંતો કરવા રાહુલ ગાંધીએ કરેલી પહેલનું સ્વાગત કરતા એક રાજકીય નિષ્ણાતે કહ્યું કે “સોનિયા ગાંધીએ કૉંગ્રેસ સંસદીય પક્ષના નેતાપદેથી હટી જવું જોઈએ અને અન્ય કોઈ નેતાને તક આપવી જોઈએ.

નિર્ણયનું હું સન્માન કરું છું: પ્રિયંકા
કૉંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડરાએ ગુરુવારે કહ્યું કે પક્ષ પ્રમુખપદ છોડવાના રાહુલ ગાંધીના નિર્ણયનું તે સન્માન કરે છે અને આવી હિંમત ખૂબ ઓછા લોકોમાં હોય છે તેવું તેમણે કહ્યું હતું. પ્રિયંકા ગાંધીએ રાહુલ ગાંધીના રાજીનામાને રિટ્વિટ કરતાં સંદેશ આપ્યો હતો કે, “ખૂબ ઓછા તમારા જેવી હિંમત ધરાવે છે. તમારા નિર્ણય માટે હું ખૂબ જ માન ધરાવું છું.

July 5, 2019
GPSC.jpg
1min12270

સર્વોચ્ચ અદાલતે ગુરુવારે આપેલા ચુકાદામાં જણાવ્યું હતું કે પબ્લિક સર્વિસ કમિશનની પસંદગી પ્રક્રિયામાં ઉંમર (વયમર્યાદા)ને લગતી બાંધછોડનો લાભ મેળવનારો અનામત વર્ગનો ઉમેદવાર બાદમાં સામાન્ય વર્ગની જગ્યા (હોદ્દા)માં પોતાના સમાવેશની માગણી કરી ન શકે.

ન્યાયાધીશ એસ. અબ્દુલ નાઝીર અને ન્યાયાધીશ ઇંદિરા બેનરજીની બનેલી બૅન્ચે આ સંબંધમાં ગુજરાત વડી અદાલતે આપેલા ચુકાદાને બહાલી આપી હતી.

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની પસંદગી પ્રક્રિયાને યોગ્ય ઠેરવતા ગુજરાતની વડી અદાલતના હુકમને નીરવકુમાર દિલીપભાઇ મકવાણા નામના એક ઉમેદવારે સર્વોચ્ચ અદાલતમાં પડકાર્યો હતો.

સર્વોચ્ચ અદાલતની બૅન્ચે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે પણ સ્પષ્ટતા કરી હતી કે લેખિત પરીક્ષા અને હોદ્દા માટેની પસંદગીના અન્ય કિસ્સામાં વયમર્યાદા, અનુભવ, (શૈક્ષણિક) લાયકાત જેવી બાબતમાં રાહત કે છૂટછાટનો લાભ મેળવનારા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તેમ જ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના સભ્ય તરીકે અરજી કરનારા ઉમેદવારો બાદમાં સામાન્ય વર્ગ માટેના હોદ્દા માટે દાવો કરી ન શકે.

બૅન્ચે ગુજરાત સરકારના 2000ની 21મી જાન્યુઆરી અને 2004ની 23મી જુલાઇના ગુજરાત સરકારના પરિપત્રોનો ઉલ્લેખ કર્યો હતો કે જેમાં જણાવાયું હતું કે અમે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત જાતિને અનામતનો લાભ આપવા યોગ્ય નીતિ ઘડી છે.

July 5, 2019
salman.jpg
1min5320

કાળિયારના શિકાર માટેના કેસની સુનાવણી વખતે ફરીથી ગેરહાજરીથી ચિડાઇને અદાલતે કોર્ટમાં સલમાન ખાનને ચેતવણી આપતા જણાવ્યું હતું કે જો આગામી સુનાવણી વખતે એ કોર્ટમાં હાજર નહીં થાય તો એના જામીન રદ કરવામાં આવશે.

