
ધો.12 સાયન્સ, કોમર્સના પરીણામો જાહેર થયાના દોઢથી ત્રણ મહિના જેટલો સમય વિતી ગયો છે, ગુજરાતની અન્ય યુનિવર્સિટીઓમાં તો ધો.12 પછી કોલેજોમાં પહેલા વર્ષના ઓનલાઇન ક્લાસીસ શરૂ થઇ ચૂક્યા છે ત્યારે દક્ષિણ ગુજરાતના 7 જિલ્લા વચ્ચેની એકમાત્ર સ્ટેટ સરકારી યુનિવર્સિટી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પહેલા વર્ષના પ્રવેશના ઠેકાણા નથી. વીર નર્મદ યુનિવર્સિટીમાં હજુ તો તા.17મી ઓગસ્ટ સુધી ઓનલાઇન ફોર્મ ભરવાની મુદત પૂરી થઇ છે.
ભણવાનું શરૂ કરવાની વાત તો દૂર રહી પ્રવેશ કાર્યવાહીનું શિડ્યુલ સુદ્ધાં જાહેર નથી
પ્રવેશાર્થીઓના પ્રશ્નો અનુત્તર
- ક્યાં સુધી ચાલશે ઓનલાઇન એપ્લિકેશન
- કયારે જાહેર કરાશે મેરીટ યાદી
- ક્યારે પ્રવેશ કન્ફર્મેશન
- કેવી રીતે પ્રવેશ લેવાનો રહેશે
- કયા ડોક્યુમેન્ટસ આપવાના રહેશે
- કોલેજો ઓરિજિનલ ડોક્યુમેન્ટસ માંગશે તો શું કરવું
- પહેલો રાઉન્ડ ક્યારે, રાઉન્ડવાઇઝ સમયપત્રકનું શું
- પ્રવેશ કન્ફર્મ કરાવવા પહેલી ફી ક્યાં જમા કરાવવાની
- પ્રવેશ એપ્લિકેશનમાં એડિટનો ઓપ્શન વિકલ્પ જ નથી અપાયો
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ડો.શિવેન્દ્ર ગુપ્તાનો કાર્યકાળ વિદ્યાર્થીઓ માટે એટલો હાનિકર્તા નિવડ્યો છે કે તેમની કારકિર્દીના પારાવાર નુકસાન થઇ રહ્યું છે અને સિન્ડીકેટ કે સેનેટ સભ્યો અસરકારક રીતે વિદ્યાર્થી હિતનું રક્ષણ કરવામાં વામણા પૂરવાર થયા છે. આ વર્ષે ધો.12 સાયન્સનું પરીણામ મે મહિનામાં જાહેર થઇ ચૂક્યું હતું, એ પછી જુનમાં ધો.12 સામાન્ય પ્રવાહના પરીણામો જાહેર થયા એ પછી અત્યાર સુધી યુનિવર્સિટી પહેલા વર્ષમાં હજુ તો પ્રવેશ કાર્યવાહીના ફીફા ખાંડી રહી છે. ઓનલાઇન એપ્લિકેશન પછી ક્યારે શું પ્રોસેસ કરવાની એ અંગેની કોઇ જ જાણકારી યુનિવર્સિટીએ પ્રવેશાર્થીઓને આપી નથી. હજારો પ્રવેશાર્થીઓ રોજેરોજ યુનિ.ના પ્રવેશ અંગે નવી નવી મૂંઝવણોથી પીડાય રહ્યા છે પણ યુનિવર્સિટી તરફથી કોઇ જ સ્પષ્ટતા કરાતી નથી.
કેટલાય અભ્યાસક્રમોમાં તો હજુ એપ્લિકેશનની મુદતો વધારાય રહી છે
ધો.12ના પરીણામો જાહેર થયા બાદ જે વિદ્યાર્થીઓએ વીર નર્મદ યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં જ અભ્યાસ કરવો છે એવા વિદ્યાર્થીઓની કારકિર્દીને ભારે નુકસાન થઇ રહ્યું છે કેમકે યુનિવર્સિટી હજુ સુધી તો ઓનલાઇન એપ્લિકેશનનો સમય વધાર્યે જ જાય છે. પ્રવેશ કાર્યવાહી ક્યારે પૂર્ણ થશે એ તો રામ જાણે પણ વિદ્યાર્થીઓ અને વાલીઓની ધીરજ ખૂટી રહી હોય તેઓ પ્રાઇવેટ યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવીને અભ્યાસ શરૂ કરી રહ્યા છે.
વીર નર્મદ યુનિ. પ્રવેશમાં વિલંબથી પ્રાઇવેટ યુનિવર્સિટીને ફાયદો
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશમાં થઇ રહેલા અસહ્ય વિલંબનો સીધો ફાયદો ગુજરાતની પ્રાઇવેટ યુનિવર્સિટીઓને મળી રહ્યો છે. કેમકે ધો.12 સાયન્સ કોમર્સના પરીણામોને બેથી ત્રણ મહિના પછી પણ જો વીર નર્મદ યુનિવર્સિટી પ્રવેશ નિશ્ચિત કરી શકતી ન હોય તો વિદ્યાર્થીઓનો અભ્યાસ ક્યારે શરૂ થશે. બીજી તરફ પ્રાઇવેટ યુનિવર્સિટીઓએ દક્ષિણ ગુજરાતના ધો.12 પાસ વિદ્યાર્થીઓને અભ્યાસની તકો, એક્સપોઝર, સ્કોલરશીપ વગેરેની ઓફર કરીને વિદ્યાર્થીઓને આકર્ષિત કરવા માંડ્યા છે.













