ગુરુવારે રથયાત્રા સાથે અખંડ ‘ગુરુપુષ્યામૃતસિદ્ધિ’ અને ‘લક્ષ્મી’યોગ, આ દિવસે કરેલું કાર્ય સિદ્ધિ-સફળતા અપાવશે
ગુરુવાર, તા.૪ જુલાઈ 2019 ના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા નો દિવસ અત્યંત શુભ અને પવિત્ર માનવામાં આવે છે. ગુજરાતી વર્ષ પ્રમાણે અષાઢી બીજના આ ઉત્તમ દિવસે જ ‘ગુરુપુષ્યામૃતસિદ્ધિ યોગ’, ‘લક્ષ્મી યોગ’નો સમન્વય થઈ રહ્યો છે. જેથી આ દિવસે શુભ કાર્યો માટે અને કાર્યસિદ્ધિ માટે સર્વોત્તમ બની રહેશે. એટલા માટે જ ગુરુવાર આવી રહેલા આ યોગના અત્યંત શુભ માનવામાં આવે છે.
અષાઢ સુદ બીજ, તા.૪ જુલાઈ, ૨૦૧૯ના રોજ ચંદ્ર પુષ્ય નક્ષત્રમાં વહેલી સવારે ૪.૪૦ મિનિટે આવે છે અને રાત્રિના ૨.૩૧ મિનિટ સુધી પુષ્ય નક્ષત્રમાં રહે છે. આ સમયગાળા દરમિયાન ચંદ્રની સાથે મંગળ પણ છે. એટલે ચંદ્ર-મંગળનો ‘લક્ષ્મી યોગ’ થાય છે.
બારમે સૂર્ય, શુક્ર અને રાહુ મિથુન રાશિના છે. ચંદ્રકુંડળી અનુસાર સૂર્ય ધન સ્થાનનો માલિક બને છે અને શુક્ર લાભ સ્થાનનો માલિક બને છે. આ બન્નેની યુતિ ધન-પ્રાપ્તિમાં સહાયક છે. તેની સાથે ઉચ્ચનો રાહુ છે. સામાન્ય રીતે રાહુ નકારાત્મક શક્તિનો દ્યોતક છે, પરંતુ મિથુન રાશિમાં રહેલો ઉચ્ચનો રાહુ હકારાત્મક બને છે. તેની સાથે છઠ્ઠા સ્થાનમાં ધન રાશિમાં રહેલો શનિ તે આ સ્થાનમાં શ્રેષ્ઠ ફળ
આપનાર છે.

વૃશ્ચિક રાશિનો ગુરુ પાંચમા સ્થાનમાં છે અને તે વક્રી હોવાથી ‘શુભા વક્રા અતિશુભા’ શુભ ગ્રહો વક્રી થાય તો વધુ શુભ ફળ આપે છે. એ મુજબ પાંચમા સ્થાનમાં રહેલો ગુરુ વધુ શુભ ફળ આપનારો છે અને તે નવમા ભાગ્ય સ્થાનનો માલિક છે અને તે સ્થાન પર ગુરુની દૃષ્ટિ હોવાથી ધાર્મિક કાર્યો સારા પ્રમાણમાં થશે. ગુરુની ચંદ્ર-મંગળ અને બુધ પર દૃષ્ટિ છે અને ગુરુની જે ગ્રહ પર દૃષ્ટિ થાય તે શુભ ફળ આપનાર બને છે. તેથી ચંદ્ર, મંગળ અને બુધ ત્રણેય શુભ ફળ આપનાર બની રહેશે. આ પ્રકારના અખંડ ગુરુ-પુષ્યામૃતસિદ્ધિ યોગમાં કરેલું કાર્ય સફળતા અપાવનાર બની રહે છે.
આ દિવસે ચંદ્ર-ગુરુનો નવપંચમ યોગ થઈ રહ્યો છે. માટે આ દિવસ કોઈપણ પ્રકારના કાર્યની સિદ્ધિ માટે તથા સરસ્વતી દેવીની આરાધના શ્રેષ્ઠ છે. નવા કાર્યોનો પ્રારંભ કરવા માટે પણ ઉત્તમ છે. બીજી તરફ તિથિ મુજબ પણ અષાઢી બીજ-રથયાત્રાનો સમન્વય થાય છે. જ્યારે ચાતુર્માસના પ્રવેશ માટે પણ ઉત્તમોત્તમ દિવસ છે.