1998માં કથિત રીતે બે કાળિયારનો શિકાર કરવા બદલ સલમાનને એપ્રિલ 2018માં પાંચ વર્ષની કેદની સજા ફટકારવામાં આવી હતી અને એણે સજા રદ કરાવવા માટે જિલ્લા અને સેસન્સ અદાલતમાં અપીલ કરી હતી.

આ મામલાની સુનાવણી વખતે ગુરુવારે એ ફરીથી ગેરહાજર રહ્યો ત્યારે જજ ચન્દ્રકુમાર સોન્ગારાએ ખાનના વકીલને ઉપરોક્ત ચેતવણી આપી હતી.

અગાઉ ટ્રાયલ કોર્ટમાં સલમાનની અપીલ મામલે ચર્ચા વખતે કોર્ટે એને હાજર ન રહેવાની પરવાનગી આપી હતી, પણ આ મામલે છેલ્લી સુનાવણીમાં ગુરુવારે એને હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જોકે, સલમાને ગુરુવારે ફરીથી કોર્ટમાં હાજર ન રહેવાની માગતી અપીલ દાખલ કરી હતી. એના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે ફિલ્મના શુટિંગને લીધે એ કોર્ટમાં હાજર રહી શકે એમ નથી.

સલમાનના વકીલે જણાવ્યું હતું કે હવે જ્યારે કોર્ટે સલમાનને હાજર રહેવાનો આદેશ આપ્યો છે, તો આગામી સુનાવણી વખતે એ હાજર રહેશે. આ કેસની આગામી સુનાવણી 27મી સપ્ટેમ્બરે થવાની છે.

July 5, 2019
grameen_bank.jpg
1min5450

કેન્દ્રનાં નાણાપ્રધાન નિર્મલા સીતારામને ગુરુવારે જણાવ્યું હતું કે પ્રાદેશિક ગ્રામીણ બૅન્કો (રિજનલ રુરલ બૅન્ક્સ)માં સ્કૅલ-વન ઑફિસર્સ અને ઑફિસ આસિસ્ટન્ટ્સ તરીકેની સીધી ભરતીની પરીક્ષાઓ હિંદી અને અંગ્રેજી ઉપરાંત 13 પ્રાદેશિક ભાષા – ગુજરાતી, આસામી, બંગાળી, ક્ધનડ, કોંકણી, મલયાલમ, મણિપુરી, મરાઠી, ઉડિયા, પંજાબી, તમિળ, તેલુગુ અને ઉર્દૂમાં પણ લેવાશે.

તેમણે જણાવ્યું હતું કે પ્રાદેશિક ભાષા સારી રીતે જાણનારા લોકોને સરકારના આ નિર્ણયને લીધે પ્રાદેશિક ગ્રામીણ બૅન્કો (રિજનલ રુરલ બૅન્ક્સ)માં નોકરી મેળવવામાં વધુ સરળતા પડશે. અગાઉ, પ્રાદેશિક ગ્રામીણ બૅન્કોમાં સ્કૅલ-વન ઑફિસર્સ અને ઑફિસ આસિસ્ટન્ટ્સમાં સીધી ભરતીની પરીક્ષાઓ માત્ર હિંદી અને અંગ્રેજીમાં જ લેવાતી હતી.

કેન્દ્રનાં નાણાપ્રધાન નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે સીઆરપી રિજનલ રુરલ બૅન્ક્સ 8 (2019)ની મૅન્સ એક્ઝામિનેશનથી આ નિર્ણયનો અમલ આવશે.

દેશમાં હાલમાં 45 રિજનલ રુરલ બૅન્ક (પ્રાદેશિક ગ્રામીણ બૅન્ક) છે અને તેના કુલ કર્મચારીઓ અંદાજે 90,000 છે.

July 4, 2019
rathyatra_2019.jpg
1min5590

જગતના નાથ એવા ભગવાન જગન્નાથ વર્ષમાં માત્ર એકવાર નગરચર્યાએ નીકળે છે અને આ વિશિષ્ટ પર્વ એટલે રથયાત્રા. આજે એટલે કે અષાઢી બીજનાં દિવસે અમદાવાદના પ્રસિદ્ધ જગન્નાથજી મંદિરની 142મી પૌરાણિક-પારંપરિક રથયાત્રા ભવ્યાતિભવ્ય રીતે નીકળી રહી છે.

ભગવાન જગન્નાથજી ગુરુવારે અત્યંત શુભ એવા ‘ગુરુપુષ્ય’ યોગમાં ભક્તોનાં ખબર-અંતર પૂછવા માટે નગરચર્યાએ રજવાડી શણગાર સજીને નીકળ્યા છે.

સવાર સવારમાં જ મંગળા આરતી દરમિયાન વરૂણદેવ પણ રાજી થયા હતા અને ભગવાનની રથયાત્રા પૂર્વે અમીછાંટણાથી ભક્તો ખુશખુશાલ થઈ ગયા હતા. રથાયાત્રા અગાઉ મેઘરાજાની હાજરીથી મનમોહક વાતાવરણ જોવા મળ્યું છે.

ભગવાન જગન્નાથ નંદિઘોષ રથમાં આરૂઢ છે જ્યારે બહેન સુભદ્રા કલ્પધ્વજ રથમાં વિદ્યમાન છે અને ભાઈ બલભદ્ર તાલધ્વજ રથમાં બિરાજમાન થયા છે. ભગવાનને નયનભરીને નિરખવા માટે ભક્તો તલપાપડ થઈ રહ્યા છે અને મંદિરની બહાર પણ વિશાળ જનમેદની ઉપસ્થિત છે. ભગવાનની રથયાત્રા જમાલપુરના નિજમંદિર બહાર પહોંચી છે અને ઠેર ઠેર ‘જય રણછોડ માખણચોર’ના નાદ ગૂંજી રહ્યા છે.

૧૪૨મી રથયાત્રાનો પ્રારંભ સવારે ૭.૦૦ વાગ્યે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે સોનાની સાવરણીથી માર્ગ સ્વચ્છ કરીને ‘પહિંદ વિધિ’ કરાવીને રથ ખેંચીને કરાવ્યો હતો.

July 3, 2019
CIA_Live_Logo_New2.jpg
1min6560

ગુરુવારે રથયાત્રા સાથે અખંડ ‘ગુરુપુષ્યામૃતસિદ્ધિ’ અને ‘લક્ષ્મી’યોગ, આ દિવસે કરેલું કાર્ય સિદ્ધિ-સફળતા અપાવશે

ગુરુવાર, તા.૪ જુલાઈ 2019 ના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા નો દિવસ અત્યંત શુભ અને પવિત્ર માનવામાં આવે છે. ગુજરાતી વર્ષ પ્રમાણે અષાઢી બીજના આ ઉત્તમ દિવસે જ ‘ગુરુપુષ્યામૃતસિદ્ધિ યોગ’, ‘લક્ષ્મી યોગ’નો સમન્વય થઈ રહ્યો છે. જેથી આ દિવસે શુભ કાર્યો માટે અને કાર્યસિદ્ધિ માટે સર્વોત્તમ બની રહેશે. એટલા માટે જ ગુરુવાર આવી રહેલા આ યોગના અત્યંત શુભ માનવામાં આવે છે.

અષાઢ સુદ બીજ, તા.૪ જુલાઈ, ૨૦૧૯ના રોજ ચંદ્ર પુષ્ય નક્ષત્રમાં વહેલી સવારે ૪.૪૦ મિનિટે આવે છે અને રાત્રિના ૨.૩૧ મિનિટ સુધી પુષ્ય નક્ષત્રમાં રહે છે. આ સમયગાળા દરમિયાન ચંદ્રની સાથે મંગળ પણ છે. એટલે ચંદ્ર-મંગળનો ‘લક્ષ્મી યોગ’ થાય છે.

બારમે સૂર્ય, શુક્ર અને રાહુ મિથુન રાશિના છે. ચંદ્રકુંડળી અનુસાર સૂર્ય ધન સ્થાનનો માલિક બને છે અને શુક્ર લાભ સ્થાનનો માલિક બને છે. આ બન્નેની યુતિ ધન-પ્રાપ્તિમાં સહાયક છે. તેની સાથે ઉચ્ચનો રાહુ છે. સામાન્ય રીતે રાહુ નકારાત્મક શક્તિનો દ્યોતક છે, પરંતુ મિથુન રાશિમાં રહેલો ઉચ્ચનો રાહુ હકારાત્મક બને છે. તેની સાથે છઠ્ઠા સ્થાનમાં ધન રાશિમાં રહેલો શનિ તે આ સ્થાનમાં શ્રેષ્ઠ ફળ
આપનાર છે.

વૃશ્ચિક રાશિનો ગુરુ પાંચમા સ્થાનમાં છે અને તે વક્રી હોવાથી ‘શુભા વક્રા અતિશુભા’ શુભ ગ્રહો વક્રી થાય તો વધુ શુભ ફળ આપે છે. એ મુજબ પાંચમા સ્થાનમાં રહેલો ગુરુ વધુ શુભ ફળ આપનારો છે અને તે નવમા ભાગ્ય સ્થાનનો માલિક છે અને તે સ્થાન પર ગુરુની દૃષ્ટિ હોવાથી ધાર્મિક કાર્યો સારા પ્રમાણમાં થશે. ગુરુની ચંદ્ર-મંગળ અને બુધ પર દૃષ્ટિ છે અને ગુરુની જે ગ્રહ પર દૃષ્ટિ થાય તે શુભ ફળ આપનાર બને છે. તેથી ચંદ્ર, મંગળ અને બુધ ત્રણેય શુભ ફળ આપનાર બની રહેશે. આ પ્રકારના અખંડ ગુરુ-પુષ્યામૃતસિદ્ધિ યોગમાં કરેલું કાર્ય સફળતા અપાવનાર બની રહે છે.

આ દિવસે ચંદ્ર-ગુરુનો નવપંચમ યોગ થઈ રહ્યો છે. માટે આ દિવસ કોઈપણ પ્રકારના કાર્યની સિદ્ધિ માટે તથા સરસ્વતી દેવીની આરાધના શ્રેષ્ઠ છે. નવા કાર્યોનો પ્રારંભ કરવા માટે પણ ઉત્તમ છે. બીજી તરફ તિથિ મુજબ પણ અષાઢી બીજ-રથયાત્રાનો સમન્વય થાય છે. જ્યારે ચાતુર્માસના પ્રવેશ માટે પણ ઉત્તમોત્તમ દિવસ છે.

July 3, 2019
medical.jpg
1min5160

મેડિકલ પ્રવેશ સમિતિએ આજે નીટ આધારિત કોર્સમાં પ્રવેશ માટેનું મેરિટલિસ્ટ જાહેર કરી દીધું છે. પ્રોવિઝનલ મેરિટલિસ્ટમાં કુલ ૨૧૨૧૭ વિદ્યાર્થીઓને સામેલ કરાયા છે. જેમાં આર્થિક રીતે પછાત એટલે કે EWS કેટેગરીમાં ૫૩૯૭, એસઇબીસી કેટેગરીમાં ૭૩૩૪, એસ.સી. કેટેગરીમાં ૧૯૭૧ અને એસ.ટી. કેટેગરીમાં ૧૬૨૫ વિદ્યાર્થીનો સમાવેશ કરાયો છે. ચાલુ વર્ષે ડોમિસાઇલના નિયમમાં સામાન્ય ફેરફાર કરવામાં આવતાં નવા નિયમમાં આવનારા વિદ્યાર્થીઓનો પણ મેરિટમાં સ્થાન આપવામાં આવ્યું છે. મેડિકલમાં ગઇકાલે ૧૨ કોલેજોને ૨૦-૨૦ લેખે ૨૪૦ બેઠકોની મંજુરી આપવામાં આવતાં EWS કેટેગરીમાં કુલ ૩૪૦ બેઠકોનો સમાવેશ કરી દેવાયો છે. હાલમાં મેડિકલની કુલ ૫૧૪૦ બેઠકો માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ડેન્ટલની ૧૧૫૫ બેઠકો હાલ ઉપલબ્ધ છે. હજુ સુધી આયુર્વેદ અને હોમિયોપથીમાં કેટલી બેઠકો માટે પ્રવેશ પ્રક્રિયા થશે તેની પણ કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. પ્રોવિઝનલ મેરિટલિસ્ટ જાહેર કર્યા બાદ કોઇ વિદ્યાર્થીઓને મેરિટલિસ્ટમાં મુશ્કેલી હોય અથવા તો સુધારા વધારા કરાવવા હોય તો આગામી તા.૪ જુલાઇ સુધી ગાંધીનગર ખાતેની મેડિકલ પ્રવેશ સમિતિનો સંપર્ક કરવાનો રહેશે.

વર્ષ ૨૦૧૮માં પ્રથમ ક્રમે આવનારા વિદ્યાર્થીને ૬૭૫ માર્કસ હતા. જયારે ૧૦૦માં ક્રમે આવનારા વિદ્યાર્થીને ૫૮૭ માર્કસ હતા. જેની સામે વર્ષ ૨૦૧૯ એટલે ચાલુ વર્ષે પ્રથમ ક્રમે આવનારા વિદ્યાર્થીને ૬૯૦ અને ૧૦૦માં ક્રમે આવેલા વિદ્યાર્થીને ૬૩૫ માર્કસ છે. આમ, પ્રથમ ૧૦૦માં જ અંદાજે ૩૦ માર્કસનો તફાવત પડે છે. આજ રીતે ચાલુવર્ષે ૯૦૧માં નંબરે આવનારા વિદ્યાર્થીને ૫૨૩ અને ૧૦૦૦માં ક્રમે અવાનારા વિદ્યાર્થીને ૫૩૦ માર્કસ છે. જેની સામે ગતવર્ષે ૯૦૧માં ક્રમે આવેલા વિદ્યાર્થીને ૪૬૧ અને ૧૦૦૦માં ક્રમે આવેલા વિદ્યાર્થીને ૪૬૮ માર્કસ હતા. આમ, ૫૫ માર્કસનો તફાવત ઊભો થાય તેમ છે. એટલે કે ચાલુ વર્ષે મેરિટ ઊચું જાય તેવી શકયતા છે.

મેડિકલમાં સરકારી EWSમાં ૧૧૫૦ બેઠકો વધશે તેવી જાહેરાત કર્યા બાદ હાલમાં ૩૪૦ બેઠકો મળી છે. આજ રીતે ડેન્ટલમાં EWS કેટેગરીમાં કેટલી બેઠકો મળશે તે અંગે કોઇ સ્પષ્ટતા કરાઈ નથી. જયારે હોમિયોપથી અને આયુર્વેદમાં કેટલી બેઠકો માટે કાર્યવાહી થશે તે પણ નક્કી નથી ત્યારે EWS લાગુ થશે કે નહીં તેની અનિશ્ચિતતા ઊભી થઇ છે. પ્રવેશ સમિતિના સૂત્રો કહે છે હજુ સુધી આ મુદ્દે સરકાર દ્વારા કોઇ સૂચના અપાઈ નથી. ઉપરથી સૂચના અપાશે તે પ્રમાણે કાર્યવાહી કરાશે.